દ્વારકાના મહેલ મહીં જાદવરાય (ગીત) ~ ભૂપેશ અધ્વર્યુ

અતીતની અટારીએ સ્મૃતિ-સમૃદ્ધિ ફાનસની જેમ ઝળાંહળાં હોય છે. આપણે અરીસામાં જોઈએ ત્યારે ઘણી વાર પ્રતિબિંબની પાછળનું અચાનક નજર સામે ઉભરવા લાગે. કૃષ્ણ જો અરીસામાં જુએ તો એને શું દેખાય એનું ભાવપ્રદ અને રસપ્રદ ગીત માણીએ. સ્વરકારોને આગ્રહ નહીં, પણ દુરાગ્રહ સાથે વિનંતી કે આ ગીતનું સ્વરાંકન થાય તો પ્રતિબિંબથી પારાવાર સુધી જવાની કોઈ સૂરમયી કળ અમને ભાવકોને મળે.

 ગીતઃ ભૂપેશ અધ્વર્યુ

દ્વારકાના મહેલ મહીં જાદવરાય
દર્પણમાં દેખતાં કાનજી થાય
રંગમ્હેલટોચપે બેસીને મોરલો
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય

હૈયામાં સરવાણી ફૂટી
ને ઊમટ્યાં, જમનાનાં ખળભળતાં પૂર
કાંઠે કંદબડાળ ઊગી
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર

ઝરૂખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટે ને બધે માખણ વેરાય

દર્પણની બ્હાર જદુરાય
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી
બ્હારની રુકીમણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.

હોઠની વચાળે હાં, બંસીનું નામ મૂકી
રોતી રાધિકાનું મુખડું દેખાય
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.

***

હરિનો મારગ છે શૂરાનો ~ કવિ: પ્રીતમદાસ ~ સ્વરાંકન: દિવીજ નાયક, મુંબઈ ~ સ્વર: શાન

  1. ક્લાસિક કવિતાને આધુનિક અવતારમાં રજૂ કરવાનો એક પ્રયાસ એટલે દિવીજ નાયકનું “અલખ” આલબમ, જે ૨૦૧૮માં રજૂ થયેલું. એનો એક કાર્યક્રમ અંધેરી ભવન્સમાં થયો એમાં નિમિત્ત બનવાનો અલખ સંતોષ પ્રાપ્ત થયેલો. ભાઈ દિવીજ નાયક યુવાન, તરવરતો, સુસજ્જ, કર્મઠ, નિષ્ઠાવાન, સંવેદનશીલ અને કવિતાની સમજ ધરાવતો સ્વરકાર-ગાયક છે. પોતે સંગીત શિક્ષક પણ છે. `કોશેટો’ નાટકમાં એના સ્વરમાં રજૂ થયેલા ગીતો નાટકનો એક મહત્ત્વનો હિસ્સો બન્યા છે.

અત્યારે “અલખ” આલબમમાંથી એક ગીત માણીએ. પ્રાચીન કવિતાને અર્વાચીન અભિગમથી રજૂ કરવાનો સુંદર પ્રયોગ આ આલબમના સ્વરાંકનોમાં થયો છે.

