ગ્લૉબલ કવિતા : ૧૨૨ : રંગપિયાલો -હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

રગેરગ ચડતો સંગના રંગનો નશો…

નશા હજાર જાતના હોય છે પણ પ્યારના કેફ સામે બધા જ ફીકાફસ. ને એમાં પણ બે જણ વચ્ચેના પ્રેમનો જ્યારે સ્પર્શની ભાષામાં તરજૂમો થાય ત્યારે જે નશો ચડે એની તો વાત જ કંઈ અલગ. આજે જો કે સ્નેહસંબંધની પરિભાષા ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રેમ અને પથારીની વચ્ચે હવે ઝાઝું અંતર રહ્યું નથી પણ એક સમય એવો હતો જ્યારે બે જણ પ્રેમમાં પડે અને વાત સ્પર્શ સુધી પહોંચે એની વચ્ચે થોડું અંતર રહેતું. સ્પર્શ આલિંગનમાં પરિણમે એની વચ્ચે તો કદાચ કિલોમીટર જેટલો લાં…બોલચ્ચ સમય પસાર થતો. અને કદાચ એટલે જ એ પહેલો સ્પર્શ, પહેલું આલિંગન, પહેલું ચુંબન પ્રેમીઓ જીવનભર ભૂલી શકતાં નહોતાં. પહેલાનો તો રોમાંચ જ અલગ. પ્રથમ પ્રેમની પ્રથમ શારીરિક અનુભૂતિઓના ગીત કવિઓ વર્ષોથી લખતા આવ્યા છે, લખતા રહેશે. પણ હસિત બૂચનું ‘રંગપિયાલો’ કાવ્ય કદાચ આ પ્રકારના ગુજરાતી ગીતકાવ્યોમાં શિરમોર કહી શકાય એટલું બળકટ અને ઋજુ થયું છે.

હસિતકાન્ત બૂચ. ૨૬-૦૪-૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે જન્મ. માતા સવિતાલક્ષ્મી કવયિત્રી અને પિતા હરિરાય પત્રકાર-ગ્રંથકાર. બહુ નાની વયે સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૨માં બી.એ. તથા ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કરી. બંને વાર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ!! અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય જોડાણ. શરૂઆતમાં એકાદ વર્ષ મુંબઈ રાજ્યના માહિતી ખાતામાં તંત્રી તરીકે કામ કર્યું. બાદમાં ૧૯૪૬થી ૭૧ સુધી લાગલગાટ પચ્ચીસ વર્ષો સુધી સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક અને આચાર્ય તરીકે સેવા બજાવી. પરિણામે ગુજરાતી સાહિત્ય સર્જનમાં મજબૂત ફાવટ સાંપડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિનયન વિભાગના ડીન બન્યા. ૧૯૭૧થી ૮૧ સુધી ગાંધીનગર ખાતે ભાષાનિયામક રહ્યા અને ભારત સરકારની ભાષા-સમિતિઓમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે એમણે સેવાઓ આપી. ૧૯૮૨થી વડોદરા ખાતે સ્થાયી થયા. વડોદરામાં ‘ગુજરાતી સાહિત્ય મંદિર’, વિસનગરમાં ‘કવિસભા’ તેમજ ગાંધીનગરમાં ‘મિજલસ’ની સ્થાપના કરીને એમણે પોતાના અને અન્યોના સાહિત્યરસને પોષવામાં ચાવીરૂપ કામગીરી બજાવી હતી. વડોદરા ખાતે એમણે સ્થાપેલી ‘ગ્રંથ ગોષ્ઠિ’ તો આજે ૩૭ વર્ષ થયા હોવા છતાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ વાગ્યે સરદાર ભવન ખાતે અચૂક યોજાય છે. ક. મા. મુનશી જેવી ધારદાર ચાંચવાળી ગાંધીટોપી, ખાદીનો સફાઈદાર પરિવેશ, કાનની ઉપર મોડ આપેલા વાળ, સૌમ્ય વદન, ઉજ્જ્વલ વર્ણ, નાગરી વ્યક્તિત્વ અને સુરીલા કંઠથી તેઓ અલગ તરી આવતા. સ્વરરચનાના જાણતલ. ગીત-ગઝલો સ્વરબદ્ધ કરવામાં એક્કો. કવિસંમેલનોમાં ‘ગાતા કવિ’ તરીકે ચાહના પામ્યા હતા. કાગળની ઘડીઓ વાળી કટિંગ કરી રંગોળી પૂરવા કામ લાગે એવા નક્શીદાર ફર્મા બનાવવામાં નિષ્ણાત. પુત્રી નિર્ઝરી મહેતા પણ સાહિત્યકાર છે. ૧૪-૦૫-૧૯૮૯ના રોજ વડોદરા ખાતે હૃદયરોગના હુમલાથી નિધન.

કવિતામાં ગઝલ કરતાં ગીત એમને સવિશેષ માફક આવ્યાં છે. એમના ગીતોમાંથી જે ગામઠી ભાષાની તળપદી મહેંક ઊઠે છે એ પ્રદ્યુમ્ન તન્ના અને વિનોદ જોશીની યાદ અપાવે છે. અછાંદસ કાવ્યોમાંય એમની કલમે સુપેરે ગતિ કરી છે. કવિતા ઉપરાંત વિવેચન, નવલકથા, વાર્તા, નાટકો, અનુવાદ, ચરિત્રલેખન, બાળકાવ્યો અને સંપાદનો વગેરેના ત્રણ ડઝનથી વધુ પુસ્તકો એમણે આપ્યાં છે. Window નામે અંગ્રેજી તથા ईषत् નામે હિંદી કાવ્યસંગ્રહની યશકલગીથી એમનો તાજ સુશોભિત છે. ધમ્મપદ તેમ જ સિદ્ધહેમ જેવા ગ્રંથોના સબળ અનુવાદ એમણે આપ્યા છે. સમર્થ સર્જક અને કવિના ધર્મપત્ની જ્યોત્સ્ના બૂચ સાથે મળીને એમણે સહિયારા પુસ્તકોથી પણ આપણી ભાષાને રળિયાત કરી છે. સાહિત્યજગતની ખેંચતાણ એમને બહુ માફક આવી નહીં એટલે લાયકાત મુજબ પોંખાયા નહીં. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપર કે ગુજરાત સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’માં પણ સર્જકનું નામ દીવો લઈને શોધવા બેસીએ તોય જડતું નથી.

રંગપિયાલો’ ગીત કદ-કાઠીની દૃષ્ટિએ સાવ નાનકડું અને પ્રમાણમાં તરત જ સમજાઈ જાય અને વાંચતા જ વહાલું લાગે એવું ગીત છે. હસિત બૂચને આમેય ગીતો વધુ રાસ આવ્યા હોવાનું અનુભવાય છે. પ્રસ્તુત ગીત આ વાતની સાહેદી પૂરાવે છે. પરંપરાગત શૈલીમાં અષ્ટકલ લયમાં ગીત ગતિ કરે છે. બે પંક્તિનું મુખડું, બે અંતરા અને અંતરા સાથેની તુક-પંક્તિ. રંગપિયાલો શબ્દ કાને પડતાં જ જયન્ત પાઠકનું ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ ગીત યાદ આવી જાય. બંને ગીતનો લય પણ એકસમાન જ છે. આ લય દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લે એવો મજબૂત અને પ્રવાહી છે. ‘રંગપિયાલો’ વાંચતા જ કવિની જ એક ગઝલના બે શેર પણ યાદ આવી જાય:

તમે તો અજબ છો: અમારી પિયાલી
ભર્યાયે કરો છો! કરો છોય ખાલી!
પધારે અહીં પળ અને જાય ચાલી;
પિયાલી અમારી ભરી તોય ખાલી!

પ્યાલીના સ્થાને પિયાલી તરફનો કવિનો પક્ષપાત તરત છતો થઈ જાય છે. પ્રસ્તુત રચનાનું ‘રંગપિયાલો’ શીર્ષક કંઈ ખાસ બોલતું નથી. કવિતાનો વિષય શું છે એ વિશે એ કોઈ છણાવટ કરતું નથી. આપણને તો માત્ર રંગનો પ્યાલો જ સમજાય છે અને એટલે એવો વિચાર જરૂર આવવાનો કે કોઈ ચિત્રકાર કે ચિત્રની વાત લઈને કવિ ઉપસ્થિત થયા છે. પણ કવિતા શરૂ થતાં જ કવિ આપણને સાબદા કરે છે. આ રંગપિયાલો કોઈ ચિત્રકારને ચિત્ર દોરવા માટેનું સ્થૂળ સાધન નથી. ‘રંગપિયાલો ચડ્યો’ કહીને કવિ વાત પ્રારંભે છે અને ભાવકને સાવધ કરે છે. વાત ભલે રંગના પ્યાલાની છે, પણ કવિ ચિત્ર કંઈક અલગ જ દોરનાર છે એ તરત જ સમજાઈ જાય છે. શરાબના ચડવાની વાત હોય તો સહેજે સમજાઈ જાય પણ કવિ તો રંગનો પ્યાલો ચડ્યો છે એમ કહે છે. અને કહીને પાછા અટકતા નથી. આ નશો રગેરગમાં ચડ્યો છે એમ કહીને વાતને દોહરાવીને ભારપૂર્વક અંડરલાઇન પણ કરે છે. ગીત ટૂંકુ-ટચરક છે એટલે આ ‘સસ્પેન્સ’ પણ બહુ લાંબુ ચાલવાના બદલે બીજી જ પંક્તિમાં ખૂલી જાય છે. આ નશો સંગના રંગનો છે, સહેવાસનો છે, સ્પર્શનો છે, ચુંબનનો છે, આલિંગનનો છે. બે પ્રેમીઓ એકમેકને વીંટળાઈ વળ્યાં છે. કદાચ આ એકાંતવાસ બહુ મર્યાદિત હશે. કદાચ કોઈ મિત્ર કે સંબંધી ગમે એ ક્ષણે આવી ચડવાનો ડર હશે. એટલે કવિ ક્ષણભર જ વીંટળાવાની વાત કરે છે પણ ક્ષણને શાશ્વતી સાથે સાધી-સાંધી આપતા કહે છે કે આ એક ક્ષણના આલિંગન થકી પણ પ્રેમનો અમર માંડવો આપણે બેઉએ સર્જ્યો છે. હમમમમ… સંગનો રંગ ખરે જ રગેરગ ચડ્યો જણાય છે!

કવિ સજ્જ કવિ છે. પોતે જે પ્રતીક પ્રયોજે છે એ બાબત એ સતર્ક છે. મુખડામાં માંડવો રચી દીધા બાદ સામાન્ય રીતે જોવા મળે છે એમ કવિ ગીતમાં સહવાસ અને આલિંગન-ચુંબનની વાત અલગ પ્રતીકો વડે કરત તો કંઈ ખોટું નહોતું. પણ કવિને ખ્યાલ છે કે પોતે ક્ષણાર્ધના આલિંગન વડે અ-મર માંડવો રચ્યો છે એટલે માંડવાની વાત જ આગળ વધારીને કવિ ગીતની એકસૂત્રિતા અખંડિત રાખે છે. ઉત્તમ ગીતકારના લક્ષણ કેવા હોય એનો એક પદાર્થપાઠ પણ આપણને સાંપડે છે. આ માંડવો પણ પ્રાચીન સંસ્કૃત નાટકોમાં જોવા મળતો સાદો ફૂલમંડપ નથી. આ મંડપ બે જીવના સાયુજ્યનો, બે આત્માના લગ્નનો મંડપ છે. ચસોચસ સ્પર્શના સંવેદન થકી બેઉના રૂંવેરૂંવાં ફૂલ થઈને મહેકી ઊઠ્યાં છે અને આ ફૂલોની સુગંધ બંનેના શ્વાસોને તર કરી રહી છે. એક સ્પર્શમાં કંઈ કેટલીય શરૂઆતો ગોપિત હોય છે. એક સ્પર્શમાં જગત આખાને અભરે ભરી દે એટલો આનંદ જન્માવવાની તાકાત હોય છે. સ્પર્શની પરાકાષ્ઠાની આ વાત ઉપર પ્રદ્યુમ્ન તન્નાનું મૂળ ઇટાલિયનમાં લખ્યા બાદ જાતે જ ગુજરાતીમાં તરજૂમો કરેલ ‘ઉદભવ’ કાવ્ય યાદ આવે:

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !

રોમરોમ લખલખ આનંદ સ્ત્રોત ઉઘાડતો સ્પર્શ બંને જણે અનુભવ્યો છે. રોમ-રોમ બાગની ક્યારી બનીને ખીલી ઊઠ્યાં છે અને પરસ્પરની કાયાની ખુશબૂ બંનેની ઘ્રાણેન્દ્રિયોને તરબતર કરી રહી છે. સ્પર્શ અને આલિંગન પછીના તબક્કામાં વાત આગળ વધે છે અને સાહજિકપણે ચુંબન સુધી આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના બિનજરૂરી શબ્દો કે શબ્દાડંબર વાપર્યા વિના કવિ દ્યુત ગતિએ પ્રણયના અહેસાસના તબક્કાઓ એક પછી એક વટાવે છે. હોઠ હોઠ સાથે મળીને ઓષ્ઠદ્વયમાંથી અદ્વય સર્જે છે. અને જ્યાં ચાર હોઠ અને બે કાયા એક થયા નથી કે તરત જ હૈયાના પાંદડાઓ મસ્તીના લયમાં લહેરવા માંડે છે. ક્ષણભરના આલિંગનના અ-મર માંડવા તળેના સાયુજ્યની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની આ ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… મૌન જ બોલશે… મૌન જ ગાશે… ‘અહો’ ઉદગારીને કવિ વાતને વળ ચડાવે છે. ગીતમાં ક્યાંય ‘હું’ કે ‘તું’ નજરે ચડતા નથી, નજરે ચડે છે તો માત્ર ‘આપણે’ જ. આલિંગનનો તો કેફ જ નિરાળો. પ્રેમનો તો નશો જ અલગ. અમલનો બીજો અર્થ અસર કે પ્રભાવ પણ અહીં લાગુ પાડી શકાય. નશાથી વાત શરૂ થઈને નશા સુધી આવે છે ને અહેસાસનું એક વર્તુળ પૂરું થાય છે. કવિએ જે બાહોશીથી ગીતને તંતોતંત શબ્દોના તાણેવાણે વણ્યું છે એ અદભુત છે. એમના સજાગ કવિકર્મનો એક સાવ નાનકડો નમૂનો પણ જોવા જેવો છે, જ્યાં માત્ર થોડા શબ્દોની હેરફેરથી અષ્ટકલ લય પ્રયોજીને એમણે સામાન્ય વાતમાંથી પણ ઉમદા કવિતા ઉપસાવી છે:

લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર!…
પાંદડુ ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર!…
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર!

વિખવાદ ઓગળી જાય તો વયષ્ટિને વધાવવા સાક્ષાત્ સમષ્ટિ ઊમટી આવે છે. ક્ષણભરના આલિંગનમાં બે જણ ઓગળ્યાં એ દૃશ્ય નિરખવાને આખું આકાશ કમરાની બારીએ ઝૂકીને આવી ચડ્યું છે અને માત્ર આવ્યું નથી, હરખાઈ પણ રહ્યું છે. પ્રેમની આ કમાલ છે. પ્રેમ કરનારને અને જોનારને બંનેને ન્યાલ કરે છે. સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? દૂ……ર ક્ષિતિજની આંખ પણ મલકે છે. આ આલિંગન કયા સમયની વાત હોવી જોઈએ એનો અણસારો કવિ અહીં આપે છે. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો છે અને કુદરતની આ આંખ પણ પ્રિયજનોના આશ્લેષને જોઈને કેવી તો મલકાઈ રહી છે! સમય સાંજનો છે એ વાતને ફરી એકવાર પુષ્ટિ મળે છે કેમ કે આથમતી સાંજના તડકાના સોનેરી-કેસરી રંગો ઓરડાને એ રીતે ભરી દે છે, જાણે ઐક્યના આ ઓચ્છવ પર ઓરડામાં કેસરવૃષ્ટિ ન થતી હોય! કવિ કેસર વરસતું અનુભવીને અટકતા નથી. માત્ર ઓરડો જ કેસરી રંગે રંગાયો નથી, પ્રિયપાત્રના અંગાંગ પણ જાણે નિર્ગુણ નિરાકારે જાતે પીઠી ન લગાવી હોય એમ આ રંગે રંગાઈ રહ્યાં છે. ‘અલખ’ એટલે ન દેખાય એવું. {અ (નહિ) અને લક્ષ્ય (દેખાય એવું)} ઈશ્વર આપણને દેખાતા નથી એટલે એની સાથે આપણે અલખ વિશેષણ જોડી દીધું છે. અહીં, ઈશ્વર પોતે પીઠી લગાવતા હોય એવો અર્થ પણ નીકળે છે અને દેખી ન શકાય એવી પીઠી તડકાના કારણે અંગેઅંગ લાગી રહી છે એવો અર્થ પણ કાઢી શકાય. બંને સંજોગોમાં લગ્નમંડપ સાથે સંકળાયેલી ઘટના જ તાદૃશ થઈ રહી છે. બંને પક્ષે સ્નેહામૃત લુંટાવ્યું છે અને લૂંટ્યુંય ખરું. કેવો પ્રેમનો અમલ! કેવું અમી! ખુદ કાળ પણ અટકી ગયો છે, વહેવાનું છોડી દઈ લટકામાં લળી લળીને સલામ ભરે છે…

ગીતમાં સુરભિ, આશ્લેષ, અલખ જેવા સંસ્કૃત શબ્દોની અડોઅડ શહનાઈ, અમલ અને મુજરો જેવા અરબી-ફારસી શબ્દો જે રીતે કાવ્યનાયક-નાયિકાની જેમ જ એકમેકને આલિંગીને ભાવકના ચિત્તતંત્રને લગરિક પણ ખટકે નહીં એવું અનૂઠું મિલન રચે છે એ સહજ સબળ કાવ્યકૌશલ્યનું દ્યોતક છે. આલિંગનનું આવું મજાનું ગીત આપણી ભાષામાં ઓછું જ જડે છે. ખૂબ નાની જગ્યામાં, નાના અમથા આલિંગનના અહેસાસને કવિએ જે રીતે બહેલાવ્યો છે એ ભાવકસંવિદને ઉજાગર કરી જાય છે. એકબીજામાં મગન થઈને પ્રેમરસ પાયે રાખવાની વાત કરતી આ જ કવિની આવી જ અદભુત ગીતરચના –‘નિરંતર’-, જે વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો પડે એ પણ સાથોસાથ માણીએ:

એક નિરંતર લગન :
અમે રસ પાયા કરિયેં !
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં !

કોઈ ચાંગળું લિયે, પવાલું-
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી,
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં :

સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન !
અમે બસ ગાયા કરિયેં !

વ્હાલ વાવી જોઈએ – ગૌરાંગ ઠાકર

સ્વર અને સ્વરાંકન – વિભુ જોષી

ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

– ગૌરાંગ ઠાકર

ગ્લોબલ કવિતા : ૧૨૧ : પ્રથમ વિજય-ગીત – એમર્જિન

First Triumph-Song

. I, the Wind at Sea,
. I, the rolling Billow,
. I, the roar of Ocean,
. I, the seven Cohorts,
. I, the Ox upholding,
. I, the rock-borne Osprey,
. I, the flash of Sunlight,
. I, the Ray in Mazes,
. I, the rushing Wild Boar,
. I, the river-Salmon,
. I, the Lake o’er plains,
. I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
. Who can lead to falling waters ?
. Who can tell the white Moon’s ages ?
. Who can draw the deep sea fishes ?
. Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

પ્રથમ વિજય-ગીત

હું, પવન દરિયા પર,
હું, ઊછળતું મોજું,
હું, દરિયાનું ગર્જન,
હું, સાતેય પલટન,
હું, ઉર્ધ્વમુખી હરણું,
હું, પહાડી બાજ,
હું સૂર્યનો ઝબકારો,
હું, ભૂલભૂલૈયે કિરણ,
હું, ધસતું જંગલી સૂવર,
હું, નદીની સાલમન,
હું, તળાવ મેદાની,
હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ…

‘હું’ – ‘I’ – ‘मैं’: દુનિયામાં સૌથી નાનામાં નાનો શબ્દ હોવા છતાંય સૌથી મોટામાં મોટો ને સૌથી વધારે વજનદાર શબ્દ. દુનિયામાં જે કંઈ રામાયણ-મહાભારત આજ સુધીમાં થયાં એ બધાં માત્ર આ એક શબ્દના કારણે જ થયાં. ‘હું’ એટલે મનુષ્યનો અહમ્. અહમ્ ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે અહમ્. અહમ્ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. માણસના ‘હું’નો પરિઘ ‘સ્વ’ સુધી જ સીમિત હોય છે, ઈશ્વરનો ‘હું’ ‘સર્વ’ને સમાવી લે છે. આપણો ‘હું’ એટલે માત્ર વ્યષ્ટિ, ને પરમેશ્વરનો ‘હું’ યાને સમષ્ટિ. આવું જ મજાનું ‘હું’પુરાણ લઈને પ્રાગૈતિહાસિક કવિ એમર્જીન અહીં ઉપસ્થિત છે.

