Category Archives: હિતેન આનંદપરા

સાંજ પડે ઘર યાદ આવે – હિતેન આનંદપરા

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંજ પડે ઘર યાદ આવે !
અપલક આંખો હળવે રહીને એક ઉદાસી સરકાવે…

દૂર-સુદૂરના કોઈ દેશે પંખી બાંધે માળો,
ચણને ખાતર મણમણનો વિજોગ ગળે વળગાડો;
ટહુકાઓનો તોડ કરીને બેઠો ઉપરવાળો.
મોસમ એકલતાની ભરચક ડાળીઓ કંપાવે…

એક જગાએ બીજ વવાયું, ઝાડ તો ઊગ્યું બીજે,
પર્ણ અચાનક બર્ફ થઈને લીલમલીલા થીજે.
એકબીજાંને ના ઓળખતાં એકબીજાં પર રીઝે.
તુલસીની આશિષો કોરા આંગણને છલકાવે…

– હિતેન આનંદપરા

મારા એક વ્હાલા મિત્રે એકવાર કહ્યું હતું – life is 5% what happens to you and 95% how you respond. અહીં મકતાના શેરમાં કંઈક એવી જ વાત નથી? 😊

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

‘પરદેશી પારેવાં’ – વિદેશમાં સ્થાયી થયેલા સર્જકોનું કવિ સંમેલન. તા: જાન્યુઆરી 8, 2022

ટહુકો ફાઉન્ડેશનના સહયોગથી મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘પરદેશી પારેવાં’ – વિદેશમાં સ્થાયી થયેલા સર્જકોનું કવિ સંમેલન.
તા: જાન્યુઆરી 8, 2022 – રાત્રે 8:30 pm (India) = સવારે 7 am PST/ 10 am EST (USA/Canada)

YouTube Channel: Maha Sahitya – https://www.youtube.com/channel/UCRys_Y2d-z888TKwR9wMJoA

YouTube સિરીઝ ‘અમે તમે અને આપણે’ના 100 એપિસોડ નિમિત્તે સંપાદક નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદ

સાહિત્ય વિશેનું કોઈ પણ નવું કામ શરુ કરવા માટે વિચાર વસ્તુની સમજણ, ઉત્સાહ અને એક દિશા જોઈએ, પણ એ જ કામ સતત રીતે દર અઠવાડીએ કરવા માટે ખંત અને લગન જોઈએ. અને જયારે દર અઠવાડીએ નવા જ લેખકો, સંગીતકારો અને ગાયકોની રચનાઓને રજૂ કરવાની હોય ત્યારે સ્પષ્ટ concept, દૂરંદેશી વાળું સઘન આયોજન, વિવિધ વ્યક્તિત્વો સાથે કામ કરવાની સૂઝ અને આવડત અને એથીય વધુ જોઈએ પોતાના કામમાં, વિષયવસ્તુમાં દ્રઢ વિશ્વાસ.
નંદિતા ઠાકોરની શ્રેણી ‘અમે તમે અને આપણે’ આવા પ્રેમ, દ્રઢ વિશ્વાસ અને લગનનું જ સુંદર પરિણામ છે. આ અનન્ય શ્રેણી જે કોવિડ મહામારી વખતે શરુ થઇ અને વિસ્તરી, એના 100 એપિસોડ આજે પુરા થાય છે ત્યારે આ સાહિત્ય, સંગીત પ્રત્યેના નંદિતા બેનના પ્રેમની ખાસ ઉજવણી ‘ટહુકો’ના ‘આંગણા’માં કરતાં અત્યંત આનંદ થાય છે. 
તો લો આ રહ્યો  ‘અમે તમે અને આપણે’ નો 100મો એપિસોડ –

નંદિતા બેનના વિવિધરંગી વ્યક્તિત્વ વિષે વધુ જાણો જાણીતા કવયિત્રી જયશ્રી મર્ચન્ટના શબ્દોમાં
નંદિતા ઠાકોર, અમેરિકામાં ડાયસ્પોરાનું એવું નામ કે જે લેખક, કવિ, ગાયક, સંગીતકાર અને શાસ્ત્રીય સંગીત વિશારદ છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા એવા સાહિત્યકાર અને કવિ છે જેઓ કવિતા, ગીત અને ગઝલ તો લખે પણ એને સંગીતબદ્ધ પણ કરે અને ગાઈ પણ શકે. પોતાની આ સાહિત્ય-સંગીતની સફરના રસ્તે તેઓ માત્ર પોતાના જ શબ્દોના અજવાળાં નથી પાથરતાં, પણ, અનેક નવા-જૂના કવિઓના શબ્દોને પણ ખૂબ વ્હાલથી, લાડ લડાવીને પાછાં અછોવાનાયે કરે. પોતે તો ઉર્ધ્વગામી સફર પર હોય પણ ન જાણે કેટલાય જાણીતા અને અજાણ્યા નામોને પોતાની સાથે આંગળી પકડીને નંદિતાએ બિલકુલ “સેલ્ફલેસ” – નિ:સ્વાર્થપણાથી સાહિત્યની આ આકાશગંગાની સેર કરાવી છે.
આજના અણધાર્યા અને કપરા સમયમાં “અમે તમે ને આપણે” જેવી અદ્ભૂત શ્રેણીના ૧૦૦ એપિસોડ અત્યંત શ્રમ લઈને સંજોવવા એ તો કાંકરામાંથી ઘઉં વીણવા જેવું કષ્ટદાયક કામ છે. કોઈ પણ જાતનો અભિમાનનો ભાર રાખ્યા વિના નંદિતાએ આ કષ્ટને હસતાં-રમતાં, સહજતાથી અપનાવીને, મરજીવાની જેમ, સાહિત્યના ઊંડા સમંદરમાં ડૂબકી મારીને સાચા મોતી લઈ આવવાનું કામ કર્યું છે. અન્ય સાહિત્યકારોના ઉજળા પાસાને પણ પોતીકા માનીને એટલા જ ખંતપૂર્વક અને ખુશીથી રજુ કરવામાં નંદિતાના સ્વભાવનું ઋજુ પાસું ઉજાગર થાય છે. અને આ જ વાત નંદિતાને એક મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિ બનાવે છે.
નંદિતાએ પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનમાં બેચલર્સ અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું છે. એમણે પત્રકારત્વનો બહોળો અનુભવ લીધો છે. ‘નિલાંબરી’, ‘ક્ષણોની સફર’ અને ‘મારામાં તારું અજવાળું’ જેવા ત્રણ કાવ્યસંગ્રહો તથા અનુભૂતિના અક્ષર’ નામે પત્રસંપાદન આપીને આપણી ભાષાને સમૃદ્ધ કરી છે. નંદિતાએ ‘કૃષ્ણપ્રીત’ – હિન્દી ભક્તિ ગીત આલ્બમ બહાર પાડ્યું છે. જેમાં ગીત, સંગીત અને સ્વર, બધું જ નંદિતાનું છે. વાચન-લેખન ઉપરાંત પ્રવાસ,ફોટોગ્રાફી અને સંગીત જેવા ગમતા વિષયોને એમની પ્રિય કોફીની વરાળમાં ઘોળીને પી જનાર નંદિતા પાસેથી ‘ફિલ્ટર કોફી’ની શ્રેણીમાં આવા રસપ્રદ વિષયોનો નિચોડ મળે છે. અમારા માટે આ ગર્વ અને ગૌરવની વાત છે કે આ શ્રેણીનો લાભ અમારા “આપણું આંગણું” ના સાહિત્યને સમર્પિત બ્લોગને મળી રહ્યો છે.
આજે આવા નંદિતા ઠાકોરની આ સફરને આપ સહુ સમક્ષ મૂકતાં “ટહુકો” અને “આપણું આંગણું”ની ટીમ આનંદ અનુભવી રહી છે.

અમે તમે ને આપણે YouTube સિરીઝના 100 એપિસોડ નિમિત્તે સંપાદક નંદિતા ઠાકોર સાથે વિશેષ સંવાદ ‘ટહુકો’ અને ‘આપણું આંગણું’ બ્લોગના સંયુક્ત ઉપક્રમે –

‘આપણું આંગણું’ બ્લોગ Link – http://aapnuaangnu.com/
‘અમે તમે અને આપણે’ Youtube Channel Linkhttps://www.youtube.com/channel/UC-7dI31Qq1-lgdqvibwCxeg

‘આપણું આંગણું’ આયોજિત ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર (Online) – ૧૮-૧૯-૨૦ જૂન, ૨૦૨૧

Tahuko Foundation team supports the exceptional literary activities by ‘આપણું આંગણું’ blog team. Thank for your passion and dedication towards Gujarati Language & Literature, Jayshree Merchant and Hiten Aanandpara.

Please join this 3 day shibir on Lalit Nibandh. See details below:

“આપણું આંગણું” બ્લોગ આયોજિત

ત્રિદિવસીય લલિત નિબંધ શિબિર (Online) – ૧૮-૧૯-૨૦ જૂન, ૨૦૨૧.

ફેકલ્ટી: ડૉ. મણિલાલ હ. પટેલ
કુલ : ૩ સેશન
રોજનો : દોઢ કલાક

શિબિરમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન જરૂરી. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: ૧૭ જૂન

આ ગુગલ ફોર્મ ભરી આપ રજિસ્ટ્રેશન કરી શકો છો.
https://forms.gle/yNUUTFc5KnBP4kQG8

પ્રવેશ ફી ભરવા માટેની વિગત :
1. GPay | Paytm | Whatsapp
Payment No:
+91 9869439539
In the name of :
Hiten M Anandpara

2. for Payment via
Credit card / Debit Card /
Net Banking
Click this Payment Link:
https://imjo.in/6Xph7S

વીજ, વાદળ, વાયરો – હિતેન આનંદપરા

સ્વર,સ્વરાંકન: આલાપ દેસાઈ

.

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

– હિતેન આનંદપરા

સંબંધ છે, પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

ઓક્ટોબર ૨૦૦૭ થી ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ કવિતા – આજે સૂરના સથવારે ફરી એકવાર…

સ્વર : ગાર્ગી વોરા, નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની (?)

Posted on Oct 5, 2007

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …

વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય

ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે …

અમે ગીતોના માણસ રે લોલ – હિતેન આનંદપરા

અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઇ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.

આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઇ હૈયા લગ કેમ કરી પહોંચે?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઇ શય્યા લગ કેમ કરી પહોંચે?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.

આભ તલસે તલભાર, કોઇ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે,
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઇ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઇ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.

– હિતેન આનંદપરા

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા

સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું !

એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?

કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?

‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?

‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?

– હિતેન આનંદપરા
(સુ.દ.ના અંતિમ સંસ્કારના દિવસે લખાયેલો ઝુરાપો) ૧૧/૮/૨૦૧૨
રવિવાર, ૧૨/૮/૨૦૧૨ જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલું કાવ્ય.