ગ્લૉબલ કવિતા : ૧૯૮ : નાનકડું ચિનાર – અજ્ઞાત (ગ્રીક)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું,
સ્થિર જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો પખવાડિક રજા પર હતો ને મેઘલી રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીકિનારે આવી ઊભો. એક તરફ માથે સાંબેલાધાર વરસાદ, કોઈએ સમ ન દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને બીજી તરફ નદી પણ ગાંડીતૂર થઈને બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું તો ખરું, પણ વેગમાં તરવાના બદલે તણાવા માંડ્યો. નસીબજોગે ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડીને માંડ સામા કિનારે એ પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી પહોંચ્યો. કાળીડિબાંગ રાતે કરેલ કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એટલે, બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ચોરપગલે ઉપર ચડ્યો. એની પ્રાણપ્રિયાએ પહેલાં તો એને હરખભેર બાથમાં લીધો પણ પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો ભવસાગર પાર થઈ જાત. યુવકને હાડોહાડ લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટના જેવું જ આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિએ પણ કર્યું હતું એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનની કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક અક્ષર આમતેમ ખસેડી શકાય નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં અન્ય સાહિત્ય-સંસ્કૃતિની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં નદીકિનારે ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ, સમય અને સંસ્કૃતિ ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ મનુષ્યનો રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. કહેવા માટે તો આપણે કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ કે ‘ડૂબે’ છે પણ હકીકતમાં પ્રેમમાં માણસની ઉન્નતિ-ઉર્ધ્વગતિ જ થતી હોય છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રણય અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ સફર છે, ઇરોઝ રાહબર છે, અને સમ્-ભોગ મંઝિલ છે. ગ્રીક સાહિત્યમાં ઇરોઝનો પહેલવહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૭૦૦માં મળે છે અને આ કવિતા તો એનાય આઠસો વર્ષ પહેલાંની છે. મતલબ, આ કવિ ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને એમની તમા પણ નથી, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

‘નાનકડું ચિનાર’ શીર્ષક કવિતા વિશે રહસ્યોદ્ઘાત કરવાના બદલે કવિતાના અગત્ય અંગ તરફ ધ્યાન દોરે છે માત્ર. મૂળ રચનાના લય-છંદ-પ્રાસ વિશે જાણકારીના અભાવમાં સેમ હેમિલના અંગ્રેજી અનુવાદમાં પ્રસ્તુત ત્રણ-ત્રણ પંક્તિના અછાંદસ પ્રાસરહિત પાંચ બંધની પ્રયોજના સ્વીકારી છે. ત્રીજા અંતરામાં બે વાક્યો હોવા સિવાય બાકીના તમામ અંતરા એક-એક સંપૂર્ણ વાક્યરચના ધરાવે છે. કવિતાની શરૂઆત પણ ‘નાનકડું ચિનાર’થી જ થાય છે. પ્રેયસીએ જાતે રોપેલું નાનકડું ચિનાર હવે બોલી શકે એટલું મોટું થઈ ગયું છે. નાયક નદીના આ કાંઠે એ જ વૃક્ષની નીચે ઊભો છે. પ્રેયસીએ જાતે રોપેલા વૃક્ષની કિંમત નાયકને મન કેટલી કિંમત હશે એ સમજી શકાય છે. આ વૃક્ષ માત્ર વૃક્ષ નથી. ઉભયના પ્રેમનું પ્રતીક છે. પ્રેમ તરોતાજો હશે એવામાં નાનકડું વૃક્ષ જે વવાયું હતું. આજે પ્રેમ અને વૃક્ષ બંને પરિપક્વ થઈ ગયાં છે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ પણ આવી ચૂક્યાં છે.

નાયિકા નદીના સામા કાંઠે અને હાલ તુરંત પહોંચની બહાર છે. એટલે ‘પિયરનું કૂતરુંય વહાલું’ના ન્યાયે નાયક ચિનાર વૃક્ષમાં જ નાયિકાનો સાક્ષાત્કાર કરે છે. નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ એને બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડનો સજીવારોપણ અલંકાર અહીં અટકતો નથી, આગળ વધે છે. નાયકને ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સાચે જ સજીવ હોય એમ અંગોપાંગ જેવી દેખાય છે, અને વળી પ્યારી પણ લાગે છે. ઝાડ પર તાજાં કાચાં ફળો અને પાકાં રાતાં ફળો હારોહાર બેઠાં છે. પ્રેમ પુખ્ત પણ છે અને મુગ્ધ પણ. કાચાં-પાકાંના સહજીવન જેવા પ્રેમથી લચેલું વૃક્ષ વહાલું લાગે છે. પાકાં ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વૃક્ષ વૃક્ષ ન રહેતાં બહુમૂલ્યવાન ખજાનો બની જાય છે. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં! પણ પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. સામા કાંઠે રાહ જોવાઈ રહી છે, એની આ કાંઠાને ખબર છે. બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં?

દુનિયા અને દુન્યવી અંતર અપૂરતાં હોય એમ બે પ્રેમીઓના મિલનની સંભાવનાઓની વચ્ચે વહેતી નદી મગર નામની જીવતી મુસીબતોથી ભરી પડી છે. કવિ કહે છે કે મગરો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સાફ વાત છે કે નદી પણ મગરોથી ભરપૂર જ હશે!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપરીને એવું તો ‘કોઇન’ કરી દીધું છે કે મોટાભાગના લોકો આજેપણ આ વાક્ય શેક્સપિઅરનું જ હોવાનું માને છે.)

પ્રેમ સાચે જ આંધળો છે. એ બે હૈયા વચ્ચે વહેતી નદી, છલકાતા મગર કે લળુંબતા મોતને જોઈ જ શકતો નથી. પ્રેમ તો માત્ર બેઉ જણના મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ વિચારવા જેવી વાત છે. અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને મગરો-ભરી નદીમાં જાનના જોખમે ઝંપલાવી દે છે. અને માથે કફન બાંધીને ફનાના માર્ગ પર આગેકદમ કરનાર માટે તો આટલું જ કહી શકાય કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ સાચે જ, સાહસ અને સાહસિકના પડખે તો ખુદ ઈશ્વર આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને નાયકનું હૃદય, એનો ઉમંગ, અને જુસ્સો એવી રીતે કાપી રહ્યાં છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

શેક્સપિઅરે કહ્યું હતું, ‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ એટલે જ પ્રેમીઓ સફરની તકલીફોની પરવાહ ન કરતાં મંઝિલપ્રાપ્તિ તરફ ચાલી નીકળતાં હોય છે. આપણો કાવ્યનાયક પણ પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. મગરભરી નદીમાં જે વ્યક્તિ રસ્તા પર ચાલતા હોવાની સહજતાથી તરી રહી છે, એ હકીકતમાં નાયક નથી, પ્રેમ પોતે જ છે. ફરહાદ જો પ્રેમમાં ન હોત તો શું પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શક્યો હોત? રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, સોહિની-મહિવાલ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે. પ્રેમનો નશો પણ બુદ્ધિના કાર્યક્ષેત્રની પેલે પારનો છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી. અનનુભૂતનો મોહ સર્વને સદા સર્વદા રહ્યો છે.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીયસંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. એટલે જ કવિ કાવ્યાંતે કહે છે કે હા, મારી વહાલી! એ પ્રેમ જ છે જે મને તાકાત અને હિંમત આપે છે અને નદીમાં માર્ગ પ્રશસ્ત કરે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફોએ કહ્યું છે કે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *