Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૨૦૨ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા મેં કનકવરણા દેશ બહુના,
અને જોયા છે, હા, મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેસ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આંદામાન ટાપુના જંગલોમાં વિકસિત માનવજાતથી વિખૂટી જિંદગી જીવતા જારવાને અચાનક ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લઈ આવવામાં આવે તો એની શી હાલત થાય? કે પછી અસીમ રણમાં ભૂલા પડેલા માણસને જિંદગીની આખરી ક્ષણોમાં હર્યોભર્યો રણદ્વીપ જડે ત્યારે એ શું અનુભવે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા ઉત્તેજનાની કઈ ચરમસીમાએ હશે, કહો તો! શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજનાનો સાક્ષાત્કાર છે.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. માતાએ બાળકોને નાનીના ઘરે મોકલીને બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. જે જમાનામાં ૫૦ પાઉન્ડમાં આખું વરસ જીવી શકાય એ જમાનામાં ૨૦૦૦ પાઉન્ડનો જંગી વારસો એમને નાની તરફથી મળ્યો હતો, પણ ટ્રસ્ટીએ આજીવન એમને આ બાબતથી અજાણ રાખી એ ભોગવવા ન દીધો. બેએકવાર પ્રેમમાં પડ્યા. લગ્ન સુધી ન પહોંચી શક્યા. ૧૮૧૪માં પ્રથમ કાવ્ય લખ્યું. ૧૮૧૭માં પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. અનુવાદક પણ અવ્વલ દરજ્જાના. ‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ કવિની હયાતીમાં કવિની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ ગણાય છે. માત્ર ચોપ્પન જ કવિતાઓ લખી. પણ અલ્પાયુ અને ગણતરીના કાવ્યોમાંય ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે જે ઊંડું, અધિકૃત અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી. કિટ્સની કવિતાઓને જોઈએ ત્યારે સમજાય કે ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, ‘સ્વ’ ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

કવિતાનું શીર્ષક અહીં સાચા અર્થમાં કાવ્યઘરમાં પ્રવેશવા માટેની કૂંચી બન્યું છે. ‘ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં’ એ શીર્ષક ધ્યાનબહાર હોય તો સૉનેટ સમજવું દોહ્યલું થઈ પડે એમ છે. બહુધા અંગ્રેજી સૉનેટોની જેમ જ આ સૉનેટ પણ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના આ પેટ્રાર્કન શૈલીના સૉનેટમાં કિટ્સે એવી સહજતાથી નિભાવી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં શિખરિણી છંદમાં સ્વરાંત પ્રકારની પ્રાસરચના અલગ રીતે કરી છે. એમનેમ કંઈ આ સૉનેટ ઓગણીસમી સદીના શ્રેષ્ઠતમ સૉનેટોમાંનું એક નથી ગણાયું. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા, ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે, પહેલાં એને સમજીએ..

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈપણ . મોટાભાગના એને હોમર નામના કવિના સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ કળાઓને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટની શરૂઆત કથક પોતે કરેલા પ્રવાસો વિશે વાત માંડતો હોય એમ થાય છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે છે. શીર્ષક ધ્યાનમાં રહે તો એ ખ્યાલ પણ આવે કે આ વાત આખરે તો સાહિત્યની સ્વર્ણભૂમિની છે. કથકે આ સ્વર્ણભૂમિઓના ઘણા પ્રવાસ કરી ચૂક્યા છે. નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો જોઈ ચૂક્યા છે. કવિઓ જેને એપોલોના ટાપુ કહી વખાણ કરતાં થાકતા નથી એવા પશ્ચિમના અગણિત ટાપુઓ પણ તેઓ ફરી આવ્યા છે. કવિએ એપોલો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, કેમકે એ સંગીત-કવિતા, સૂર્ય અને પ્રકાશ વિ.નો ગ્રીક દેવતા છે. સ્વર્ણભૂમિ, નાના-મોટા રાજ્યો અને અગણિત ટાપુઓનો પ્રવાસ અર્થાત્ કવિ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી પસાર થઈ ચૂક્યા છે. મહાજ્ઞાની હોમરના વિશાળ રાજ્ય વિશે, એના અજરામર સર્જન વિશે પણ કથક જ્ઞાત છે, પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેને કરેલ અનુવાદ વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સનાતન સત્ય ઉજાગર કરે છે. જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. સવારે બે માઇલ દૂર પોતાના ઘરે ગયા. સૉનેટ લખ્યું અને દસ વાગ્યે તો ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું. નખશિખ ઉત્તેજના અને અદમ્ય પ્રેરણાના પરિપાકરૂપ સૉનેટમાં કિટ્સે પાછળથી બહુ ઓછા સુધારા કરવા પડ્યા.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! ચેપ્મેનનું હોમર પહેલીવાર વાંચતીવખતે કવિને આવો જ રોમાંચ થઈ રહ્યો છે. પ્રથમ અનુભૂતિના રોમાંચની વાત કવિ સૉનેટમાં આગળ વધારતાં કોર્ટેસને યાદ કરે છે. હેર્નાન કોર્ટેસે ૧૫૧૯માં સદીમાં મેક્સિકો જીતી પહેલવહેલીવાર મેક્સિકોની ખીણના દર્શન કર્યા હતા. વાસ્કો બાલ્બોઆ ૧૫૧૩ની સાલમાં પનામાની સંયોગીભૂમિ ઓળંગીને ડેરિયન પર્વત પરથી પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોનાર પ્રથમ યુરોપિઅન હતો. વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’નો અભ્યાસ કરનાર કિટ્સે સૉનેટ લખતી વખતે આ બે હકીકતોની ભેળસેળ કરી નાંખી હતી. સૉનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેસને ડેરિયન શિખર પર ચડીને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. તગડો બળુકો કોર્ટેસ (હકીકતમાં બાલ્બોઆ) યુરોપિયન સમુદાય માટે આજસુધી અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર ફેંકે છે ત્યારે હર્ષાવેશમાં એની વાચા હરાઈ જાય છે. એનું સૈન્ય પણ આ અનુપમ દૃશ્ય જોઈ પરસ્પર અટકળભરી નજરોથી જોઈ રહે છે. સહુની વાચા હરાઈ ગઈ છે એમ કિટ્સ લખે છે. હકીકતમાં બાલ્બોઆ અવાક્ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે કેમ એની માહિતી નથી. સૂર્યમાળાનું અગોચર રહસ્ય આકસ્મિક છતું થાય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોનો અનનુભૂત સાક્ષાત્કાર થાય એ જ રીતે હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડ્યો. ઉત્તેજનાની આ સર્વોત્કૃષ્ટ પળને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક પહેલીવાર વાંચતીવેળાએ જે નવીનતમ આનંદ અનુભવાય, માત્ર એ જ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અજાણ્યો પ્રદેશ જીતી જવાતા જીતનો, મગરૂરીનો, તાકાતનો જે સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. આ ચાવીઓ હોમરની કવિતાની લાક્ષણિકતાઓ બખૂબી ઊઘાડી આપે છે. હોમરના મહાકાવ્યો સોનાની ખાણ જેવા અમૂલ્ય છે, ઉમદા છે, જ્ઞાનના અખૂટ ભંડારભર્યાં છે. એનો સાચો મર્મ જાણવો હોય તો ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર જોઈએ. ટૂંકમાં, કોઈ પણ કાવ્યનો સાચો આસ્વાદ એની ઠેઠ ભીતર ઉતર્યા વિના, ભાવકની સર્વાંગ સજ્જતા વિના સંભવ નથી. અને ભાવક પોતાનું સો ટકા આપે તો અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય એ પણ સુનિશ્ચિત છે. હોમરના કાવ્યાનુભૂતિ નિમિત્તે કિટ્સ આપણને કાવ્યાસ્વાદની સાચી કૂંચી ગોતી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેસ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તો તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück


અકિલીઝનો વિજય

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્ત્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)


પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ એ જ ખરો વિજય

મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર જ દિવસ ચાલ્યું હતું, પણ જનમાનસ પરનો એનો કબ્જો સમયાતીત છે. મહાભારતની કથા અને પાત્રો દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં સદીઓથી દેખા દેતાં આવ્યાં છે. આપણે ત્યાં મહાભારતનું જે મહત્ત્વ છે, એથીય અદકેરું મહત્ત્વ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીક પુરાણકથાઓમાં વર્ણવાયેલ, ઈસુથી બારસોએક વર્ષ પહેલાં થઈ ગયેલા ટ્રોયના યુદ્ધનું છે. અઢાર દિવસીય મહાભારતથી વિપરીત આ યુદ્ધ દસ-દસ વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ સાથે પણ અસંખ્ય પાત્રો, કથાઓ અને ઉપકથાઓ અવિનાભાવી સંબંધે જોડાયાં છે અને સદીઓથી વિશ્વભરના દેશોમાં તમામ કળાઓમાં આ પાત્રો-કથાઓ-ઉપકથાઓ સતત આલેખાતાં આવ્યાં છે. ભાગ્યે જ એવી કોઈ ભાષા હશે, જેનું સાહિત્યજગત આ યુદ્ધકથાઓ અને પાત્રોથી અભિભૂત નહીં થયું હોય. લૂઈસની પ્રસ્તુત રચના પણ આ જ યુદ્ધકથાના મહાનાયકથી પ્રેરિત છે.

લૂઈસ એલિઝાબેથ ગ્લિક. ઘણાં ગ્લુક બોલે છે, પણ Glück (/ɡlɪk/)નો સાચો ઉચ્ચાર ગ્લિક છે. ૨૨-૦૪-૧૯૪૩ના રોજ ન્યૂયૉર્કમાં જન્મ. નાની વયે કાવ્યલેખન શરૂ કર્યું. ટીનએજમાં તેઓ એનોરેક્ષિયા નર્વોસા નામની બિમારીથી પીડાતાં હતાં. એ હદે ભૂખમરો કરતાં કે મૃત્યુ ન થઈ ગયું એ જ નવાઈ. મોટાભાગે તરુણીઓને થતી આ માનસિક બિમારીમાં જાડા થઈ જવાના ડરથી યુવતીઓ ખોરાક એકદમ ઓછો કરી દે છે અને વખતોવખત ખાધા પછી ઊલટી કરી નાંખે છે. ગ્લિક ‘ડેડીકેશન ટુ હંગર’માં લખે છે: ‘મૃત્યુનો ડર, ભૂખ પ્રતિ સમર્પણનું રૂપ ધારણ કરે છે, કેમકે સ્ત્રીનું શરીર એક કબર છે; એ કંઈ પણ સ્વીકારશે. મને યાદ છે રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મૃદુ, લચી પડતાં સ્તનોને અડવું, અડવું, પંદરમા વર્ષે, એ આડે આવતાં માંસને જેને હું કુરબાન કરી દઈશ, જ્યાં સુધી અંગો મહોરવા અને છલનાથી આઝાદ ન થઈ જાય.’ આ બિમારીની સારવાર માટે એમણે સ્કૂલ છોડી દેવી પડી હતી. આ જ કારણોસર, કોલેજ અને યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ ભણ્યાં અને એ પણ કવિતાના ક્લાસિસમાં જ. આ ગાળામાં કવિતાઓ સામયિકોમાં પ્રગટ થવા માંડી. ૧૯૬૭માં ચાર્લ્સ હર્ટ્ઝ જુનિઅર સાથે લગ્ન. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ. ૧૯૭૧થી કોલેજમાં કવિતા શીખવવું શરૂ કર્યું. ૧૯૭૭માં જોન દ્રેનાવ સાથે બીજા લગ્ન. ૧૯૯૬માં છૂટાછેડા. હાલ તેઓ યેલ યુનિવર્સિટીમાં નિવાસી લેખક છે અને કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ ખાતે રહે છે. ૨૦૦૩-૦૪માં અમેરિકાના રાજકવિ. ૧૯૯૩માં પુલિત્ઝર અને ૨૦૨૦માં નોબેલ પારિતોષિક. આ સિવાય અસંખ્ય પારિતોષિકો અને ઈનામ-અકરામથી નવાજિશ.

નોબેલ પારિતોષિક એનાયત કરતી વખતે કમિટિએ ‘એમની નિર્ભ્રાંત કાવ્યબાની’ વિશે કહ્યું હતું કે, ‘એ સંયમિત સૌંદર્ય વડે વૈયક્તિક અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.’ ગ્લિકે પ્રતિભાવમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે મને આ પુરસ્કાર આપતી વખતે, સ્વીડિશ અકાદમી એવા અંતરંગ, નિજી અવાજનું સન્માન કરવાનું પસંદ કરી રહી છે, જેને સાર્વજનિક રૂપથી ક્યારેક સંવર્ધિત અથવા વિસ્તારિત કરી શકાય છે, પણ કદી બદલી શકાતો નથી.’ ગ્લિકની કવિતાઓ જાણે કે અસંખ્ય ટુકડાઓમાં વહેંચાયેલી એમની આત્મકથા જ છે. શબ્દોની કરકસર અને ઉત્તમ કળાકૌશલ્ય ઊડીને આંખે વળગે છે. અકલ્પનીય ભાષાપ્રભુત્વ અને છંદોલયની અનૂઠી સમજના કારણે તેઓ અલગ તરી આવે છે. બગીચાના ફૂલોથી લઈને ગ્રીક પુરાકથાઓના અમર પાત્રો –આ બધું જ લૂઈસની આત્માનુભૂતિ સાથે એકાકાર થઈને નવોન્મેષ ધારે છે. આઘાત, પીડા, મૃત્યુ, નિષ્ફળ માનવસંબંધો, એકલતા, જીવનની વિહ્વળ કરી દેતી વાસ્તવિકતા વગેરેના ગાઢા ભૂખરા રંગની અડખેપડખે બાળપણ, પુનર્જન્મ, ઉપચાર અને નવીનીકરણની રૂપેરી કોર એમના સર્જનમાં જોવા મળે છે. એમની મોટાભાગની કવિતાઓમાં બે પંક્તિ વચ્ચે અવકાશ રહેલો છે, જેને ભાવકે પોતાની મેળે ભરવાનો છે. ભાવક સજ્જ ન હોય તો કવિતા હાથમાંથી સરી જવાનું ભયસ્થાન જે લૂઈસમાં છે, એટલું જૂજ કવિઓમાં જ જોવા મળે છે. આંખ મીંચીને કોઈપણ કવિતા ઊપાડો, ગ્લિકની કારયત્રી પ્રતિભા આંજ્યા વિના નહીં રહે એની ગેરંટી. એમની કવિતા કાળજીપૂર્વક કોઈક કેન્દ્રબિંદુની આસપાસ પરિભ્રમણ કરતી જોવા મળે છે. વાઇલ્ડ આઇરિસમાં કવિના ઘરનો બગીચો આપણી સાથે વાતો કરે છે. એવર્નો અને ટ્રાયમ્ફ ઑફ અકિલીઝની કવિતાઓ ગ્રીક પુરાકથાના પાત્રોની આસપાસ વણાયેલ છે, એવર્નોમાં આ કથાઓ મા અને પ્રેમી વચ્ચેની દલીલોનું સ્વરૂપ લે છે તો અકિલીઝમાં એ કથાઓને સર્વકાલીન સ્વરૂપ આપે છે. અરારતની કવિતાઓ આત્મકથનાત્મક છે. ગ્લિકના દરેક સંગ્રહમાં કવિતાઓ અલગ-અલગ સ્વરૂપે પ્રગટે છે.

‘ધ ટ્રાયમ્ફ ઑફ અકિલીઝ’ કવયિત્રીના એ જ નામે ૧૯૮૫માં પ્રગટ થયેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય છે. કવયિત્રીએ બે પંક્તિથી લઈને સાત પંક્તિઓવાળા પાંચ હિસ્સામાં આ અછાંદસ કવિતાને વહેંચી છે. આખરી બે હિસ્સામાં દેખાતા અપૂર્ણાન્વય ચરણ સિવાય બધે બંધ બદલાવાની સાથે વાક્ય પૂર્ણ થાય છે. કાવ્યપ્રવેશ કરતાં પહેલાં અકિલીઝ અને ટ્રોયના યુદ્ધ (ટ્રોજન વૉર) વિશે જાણી લઈએ. હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. અન્ય કથાઓ મુજબ એ એનો પ્રેમી પણ હતો. એ જમાનાના ગ્રીસમાં પોતાનાથી ઘણી નાની વયના છોકરાઓ સાથે પુરુષોના પ્રેમસંબંધ સામાન્ય હતા. શેક્સપિઅરના નાટક ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં પણ બંનેનું ચિત્રણ પ્રેમીઓ તરીકે જ કરાયું છે.

ટ્રોયના યુદ્ધની વાત કરીએ તો, ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસ (Menelaus)ની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં મેનોલેઅસે આ કામ પોતાના ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસ (Brisēís)નો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ પેટ્રોક્લસ અકિલીઝની સલાહ વિરુદ્ધ ટ્રોયના યોદ્ધાઓને પીછેહઠ કરાવીને સંતોષ માનવાના બદલે એમની પાછળ પડ્યો, અને અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો અને એને એડીથી પોતાના રથ પાછળ બાંધી દઈ યુદ્ધના નિયમો વિરુદ્ધ ઘસડીને પોતાના કેમ્પ સુધી લઈ આવ્યો. દસ વર્ષ લાંબા આ યુદ્ધનો અંત ગ્રીક લોકોના ઝૂકી જવાના નાટક અને લાકડાના વિશાળકાય ઘોડાની ટ્રોયજનોને ભેટ આપવા સાથે આવ્યો. ઘોડાની અંદર છૂપાયેલા મહારથીઓ અભેદ્ય ટ્રોયને અંદર ઘૂસીને તહસનહસ કરી નાંખ્યું. યુદ્ધ સમાપ્ત થયું.

હૉમરના વિશાળ મહાસાગરમાંથી ગ્લિકે તો એક બુંદ જ ઊપાડ્યું છે પણ એ વાતને જે આયામ બક્ષે છે એ કવિતાને નખશિખ આસ્વાદ્ય બનાવે છે. કવિતાનું શીર્ષક અકિલીઝનો વિજય છે, પણ શરૂઆત ‘પેટ્રોક્લસની વાર્તા’થી થાય છે. ગ્લિક કહે છે, પેટ્રોક્લસની વાર્તામાં કોઈ જ બચતું નથી. અકિલીઝ, જે લગભગ યુદ્ધનો દેવતા ગણાતો હતો એ પણ આ મૃત્યુ પામે છે. અકિલીઝના વિજયને પેટ્રોક્લસની વાર્તાનું નામ આપીને ગ્લિકે મિત્રતાનો મહિમા કર્યો છે. અકિલીઝના બખ્તરની નીચે બીજું કોઈ છે એનો ખ્યાલ યોદ્ધાઓને આવે એ પહેલાં તો અકિલીઝની આભા ઓઢીને પેટ્રોક્લસે શત્રુસેનાને આંધીની જેમ ધમરોળી નાંખી. પેટ્રોક્લસ દેખાવે અકિલીઝને મળતો આવતો હતો એમ કહીને કવયિત્રી પુરાકથાની હકીકતનું સમર્થન કરે છે. અકિલીઝ દેવતા તો નહીં, પણ લગભગ દેવતા જ હતો. એ દરિયાની દેવી થીટિસ અને પીલિયસનો પુત્ર હતો. અકિલીઝ એના જમાનામાં દેવતાઓની જેમ જ અમર અને અજેય યોદ્ધા ગણાતો હતો. ગ્લિક આગળ ‘લગભગ’ મૂકીને અકિલીઝને દેવતાઓથી અલગ તારવી આપે છે.

મિત્રતાનો આડકતરો મહિમા કરી લીધા બાદ ગ્લિક સીધી વાત કરે છે. કહે છે, આ પ્રકારના મૈત્રીસંબંધોમાં સામાન્યતઃ બંને જણ એકબીજાની સેવા કરતા જ હોય છે, બંને જણ એકમેકને જરુર પડ્યે કામ આવતા જ હોય છે, પણ આ સેવા સમાન સ્તરે કદી હોતી નથી. મિત્રતા ગમે એવી ભવ્ય કેમ ન હોય, પદાનુક્રમ હંમેશા દેખીતો જ હોવાનો. કૃષ્ણ અને સુદામાની દોસ્તીના દાખલા આપણે કાયમ ભલે ને દોસ્તીની ભીંત પર ટાંગીને કેમ ન રાખીએ, બંને વચ્ચેનો તફાવત કદી ભૂલતાં નથી. પેટ્રોક્લસ વયમાં તો અકિલીઝ કરતાં ખાસ્સો મોટો હતો પણ એક સાચા સેવકની નિષ્ઠાથી અકિલીઝની દેખભાળ રાખવાનું, રાંધવાનું વિ. તમામ પ્રકારનું કામ એ કરતો હતો. પદાનુક્રમે અકિલીઝ એના કરતાં ક્યાંય વધીને હતો. અહીં કવયિત્રી અચાનક પુરાકથાનો તંતુ છોડીને હકીકત સાથે, ઇતિહાસ સાથે અનુસંધાન સાધે છે. કહે છે, આ દંતકથાઓનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કેમકે દંતકથાઓ જેના વિશે હોય છે, એ તો મૃત્યુ પામ્યો હોય છે અને જે માણસ આ દંતકથાઓનું આલેખન કરે છે, એ તો બચી ગયેલો કે ત્યાગી દેવામાં આવેલ માણસ છે. કથાનો ભાગ બનવાથી બચી ગયેલી કોઈ વ્યક્તિ પ્રેક્ષકભાવે કથા કહે ત્યારે શું સંભવ નથી કે કથા હકીકતની વધુ નજીક હોવાના સ્થાને જે-તે વ્યક્તિના અંગત વિચારો અને અભિગમની વધુ નજીક હોય?

ખેર, દોસ્તની સેવા કરતાં-કરતાં, દોસ્તનું બખ્તર પહેરીને, દોસ્ત જેવી જ શૂરવીરતા દાખવીને પેટ્રોક્લસ યુદ્ધમાં શહીદ થઈ ગયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? ઑડેનની વિખ્યાત કવિતા ‘ધ શિલ્ડ ઑફ અકિલીઝ’ (૧૯૫૨)થી ગ્લિકની આ રચના ખાસી અલગ પડે છે. ઑડેન યુદ્ધમાં એક-બે માણસના વિચારબીજને યાંત્રિક બુદ્ધિહીનતાથી અનુસરતા હજારો માણસોના જાનમાલના નુકશાનની વાત કરે છે, તો ગ્લિક દેવતાસમાન મહાયોદ્ધાની અંગત હાનિની વાત કરે છે. ઑડેન નનામા હેતુહીન મૃત્યુની વાત કરે છે, તો ગ્લિક મિત્રપ્રેમ માટે ફના થવા તૈયાર યોદ્ધાના માન અને નૈતિક વિજયની વાત માંડે છે.

દેહ-પ્રાણ સમું સાયુજ્ય શ્વસતા અકિલીઝ માટે પેટ્રોક્લસનું મૃત્યુ અસહ્ય આઘાત હતો. એના મૃત્યુના સમાચારથી એ આખેઆખો નિચોવાઈ જાય છે. હજારો દુશ્મનોને મોતને ઘાત ઉતારનાર અકિલીઝ એક મૃત્યુથી પોતાના તંબુમાં શોકના દરિયામાં ગરકાવ થઈ જાય છે. ‘પોતાનો તંબુ’ શબ્દપ્રયોગ પણ ધ્યાનાર્હ છે. ખુલ્લા દરિયામાં ભડકે બળતા જહાજોના કલ્પન પછી તરત આ શબ્દપ્રયોગ કરાયો છે. અસીમ અને સીમિતનો વિરોધાભાસ દુનિયા અને કેન્દ્રબિંદુ તરફ ઈશારો કરતો હોવાનો ભાસ થાય છે. સમુદ્ર આખો ભડકે બળતો હોય એ દાહ અકિલીઝ તંબુની અંદર બેઠા અનુભવે છે. ગ્રીક પુરાકથાઓમાં પણ આપણા પુરાણોની જેમ જ દેવતાઓ મનફાવે ત્યારે મનુષ્યજગતમાં આવનજાવન કરતા. દેવતાઓ અકિલીઝના પારાવાર શોકના સાક્ષી બને છે. અકિલીઝ લગભગ દેવતા જેવો છે, કેમ કે એ મિત્રપ્રેમ અને શોકથી પર ઊઠી શક્યો નથી. એની માતા સાગરની દેવી છે. એના કહેવાથી આગ અને ધાતુકામના દેવતા હિફેસ્ટસ અકિલીઝ માટે બખ્તર અને ઢાલ બનાવે છે. અકિલીઝ દેવતાઓથીય વધીને અપ્રતીમ શૌર્ય ધરાવતો હોવા છતાં દેવતા નથી, કેમકે એનું હૃદય મનુષ્યોની જેમ એના મિત્ર માટે અસ્તિત્વની સમગ્રતાથી દ્રવી ઊઠ્યું છે. ગ્લિકની જ ‘યેલો ડહલિઆ’ કવિતાનો અંતભાગ યાદ આવી જાય:

અમે લોકો દિવસ અને રાત જેવા હતાં,
સર્જનનું એક કાર્ય.
હું બે ભાગને
અલગ કરી શકી નહીં.

એ સમયે મૃતકને યોગ્ય અંતિમસંસ્કાર નસીબ ન થવાથી મોટી અવહેલના બીજી કોઈ ગણાતી નહોતી. હેક્ટરે પેટ્રોક્લસનો વધ કરી એનું બખ્તર, જે પ્રતીકાત્મકરૂપે અકિલીઝનો ‘હું’ હતો, એનેય તહસનહસ કરી નાંખ્યું હતું. મિત્રનું શબ અને પોતાના ગૌરવના પ્રતીક સમા બખ્તરને પરત મેળવી શબનો યોગ્ય અંતિમસંસ્કાર કરી ગુમાવેલું સન્માન પરત મેળવવું અકિલીઝ માટે અનિવાર્ય હતું. અકિલીઝ જાણતો હતો કે આ સમયે યુદ્ધમાં ઝંપલાવવાનો અર્થ માતા થીટિસે કરેલી ભવિષ્યવાણી મુજબ નિશ્ચિત મૃત્યુ જ છે, પણ એનું બખ્તર ધારીને એનું જ સ્વ-રૂપ લઈ રણે ચડેલ પેટ્રોક્લસના મૃત્યુ સાથે જ એનામાંનો દેવાંશ તો ક્યારનો મરી પરવાર્યો હતો. પ્રેમ કરવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યોને જ હાંસલ છે. દેવી-દેવતાઓ તો માત્ર કૃપા કરી જાણે. જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૮ : નાનકડું ચિનાર – અજ્ઞાત (ગ્રીક)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું,
સ્થિર જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો પખવાડિક રજા પર હતો ને મેઘલી રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીકિનારે આવી ઊભો. એક તરફ માથે સાંબેલાધાર વરસાદ, કોઈએ સમ ન દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને બીજી તરફ નદી પણ ગાંડીતૂર થઈને બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું તો ખરું, પણ વેગમાં તરવાના બદલે તણાવા માંડ્યો. નસીબજોગે ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડીને માંડ સામા કિનારે એ પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી પહોંચ્યો. કાળીડિબાંગ રાતે કરેલ કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એટલે, બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ચોરપગલે ઉપર ચડ્યો. એની પ્રાણપ્રિયાએ પહેલાં તો એને હરખભેર બાથમાં લીધો પણ પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો ભવસાગર પાર થઈ જાત. યુવકને હાડોહાડ લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટના જેવું જ આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિએ પણ કર્યું હતું એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનની કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક અક્ષર આમતેમ ખસેડી શકાય નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં અન્ય સાહિત્ય-સંસ્કૃતિની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં નદીકિનારે ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ, સમય અને સંસ્કૃતિ ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ મનુષ્યનો રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. કહેવા માટે તો આપણે કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ કે ‘ડૂબે’ છે પણ હકીકતમાં પ્રેમમાં માણસની ઉન્નતિ-ઉર્ધ્વગતિ જ થતી હોય છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રણય અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ સફર છે, ઇરોઝ રાહબર છે, અને સમ્-ભોગ મંઝિલ છે. ગ્રીક સાહિત્યમાં ઇરોઝનો પહેલવહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૭૦૦માં મળે છે અને આ કવિતા તો એનાય આઠસો વર્ષ પહેલાંની છે. મતલબ, આ કવિ ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને એમની તમા પણ નથી, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

‘નાનકડું ચિનાર’ શીર્ષક કવિતા વિશે રહસ્યોદ્ઘાત કરવાના બદલે કવિતાના અગત્ય અંગ તરફ ધ્યાન દોરે છે માત્ર. મૂળ રચનાના લય-છંદ-પ્રાસ વિશે જાણકારીના અભાવમાં સેમ હેમિલના અંગ્રેજી અનુવાદમાં પ્રસ્તુત ત્રણ-ત્રણ પંક્તિના અછાંદસ પ્રાસરહિત પાંચ બંધની પ્રયોજના સ્વીકારી છે. ત્રીજા અંતરામાં બે વાક્યો હોવા સિવાય બાકીના તમામ અંતરા એક-એક સંપૂર્ણ વાક્યરચના ધરાવે છે. કવિતાની શરૂઆત પણ ‘નાનકડું ચિનાર’થી જ થાય છે. પ્રેયસીએ જાતે રોપેલું નાનકડું ચિનાર હવે બોલી શકે એટલું મોટું થઈ ગયું છે. નાયક નદીના આ કાંઠે એ જ વૃક્ષની નીચે ઊભો છે. પ્રેયસીએ જાતે રોપેલા વૃક્ષની કિંમત નાયકને મન કેટલી કિંમત હશે એ સમજી શકાય છે. આ વૃક્ષ માત્ર વૃક્ષ નથી. ઉભયના પ્રેમનું પ્રતીક છે. પ્રેમ તરોતાજો હશે એવામાં નાનકડું વૃક્ષ જે વવાયું હતું. આજે પ્રેમ અને વૃક્ષ બંને પરિપક્વ થઈ ગયાં છે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ પણ આવી ચૂક્યાં છે.

નાયિકા નદીના સામા કાંઠે અને હાલ તુરંત પહોંચની બહાર છે. એટલે ‘પિયરનું કૂતરુંય વહાલું’ના ન્યાયે નાયક ચિનાર વૃક્ષમાં જ નાયિકાનો સાક્ષાત્કાર કરે છે. નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ એને બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડનો સજીવારોપણ અલંકાર અહીં અટકતો નથી, આગળ વધે છે. નાયકને ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સાચે જ સજીવ હોય એમ અંગોપાંગ જેવી દેખાય છે, અને વળી પ્યારી પણ લાગે છે. ઝાડ પર તાજાં કાચાં ફળો અને પાકાં રાતાં ફળો હારોહાર બેઠાં છે. પ્રેમ પુખ્ત પણ છે અને મુગ્ધ પણ. કાચાં-પાકાંના સહજીવન જેવા પ્રેમથી લચેલું વૃક્ષ વહાલું લાગે છે. પાકાં ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વૃક્ષ વૃક્ષ ન રહેતાં બહુમૂલ્યવાન ખજાનો બની જાય છે. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં! પણ પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. સામા કાંઠે રાહ જોવાઈ રહી છે, એની આ કાંઠાને ખબર છે. બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં?

દુનિયા અને દુન્યવી અંતર અપૂરતાં હોય એમ બે પ્રેમીઓના મિલનની સંભાવનાઓની વચ્ચે વહેતી નદી મગર નામની જીવતી મુસીબતોથી ભરી પડી છે. કવિ કહે છે કે મગરો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સાફ વાત છે કે નદી પણ મગરોથી ભરપૂર જ હશે!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપરીને એવું તો ‘કોઇન’ કરી દીધું છે કે મોટાભાગના લોકો આજેપણ આ વાક્ય શેક્સપિઅરનું જ હોવાનું માને છે.)

પ્રેમ સાચે જ આંધળો છે. એ બે હૈયા વચ્ચે વહેતી નદી, છલકાતા મગર કે લળુંબતા મોતને જોઈ જ શકતો નથી. પ્રેમ તો માત્ર બેઉ જણના મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ વિચારવા જેવી વાત છે. અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને મગરો-ભરી નદીમાં જાનના જોખમે ઝંપલાવી દે છે. અને માથે કફન બાંધીને ફનાના માર્ગ પર આગેકદમ કરનાર માટે તો આટલું જ કહી શકાય કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ સાચે જ, સાહસ અને સાહસિકના પડખે તો ખુદ ઈશ્વર આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને નાયકનું હૃદય, એનો ઉમંગ, અને જુસ્સો એવી રીતે કાપી રહ્યાં છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

શેક્સપિઅરે કહ્યું હતું, ‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ એટલે જ પ્રેમીઓ સફરની તકલીફોની પરવાહ ન કરતાં મંઝિલપ્રાપ્તિ તરફ ચાલી નીકળતાં હોય છે. આપણો કાવ્યનાયક પણ પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. મગરભરી નદીમાં જે વ્યક્તિ રસ્તા પર ચાલતા હોવાની સહજતાથી તરી રહી છે, એ હકીકતમાં નાયક નથી, પ્રેમ પોતે જ છે. ફરહાદ જો પ્રેમમાં ન હોત તો શું પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શક્યો હોત? રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, સોહિની-મહિવાલ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે. પ્રેમનો નશો પણ બુદ્ધિના કાર્યક્ષેત્રની પેલે પારનો છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી. અનનુભૂતનો મોહ સર્વને સદા સર્વદા રહ્યો છે.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીયસંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. એટલે જ કવિ કાવ્યાંતે કહે છે કે હા, મારી વહાલી! એ પ્રેમ જ છે જે મને તાકાત અને હિંમત આપે છે અને નદીમાં માર્ગ પ્રશસ્ત કરે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફોએ કહ્યું છે કે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

ગ્લૉબલ કવિતા : ૧૯૭ : વસંત વિલાસ – પ્રાચીન ગુજરાતીનું બેનમૂન વિશ્વકાવ્ય : ૦૨

ગયા અંકમાં આપણે પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસના પરિચય સાથે કેટલાક દોહા માણ્યા. આજે થોડા બીજા અણમોલ મૌક્તિકોના ઝળહળાટના સાક્ષી બનીએ:

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

સતત વહેતા સમયના વહેણમાં તણાઈ જતા ક્ષણભંગુર યૌવનનો હવાલો આપીને કવિ નાયિકાને કામક્રીડામાં સમર્પિત થવા આહ્વાન આપે છે. કહે છે, આજે ભલે તારાં આ સ્તનો સુદૃઢ કેમ ન હોય, એ કંઈ કાયમ આવાં ઉન્નત રહેનાર નથી. સમયની સાથે એ લચી પડી એનું સૌંદર્ય ગુમાવશે જ. માટે હે મૂર્ખ સ્ત્રી! શા માટે આમ મૂર્ખતા દેખાડે છે? કયા કારણથી તું પોતાના યૌવન પર અભિમાન કરે છે? આ યુવાની તો થોડા દિવસોની જ મહેમાન છે.

माणं मुंचह देहि वल्लहजणे दिठ्ठीं तरंगुत्तरं
तारुण्णं दियहाई पंच दह वा पीणस्थणत्थंभणं। (कर्पूरमंजरी-राजशेखर) (१-१८)

(માન છોડી દે અને પિયુ તરફ પ્રેમભીની નજર કર. યૌવન પાંચ-દસ દિવસ જ છે અને દૃઢ સ્તનોની કઠિણતા પણ) શંકરાચાર્ય મોહમુદ્ગર સ્તોત્રંમાં કહે છે: ‘मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।’ (ધન, સ્વજન, યૌવનનો ગર્વ ન કર. નિમિષમાત્રમાં કાળ સર્વને હરી લેશે.) નરસિંહ મહેતા પણ ગાઈ ગયા: ‘ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ’ દેહસૌંદર્ય કાયમી ન હોવાથી નાહક પ્રિયજન પાસે માન માંગવાની મૂર્ખાઈ કરવાના બદલે પ્રેમઋતુ વસંતમાં સહવાસનો-સંભોગનો આનંદ ભરપૂર માણી લઈને જે હાલ છે એનો ઓચ્છવ કેમ ન કરવો?!

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

વસંત ઋતુ કામદેવની ચહિતી છે. આ ઋતુમાં પ્રેમદેવતા મન્મથ શરસંધાન કરે છે અને પ્રેમપ્લાવિત હૈયાંઓ કામકેલિમાં જોડાઈ અદ્વૈત સાધે છે. હાથમાં ધનુષ્ય લઈને શૂરવીર કામદેવ યુદ્ધ કરવા નિસરે અને એમના આગમનની જાણ કરવા શંખનાદ કરતાં સુભટ સાથે કવિ ભમરાઓની સરખામણી કરે છે. બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર મંડરાઈને ગુંજારવ કરતા મધુકર જાણે કે કામદેવના આવણાંના શંખ ફૂંકી રહ્યા છે. ઈસ ૧૩૬૩માં શાર્ંગધરે લખેલો શ્લોક સરખાવવા જેવો છે:

मालतीमुकुले भाति मञ्जु गुञ्जन्मधुव्रतः।
प्रयाणे पञ्चबाणस्य शंङ्खमापूरयन्निव॥ (शार्ङ्गधरपद्धति)

(માલતીની કળીઓમાં મધુર ગુંજન કરતો ભમરો જાણે પંચબાણ (કામદેવ)ના પ્રયાણસમયે શંખ ફૂંકતો હોય એવો લાગે છે.)

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

વસંતમાં પૂરબહાર ખીલેલ કેસૂડાની કળીઓ અત્યંત વાંકી હોય છે. નજરના રસ્તે ચાલી દિલોદિમાગને સંતપ્ત કરતા કેસૂડાંની આ વક્રકળીઓમાં કવિને કામદેવનું શસ્ત્ર આંકડી કે અંકુશ નજરે ચડે છે, જેના વડે કામદેવ વિરહિણીઓનાં કાળજાં બહાર ખેંચી કાઢે છે. મૂળ દોહાની જેમ અનુવાદમાં પણ વાંકડી-આંકડી-આ ઘડી એમ યમકસાંકળી પ્રયોજવામાં આવી છે. નૈષધીયચરિતમાંથી આના જેવો શ્લોક મળી આવે છે:

स्मरार्धचन्द्रेषुनिभे क्रशीयसां स्फुटं पलाशेऽध्वजुषां पलाशनात् ।
स वृन्तमालोकत खण्डमन्वितं वियोगिहृत्खण्डिनि कालखण्डजम् ॥१.८४॥

એણે વિયોગીઓનાં હૃદય ખંડિત કરતી, કામદેવના અર્ધચંદ્રાકાર બાણ જેવી કેસૂડાનાં ફૂલની દાંડી જોઈ, જે વિરહમાં દુબળા બનેલા પ્રવાસીઓનું ભક્ષણ કરતાં (બચી ગયેલા) કાળજાના ટુકડા જેવી લાગતી હતી. કાલિદાસના ઋતુસંહારમાંથી પણ આવી ઉપમા જડે છે:

किं किंशुकैः शुकमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमैर्न कृतं न दुग्धम्| (६:२०)

(પોપટની ચાંચ જેવી શોભાધારી આ કેસૂડાં શું યુવાચિત્તને નથી ચીરતાં? આ કર્ણિકાર પુષ્પો પણ તેને ઘાયલ નથી કરતાં?) સાતવાહન-હાલ કવિને પણ કેસૂડાનાં ફૂલના આકારમાં પોપટની ચાંચ નજરે ચડી હતી: કીર-મુહ-સચ્છેહેહિં રેહઇ વસુહા પલાસ-કુસુમેહિં. (સૂડાની ચાંચ સમાં કેસૂડાનાં ફૂલ ધરતી પર શોભી રહ્યાં છે.) એમનું જ પુષ્પોને કામદેવનું આયુધ ગણાવતું એક પ્રાકૃત મુક્તક પણ જોવા જેવું છે:

સહિ દુમ્મેંતિ કલંબાઇં જહ મં તહ ન સેસ-કુસુમાઇં
નૂણં ઇમેસુ દિઅહેસુ વહઇ ગુડિયા-ધણું કામો

હે સખી! જેવી કદંબકળીઓ મને પીડે છે, તેવાં બીજાં પુષ્પો મને નથી પીડતાં: આ દિવસોમાં તો કામદેવ જાણે કે હાથમાં ગિલોલ લઈને ફરતો હોય છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

નાયિકા એની સખીને પોતાને થયેલાં શુકનની વાત કરી રહી છે. આજે આ બે’ક ઘડીભરથી એની સાથળો ફરકી રહી છે. જાંઘ ફરકતી હોવાનું શુકન સૂચવે છે કે નાયક અને નાયિકાનું મિલન થવાની સંભાવના ઊજળી છે. મતલબ હવે વિરહના સૌ દુઃખ દૂર થવાની પળ ઢૂંકડી આવી ઊભી છે. અને નાયિકાને ટૂંક સમયમાં જ પ્રાણપિયુના સમાગમના રાજ્ય જેવું સુખ પ્રાપ્ત થશે. વસંતવિલાસના શ્લોકે શ્લોકે વેરાયેલી નાનાવિધ યમકસાંકળી સાછંદ પદ્યાનુવાદમાં જાળવવી તો કદાચ જ શક્ય બને, પણ સાથળ-આ પળ, વામશું-પામશું જેવી યમકસાંકળીથી મૂળ દોહરાની બને એટલા નજીક રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

વસંતઋતુના વર્ણનથી વિપ્રલંભશૃંગાર તરફ વળ્યા બાદ કવિતા નખશિખ સંભોગશૃંગાર તરફ વળી છે. કામકેલિને કવિ બે પાત્રો વચ્ચેના યુદ્ધ તરીકે જુએ છે. કવિ નાયિકાના ઉન્નત, સુદૃઢ સ્તનોને સુરતસંગ્રામમાં ભાગ લેતા વીરયોદ્ધાઓ સાથે સરખાવે છે. કામક્રીડા દરમ્યાન તેઓ જરાય નીચું નમતા નથી, અર્થાત્ ઢીલા પડતા નથી. ઊલટું, પતિરૂપી મહાસુભટ, મહાવીરનો સામનો થતાં જ સહેજ પણ ડર્યા વિના ચોળીરૂપી બખ્તરનો પણ ત્યાગ કરી દઈને ઊઘાડાં થઈ જાય છે. અને પતિનો સામનો કરે છે. સામાન્યરીતે બખ્તર યોદ્ધાનું રક્ષણ કરતું હોય છે, પણ સ્તન આવૃત્ત હોય એના કરતાં નિરાવૃત્ત હોય ત્યારે પુરુષોને વધુ આસાનીથી વશ કરી શકે છે, એ હકીકત કવિના મનમાં રમતી હોવાનો અત્રે ખ્યાલ આવે છે. સોમેશ્વરદેવના કીર્તિકૌમુદીમાં પણ સમાન વિચાર જોવા મળે છે:

निगिदितुं विधिनाऽपि न शक्यते सुभटता कुचयोः कुटिलभ्रुवाम्।
सुरतसंश्रमतः प्रियपीडितावपि नतिं न गतौ गतकञ्चुकौ ॥७९॥

વક્રભ્રૂકુટીવાળીઓના સ્તનોની વીરતા વર્ણવવું વિધાતા માટે પણ શક્ય નથી. સુરતસંગ્રામમાં પ્રિયએ ભીડાવ્યા છતાં એ કંચુકવિહોણા સ્તન નમ્યાં નહીં.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

માલતી, ભમરો અને કેસૂડાના પ્રતીકથી કવિ કેવી મજાની વાત કહે છે! પ્રિયતમાનો વિરહાગ્નિ સહન ન થતાં પ્રિયુ અન્ય સ્ત્રીના સહવાસમાં સુખ શોધવાના ફાંફા મારતો હોય અને એ અન્ય સ્ત્રી જાત પર અભિમાન કરે એ જોવમાં આવતાં નાયિકા એ મદભરી માનુનીને ઠંડો ડામ આપતી હોય એમ કહે છે, કે તારે નાહક ફુલાવાની જરૂર નથી. પિયુ તો પોતાની વિરહવેદના અસહ્ય બનતાં બે ઘડી રાહત મેળવવા માટે જ તારા પડખામાં આવ્યો છે. આ સાથ કંઈ કાયમી નથી. વિયોગ પૂર્ણ થતાં જ એ તારો ત્યાગ કરશે. આ વિચારથી બિલકુલ વિપરિત દોહો પણ વસંતવિલાસમાંથી જડી આવે છે:

બઉલસિરી મદભીંભલ ઈ ભલપણું અલિરાજ,
સંપતિ વિણ સુકુમાલ તી માલતી વીસરી આજ. |૭૪|

અલિરાજ! બોરસલ્લીમાં મદવિહ્વળ થયો એ તારું ભલાપણું છે? (પુષ્પ)સંપત્તિ વિનાની સુકુમાર (સૂકાઈ ગયેલ) માલતીને તેં આજે વિસારી દીધી છે!

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

ફૂલે-ફૂલે ભમીને મધુરસપાન કરતા ભમરાએ આમ તો સુગંધમાં પી.એચડી. કરેલું હોય છે, પણ આટલો જ્ઞાની હોવા છતાં એ સુગંધથી છલકાતા ચંપાનો સ્પર્શ સુદ્ધાં કરતો નથી. આ હકીકતનો અર્થાન્તરન્યાસ કરતાં કવિ કહે છે કે સંસારમાં જે કંઈ સારું, સુંદર છે એ તમામ સાથે આવું દુર્ભાગ્ય, અવગણના જોડાયેલ હોય એ દુનિયામાં પરાપૂર્વથી ચાલ્યો આવતો નિયમ (સંબંધ) છે. સંસ્કૃત સાહિત્યમાં ચંપો સુશીલ સુંદર સ્ત્રીનું પ્રતીક લેખયો છે. ગુણજ્ઞ પુરુષો સાચા અર્થમાં સુંદર અને ગુણવંતી સ્ત્રીઓને ચાહી શકતા નથી. કદાચ પોતાનાથી ચડિયાતી સ્ત્રીનું તેજ સહી શકતા નહીં હોય! કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ બંધાય એ કોઈ ઈશ્વરકૃપા કે ઋણાનુબંધને જ આભારી હશે? શાર્ંગધર કહે છે:

भ्रमन् वनान्ते नवमञ्जरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्|
सा किं न रम्या सच किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा||
વનમાં નવમંજરીઓમાં (નવી ઊઘડેલી મંજરીઓમાં અથવા નવી લતાઓમાં) ભટકતાં ભમરાએ ગંધફલીની (ચંપકની કળીની કે પ્રિયંગુલતાની) સુવાસ લીધી નહીં. શું એ રમ્ય નથી ? તેમ એ (ભ્રમર) રમણનો જ્ઞાતા નથી ? (અર્થાત્ એ રમણ કરવાની કળામાં કુશળ નથી એમ નથી.) કેવળ ઈશ્વરેચ્છા જ બળવાન છે. (અર્થાત્ ગુણાવગુણથી નહીં પણ ઈશ્વરેચ્છાના પ્રાબલ્યથી સંબંધો બંધાય છે.) (शाङ्ग्रधरपद्धति)

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

જીવન જેમ આવ્યું એમ માણી લેવાની શીખ અહીં પ્રાપ્ત થાય છે. એકસમાન રૂપગુણ ધરાવતી બે સુંદરીઓમાં કોને ચાહવી અને કોને નહીંના અનિર્ણયના દ્વિભેટે અટવાયા કરવાના બદલે દુઃખી થયા વિના બંનેને જ કેમ ન ભોગવવી? અમરુશતક યાદ આવે:

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

એક જ આસને બેઠેલી બે પ્રેમિકાઓની, પાછળથી આદરપૂર્વક નજીક જઈને, એકની આંખો રમતના બહાને દાબીને, કપટી સહેજ ડોક નમાવીને, રોમાંચિત થઈને, પ્રેમોલ્લાસથી ઊછળતી અને મનોમન હસવાથી ખીલી ઊઠેલા ગાલવાળી બીજીને ચૂમી લે છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૧૯૪ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:
From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.

ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને, હરપળ
મારું મચ્છર.

દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:
હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ!’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડીમાં આપણને જાણે કે હાઇકુની વ્યાખ્યા સાંપડે છે. હાઇકુ આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને કાગળની નાનકી ધરતી પર કવિતાનો વિશાળ પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા યાને ‘ચાનો કપ’ એ એમનું ઉપમાન. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુ મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર છે. આપણે ત્યાં ભારતમાં એને પહેલવહેલીવાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર લઈ આવ્યા. ગુજરાતી ભાષામાં આ શ્રેય સ્નેહરશ્મિને ફાળે જાય છે. હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: (૧)તેઓ ક્ષણભંગુર છે, (૨)તેઓ આકસ્મિક છે અને (૩)તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દો અને સત્તર શબ્દાંશની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુઓ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ છે એ બાબત આપણે સહુ જાણીએ છીએ. પણ કોબાયાશીએ બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી બતાવ્યો છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો નથી જ. જાપાનીઝ અને ધીમા? એ પણ ગોકળગાય જેવા? ના રે ના! કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એ ન્યાયે સાવ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ચાલતી ન હોય એમ ક્યારેક વર્તતા જોવા મળે છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, કદાચ પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી જણાતું. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓની કાલિમાને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. ઘોડાની આંખે ડાબલા બાંધ્યા હોય એમ આપણે સહુ આજુબાજુ ક્યાંય જોઈ શકવાને અસમર્થ બની, માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યાં છીએ. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે, ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવાતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ શોધાયા પહેલાનું એ અમલીકરણ ગણી શકાય. પણ દુન્યવી સફળતા પાછળની જે દોડ આજે છે એ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ પોતાની રીતે અનોખો છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) થાકને પણ અઢેલવા મળે એવી ચાર નિરાંતવા દીવાલ એટલે ઘર. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ ઘરની રૂની ગાદીમાં મળે એ શાંતિ મળતી નથી. જીવજંતુઓને પણ ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એટલે એ નજરિયાથી પણ આ હાઇકુને જોઈ શકાય.

૫) નવું વર્ષ આવે એટલે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી આપણું વર્તન એવું થઈ જાય જાણે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સુખનો સૂરજ લાવનાર ન હોય. દર વરસે સ્વપ્નભંગ થાય અને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી તો આમેય દોહ્યલી.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં કાશ્મીરને બાદ કરતાં હિમવર્ષાની સમસ્યા, સર્જાતી તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો પરિચય ન હોય એ સ્વાભાવિક છે. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) હાઇકુ એટલે ફોટોગ્રાફ. ફોટોગ્રાફ ક્ષણનો હોય, સદીનો નહીં. હાઇકુ સામાન્યતઃ બહુઆયામી જિંદગીની એકાદી ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપે નહીં. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાન પાસે આવીને ગણગણતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહારના ચપ્પલમાં હોય -ચોરાય તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વખતે આપણે ઊભા તો થઈ જઈએ પણ ધ્યાન આજુબાજુમાં કોઈ ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ ચકાસવામાં જ હોવાનું. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે. ધ્યાનસ્થ મહાવીર સ્વામીને કાનમાં કોઈ કાંટા ભોંકી ગયાનુંય ધ્યાન રહેતું નથી. કવિ બુદ્ધનું ધ્યાન ધરવા બેઠા છે પણ મચ્છર મારવું ચૂકતા નથી.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે, જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ ખરી ગતિ છે.

૧૦) પચાસ પૂરા થાય એને આપણે વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. જીવવાનું હતું એ જીવી લીધું. કરવાનું હતું એ કરી લીધું. હવે જિંદગી, જેટલી અને જે મળે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધું હવે બક્ષિસ છે.

૧૧) નકલ અસલની બરાબરી કે અસલથી ચડિયાતી ન હોવાના નિયમમાં એક અપવાદ છે, બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી શકે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે કરે એ નૈસર્ગિક છે, એ એમનું જીવન છે પણ નાનાં બાળકો એમની નકલ ઉતારતા હોય એ દૃશ્ય કદાચ વધુ જીવંત, વધુ રોમાંચક હોવાનું અનુભવાશે.

૧૨) બાળકોને સજા કરવી એ જાણે મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર. ભાગ્યે જ કોઈ બાળક સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીના ‘તોત્તોચાન’ પુસ્તકમાં આ વાત બહુ રસપ્રદ રીતે થઈ છે.

૧૩) ઉનાળો આપણી ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે, જે બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. એ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

ગ્લૉબલ કવિતા : ૧૯૩ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen


ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસતો રહું છું
આકાશને મારી આંખોથી,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરા જે નજરે ચડે છે,
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)


પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણેવાણે વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. એકધારી મિલનની મીઠાઈ ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. કવિતા માટે પણ પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખૂલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમના પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) એ મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડી છે અને સદીઓથી આ પુસ્તક એક સીમાચિહ્ન, એક દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે હોય છે, અથવા એથી પણ વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની એક પોતિકી ફ્લેવર હોય છે. દરેક ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવાતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? કદાચ તમાચો જ પડે ને! ભાષા નદી જેવી છે. સતત વહેતી અને બદલાતી રહે છે. વળી, એક નદી બીજીમાં ભળે અને બંને જેમ બદલાય એમ એક ભાષાના શબ્દો અને શબ્દપ્રયોગો બીજી ભાષામાં અલગ જ અર્થચ્છાયા ઊભી કરે એમ પણ બને. અનુવાદ એક નદીને બીજી નદીમાં મેળવવાની પ્રક્રિયા છે. પ્રક્રિયાના અંતે બંને નદી પોતાનું મૂળ રૂપ ગુમાવી એક નવું જ રૂપ ધારે એવી સંભાવના સહજ રહે છે. અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ હોતો નથી. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી યથાતથ ઝીલી શકે નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ ક્રિયામાં મૂળ કાવ્યરીતિ અને કાવ્યભાવ જેટલો જળવાઈ રહે એટલું ઇચ્છનીય. પ્રસ્તુત કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકાયું હશે ને કંઈક નવું મૂકાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

અનુવાદના અનુવાદનો અનુવાદ હોવાથી કાવ્યસ્વરૂપ વિશે વાત ન કરતાં સીધા કવિતા તરફ વળીએ. ‘ગેરહાજરી’ કવિતાનું શીર્ષક છે. ગેરહાજરી શબ્દ ખાલીપાનો અહેસાસ કરાવે છે. કંઈક હાજર હતું, જે હવે નથીનો ખાલીપો અસ્તિત્વને ભરવા માંડે ત્યારે એકલતા કરડવાનું શરૂ કરે છે. અબુની આ કવિતા વાંચતા સમજાય છે કે પ્રિય પાત્ર અત્યારે સાથે નથી અને પોતાની એકલતા અને એકાંતને કથક પ્રિયપાત્રની યાદોથી ભરવા મથી રહ્યો છે.

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

સમય કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદના સિક્કા હંમેશા પ્રેમનું સ્થાયી ચલણ રહ્યું છે. પ્રેમ અને વિરહ જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ ગણાયા છે. અબુની આ કવિતામાં પ્રિયપાત્ર અલ્લાહ પણ હોઈ શકે. આમેય ઇસ્લામની સૂફી ધારામાં માશૂક અને અલ્લાહ એકમેકમાં ઓગળી ગયેલાં દેખાય છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમમાં તરસ તો એક જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક એકલવાયો થયો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક નજરે આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે ત્યાં બે ઘડી અટકીએ. ‘દરરોજ’ મતલબ આ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી કે ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. આ કાયમી આરતની પ્રાર્થના છે. સાચો પ્રેમ અને સાચી પ્રતીક્ષાની તીવ્રતા સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ બે જણ વચ્ચે હજી પ્રણયવિચ્છેદ પણ થયો નથી અને આ વિયોગનું કારણ બેવફાઈ પણ નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને દરરોજ આકાશે મીટ માંડીને બેસે છે, તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે દરરોજ આકાશને જોતી બેસતી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ પોતાને મળનાર કોઈક પ્રવાસી ક્યાંક ક્યારેક પ્રિયજનને મળ્યો હોય તો એને મળીને કથકને એના શ્વાસમાં ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! આપણને તો આ વાતમાં પાગલપન દેખાય પણ પ્રેમના તો ચશ્માં જ અલગ. એમાંથી નજરે ચડતી આખી સૃષ્ટિ જ અલગ. કોઈક ક્યારેક પ્રિયજનના સંસર્ગમાં આવ્યું હોય અને પ્રિયજનનો શ્વાસ એને અડ્યો હોય તો એ વટેમાર્ગુના શ્વાસમાંથી પોતાની પ્રિયાની સુગંધ મેળવીને તૃપ્ત થવાની ખ્વાહિશમાંથી વિરહ અને ઝંખનાની પરાકાષ્ઠા કેવી ઝલકે છે!

પ્રિયતમના સમાચાર મેળવવાની આરત તીવ્રતમ બની છે. પ્રિયજનની સુગંધ કોઈક મુસાફરના શ્વાસમાંથી જડી આવવાની ઘેલછા મૂર્તમાંથી અમૂર્ત તરફ વળે છે. પ્રિયને મળીને આવનાર કોઈક મુસાફરની પ્રતીક્ષા કરવા જેટલું ધૈર્ય પણ હવે રહ્યું નથી એટલે ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ) પ્રિયને અડીને આવનારા વાયુઓને અડીને પ્રિયજનના સંસ્પર્શનો રોમાંચ અનુભવવાની આ કલ્પના આપણા સાહિત્યમાં પણ જોવા મળે છે.

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતી! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા હે પવન, મને પણ સ્પર્શ.)

કેવું મજાનું! સમય, સ્થળ અને સંસ્કૃતિ ગમે એટલાં અલગ કેમ ન હોય, પ્રેમની અનુભૂતિ એક જ હોય છે! પ્રતીક્ષાએ માઝા મૂકી છે. એક સ્થળે બેસીને આકાશના તારા શોધવાની, મુસાફરોના આવવાની કે પવનના ફૂંકાવાની રાહ જોતો નાયક હવે ચાલી નીકળ્યો છે. એ દરબદર, ગલી-ગલી ભટકવા માંડ્યો છે. આમ તો એ કહે છે કે આ રખડપટ્ટી મંઝિલ કે હેતુ વગરની છે, પણ આ દાવો કેટલો સાચો છે એ તો તરત જ ખબર પડી જાય છે. કેમકે આ હેતુહીન રઝળપાટનો હેતુ તો એક જ છે અને એ જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાંથી એનું નામ જડી આવે. રૂમી તો કહે છે કે ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ પણ હવે દરરોજ રાતે આકાશમાં તારા શોધનારું ધૈર્ય પણ હવે પાંખુ થઈ રહ્યું છે. મિલનની રહીસહી આશાનું પોત પાતળું પડી રહ્યું છે. જાણ છે કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ છે પણ તોય એ એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક નજરે ચડતા દરેકેદરેક ચહેરાને છાનામાના ચકાસી રહ્યો છે કે ક્યાંક જરા અમથી આશાના અજવાળે પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા અશક્ય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ તો અંદરથી પ્રિયતમ નીકળે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Sergei Yesenin
(Eng Trans: Vivek Manhar Tailor)

અલવિદા, મારા દોસ્ત, અલવિદા

અલવિદા, મારા દોસ્ત, અલવિદા.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે નક્કી બહુ જલ્દી જ ફરી મળીશું.

અલવિદા, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)


પરમ સખા મૃત્યુ…

સ્કાર્ફની જેમ દોરડું ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે જ એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી નીકળીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ લટકતી મળી. એના પોતાના શબ્દોમાં, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એનો ચાહકવર્ગ એટલો વિશાળ અને આંત્યંતિક હતો કે, જે અદામાં એણે આત્મહત્યા કરી, એ જ રીતે આત્મહત્યા કરવાની ફેશન શરૂ થઈ અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયા આખીને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોમાં ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેર ગયા એટલે બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવું આદર્યું. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા. પ્રુફ-રિડરનું કામ શરુ કર્યું. ૧૯૧૬માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા. જો કે એમની કવિતામાં જોવા મળતી સંવેદનાની ધાર, ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ ગણાય. લાગણીઓની કાલિમાભરી પીંછીથી લખેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફથી ઘુરકિયા કાઢે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને સફળતાપૂર્વક ભાવકના મન પર અમીટ છાપ મૂકી જાય છે.

ગીતની પ્રથમ પંક્તિથી જ ગીત પ્રચલિત થયું છે. ચાર પંક્તિઓના બે બંધવાળા આ ગીતમાં કવિએ અ-બ-અ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ જાળવ્યો છે. આઠ પંક્તિની આ ટચૂકડી રશિયન કવિતાના એટલા બધા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે કે મગજ ચકરાઈ જાય. ઘણા અનુવાદ મૂળ રચનાથી સાવ અલગ પણ છે, પણ એકેય અનુવાદ સાંગોપાંગ મૂળ કવિતાને યથાતથ રજૂ કરતો જણાતો નથી. ગૂગલ ટ્રાન્સલેટર અને ઓનલાઇન રશિયન-અંગ્રેજી શબ્દકોશોમાં એક-એક શબ્દના અર્થ શોધી, ઉપલબ્ધ તમામ અંગ્રેજી અનુવાદો સાથે એમને સરખાવ્યા બાદ, પ્રાસ અને લય પકડી રાખવાની જિદમાં મૂળ રચના હાથમાંથી નીકળી જવાનો ભય હોવાથી જાતે જ રશિયનમાંથી અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી અછાંદસ તરજૂમો કરવું વધુ ઉચિત જણાયું છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખાયેલી આ ટૂંકીટચ કવિતા લાંબોલચ અમરપટો લખાવીને આવી છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કવિ ‘અલવિદા, મારા વહાલા દોસ્ત, અલવિદા’ કહે છે. ‘અલવિદા’ની પુનરોક્તિ આ વિદાયમાં કોઈ યુ-ટર્ન ન હોવાની ખાતરી છે. આ ગુડબાયનું કારણ કવિ કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ તો અંતરના ભીતરતમ ખૂણામાંથી લાવાની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. કવિની સર્જનવેળાની અનુભૂતિ ભાવક વાંચતી વખતે અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાના ઇતિહાસથી અજાણ હોઈએ તોય કવિતા રુંવાડા ઊભા કરી દે એવી છે. ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થયા વિના ન રહે એવી આ રચના છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતાં ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાનું અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી) ગાવું અલગ વાત છે, પણ હકીકત તો ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી) જ છે. સર્ગેની કવિતામાં જુદાઈનો ભાવ મૃત્યુના કાળા કફનમાં વીંટળાઈને રજૂ થયો છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે. વળી આ જુદાઈ તો કાયમ માટેની છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ જો કે અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો જન્મતાવેંત જ થઈ જાય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની વાતમાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

રૂમીએ પણ આવી વાત કરી છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલ ‘કેસનોવા’ ફિતરતના રંગીન મિજાજ કવિએ આ જ વાત કેટલી સહજતાથી કહી છે! કહે છે, મૃત્યુ યાને પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે. મિલન નિશ્ચિત હોય તો અફર જુદાઈનો શોક શાને? હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો ફંટાઈ રહ્યો છે, પણ દિલમાં તો અવિચળ સ્થાન છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં કાયમી છે, જેની સાથે પુનર્મિલન અફર છે, એનાથી છૂટા પડતી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું ને? બીજા અંતરાનો પ્રારંભ પણ કવિ ‘અલવિદા’ કહીને જ કરે છે. પુનરોક્તિ વાતમાં વજન ઉમેરવાની કારગત કાવ્યરીતિ છે. કવિ કહે છે, કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુઃખથી તણાયેલા ભંવા – આ કશાની જરૂર નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’

જન્મ અને મૃત્યુ કંઈ બે અલગ ઘટના નથી. બાળક અને વૃદ્ધ –આ બે શું અલગ વ્યક્તિઓ છે? એક જ વ્યક્તિ, જે સમયરેખાના એક બિંદુ પર બાળક છે, એ જ બીજા બિંદુએ પહોંચતા વૃદ્ધ બને છે. એ બેને અલગ વ્યક્તિકરાર કેમ આપી શકાય? જન્મ અને મૃત્યુ પણ એક જ સમયરેખાના બે અંતિમો જ છે. સમય સિવાય એમને એકમેકથી અલગ કેમ પાડી શકાય? મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી પણ ચર્ચાનો વિષય છે. કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ સ્ટાલિનના શાસનકાળમાં પણ એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ હતો. કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. કેમકે એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો જ આ ડર નીકળે. આવી સમજ આવી જાય તો ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) એમ કહેવું ન પડે. દુનિયાની ઘરેડમાં ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં કોઈ નવીનતા નથી. માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ સાચું ગણિત. જેટલો સમય તમે ભીતરથી આનંદિત છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી હવાની અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ થતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

ગ્લૉબલ કવિતા : ૧૯૧ : સૉનેટ ૧૮- વિલિયમ શેક્સપિઅર

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:

Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;

But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:

So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare


સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)


જીવન નાશવંત છે, કળા અમર છે..

દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.

What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.

શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?

વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.

કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.

જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?