~ કવિ: પ્રીતમદાસ
~ સ્વરાંકન: દિવીજ નાયક
~ સ્વર: શાન

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

(કવિપરિચય અને શબ્દાર્થ સાભાર)
https://layastaro.com/?p=327

~~~

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

https://tahuko.com/?p=19448

નૃત્યાંગના (ગઝલ) ~ લિપિ ઓઝા

નૃત્યાંગના

થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના
હોય જ્યાં, સર્જે છે ત્યાં ખુદની ખલક નૃત્યાંગના

શ્વેત વસ્ત્રોમાંય એ આભા બહુરંગી રચે!
ચીતરે છે લાસ્યની ક્યાંથી ધનક નૃત્યાંગના?

કૈક જન્મોની તરસ ભાંગે એ કેવળ જળ નથી!
દ્રષ્ટિમાં રાખે છે અમૃતની મશક નૃત્યાંગના

પાનીએ ચોંટી રહ્યા રજકણ ખરે છે ઠેસથી
ભૂતળે પ્રસરાવતી થોડું ફલક નૃત્યાંગના

તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે
કોઈની કઠપૂતળી છે કે સનક નૃત્યાંગના

થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં
જિંદગીને મોતનો સમજે ફરક નૃત્યાંગના

‘દેણ ઈશ્વરની’ એ શબ્દો ન્યાય પૂરો ક્યાં કરે
યુગ યુગાંતરના પરિશ્રમનો પદક નૃત્યાંગના

~ લિપિ ઓઝા

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી (ગઝલ) ~ હેમંત કારિયા ~ સ્વરકાર: પરેશ નાયક ~ સ્વર: પ્રહર વોરા

~ શાયર: હેમંત કારિયા
~ સ્વરકાર:
પરેશ નાયક
~ સ્વર:
પ્રહર વોરા

 

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી,
ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી.

વચન છે આપવા માટે વચનને આપતા રહીશું,
કદી વચનો નહીં પાળે મજા તારી, મજા મારી.

અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો-
ગણું કેવી રીતે કહી દે દવા તારી, દવા મારી.

રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને,
અગર ભેગી થઈ જાએ કલા તારી, કલા મારી.

તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું,
ગઝલમાં છે જુદી જુદી જગા તારી, જગા મારી.

શાયર: હેમંત કારિયા, મુંબઈ

ગૂણિયો માપે ને છેણી રેગતી (ગીત) ~ જસુભાઈ શાહ ~ નોંધ: એક વિશેષ અને વિશિષ્ટ ગીત

જો પ્રસ્તુત ગીત તમને પહેલી વારમાં જ સમજાય, તો તમારે જ તમને એક મિલિયન લીલાકુંજાર અમેરિકન ડોલર્સ (આજની તારીખે રૂપિયા ૮ કરોડ, ૯૧ લાખ, ૬૨ હજાર, ૯૫૦ પૂરા) આપવાના રહેશે, કારણકે અમારી પાસે ફંડ નથી.

અમારે તો ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના ઉપક્રમે આખા અમેરિકામાં માતૃભાષાના સંવર્ધન અર્થે ઘણું ઘણું કામ કરવાનું છે. એટલે અમારી સામે મોટી ટાસ્ક સરસ્વતીને સાચવવા સૌપ્રથમ તો લક્ષ્મીદેવીને રિઝવવાની છે.

ખેર, ગીત તરફ વળીએ. ઓજારોને પરોવીને અનેરી ભાવછાયા અને અર્થચ્છાયા નિરૂપતાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પ્રસ્તુત ગીતમાં અનેક નવા શબ્દો જડશે. એમાંથી કેટલાક શબ્દનો અર્થ ગીત પતે પછી મૂક્યો છે છતાં કેટલાક શબ્દનો અર્થ અમને ખબર નથી. તો એ સમજાવવાની જવાબદારી સુજ્ઞ વાચકની છે. વાત આખરે તો ઓજારથી ઉદ્ધાર તરફની થાય એની મહત્તા છે. – સંપાદકઃ હિતેન આનંદપરા.

ગીત ~ જસુભાઈ શાહ

ગૂણિયો માપે ને છેણી રેગતી
      ચોપેણ વાઢે ધારોધાર.
નજરે લાધે ના એવા ખાંચકા
સમતલ સટામરની ચાલ
હળવો હવાનોયે ભાર
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

ધાર્યું દાબે રે ફુલેલ રેખમાં,
     ભીડમાં ઝટ અટપૈ જાય,
છૂટા રે છેડાને સાંધે ગ્યાસથી,
સાંધે કોઈ વીજળીને તાર
જડે કોઈ રીવેટ્યું’ની હાર – ઘણ રે.

ચાર ચાર મેલી વચમાં છાજલી,
જડિયો પાંચમે ભંડાર,
પડખે બાયે ને જમણે ભોપલાં
હેઠળ ગુપત ડંભાર,
જેમાં હાટિયાનો સાર – ઘણ રે.

કઈ રે જણસ્યુંને કાજે વ્હોરશે?
મનમાં કશી રે ગડભાંજ!
ધન રે કામેલાં કોરે ભરતિયે
અતલસ ગજી ને કિનખાબ,
આણે આવેલો અસબાબ – ઘણ રે.

મૂઢ રે મમતાથી માયા જાળવે
જતને જૂઠના ઉચાટ,
રઝળે રતન, કટકા કાચના
કાજે કળના કબાટ,
ભોગળ ભીડેલાં કમાડ – ઘણ રે.

વાયુને અણસારે થર થર કાંપતા
જેણે ઠઠારી ઠકરાત
મનની મંજૂષા ભરચક ઠાલવી
રાખે રામની મિરાત,
તેને સાથરે નિરાંત.
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

(ગૂણિયોઃ કાટખૂણો. રેગતીઃ રેખા આંકતી, ચોપેણઃ લોખંડ કાપવાનું ચોરસ હથિયાર. સટામરઃ પતરાં સમતલ કરવાનું સાધન. ફુલેલઃ ધાર વાળવા માટેનું સાધન. ભીડઃ પ્રેસ (પતરાં વાળવાનું યંત્ર). ભોપલુંઃ પડખેનું ખાનું.)

સુજ્ઞ વાચકોને નીચેના શબ્દોના અર્થ જણાવવા /
આ ગીત વિશે પ્રતિભાવ આપવા વિનંતીઃ

શબ્દો :  છેણી, રીવેટ્યું, ડંભાર, હાટિયા

મન ન માને (ગઝલ) ~ હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ 

હેમેન શાહની ઘણી ગઝલો પ્રખ્યાત છે. દા.ત. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. એવી જ રીતે નીચે રજૂ કરેલી ગઝલ શાયરની પણ પ્રિય છે અને શ્રોતાઓની પણ પ્રિય છે. હેમેનભાઈની સિગ્નેચર ટ્યુન ગઝલ કહી શકાય.

આ ગઝલનું મનહર ઉધાસે `અક્ષર’ આલબમમાં લીધેલું સ્વરાંકન મોટે ભાગે સાંભળવા મળે છે.

https://tahuko.com/?p=3785

આલાપ દેસાઈએ પણ એનું સુંદર સ્વરાંકન કર્યું છે.

https://aapnuaangnu.com/2021/12/25/man-na-mane-gazal-hemen-shah-alap-desai-gargi-vora/

પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન માણીએ, જેની વિશેષતા એ છે કે આ પિયુ અને પાર્થિવનું મેલ ડ્યુએટ છે. ગુજરાતી સુગમ સંગીતમાં મેલ ડ્યુએટ બહુ ઓછા મળે છે. સ્વરાંકનમાં થોડાક શેર લેવાયા છે, પણ વાચકો માટે આખી ગઝલ મૂકી છે.

 

શાયર: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર:  પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ
આલબમ: દીવાન-એ -ખાસ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

***

તારા ગણવાથી રાત પૂરી ન થાય ~ કવિ: રમેશ પારેખ ~ સ્વરાંકન: ઓજસ ભટ્ટ ~ સ્વર: દિવીજ નાયક

ગુજરાતી નાટકોમાં ગીત-સંગીતનો પ્રયોગ હવે ઓછો થઈ રહ્યો છે. એક સમયે કાંતિ મડિયા પેતાના નાટકમાં વાર્તાને અનુરૂપ ગીતો રાખતા. ચંદ્રકાંત શાહ (ચંદુ)ના નાટકોમાં પણ ગીતોનું એક આગવું આકર્ષણ રહેતું.

મુંબઈમાં પ્રતિભાવંત દિગ્દર્શક પ્રીતેશ સોઢા દિગ્દર્શિત, મંથન જોશી લિખિત ‘કોશેટો’ નાટકમાં રમેશ પારેખની કવિતાઓનો સઘન અને સંવેદનશીલ વિનિયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ નાટકમાં રમેશ પારેખ એક અગત્યના પાત્ર તરીકે પણ તખ્તા પર છે. ર.પા.ની કવિતાના પ્રેમમાં નાયિકા પરિમિતિ શાસ્ત્રી  છે. (લાજવાબ અભિનયઃ સેજલ પોન્દા)

જેના ૨૫  પ્રયોગ થઈ ચૂક્યા છે એવા ‘કોશેટો’ નાટકમાં સમાવિષ્ટ ગીતોમાં શબ્દો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે એનો વિશેષ આનંદ છે.
***

કવિ: રમેશ પારેખ
~ સ્વરાંકન: ઓજસ ભટ્ટ
~ સ્વર: દિવીજ નાયક

તારા ગણવાથી રાત પૂરી ન થાય
હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય

એકલવાયા રે સખી, ઘરના રહેવાસ
એમાં આવા ને આવા ઉજાગરા
ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા

લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય
હું તો પગલે પગલે રે સાવ તૂટું
કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય
હવે એવા દિવસો કે હું જ ફૂટું
આથમણી મેર ડૂબે સૂરજ છતાંય મારે
રોમ રોમ તડકાઓ આકરા (૨)

કોડને કમાડ કદી ઘૂંટેલાં લાભશુભ
રાતુંચટ્ટાક હજી જાગે
ઓસરીમાં આભલાંનું તોરણ
તે કોઈ એક આવે તો કેટલાય લાગે!
ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ
થઈ જાતા જોયાના કાંગરા (૨)

ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક
મારાં લોચનમાં મ્હોર્યા છે ખાખરા

(૩૦-૧-૧૯૭૦)

સગપણ સાહિત્યનું – ટહુકો અને આપણું આંગણું સંયોજિત

ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના સંયુક્ત ઉપક્રમે
🔹ઉજવણી કાર્યક્રમ: ૧

https://www.youtube.com/live/zyETyebEAs4?si=QikpED7FjxATEeuV

વક્તા: મણિલાલ હ. પટેલ
વિષય: સગપણ સાહિત્યનું
📍રવિ. ૧૬ નવે. ૨૦૨૫
📍 રાત્રે ૮.૩૦ (ભારત)

કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા  – ઉદયન ઠક્કર

ખમીસમાં ચટાપટા પપ્પા, હું તો વાઘ
જીવ હોય વહાલો તો અહીંયાંથી ભાગ !

ત્રણ મારા ખાસ દોસ્તઃ રામ, નટુ, રિંગો
તમારે થવું છે મારા ભાઈબંધ ? ડિંગો !

મમ્મી પૂછે, જોઈએ કે તાજો તાજો નાસ્તો ?
હરખાઈને હું બોલું, હાજી, હાજી, હાસ્તો !

ચારેબાજુ ચપોચપ ચોપડાનો થપ્પો
કાં તો હશે છાપાંવાળો, કાં તો મારો પપ્પો !

કોઈ શાક ભલાં-ભોળાં, કોઈ શાક લુચ્ચાં…
કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા !

– ઉદયન ઠક્કર

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત

‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.

શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.

‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.

મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં મોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.

શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.

સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.

પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.

કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.

જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.

એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.

શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-

શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,

અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.