Category Archives: સંગીતકાર

શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં

પ્રખર સંગીતકાર અને સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજકનું અવસાન 3 ડિસેમ્બર 2020ના રોજ થયું.એમની શ્રધાંજલિ રૂપે અમે એમના સ્વરાંકનો અહીં પ્રસ્તુત કરીએ છીએ.માધ્વી મહેતાના આ સ્વરાંકનો અમને આપવા બાદલ આભારી છીએ.

ભોજક એટલે જૈન સંગીતકાર. ગુજરાતમાં ભોજક, નાયક, વ્યાસ અને મીન ચાર જાતિના લોકો નાટ્ય અને સંગીત ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા હોય છે. ગજાનનકાકાએ કહ્યું હતું કે, સંગીત આપણા પરિવારમાંથી જવું જોઈએ. તમારી પેઢીમાં સંગીતના કલાકારો એટલા છે જેટલા નાન્હાલાલના પરિવારમાં કવિઓ પણ નહિ હોય.
-જયદેવ ભોજક, સંગીતકાર

સંગીત સાથે સંકળાયેલ પરિવાર
ત્રીજી પેઢી | દલસુખભોજક
ચોથીપેઢી | નારણદાસ,કુષ્ણલાલ, વાસુદેવ, ગજાનન ભોજક.
પાંચમીપેઢી | જયદેવ,લાભશંકર, નામદેવ, જગદેવ, ડો.પ્રભાતદેવ અને રમાદેવી ભોજક.
છઠ્ઠીપેઢી | ગિરીરાજ,હેમેન્દ્ર, દેવરાજ, હંસરાજ, હેમંત, મેહુલ, ગોપી, પ્રતિમા, ભાવના
સાતમીપેઢી |બ્રીન્દા, હાર્મની,ખુશબુ, આશિષ, પરમ, મથુર, મીરા, યશ

શહેરનો ભોજક પરિવાર અને સંગીત એકબીજાનું પર્યાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતમાં નામાંકિત, તેમજ સુગમ સંગીત ક્ષેત્રે પ્રખ્યાત પરિવારના ગળથૂંથીમાં સંગીત વણાયેલું છે. આજે તેમની સાતમી પેઢી સંગીતના વારસાને તેમજ પરિવારની પ્રથા સાચવવામાં સફળ નીવડી છે. ભોજક પરિવાર અને રાજ ઘરાનના સંગીત સાથે અનેરો નાતો છે. મૂળ ભાવનગરનું પરિવાર. જેમની ત્રીજી પેઢીમાં થયેલ દલસુખ ભોજક અને તેમના ચાર પુત્રો ભાવનગર રાજ પરિવારના ગાયકો હતા. સંગીતનું તેમનામાં પ્રચૂર જ્ઞાન. ત્યાર બાદ વાસુદેવ ભોજકના મોટાપુત્ર જયદેવ ભોજકે વડોદરામાં આકાશવાણી કેન્દ્રમાં મ્યૂઝિક ડાયરેક્ટરની નોકરી મેળવીને વડોદરામાં સ્થાયી થયા હતાં. પણ, મોટા પુત્રની જવાબદારી તેમણે નિભાવીને અને બાકીના તમામ ભાઈ-બહેનોને સંગીત શીખવાડ્યું. પૂર્વજો જ્યાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર હતા, ત્યાં જયદેવભાઈએ સુગમ સંગીતમાં રસ દાખવીને તમામને શીખવાડ્યું. મહારાજા સ્વ.રણજીતસિંહ મહારાજ, પ્રજ્ઞા છાયા, કૃષ્ણકુમાર ગોસ્વામી, રાજેન્દ્ર શાહ, ભાવના નાયક, માયા વ્યાસ, આસિત દેસાઈ, વ્રજલતા વહુજી, અંજલી મેઢ, લતા પ્રભુણે જેવા અનેક કલાકારો તેમની પાસેથી તાલીમ લીધી હતી.

પ્રખર સંગીતકાર અને મ્હારા સૌ પ્રથમ સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજક ને આ સાથે હું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમનો દેહ વિલય ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ થયો. એમની પાસે સંગીત શિખવું એ મ્હારું અહોભાગ્ય હતું. અને એ યાદો તાજી કરતી હતી ત્યારે AIR ઉપર ગાયેલાં એમના compositions ના ઘણાં જૂનાં recordings હાથ મા આવ્યાં. આ ઓરિજિનલ recordings લગભગ ચાળીસ થી પણ વધારે વર્ષ જૂનાં છે અને બે ત્રણ વાર ટ્રાન્સફર થવા થી ઓરિજિનલ સ્પીડ માં થોડો ફેરફાર થઇ ગયો છે પણ પૂજ્ય જયદેવભાઇ ને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીતો જે એમના compositions છે એ અહીં રજુ કર્યાં છે. છેલ્લા બે tracks “બંસીવાલા આજો મોરા દેસ” અને “વાટ જુવે છે મીરા રાંકડી” એ વધારે recent રેકોર્ડિંગ્સ સ્ટુડિયો માં કરેલા છે. હું નવ વર્ષ ની હતી ત્યારથી મ્હારાંમાં સંગીત ના સંસ્કાર નું સિંચન કરવા બદલ હું પૂજ્ય જયદેવભાઇ ની આજીવન ઋણી રહીશ. હરિ ૐ .
— માધ્વી મેહતા

શ્ર્રી જયદેવભાઇ ભોજક વિષે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

શ્ર્રી જયદેવભાઇ ભોજકના અવાજમાં 40 જૂનું રેકોર્ડિંગ માધ્વીબેન એ મોકલ્યું છે.સાંભળો (ઓડિયો જૂનો છે એટલે ગુણવત્તા એટલી સારી નથી)

.

.

1.સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા
2.શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”
3.તમારી યાદની -અમૃતલાલ દવે
4.બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ
5.વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ
6.મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
7.અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા

શબ્દ રચના : સુરેશા મજમુંદા
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

મલય તણાં એ મસ્ત પવન થી છૂટી કેશ કમાન
સજાવે વેણી સુંદર શ્યામ

પલાશ નાં રાતા રંગો પર
પાથરી વસ્ત્ર ધરી અંગો પર
વસન્ત કેરાં અનંગ રંગે
અંકાયા બે નામ

મલમલ સરખા લઈ મોગરા
ગુલાબ નાં ગુંજે છે ભમરા
મનગમતી વેણી લઈ હાથે
ગૂંથે છે ઘનશ્યામ

પ્રિયમુખ જોઈ જ્યાં મલક્યા
રાધા કેશ કરે થી સરક્યા
હસતા કે રાધા હાર્યા છો
હૃદય જીત્યા છો શ્યામ
– સુરેશા મજમુંદા

કરુણામયી માત – વિહાર મજમુદાર

શબ્દરચના, સ્વરાંકન – વિહાર મજમુદાર

.

કરુણામયી માત ભવાની મહાદેવી
કરુણામયી માત ભવાની…..

તું જ તેજ, તું જ પ્રભા, તું જ જ્ઞાન, તું પ્રકાશ
તું જ દયા, તું જ કૃપા, તવ દર્શન સર્વ આશ
પરમેશ્વરી માત ભવાની મહાદેવી….કરુણામયી..

પુષ્પ તણી છાબ ભરી હૃદયે શુભ ભાવ ભરૂં
તવ ચરણે નમન કરી શ્રદ્ધાનો દીપ ધરૂં
વરદાયીની માત ભવાની મહાદેવી…કરુણામયી…

રમ્ય ગગન, રમ્ય ધરા, રમ્ય પર્વ, રમ્ય રાત
દિવ્ય તેજ પૂંજ થકી પ્રગટ્યાં જગદંબા માત
સર્વેશ્વરી માત ભવાની મહાદેવી…..કરુણામયી…
-વિહાર મજમુદાર

દીવો રે પ્રગટાવો નાથ -રવીન્દ્ર ઠાકોર

સૌને દિવાળીની શુભેચ્છાઓ
આ દિવાળીના પર્વે ચાલો દીવો પ્રગટાવીએ અને આ સુંદર પ્રાર્થના સાંભળીએ.

સ્વર અને સંગીત:સચિન લીમયે
સ્વરકાર : ભાઈલાલ શાહ

.

દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો !

ઘોર રે અંધારું ભર્યું ઘટ ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક તો પગલીનો પંથ કોઈ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !

સૂનું સૂનું કોડિયું ને સૂની આજ એની વાટ,
પ્રગટાવો જ્યોતિ એની સુની આજ મારી વાટ !
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
-રવીન્દ્ર ઠાકોર

જીવન જ્યારે સુકાય ત્યારે – રવિન્દ્રનાથ ટાગોર

7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.

આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ

કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ

.

જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો

દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો

વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

નમ્રતાના નિધિ – મોહનદાસ ગાંધી

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ

.

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi

અનુવાદ: ઉમાશંકર જોશી
સંદર્ભ: “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

.

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી

હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે

માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ

હું એક અનામી નદી – સુરેશ દલાલ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ
આલબમ : હસ્તાક્ષર

.

હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.
– સુરેશ દલાલ

ટપકે છે લોહી આંખથી – અમૃત ઘાયલ

શાયર અમૃત ઘાયલ:
જન્મ: 19/8:
કોઈકે કહેલું કે રાંધણ છઠ તે ઘાયલસાહેબનો જન્મદિવસ।.
તારીખ પ્રમાણે 19/8. ગઝલમાં તળપદા ગુજરાતી શબ્દો લઇ આવનાર ને મુશાયરા ગજવનાર શાયર તે ઘાયલસાહેબ। એમણે ને કવિ મકરન્દ દવેએ સંપાદિત કરેલું ગઝલનું પુસ્તક-‘છીપનો ચહેરો ગઝલ’તે મારૂં પ્રિય પુસ્તક છે ને એની પાસે વારંવાર પહોંચું છું, અટકું છું.
આજે એમની આ ગઝલ માણો.
દરેક શેરમાં તુલના છે એમ લાગે।
કાવ્યો અને કહાણી, લોહી અને પાણી,મૌન અને વાણી, ઉદાસી અને ઉજાણી, દાસી અને રાણીમાં તુલના horizontal છે. આ તુલના vertically પણ વિચારી શકાય?તો આમ બને-
કાવ્યો – કહાણી
લોહી – પાણી
મૌન – વાણી
ઉદાસી – ઉજાણી
દાસી – રાણી
મારૂં પ્રિય સ્વરનિયોજન ઓસમાણ મીરે અદભુત ગાયું છે.
– અમર ભટ્ટ

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઓસમાણ મીર
આલબમ: સ્વરાભિષેક:4

.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
-અમૃત ઘાયલ

સ્વતંત્રતા, દે વરદાન આટલું – ઉમાશંકર જોશી

15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ

પઠન:અમર ભટ્ટ

.

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી