Category Archives: રવિન્દ્રનાથ ટાગોર

ગામ છેડે ની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : અમીષ ઓઝા
અનુવાદ : પિનાકીન ત્રિવેદી
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

ગામ છેડેની પેલી કેડી લાલમ લાલ
હાં રે હાં, મારું મન મોહાય રે
કોને કાજે મનડું કરી ઊંચા હાથ
રજમાં રગદોળાય રે
મારું મન મોહાય રે

એ તો કાઢે ઘરની બહાર મને રે
પકડી પગલે પગલે ઘેરે
હાય હાય રે

એ તો ખેંચી મુજને લેતી જાય રે
ક્યાંક જહન્નમ માંય રે
મારું મન મોહાય રે

એ શો કોક વળાંકે દલ્લો દેખાડે
ક્યાંક વળી શું ખાડે પછાડે
એનો ક્યાં ને ક્યારે અંત? અરે રે
કેમે ના સમાય રે
મારું મન મોહાય રે
– રવિન્દ્રનાથ ટાગોર ( અનુવાદ : પિનાકીન ત્રિવેદી )

મન મારું મેઘની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

મન મારું મેઘની સંગે
ઉડી ઉડી જાય દિગદીશાઓ વ્યોમે
શુન્યાકાશે ઝરમર શ્રાવણ સંગીતે
રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ

મન મારું હંસ ની પાંખે બેસી જાય ઉડે
ક્વચિત ક્વચિત ચમકે વીજ પ્રકાશે
ઝણઝણ મંજીરા બાજે ઝંઝા રુદ્ર આનંદે
કલ કલ કલ કલ નાદે ઝરણા
હાક દે, પ્રલય ને આહવાને

વાયુ વહે પૂર્વ સમુદ્ર થાકી
છળ છળ ઉછળે તરંગ તટે
મન મારું દોડે એના મસ્ત પ્રવાહે
અરણ્ય પર્ણના તાલે
શબ્દ શાખાના આંદોલને

-રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા )

આજ સખી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ, મીનૂ પુરી
અનુવાદ : કૃષ્ણા હાઝરા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આજ સખી મોહુ મોહુ ગાયે પીયુ કુહુ કુહુ
કુંજ બને દોહું દોહું, દોનો પિયે રસપાન

યૌવન મદ વિલસિત, પુલકે હીય ઉલસિત
અવશ તનુ અલસિત, જૈસે હો કહીં મુરછીત

આજ મધુર ચાંદની, પ્રાણ ઉન્માદીની
શિથિલ સબ બાંધની, શિથિલ ભઈ લાજ

વચન મૃદુમરમર, કાંપે હીય થરથર
કંપીત તનુ જરજર, કુસુમ વન માં

પવન મૃદુ ચલઇબ, ચરન નાહી ચલઇબ
વચન મોહુ ખલઇબ, આંચલ લુભાય

અર્ધખીલ કમલદલ વાયુસીત ટલમલ
નૈન જૈસે ઢલઢલ, ચાહેં યા ન ચાહે
કેશ કે ફૂલ કંપિત, ગિરત હૈ કપાલ પર
મધુર દાહ મેં તાપિત જબ, ખિસક્કે સીત પાય

પુષ્પ વર્ષા શિર પર, યમુના બહે કલકલ
હાંસે શશી ઢલઢલ, ભાનુ મગન હો જાય
– રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : કૃષ્ણા હાઝરા )

અગન નો પારસમણી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : પિનાકિન ત્રિવેદી
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

અગન નો પારસમણી, લાગજો પ્રાણે
આ જીવન કરો પાવન દહન દાને

મારી આ દેહાદીવીને ઉંચે રાખી
દેવાલયે દીવો કરો, વિનંતી મારી
નિશદિન જ્યોતિ શિખા ઝગે ગાને

તિમિરને અંગેઅંગે સ્પર્શે તારે
આખી રાત ખીલો તારા નવા નવા રે
નયનની નજરની આ ટળે કાલિમા
પડે જ્યાં ત્યાં જણાજો તેજ લાલિમા
વ્યથા મુજ જ્વલંત હો નભ વિતાને

-રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : પિનાકિન ત્રિવેદી)

આવો શ્યામલ સુંદર – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ
અનુવાદ : ડૉ. નલીની મડગાવકર
આલબમ:રવિન્દ્ર ગુર્જરી

.

આવો શ્યામલ સુંદર
લાવો તવ તાપ ધરી તૃષા ધરી અમૃત ધારા
વિરહિણી નિરખતી આકાશે

એ તો મારગ બિછાવે વ્યાકુળ હૈયાને
તમાલ કુંજ પથે સજળ છાંયડે
નયને જાગે છે કરુણ રાગિણી

બકુલ મકુલ ગુંથીને રાખીયા
મધુર બંસરી ગૂંજે આંગણે
આણો સંગે તમારાં મંજીરાં
ચંચલ નૃત્યને તાલે રણકતાં
વાજંતા કંકણો વાજંતી ઘૂઘરી
ઝંકૃત નૂપુર રુમઝુમ રુમઝુમ

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : ડૉ. નલીની મડગાવકર)

આનંદ લોકે – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃંદ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

મહિમા તારો ઝળહળતો મહાગગનમાં
વિશ્વ-જગત મણિ-ભૂષણ રહે તારે ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ગ્રહ તારા ચંદ્ર સૂરજ વ્યાકુળ બની દોડે
કરે પાન કરે સ્નાન અક્ષય કિરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ધરણી પર વહે નિર્ઝર મોહન મધુ શોભા
ફૂલ પાલવ અતિ સુગંધ સુંદર વરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

વહે જીવન રજની દિન નિત નવ નવ ધારા
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ
કરે સાંત્વના કરે વર્ષણ સંતાપ હરે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

જગ માં તવ મહાઉત્સવ વંદન કરે વિશ્વ
ભૂમિ સંપત્તિ સમ્રીદ્ધી તવ નિર્ભીક ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! (હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી)

આજે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ!  આજના દિવસ માટે લખાયેલો આ લેખ ટહુકો પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ નંદિનીબેન નો આભાર માનું છું. 
*************

Link to Original Article: હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, “ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે.” આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!’ બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે.

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં ‘બે એરિયા’માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

“એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે.” કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. ‘રવીન્દ્રનાથનો કલા વૈભવ’ પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, “સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે ‘માર્ચ સોંગ’માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી.”

Click here for Amazon Link for the album

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જન્મકથા – રવિન્દ્રનાથ ટાગોર

અમે મહિનામાં એક દિવસ ફોનથી અને અત્યારે ઝૂમના માધ્યમથી મળીએ અને ઈ-ગોષ્ઠી કરીએ જેમાં અલગ અલગ કવિતાઓ ,વાર્તાઓ,ગીતો ની ચર્ચા થાય અને એકબીજા સાથે સાહિત્યની લ્હાણી થાય.ગયાં મહિનાની ઈ-ગોષ્ઠીમાં સુરેન્દ્ર ભીમાણીએ સુંદર કવિતાનું પઠન કર્યું.
એ કવિતા હતી રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય સંગ્રહ “શિશુ”માંથી લેવાયેલી રચના “જન્મકથા”.સુરેન્દ્રભાઈ બંગાળી શીખ્યા છે અને એમણે આ કવિતાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.બંગાળીમાં કવિતાનું નામ જન્મકથા(બોલાય જન્મોકોથા) જ છે .
અહીં મૂળ બંગાળીમાં પણ મુકું છું અને ગુજરાતી અનુવાદ અને સુરેન્દ્ર ભીમાણીના અવાજમાં થયેલું એનું પઠન પણ. ખુબ સુંદર ભાવ સાથે એમણે પઠન કર્યું છે.તમે પણ માણો.

জন্মকথা

খোকা মাকে শুধায় ডেকে–
“এলেম আমি কোথা থেকে,
কোন্খানে তুই কুড়িয়ে পেলি আমারে।’
মা শুনে কয় হেসে কেঁদে
খোকারে তার বুক বেঁধে–
“ইচ্ছা হয়ে ছিলি মনের মাঝারে।
ছিলি আমার পুতুল-খেলায়,
প্রভাতে শিবপূজার বেলায়
তোরে আমি ভেঙেছি আর গড়েছি।
তুই আমার ঠাকুরের সনে
ছিলি পূজার সিংহাসনে,
তাঁরি পূজায় তোমার পূজা করেছি।
আমার চিরকালের আশায়,
আমার সকল ভালোবাসায়,
আমার মায়ের দিদিমায়ের পরানে–
পুরানো এই মোদের ঘরে
গৃহদেবীর কোলের ‘পরে
কতকাল যে লুকিয়ে ছিলি কে জানে।
যৌবনেতে যখন হিয়া
উঠেছিল প্রস্ফুটিয়া,
তুই ছিলি সৌরভের মতো মিলায়ে,
আমার তরুণ অঙ্গে অঙ্গে
জড়িয়ে ছিলি সঙ্গে সঙ্গে
তোর লাবণ্য কোমলতা বিলায়ে।
সব দেবতার আদরের ধন
নিত্যকালের তুই পুরাতন,
তুই প্রভাতের আলোর সমবয়সী–
তুই জগতের স্বপ্ন হতে
এসেছিস আনন্দ-স্রোতে
নূতন হয়ে আমার বুকে বিলসি।
নির্নিমেষে তোমায় হেরে
তোর রহস্য বুঝি নে রে,
সবার ছিলি আমার হলি কেমনে।
ওই দেহে এই দেহ চুমি
মায়ের খোকা হয়ে তুমি
মধুর হেসে দেখা দিলে ভুবনে।
হারাই হারাই ভয়ে গো তাই
বুকে চেপে রাখতে যে চাই,
কেঁদে মরি একটু সরে দাঁড়ালে।
জানি না কোন্ মায়ায় ফেঁদে
বিশ্বের ধন রাখব বেঁধে
আমার এ ক্ষীণ বাহু দুটির আড়ালে।’

ગુજરાતી અનુવાદક અને પઠન: સુરેન્દ્ર ભીમાણી

.

જન્મકથા

(“ઓધવજી સન્દેશો કહેજો શ્યામને” ઢાળ)

બાળક માને પ્રશ્ન કરે, “મા કહે મને,
તેં મુજને ક્યાંથી આણ્યો, સાચું કહે.”

મા હસતી ને કહેતી “સાંભળ બેટડા,
કેમ કરી તું આવ્યો મારી પાસ જો.

મારી બચપણની રમતોમાં તું હતો,
શિવને મંદિરિયે પણ તારું સ્થાન જો.

પૂજાની ચીજોમાં હું જોતી તને,
દેવોમાં દીઠું મેં તારું રૂપ જો.

આશાના તંતુઓ બાંધ્યા મેં ઘણા,
પ્રેમ-ઉમઁગે ઝીણું વાણ વણાય જો.

મૂર્તિ દેવીની વર્ષોથી પૂજતી,
નક્કી એના ખોળે તું છુપ્યો જ જો.

યુવાનીની કૂંપળો જયાં ફૂટી દેહમાં,
એ કૂપળોની સૌરભમાં તું છવાયેલો.

લાવણયે શોભંતું તારું અંગ જે,
રહ્યું છવાઈ મારા અંગે અંગ જો.

જગ જેને સ્વપ્નોમાં નીરખી ઈચ્છતું,
આવ્યો મારે હ્ર્દયે આંનદસ્ત્રોત તું.

દેવોની આંખોની કીકી તું હતો,
પ્રભાત સમ સુંદર છે તારું અંગ જો.

જોઈ રહું તુજને, ના પામું ભેદ એ
તું સઘળાંનો હતો અને મારો થયો.

ચુંબન વ્હાલપનું તારે ગાલે ધરું,
જાણું તું તો કૃપા-પ્રસાદી દેવની.

અળગો ના મૂકતી હું તુજને એ ભયે,
ઘડીક દૂર થાતાંમાં તું ખોવાય જો.

ઈશ્વર જો આપે બળ મુજને એટલું,
ક્ષીણ ભુજામાં મારી તું સંતાય જો.
-રવિન્દ્રનાથ ટાગોર

જીવન જ્યારે સુકાય ત્યારે – રવિન્દ્રનાથ ટાગોર

7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.

આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ

કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ

.

જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો

દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો

વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

પુષ્પ:૦૧

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

(રવીન્દ્રનાથ ટાગોર)
-અનુ. વિવેક મનહર ટેલર

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન

ગીતાંજલિ બોલતાં જ આપણી નજર સમક્ષ જે કાવ્યસંગ્રહ આવે એ નોબેલ પારિતોષિક પ્રાપ્ત અંગ્રેજી અનુવાદ. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી 103 કવિતાઓનું ચયન કરી રવીન્દ્રનાથ ટાગોરે એમનો અંગ્રેજી અનુવાદ કર્યો અને વિશ્વ આખાની આંખ ભારતીય કવિતા તરફ આકર્ષિત થઈ. 1913ની સાલમાં આ પુસ્તક માટે ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાં પણ અને પછી પણ આજ પર્યંત એ સૌભાગ્ય અન્ય કોઈ કવિ કે લેખકને પ્રાપ્ત થયું નથી.

શાંતિનિકેતનમાં એક દિવસ કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. યુવાવસ્થામાં કવિ બંગાળના કોઈક ગામડામાં ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. એ પછી શાંતિનિકેતનની સ્થાપના કરી. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવવાની અદમ્ય ઇચ્છાને વશ થઈ એમણે પસંદીદા કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો. બ્રિટનપ્રવાસ દરમિયાન આ રચનાઓ જેમણે જેમણે વાંચી એ બધાએ આ રચનાઓનો સહર્ષ સ્વીકાર કરી ટાગોરને બ્રિટિશ કવિઓની
સમકક્ષનું માન આપ્યું.

નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યરે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય.

જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય…

“એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.