એમર્જીન ગ્લુઇન્ગલ અથવા એમર્જીન ગ્લુન્મર ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ અને ધર્મોપદેશક હતો. મિલેસિઅન લોકો એ જમાનામાં આયર્લેન્ડ પર ચડાઈ કરનાર આખરી જાતિ હતી, જેમાં મિલ એસ્પેઇનના સાત દીકરાઓમાંનો એક એમર્જીન પણ સામેલ હતો. આયર્લેન્ડના ત્રણ રાજાઓએ એમર્જીનના કાકાની કાવતરાપૂર્વક કરેલી હત્યાના જવાબમાં એ લોકોએ આ આક્રમણ કર્યું હતું. વિચિત્ર લાગે એવી આ ચડાઈમાં એમર્જીને મધ્યસ્થીની અને નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવી હતી. એણે લડાઈના નિયમો નક્કી કર્યા. એ મુજબ મિલેસિઅનોએ ત્રણ દિવસ માટે પીછેહઠ કરીને ‘નવ લીલા મોજાંઓ’ જેટલા પાછા જવાનું હતું. (આ નવ લીલાં મોજાંઓ વિશે વિસ્તૃત જાણકારી ક્યાંય મળતી નથી!) આઠ શ્લોકોની કવિતામાં એમર્જિને આ ફરમાન બહાર પાડ્યું હતું. મિલેસિઅનોને રોકવા માટે આયર્લેન્ડના ધર્મગુરુઓએ જાદુઈ તોફાન ઊભું કર્યું, જે અયોગ્ય હતું. એમર્જીને આયર્લેન્ડના આત્માનું ગીત ગાઈને આહ્વાન કર્યું, તોફાનને નાથ્યું અને એમનું જહાજ સહીસલામત જમીન પર લાંગરી શક્યું. આયર્લેન્ડની ભૂમિ પર પગ મૂક્યો એ વખતે એમર્જીને આ ગીત ગાયું હતું એમ મનાય છે. મિલના એમર્જીન સહિતના બચી ગયેલ ત્રણ સંતાનોએ ત્રણેય રાજાઓનો ખાત્મો બોલાવ્યો. એમર્જીને જીતેલ પ્રદેશને બે ભાઈઓમાં વહેંચી આપ્યો અને રાજા બનેલ બે ભાઈઓએ એમર્જીનને મુખ્ય ઓલ્લામની પદવી આપી. મિલેસિઅન પુરાણોમાંની ઘણી કવિતાઓ એમર્જીનના નામે બોલે છે.

એમર્જીનનું ‘પ્રથમ વિજય-ગીત’ પ્રાચીન કૅલ્ટિક કવિતા છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વે મોટા ભાગના યુરોપ તથા એશિયાઈ ઉપખંડોમાં બોલાતી ભાષા કૅલ્ટિક (અથવા સૅલ્ટિક) ભાષાઓ કહેવાય છે, જે હિંદ-યુરોપીય ભાષા પરિવારનો એક ફાંટો હતો. પ્રારંભિક મધ્યયુગીન સમયમાં લખાયેલ આ કવિતાનો આખેઆખો મૂળપાઠ તો આજે ઉપલબ્ધ નથી. એક અનુમાન મુજબ આ રચના લગભગ બત્રીસસો-તેંત્રીસસો વર્ષ પહેલાં ઈ.પૂ. ૧૨૬૮માં લખાઈ હશે. આ કવિતાના સેંકડો અનુવાદો ઉપલબ્ધ છે. દરેક અનુવાદકે પોતપોતાની સમજણનો અર્ક ઉમેરવાની કોશિશ કરી છે. પ્રસ્તુત અનુવાદ જ્યૉર્જ સાઇગરસનના ૧૮૯૭ના ૪૫૦ પાનાંના દળદાર પુસ્તક ‘બાર્ડ્સ ઑફ ધ ગેલ એન્ડ ગૉલ (BARDS OF THE GAEL AND GALL) – ઇક્ઝામ્પલ્સ ઑફ ધ પોએટિક લિટરેચર ઑફ એરિન’માંની કવિતા પરથી કરાયો છે. આ પુસ્તકમાં ગેલ સાહિત્યના સૌથી પહેલા પ્રકરણથી લઈને આજપર્યંતની આખી યાત્રા સમાવી લેવાઈ છે અને મૂળ ભાષાની કવિતાઓ પણ અનુવાદની હારોહાર યથાતથ રજૂ કરવામાં આવી છે. સાઇગરસને મૂળ કવિતાઓમાં પ્રયોજાયેલ પ્રાચીન છંદો અને પ્રાસયોજના પણ અદ્દલ સાચવવાની જે નિષ્ઠાવાન કોશિશ કરી છે એ અન્ય અનુવાદકો ચૂકી ગયા છે. આ કારણોસર સાઇગરસનના અનુવાદ મૂળ કવિતાને વધુ સંનિષ્ઠ અને વધુ નજીકના હોય એમ લાગે છે. ૧૮૫૭માં પ્રગટ થયેલ ‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ ઑસિઆનિક સૉસાયટી’ના પ્રૉ. કોનેલાન દ્વારા સંપાદિત ૩૫૦ પૃષ્ઠોમાં પથરાયેલ પાંચમો ભાગ, આયર્લેન્ડના કવિઓ અને કવિતાઓનો પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે જેમાં આ કવિતાનો જે ગદ્યાનુવાદ જોવા મળે છે એ સાઇગરસનના અનુવાદની ખાસ્સો નજીકનો છે. ચાર્લ્સ સ્ક્વાયરના ૧૯૦૫ના ૪૫૦ પાનાંના પુસ્તક ‘કૅલ્ટિક મિથ એન્ડ લિજેન્ડ’માં જોવા મળતો ગદ્યાનુવાદ પણ સાઇગરસનના અનુવાદને મળતો આવે છે. જાણીતા અનુવાદક રૉબર્ટ ગ્રેવ્સે ‘વાઇટ ગોડેસ’ પુસ્તકમાં અલગ જ અનુવાદ રજૂ કર્યો છે, જેને ઘણાં પ્રમાણભૂત ગણે છે. પણ મૂળ રચના કરતાં ગ્રેવ્સના અનુવાદમાં પંક્તિઓનો ક્રમ ખાસ્સો ઊલટોસૂલટો છે અને કેટલીક પંક્તિઓ તો ગ્રેવ્સે જાતે જ ઘડી કાઢી છે. પ્રૉ. જૉન મેકનેઇલ, ‘ધ બુક ઑફ લિકેન એન્ડ ધ બુક ઑફ ધ ઑ’ક્લેરિસ’માં ઑ’ક્લેરિસ, જૉન મેકએલિસ્ટર તથા લેડી અગસ્ટા ગ્રેગરી (૧૯૦૪)ના અનુવાદો ઉપરાંત અસંખ્ય નાના-મોટા અનુવાદો આ કવિતાના થયેલા જોવા મળે છે. પણ સાઇગરસન જે રીતે આયર્લેન્ડના સાહિત્યના મૂળ અને કુળને વળગીને ચાલ્યા છે એ જોતાં એમનો અનુવાદ મૂળ કૃતિથી સહુથી નજીકનો હશે એમ ધારી શકાય.

ઉપર જેની વાત કરી એ રૉબર્ટ ગ્રેવ્સનો અનુવાદ મૂળ કવિતાથી ઘણે દૂર હોવા છતાં એને વિદ્વાનોએ ઘણું માન આપ્યું છે એનું પ્રમુખ કારણ ગ્રેવ્સે કવિતાનું બિલકુલ અલગ રીતે જે પૃથક્કરણ કર્યું છે એ ગણી શકાય. આજે તો કેલેન્ડર/તારીખિયું માત્ર સાદા અને રેખિક સમયના ઉપકરણ માત્ર છે, જેના ઘટકને દિવસો કહેવામાં આવે છે, જે અનિશ્ચિત કાળ સુધી અને નિર્બાધ રુપથી એકની પાછળ એક આવ્યે રાખે છે. હકીકતમાં કેલેન્ડર ગતિશીલ બ્રહ્માંડને ઉઘાડી આપતી ચાવી, એક સાચું જ્ઞાનનું ઓજાર છે. સાદી ભાષામાં કેલેન્ડર વૈશ્વિક નિર્માણની વાત કરે છે, જે ચંદ્રના પૃથ્વી ફરતેના, પૃથ્વીના સૂર્ય ફરતેના અને પોતાની ધરી પરના ભ્રમણની સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક ગણતરી સૂચવે છે. ગ્રેવ્સના મતે ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું ત્યારે પોતાના મૂળ સાચવી રાખવા માટે ખાનગી મૂળાક્ષરો વાપરવામાં આવતા. પ્રાચીન કૅલ્ટિક કેલેન્ડર તરીકે કામ કરતા આવા મૂળાક્ષરો એમર્જીનના ગીતમાં ગ્રેવ્સે શોધી કાઢ્યા. તત્કાલિન આઇરિશ મૂળાક્ષરોમાં પ્રયોજાતા ૧૩ વ્યંજન અને ૫ સ્વર એ ઓળખી બતાવે છે. એ કહે છે કે આ મૂળાક્ષરોની ગોઠવણી કઈ રીતે છે એની નિશાની એનર્જીને ડોલ્મેન વિશે આપેલા સંદર્ભમાંથી મળી આવે છે. ડોલ્મેન એટલે છથી સાત હજાર વર્ષ જૂની વિશાળ ઊભા પથ્થરો પર એક આડો પથ્થર ગોઠવીને રચવામાં આવેલ કહેવાતી કબરો. વ્યંજનો અને સ્વરોની ગોઠવણી વડે ગ્રેવ્સ મૂળાક્ષરોનું ડોલ્મેન રચી બતાવે છે, જે કેલેન્ડર તરીકે કામ આપે છે. આ મૂળાક્ષરો, ડોલ્મેનનું ચિત્ર અને કેલેન્ડર સમજાવવું પ્રસ્તુત લેખના પરિઘ બહારની વાત છે.

ડોલ્મેનનો ઉપયોગ આઇરિશ મૂળાક્ષર શીખવવાના નમૂના તરીકે કરાતો હોવાની ગ્રેવ્સની આ શોધ પ્રખ્યાત સ્ટોનહેન્જની વિરાટકાય શીલાઓને આયર્લેન્ડથી સેલિસ્બરી લઈ જનાર જાદુગર મર્લિનની લોકવાયકાને વધુ રસિક બનાવે છે. પથ્થરોની આ સાંકેતિક ભાષા ઉકેલી શકાય તો હજારો વર્ષ જૂનાં સ્ટોનહેન્જના રહસ્યમયી શિલાશિલ્પોને કદાચ પુસ્તકની જેમ જ વાંચી શકાય એવી સંભાવના નકારી ન શકાય.

ખેર, આપણે એમર્જિનની કવિતા તરફ આગળ વધીએ. એમર્જિનની અન્ય કવિતામાં કોનાક્લોન પ્રકારની વિશિષ્ટ પ્રાસરચના જોવા મળે છે જેમાં પંક્તિનો છેલ્લો શબ્દ આવનારી પંક્તિના પહેલા શબ્દ સાથે પ્રાસ મળવે છે અને એ પછીના બંને શબ્દો વર્ણસગાઈ ધરાવે છે. પણ આ કવિતામાં વિશિષ્ટ પ્રકારનું Rosg મીટર પ્રયોજાયું છે, જે નાનાં અને ઝડપી વાક્યોથી બને છે અને લયબદ્ધ હોવા છતાં પ્રાસબદ્ધ હોતું નથી. આપણે લોકો એમ માનીએ છીએ કે ‘બ્લૅન્ક વર્સ’ (પ્રાસરહિત છંદોબદ્ધ પદ્ય) એ આધુનિક કવિતાની દેણ છે પણ એમર્જિનની આ કવિતાને બ્લૅન્ક વર્સના પ્રાચીનતમ ઉદાહરણ તરીકે સ્થાન આપી શકાય એમ છે. વળી, રચનાને સાવ પ્રાસરહિત પણ ગણી શકાય એમ નથી. કવિએ અંત્યાનુપ્રાસના સ્થાને પ્રારંભ-પ્રાસ પ્રયોજ્યા હોય એમ અનુભવયા છે કેમ કે મોટાભાગની પંક્તિઓ ‘હું’, ‘કઈ દિશામાં’ અને ‘કોણ’થી શરૂ થાય છે. આ પ્રારંભ-પ્રાસ પુનરોક્તિ વડે કાવ્યભાવને પણ સઘનતા બક્ષે છે. એમર્જિનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આટઆટલા હજાર વર્ષ પહેલાં પણ કવિઓમાં છંદ, લય, પ્રાસ, વર્ણસગાઈ વગેરે કાવ્યતત્ત્વની કેટલી ઊંડી સૂઝ હશે એનો ખ્યાલ આવે છે અને સહજ આશ્ચર્ય થયા વિના રહેતું નથી.

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. ડૉ. મેકઅલિસ્ટર આ ગીતને ‘બ્રહ્માંડની એક પંથિક અવધારણા, જ્યાં દૈવત્વ સર્વત્ર અને સર્વશક્તિમાન છે’ ગણાવે છે. એમના મતે આ ગીત કુરાન કે ખ્રિસ્તી ધર્મગ્રંથોના પ્રારંભિક પ્રકરણ સમું છે. જુલિયસ સિઝરે જ્યારે કહ્યું હતું કે, ‘કૅલ્ટ ધર્મગુરુઓ તારાઓ અને તેમના ગતિઓ, વિશ્વ, જમીનના કદ, કુદરતી તત્વજ્ઞાન અને દેવતાઓના સ્વભાવ વિશે શીખવે છે’ ત્યારે એના મનમાં આ સ્તોત્ર હોવું જોઈએ. પ્રકૃતિની સ્તુતિ તો આમેય લગભગ દરેક સંસ્કૃતિના પ્રારંભકાળમાં જોવા મળે જ છે. આ કવિતાને પણ એ સંદર્ભમાં જોઈ શકાય. કુદરતની કવિતા લગભગ બધી જ ભાષામાં કવિતાની જનેતા છે. રૉબર્ટ ગ્રેવ્સના મતે તો, ‘અંગ્રેજી કાવ્ય શિક્ષણની શરૂઆત, ખરેખર તો, કેન્ટરબરી ટેલ્સથી નહીં, ઓડિસીથી નહીં, જિનેસીસથી પણ નહીં, પરંતુ એમર્જીનના ગીતથી થવી જોઈએ, જે ટૂંકાણમાં મુખ્ય કાવ્યાત્મક માન્યતાઓનો સારાંશ રજૂ કરે છે.’

આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. કહે છે, હું દરિયા પર વાતો પવન છું, દરિયાનું ઊછળતું મોજું છું, દરિયાની ગર્જના પણ હું છું અને સાતેસાત સેનાઓ પણ હું જ છું. ગીત એ જ લયમાં આગળ વધે છે. કવિતામાં ચાર સજીવોનો ઉલ્લેખ આવે છે- હરણ, બાજ, સૂવર અને સાલમન માછલી. સાઇગરસન સહિત કેટલાક અનુવાદકોએ મૂળ Lam શબ્દનો અનુવાદ Ox યાને બળદ કર્યો છે તો કેટલાકે Stag યાને હરણ કર્યો છે, જે વધુ તાર્કિક લાગે છે. આઇરિશ પુરાણકથાઓમાં તુઆન મેક કૈરિલ (કૈરિલનો પુત્ર)ની વાત આવે છે, જે પ્રલય-પૂરથી બચનાર એકમાત્ર મનુષ્ય હતો. કાળક્રમે એ હરણ, જંગલી સૂવર, બાજ અને અંતે સાલમન માછલીરૂપે જન્મ લે છે અને આઇરિશ ભૂમિ પર થનાર અતિક્રમણોનો સાક્ષી બને છે. માછલીને કૈરિલની પત્ની આરોગી જતાં તેણી ગર્ભવતી બને છે અને તુઆન મેક કૈરિલનો જન્મ થાય છે, જે આયર્લેન્ડનો ઇતિહાસ સંભળાવે છે. એટલે હરણ વધુ યોગ્ય પર્યાય જણાય છે. પાડો શક્તિ અને પૌરુષનું પ્રતીક છે તો હરણ ચપળતાનું. બાજ ઝડપનું, જંગલી સૂવર શક્તિ અને સાહસનું, તો નદીની માછલી જ્ઞાનના જળરાશિનું પ્રતીક છે. સૂર્યનો ઝબકારો પણ હું જ છું અને ભૂલભૂલામણીમાંનું કિરણ પણ હું જ છું. એમ હું-પુરાણ હું સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર છું એમ કહેવા સુધી લંબાય છે. પણ આ હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. કોઈ કવિ પોતાનો વિજયહુંકાર કરતો હોય એના કરતાં વધુ આ હુંકાર પૌર્વાત્ય સભ્યતા અને માન્યતા-સંસ્કારો સાથે વધુ સામ્યતા ધરાવતો હોય એમ અનુભવાય છે.

પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે: હું જળમાં રસ છું, ચન્દ્ર તથા સૂર્યમાં પ્રકાશ છું, સઘળા વેદોમાં ૐકાર છું, આકાશમાં શબ્દ તેમજ મનુષ્યોમાં સામર્થ્ય છું. (0૭:૦૮) હું પૃથ્વીમાં પવિત્ર ગંધ તથા અગ્નિમાં તેજ છું, સર્વ જીવોમાં જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. (૦૭:૦૯) હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, હું જ તર્પણ, ઔષધિ અને મંત્ર છું. હું જ ઘી, હું જ અગ્નિ, હું જ આહુતિ છું. (૦૯:૧૬) હું આ બ્રહ્માંડનો પિતા, માતા, સ્રષ્ટા તથા પિતામહ છું. (૦૯:૧૭) હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. (૦૯:૧૮) હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ જીવમાત્રનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. (૧૦:૨૦) દસમા અધ્યાયમાં તો ૧૯થી ૪૦ સુધીના શ્લોકોમાં શ્રીકૃષ્ણ પોતે કઈ-કઈ રીતે સચરાચરવ્યાપી છે એનું વ્યાપક વર્ણન કરે છે. ભગવાનનો ‘હું’ સૌ કોઈમાં સમાયેલો છે અને એ જ રીતે ભગવાનના ‘હું’માં જ સૌ કોઈ સમાવિષ્ટ પણ છે. આ ભારતીય સંસ્કૃતિનું મહાગાન છે. શ્રીકૃષ્ણનો આ ‘હું’કાર એમના અહંકારનો દ્યોતક નથી, બલકે ઈશ્વરની સર્વવ્યાપકતાનો મહાઘોષ છે, જે આપણી સંસ્કૃતિનો પ્રાણમંત્ર છે. અને એની સાબિતી ગીતાની પવિત્રતા અને શુદ્ધતાથી બિલકુલ વિપરિત દિશામાં ફાલેલ અને તળિયાનો ગણી શકાય એવા ફિલ્મઉદ્યોગમાં અનાયાસે આવી જતા ગીતોમાંથી મળી આવે છે. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રવિન્દ્ર જૈને જ્યારે ‘मुझ तलक आये न जो, वो रास्ता कोई नहीं; मुझ को देखोगे जहाँ तक, मुझ को पाओगे वहाँ तक, इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ’ ગીત લખ્યું હશે ત્યારે એમની સ્થૂળ નજર સામે તો નાયક-નાયિકાનો પ્રેમાલાપ જ હશે, પણ એમના સૂક્ષ્મ માનસમાં રોપાયેલા ગીતાના સંસ્કારબીજનો જ આ પ્રભાવ હોવો જોઈએ એ વાતને તો કેમ નકારી શકાય?

કવિ અને કવિતાની શક્તિ વિશે એ જમાનામાંય કોઈ શંકા નહોતી. કવિને સર્જનહારની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આગળ, બેઠક ક્યાં કરવી એની વાતો કરાય છે. ખીણમાં કે પર્વત પર? સૂર્યાસ્ત થાય છે એ જગ્યાની પછવાડે? ક્યાં જઈશું તો સુરક્ષા સાંપડશે? કોણ સુરક્ષા આપશે? ઓસરી જતાં પાણીનું સુકાન કોણ સંભાળી શકે? ચંદ્રની કળાઓ મારા સિવાય કોણ ભાખી શકે? ઊંડા જળની માછલીઓને સપાટી પર આણવાનું અને સપાટી પરથી કાંઠે ઘસડી લાવવાનું પરાક્રમ પણ મારા સિવાય બીજું કોણ કરી શકે? મસ્તકની ઉપર આગ કોણ પ્રજ્વાળી શકે? મસ્તક ઉપરની આગમાંથી ઈશ્વર જ મનુષ્યની પ્રજ્ઞાનો વિકાસ કરી શકનાર હોવાની પ્રતીતિની ગુંજ આપણને સંભળાય છે. કવિ જ પયગંબર ગણો તો એ ને ભવિષ્યવેત્તા ગણો તો એ છે. કવિ જ ઈશ્વર છે ને કવિ જ પ્રાર્થના છે. દુશ્મનોને હણનાર જે શસ્ત્રોને આજે અમે હાથમાં લીધાં છે એ શસ્ત્રો જ આપણી જીતના ગીત ગાશે, એ શસ્ત્રો જ ગગન આંબતી ગાથાઓમાં આપણા ભાવિ સિદ્ધિઓનું યશગાન કરશે. શત્રુને હણવાનો અને શત્રુઓ પર વિજયી થવાનો ગીતાનો મધ્યવર્તી વિચાર અહીં પણ સંભળાઈ રહ્યો છે. શત્રુ બહારના હોય કે ભીતરના- વાત તો સરખી જ છે. કોઈપણ પરિસ્થિતિમાં ઘૂંટણિયા ટેકવવાના નથી, જયજયકાર જ મેળવવાનો છે. આવનારી પેઢીઓ એ જ ગાવાની છે. અને આ એનું જ ગીત છે. આ એની જ શરૂઆત છે.

એમર્જીન પછીની પેઢીઓમાં પણ આ કાવ્યપદ્ધતિ પ્રચલિત રહી હશે એમ માની શકાય છે કેમકે કુચુલેન (Cuchulainn)ની કવિતામાં પણ ‘હું પૂરોનો બદલો લેનાર આગ છું, હું ખતરનાક આગ ઝરતો સિંહ છું’ જેવી અભિવ્યક્તિઓ જોવા મળે છે. જો કે આ અભિવ્યક્તિઓ એમર્જિનની જેમ સાર્વત્રિક હોવાના બદલે વૈયક્તિક અહંની દ્યોતક વધારે હોવાનું અનુભવાય છે. પણ એમર્જિનની કવિતામાં शब्द ब्रह्म् નો હાથ ઝાલીને अहम् ब्रह्मास्मिની આહલેક પોકારતા કવિને ઈશ્વરની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આનંદવર્ધને પણ कविः एव प्रजापतिः કહીને કવિને વિશ્વમાં પરિવર્તન આણતા સ્રષ્ટાની ઉપમા આપી છે. ગ્રેવ્સનો મત કે આ કવિતા ખ્રિસ્તી બાહ્યાક્રમણ સામે પોતાની સંસ્કૃતિને સાચવી રાખવા માટેના ગુપ્ત મૂળાક્ષરો છે, એ સાચો પણ હોઈ શકે. છતાં અહીં કવિનું જે ‘વિરાટ દર્શન’ છતું થયું છે એ આજે આટઆટલા સૈકાઓ પછી પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. એમર્જીનની આ કવિતા બ્રહ્માંડની ઉત્પત્તિ, દેવતાઓની પ્રકૃતિ અને ડહાપણનો માર્ગ પ્રશસ્ત કરે છે. અત્ર, તત્ર, સર્વત્ર ઈશ્વર જ છે. ઈશ્વર જ સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. न था कुछ तो खुदा था, न होता कुछ तो खुदा होता….

ગ્લૉબલ કવિતા : ૧૨૦ : વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારૂં લેશ ન રાજી
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગઈ છું ન્યાંથી, એકલી ને સઈ સાથ
કળણવળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આવળ-બાવળ, ખડચંપાનાં ફૂલડાંનો નહીં પાર
ચ્હાય તે ભરજે ચૂલ મારે હુંય ગુંથીશ તુંને હાર
ને ગંધની મીઠી છોળ્ય મહીં કાંઈ રમશે ઓલ્યો વાયરો ઘેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરનાં કે સાવ સોડ્યમાં સરી હાલું
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું
કોઈ નહીં તહીં જળનારું રે નીરખી આપણ નેડો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ ઊંડાં ને માથે ગૂંજતું રાન
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન
એકલાંયે ઘણું ગોઠતું તહીં, પણ જો પિયા ! હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !…

– પ્રદ્યુમ્ન તન્ના

ચાલ, ચાલીએ સાથે સાથે…

પ્રેમીજનોને સૌથી વહાલું શું? તો કે’ એકાંત. હવા પણ વચ્ચે પેસી ન શકે એવું ચસોચસ નૈકટ્ય એ જ પ્રેમીજનોની એકમેવ ઝંખના હોવાની. દુનિયાનો હસ્તક્ષેપ અને દુન્યવીજનોનો પાદપ્રક્ષેપ જ્યાં શક્ય જ ન હોય એવી ‘હું’ અને ‘તું’ની બે જ ઈંટોથી બનેલી ‘આપણે’ની ભીંતે અઢેલીને સમયની આખરી ગલીની પેલે પાર પરસ્પરના સાયુજ્યમાં રમમાણ રહેવા મળે એ જ પ્રેમીજનોની એકમાત્ર આરત હોય છે. ચાર આંખ મળી નથી કે દુનિયા અલોપ થઈ નથી. ‘બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા.’ (મુકુલ ચોક્સી) દુનિયા એ દખલગીરીનું બીજું નામ છે. દુનિયા આડશ છે. અને એકબીજામાં ડૂબકી મારવા માટે પ્રેમીજનોને કાયમ એકાંતના સ્વિમિંગપુલની જરૂર પડતી હોય છે. દુનિયાનો માર્ગ ભલે ને સોનાનો કેમ ન હોય, એકાંટ મળતું હોય તો પ્રેમીઓ પથરાળ કાંટાળા રસ્તાને વધુ વહાલો કરતાં હોય છે. પ્રદ્યુમ્ન તન્ના ‘વિજન કેડો’ ગીતમાં આવા અલગ, એકાંતભર્યા ચીલાની વાત લઈને આવ્યા છે.

પ્રદ્યુમ્ન તન્ના. ૦૭-૦૭-૧૯૨૯ના રોજ જન્મ. ઉભય પક્ષના વડવાઓ મૂળે ગોહિલવાડના. ભાવનગર નજીકના અધેવાડા તથા અક્વાડા ગામના વતની પણ પેટ દહાણુ તરફ ખેંચી લાવેલું. ગોત્રે ઘોઘારી લોહાણા. બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં માતામહને ત્યાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી, તળપદી બોલી અને પ્રાસંગિક ગીત-સંગીત ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યાં. મુંબઈની માધ્યમિક શાળામાં મેઘાણીના પ્રવચનોથી ભીંજાવાની તક સાંપડી. યુવાનીમાં અખાડામાં કાયા પણ કસતા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. ટ્રેનમાં ત્રીજા વર્ગની હકડેઠઠ ભીડમાં, ખખડધડ બસો અને બળદગાડાંમાં અને પગપાળાં દેશની તળભૂમિને શરીર નંખાઈ જાય એ હદ સુધી ખૂંદતા અને કાવ્યો, ચિત્રો અને છબીઓમાં મઢવાની હારોહાર ત્વચા પરના છૂંદણાંની જેમ અંતરસ્થ કરતા રહ્યા. ૧૯૫૯થી ’૬૧ દરમિયાન ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડના ડિઝાઇન સેન્ટર, મુંબઈમાં કામ કર્યું. ’૬૧-’૬૨ની સાલમાં ઇટાલિયન શિષ્યવૃત્તિ મળી ત્યારે ત્યાંની કલાશાળામાં વરસેક ભણ્યા. કાયમી વસવાટ લગભગ ૧૯૭૫થી ઇટાલીમાં આલ્પ્સની પર્વતમાળા વચ્ચે આવેલ એજ નામના સરોવરના પશ્ચિમી કાંઠે આવેલ કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા. ઇટાલી અને અન્ય દેશોના સામાયિકો તથા કલાસંસ્થાઓએ એમની ચિત્રકળા અને છબીકળાને આવકારી અને વધાવી. દેશવિદેશમાં અનેક જગ્યાઓએ તેમનાં કલાપ્રદર્શનો યોજાતાં. ૩૦-૦૮-૨૦૦૯ના રોજ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો અને એમનો એકમાત્ર અ-ક્ષરદેહ ‘છોળ’ આપણી વચ્ચે રહી ગયો…

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં એમનું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી હોવાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ‘ફિનૉમિનલ’થીયે ઊંચુ ને મોટું કોઈ વિશેષણ હોય તો જેમના માટે અચૂક પ્રયોજી શકાય એવા આ કવિને ગુજરાતી ભાષાએ બહુ ઓછા પોંખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તથા વેબસાઇટ પર કે ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’ના ૧૬૨૪ અને સંવર્ધિત આવૃત્તિની ૨૧૧૦ સાહિત્યકારોની યાદીમાં પ્રદ્યુમ્ન તન્નાનું નામોનિશાન સુદ્ધાં જડતું નથી. પ્રદ્યુમ્ન તન્નાના ગીતો તળપદી ગુજરાતીની ખરી અસ્મિતા-અમીરાત સમાં છે. કલેજામાં ગુજરાતનો ટુકડો રાખીને પરદેશમાં જીવવાની કળા એ શીખવે છે. એમનાં શબ્દોની ગૂંથણી અને લોકબોલીની મીઠાશ એવી છે કે વાંચતાવેંત આપણા હૃદયમાં અનન્ય સ્થાન મેળવી લે છે. બાળપણમાં ગળથૂથીમાં મળેલા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંસ્કાર અને કૃષ્ણ-કાનુડા સાથેનો અવિનાભાવી સંબંધ એમના કાવ્યોનો પ્રાણ છે. લોકાચાર, વ્રજમંડળ, વનવગડો અને પ્રકૃતિનાં નાનાવિધ સ્વરૂપ એમના પ્રધાન કાકુ છે. મકરન્દ દવેએ ‘આદિમ પ્રકૃતિના અણબોટ્યા અવાજ’વાળાં એમના કાવ્યોને ‘વણજારાનાં મોતી’ કહીને વધાવ્યાં હતાં.

કવિતાના શીર્ષક ‘વિજન કેડો’ પાસે બે’ક ઘડી થોભીએ? જ્યાં કોઈ માણસ સામાન્યતઃ જોવા ન મળે એવી જગ્યા માટે સામાન્યરીતે આપણે નિર્જન શબ્દ વાપરીએ છીએ. કવિએ ‘વિજન’ જેવો પ્રમાણમાં ઓછો ખેડાતો શબ્દ પ્રયોજ્યો છે. લયની દૃષ્ટિએ પણ નિર્જન વિજન કરતાં વધુ યોગ્ય શબ્દ-પસંદગી છે કેમકે લયની માંગ મુજબ વિજનના ‘વિ’ને હૃસ્વ હોવા છતાં દીર્ઘ ઊચ્ચારવાની ફરજ પડે છે. પણ, ‘વિ’ વિશિષ્ટ પ્રકારનો ઉપસર્ગ છે. વિગત, વિકંપ, વિક્ષુબ્ધ, વિક્ષોભ જેવા શબ્દોમાં એ ‘વિશેષ’ના અર્થમાં વપરાય છે તો વિયોગ, વિધવા, વિઘટન, વિજન વગેરેમાં એ ‘વિનાનું’ જેવા વિરોધી કે ગેરહાજરીસૂચક સંદર્ભે પ્રયોજાય છે. કવિ નિર્જનના સ્થાને ‘વિજન’ પ્રયોજે છે, એમાં કદાચ બંને ભાવ સમાવિષ્ટ છે. આ રસ્તે કોઈ જન સામાન્યરીતે આવજા કરતું નથી એ અર્થમાં વિજન એટલે જન વગરનું અને પ્રિયજન સાથે અહીંથી જવાનું નાયિકાનું પ્રયોજન છે એ અર્થમાં વિજન એટલે વિશેષ જન એમ પણ ગણી શકાય. ‘કેડો’ને પણ બે અર્થમાં લઈ શકાય: વિ-જન રસ્તો અને વિશેષ-જનનો પીછો કે પૂંઠ. કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિએ એ કામ શીર્ષકમાં પણ સુપેરે પાર પાડ્યાનું જણાય છે. અષ્ટકલના પ્રચલિત લયમાં ગીત વહી જાય છે. પહેલી પંક્તિમાં અષ્ટકલના બે અને ત્રીજી પંક્તિમાં એક આવર્તનની અનિયમિતતતાના માથે ધ્રુવપંક્તિ અને તુકમાં અષ્ટકલના ચાર-ચાર આવર્તન અને ચારેય બંધમાં ત્રણ આવર્તનના માથે વધારાની એક ગુરુ-લઘુ માત્રા મૂકીને કવિ લયને સતત રમતો રાખે છે.

તો, જ્યાં કોઈ આવતું-જતું નથી એવા કોઈ નિર્જન, સૉરી, વિજન રસ્તા પર જવા માટેની ‘પ્રપોઝલ’નું આ ગીત છે. ૧૯૬૧માં લખાયેલું પણ આજેય તરોતાજા લાગે એવું એ સમયાતીત છે. આ નાયિકાની એકોક્તિ છે. નાયકનો જવાબ અહીં અભિપ્રેત નથી પણ સમજી શકાય છે કે નાયિકે નયિકાની દરખાસ્ત સ્વીકારી જ હશે. નાયિકા પોતાના મનની વાત કરવા માટે પહેલાં જ્યાં જવું છે એ નહીં પણ જ્યાં જવાની ઇચ્છા નથી એ ધોરી માર્ગની વાત કરે છે. કહે છે, જ્યાં લોકોની આવનજાવન વધારે છે એવા ધોરી મારગ પર જવાની મારી લેશ ઇચ્છા નથી. હાલ્યને વાલમ કહીને એ મીઠા લલકારે નાયકને એવું ઈજન આપે છે, જેને નકારવું કદાચ લોહી-માંસના બનેલા માણસ માટે તો શક્ય જ નથી. નજીકના ભીડભર્યા માર્ગે જવાના બદલે નાયિકા નાયકને દૂર આવેલ કોતરમાં બનેલો વિજન કેડો પસંદ કરવા સમજાવે છે.

કવિને વિજન કેડો આમેય વધુ પસંદ હોય એમ જણાય છે. નાયકને બદલે સહિયરોને પાછળના ભીડ વગરના રસ્તે જવા લલચાવતી નાયિકાના ‘પછવાડે’ નામના ગીતનો ઉઘાડ જોઈએ:

મારગડે સરિયામ આવજા
ઘટે જ્યહીં ના જરીયે,
ભર્યે બેડલે ઘૂંઘટભર શેં
ભીડ થકી સંચરિયે?!
પછવાડે થઈ હાલો, સૈયર! જળ ભરવાને જઈએ!

સ્વાભાવિક છે કે નાયકને ગળે દૂરનો રસ્તો પકડવાની વાત શીરાની જેમ નહીં જ ઊતરી હોય. પુરુષોનું તો આમેય ગણિત જ નોખું. એટલે નાયિકા હવે એ વેરાન રસ્તાની વકીલાત કરે છે. કહે છે, એ રસ્તો કંઈ અજાણ્યો નથી, વહાલમ. એ રસ્તે તો હું ઘણી વાર એકલી પણ પસાર થઈ છું ને સહેલીઓ સાથે પણ ઘણીવાર ત્યાં થઈને ગામ જવાનું થયું જ છે. કોતર છે એટલે બાજુમાં પહાડ કે ઊંચી જમીનને કોરીને કેડો બનાવનારી નદી પણ હોવાની અને નદી હોય એટલે સાગરની ભરતી-ઓટના કારણે નદીકાંઠે પાણીની વધઘટના લીધે ક્યાંક-ક્યાંક કાદવના કળણ પણ સર્જાયાં જ હશે. પણ જેમ માણસ પોતાના હાથને ઓળખવામાં ઘનઘોર અંધારામાંય ભૂલીનેય ભૂલ કરતો નથી, અદ્દલ એ જ રીતે નાયિકા કોતરના આ ઉજ્જડ રસ્તે આવેલ એક-એક કળણ-વળણને ઓળખે છે. વળણ શબ્દ એક તરફ કળણ સાથે લય મિલાવવામાં અને લોકબોલીમાં થતા શબ્દપ્રયોગનો દ્યોતક છે તો બીજી તરફ કળણ સિવાયના બીજા કોઈ પણ નડતર –એમ તમામનો એક સાથે સમાવેશ કરી લે છે. પોતાની વાતની પુષ્ટિ કરતી નાયિકા કહે છે કે નેસ જવાની આપણને કોઈ ઉતાવળ પણ ક્યાં છે જ, કેમક હજી તો અડધો દિવસ બાકી છે. બીજું, નેસની વાત છે એટલે નાયક-નાયિકાની જાતિ વિશે પણ જાણકારી મળે છે. સંસ્કૃત નિવેશ અને પ્રાકૃત ણિવેસ પરથી નેસ શબ્દ ઊતરી આવ્યો છે. નેસ કે નેસડો એટલે રબારીઓ કે ભરવાડોનું નિવાસસ્થાન. ગીરના જગલમાં આજેય માલધારીઓના નેસ જોવા મળે છે. રબારીની વાત પરથી કવિજીવનનો એક યાદગાર પ્રસંગ યાદ આવે છે.

રબારીઓના લગ્ન બાબતની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવા આદરેલા કવિએ કચ્છ-ભ્રમણ કર્યું હતું એ સમયે ગુજરાતી ભાષાને ઊની આંચ આવનાર નથી એની પ્રતીતિ થઈ હતી. કવિના જ શબ્દોમાં: ‘એક લગ્નમાં બપોરવેળાએ એક ભાભુમા માળા ફેરવતાં’તાં ને ખાટની પડખે જ, નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટયો એક રોપો જોઈ કવિએ પૂછા કરી. બાઈએ કહ્યું: ‘ઈ તો સાંયડી રોપી છે, ભલા!’ પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી” રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત! જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રા-છાયા, આશ્રય અને રક્ષણ. જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડયું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે?”

કવિતાના અન્ય એક સંસ્કરણમાં ‘ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો!’ આ પ્રમાણે તુકની પંક્તિ જોવા મળે છે, જેમાં ધાઈ એટલે ઉતાવળ શબ્દ ઝપ્પ કરતોકને વહાલો થઈ પડે એવો છે. પણ કોઈક કારણોસર કવિએ એમના કાવ્યસંગ્રહમાં આ પંક્તિનું ‘ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો!’ લખીને સરળીકરણ કરી નાંખ્યું છે.

કાવ્યસંગ્રહ સિવાયના સંસ્કરણમાં આવળ-બાવળવાળો બીજો આખો અંતરો જ ગેરહાજર છે. પણ સંગ્રહમાં એ છે એટલે એમ માની શકાય કે કવિએ પાછળથી એનો ઉમેરો કર્યો હશે. રસ્તામાં આવળ, બાવળ અને ખડચંપાના ફૂલો જ ફૂલો ખીલેલાં મળશે. બાવળનાં ફૂલ સામાન્યરીતે ચોમાસામાં અને શિયાળાની શરૂઆતના ભાગ સુધી ખીલતાં જોવાં મળે છે. મતલબ પ્રેમીઓની, ચોમાસાની આ ઋતુ હોવાનું અનુમાન કરી શકાય. આવળનાં ફૂલ તો સામાન્યતઃ શોભાનાં હોય છે પણ નાયિકાને કશાયનો બાધ નથી. એ નાયકને એને જે ફૂલ ગમે એ પોતાનાં કેશમાં નાંખવાને આહ્વાન આપે છે અને બદલામાં એ પણ નાયક માટે હાર ગૂંથી દેશે. એક તો કેડો દૂર છે અને વિજન છે ને વળી નાયિકાને માત્ર ત્યાંથી પસાર થઈ જવામાં રસ નથી પણ વચ્ચે-વચ્ચે થોભતા-થોભતાં ફૂલો વીણવામાં અને ગૂંથવામાં પણ રસ છે. મતલબ, એ નાયક સાથેના સોનેરી એકાંતની શક્યતાને વધુને વધુ લંબાવવાની આરત પણ ધરાવે છે. નદીકિનારે કોતરમાં ખીલેલાં આ ફૂલોની સુગંધની છોળ સાથે નાયક-નાયિકા જ નહીં, ઘેલો મદમત્ત પવન પણ ખેલનાર છે.

નાયિકાએ ગીતના પ્રારંભમાં પોતાનું મન શેમાં રાજી છે ને શેમાં નથી એની વાત કરી. પછી રસ્તાની પરિચિતતા અને સમયના વૈપુલ્યની દલીલ સામી મૂકી. એ પછી રસ્તામાં કેવાં-કેવાં સુગંધસભર રંગીન પ્રલોભનો ખીલેલાં હશે એની લાલચ બતાવી અને હવે એ પુરુષની દુઃખતી રગ દબાવે છે. એ એને શારીરિક પ્રેમની સંભાવના તરફ સંકેત કરે છે. કહે છે, મન થશે તો હાથમાં હાથના આંકડા ભીડીને ચાલશું, ને મન થશે તો હું તારી સોડમાં તને વળગીને ચાલીશ. ઇચ્છા થઈ આવશે તો તારા કાનની બૂટ ઝાલીને તારો ઊંચો ચહેરો મારી નજદીક આણીને તારા વહાલા વહાલા મુખડાને હું ચૂમી પણ લઈશ. સ્ત્રી-પુરુષના રતિયોગ-આસક્તિયોગની આ વાત છે. સાથે મળીને ઉલ્લાસનો હોંકારો આપીએ તો સહવાસના ગીત રણઝણી ઊઠે. ભીતરની ભોંયને પ્રેમથી અડીએ કે તરત અમીઝરણાં વહેતાં થઈ જાય. નાયિકાના પ્રગલ્ભ પ્રલોભનને શું નાયક ટાળી શકશે ખરો? વધુમાં નાયિકા ખાતરી આપે છે કે આપણો આ નેડો-સ્નેહ જોઈને આપણી ઈર્ષ્યાની આગમાં બળનારું પણ ત્યાં કોઈ નહીં હોય. એક બહુ-પ્રચલિત દોહો યાદ આવે છે:

એકલ નર અડધો અને એકલ અડધી નાર,
રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર.

કોતરની હેઠે ઊંડા જળ વહેતાં હશે એનો ખળખળ અવાજ હશે ને આપણા માથે જંગલના ઝાડની છત્રછાયા હશે જે ભાતભાતનાં પંખીઓના કલરવથી ગૂંજતી હશે. અને આટલું સંગીત ઓછું હોય એમ વચ્ચે કેડા પર ચાલતાંચાલતાં મારા કંઠથી ગીત સર્યે રાખશે. આવી અમીરાત પેલા ધોરી માર્ગ પર વળી ક્યાં હોવાની? આ કેડે એકલાં જવાનું થાય તોય નાયિકાને એ સહેજસાજ નહીં, ઘણું-ઘણું પસંદ છે પણ પ્રિયજન સાથે હોય તો? નયિકાને ‘तबे एकला चलो रे’માં પણ કોઈ આપત્તિ નથી પણ एक से भले दो તો કોને ન ગમે? ને એમાંય આ તો મનનો માણીગર. ‘હોય તું ભેળો-’ કહીને કવિ સાયાસ પંક્તિ અધૂરી છોડી દે છે, કેમકે આ સહવાસનું સંગીત હવે આપણે ગણગણવાનું છે. આવા કોઈ વિજન કેડા પર સાથે જવા કોઈ નાયિકા આપણને વાસ્તવિક જીવનમાં કદાચ ઈજન ન પણ આપે પણ પ્રદ્યુમ્ન તન્નાના ગીતનો હાથ ઝાલીને આપણે સહુ આ વિજન કેડા પર આપણી મનમાનીતી પ્રિયાની સાથે એકાંતની મજા માણવા અવશ્ય ઊપડી જઈએ છીએ, ખરું ને?

ગ્લોબલ કવિતા : ૧૧૯ : મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

દોઢ લીટીની અ-મર કવિતા…!

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. લાઘવ એટલે શું અને કેટલા લાઘવને લાઘવ કહેશો એવા એકાદા પ્રશ્ન સામા પૂછીએ અને દાખલા માંગીએ તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ વાત સાચી છે. કવિતા એટલે કરકસર. કવિતાના નાજુક બાંધાને એક અક્ષરેય વધારાનો ખપતો નથી. બિનજરૂરી અલંકારો અને ઉપમાઓ કવિતાને કદાચ વધુ આકર્ષક તો બનાવે પણ પ્રાણ હરી લેતાં હોય છે. કવિતામાં લાઘવ અને કરકસર કોને કહેવાય એ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત જ સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજિસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. ઘણાં તો આ કવિતાને વીસમી સદીની શ્રેષ્ઠ કવિતા પણ ગણાવે છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયાં છે, થાય છે, થતાં રહેનાર છે.

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ. ૩૦-૧૦-૧૮૮૫ના રોજ અમેરિકાના ઇડાહો રાજ્યના હૈલી ખાતે જન્મ. હોમર લૂમિસ પાઉન્ડ અને ઇઝાબેલ વેસ્ટનનું એકમાત્ર સંતાન. ૧૧ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય જેકિનટાઉન ટાઇમ્સમાં પ્રગટ થયું હતું. ૧૩ વર્ષની વયે ત્રણ માહિનાનો યુરોપ-પ્રવાસ કરવા મળ્યો. પ્રાથમિક શિક્ષણ ઘરગથ્થુ શાળાઓમાં અને પછી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં. ૧૬ વર્ષની વયે હિલ્ડા ડૂલિટલ (H.D.) સાથેની મુલાકાત પ્રણયમાં પાંગરી. હિલ્ડા એની પાછળ લંડન પણ આવી. પાઉન્ડે એના માટે ઘણી કવિતાઓ લખી અને ૨૫ જેટલી કવિતાઓને જાતે જ બાઇન્ડિંગ કરીને ‘હિલ્ડા’ઝ બુક’ બનાવી પણ એના હિલ્ડાના પિતાએ લગ્ન માટે પરવાનગી ન આપી. હિલ્ડાની હારોહાર જ પાઉન્ડ બીજા બે ઘોડા પર પણ સવારી કરી રહ્યા હતા- વાયોલા બેક્સટર અને મેરી મૂર. મેરીએ પણ લગ્નની દરખાસ્ત નકારી હતી. ફિલોસોફીમાં સ્નાતક થયા. એમ.એ. કરીને પીએચડી શરૂ કર્યું પણ અધવચ્ચેથી ત્યાગ કર્યો. કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું પણ અધિકારીઓ સાથે અવારનવાર પંગો લેવાના કારણે અને એના ઘરે છોકરી રાતવાસો કરતી હોવાના કારણે કોલેજ અને ઘર બંને છોડવા પડ્યા. પરિણામે પાઉન્ડે દેશ જ છોડ્યો અને ૧૯૦૮થી યુરોપ સ્થાયી થયા. ૧૯૨૦ સુધી લંડન રહ્યા. ડબલ્યુ. બી. યીટ્સ સાથે ગાઢ મૈત્રી થઈ અને ડોરોથી શેક્સપિઅર સાથે ૧૯૧૪માં લગ્ન. પ્રથમ વિશ્વયુદ્ધે પાઉન્ડને વ્યથિત કરી નાંખ્યા. ૧૯૨૧થી ત્રણેક વર્ષ પેરિસ અને ૧૯૨૪થી ૪૫ સુધી ઇટલી રહ્યા. પેરિસમાં ઓલ્ગા રડ્જ નામની વાયોલિન વાદિકાના પ્રેમમાં પડ્યા. આ પ્રણયસંબંધ ૫૦ વર્ષ ચાલ્યો. એક બાળકી પણ થઈ જેને ભાડુતી માતાને ઉછેરવા સોંપી દેવાઈ. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોઈ ૧૯૪૩માં પાઉન્ડને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પ્રેમિકાના ઘરમાં પતિ-પત્નીએ આશરો લેવો પડ્યો. રાષ્ટ્રવાદી (Fascism) રાજકારણના પ્રખર હિમાયતી હોવાના નાતે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના સમર્થક પાઉન્ડની રેડિયો પર પોતાના વિચારો રજૂ કર્યે રાખવાના કારણે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ. જેલમાં એમને ત્રણ અઠવાડિયા છ બાય છ ફૂટના લોખંડના પાંજરા –ડેથ સેલ-માં પણ રાખવામાં આવ્યા, જેના પરિણામે એ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ૧૯૪૫થી ૫૮ સુધી તેમને અમેરિકામાં જેલ અને પાગલોની હૉસ્પિટલમાં રખાયા. સમકાલીન લેખકોની એકધારી ચળવળના પરિણામે એમને મુક્તિ મળી. ત્યાર બાદ મૃત્યુપર્યંત તેઓ ફરી વેનિસ, ઇટલીમાં રહ્યા. ૮૭મી વર્ષગાંઠના બે દિવસ બાદ ૦૧-૧૧-૧૯૭૨ના રોજ એમનું નિધન થયું ત્યારે ઓલ્ગા એમની પડખે જ હતી.

વીસમી સદીમાં આધુનિક કવિતાની નવરચના કરવાનું શ્રેય કોઈ એક જ વ્યક્તિને આપવાનું થાય તો એઝરા પાઉન્ડ સિવાય બીજું કોઈ નામ વિચારી પણ ન શકાય. એકલા હાથે એમણે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધ્યો. પણ સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઈટાલીમાં આવિર્ભૂત થયેલ રાજદ્વારી રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હોવાના કારણે અને ઉઘાડછોક યહૂદી-વિરોધી વલણના કારણે એમના જીવનકાળ દરમિયાન એ ઓછા પોંખાયા. તકનીકી નાવિન્ય અને બિનપરંપરાગત કાવ્યસામગ્રીના વપરાશના કારણે એમના ચાહકો બોખલાઈ પણ જતા હતા. નાનપણથી જ એમને અન્ય કોઈપણ જીવિત વ્યક્તિ કરતાં કવિતા વિશે વધુ જાણકારી મેળવવાની ચાનક ચડી હતી. કળાને યોગ્ય દિશામાં વધારવા માટે તેઓ આજીવન સક્રિય રહ્યા. ઇમેજિસમ અને વૉર્ટિસિસમ એનાં જ્વલંત ઉદાહરણ છે. યીટ્સ, ફ્રોસ્ટ, કાર્લોસ, મરિઆન મૂર, એચ.ડી., જેમ્સ જૉય્સ, હેમિંગ્વે અને ઇલિયટ જેવા અન્ય અનેક ‘ઊગતા’ કવિઓને એમણે જે રીતે આગળ વધવામાં અખૂટ મદદ કરી હતી એ પણ न भूतो, न भविष्यति ગણી શકાય. ૮૦૦ પાનાંઓમાં પથરાયેલું ‘કેન્ટોસ’ નામનું અધૂરું રહી ગયેલ મહાકાવ્ય એમની ખરી પ્રતિભા ઉજાગર કરે છે. પુષ્કળ અનુવાદો અને વિવેચન પણ કર્યા.

કવિતાનું શીર્ષક ક્યારેક બિનજરૂરી કે અવશિષ્ટ અંગ જેવું હોય છે તો ક્યારેક એ કવિતાની પૂર્વભૂમિકા રચવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. વળી, ક્યારેક એ કવિતા સાથે એ રીતે રસાયેલું હોય છે કે એના વિના કવિતા અધૂરી લાગે. ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક આ ટૂંકીટચરક કવિતા સાથે અવિનાભાવી સંબંધે એવું સાયુજ્ય સર્જે છે કે કવિતાને શીર્ષક વિના વિચારવી જ અશક્ય થઈ પડે છે. કવિએ કવિતામાં જે રીતે કરકસર કરી છે એ મુજબ શીર્ષક ‘ઇન અ મેટ્રો સ્ટેશન’ રાખ્યું હોત તો બે શબ્દોની બચત ત્યાંય થઈ શકી હોત. પણ, શબ્દો વાપરવાની બાબતે મહાકંજૂસ પાઉન્ડે ‘ધ મેટ્રો’ લખીને બીજું કોઈ નહીં, પણ જે સ્ટેશન પર પોતે બેઠ હતા એ જ સ્ટેશન, એ બાબત બરાબર ગાઢી કરી છે. બીજું, કવિએ ‘સ્ટેશન’ શબ્દને પણ કદાચ હાઇલાઇટ કરવાનું વિચાર્યું હોય. સ્ટેશન એટલે વિરામસ્થાન. એવી જગ્યા, જ્યાં આવીને બધું અટકી જાય. કવિતા મેટ્રોની સતત દોડ્યે રાખતી ભીડને એક સ્થાયી ચિત્રમાં આકારી લે છે, એ અર્થમાં સ્ટેશનને મેટ્રોથી અલગ કરવું ઉચિત ગણી શકાય. જો કે શીર્ષક કાઢી લેવામાં આવે તોય કવિતા ભાંગી પડતી નથી. શીર્ષક ન હોય તો કવિતામાં ઓછાયા જેવી ભાસતી ભીડ કોઈપણ સ્થળે જોવા મળતી ભીડ હોઈ શકે છે. ભીડના સ્થળ અને હેતુ બદલાઈ શકે છે, પણ કવિતાની યશસ્વીતા ઓઝપાતી નથી.

કવિતાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કવિએ પોતે આ કવિતા વિશે કહ્યું છે કે પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે તેઓ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા હતા. આખો દિવસ આ દૃશ્યનો પોતાના માટે શું મતલબ છે એ વિશે તેઓ વિચારતા રહ્યા. પણ એવા શબ્દો જડ્યા નહીં, જે આ આકસ્મિક લાગણી જેટલા જ પ્યારા, અથવા કિંમતી હોય. સાંજે રુ રેનૉર્ડ સાથે ઘરે ગયા ત્યારે પણ મથામણ ચાલુ જ હતી અને અચાનક જ એમને અભિવ્યક્તિ જડી ગઈ. શબ્દો નહીં પણ એક સમીકરણ… વાણીમાં નહીં, પણ રંગના નાના નાના ધબ્બાઓમાં. રંગની ભાષાનો શબ્દ એમને હાથ લાગ્યો. કવિને અહેસાસ થયો કે જો પોતે ચિત્રકાર હોત અને એ લાગણીને રંગોમાં ઢાળી શક્યા હોત તો ચિત્રકળાની એક નવી જ શૈલીની શોધ કરી શક્યા હોત, જે માત્ર રંગોની ગોઠવણીની ભાષામાં જ બોલતી હોય. પાઉન્ડને લાગ્યું કે કોઈ પણ મન જે મન કહેવાવાને લાયક હોય એની પાસે ભાષાની પ્રવર્તમાન શ્રેણીઓની પારની જરૂરિયાત હોવી ઘટે, બરાબર એ જ રીતે, જેમ એક ચિત્રકાર પાસે રંગોના ઉપલબ્ધ નામોની તુલનામાં ખાસ્સા વધારે રંગદ્રવ્યો અથવા રંગછટાઓ હોવાં જોઈએ. કવિ પાસે આ લાગણીને કાગળ પર ઢાળવા માટે શબ્દ નહીં, રંગો હતા પણ એ રંગ ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્રનું સર્જન. પહેલાં આ કવિતા ૩૦ પંક્તિની હતી. પણ કવિને આ કામ ઓછી તીવ્રતા (Second Intensity) વાળું લાગ્યું એટલે એમણે એ રદ કરી. છ મહિના પછી અડધી લંબાઈની કવિતા સર્જી પણ એય ન રુચિ. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ ત્રીસમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર થયેલી અનુભૂતિ તાદૃશ થાય એમ રજૂ કરી શકાય, સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમ-ઇમેજિસ્ટ પોએટ્રીનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

પહેલાં તો ઇમેજિસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંદોના બંધન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. ૧૯૧૨ની સાલમાં એઝરા પાઉન્ડે અન્ય બે મિત્રોની સાથે મળીને અધિકૃતતાપૂર્વક ‘ઇમેજિસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજિસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળનો એમી લૉવેલ જેવાના હાથે થઈ રહેલા દુરુપયોગને અટકાવવામાં પોતે વિફળ રહ્યા છે એમ લાગતા ૧૯૧૭માં પાઉન્ડ હટી ગયા. એમણે ‘ઇમેજ’નું ‘વૉર્ટેક્સ’ (વમળ અથવા ચક્રવાત) અને ‘ઇમેજિસમ’નું ‘વૉર્ટિસિસમ’ નામકરણ કર્યું, જે નામ એ સમયે વિન્ડહામ લૂઈસ અને અન્ય મિત્રોએ આદરેલ નૂતન કળાઅભિયાનને પણ લાગુ પડાયું. પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

પાઉન્ડની આ અંગ્રેજી કવિતાને બે રીતે જોઈ શકાય. એક, સૉનેટ અને બીજું, હાઇકુ. સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે, પાઉન્ડની આ કવિતા ચૌદ શબ્દોની બનેલી છે. સૉનેટમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ સાથે પણ સરખાવે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. જાપાનીઝ હાઇકુ ૧૭ ધ્વનિનું, અંગ્રેજીમાં ૧૭ શબ્દાંશ અને ગુજરાતીમાં ૧૭ અક્ષરનું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. પાઉન્ડની આ રચનામાં પણ સત્તર શબ્દાંશ (Syllables) હોવાથી અને મૂળે હાઇકુ-સ્વરૂપથી જ પ્રેરિત હોવાથી ઘણા એને હાઇકુની કક્ષામાં મૂકે છે. જે હોય તે, પણ સરવાળે આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ કે બે પંક્તિઓને જોડતું કોઈ સંયોજક પણ અહીં વપરાયું નથી. જો કે આટલી નાની કવિતામાં પણ પાઉન્ડ પ્રાસ અને લય સંયોજવાનું ચૂક્યા નથી. પ્રથમ પંક્તિમાં એક સંપૂર્ણ દૃશ્ય નજરે ચડે છે અને બીજી પંક્તિમાં બીજું દૃશ્ય તાદૃશ થાય છે. એ પણ સર્વાંગ સંપૂર્ણ છે. બંને દૃશ્યો સ્વતંત્રપણે પરિપૂર્ણ છે અને બંને દૃશ્યોનું સાયુજ્ય થઈને વળી એક ત્રીજી જ અનુભૂતિ થાય છે જે ભાવકના ચિત્તતંત્ર પર કાયમી અસર છોડી જાય છે. ટૂંકમાં, એમ કહી શકાય કે પાઉન્ડે નાની અમથી ડબ્બીમાં સમાઈ શકે એનાથી અનેક ગણા વધારે ચોખા ખાંડી-ખાંડીને ભરી આપ્યા છે. કદાચ એટલે જ આ કવિતા અમર થઈ છે. શબ્દોની આ કરકસર જોતાં એલેક્ઝાન્ડર પૉપનું યુગ્મક યાદ આવે:

શબ્દ છે પાંદડાં જેવા, સૌથી વધુ જ્યાં નજરમાં ચડે,
એ જગાએ જવલ્લે જ ફળ અર્થના કોઈ તમને જડે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે ! રાજેન્દ્ર શાહની ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’ પણ બે જ લીટીમાં અભિધા, લક્ષણા અને વ્યંજના –એમ ત્રણેય સ્તરે જીવનનો અર્ક સમજાવી જાય છે, જ્યાં ઘરને શબ્દશઃ ઘર ગણીને વિશ્વનાગરિકત્વનો અર્થ પણ વિચારી શકાય, ધર્મ-સમાજના વાડા ગણીને વયષ્ટિમાંથી સમષ્ટિ તરફની ગતિ પણ સમજી શકાય છે અને પોતાના અહમ્, વિચાર, મમત્વની જડ સીમાઓ તોડવાથી હાંસલ થતા બ્રહ્મપદ સુધી પણ પહોંચી શકાય છે.

પાઉન્ડ પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન લા કૉન્કર્ડ પર મેટ્રોમાંથી બહાર નીકળે છે અને એક પછી એક ચહેરાઓ એમની નજર સામે આવે છે અને ગાયબ થઈ જાય છે. આ ચહેરાઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એ સમજાય એ પહેલાં તો એ બદલાયે રાખે છે. એક પછી એક ચહેરાઓનો આખો મહાસાગર નજર સામે ઉમટે છે અને ટ્રેન ઉપડી જતાંની સાથે ખાલી મેદાન સમો ઓસરી પણ જાય છે. ભૂતાવળ જ જોઈ લ્યો જાણે! કવિએ યથાર્થ apparition શબ્દ પ્રયોજ્યો છે. અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને ક્ષણાર્ધમાં ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જીવનની નશ્વરતાનું પણ સૂચન કરે છે, જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન! લેટિન Memento Mori અર્થાત્ ‘યાદ રાખો કે તમારે મરવાનું છે’ એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કવિતાનું ટૂંકાણ એના વિષય સાથે તાલમેલ ધરાવે છે. મેટ્રો ટ્રેનની જેમ જ શબ્દો પણ આપણી આંખ આગળથી ઝડપભેર પસાર થઈ જાય છે. ટ્રેનનો દરવાજો ખુલે છે, ચહેરાઓ દેખાય છે, દરવાજો બંધ થાય છે, ટ્રેન પસાર થઈ જાય છે અને શૂન્યાવકાશ પ્લેટફૉર્મ પર છોડતી જાય છે. આ બધું જ વીજળીક ગતિએ થાય છે. કવિતા પણ એ જ ઝડપે આપણી પાસે આવે છે, આપણી નજરે શબ્દો ચડે-ન ચડે એ પહેલાં ચાલી જતી ટ્રેનની જેમ પંક્તિ પૂરી થઈ જાય છે અને આપણી અંદર કંઈક અકળ અનુભૂતિનો અવકાશ છોડતી જાય છે. પાઉન્ડની ‘ઇમેજ’ વિશેની માન્યતા પણ અહીં સાફ થાય છે: ‘કામનો ઢગલો પેદા કરવા કરતાં જીવનમાં એક દૃશ્ય રજૂ કરવું વધુ બહેતર છે.’ કવિએ એવું પણ કહ્યું છે: ‘ઇમેજ એટલે ક્ષણાર્ધ જેટલા સમયમાં જ બૌદ્ધિક અને ભાવનાત્મક સંકુલતાની રજૂઆત.’

બીજી પંક્તિ છ શબ્દો અને એક અલ્પવિરામની મદદથી એક બીજું જ ચિત્ર રજૂ કરે છે. જાપાનીઝ હાઇકુમાં ઋતુની જાણકારી અગત્યની ગણાય છે. અહીં એ જાણકારી પાઉન્ડ પણ પૂરી પાડે છે. કાળી ડાળ પર ભીની પાંદડીઓ નજરે ચડે છે. પાંદડીઓ, પાંદડાં નહીં. અર્થાત્, વાત ફૂલની છે. ઝાડના પર્ણોની નહીં. ડાળી કાળી છે મતલબ સૂકાવા આવી છે અથવા અંધકારનો કે મોંસૂઝણાંનો સમય છે અને વરસાદના પાણીની ભીનાશના કારણે ડાળીનો રંગ ગાઢો અર્થાત્ કાળો નજરે ચડે છે. કાળો રંગ મૃત્યુનો રંગ પણ છે. આ કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે. ફૂલોનો ભાગ હોવાના બદલે પાંદડીઓની ડાળી પરની હાજરી હવે સમજાય છે. વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી હશે અને વરસાદની ભીનાશના કારણે કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. આટલું ચિત્ર કવિ રજૂ કરે છે. પણ કવિતા અહીં પૂરી થતી નથી, શરૂ થાય છે.

ભીડમાં ભૂતિયા ઓછાયાની જેમ આવી-આવીને અદૃશ્ય થઈ જતા ચહેરાઓનું એક દૃશ્ય અને કાળી ભીની ડાળીના ‘કોન્ટ્રાસ્ટ’માં વધુ ધ્યાનાર્હ બની રહેતી ડાળ પર ચોંટેલી પાંદડીઓનું બીજું દૃશ્ય ભેગાં થઈને એક ત્રીજું દૃશ્ય બને છે, જે માત્ર દેખાતું નથી, અનુભવાય છે. ભીડમાં નજરે ચડતા ચહેરાઓ થોડા સમયમાં જ્યાં દેખાયા હતા, ત્યાં નથી દેખાવાના અને જે પહેલાં દેખાયા નહોતા એ થોડી વાર પછી સામે આવનાર છે. આ ક્ષણજીવી ઘટનાને બીજી પંક્તિ સાથે સાંકળીએ તો સમજી શકાય છે કે અહીં કશું કાયમી નથી. ડાળીની ભીનાશ પણ કાયમી નથી. થોડા સમય બાદ આ ભીની ડાળી સૂકાઈ જશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય. Memento Mori, નહીં?!

આવતીકાલે મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન પણ હોય, ભીની ડાળ પર ચોંટેલી એ પાંદડીઓ હોય કે ન પણ હોય પરંતુ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

એ વર્ષો – મુકુલ ચોકસી

એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરી રચી આમ્રમંજરીઓમાં…

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો મેં ઉછેર કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે બાકી રહેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.

– મુકુલ ચોકસી

મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે.(આભાર-લયસ્તરો.કોમ)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું:
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું;

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે;ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક્ :

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું?

– સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૧૧૮ : સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

(શંકરાભરણ)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગુજરાતી કવિતામાં દોરાયેલું અજર-અમર પ્રકૃતિચિત્ર

સાગર અને ચંદ્ર નહીં જોયા હોય એવો માણસ મળવો મુશ્કેલ. હા, આથમતી સાંજે સાગરના પાણી પરથી ચંદ્રને ઊગતો બધાએ નહીં જ જોયો હોય પણ જે ભાગ્યશાળીને આથમતી સાંજે દરિયાના પાણી પરથી ચંદ્રોદય જોવા મળ્યો હશે એ માણસ એ દૃશ્ય આજીવન વિસરી નહીં શકે. કંઈ અજબ ચુંબક છે આ દૃશ્યમાં. સાગર અને ચંદ્ર બંને સ્વતંત્ર રીતે જીવમાત્રને અસ્તિત્વના પહેલા દિવસથી આકર્ષતા આવ્યા છે પણ એ બંનેનું ‘કૉમ્બિનેશન’ તો જાણે કે ‘ફેટલ’ જ છે. જાગ્રત મનુષ્યના ચિત્તતંત્રને લકવો મારી જાય એવું પ્રબળ ચુંબકીય સૌંદર્ય આ મારકણું સંયોજન ધરાવે છે. આદિ કવિ વાલ્મિકીને શરદના નિરભ્ર આકાશમાં સરતા ચંદ્રને જોઈને નીલ સરોવરમાં તરતો શ્વેત રાજહંસ યાદ આવ્યો હતો તો અશોકવનમાં રાક્ષસીઓની વચ્ચે ઘેરાયેલી સીતાના નિસ્તેજ મુખને જોઈને અંધારાથી મુક્ત પણ વાદળોથી ઘેરાયેલ શરદના ચંદ્રનું સ્મરણ પણ થયું હતું. ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગર ભળે તો તો સોને પે સુહાગા. કવિ કાન્ત એમની બહુખ્યાત રચનામાં સાગર અને શશીના મારકણા પ્રભાવને અમરત્વ આપી ગયા છે.

મણિશંકર રત્નજી ભટ્ટ. ‘કાન્ત’ -કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક, આલોચક. જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલ ચાવંડ ગામમાં. માતા મોતીબાઈ. આર્થિક સ્થિતિ સાધારણ. પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં. શાળામાં ગાંધીજી, બ.ક.ઠાકોર તથા પ્રભાશંકર પટ્ટણી એમના સમકાલીન હતા. ૧૧ વર્ષની વયે પિતાનું નિધન. ૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૧૫ વર્ષની વયે પ્રથમ લગ્ન નર્મદા (‘નદી’) સાથે. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. મુંબઈમાં. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના પ્રથમ ગ્રેજ્યુએટ. કાયદાનો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. દાદા મુકુન્દ ભટ્ટ કવિ હતા, કાકા કથાકાર હતા. બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદાલંકાર શીખ્યા. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં થતા જ્ઞાતિજનોના કવિતાવિલાસનો કવિ તરીકે કાન્તના વિકાસમાં પ્રધાન ફાળો હોવાનું મનાય છે. પાશ્ચાત્ય બુદ્ધિવાદ, નીતિશાસ્ત્રના અભ્યાસ અને અંગ્રેજી કવિતાના આચમનથી એમની માંહ્યનો સાહિત્યકાર અલગ રીતે જ ઘડાયો. પહેલાં થોડો સમય ૧૮૮૯માં સુરતમાં શિક્ષક તરીકે અને પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, ઉપાચાર્ય અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે સેવા બજાવી. પહેલી પત્નીના નિધનના વરસ બાદ ૧૮૯૨માં ફરી નર્મદા (‘ન્હાની’) નામની જ સ્ત્રી સાથે બીજા લગ્ન, જેનું ૧૯૧૮માં અવસાન થયું. ૧૮૯૮માં સ્વીડનબૉર્ગમાં શ્રદ્ધા થતાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. કુટુંબીઓએ પ્રાયશ્ચિત કરાવ્યું જે કામચલાઉ નીવડ્યું. ૧૯૦૦માં બાપ્ટિઝમ લઈ ખ્રિસ્તી બન્યાની જાહેરાત કરી. ધર્મપરિવર્તનના કારણે નોકરી, જ્ઞાતિ, પત્ની-બાળકો અને મિત્રોથી પણ અળગા થવાનું થયું. ચારેતરફના પ્રચંડ દબાણને વશ થઈ ફરી બ્રાહ્મણ થયા પણ હૃદયથી આજીવન ખ્રિસ્તી જ રહ્યા. ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં પહેલાં શિક્ષણ અધિકારી અને પછીથી મહારાજાના સેક્રેટરી તરીકે નોકરી કરી. હિંદી સ્વીડનબૉર્ગ સૉસાયટીની ૧૯૧૪માં સ્થાપના કરી અને આજીવન પ્રમુખ રહ્યા. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા. ખિસ્સું ગરીબીનો ને શરીર ન્યુમૉનિયાનો શિકાર થયું. ૧૬-૬-૧૯૨૩ના રોજ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં તેમનું અવસાન થયું. અવસાનના દિવસે જ અમદાવાદમાં એમનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો.

ગુજરાતી સાહિત્ય પરિષદ ‘કાન્ત’ને ‘ગુજરાતી કવિતાની એક ઘટના’ તરીકે ઓળખાવે છે. કવિ કાન્ત દેખાવે ખૂબ જ પ્રભાવક હતા. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ ભૂરા બંધ કોલરના કોટ-પાટલૂન, બેઉ ખભે ઝૂલતો ખેસ, માથે પોપટિયો રેશમી ફેંટો, બૂટ-મોજાં, સોનેરી ફ્રેમનાં ચશ્માં, ભરાવદાર મૂંછ, પડછંદ ભરાઉદાર કાયા, ભીનો વાનવાળા કવિ તરત જ મુલાકાતી પર પ્રભાવ જમાવતા. એમનું વક્તૃત્વ પણ એવું જ પ્રભાવશાળી હતું. રા. વિ. પાઠકના મતે ‘કાન્તના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે.’ પહેલાં અજ્ઞેયવાદી, પછી એકેશ્વરવાદી, એ પછી ખ્રિસ્તી, અને ફરી બહારથી બ્રાહ્મણ અને ભીતરથી ઈસાઈ –આ બદલાવો કાન્તના ઈશ્વર, ધર્મ અને સત્યના માર્ગના અનવરત પ્રવાસના પાસપૉર્ટ છે. ધર્માંતર બાદની એમની રચનાઓમાં કવિત્વ ઝાંખું થયેલું અનુભવાય છે. પણ સરવાળે, ધર્મમંથન, ન્યાય અને સત્યની શોધ અને આંતરયાત્રા એમની કવિતાઓના પ્રધાન રંગ રહ્યાં છે. અભૂતપૂર્વ ભાષાસૌષ્ઠવ અને છંદવૈભવ એમની કવિતાઓમાંથી છલકાય છે. સર્વાંગી પ્રાસ, લવચિક લય, નાદસૌંદર્ય, લાલિત્યપૂર્ણ શૈલી, અને અર્થગહન અભિવ્યક્તિ પરની કુદરતી હથોટીના કારણે એમની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં પ્રથમ અંજનીગીત અને પ્રથમ ખંડકાવ્ય આપવાનું શ્રેય એમના ફાળે જાય છે.

સાગર અને શશી’ પહેલવહેલીવાર ૧૯૦૨માં ‘વસંત’ સામયિકમાં પ્રગટ થયું હતું. એક સદીથીય વધુ વર્ષોનાં વહાણાં વહી જવા છતાંય એની તાજગી અને સૌંદર્ય લગરિક ઓઝપાયાં નથી. ચંદ્રકાન્ત શેઠના મતે ‘સાગર અને શશીનું સાલંકૃત સૌંદર્ય અનન્ય છે.’ નિરંજન ભગત આ કવિતાને ‘ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય’ ગણાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ કવિતાને ‘આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના’ કહી વધાવે છે. ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે! શીર્ષક પછી કવિતાના મથાળે કવિ શંકરાભરણ શબ્દ મૂકે છે. શંકરાભરણ એટલે સાત શુદ્ધ સ્વરોયુક્ત એક સંપૂર્ણ જાતિ રાગ. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર મ, સંવાદીસ્વર સા, અને ન્યાસ સ્વર ગ છે. અંગ્રેજીમાં તેને નેચરલ સ્કેલ કે ડાયા ટૉનિક સ્કેલ કહે છે. શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં કવિએ પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ પણ કરેલો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. શંકરાભરણ કે શંકરો રાગ પણ પ્રભાતિયાના રાગને મળતો આવે છે. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઊરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા આ જ ઝૂલણા છંદ શંકરાભરણની ચાલમાં પ્રયોજે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે. ‘ગાલગા’ ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતા સંગીતમાંથી સાગરના ‘આવ-જા’ ‘આવ-જા’ ‘આવ-જા’ કરતા મોજાંનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર એ રીતે ઊભું થાય છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત! કાવ્ય પણ છંદ, રાગ અને સાગરની લહેરોની જેમ દ્રુતવિલંબિત લયમાં ચાલે છે. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે), જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય! સુરેશ જોષીના મતે ‘કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે.’

કવિતામાં ‘મહારાજ’ અને ‘પિતા’ એમ બે સંબોધન નજરે ચડે છે. કવિતા પાછળની વાર્તા આ સંબોધન પર થોડો પ્રકાશ ફેંકવામાં સહાયક નીવડે એમ છે. આ કવિતાનું પ્રેરકબળ ભાવનગરના મહારાજ ભાવસિંહ હતા. કહેવાય છે કે ગોપનાથના દરિયાકિનારે કવિની પીઠ પર હાથ મૂકીને ભાવસિંહે કવિને કવિતા લખવાનું આહ્વાન આપ્યું હતું, પરિણામે આ રચના થઈ હતી. એ રીતે મહારાજ સંબોધન મહારાજા માટે પ્રયોજાયું હશે એમ માની શકાય પણ એવું માનવામાં આગળ આવતું ‘પિતા’ સંબોધન નડતરરૂપ બને છે. એટલે, કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદનું આ કાવ્ય હોવાથી ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર માટે વપરાતાં Lord અને Father સંબોધનોનો આ સીધો તરજૂમો હોવાનું સમજી શકાય છે. જો કે આ ગીત રચાવા પાછળની વધુ પ્રમાણભૂત હકીકત એ છે કે ૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્ત સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬-૦૬-૧૯૦૨ના રોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

ખેર, કવિ અને કવિતાનો ઇતિહાસ ભલે કવિતા સમજવામાં ઉપકારક કેમ ન થતો હોય, ખરી મજા તો કવિતાને કવિતાના ધોરણે આસ્વાદવામાં જ રહી છે. કથક કહે છે કે, મહારાજ! આજે જળ પરથી ચંદ્રનો ઉદય જોઈને હૃદયમાં હર્ષ ‘જામે’ છે. જળ પરથી ચંદ્રોદય તો બનવાજોગ છે કે આ પૂર્વે પણ ઘણીય વાર જોયો જ હશે પણ જે મજા ‘આજ’માં છે, એ અભૂતપૂર્વ છે. વળી, હર્ષ થયો એમ કહેવાના બદલે કવિ હર્ષ સાથે કદી વપરાયેલ નહીં હોય એવું અનૂઠું ‘જામે’ ક્રિયાપદ પ્રયોજે છે. આ એક જ શબ્દ વડે કવિ અમૂર્ત હર્ષભાવને સફળતાપૂર્વક મૂર્ત કરી આપે છે. સમજી શકાય છે કે આ એવો ઘનીભૂત થયેલો આનંદ છે જેને સમય પણ પીગાળી, મિટાવી શકનાર નથી. સાગર અને શશી વચ્ચેનું સ્નેહસૂત્ર પણ ફરી યાદ કરી લેવા જેવું છે. ચંદ્ર આપણી સૌથી નજીકનો ગ્રહ- પૃથ્વીનો ઉપગ્રહ છે. શ્રીમદ્ભાગવત અનુસાર એ મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાના માથા પર ધારણ કર્યો છે. ચંદ્રમાં રહેલ ડાઘાઓએ તો વિશ્વભરની કથાઓ-કવિતાઓને ચાલકબળ પૂરું પાડ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનું ખાસ્સું મહત્ત્વ છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા જન્મતા કેન્દ્રગામી બળના કારણે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. શુક્લ કે સુદ પક્ષ દરમિયાન ચંદ્રની વૃદ્ધિની સાથોસાથ સાગરમાં ભરતી જન્માવતી લહેરો પણ વૃદ્ધિશીલ થતી જાય છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્ર ચુંબકની જેમ ખેંચતો હોય એ રીતે આકાશ આંબતી લહેરો ઊછળે છે. કૃષ્ણ કે વદ પક્ષના પખવાડિયામાં મોજાંઓની આ ચંચળતા ક્રમશઃ મંદ થતી જાય છે. આપણાં શરીરનો મોટો ભાગ પાણીથી બન્યો હોવાથી ચંદ્રની કળાઓ આપણી માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે એમ માનવામાં આવે છે. પૂનમની રાતોએ પાગલપનની તીવ્રતા અને આત્મહત્યાની સંખ્યા અન્ય દિવસોની સરખામણીએ વધુ હોવાનું મનાય છે. ચંદ્ર માટેના લેટિન શબ્દ લૂના પરથી જ લૂનેટિક (પાગલ) શબ્દ બન્યો છે.

આકાશ કઈ ઋતુનું છે એ કવિ કહેતા નથી. ચંદ્ર પણ કઈ કળાએ છે એ પણ કવિ કહેતા નથી પણ જે ચંદ્રોદય અનનુભૂત આનંદ અને સાગરમાં ભવ્ય ભરતી જન્માવે છે એ ચંદ્ર તો પૂર્ણિમાનો ફુલ્લકુસુમિત ચંદ્ર જ હોઈ શકે ને! રાતનો સમય છે અને રાતનું સૌથી મોટું સુખ એ છે કે એ કાળા રંગની પીંછીથી દુનિયાને રંગી દે છે અને આપણી નજરોથી ગાયબ કરી દે છે. અંધારામાં બહુ ઓછી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, પરિણામે જે કંઈ આપણે જોઈ શકીએ છીએ એનો પૂર્ણાનંદ લઈ શકીએ છીએ. અંધારામાં સમુદ્ર ઉપરથી ઊંચે ઊઠતા ચંદ્રના પ્રકાશમાં આકાશમાં વાદળો નજરે ચડે છે. રાત્રે વાદળો દેખાય છે માટે આ વરસાદ આણતાં કાળાં વાદળો નહીં, પણ હળવાંફૂલ થઈ ઊડતાં શુભ્ર વાદળો છે. મતલબ કે આ આકાશ ચોમાસાનું આકાશ નથી. કવિ કહે છે, ‘સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે.’ સ્નેહનાં વાદળો એ એ રીતે આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, જાણે ફૂલોનાં વન ન હોય! સુરેશ જોષી ‘જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન’ કહીને કવિના શબ્દપ્રયોગમાં છૂપાયેલી કવિતા આબાદ શોધી બતાવે છે. અને ફૂલોનું વન હોય તો સુગંધનો દરિયો પણ હોવાનો જ. પણ આ સુગંધ શુદ્ધ અને ગહન-અકળ-ઊંડી સુગંધ છે. કવિએ જ્યાંથી સાગર પર ચંદ્રોદય જોયો હશે ત્યાં કદાચ બગીચો પણ હોય અને ફૂલોની ખુશબૂ નાક સુધી પહોંચી પણ હોય એ શક્ય છે પણ સાચું કવિકર્મ જ એ છે જે સમષ્ટિમાંના એક તત્ત્વને બીજામાં અને વયષ્ટિની એક ઇન્દ્રિયને બીજામાં ખબર પણ ન પડે એ નાજુકાઈથી ભેળવી દે છે. દૃશ્ય સાવ સાદું છે. કોઈ સાફ વાતાવરણવાળી ઋતુની રાતે દરિયા પરથી ચંદ્ર ઊગી રહ્યો છે અને સ્વચ્છ આકાશ આખું શ્વેત વાદળોથી ભર્યું પડ્યું છે, જે ચંદ્રના પ્રકાશથી વધુ દેદિપ્યમાન નજરે આવે છે. પણ કવિને અહીં સ્નેહનાં વાદળો નજરે ચડે છે ને આ વાદળોમાં આકાશમાં ફૂલોનું મઘમઘતું વન દેખાય છે. ત્રણ જ પંક્તિમાં જે દૃશ્ય આપણે આંખોથી પીવાનું હતું, એ કવિ આપણને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘાડે છે. કેવો અદભુત ઇન્દ્રિયવ્યત્યય! દિલોદિમાગને તર કરી દેતી આ અવર્ણનીય સુગંધ વળી અકળ છે.

ચોથી પંક્તિમાં ‘નિજ’ શબ્દ વાપરીને કવિ આખી વાતને નવું જ પરિમાણ બક્ષે છે. કવિતા સામાન્યરીતે વયષ્ટિનું સમષ્ટિમાં વિસ્તરણ કરતી હોય છે, અહીં કવિ સમષ્ટિને વયષ્ટિમાં આટોપવાનું ભગીરથ કામ કરે છે. નજર જ્યારે સમુદ્ર પરથી થઈ રહેલ ચંદ્રોદય અને વાદળપુંજને નિરખી રહી છે, એ સમયે કથકની પોતાની ભીતર, એની ખુદના આકાશમાં પણ શુભ્ર વાદળાચ્છાદિત આભમાં ચંદ્રોદય થઈ રહ્યો છે અને કશીક ગહન ગંધથી આખું અસ્તિત્ત્વ તરબતર થઈ રહ્યું છે. કદાચ એટલે જ, કવિ કહે છે કે કાલના સર્વ સંતાપ શામે! કાળ બધી સમસ્યાઓનો વાહક છે. કાળના ઉધામા ઘણીવાર અસહનીય બની રહેતાં હોય છે. ક્યારેક વીતી ગયેલો સમય વીતાડે છે, ક્યારેક ન આવેલો સમય સતાવે છે તો ક્યારેક આજનો તાપ દઝાડે છે. સમયના ગર્ભમાં જ જીવનની સૌ સમસ્યા પણ રહેલી છે ને ઈલાજ પણ. એક અદભુત પ્રકૃતિચિત્રને પ્રત્યક્ષ નિહાળવાના સૌભાગ્યની પ્રતીતિ ઇન્દ્રિયગોચરતાને ઇન્દ્રિયાતીતતામાં પલોટે છે ત્યારે જે શાતા અનુભવાય છે એ સર્વ સંતાપ શમાવી દે છે. કાળા આભમાં ચમકતો ધોળો ચંદ્ર જાણે નૂતન જીવનરસથી છલકાતી ઈશ્વરની આંખ હોય એમ લાગે છે. પરિણામે તમામ ઉચાટો શાંત થઈ ગયાનું અનુભવાય છે. સુરેશ જોષી લખે છે: ‘આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે.’ દરિયાના મોજાં તો હજીય આવ-જા કરી જ રહ્યાં છે, ચંદ્ર પણ ક્રમશઃ ઉર્ધ્વગતિ કરી રહ્યો છે, વાદળો આકાશમાં અટક્યાં નથી, પવન પણ થંભ્યો નથી, પણ દર્શકની ભીતર હર્ષ અને શાતા હલાવી-પીગાળી-મિટાવી ન શકાય એ રીતે જામી ગયાં છે. કવિ ઇચ્છે છે કે ભાવકને પણ આ શાંતિની એટલી જ સઘન અનુભૂતિ થાય જેટલી એમને થઈ છે. માટે જ એ પોતાની વાત કરીને અટકી જવાને બદલે દોહરાવે છે: ‘પિતા! કાલના સર્વ સન્તાપ શામે!’ આ પુનરોક્તિ કવિચેતનાને ભાવકચેતના સાથે સંગોપીને દૃઢીભૂત કરે છે.

જલધિ યાને સાગરના મોજાંઓના સમુહને કવિ જલધિજલદલ કહી સંબોધે છે. જેમ આકાશમાં વીજળી ચમકે છે એમ જ દરિયામાં આવતા-જતાં રહેતાં મોજાંઓ ઉપર રેલાતા ચંદ્રપ્રકાશના કારણે જાણે પાણી ઉપર વીજળી ચમકતી ન હોય એમ કવિને લાગે છે. આકાશના સરોવરમાં યામિની યાને રાત્રિની હોડી સરકી રહી છે. સુરેશ જોષી ‘યામિની’ શબ્દપ્રયોગમાં ‘યામ’ યાને પ્રહર, કાળનો શ્લેષ પણ સમાવિષ્ટ જુએ છે. નીચે દરિયો સતત ગતિશીલ છે પણ માથે આકાશ સરોવર જેવું નીરવ શાંત છે પણ વાતાવરણમાં કામિની કોકિલાનો કૂંજારવ પ્રાણ ભરી દે છે. દૃશ્યેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બાદ હવે શ્રવણેન્દ્રિય પણ કામમાં આવે છે. અને જેમ-જેમ ઇન્દ્રિયો જાગૃત થતી જાય છે, તેમ-તેમ અનુભવ ઇન્દ્રિયાતીત થતો જાય છે. ભરતી જેવી રોજની ઘટના પણ હવે ભવ્ય ભાસે છે. સમગ્ર સૃષ્ટિ સમુલ્લાસિત થઈ રહે છે. જેમ આનંદની અવધિએ આપણે આપણને હળવાફૂલ થઈ ગયેલાં અનુભવીએ છીએ એમ જ ઉલ્લાસના આ મહાસાગરમાં સમગ્ર સૃષ્ટિ એવી તો હળવી થઈ ગયેલી ભાસે છે કે એકદમ સહજતાથી, સાવ અનાયાસ પાણીમાં સરી-તરી રહેલી હોડી જેવી નજરે ચડે છે. વળી, આ ઉલ્લાસની પરાકાષ્ઠા છે, પરમ આનંદની ચરમસીમા છે એટલે ફરી એકવાર કવિ પોતાની વાતની પુનરોક્તિ કરતાં ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ના હર્ષોદ્ગારને બેવડાવે છે. જગતચેતના અંગતચેતના લગી અને અંગતચેતના ફરી જગતચેતના સુધી પ્રસાર પામે છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અનુપમ સાયુજ્ય સર્જાય છે. સરવાળે કવિતા જે ચિત્રાનુભૂતિ ભાવકના ચિત્તતંત્ર પર સફળતાપૂર્વક છોડી જાય છે એ પછી કાયમ રહે છે…

દરિયાઈ લહેરો સાથેના છંદના તાલમેલ ઉપરાંત કવિતામાં જે વર્ણસગાઈ અને વર્ણાનુપ્રાસ કવિએ પ્રયોજ્યાં છે એ કદાચ ગુજરાતી કવિતામાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. જલધિ-જલ, દલ-દામિની-દમકતી, કામિની-કોકિલા-કેલિ-કૂજન-કરે, ભાસતી-ભવ્ય-ભરતી વગેરેમાં આવતી વર્ણસગાઈ સમુદ્રની લહેરોની જેમ એક પછી એક કવિતામાં આવ્યે રાખે છે અને લહેરોની છોળની જેમ ભાવકને વર્ણસંગીતથી ભીંજવ્યે રાખે છે. આજ-મહારાજ, ઘન-વન-ગહન, વિમલ-પરિમલ, નવલ-ધવલ, જલ-દલ, યામ્(ઇની)-(વ્)યોમ, દામિની-યામિની-કામિની, (વ્યોમ)સર-સર(તી), તર(લ)-તર(ણી)-સર(લ)-સર(તી) વગેરેમાં યમક અથવા વર્ણાનુપ્રાસની ચમત્કૃતિનું જે ગાન આલાપે છે એ પણ અલૌકિક છે. છંદ-અલંકારોના વ્યાકરણથી બિલકુલ અનભિજ્ઞ ભાવક પણ સાવ અજાણતાંય આ સંગીતમાં આપોઆપ લીન થયા વિના રહેતો નથી. કદાચ, એટલે જ એક સદીથીય વધુ સમય વીતી ગયો હોવા છતાંય અમર થવા સર્જાયેલ આ કવિતા કાવ્યરસિકોને અવર્ણનીય અનુભૂતિ પ્રદાન કરતી આવી છે, ને કરતી રહેનાર છે…

ગ્લૉબલ કવિતા : ૧૧૭ : લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

જૂની લોકકથાના ચશ્માંમાંથી નજરે પડતો આજની સ્ત્રીનો ચહેરો

પરીકથાઓ કોને ન ગમે? બાળપણમાં પરીકથાઓ, લોકકથાઓ કે દાદાદાદીની વાર્તાઓનું વ્યસન ન હોય એવું કોઈ હશે ખરું? મોટાભાગની આ વાર્તાઓના પાત્રો આજે પણ આપણા લોહીમાં વહી રહ્યા છે. સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, રાપુન્ઝેલ, લિટલ મરમેઇડ જેવી અનેક વાર્તાઓ તો સ્ત્રીપાત્રોઓની આજુબાજુ જ ગૂંથાયેલી છે. પરીકથા તો શબ્દ જ પરીની આસપાસ વણાયેલો છે. પણ આ મોટાભાગના સ્ત્રીપાત્રોમાં સુંદરતા અને નિર્દોષતા જેવા ગુણો જ ઉજાગર કરવામાં આવ્યાં છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રોને હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. ભાગ્યે જ કોઈ કથામાં સારાં સ્ત્રીપાત્રોને જીવનના અગત્યના નિર્ણયો લેતાં અને પુરુષોને એ નિર્ણયો સ્વીકારતા બતાવાયા છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે અને ગળથૂથીમાં પરીકથાઓ પીને મોટાં થતાં બાળકોના માનસમાં અભાનાવસ્થામાં સમાજમાં પ્રવર્તમાન આ વિષમ પદક્રમ ઘર કરી જાય છે. પણ હવે સમય આવી ચૂક્યો છે, વિષમ પદાનુક્રમના આ ચશ્માં ઊતારીને સ્ત્રીઓ તરફ જોવા માટેનો. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

મારિયા કૈલિબ ચાવેઝ આખું નામ પણ ઓળખાય છે એમકે ચાવેઝ તરીકે. જન્મ અને ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં પણ મૂળે લેટિન અમેરિકન. એમનો પરિવાર અલ સાલ્વડોરથી આવ્યો હતો, જ્યાં અસંખ્ય લોકો ગાયબ થઈ ગયા હતા, સેંકડોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એમકેના પરિવારમાં કોઈ વડીલ હાલ જીવંત નથી. જિંદગીની પાટી આ રીતે કોરી હોવી એ એક તરફ કરુણતા છે તો બીજી તરફ આઝાદી પણ એમ તેઓનું માનવું છે. ‘લિરિક્સ એન્ડ ડર્જીસ’ વાંચન શૃંખલાના તેઓ સહસ્થાપક અને અધ્યક્ષ (ક્યુરેટર) છે તથા બર્કલી પોએટ્રી ફેસ્ટિવલના સહ-નિર્દેશિકા પણ છે. આ સિવાય ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં છે. ‘મધરમોર્ફૉસિસ’ અને ‘ડિઅર એનિમલ’ એમનાં બે પ્રકાશિત પુસ્તકો છે. હાલ તેઓ કેલિફૉર્નિયામાં ઓકલેન્ડ ખાતે રહે છે અને એલિ કેટ બુક્સમાં નોકરી કરે છે. એમની સાથે ‘સન રા’ નામનું પળેલું સસલું રહે છે. ચાવેઝ ટ્વિટર પર પોતાને ‘હાર્મ રિડક્શનિસ્ટ’ તરીકે ઓળખાવે છે. ચાવેઝની કવિતાઓમાં એક અર્થ ઊઘાડતાં બીજો ને બીજો ઊઘાડતાં ત્રીજો હાથ લાગે છે. અર્થના પડળો અને એમાંથી જન્મતું ભાતીગળ કેલિડોસ્કોપિક વૈવિધ્ય એ એમની લાક્ષણિક વિશિષ્ટતા છે. કોલરિજની બહુખ્યાત ‘ધ એન્શન્ટ મરિનર’ કવિતાની સામે ચાવેઝ ‘નોટ સો એન્શન્ટ મરિનર’ લઈ આવે છે અને પુરુષોના ઈજારા બની ગયેલ દરિયાઈ ખેપો અને દરિયાની વાર્તાઓ સામે નૌકાના સ્ત્રીત્વનું સજીવીકરણ કરીને સ્ત્રીઓના સક્રિય અવાજને બુલંદ કરે છે. હોઝે એન્જલ આરાગુઝ લખે છે, ‘એમની કવિતાઓમાંથી અસંતોષ/નિરાશાનો સૂર એક વિષયના રૂપમાં પુનરાવૃત્ત થતો રહે છે પણ એ પરિત્યાગ તરીકે નહીં પરંતુ રહસ્યોદ્ઘાટનના ઈંધણ સ્વરૂપે.’ અલગ-અલગ પ્રાણીઓને કેન્દ્રમાં રખીને લખેલી એમની કવિતાઓમાંથી નનાવિધ માનવભાવો ઉજાગર થાય છે. ચાવેઝ કહે છે: ‘જે વસ્તુઓનો આપણે અનુભવ કરી લીધો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકતાં નથી. આપણે અનુભવ્યું હોય એને વણ-અનુભવ્યું કરી શકતાં નથી, ખરાબ પરિસ્થિતિઓ કાયમ ટકતી નથી… અને એટલે જ કળા એક ભેટ સમી લાગે છે, એ બીજી તરફ પહોંચવાના માર્ગ સમી લાગે છે. કળાની મદદથી, આપણે જખ્મોમાંથી સમજણ સર્જીએ છીએ અને આપણે તકલીફોમાં ઘડી ભર પણ ડૂબી રહેતાં નથી.’

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા’ કવિતા સ્ત્રીશોષણ અને એની સામે અવાજ ઊઠાવતી વિદ્રોહી સ્ત્રીના બુલંદ અવાજની કવિતા છે. કવિતાનું શીર્ષક પ્રચલિત લોકકથા ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ’ પરથી સીધું લેવાયું હોવાથી એનો અનુવાદ અનુચિત જણાય છે. પણ આ લોકકથા મજાની છે. યુરોપીય ખંડના દેશોમાં દસમી સદીના ફ્રેન્ચ ખેડૂતો અને ચૌદમી સદીના ઇટાલિઅન ખેડૂતોથી લઈને સામાન્યજનમાં પ્રચલિત આ લોકવાર્તાના સેંકડો ભાષામાં અનુવાદો થયા છે અને સમયાંતરે અનુવાદકોએ વાર્તાના મૂળ સ્વરૂપમાં પણ યથામતિ ફેરફારો કર્યે રાખ્યા છે. સત્તરમી સદીમાં ફ્રેંચ લેખક ચાર્લ્સ પેરોલ્ટે આ કથાનું સૌપ્રથમ મુદ્રિત સ્વરૂપ રજૂ કર્યું. પ્રચલિત ગ્રીમ ભાઈઓના જર્મન સંસ્કરણ મુજબ એક નાની છોકરીને એના દાદી લાલ રંગનો એક કાનટોપીવાળો ઝભ્ભો આપે છે. એ જમાનામાં ઘોડેસવારી (રાઇડિંગ) કરતી વખતે સ્ત્રીઓ ઝભ્ભાની પાછળના ભાગે જોડાયેલ રહી માથું અને ગરદન ઢાંકે એવી કાનટોપી સહિતનું જે વસ્ત્ર પહેરતી એ રાઇડિંગ હૂડ તરીકે ઓળખાતું હતું. છોકરીને આ હૂડ એટલું ગમી ગયું કે એ કદી એને ઉતારતી જ નહીં એટલે એનું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ પડી ગયું. એની મમ્મી એમના ઘરથી થોડે જ દૂર જંગલમાં રહેતાં બિમાર વૃદ્ધ દાદીમાને બેકિંગ-ડે પર બનાવેલી કેક તથા શરાબ આપી આવવા મોકલે છે. સાથે જ મા સહજ સૂચના આપે છે, કે ભૂલેચૂકેય રસ્તા પરથી આડીઅવળી ચાલીશ નહીં અને સીધી જ દાદીમાના ઘરે જજે. નાકની દાંડીએ ચાલી જતી છોકરીને જોઈને વરુ લલચાય છે. એ એને જંગલના સૌંદર્ય તરફ ધ્યાન આપવા લલચાવે છે. છોકરી બાળસહજ લલચાય છે અને દાદીમા માટે એક પછી એક ફૂલો ભેગાં કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ દરમિયાન છોકરીએ આપેલી નિશાની મુજબ વરુ દાદીમાના ઘરે પહોંચી જઈને દાદીમાને ખાઈ જઈ એમનાં કપડાં અને ટોપી પહેરીને પથારીમાં સૂઈ જાય છે. છોકરી મોડી મોડી દાદીના ઘરે આવે છે ત્યારે વરુ એના ગુડ મૉર્નિંગનો પ્રત્યુત્તર આપતો નથી. અને છોકરીને પણ ખાઈ જાય છે. પેટ ભરાઈ જતાં એને ઊંઘ આવી જાય છે ને એના નસકોરાં સાંભળીને એક શિકારી ત્યાં આવી ચડે છે અને વરુનું પેટ ચીરીને દાદીમા તથા લિટલ રેડ રાઇડિંગ હૂડને જીવતાં બહાર કાઢે છે.

આ વાર્તાના અન્ય ઘણાય સંસ્કરણો પણ છે, જેમ કે એવી વાર્તા પણ છે જેમાં વરુ દાદીમાના લોહીમાંસને રહેવા દે છે અને પૌત્રી અજાણતામાં એ ખાઈને નરભક્ષી બને છે. વાર્તાનો બોધપાઠ એ છે કે બાળકીઓએ અને વધુ વિસ્તૃત અર્થમાં સ્ત્રીઓએ ‘પુરુષપ્રધાન’ સમાજે જે ચીલો ચાતરી આપ્યો છે એના પર જ ચાલવું જોઈએ અને અજાણ્યા ‘વરુઓ’ સાથે ઘરોબો કેળવવાથી દૂર રહેવું જોઈએ. રાતનું વરુ રાતી થતી સાંજને ગળી જાય, સૂર્યના રાતા ગોળાને રાત ગળી જાય, ગ્રહણ નામનું વરુ ચંદ્રને ગળી જાય અને સૂર્ય એના કિરણોની બંદૂકથી એને છોડાવે કે કિશોરી માસિકધર્મમાં આવીને યુવતી બને છે એવા તો સેંકડો અર્થઘટનો આ કથાના કરાયા છે. જાતિય પરિપક્વતાની કથા તરીકે પણ ઘણા આને જુએ છે. લાલ હૂડને સ્ત્રીનું યોનિપટલ અને વરુને એ માટેનો ખતરો ગણાવતાં અર્થઘટન પણ થયાં છે. આધુનિક યુગના નારીવાદીઓએ આ વાર્તાને સ્ત્રી-સશક્તિકરણવાળા અંત પણ આપ્યા છે. આપણે ત્યાં પણ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’વાળી પરીકથાઓના નવા સંસ્કરણ જોવા મળે છે. કંગના રણૌત અભિનિત ‘ક્વીન’ ફિલ્મમાં નાયિકાના અનાધુનિક દેખાવના કારણે એને નકારી દેવાતાં નાયિકા એકલી હનીમૂન મનાવવા વિદેશ ઉપડે છે અને પોતાની જાતને મળે છે, મેળવે છે અને બદલાયેલી નાયિકાને પુનઃપ્રાપ્ત કરવાની મંસા રાખતા નાયકને સગાઈની વીંટી પરત કરી દે છે. આ અંત આજની નારીએ લખાવેલો અંત છે.

સમાજના પ્રસ્થાપિત બંધનોને ફગાવનારી નારીની વાત કરતી હોવાથી પ્રસ્તુત રચના સ્વાભાવિકપણે અછાંદસ પ્રકારની કાવ્યરચના છે, જે છંદ, પ્રાસ કે નિયત પંક્તિસંખ્યાના નિયમો ઉવેખીને આગળ વધે છે. કવયિત્રીએ મોટાભાગે એક અને બેથી લઈને એકાદ જ જગ્યાએ ત્રણ અને ચાર પંક્તિઓના વિભાગોમાં કવિતાને વિખેરી નાંખી છે. આમ કરીને કવિતાને એક restless shape (બેચેન આકાર) આપવામાં તેઓ સફળ થયાં છે. ઘણીવાર મોટા પુસ્તકની સાથે પુરવણી જેવી માર્ગદર્શિકા કે સહાયક પુસ્તિકા બહાર પાડવામાં આવતી હોય છે. શીર્ષકમાં જે કથાના આત્માને એમણે આજના જમાનાનો દેહ આપવાનું કામ કરવા ધાર્યું છે, એ પ્રચલિત લોકકથાના નામની સાથે સ્લેશ (/) મૂકીને ચાવેઝે ‘સહાયિકા’ ઊમેર્યું છે, જે પરથી સમજી શકાય છે કે કવયિત્રી સદીઓથી ચાલી આવતી લોકકથાના સંદર્ભે કોઈક બીજી વાત કરનાર છે. પરિણામે જે ભાવક આ લોકકથાથી પરિચિત છે, એની કવિતા વાંચવાની જિજ્ઞાસા બેવડાય છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે એ સત્ય અહીં પ્રકાશિત થાય છે.

કાવ્યારંભે ચાવેઝ એક અભિલેખ મૂકે છે જે ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ’નામના ડૉ. ક્લેરિસા પિન્કોલા એસ્ટિસના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. સમાજ જેને જંગલી પ્રકારની સ્ત્રી ગણે છે એમની વાર્તાઓ અને દંતકથાઓ આ પુસ્તકમાં સમાવાઈ છે. આ પુસ્તકમાં ક્લેરિસા દુનિયાભરની પ્રચલિત પરીકથાઓ અને દંતકથાઓનું વિશ્લેષણ કરી સ્ત્રીપ્રધાન અને સ્ત્રીસ્વાતંત્ર્યના આયામો ચકાસે છે. વરુના સ્વભાવગત લક્ષણો જેવાં કે, ઉગ્ર વફાદારી, સહજતા, સંવેદનશીલતા, અને જંગલિયત અને આ કથાઓની નાયિકાઓના લક્ષણો વચ્ચેનું સામ્ય એમનો મુખ્ય પ્રયાસ છે. સમસામયિક સ્ત્રીના ચશ્માંમાંથી તેઓએ જંગિઅન મનોવિજ્ઞાનને જોવાનું કામ કર્યું છે. સ્ત્રીઓએ નિર્ણાયક નહીં બની શકે એ પુરુષપ્રધાન સમાજમાં પ્રચલિત ધારાની સામે તેઓ બુલંદ અવાજ ઊઠાવે છે. આવા સાવ અલગ ભાત ધરાવતા પુસ્તકમાંથી ચાવેઝ જે અવતરણ ટાંકે છે એ છે: ‘અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.’

અહીં વાતની અને કવિતાની, બંનેની શરૂઆત ‘અને’થી થાય છે. મતલબ ચાવેઝ કોઈ નવી વાત નહીં, અગાઉ ક્યારેક પ્રારંભાયેલી કોઈક વાતનું અનુસંધાન જ કરવા માંગે છે એમ સમજાય છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસ્વાતંત્ર્યતાનું આ કામ તો વર્ષોથી, પેઢીઓથી, અને કદાચ સદીઓથી ચાલતું જ આવી રહ્યું છે. અધૂરી વાત સાથે છેડા જોડ્યા બાદ ‘અન્ય સ્ત્રીઓ’નો ઉલ્લેખ આવે છે, જે નિર્દેશે છે કે આ વાત કેટલીક સ્ત્રીઓની છે, બધાની નહીં. મોટાભાગની સ્ત્રીઓ તો સમાજે ચાતરેલા ચીલા પર ચાલી લેવામાં જ જીવનનું સાફલ્ય સમજી બેઠી હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ છે જે પોતાનો રસ્તો પોતે નક્કી કરવામાં માનતી આવી છે, માને છે અને માનતી રહેશે. સમાજે ગળામાં બાંધેલ કોલર કે ગળપટ્ટામાંથી એકાદ-બે ક્ષણો પણ જે સ્ત્રીઓ છટકી જઈ શકી હતી અને જેમના માથે પુરુષપ્રધાન સમાજે ‘ખરાબ’નું લેબલ ચોડી દીધું હતી એવી સ્ત્રીઓની વાત આ કવિતામાં આવનાર છે એમ ક્લેરિસાના પુસ્તકમાંથી અભિલેખ તરીકે ટાંકવામાં આવેલ આ અવતરણ આપણને કહે છે. સરળ અને સહજ દૃષ્ટિએ જોઈએ તો શીર્ષક તથા કાવ્યારંભે આવતાં ‘અને’ને જોડી દઈએ તો ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ અને એ અન્ય સ્ત્રીઓ જે…’ એમ વાક્ય સંપૂર્ણ થાય છે. અને એ રીતે ચાવેઝ શીર્ષકનાયિકાની સાથે સમાજની એ તમામ સ્ત્રીઓને સાંકળી લે છે, જે પોતાની પાંખે ઊડવા માંગે છે.

નાયિકા કહે છે, રહસ્યે એની મજ્જામાં ઘર કરેલું છે. ખરી વાત છે. સ્ત્રીથી મોટું બીજું કયું રહસ્ય આ સંસારમાં સર્જાયું હશે? સ્ત્રીનો પાર પામતાં તો દેવોનેય પરસેવો પડી જાય. નાયિકા સ્ટ્રિપટીઝ ડાન્સર છે. પશ્ચાત્ય દેશોમાં ઘણી ક્લબ કે બાર-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના મનોરંજન ખાતર એક કે એકાધિક સ્ત્રીઓ નૃત્ય કરતાં કરતાં પોતાનાં કપડાં લયાત્મક રીતે એક પછી એક ઉતારતી જાય અને અંતે બિલકુલ નિર્વસ્ત્ર થઈને કામુક નૃત્ય રજૂ કરે છે. નગ્ન નૃત્ય કરતી આ સ્ત્રીઓ ગ્રાહકોના ઈશારે એમના ખોળામાં ચડી જઈને પણ અંગભંગીઓ રજૂ કરે છે. નૃત્યાંગનાઓ ગ્રાહકના શરીરને સ્પર્શી-ચૂમી શકે છે પણ ગ્રાહકોને એમના શરીરને –ખાસ કરીને ઊઘાડાં જાતીય અંગોને- હાથ લગાડવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીદેહનો આ નગ્ન નજારો જોનારાંઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કેટલીક ક્લબોમાં સ્ત્રીગ્રાહકોને આકર્ષવા માટે પુરુષો પણ આ પ્રકારનું નૃત્ય કરતા હોય છે. નાયિકા જાહેરમાં વસ્ત્રો ઉતારતાં જતાં પગના અંગૂઠા પર બેલે ડાન્સરની જેમ ગોળ-ગોળ ફરતી હોય છે ત્યારે જોનાર પુરુષોને એનામાં પોતાનો ‘શિકાર’ નજર આવે છે. કેટલીક ક્લબોમાં ગ્રાહક પોતાને ગમી ગયેલી નૃત્યાંગનાને ભોગવવા માટે માલિક સાથે સોદો પાડે છે. નાયિકા સ્ત્રી હોવાની મજબૂરીની પરાકાષ્ઠા રજૂ કરતાં કહે છે કે એ આ નૃત્ય પત્યા બાદ ‘ભોગવાવું’ કોને કહેવાય તે આપણને બતાવી શકશે. પાશાગીરી અને પોપત્વ ઊભા થઈ ચારેતરફ સતત છંટકાવ કરે છે. સરકારી ખાતામાં કે સેનાદળમાં ઉચ્ચાધિકારીની પદવી ભોગવનાર પાશા કહેવાય છે. જે સ્થાન પાશાનું સામાન્ય સમાજમાં એ જ સ્થાન પોપનું ખ્રિસ્તી ધર્મમાં. ધર્મસ્થાન અને સમાજમાં ઊંચુ સ્થાન ભોગવનાર અધિકારીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી. અને નાયિકા કહે છે, કે લખી લો તમે, કંઈ પણ થાય, સ્ત્રીઓનો સ્વાદ માણતા એ લોકોને અંતે તો તમે આછા ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા જ પામશો. એમની શોષણગાથાઓ ધુમ્મસમાં ઢંકાયેલી-છૂપાયેલી જ રહેવાની છે. એ લોકો કદી બેનકાબ થશે જ નહીં. અંગ્રેજી કવિતામાં come to gush શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં comeનો એક અર્થ પરાકાષ્ઠાએ વીર્યસ્ખલન થવું પણ થાય છે. ગુજરાતીમાં come યાને ‘આવવું’નો આવો બીજો અર્થ સંભવ ન હોવાથી ઉત્તેજનાના સંદર્ભમાં ‘ઊભા થવું’ પ્રયોજાયું છે.

કવિતા અહીંથી વળાંક લે છે. જે લોકકથાને ધ્યાનમાં રાખીને એ લખાઈ છે, એ કથા અહીંથી કવિના કથનમાં ભળે છે. એ કહે છે, એ જાતીય શોષણકર્તાઓ એ વાતથી અજાણ છે કે નકાબની પાછળ જે પથારીમાં તેઓ વરુ બનીને સ્ત્રીને ભોગવી રહ્યા છે એ સ્ત્રી પોતે જ વરુ છે. વરુની જેમ આ સ્ત્રી વફાદાર તો ખરી પણ ખતરનાક પણ ખરી. શિકાર થઈ રહી છે, પણ શિકાર કરવા માટે સક્ષમ પણ છે. પોતાની રચનાઓમાં પ્રાણીઓના સ્થાન વિશે કવયિત્રી કહે છે: ‘પ્રાણીઓ હંમેશા મારા કામમાં ખાસ્સા નોંધપાત્ર જ રહેવાના. મારી પાસે એક ભીતર એક જાનવર છે, જે રીતે કેટલાક લોકોની ભીતર એક બાળક હોય છે. મોટા ભાગની આ દુનિયા જંગલી છે, બેકાબૂ છે, અદભુત છે.’

નાયિકા પોતાને તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલોમાં પાંદડાની મધ્યશિરા, બૂટ અને ધાર પર શોધવા માટે આહ્વાન આપે છે. અમેરિકાના લુઇઝિઆના રાજ્યમાં મુખ્યત્વે કળણ વિસ્તારોમાં તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલો ફેલાયેલાં છે. આ વૃક્ષોના થડ નીચેથી ખૂબ પહોળાં હોય છે જેથી કાદવમાં સંતુલન જળવાયેલું રહે અને ૧૦૦ ફૂટથીય ઊંચા વધે છે. આ વૃક્ષોને ચીરીને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોવાથી આ વૃક્ષોની છાયામાં મર્યાદિત જાતિના ફૂલો ઊગે છે. જીવનપ્રકાશ પહોંચવો દુષ્કર હોય એવા ગાઢ જંગલોમાં પુરુષોએ સ્ત્રીઓને મૂકી દીધી છે, જેથી એમનો બહુઆયામી અમર્યાદિત વિકાસ સંભવે જ નહીં. પણ સ્ત્રીને પાંદડાની જેમ મસળી-ચીરી નાંખનાર પુરુષોને સ્ત્રી ચેતવણી આપે છે. એ કહે છે, પાંદડાનો કોઈપણ ભાગ હું હોઈ શકું છું અને પાંદડાં સુદ્ધાંને પણ દાંત હોઈ શકે છે, જે તમને વરુની જેમ ફાડી ખાઈ જઈ શકે છે. સાવધાન! લોકકથાના એક સંસ્કરણમાં વરુ છોકરીને દાદીનું લોહી-માંસ ખવડાવી અજાણતાં માનવભક્ષ કરાવે છે, એની યાદ કરાવતાં નાયિકા સમાજના ઠેકેદારોને ફરી ચેતવે છે.

વરુની જેમ પોતાનું ભક્ષણ કરવા તત્પર પુરુષોના ગાઢ-અંધારા જંગલોની વચ્ચે લિટલ રેડની જેમ નાયિકા પોતાને ચીંધવામાં આવેલો રસ્તો છોડીને દરેક પ્રકારના જંગલી ફૂલોને વીણી રહી છે. એ પોતાનો માર્ગ જાતે પ્રશસ્ત કરી રહી છે. પુરુષોએ જ સર્જેલ પુરુષવાદી માળખાંઓ સમાજમાં સ્ત્રીઓનો સતત ન્યય તોળતાં આવ્યાં છે. તેઓ સ્ત્રીઓનું ‘સારી’ અને ‘નઠારી’માં વર્ગીકરણ કરે છે. સ્ત્રીઓ માટે નીતિનિયમોનું સર્જન કરે છે અને પોતે બનાવેલ આચારસંહિતાઓ એમના માથે ‘તમારા જ ભલા માટે છે’ કહીને થોપે છે. સ્ત્રીઓના વિચારમાત્રથી પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાને કઈ રીતે સંતોષવી એની તાકમાં જ રહે છે. જેમ વરુ લિટલ રેડને ફસાવે છે એ જ રીતે પુરુષો સ્ત્રીઓને યેનકેન પ્રકારે ફસાવવાની અને પોતાની જાતીય વૃત્તિઓ સંતોષવાની, પંપાળવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહે છે. ચાવેઝની આ કવિતા સ્ત્રીઓના યૌનશોષણ, અન્યાય અને અસમાનતા વિરુદ્ધ ઊઠેલ અત્યંત શક્તિશાળી અવાજ છે. સ્ત્રીઓના દમનના કારણો અને પદ્ધતિઓ ઉપર આ કવિતા પ્રબળ કુઠારાઘાત છે. આ કવિતા ઊંચુ નિશાન તાકે છે અને ઊંડો ઘા કરે છે….

ગ્લૉબલ કવિતા: ૧૧૬ : આંસુ – ઉશનસ્

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું!


એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને!

– ઉશનસ્

મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે? બોલો ને ભાઈ !

              આંસુ. આમ જોઈએ તો એક ટીપું જ માત્ર. એનું આયુષ્ય પણ કેટલું? આંખમાંથી સર્યું નથી કે ખતમ. આંગળીનું ટેરવું પણ આખું ભીનું ન કરી શકે એવા નાનેરા આંસુમાં જો કે દુનિયા આખી ડૂબી જાય છે. પહાડ સમા કઠોર નિર્ણયોને પીગાળી નાંખવાની તાકાત આંસુ ધરાવે છે. આંસુએ તો ઇતિહાસ રચ્યા છે અને બદલ્યા પણ છે જગ આખાના. આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા હોય છે તો ક્યારેક કાંટા જેવા નઠોર, તીક્ષ્ણ. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ કાઢી દેતા મોતી સમા મૂલ્યવાન હોય છે તો ક્યારેક સમજણના બારે વહાણના બેડાં ગરકાવ કરી દેનાર હોય છે. ક્યારેક એ બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદીની નદી સમા. ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે, પણ માણસ આંસુ જરૂર સારે છે. આંસુ ઉપર લખાયેલી સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા  કઈ એમ કોઈ પૂછે તો કદાચ ઉશનસની આ કવિતા જવાબમાં સામે ધરી શકાય.

               ‘ઉશનસ્.’ નટવરલાલ પંડ્યા. બીજું ઉપનામ ‘આરણ્યક.’ જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૨૮-૦૯-૧૯૨૦ના રોજ. ગૌડ બ્રાહ્મણ. માતા લલિતાબહેન. પિતા કુબેરભાઈ રણછોડભાઈ પંડ્યા. ચાર ભાઈ અને એક બહેનમાં તેઓ સૌથી નાના. રાશિ મુજબનું નામ ચંદ્રકાન્ત પણ ક્યારે નટવર નામ પડી ગયું એ કવિનેય યાદ નહોતું. બાળપણ વીત્યું રુદ્રમાળના ખાંચામાં. મહેસાણા, સિદ્ધપુર, સાવલી, ડભોઈ, વડોદરા એમ અલગ-અલગ ગામ-શહેરોમાં પ્રાથમિક વિદ્યાભ્યાસ. અભ્યાસ ગુજરાતીમાં બી.એ., સંસ્કૃતમાં એમ. એ., ટીચિંગ ડિપ્લોમા અને હિન્દીમાં કોવિદ. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન એક વર્ષ કોલેજ છોડી દીધી હતી. ૧૯૩૯માં કાલોલના શિવશંકર ભટ્ટની દીકરી શાંતા સાથે લગ્ન. ત્રણ દીકરીઓના પિતા બન્યા. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક અને આકાશવાણીમાં ‘નભોવાણી’ના તંત્રી. નવસારીની ગાર્ડા કોલેજમાં ૧૯૪૭થી ૫૭ સુધી અધ્યાપક રહ્યા બાદ વલસાડને કર્મભૂમિ બનાવી. ૧૯૫૭થી આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપક અને ૧૯૬૮થી શરૂ કરી ૧૯૮૦માં આચાર્યપદેથી નિવૃત્ત થયા. ૧૯ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’માં પ્રગટ થયું અને ૩૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન.’ દોઢ ડઝનથી વધુ કાવ્યસંગ્રહો આપ્યા. ઉશનસની કવિતા અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. પણ સાથોસાથ ગાંધીયુગની કવિતા સાથે પણ તાલમેલ ધરાવે છે. કવિ ઉપરાંત તેઓ સમર્થ વિવેચક, ચરિત્રકાર, નાટ્યકાર અને નવલકથાકાર પણ હતા. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. આ સિવાય અસંખ્ય પારિતોષિકોથી સન્માનિત થયા. નિધન ૦૬-૧૧-૨૦૧૧ના રોજ વલસાડ ખાતે.

              કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. કવિતાને તેઓ એક જાતનું Home coming ગણતા હતા. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. એમની કવિતાઓ પર કાલિદાસ, રવીન્દ્રનાથ, શેક્સપિયર જેવા મહાકવિઓ ઉપરાંત ગાંધીજી, વિનોબા જેવી વિભૂતિઓ અને ઉમાશંકર, બ.ક.ઠાકોર, સુન્દરમ્ જેવા પંડિતયુગ અને ગાંધીયુગના કવિઓનો પ્રભાવ જોવા મળે છે. પણ અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ખાસ તો ગઝલ સામે નાકનું ટોચકું ચડાવવાને બદલે એમણે પોતાની સ્થિતિસ્થાપકતાનો સબળ પુરાવો આપીને બે-ચાર ગઝલો નહીં, આખો ગઝલ સંગ્રહ પણ આપ્યો. ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે. જો કે ગઝલ અને કંઈક અંશે ગીત એમને જોઈએ તેવા હસ્તગત થઈ ન શક્યા, ગઝલ તો ખાસ. ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે એમના વિપુલ સર્જનમાંથી ગઝલ કહી શકાય એવી રચના શોધવું કપરું થઈ પડે છે. સુરેશ દલાલ એમના વિશે લખે છે: ‘ગુજરાતી કવિતામાં ઉશનસની કવિતા વૈપુલ્ય અને વૈવિધ્યથી તો જુદી તરી આવે છે, પણ સવિશેષ જુદી તરી આવે છે એમની ભાષાથી. ઉશનસે કાવ્યનાં અજમાવી શકાય એટલાં બધાં જ સ્વરૂપો અજમાવ્યાં છે. એમની કુંડળીમાં સૉનેટનો ગ્રહ સૌથી પ્રબળ. ઉશનસની કલમ પોતાના વ્યાપમાં અનેક વિષયોને સમાવી લે છે. એમની કવિતામાં જનમપૂર્વેનું કોઈ વિરહનું દર્દ છે અને એમના શબ્દોમાં સંભળાય છે ‘માટીનો ડૂમો.’ કવિએ જીવન અને જગતને છેક છેડા પરથી નહીં પણ મધ્યમાં રહીને સમતોલ દૃષ્ટિથી જોયું છે. ઉશનસ્ એટલે ‘લૂંટવ્યું એટલી લ્હાણ’નો કવિ.’ ધીરુ પરીખ એમને સિસૃક્ષાનો પાતાળઝરો કહી ઓળખાવે છે.  

              પોતે ‘ઉશનસ્’ ઉપનામ શા માટે પસંદ કર્યું એ વિશે કવિએ જાતે કહ્યું હતું: ‘એ જમાનો જ ઉપનામ રાખવાનો હતો. એનાથી પ્રેરાઈને મેં પણ એંક ઉપનામો વિચારેલાં, પરંતુ જ્યારે ‘ગીતા’માં कवीनाम् उशना कविः વાંચ્યું ત્યારે ‘ઉશનસ્’ ઉપનામ ગમી ગયું, રાખી લીધું.’ ગીતાના દસમા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ પોતાનો પરિચય આપતાં અર્જુનને ‘કવિઓમાં હું ઉશના કવિ છું’ એમ કહે છે ત્યારે એ પ્રખર વિચારક, પ્રચંડ મેધાવી અને કુશાગ્ર રાજનીતિજ્ઞ અને અસુરોના ગુરુ એવા શુક્રાચાર્યની વાત કરે છે. ‘ઉશનસ્’ ઉપનામના મૂળ વિશે વિચારીએ ત્યારે કવિની પ્રજ્ઞા કેવી હશે એનો પણ ખ્યાલ મળે છે. ડૉ. અશ્વિન દેસાઈના મતે ‘ઉશનસ્’નો કોશગત અર્થ ભલે ગમે તે હોય પણ, કવિના કાવ્યકોશમાં ‘ઉશનસ્’નો અર્થ થાય છે –વ્યાકુલ વૈષ્ણવ.       

              કવિએ પ્રસ્તુત સૉનેટ માટે વસંતતિલકા છંદ પ્રયોજ્યો છે, જે ૧૪ અક્ષરનો અખંડ રૂપમેળ છંદ છે. ગણ ત, ભ, જ, જ + ગા ગા છે અને લગાત્મક બંધારણ ગાગાલગા લલલગા લલગા લગાગા છે. આઠમા અક્ષરે યતિ આવે છે. બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ આ શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, જેમાં ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક મળીને ચૌદ પંક્તિ બને છે અને abba cddc effe gg પ્રકારની ચુસ્ત પ્રાસયોજના પ્રયોજવામાં આવી છે. ગુજરાતી સૉનેટોમાં ચુસ્ત પ્રાસરચના બહુ ઓછા કવિઓ સફળતાપૂર્વક કરે છે. કવિની ભાષા પરની હથોટી કેવી મજબૂત હશે એ આના પરથી સમજી શકાય છે. કવિતાનું શીર્ષક ‘આંસુ’ સ્વયંસ્પષ્ટ છે. શીર્ષક વાંચતા જ એક ભાવચિત્ર નજર સમક્ષ આવી ઊભે છે.

              આંસુ આમ તો લાગણીની અભિવ્યક્તિની એક ભાષા જ છે, પણ એ આંખોની તંદુરસ્તી માટે પણ એ અનિવાર્ય છે. સજીવજગતમાં માત્ર મનુષ્યની આંખમાંથી જ આંસુ ટપકે છે એમ કહેવાય છે. અશ્રુગ્રંથિઓમાં મૂળભૂત આંસુ (બેઝલ ટિઅર્સ) નિરંતર બનતાં રહે છે, જે આંખમાં આવ્યે રાખે છે પણ આંખ ભીની રાખવા માટે જરૂરી પ્રવાહીથી વિશેષ બનેલું પ્રવાહી આંખ અને નાક વચ્ચેની નળી (નાઝો-લેક્રિમલ ડક્ટ) વાટે ગળાના પાછળના ભાગેથી થઈ પેટમાં ઊતરી જાય છે, એટલે આપણને આંસુનું એકધારું ઉત્પાદન વર્તાતું નથી, સિવાય કે રડવા બેસીએ. આ આંસુ દરેક પલકારા સાથે આંખોને ધોઈને સાફ કરે છે, અને સતત ભીની રાખે છે. આ આંસુમાં બેક્ટેરિયા સામે લડનાર તત્ત્વ હોય છે, જે સારી દૃષ્ટિ માટે અનિવાર્ય છે. પવન, ધુમાડા કે કાંદો કાપતી વખતે આવતાં આંસુ પ્રતિક્ષિપ્ત આંસુ (રિફ્લેક્સ ટિઅર્સ) કહેવાય છે અને જો કે લાગણીના કારણે આવતા આંસુ (ઇમોશનલ ટિઅર્સ)નું રાસાયણિક બંધારણ અલગ હોય છે. એમાં પ્રોટીન-યુક્ત અંતઃસ્ત્રાવોની માત્રા વધુ હોય છે. લાગણીશીલ બનીને રોવાથી તન અને મન –બંનેને લાભ થાય છે. આ આંસુ મન શાંત કરે છે અને આવેશને ઠંડો પાડે છે. આસપાસના માણસો તમને સહારો આપવા પ્રેરાય છે. રડવાના કારણે શરીરમાં ઓક્સિટોનિન અને એન્ડોર્ફિન ઉત્પન્ન થવાથી દર્દ ઓછું અનુભવાય છે. તણાવ ઘટે છે અને મૂડમાં સુધારો અનુભવાય છે. ઊંઘ પણ સારી આવે છે. મોટાભાગના સમાજમાં સ્ત્રીઓ અને બાળકોના આંસુઓ સહજ સ્વીકારાયાં છે પણ પુરુષોનું રડવું અજુગતું ગણાય છે. કેટલાક લેટિન વિસ્તારોમાં પુરુષોનું રૂદન પણ સામાજિક સ્વીકૃતિ પામ્યું છે. પ્રાચીન ગ્રીક કથાઓમાં શિકારને લલચાવવા માટે મગર ખોટાં આંસુ સારતાં હોવાની વાતો આવે છે, જેના પરથી કોઈ ખોટેખોટું રડતું હોય એને આપણે ‘મગરનાં આંસુ’ કહીએ છીએ.

              જો કે આંસુઓની કવિતામાં કંઈ નવું અને મૌલિક નથી. હજારો વર્ષોથી દુનિયાભરના તમામ ભાષાઓના તમામ કવિઓના ઊર્મિકાવ્યોમાં પ્રેમીઓના આંસુઓ અત્યંત છૂટથી અને કવચિત્ તો કંટાળો આવી જાય એ હદે વહેતાં જ આવ્યાં છે ને વળી વહેતાં જ રહેવાનાં છે. હૉમરના ‘ઑડિસી’માં ઑડિસિયસ મૃત્યુશય્યા પર એની માતાને ભેટવા માંગતા ખારાં આંસુઓથી મળતી રાહત ચાખવાની વાત કરે છે. જોન ડનનું અમર કાવ્ય ‘અ વેલિડિક્શન: ઑફ વિપિંગ’ પણ અવશ્ય યાદ આવે. જોન કહે છે કે છૂટાં પડતાં પહેલાં મને રડવા દે, જેથી મારા આંસુ પર તારો ચહેરો છપાઈ જાય અને સાધારણ રીતે વેડફાઈ જવા સર્જાયેલા આંસુ ‘સિક્કા’ બનીને બહુમૂલ્યવાન બની જાય. ગર્ભાશય જેવો આકાર ધરાવતા આંસુ એ પછી પ્રિયાની છાપથી ‘ગર્ભવતાં’ બને છે, દુઃખભર્યાં ‘ફળ’ બને છે, ‘પૃથ્વી’ બની રહે છે, અને અંતે ખારા સમુદ્રની ‘ભરતી’ બને છે, જે પ્રિયાના ચંદ્રથીય અદકેરા ચહેરાને લઈને તોફાને ચડે છે અને નિઃસાસાનો શ્વાસ નાયકને ડૂબાડવા માટે કારણભૂત બની રહેશે એવો અંદેશો કવિ વ્યક્ત કરે છે. ‘મેઘદૂત’માં કાલિદાસ પણ બહુ અદભુત વાત કરે છે:

              मत्संभोग: कथमुपनयेत्स्वप्नजोऽपीति निद्रा-

              माकाङक्षन्तीं नयनसलिलोत्पीडरुद्धावकाशाम्॥ (ઉત્તરમેઘ: ૩૦)

               (કોઈક રીતે સ્વપ્નમાં પણ મારી સાથે સમાગમનું સુખ મળી જાય એ માટે તે ઊંઘ ઇચ્છતી હશે પણ આંખોમાં ઊભરાતાં આંસુઓના કારણે ઊંઘ પણ આવતી નથી.)  

              આંસુની ખારાશ પકડીને કવિ કવિતા આદરે છે. આંસુને સમુદ્રનું લઘુત્તમ સ્વરૂપ ગણાવે છે. સમુદ્રનું જેવું લાવણ્ય છે, એવું જ આંસુનું પણ છે. લાવણ્ય શબ્દ લવણ યાને મીઠાં પરથી બન્યો છે. નામે મીઠું સ્વાદે ખારું છે પણ એના વિના બધી રસોઈ નકામી. સ્વાદનું ઐશ્વર્ય એ લવણનું સૌંદર્ય છે. પ્રામાણિક આંસુઓ અંદરથી આવે છે ને અંતરની સફાઈ કરે છે. પરિણામે રડતી વ્યક્તિ પર વધુ વહાલ આવે છે. માટે જ કવિ આંસુ અને સમુદ્ર વચ્ચેની ખારાશ અને સુંદરતાને લાવણ્ય વિશેષણથી જોડી આપે છે. સ્વાદ અને સૌંદર્ય પછી સમુદ્ર સાથેની આંસુની બીજી સમાનતા વડવાનલની છે. એવું માનવામાં આવે છે કે દરિયાના પેટાળમાં એક આગ ભભૂકી રહી છે. પુરાણોમાં લખ્યું છે કે વડવાનલ કે વડવાગ્નિ એ જળમાંનો પૌરાણિક અગ્નિ દેવતા છે. વડવા એટલે ઘોડી અને અનલ એટલે અગ્નિ. વડવાનલનું મોં ઘોડી જેવું અને શરીર અગ્નિના ભડકા-જ્વાળાઓનું બનેલું છે. સમુદ્રમાં રહીને વડવાનળ એનું જળશોષણ કરે છે. સમુદ્રમાં હોવા છતાં તે ઓલવાઈ જવાના બદલે સદા પ્રજળતો જ રહે છે. વડવાગ્નિ એ વરુણ (જળ) અને અગ્નિ વચ્ચેના મેળનો સંકેત છે. મનાય છે કે સમુદ્રના જળને પીને તે મળદ્વારે કાઢી નાંખે છે અને તે પાણી મીઠું થાય છે, જેને લાવીને મેઘ દુનિયામાં વૃષ્ટિ કરે છે. બૃહસ્પતિની પત્ની તારાના છ પુત્રોમાંનો એક પુત્ર તે આ વડવાનલ. વિભીષણે હનુમાન વડવાનલ સ્તોત્ર પણ રચ્યું છે, જે તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. ‘કુમારસંભવમ્’ના સર્ગ ૮માં કાલિદાસ કહે છે: ‘ज्वलन इव समुद्रान्तर्गतस्तज्जलेषु.’ સમુદ્રના પેટાળમાં રહેલો વડવાગ્નિ એનાં જળ પીને પણ શાંત થતો નથી. આંસુની અંદર પણ એક આગ છે, જે આંખ આંસુઓ સાર્યે રાખે તોય બુઝાતી નથી. કવિ સરખામણીમાં હજી આગળ વધે છે. સમુદ્રમંથનની વાત આવે છે. વિષ્ણુના કૂર્માવતારમાં કાચબાની પીઠ ઉપર મંદરાચલ પર્વત મૂકીને ફરતે નાગરાજ વાસુકિને વીંટાળીને એક છેડેથી દેવો અને બીજે છેડેથી દાનવો અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરે છે. પણ એ તો એક જ વારનું હતું. આંસુનું પેટાળ તાગવા માટે તો દેવો અને દાનવો યુગયુગોથી મથી રહ્યા છે પણ એનું ઘેરું તળ કોઈને હજીય હાથ ચડ્યું નથી… આમ જે આંસુને કાવ્યારંભે સમુદ્રનું લઘુત્તમ રૂપ કહી કવિ કાવ્યારંભ કરે છે એ સમુદ્રને માત્ર ચાર જ પંક્તિમાં આંસુનું લઘુત્તમ રૂપ બનાવી દે છે. આ છે કવિકર્મ! આ છે કવિતા!

              આંસુ સાવ નાનું ટીપું જ છે. નદીને કિનારો હોય, સાગરને, તળાવને કિનારા હોય પણ આંસુને કોઈ કિનારો નથી. પણ તોય એની પાર આજ લગી કોઈ ઊતરી શક્યું હોય એની જાણ નથી. આંસુને તમે આમથી તાગો કે તેમથી, એમાં અહીંથી ઝંપલાવો કે તહીંથી, જ્યાં જુઓ ત્યાં બધે જ તટહીન નરી મઝધાર જ છે. અહીં તો પ્રણયની પેઠે જ ‘ડૂબ્યા છે તે તર્યા સાચા પછી ભવપાર શા માટે’ (રઘુનાથ બ્રહ્મભટ્ટ) જેવી વાત છે. કવિ ફરી આંસુને સમુદ્રથી અદકેરું સ્થાન આપતાં કહે છે કે આંસુ એ ઘૂંટાયેલી ભરતીનું રૂપ છે. સમુદ્રમાં તો ભરતી આવે ને મોજાં કંઠાઓ ધમરોળી નાંખે પણ આંસુ તો ચુપચાપ ટપક્યે રાખે. ભીતર કેટલું ઘૂંટાઈ ભર્યું છે એની સામાને જાણ સુદ્ધાં થતી નથી. ‘પારકી થાપણ’ ફિલ્મમાં લતાના અમર કંઠે અવિનાશ વ્યાસના શબ્દો અમરત્વ પામ્યા છે: ‘આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી.’ કેવી સાચી વાત! ‘દર્દ હો કે ખુશી જીવનની હો, બેયમાં આંખમાં તરે ઝાકળ.’ પારદર્શક હોવા છતાં આંસુનું કારણ જોઈ શકાતું નથી અને આંગળીનું ટેરવુંય ડૂબી ન શકે એવું ટચૂકડું હોવા છતાં આંસુ આપણાં બારે બેડાં ગર્ક કરી શકવાની હિકમત ધરાવે છે. ભલભલી વ્યાકુળતા અને તોફાન આંસુમાં વિલીન થઈ જાય છે. આંખોના સમુદ્ર પર શમણાંની જે તરી બાઝે છે, એનુંય નામોનિશાન આંસુના સાગરમાં બચતું નથી. આપણી સમગ્ર ઇચ્છાઓ, જીવનભરના સપનાંઓ આંસુના વમળમાં ઊં…ડે ગરકાવ થઈ જાય છે. તરીનો એક અર્થ વહાણ, હોડી પણ થાય છે. સપનાંની હોડી આંસુમાં ડૂબી જાય છે એવો અર્થ પણ અહીં લઈ શકાય.

              કાવ્યાંતે કવિ કહે છે કે આંસુ અબોલ ઘન મૌન મુખે ધરીને બેઠું છે. મૌન ઘન એટલે કે ઘાટું, નક્કર, પોલાદી છે એમ કહીએ ત્યાં સુધી તો બરાબર છે પણ અબોલ મૌન? મૌન તો અબોલ જ હોય ને? ને જે અબોલ હોય એને મૌન જ કહેવાય ને? કે માત્ર છંદ સાચવવા માટે વપરાયેલ ભરતીનો શબ્દ ગણી શકાય આને? ના, કવિ મૌનને કદાચ એટલું સઘન બનાવવા માંગે છે કે જેમાં શબ્દનો લેશમાત્ર પણ અવકાશ હોઈ જ ન શકે. આંસુને મુખ આપીને કવિ સજીવારોપણ અલંકાર પ્રયોજે છે અને મુખને તો હોઠ અને ખુલે તો બોલ પણ હોવાના જ. બીજી બાજુ આંસુને હોઠ હોઈ જ ન શકેની વાસ્તવિક્તાનો તંતુ ઝાલીને બોલ જન્મવાની વૈજ્ઞાનિક અશક્યતાનો નિર્દેશ કરીને આંસુનું મુખ ખૂલે તોય એબો અવાજ અબોલ જ રહેનાર છે એમ કહીને મૌનની સઘનતાને ગાઢી બનાવી મૂર્તિમંત કરે છે. પણ રહો! આ અબોલ ઘન મૌન મુખ ધરાવતું આંસુ પાછું અબોલ તો છે જ નહીં. એના પેટમાં તો આખા જીવતરની ભાષા ભંડારાયેલી છે, એ તો આખેઆખો શબ્દકોશ ગળીને બેઠું છે… રડતા પ્રિયજનના આંસુના મુખેથી ઉચ્ચારાતા આ જીવનકોશને સાંભળવાના કાન તમારી આંખ પાસે હોવા જોઈએ, બસ!                   

              યશોધરા પ્રીતિ નામના એક કવયિત્રી आँसू માટે લખે છે કે युग बदलते है, कहानियाँ बदलती हैं, आँखे बदलती हैं, मैं शाश्वत हूँ| જગદીપ ઉપાધ્યાય લખે છે: ‘ફૂલો કોમળતા ડાળીની, માણસની કોમળતા આંસુ.’ ચિનુ મોદી તો આંસુ ઉપર ઇચ્છાના નખની નિશાની પણ ઉકેલી આપે છે. એક જ આંખમાંથી ટપકતાં આંસુ પણ અલગ-અલગ સમયે અલગ-અલગ અર્થ ધરાવે છે. એક જ કુળના હોવા છતાં બે સગી બહેનોના દીકરાઓ કવિ બને અને એક જ વિષય ઉપર કવિતા કરે ત્યારે કેવો ચમત્કાર થાય તે પણ જોવા જેવો છે. કવિશ્રી ઉશનસના મસિયાઈ ભાઈ જયન્ત પાઠકે પણ આંસુ ઉપર સૉનેટ રચ્યું છે. તેઓ કહે છે, આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવીએ. જયન્ત પાઠકનું ‘આંસુ’ માણીએ:

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !