Category Archives: ગીત

ગ્લૉબલ કવિતા: ૬૭: એની લજ્જાળુ પ્રેયસીને – એન્ડ્રુ માર્વેલ

આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.

પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.

તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.

– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સમયથી વધુ ગતિશીલ અને વધુ સાપેક્ષ સૃષ્ટિમાં બીજું કંઈ ખરું? ઘડિયાળના કાંટા ભલે અટકી જાય, સમય અટકતો નથી. એ કોઈનાય માટે નથી થોભ્યો, નથી થોભવાનો. સમયની કરવત આપણને સહુને એકધારા વેતરતી જ રહે છે. સમયની આ ચંચળતા કોઈ માટે અલગ નથી. ગુજરાતીમાં આપણે ‘કાલ કોણે દીઠી છે?’ કહીએ છીએ ને અંગ્રેજી ભાષા એ જ વાત ‘ટુમોરો નેવેર કમ્સ’ કહીને કરે છે. નર્મદ કહી ગયો:

કાલ કરીશું, આજ કરીશું, લંબાવો નહીં દહાડા
વિચાર કરતાં વિઘ્નો મોટાં વચમાં આવે આડા રે.
ડગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે

એન્ડ્રુ માર્વેલની કવિતા આ જ વાત કરે છે. એ પ્રેયસીને જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપે છે.

એન્ડ્રુ માર્વેલ. જન્મ ૩૧-૦૩-૧૬૨૧ના રોજ વાઇનસ્ટેડ, ઇંગ્લેન્ડ ખાતે. પિતાનું નામ પણ એન્ડ્રુ જ હતું. તેઓ હોલી ટ્રિનિટી ચર્ચમાં પાદરી અને પ્રવચનકાર હતા. કેમ્બ્રિજથી બી.એ. કર્યું. પિતાના આકસ્મિક મૃત્યુ અને ૧૬૪૨માં ફાટી નીકળેલા ગૃહયુદ્ધના કારણે અનુસ્નાતક થવાની ઇચ્છા અધૂરી રહી. ચાર વર્ષ સુધી સતત યુરોપપ્રવાસ કર્યો જેના ફળસ્વરૂપે એમની કવિતાઓમાં ફ્રેન્ચ, ડચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓ ડોકિયાં કરતી નજરે ચડે છે. પ્રવર્તમાન અંગ્રેજી પ્રથા મુજબ તેઓ પણ ખાનગી ટ્યુશન આપતા. લશ્કરી વડા ઓલિવર ક્રોમ્વેલથી પ્રભાવિત. ક્રોમ્વેલ પર કવિતાઓ પણ લખી. બે વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા અને પછી પણ સરકારી નોકરી ચાલુ રાખી. જોન મિલ્ટનના મિત્ર. રિસ્ટોરેશન દરમિયાન જેલમાં ગયેલા મિલ્ટનને છોડાવવામાં એમણે પોતાના પદ અને સત્તા વાપર્યાં હતા. સરકાર વિશેના એમના કટાક્ષકાવ્યો એવા ઉગ્ર હતાં કે નનામા છપાવવાં પડતાં. અંગત જીવન મોટાભાગે અજાણ્યું. આજીવન કુંવારા રહ્યા પણ એમની મકાનદાર મેરી પામરના દાવા મુજબ બંનેએ ૧૬૬૭માં ખાનગી લગ્ન કર્યા હતા. ૧૬-૦૮-૧૬૭૮ના રોજ ૫૭ વર્ષની નાની વયે તાવ પછી અણધાર્યું નિધન. મૃત્યુનું કારણ પણ અજાણ્યું. કહેવાય છે કે જેઝ્યુઇટ સંપ્રદાયીઓએ ઝેર આપીને એમની હત્યા કરી હતી. મૃત્યુપર્યંત તેઓ ઉગ્ર પણ વફાદાર દેશભક્ત તરીકે જાણીતા થયા. મોટાભાગની કવિતાઓ એમના નિધનના ત્રણ વર્ષ બાદ પ્રગટ થઈ.

સત્તરમી સદીના સૌથી નોંધપાત્ર કવિઓમાંના એક. જોન ડનની જેમ એ પણ આધિભૌતિક (મેટાફિઝિકલ) કવિ હતા. સાથોસાથ એમની રચનાઓ એમને ‘કેવેલિઅર’ કવિઓના વર્ગમાં પણ મૂકે છે. કેવેલિઅર કવિઓ પારંપરિક કવિતાઓની જેમ ધર્મ, કળા, ફિલસૂફીની વાતો કરવાના બદલે જીવનના આનંદ પર વધુ ભાર મૂકે છે. મેટાફિઝિકલ પોએટ્રીની ચતુરાઈ અને સંકુલતાની સાથોસાથ કેવેલિઅર કવિતાનું લાવણ્ય પણ ઉજાગર કરતી એન્ડ્રુની કવિતાઓ આ બે પરંપરાની વચ્ચેના સેતુ સમી છે. એમના ગીતોમાં લાગણીની અદભુત તીવ્રતા અને અલૌકિક સૌંદર્ય નજરે ચડે છે. પાછળથી એમના પદ્ય અને ગદ્ય બંને ધર્મ વિવાદ અને કડવા આકરા કટાક્ષપ્રચુર બન્યા એ જોતાં એમ લાગે જાણે રંગીન નાજુક પતંગિયું ઉત્ક્રાંતિમાં ઊલટા પગલે ચાલીને ઈયળ બની ગયું. ઇલિયટે એમના વિશે જે નિબંધ લખ્યો એ પછી સમયથી ડાબા હાથે ક્યાંક મૂકાઈ ગયેલ આ કવિ પુનઃ લોકનજરે ચડ્યા. એ પછીથી એમની પ્રસિદ્ધ્રિ આજદિન સુધી સતત વધતી રહી છે. વિશાળ કાર્યક્ષેત્ર અને ગર્ભિત સંદિગ્ધતાના કારણે માર્વેલની લોકપ્રિયતા સતત નવી ઊંચાઈઓ આંબી રહી છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ ૪૬ પંક્તિઓનું પ્રમાણમાં લાંબુ ઊર્મિગીત (Lyric) છે. ત્રણ અંતરા પાડીને કવિ પોતાની વાતને ત્રણ ભાગમાં વહેંચે છે. છંદ આયમ્બિક ટેટ્રામીટર છે, અર્થાત્ દરેક પંક્તિમાં ડ-ડમ, ડ-ડમ એમ લઘુ-ગુરુના લયમાં ચાર શબ્દાંશ (Syllables) હોય છે. એલેક્ઝાન્ડર પોપે જેમાં પ્રચંડ નામના મેળવી એ યુગ્મક (couplet) અહીં પ્રયોજાય છે, જેમાં દર બબ્બે પંક્તિ પ્રાસમાં લખાયેલી હોય છે. આપણે ત્યાં ગઝલના મત્લામાં આ પ્રકારની ગોઠવણ વધુ સહજ અને આપણે લોકો માટે વધુ પરિચિત હોવાથી ગઝલનો રમલ છંદ અને મૂળ કૃતિની જેમ જ બબ્બે પંક્તિની સ્વતંત્ર પ્રાસરચના જાળવીને કામ કરવું વધુ યોગ્ય લાગ્યું છે. કવિતાના શીર્ષક પરથી સમજી શકાય છે કે પ્રેમી અને શરમાળ પ્રિયતમા વચ્ચેની આ વાત છે. પણ શીર્ષકમાંના ‘Mistress’ શબ્દ પર જરા અટકીએ.

કવિ એની પ્રેમિકા માટે ‘Mistress’ શબ્દ પ્રયોજે છે. ચૌદમી સદીમાં આ શબ્દનો અર્થ પ્રભાવ ધરાવનાર સ્ત્રી કે શિક્ષિકા કે આયા થતો હતો. આ કવિતા લખવામાં આવી એ સમયે મિસ્ટ્રેસનો અર્થ (પુરુષના હૃદય પર આધિપત્ય ધરાવનાર) પ્રેયસીના અર્થમાં વપરાતો હતો. આજે જે અર્થ આપણને અભિપ્રેત છે એ ‘રખાત’ અર્થ તો પાછળથી આવ્યો. એ જ રીતે હાલના તબક્કે ‘Quaint’નો મતલબ જુનવાણી થાય છે. ફ્રેન્ચ Cointe અર્થાત્ જ્ઞાની પરથી ૧૨મી સદીમાં આ શબ્દ અંગ્રેજીમાં આવ્યો ત્યારે એનો અર્થ હોંશિયાર, લુચ્ચું કે ગર્વિષ્ઠ થતો હતો. કવિતા લખાઈ એ અરસામાં એનો અર્થ ‘વિલક્ષણ’ કે ‘લાવણ્યસભર’ થતો હતો. આજે એ ‘જુનવાણી’ના અર્થમાં વપરાય છે. આમ, અનુવાદ કરતી વખતે ન માત્ર શબ્દો પર, શબ્દોના ઇતિહાસ પર પણ અનુવાદકની આંખ હોવી ઘટે. જે તે શબ્દનો અર્થ જે તે સમયે આજના અર્થ કરતાં અલગ હોવાની સંભાવના ચકાસ્યા વિના કરેલો અનુવાદ કે આસ્વાદ અનર્થ સર્જી શકે છે.

પ્રિયતમા સંભોગ કરવાની મના કરી રહી છે, સંકોચ અનુભવી રહી છે, ‘આજ નહીં, કલ’ના બહાનાં આગળ ધરી રહી છે પણ નાયકની અંદર પ્રેમોર્મિઓ સંભોગસાગરમાં ઊંડી ડૂબકી મારવા તલપાપડ થઈ રહી છે. એટલે શીર્ષક ભલે ‘એની લજ્જાળુ પ્રેયસીને’ કેમ ન હોય, ગીત યેનકેન પ્રકારે પ્રેયસીને પટાવવા-મનાવવા મથી રહેલા પ્રિયતમનું છે. એ કહે છે, જો આપણી પાસે પૂરતી દુનિયા અને જરૂરી સમય હોત તો આ શરમ કોઈ ગુનો નથી. જો એમ હોત તો આપણે શાંતિથી બેસીને દિવસ વિતાવત. તું પૂર્વમાં ગંગાકિનારે માણેક વીણજે ને હું ધરતીના બીજા છેડે યુરોપના પૂર્વી કિનારે હમ્બરની ભરતીની બજુમાં ઊભો ઊભો આ ફરિયાદ કરીશ. પ્રલયના દસ વરસ પહેલાંથી હું તને પ્રેમ કરત. પૃથ્વી અને મનુષ્યજાતિની ઉત્પત્તિની વાત કરતા ખ્રિસ્તીઓના ગ્રંથ ‘જિનેસીસ’ મુજબ ભગવાને નોઆહને સૂચના આપીને મોટું જહાજ બનાવડાવ્યું, જે નોઆહ’સ અર્ક તરીકે ઓળખાયું, જેમાં નોઆહે પૃથ્વી પર અસ્તિત્ત્વ ધરાવતા તમામ જાતના સજીવ પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાવી લીધા અને આ વહાણ પ્રલયના દોઢસો દિવસ સુધી સમુદ્ર પર તરતું રહ્યું અને એમ પૃથ્વી પર જીવનનો વંશવેલો આગળ વધ્યો. હોલીવુડની ફિલ્મ ‘૨૦૧૨’ની યાદ અપાવે એવી આ વાત છે. કુરાનમાં પણ આ પ્રલયની અને જહાજ ‘સફીના નુહ’ની વાત છે. આપણે ત્યાં પણ મત્સ્યાવતારમાં રાજા સત્યવ્રત મનુ સજીવસૃષ્ટિને લઈને જહાજમાં બેસી જાય છે, જે જહાજને વાસુકી નાગ વડે બાંધીને મત્સ્યસ્વરૂપે વિષ્ણુ સુમેરુપર્વત પર સહીસલામત લઈ આવે છે. ૪૫૦૦ વર્ષ જૂના મેસોપોટેમિયાના ‘એપિક ઑફ ગિલામેશ’માં આ પ્રલયની વાર્તા સૌપ્રથમવાર જોવા મળે છે. નાયક પ્રલયના દસકા પહેલેથી નાયિકાને ચાહવા તૈયાર છે અને દુનિયાભરના યહૂદીઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લે ત્યાં સુધી નાયિકાની ના સાંભળવા તૈયાર છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે જગતભરના યહૂદીઓ સૃષ્ટિના અંત ટાણે આ ધર્મપરિવર્તન સ્વીકારશે. ‘The conversion of the Jews’ નામની ફિલિપ રોથે ૧૯૫૯માં લખેલી લઘુનવલ ખૂબ જાણીતી બની. જો કે આ કવિતામાં વપરાયેલ શબ્દપ્રયોગો કેટલીય નવલકથાઓ અને વાર્તાઓના મથાળાં બન્યાં છે.

‘હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે’ જેવી વાત કરીને કવિ આગળ વધે છે. પોતાના નિષ્ક્રિય પ્રેમ માટે એ vegetable love શબ્દ કોઇન કરે છે. મગજને નુકશાન થવાના કારણે કોઈ સજીવ સામાન્ય શારીરિક અને માનસિક ક્રિયાઓ માટે બિલકુલ અશક્ત થઈ જાય એવી નિશ્ચેતન અવસ્થાને ‘વેજીટેબલ’ કહે છે. નાયક કહે છે કે જો પૂરતો સમય હશે તો મારો ભાજીમૂળા જેવો નિષ્ક્રિય પ્રેમ કૂર્મગતિએ મોટાં રાજ્યો કરતાં પણ વધુ વિશાળ બનશે. પ્રેયસીના સંકોચ પરની કટાક્ષગાથા આગળ લંબાવતા નાયક વળી અતિશયોક્તિ અલંકાર વાપરીને કહે છે કે તારા શરીરના અંગોપાંગની પ્રસંશા કરવા માટે વરસો, સૈકાઓ નહીં, યુગો પણ નાનાં ને ઓછાં પડશે કેમકે પ્રેયસીનું સૌંદર્ય ઓછામાં ઓછા આટલા વખાણનું અધિકારી તો છે જ ને નાયકનો પ્રેમ પણ ખચીત ઊતરતી કક્ષાનો નથી, એ આનાથી ઓછો પ્રેમ કરી શકે એમ જ નથી.

નાયિકાના ઇનકાર સાથે જાણે પોતે સહમત હોય એમ એને પૂરતી ફોસલાવી-વખાણી લીધા બાદ નાયક બીજા બંધમાં પેંતરો બદલે છે. કહે છે, પોતાની પૂંઠે એ એકધારો કાળના પાંખે ઊડીને, અર્થાત્ મારમાર ઝડપે ખૂબ નજીક આવી રહેલા રથના અવાજને સાંભળી રહ્યો છે ને પોતાની નજર સામે શાશ્વતતાના અફાટ રણને વિસ્તરેલું જોઈ રહ્યો છે. શાશ્વતી વિશાળ નિર્જીવ રણથી વિશેષ શું હોઈ શકે? એ કહે છે કે તારું આ સૌંદર્ય કે મારાં આ પ્રેમગીતો આરસપહાણની કબરની અંદર દટાઈ જવા નથી સર્જાયાં. કબરની અંદર તો જે અક્ષુણ્ણતા, જે કૌમાર્ય તું આટલા લાંબા સમયથી સાચવવાની ફિરાકમાં પડી છે એને કીડાંઓ ફોલી ખાશે. તારું આ અનોખું માન-ગર્વ અને મારી તમામ વાસનાઓ રાખમાં પરિણમશે. બંધના અંતે નાયક કટાક્ષની ધાર કાઢતાં વળી પૂછે છે, કે હા, કબર સુંદર અને એકદમ ખાનગી જગ્યા છે પણ શું કોઈ ત્યાં એકબીજાને ભેટવા માટે જાય છે ખરા? સત્તરમી સદીની અર્થચ્છાયાઓ વિશે વિચારીએ તો કૌમાર્ય, માન અને વાસનાનો અર્થ સીધો જાતીય અંગો તરફ નિર્દેશ કરે છે.

જે વાત કહેવા માટે આટલી લાંબી પૂર્વભૂમિકા નાયકે બાંધી છે એ વાત યાને કવિતાનો કેન્દ્રવર્તી વિચાર -Carpe Diem (આજને ચૂંટી લો, આજમાં જીવો)- ત્રીજા અને આખરી બંધમાં આવે છે. માર્વેલ રાજકારણી હતા. પ્રખર કટાક્ષકાર પણ હતા એટલે વક્રોક્તિ સાથેની દાવા-દલીલની આ પદ્ધતિ એમને હસ્તગત હતી. કહે છે, સવારે પુષ્પ પર પડેલ ઝાકળ જેમ થોડી વારમાં ઊડી જાય છે એમ આપણું યૌવન પણ બાષ્પીભૂત થઈ જાય એ પહેલાં અને તારા રોમ-રોમમાંથી કામાગ્નિ પ્રગટી રહ્યો છે ત્યાં સુધીમાં ચાલ, આ જુવાનીનો ભરપૂર આનંદ ઊઠાવી લઈએ. શેક્સપિઅરના ‘ટ્વેલ્ફ્થ નાઇટ’નો સંવાદ યાદ આવે: ‘જે આવનાર છે એ હજી નિશ્ચિત નથી. વિલંબમાં કોઈ પ્રાચુર્ય નથી. તો આવ અને મને ચુંબન કર, જ્યાં સુધી તું વીસની છે, યુવાની કંઈ કાયમ રહેવાની નથી.’

સમય એના ધીમા જડબાંમાં આપણને ધીરે ધીરે ચાવીને ક્ષીર્ણ કરી દે એ પહેલાં આપણે જ કામુક શિકારી પક્ષી જેમ શિકાર પર ઝપટે એમ આપણે જ સમયનો કોળિયો કરી લઈએ. જે પ્રેમને કવિ પહેલાં ભાજીમૂળા જેવો લૂલો અને ધીમો ગણાવતા હતા એ હવે ઉગ્રતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. આ કોઈ Lovey-Doveyનો સુષ્ઠુ સુષ્ઠુ પ્રેમ નથી, આ પ્રેમ જંગલિયતથી ભરપૂર છે. રતિક્રીડાની પરાકાષ્ઠાએ એકમેકને જ નહીં, સમયને પણ ઝાપટી જનારો આ શિકારી પ્રેમ છે. સંબંધની મીઠાશ અને યૌવનની શક્તિ જ્યાં સુધી લુપ્ત નથી થયા ત્યાં સુધી પૂરજોશમાં સમ-ભોગમાં રત થઈ જઈએ, બેમાંથી એક બની જઈએ. જિંદગીના લોખંડી દરવાજાઓમાં થઈને કરકરા સંઘર્ષની છરી વડે આપણે આપણા આનંદને ચીરી કાઢીને પ્રાપ્ત કરી લઈએ. જિંદગીના લોહદ્વારનો ઉલ્લેખ થોડો સંદિગ્ધ છે. લાયોનેલ ટ્રિલિંગ ના મત મુજબ એન્ડ્રુને વર્જિલના ‘ઇનિયડ’માં આવતા હેડ્સ (Hades)ના શિંગડા અને હાથીદાંતના દરવાજા જેમાં થઈને અનુક્રમે સાચા અને છેતરામણા સપનાંઓ આવે છે એ અભિપ્રેત હોઈ શકે છે. જો કે આ બે દરવાજાઓની વાત પહેલવહેલી હોમરના ‘ઑડિસી’માં અને ત્યારબાદ પ્લેટોના ‘કાર્મિડિઝ-ડાયલોગ્સ’માં જોવા મળે છે. સૂર્યના રથને થોભાવવો કે અમર થવું તો આપણા માટે શક્ય નથી… સમય તો વહેતો જ રહેવાનો છે, તો શા માટે આપણે યૌવનનો એવો ઉત્સવ ન ઊજવીએ કે એ ઈર્ષ્યાનો માર્યો દોડતો થઈ જાય? એક તરફ કાળના પાંખાળા રથના અવાજથી જન્મતો ભય અને બીજી તરફ સૂર્યને દોડાવીને સમયના બાપ થઈ જવાની ખુમારીના કારણે આ કવિતા સાધારણમાંથી અદભુતની કક્ષાએ પહોંચે છે.

એની ફિંચ નામની કવયિત્રી ‘કોય મિસ્ટ્રેસ’ કવિતામાં માર્વેલને જવાબ આપતાં કહે છે કે, હું કોઈ શિકારી પક્ષી નથી. સમય આપણને વૃદ્ધ બનાવી જ દેશે અને કબર માત્ર શરીરનો શાપ નથી. ભલે તમે મારી આંખ, કપાળ અને સ્તનના વખાણ કરો છો, શા માટે આપણે કવિતા લખીને સમયને મધમીઠો ન બનાવીએ? બદલામાં સમય આપના પ્રેમને મીઠો બનાવશે અને પ્રેમ સાબિત કરવાને સમય પણ આપશે. અન્ય એક કવિ એ.ડી. હૉપ ‘હિઝ કોય મિસ્ટ્રેસ ટુ મિ. માર્વેલ’ કવિતામાં લજ્જાળુ નાયિકા એન્ડ્રુના શબ્દપ્રપંચ સામે ખુલ્લો પડકાર ફેંકે છે.

ગ્લૉબલ કવિતા: ૬૪ : પુરાતન ખલાસીની કવિતા- સેમ્યુઅલ ટેઇલર કોલરિજ

The Rime of the Ancient Mariner

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– Samuel Taylor Coleridge

પુરાતન ખલાસીની કવિતા

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

પીંછીના બદલે કલમથી દોરાયેલા અમર ચિત્રો…

શેક્સપિઅરનો હેમ્લેટ કહે છે: ‘નાટકનો હેતુ પહેલાં પણ અને આજે પણ પ્રકૃતિ સામે અરીસો ધરવાનો (“Hold mirror up to the nature”) જ હતો અને છે-સારાને સારો અને ખરાબને ખરાબ બતાવવાનો.’ કવિતા સમાજનો અરીસો છે. એ સમાજને એનો ચહેરો જેવો છે એવો જ દેખાડવાનું કામ કરે છે. મનુષ્યજીવનની મર્યાદાઓ, ક્ષતિઓ, દુર્ગુણો પર પ્રકાશ ફેંકીને કવિઓ સમાજને સાચા જીવનનો રાહ દેખાડવાનું કામ કરે છે. અભિમાન પણ આવો જ એક દુર્ગુણ છે. અભિમાનના અરીસામાં સર્વનાશ સિવાય કંઈ જ નજરે ચડતું નથી. રાવણ તરફ જુઓ કે કંસ તરફ, દુર્યોધન તરફ જુઓ કે હિરણ્યકશ્યપ તરફ –અભિમાનના નશામાં જે જે ચૂર થયા છે એ વયષ્ટિ અને સમષ્ટિ માટે વિનાશ જ લાવ્યા છે. કોલરિજ એની વિશ્વપ્રસિદ્ધ કવિતામાં આ વાત આગવા અંદાજ થી કરે છે.

સેમ્યુઅલ ટેઇલર કોલરિજ. લગભગ સાડી ત્રણસો વર્ષ પૂર્વે ૨૧-૧૦-૧૭૭૨ના રોજ ડેવોનશાયર ખાતે એક પાદરી અને શાળાશિક્ષકને ત્યાં તેરમા સંતાન તરીકે જન્મ. દસ વર્ષની ઊંમરે પિતાનું અવસાન. દસ વર્ષની ઊંમરે લંડન ભણવા ગયા ને દસ વર્ષ ત્યાં રહ્યા. ઊંમરના પ્રમાણમાં ખૂબ પ્રતિભાશાળી. મા-બાપ અને મિત્રોના અભાવમાં ભયંકર એકલતામાં જીવ્યા. પણ આનો ફાયદો એ થયો કે એ પારંપારિક શાસ્ત્રીય સાહિત્યના ઊંડા અભ્યાસુ અને તત્ત્વ તથા ધર્મના પ્રખર મીમાંસુ બન્યા. એ પછી કેમ્બ્રિજ ગયા પણ આઝાદી અને પ્રજાસત્તાકનું ભૂત માથે સવાર થયું એટલે સેનામાં જોડાયા પણ કંઈ ખાસ ઊકાળ્યા વિના જ કેમ્બ્રિજ પાછા ફર્યા પણ ડિગ્રી લીધા વિના જ કોલેજ છોડી. ‘લેક પોએટ’ રૉબર્ટ સાઉથીની સાળી સારાહ ફ્રિકર સાથે જલ્દબાજીમાં પરણી ગયા ને પછી કલ્પદ્વીપ (યુટોપિઆ)ના સર્જનમાં મચી પડ્યા. બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી એમણે ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી. ટૂંકસમયમાં જ વાસ્તવિક્તાની કાલિમાથી સુપેરે અવગત થયા. કલ્પનાનું રામરાજ્ય પડી ભાંગ્યું, લગ્નજીવનની ઉતાવળ માથે વાગી અને ગરીબીનો ભોગ બન્યા તે નફામાં. ૧૭૯૭માં વર્ડ્સવર્થ ભાઈ-બહેન સાથેની એમની જગપ્રસિદ્ધ મૈત્રી પ્રારંભાઈ. બંને માટે આ મૈત્રી વરદાનરૂપ બની. બંને એ ભેગા થઈને ‘લિરિકલ બેલડ્સ’ પુસ્તક પ્રગટ કર્યું જેની લોકપ્રિયતા આજે પણ ચરમસીમાએ છે. આ સીમાચિહ્ન પુસ્તકથી ઉત્કૃષ્ટ અહંકારી કવિતાનો યુગ શરૂ થયો. ‘રોમેન્ટિક યુગ’ના અગ્રણી પ્રણેતા. ‘લેક પોસ્ટ્સ’માંના એક. બિનશરતી વર્ષાસન મળતાં નાણાંભીડ પૂરી થઈ. વર્ડ્સવર્થની સાળી સારાહ હચિન્સનના પ્રેમમાં પડ્યા. નાનપણથી એકલતા અને માનસિક બિમારીના શિકાર હતા જે અફીણની આજીવન લતમાં પરિણમી. શારીરિક બિમારીઓ પણ ઘેરી વળી. વર્ડ્સવર્થ સાથેની દોસ્તી જેટલી ગાઢ હતી એવી જ બે વર્ષ જેટલી ટૂંકી દુશ્મની પણ થઈ, જે જો કે પૂર્વવત્ મૈત્રીમાં કદી પરિણમી ન શકી. ૨૫-૦૭-૧૮૩૪ના રોજ અફીણ સાથે સંલગ્ન ફેફસાંની બિમારી અને હાર્ટ ફેઇલ્યરના કારણે નિધન.

તીવ્ર કલ્પના શક્તિ એમની કવિતાનો પ્રધાન રંગ છે. કવિતાના એવા કુશળ કસબી કે એમના સર્જનમાંથી ભૂલ શોધવી અઘરી થઈ પડે. ‘ક્રિસ્ટાબેલ’માં એમણે જે છંદ પ્રયોજ્યો તે આજે ‘ક્રિસ્ટાબેલ મીટર’ તરીકે ઓળખય છે, આના પરથી એમની કાવ્યકુશળતા સમજી શકાય છે. અલૌકિક જગત, ખાસ કરીને પ્રેતાત્માઓ અને દુનિયાની અસ્પષ્ટતાઓ એમની રચનાઓમાં સતત દૃષ્ટિગોચર થાય છે. અવિશ્વાસનો સ્વૈચ્છિક અનાદર (The willing suspension of disbelief)માં તેઓ માનતા અને એમની રચનાઓ વાચકને બે પળ માટે એ વાત ભૂલાવી દેવામાં સફળ પણ થાય છે કે વાસ્તવજગતમાં આ શક્ય જ નથી. કાવ્યકળામાં એ એટલા પાવરધા હતા કે કાવ્યસૌંદર્ય અર્થ-સમજણની ઉપરવટ ક્યારે પહોંચી ગયું એ ભાવક કળીય નથી શકતો. અને આ બધા સાથે ભાષાની સહજતા પણ એમને સાધ્ય હતી. એમના પ્રવચનો, કવિતાઓ, શેક્સપિઅરનું વિશ્લેષણ, જર્મન ફિલસૂફ કેન્ટના અનુવાદો –આ તમામ સર્વકાલીન ઉત્તમોત્તમ સાહિત્યમાં મોખરાનું સ્થાન પામ્યા છે. નાજુક તનદુરસ્તી, માનસિક બિમારીઓ, અફીણની ઊંડી લત, તત્ત્વમીમાંસા અને આધ્યાત્મનો ચસકો, પ્રેમમાં સતત નિષ્ફળતા, એકલતા –આ બધાની વચ્ચે થઈને પણ જે ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા તથા કવિતાના સ્વરૂપ અને અભિવ્યક્તિ પરની હથોટી તરી આવે છે એ અભૂતપૂર્વ છે.

‘ધ રાઇમ ઑફ એન્શન્ટ મરિનર’નો જન્મ વર્ડ્સવર્થ સાથેની દોસ્તીમાંથી થયો. બંનેએ બે જાતની કવિતાઓ રચવી નક્કી કર્યું. વર્ડ્સવર્થ રોજબરોજની જિંદગી અને વાસ્તવિક્તાને વિષયવસ્તુ બનાવીને રચનાઓ કરે અને કોલરિજ અતિપ્રાકૃત-અલૌકિકને વિષયવસ્તુ બનાવીને તીવ્ર કલ્પનાશક્તિથી અગોચર વિશ્વની ઘટનાઓને વાસ્તવિક લાગે એ રીતે રજૂ કરે અને બંને મિત્રો સંયુક્તરીતે ‘લિરિકલ બેલડ્સ’ બહાર પાડે એમ નિર્ધારાયું, જેની એક ફળશ્રુતિ એટલે કોલરિજની આ કવિતા. કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાં વહેંચાયેલ આ દીર્ઘ કાવ્યના બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. અંગ્રેજી ‘બેલડ’(લોકગીત-કથાકાવ્ય)નું સ્વરૂપ કોલરિજે અપનાવ્યું છે પણ સભાન આઝાદી સાથે કામ કર્યું છે. કથાકાવ્યની લાક્ષણિકતાઓ જેમકે, લાઘવ, સીધી મોઢા પર થતી વાત, નાટ્યાત્મક વળાંક અને પુનરોક્તિ ને પુનરાવર્તન કોલરિજ બખૂબી પ્રયોજે છે. થોડા અપવાદ બાદ કરતાં કાવ્યરચના ચતુષ્ક પ્રકારે જેમાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવાયા છે. અંગ્રેજી કવિતામાં સૌથી વધુ વપરાતા ‘આયંબ’ (લઘુ-ગુરુ શબ્દાંશ)ને કુશળતાપૂર્વક કોલરિજ પહેલી અને ત્રીજી પંક્તિમાં આઠ અને બીજી-ચોથીમાં છ શબ્દાંશ (સિલેબલ્સ) વાપરીને પ્રયોજે છે. આ દીર્ઘકાવ્ય કોલરિજની ઉત્કૃષ્ટ કવ્યકળાનો બેનમૂન દાખલો છે પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે એના ચાહકો કરતાં ટીકાખોરો વધુ હતા. આ કવિતા એક ઘરડા ખલાસીની વાર્તા છે પણ કોલરિજ એના માટે વૃદ્ધના બદલે પૌરાણિક (Ancient) વિશેષણ વાપરીને જૂની અંગ્રેજી ભાષાના ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો તૈયાર કરે છે. પૌરાણિક શબ્દપ્રયોગ કોઈક ખૂબ પ્રાચીન પણ અમૂલ્ય સંપદા તરફ પણ ઈશારો કરે છે. બીજું, Rhyme એટલે કે પ્રાસપ્રધાન કવિતાના બદલે એ Rime શબ્દ પ્રયોજે છે, જે એક તરફ તો જૂની અંગ્રેજી ઈંગિત કરે જ છે પણ એનો બીજો અર્થ ફ્રોસ્ટ (હિમાચ્છાદન) થાય છે. કવિતાનો મુખ્યાંશ એન્ટાર્ક્ટિક સમુદ્રમાં છે જ્યાં બરફ જ બરફ જોવા મળે છે. ખલાસીનો ખુદનો દેખાવ અને વ્યક્તિત્વ પોતે પણ હિમાચ્છાદિત હોય એવા રહસ્યમયી ભાસે છે. કવિતાની પ્રથમ આવૃત્તિ જૂની ઢબની જોડણીના કારણે ખૂબ વગોવાઈ હતી, જેને કોલરિજે બીજા પ્રકાશન વખતે સુધારી હતી અને જરૂરી ટૂંકનોંધો પણ ઉમેરી હતી.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

પહેલા ભાગના અંતે ખલાસી આલ્બાટ્રોસનો શિકાર કરે છે. એ પછીના બીજા ભાગના કેટલાક ચતુષ્ક કોલરિજની અફલાતૂન કથાક્ષમતાના બદલે દૃશ્યચિત્ર દોરવાની બેનમૂન આવડત રજૂ કરવાની નેમ સાથે અહીં લીધા છે. પહેલા ચતુષ્કમાં જે દરિયામાં આ અગાઉ કોઈ કાળા માથાનો મનુષ્ય પહોંચ્યો જ નથી એ દરિયામાં આ વૃદ્ધ ખલાસીનું જહાજ પહોંચે છે એ વાત છે. સાનુકૂળ હવા વીંઝાઈ રહી છે અને વહાણ ચાલવાથી ફીણ ઊછળે છે. જહાજની પાછળ પાણીમાં પડતો ચીલો મુક્તમને પડે છે એમ કહીને કોલરિજ નિરવરોધ ગતિ દોરી આપે છે. પણ બીજા ચતુષ્કમાં અચાનક જ પવન પડી જાય છે, સઢ ઢળી પડે છે અને દુઃખ પોતે જેનાથી વધુ દુઃખી ન થઈ શકે એવી ગ્લાનિ અનુભવાય છે. કોઈપણ પૂર્વચેતવણી વગર આવતો ૧૮૦ ડિગ્રીનો આવો વળાંક ‘પારંપારિક કથાકાવ્ય’ની લાક્ષણિકતા છે, જે કોલરિજ કુશળતાપૂર્વક પ્રયોજે છે. દરિયાનું મૌન ખલાસીઓની વાચા ગળી ગયું હોય એમ કોઈ કામ વગર બોલતું નથી. દિવસો પસાર થાય છે પણ હવાનું નામોનિશાન ન હોવાથી નિઃસ્તબ્ધ સમુદ્રમાં જહાજ એ હદે ગતિહીન ઊભું છે કે આ થીજી ગયેલું દૃશ્ય ચિત્ર જેવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. લાકડાના પાટિયાં તો પાણી પર તરે પણ કોલરિજ પાટિયાં સિક્કે ડૂબી રહ્યાં છે એમ કહે છે, જાણે જેમ પીવાના પાણી વિના ગળું એમ લાકડું સૂકાઈને ડૂબવા ન માંડ્યું હોય! ‘બેલડ’ની એક લાક્ષણિકતા મુજબ ચારે બાજુ પાણી જ પાણીની વાત દોહરાવીને એ વળી તરસની પરાકાષ્ઠા નિર્દેશે છે. આ કલ્પનો આજે કદાચ ચવાઈને ચુથ્થો થઈ ગયાં છે પણ સાડી ત્રણસો વર્ષ પહેલાં આ કલ્પનો પહેલવહેલાં વપરાયાં હશે ત્યારે કેવા ચમત્કારી લાગ્યાં હશે! દુષ્કાળના પરિણામે સૌની જીભ છેક મૂળથી જાણે ચીમળાઈ ગઈ હતી. તરસના કારણે ગળાં એવાં સૂકાઈ ગયાં હતાં કે બધાના મોંમાં કોઈએ મેંશ ભરી ન દીધી હોઈ એમ કોઈ બોલી શકવા શક્તિમાન નહોતા. ખલાસી વિચારે છે કે કેવો ખરાબ દિવસ ઊગ્યો કે જહાજ પરના નાના-મોટા દરેક એની સામે ગંદી નજરે જુએ છે અને સૌની આ દુર્દશા માટે એને જ જવાબદાર ગણાવે છે. ખ્રિસ્તીઓ ગળામાં ક્રોસ લટકાવે એના સ્થાને એના સાથીઓએ એના ગળામાં એણે જેનો વધ કર્યો હતો એ આલ્બાટ્રોસ જ વીંટાળી દીધું.

પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશને મોક્ષની કથા પણ કહી શકાય. બીજી રીતે કહીએ તો આ રચના પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે. કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે, ભૂંસાતી આવી છે, ભૂંસાતી રહેશે પણ કેટલીક કવિતાઓ હૉમરના ‘ઇલિયાડ’-‘ઑડિસી’, દાન્તેની ‘ડિવાઇન કોમેડી’, મિલ્ટનની ‘પેરેડાઇઝ લૉસ્ટ’, વાલ્મીકીના ‘રામાયણ’ કે વ્યાસના ‘મહાભારત’ની જેમ અમરપટો લખાઈને આવી હોય છે. કોલરિજની આ કવિતા એમાંની એક છે.

ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન

Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

નેક્સ્ટ, પ્લીઝ

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,

આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

મનુષ્યજીવનની એકમાત્ર નિશ્ચિત વસ્તુ કઈ?

આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભક્તિભાવપૂર્વક આપણે સહુ ઊજળી આવતીકાલની રાહ જોઈએ છીએ અને દૃઢતાપૂર્વક માનીએ છીએ કે કેમકે આપણી ઈંતેજારી, આપણી આવતીકાલ માટેની શ્રદ્ધા સો ટકા પ્રામાણિક છે અને સર્વાંગસંપૂર્ણ છે, એ ફળવી જ રહી. હકીકત એ છે કે આવતીકાલના ગર્ભમાં આપણા સહુના માટે એક અને માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત છે અને તે છે મૃત્યુ. મૃત્યુ સિવાય જિંદગીમાં બીજું કશું જ ગેરેંટેડ નથી એ વાતને ખૂબ જ અદભુત રીતે ફિલિપ લાર્કિન આપણી સમક્ષ લઈ આવે છે.

ફિલિપ આર્થર લાર્કિન. કવિ. નવલકથાકાર. નિબંધકાર. ૦૯-૦૮-૧૯૨૨ના રોજ કોવેન્ટ્રી, યુ.કે. ખાતે સિડની અને ઇવા લાર્કિનને ત્યાં જન્મ. પિતા શહેરના ખજાનચી હતા. શાળાના સામયિકમાં લાર્કિનની રચનાઓ નિયમિતપણે આવતી એ ઉપરાંત એ સામયિકના સંપાદનમાં પણ મદદગાર બનતા. બાળપણ એકલવાયું. તોતડાતા પણ ખરા. નબળી આંખોના કારણે આર્મીમાં ન જઈ શક્યા. ઓક્સફર્ડમાં અંગ્રેજી ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે ભણ્યા. આજીવન લાઇબ્રેરિઅન. જાઝ સંગીતના શોખીન. કોલેજમાં ‘સેવન’ નામનું ગ્રુપ પણ બનાવ્યું. લાંબા સમય સુધી એક જ સમયગાળામાં એકાધિક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ. વિકીપીડિયા એમના જાહેર વ્યક્તિત્વને ‘નો-નોનસેન્સ’ કહીને સંબોધે છે. જાહેરજીવનથી બહુધા દૂર. માન-સમ્માનની દૃષ્ટિએ અલગારી જીવ. ૧૯૮૪માં ઇંગ્લેન્ડના રાજકવિ તરીકેનું બહુમાન જવાબદારીનો બોજો સ્વીકારવો ન હોવાના કારણોસર નકાર્યું. નવલકથાકાર થોમસ હાર્ડી એમના માટે મોટો પ્રેરણાસ્ત્રોત પણ અને હાર્ડીને કવિ તરીકેનું બહુમાન અપાવવામાં એમનો ફાળો પણ નોંધપાત્ર. ૦૨-૧૨-૧૯૮૫ના રોજ અન્નનળીના કેન્સરથી અવસાન.

ઉદાસી એમની કવિતાઓનો પ્રધાન સૂર હતો. લાર્કિને પોતે કહ્યું હતું કે વર્ડ્સવર્થ માટે જે સ્થાન ડેફોડિલ્સનું હતું, એ એમના માટે વંચિતતા-વિપદાનું છે. મૃત્યુ અને માનવજીવનની ‘ડાર્ક’ રમૂજ સાથે વળગણ. માર્મિક અલ્પોક્તિ એમની કવિતાને ધારદાર બનાવે છે. એમના ગીતો રચનાની દૃષ્ટિએ સંપૂર્ણ પણ પૂરતાં લવચિક છે. પ્રાસ, છંદ, અંતરા જેવા પારંપારિક સાધનો જ એ પ્રયોજે છે પણ ધ્વનિ સાવ નોખો જ તરી આવે છે. ૧૯૫૪ની સાલમાં ઇંગ્લેન્ડમાં ‘ધ મૂવમેન્ટ’ નામે ચળવળ થઈ જેનો પ્રધાન કાકુ આધુનિકતાવાદ, રોમેન્ટિસિઝમ, પ્રયોગખોરી જેવા કવિતાના કૃત્રિમ સાધનોનો વિરોધ કરી પરંપરાગત, સરળ, સહજ કવિતા તરફનો હતો. વિશ્વયુદ્ધ પછીના સમયમાં જિંદગીને યથાતથ સ્વીકારીને કવિતાને કૃત્રિમ ઘરેણાંઓથી શણગારવાના બદલે રોજબરોજના અનુભવો અને ‘કોમનસેન્સ’ વડે અંગ્રેજી કવિતાની મૂળભૂત સંયમી પ્રકૃતિ અને સ્વભાવગત તાકાત બહાર લાવવી એ આ કવિઓનો હેતુ હતો. લાર્કિન ‘મૂવમેન્ટ’ના નવ કવિઓમાંના એક હતા. જોકે એમની કવિતાઓ આધુનિકતાની નહીં પણ યાંત્રિકતાની વિરોધી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના બ્રિટનના સૌથી ચહીતા કવિ ગણાયા. ‘ધ ટાઇમ્સ’ પણ એમને યુદ્ધ પછીના બ્રિટનના શ્રેષ્ઠતમ કવિ ગણાવે છે.

અવશ્યંભાવી મૃત્યુ લાર્કિનની કવિતાનો અવિનાભાવી રંગ છે. લાર્કિનની કવિતાઓમાં મૃત્યુ એટલું બધું જીવંત છે કે ‘રોમન કેથલિક ઑફિસ ફોર ધ ડેડ’માંનું લેટિન વાક્ય યાદ આવે- ‘Timor mortis conturbat me’ – મૃત્યુનો ડર મને પરેશાન કરે છે. ‘ઑબેડ’(Aubade)ની થોડી પંક્તિઓ જોઈએ. કહે છે કે આ એક જ કવિતા કવિને અમરત્વ બક્ષવા પૂરતી હતી: ‘નિશ્ચિત વિનાશ તરફ આપણે મુસાફરી કરીએ છીએ અને એમાં જ ખોવાઈ જઈએ છીએ કાયમ. અહીં હોવા માટે નહીં, ક્યાંય હોવા માટે નહીં, અને જલ્દી જ; કંઈ જ વધુ ભયાનક નથી, કંઈ જ વધુ સાચું નથી.’ આજ કવિતામાં એ મૃત્યુને આ રીતે વર્ણવે છે: ‘ન દેખાવ, ન અવાજ, ન સ્પર્શ કે સ્વાદ કે ગંધ, કંઈ જ નહીં જેની સાથે વિચરી શકાય, કંઈ જ નહીં જેને ચાહી કે સાંકળી શકાય, એક એનેસ્થેટિક જેમાંથી કોઈ બહાર નથી આવતું.’ આ જ રચનામાં એ આજે કહેવત બની ગયેલ વાત કહે છે: ‘Death is no different whined at than withstood.’ (બૂમો પાડો કે પ્રતિકાર કરો, મૃત્યુ માટે સરખું જ છે.) ‘ધ લાઇફ વીથ અ હૉલ ઇન ઇટ’માં એ મૃત્યુને ‘અપરાજેય ધીમું યંત્ર’ કહે છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ રચનામાં ચાર-ચાર પંક્તિના છ અંતરા છે. દરેક બંધમાં AABB પ્રકારની સ્વતંત્ર પ્રાસરચના છે. દરેક બંધની પ્રથમ ત્રણ પંક્તિઓ થોડા અપવાદ સાથે આયંબિક પેન્ટામીટરમાં જ્યારે ચોથી પંક્તિ નોંધપાત્ર રીતે ટૂંકી છે અને એમાં અન્ય પંક્તિઓની જેમ દસના બદલે ચાર અથવા છ શબ્દાંશ પ્રયોજાયા છે. કવિતાનું શીર્ષક ‘નેક્સ્ટ, પ્લીઝ’ આપણને અટકાવી દે છે. લોકો કતારમાં ઊભા હોય અને અધિકારી ‘નેક્સ્ટ’ નેક્સ્ટ’ કરીને એક પછી એક લોકોને શબ્દોથી ધક્કો મારતો હોવાનો અહેસાસ થાય પણ ‘નેક્સ્ટ’ પછી વિરામચિહ્ન મૂકીને કવિ ‘પ્લીઝ’ કહે છે એ વિનમ્રતા પહેલા શબ્દ સાથે ઊભા થયેલા ચિત્રને સમૂળગું બદલી નાખે છે. ભાવકના મનમાં કવિતાના વિષયવસ્તુ બાબતમાં એક અપેક્ષામિશ્રિત જિજ્ઞાસા જન્મે છે. અનુવાદમાં અષ્ટકલ લય વડે ગીતનો છંદ, પ્રાસ અને ચોથી પંક્તિઓનું ટૂંકાણ જાળવી શકાયું છે પણ શીર્ષકનું ગુજરાતીકરણ કરવા જતાં કવિતાનો આત્મા જ મરી પરવારે એમ લાગતાં અને ‘નેક્સ્ટ’ અને’ પ્લીઝ’ -બંને શબ્દ પૂરતા ગુજરાતી બની ગયા હોવાથી એ યથાવત્ રાખવાનું જોખમ ગણતરીપૂર્વક લેવાયું છે.

કવિતાની શરૂઆત જ આપણી ભવિષ્ય માટેની વધુ પડતી અધીરતાને લક્ષ્ય બનાવીને થાય છે. સતત અપેક્ષા રાખ્યા કરવાની ગંદી આદતના આપણે સહુ શિકાર છીએ. સતત એમ જ લાગે કે કંઈક આપણી સાવ નજીક આવી જ રહ્યું છે. આ સાવ શું છે એની વાત બીજા અંતરામાં ખુલે છે પણ પહેલા અંતરામાં તો કવિતા અપેક્ષાની વાત કરીને વાત અધૂરી છોડી દે છે એમ કહીને કે ત્યાં લગ દરરોજ આપણે એમ જ કહ્યા કરીએ છીએ કે… આખી કવિતામાં માત્ર ‘ત્યાં લગ’ (till then) આ બે જ શબ્દોને ત્રાંસા-ઇટાલિક્સમાં લખીને કવિ પોતે જે કહેવું છે એ ગૂઢાર્થને ઘાટો કરે છે. બીજા બંધમાં બંધ મુઠ્ઠી ઊઘડે છે કે નાયક અથવા કવિ અથવા આપણે- સમુદ્રકિનારાની એક ઊંચી ભૂશિર પર ઊભા છીએ અને દૂરથી આપણી તરફ આવી રહેલા જહાજોને જોઈ રહ્યા છીએ. આ જહાજો દૂર છે માટે નાનાં નજરે ચડે છે પણ સ્પષ્ટ દેખાય છે એટલે એટલા દૂર પણ નથી. આ જહાજો વચનોના ચમકીલા યુદ્ધજહાજોનો કાફલો છે. સોળમી સદીમાં સ્પેનિશ યુદ્ધજહાજોનો કાફલો અંગ્રેજી કાંઠા પર ધસી આવ્યો હતો અને અંગ્રેજી સૈન્યના હાથે નેસ્તનાબૂદ થઈ ગયો હતો એ હારનું દૃશ્ય અહીં તાદૃશ થાય છે. અહીં આ બેડા સરસામાન નહીં, વાયદાઓ લઈને આવે છે. અને વર્તમાન ગમે એટલો ભેંકાર કેમ ન હોય, ભવિષ્યને તો આપણે હંમેશા ઝળહળતું જ કલ્પીએ છીએ એટલે ઠાલાં વચનો ભરીને આવતા યુદ્ધજહાજોના બેડા આપણને ચમકીલા-ઝળહળતા નજરે ચડે છે. કવિને સ્પેન-ઇંગ્લેન્ડનું યુદ્ધ અભિપ્રેત છે એટલે સમજી શકાય છે કે આ વાયદાના જહાજો પણ કાંઠે આવતા સુધીમાં ધ્વસ્ત થનાર છે. વળી, આ કાફલો કાચબાગતિએ આગળ ધપે છે. બે પંક્તિમાં ત્રણવાર કાફલાની અકળાવી નાંખે એવી ધીમી અને કહેવા છતાંય જરાય જલ્દબાજી કરવા તૈયાર જ ન હોય એવી નફ્ફટ ગતિનો ઉલ્લેખ કરીને કવિ વચનો હંમેશા તૂટવા માટે જ હોવાની નિરાશાનો રંગ ઓર ગાઢો કરે છે.

આ જહાજો આપણા હાથમાં નકરી નિરાશાની ફૂલદાંડીઓ પકડાવી જાય છે જેના પર ફૂલ કદી ઊગનાર જ નથી એવી મનહૂસ છે. મોટા-મોટા જહાજોની પધરામણીઓ થતી રહે છે પણ કોઈ કશું પાછળ આપણા માટે મૂકીને જતું નથી. જહાજો પર મજાનું પિત્તળકામ કરાયું છે, એક-એક દોરડાં પણ સ્પષ્ટ નજરે ચડે છે-ભવિષ્યના ખિસ્સામાં આપણા માટે શું છે સાફ દેખાય છે! માથે ધજા શોભી રહી છે અને મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા શોભાયમાન છે. વળાંક લઈને વહાણ આપણી નજીક તો આવે છે પણ લાંગરતું કદી નથી. આપણને જે જહાજ ‘આજ’માં નજરે ચડે છે એ ક્ષણમાં ‘ગઈકાલ’માં ભુસકો મારી દેશે. કેલેન્ડરનાં પાનાં ફરતાં વાર શી? આપણી અધીરપ અને અપેક્ષાને ક્રમશઃ આપણે મોહભંગ થતાં અને કડવાશમાં પલટાતાં અનુભવીએ છીએ. એકતરફ કવિ જહાજોના જાજવલ્યમાન કાફલાનું ભવ્ય વર્ણન કરે છે અને બીજી બજુ એકદમ સરળ, તદ્દન અનલંકૃત ભાષામાં ત્રણ જ શબ્દોમાં ‘કદી ન લાંગરે’ કહીને આપણી વધુને વધુ જાજવલ્યમાન અને ભવ્ય બનતી જતી અપેક્ષાઓના મૂળમાં કુઠારાઘાત કરે છે. છેક અંત સુધી આપણે એમ જ વિચાર્યે રાખીએ છીએ કે બધા જ જહાજ આપણા કાંઠે લાંગરશે અને આપણા જીવનમાં કંઈક ‘સારું’ ઊતારશે. લાર્કિન Good શબ્દ પ્રયોજે છે. દેખીતો અર્થ તો ‘સારું’ જ છે પણ જહાજની અને સરસામાનની વાત હોવાથી ‘S’ લખ્યો ન હોવા છતાં આપણું મન good (સારું)ને goods (સામાન) તરીકે વાંચી જ લે છે. કવિને મન કદાચ બંને જ અર્થ અભિપ્રેત છે પણ કવિની આ કમાલ અનુવાદની ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. અનુવાદની આટલી મર્યાદા જ સ્તો.

આપણે એવું માની બેઠાં છીએ કે સોનેરી ભવિષ્યની આશા રાખીને આપણે આટલા ભક્તિભાવથી અને આટલા લાંબા સમયથી પ્રતીક્ષારત છીએ એટલે ઉજ્જવળ ભવિષ્ય, સોનેરી પ્રારબ્ધ આપણાં દેવાદાર છે અને માત્ર પ્રતીક્ષામાત્રથી આપણાં સપનાં સાચા કરી આપવા એ એમની ફરજ અને આપણો અધિકાર છે. આખી કવિતામાં શીર્ષક સિવાય ક્યાંય કવિ ‘નેક્સ્ટ, પ્લીઝ’ કહેતા નથી પણ એક પછી કે જહાજના આવવા અને ચાલી જવા વચ્ચે ભૂશિર પરથી નજર તાણીને રાહ જોતા આપણે સતત ‘નેક્સ્ટ, પ્લીઝ’ બોલી રહ્યા હોવાનું આપણને સંભળાતું રહે છે. પણ આપણે ખોટા છીએ કેમકે બીજા કોઈ નહીં પણ એક જ જહાજ છે જે ખરેખર આપણા માટે આવનાર છે. જહાજ અજાણ્યું છે, એના પર કાળો શઢ છે, અને એની પાછળ-પાછળ એક વિરાટ પક્ષીહીન મૌન છે- વિશાળ અને નિર્જીવ. આવો મૌન ખાલીપો પાછળ લઈને એ જહાજ ચાલે છે ને એની પાછળ પાણીમાં કોઈ હલચલ પણ નથી. જહાજ ચાલતાં પાણી નથી કપાતું કે નથી ઊછાળા મારતું. બધું જ જીવહીન અને નિઃસ્તબ્ધ. Wake-water અને breed-breakની વર્ણસગાઈ (alliteration) અને wake-breakના ચુસ્ત પ્રાસયુક્ત સાવ ટૂંકી દોઢ પંક્તિ ચાબુકની જેમ આપણી સંવેદના પર વિંઝાય છે. સમજી શકાય છે કે કવિ મૃત્યુની વાત કરે છે. મૃત્યુનું જહાજ ન માત્ર ભવિષ્ય અંગેની તમામ આશાઓનો, બલકે ભવિષ્ય સુદ્ધાંનો કાયમી અંત આણશે. જીવનમાં બીજું કશું જ નિશ્ચિત છે જ નહીં, સિવાય કે મૃત્યુ.

ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાની દાંડીઓ.’ આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ! લાર્કિન પણ जातस्य हि ध्रुवो मृत्युःની ગીતાને આલબેલ જ આ કવિતામાં પોકારે છે. આ કવિતા આપણને એકીસાથે ઉદાસીનતાની ખીણમાં ડૂબાડે પણ છે ને ઉત્તેજીત પણ કરે છે. લાર્કિનની આ કળા છે. સિક્કાની બંને બાજુ એ આપણને એકસાથે હાથમાં આપી શકે છે.

ગ્લૉબલ કવિતા: ૬૦ : એક ગીત – ક્રિસ્ટિના રોઝેટી

A song

When I am dead, my dearest,
Sing no sad songs for me;
Plant thou no roses at my head,
Nor shady cypress tree:
Be the green grass above me
With showers and dewdrops wet;
And if thou wilt, remember,
And if thou wilt, forget.

I shall not see the shadows,
I shall not feel the rain;
I shall not hear the nightingale
Sing on, as if in pain:
And dreaming through the twilight
That doth not rise nor set,
Haply I may remember,
And haply may forget.

– Christina Rossetti

એક ગીત
મારા વહાલા, હું જ્યારે પણ મૃત્યુ પામું
તું ગાતો ના એકે મરશિયા;
રોપીશ નહીં એકે ગુલાબ મારા માથે,
ના સરુવરની લગરિક છાયા:
લીલેરું ઘાસ બની ઊગજે તું મારા પર
જેને વાછટ ને ઓસભીના થાવું;
ને રાખવું જો હો, યાદ રાખજે મને,
ને ન રાખવું ન હો, તો ભૂલી જાવું.

છાંયડાને જોઈ નથી શકવાની હું,
નથી અનુભવવાની વરસાદ;
સાંભળી ક્યાં શકવાની હું વળી બુલબુલના
ગીતોમાં ભર્યો અવસાદ:
સપનાં સેવીશ એવા ભળભાંખળાંમાં
જેને ઉદય કે અસ્ત નહીં થાવું,
બનવાજોગ છે કે હું યાદ પણ રાખી લઉં
ને બની શકે કે ભૂલી જાઉં.

– ક્રિસ્ટિના રોઝેટી
(અનુ.: વિવેક મનહર ટેલર)

आप मुआ, पीछे डूब गई दुनिया

‘કાકા તો ગયા’ એવો ફોન આવે એટલે સૌથી પહેલો વિચાર શું આવે? ‘હાશ! આપણે તો હજી છીએ’ એ? આ વાત બહારથી તો આપણે ન જ સ્વીકારીએ પણ વાસ્તવિક્તા એ છે કે કોઈ ઓળખીતું મરણ પામે તો આપણી અંદર ‘આપણે બચી ગયા’નો છૂપો હાશકારો તરત જ આળસ મરડે છે. જનારો તો ચાલ્યો ગયો. એના માટે તો आप मुआ, पीछे डूब गई दुनिया પણ એની પાછળ જેઓ શોક મનાવે છે એ બહુધા જનાર માટેના પોતાના પ્રેમના સર્ટિફિકેટ પર લોકોના હસ્તાક્ષર જ ઊઘરાવતા હોય છે અને પોતાના મૃત્યુ પછીના શોકાચારનું એડવાન્સ બુકિંગ જ કરાવતા હોય છે. પણ મરનાર માણસ જો એની પાછળ છાતી કૂટનારાઓ, આંસુ વહાવનારાઓ ને અધમૂઆ થઈ જનારાઓને જોઈ શકતો હોય તો? લાશ થઈ ગયેલો માણસ પાછળ છૂટી ગયેલી દુનિયાના ઢોંગ વિશે શું વિચારે? પ્રસ્તુત રચનામાં ક્રિસ્ટિના રોઝેટી મૃતકની આંખોથી દેખાતી દુનિયા આપણને બતાવે છે.

ક્રિસ્ટિના જ્યૉર્જિના રોઝેટી. ૦૫-૧૨-૧૮૩૦ના રોજ લંડનમાં ઇટાલિયન મા-બાપને ત્યાં જન્મ. એના પિતા ગેબ્રિઅલ રોઝેટી કવિ હતા જેમની રાજકીય કારણોસર ઇટલીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. ભાઈ દાન્તે ગેબ્રિઅલ રોઝેટી પણ કવિ-ચિત્રકાર હતો, જે પ્રિ-રાફેલાઇટ બ્રધરહૂડના ત્રણ સ્થાપકોમાંનો એક હતો. અભ્યાસ મા-બાપના નેજા હેઠળ ઘરે જ. સાહિત્યિક વાતાવરણ. ૧૨ વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. એલન આલિનના છદ્મનામે પણ કવિતાઓ લખી. બાળપણ ખૂબ ઉત્તમ પણ નાની વયે પિતા ગુમાવ્યા એ પછી દારૂણ ગરીબીનો સામનો કરવો પડ્યો. માતાનો પડછાયો થઈને ધર્મ–એંગ્લો-કેથલિક-ના ઓછાયામાં જ જીવ્યાં. બે પુરુષો સાથે નિકટનો સંબંધ થયો પણ ધર્મના જ કારણોસર બંનેને જતા કર્યા. મિત્રો અને સ્નેહીઓના વિશાળ વર્તુળમાં એ જીવ્યાં. એમના જીવનકથાકાર જેન માર્શ તરુણાવસ્થામાં ક્રિસ્ટિના પિતા તરફથી કદાચિત જાતીય હુમલાનો શિકાર બન્યાં હોય. કારણ તરીકે તેઓ ક્રિસ્ટિના પર થતા રહેલ ડિપ્રેશનના અવારનવાર હુમલાઓ, પાપીપણાની આજીવન લાગણી, બચ્ચાંઓને ખાઈ જતાં મગરમચ્છની દુઃસ્વપ્નસમ કવિતાઓ, અને વારંવાર કરાતા અનામી રહસ્યના ઉલ્લેખને સામે ધરે છે. થાઇરોઇડ ગ્રંથિની બિમારી –ગ્રેવ્ઝ ડિસીઝ-ના કારણે એમની પાછલી જિંદગી ખાસ્સી ખરાબ ગઈ પણ સાહિત્યસર્જન, મુખ્યત્વે ધાર્મિક, ચાલુ રહ્યું. ટેનિસન પછી એમના રાજકવિ બનવાની શક્યતાઓ ખાસી ઊજળી હતી પણ જાનલેવા સ્તનકેન્સરની બિમારીએ આ માનપાન છિનવી લીધાં. ૨૯-૧૨-૧૮૯૪ના રોજ લંડનમાં જ દેહાવસાન.

વિક્ટોરિઅન યુગના પ્રમુખ કવિઓમાં એમનું સ્થાન કાયમ છે. નારીવાદીઓ એમને ઓગણીસમી સદીના કવિઓમાં મોખરે મૂકે છે. એ પોતે નારીવાદી તો નહોતાં પણ એમની કવિતાઓમાં થઈને સ્ત્રીનો બળવત્તર અવાજ ઊઠતો સતત સંભળાય છે. આ અવાજ પ્રવર્તમાન વિક્ટોરિઅન સ્ત્રીઓથી ઊફરો અને ઊંચો તરી આવે છે. ભાઈની પ્રિ-રાફેલાઇટ ચળવળથી એ દૂર જ રહ્યાં હોવાં છતાં એમની શરૂની રચનાઓ ‘પ્રિ-રાફેલાઇટ’ ગણાય છે. ક્રિસ્ટીના એના લોકગીતો અને રહસ્યવાદી ધાર્મિક ગીતો માટે જાણીતાં છે. જોકે એમની ધાર્મિકતાના ઓથા તળે અત્યંત ભાવુક અને કામુક સ્વભાવ તથા તીવ્ર આલોચનાત્મક દૃષ્ટિ અને જીવંત હાસ્યવૃત્તિ પણ નજરે ચડે છે. એમની કવિતાઓ લાગણીની તીવ્રતા અને પ્રતીકવાદથી રસાયેલી છે. બાળકો માટેની એમની રચનાઓ પણ ઉત્તમ છે. એમની રચનાઓના ભાવ-લય માધુર્યસભર અને પ્રવાહી છે. છંદ પરની પકડ અને પ્રચલિત ગીતસ્વરૂપમાં સફાઈપૂર્વકના કામથી એ અલગ તરી આવે છે. પ્રમાણમાં સરળ ભાસતી એમની કવિતાઓ જનમાનસને છેક ઊંડે જઈને જકડી લે છે ને કદાચ એટલે જ એ યુગના બીજા કવિઓની સરખામણીમાં કાળની થપાટો વચ્ચે પણ એમની પ્રસિદ્ધિની નૈયા સદનસીબે કાયમ તરતી જ રહી.

કવયિત્રીએ પ્રસ્તુત ગીતનું શીર્ષક ‘એક ગીત’ જ રાખ્યું છે, કદાચ આ ટૂંકા ગીતમાં પ્રવેશવા માટે શીર્ષકનો દરવાજો બિનજરૂરી છે એટલે. ગીતનો લય પ્રવાહી છે અને આઠ-આઠ પંક્તિના બે અંતરામાં બેકી સંખ્યાની પંક્તિઓ વચ્ચે કવયિત્રી પ્રાસ મેળવે છે. બંને અંતરામાં બીજા ચતુષ્કમાં સમાન પ્રાસ પ્રયોજીને કવયિત્રી ગીતની ગેયતા વધારવા સાથે પોતે જે કહેવું છે એ પ્રાસની દ્વિરુક્તિ વડે દૃઢીભૂત કરતા હોય એમ જણાય છે. મૃત્યુ વિશેનું આ પ્રકારનું ચિંતન સામાન્યરીતે જીવનસંધ્યાના આરે પહોંચેલી કલમ કે અકાળ પાનખરનો ભોગ બનવાનો અંદેશો આવી ગયો હોય એવી લેખિનીમાંથી પ્રકટતું જોવા મળે છે. રાવજી પટેલ, જગદીશ વ્યાસ જેવા કવિઓને જીવતેજીવ કાળનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો એટલે એમની કલમમાંથી મૃત્યુ ટપકે એ સાહજિક હતું પણ કોઈ ટીન-એજર કવિ મૃત્યુ વિશે આવું ચિંતન કરે ત્યારે સવિશેષ આશ્ચર્ય થાય. ક્રિસ્ટિનાએ આ ગીત લખ્યું ત્યારે એની ઊંમર માત્ર ૧૮ જ વર્ષની હતી. ૧૮ વર્ષની તરુણી પ્રેમના ટાયલા કૂટવાના બદલે પોતાના મૃત્યુ પછીની વાત ખૂબ સમજ અને ઊંડાણપૂર્વક કરે ત્યારે આપણી આંખ પહોળી ન થઈ જાય?

દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મૃત્યુદર ખાસ્સો ઊંચો હતો. ૧૮૩૦ના લંડનમાં પુરુષોનું અપેક્ષિત આયુષ્ય ૨૫થી ૪૫ વર્ષ જેટલું જ હતું. મજૂરવર્ગમાં તો ૧૦૦માંથી ૫૭ બાળકો પાંચ વર્ષના થાય એ પહેલાં જ મૃત્યુ પામતાં. આ કારણોસર વિક્ટોરિઅન યુગમાં મૃતક પાછળ શોક પાળવાની પ્રથા પૂરજોરમાં હતી. મૃતકના વરઘોડા પણ નીકળતા. શોક પાળવા માટે ખાસ કપડાં સીવડાવવામાં આવતા. સ્વયં વિક્ટોરિયાએ એના પતિ આલ્બર્ટના મૃત્યુ પછી ચાળીસ વર્ષ સુધી શોક પાળ્યો હતો, કાળાં કપડાં પહેર્યાં હતાં. આલ્બર્ટના રૂમમાં રોજ શેવિંગ માટે ગરમ પાણી મૂકાતું અને રોજ ચાદર પણ બદલાતી. બની શકે કે પોતાના પિતાના મૃત્યુના અનુભવ ઉપરાંત સમાજમાં છાશવારે થતા કમોતના કારણે જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુ તરફની એમની દૃષ્ટિ નાનપણથી આમ કેળવાયેલી હોય. ક્રિસ્ટિનાની ‘ગોબ્લિન માર્કેટ’ અને ‘રિમેમ્બર’ ખૂબ પ્રસિદ્ધ કવિતાઓ છે. ‘ગોબ્લિન માર્કેટ’ તો ૫૬૭ પંક્તિઓનું બહુચર્ચિત દીર્ઘ કાવ્ય છે, પણ ૧૯ વર્ષની ટીને-એજર છોકરી ‘રિમેમ્બર’ સૉનેટમાં કવિતામાં જે વાત કરી છે એ જ કરે છે. એ પહેલાં તો એના પ્રેમીને પોતે મરી જાય પછી યાદ રાખવા અનુગ્રહ કરે છે પણ કાવ્યાંતે કહે છે: ‘વધુ સારું તો એ છે કે તું મને ભૂલી જાય અને હસતો રહે, નહીં કે મને યાદ રાખે અને દુઃખી થાય.’

વિક્ટોરિઅન યુગના મોટાભાગના કવિઓએ મૃત્યુ, શોક અને પ્રિયજનને ગુમાવવાની વેદનાના નાનાવિધ આયામો કવિતામાં ઉજાગર કર્યા હતા. ટેનિસને એના મિત્ર હેલમ માટે લખેલી ‘ઇન મેમોરિઅમ’ સહિતની ઢગલાબંધ કવિતાઓ પણ આ જ શ્રેણીના સંતાન છે. થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતામાં દુનિયા મરનારના શરીરની સાથોસાથ જ મરનાર સાથેના સંબંધ પણ કેવી રીતે દફનાવી દેતી હોય છે એ વાત મૃતક અને એના કૂતરાના વાર્તાલાપ સ્વરૂપે રજૂ કરે છે. ક્રિસ્ટિના એમના શોકગીતોમાં જાતિ અને જાતીયતા કઈ રીતે શોક કરવાની રીતો પર અસર કરે છે એ નાણી જુએ છે. પ્રિયપાત્રની કાયમી વિદાય બાદના ઓસરી જતા પ્રેમને ધ્યાનમાં લઈને એ શોકાચાર અને લોકાચાર પર પ્રહાર કરે છે. ક્રિસ્ટિનાએ મૃતકના ચશ્માંમાંથી લોક અને શોકને જોયા છે, જેમાંથી આપણને મૃત્યુ ન પામનારી કવિતાઓ પ્રાપ્ત થાય છે. મૃત સ્ત્રીનો ‘પૉઇન્ટ ઑફ વ્યુ’ લઈને ક્ર્સ્ટિનાએ લખેલી ઘણી કવિતાઓ એને એક અલગ જ વર્ગમાં મૂકે છે.

નાયિકા એના પ્રિયતમને કહે છે કે એના મૃત્યુ બાદ એણે કોઈ શોકગીત ગાવાની જરૂર નથી. અંગ્રેજી પ્રથા મુજબ કબરના માથે ગુલાબનો છોડ રોપવાની કે કબરને તડકાથી બચાવવા સરુવૃક્ષ વાવવું પણ બિનજરૂરી છે. જૉન ડન ‘અ વેલિડિક્શન: ફોરબિડિંગ મૉર્નિંગ’માં છૂટા પડતી વખતે આવું જ કહે છે, ‘કોઈ અવાજ નહીં, કોઈ આંસુઓના પૂર નહીં, કોઈ નિઃસાસાઓના તોફાન નહીં’ નાયિકા ઇચ્છે છે કે શોકનો આવો દેખાડો કરવાના બદલે કબર પર લીલું ઘાસ થઈ ઊગજે. ઘાસ નમ્રતાનું પ્રતીક છે. એ નથી વધુ ઊંચે જતું કે નથી અક્કડ રહેતું. એ લવચિક છે અને એની લીલપ મૃતક સાથેના સંબંધની તાજપ ઈંગિત કરે છે. પોતાના મૃત્યુ પર રડવાની પણ એ આડકતરી રીતે ના કહે છે. કહે છે કે, કુદરત તરફથી સાંપડતાં વરસાદના આછાં ઝાપટાં કે પ્રભાતના ઝાકળબુંદો પૂરતાં છે. વિક્ટોરિઅન સ્ત્રીના પુરુષસમર્પિત નિઃસ્વાર્થતાના નિયમે એ પુરુષને આઝાદી આપે છે કે યાદ રાખવી હોય તો રાખજે ને ભૂલી જવી હોય તો ભૂલી જજે.

બીજા અંતરામાં એ કારણ આપે છે. નિધન બાદનો શોક નિરર્થક છે કેમકે મરનાર નથી છાંયડો જોઈ શકનાર કે નથી વરસાદ અનુભવનાર કે નથી બુલબુલ (નાઇટિંગલ)ના દર્દભર્યા ગીતો સાંભળી શકનાર. ખ્રિસ્તી વિચારધારાથી આ ઊલટી વાત છે. ખ્રિસ્તી વિચારધારા મુજબ મૃત્યુ પછીનું જીવન અસ્તિત્વ ધરાવે છે અને મરનાર પોતાની પાછળ રહી ગયેલા સગંઓને જોઈ-સાંભળી પણ શકે છે. ‘ડ્રીમલેન્ડ’ કવિતામાં ક્રિસ્ટિના આવી જ વાત કરતાં કહે છે કે, ‘પાર્થિવ અને અપાર્થિવ દુનિયા વચ્ચે અવાજની આપ-લે શક્ય છે, માટે બુલબુલના ગીતો કે પ્રિયજનના શોકગીતો જાયઝ છે.’ ગ્રીક પુરાણકથામાં એથેન્સની રાજકુમારી ફિલોમેલા પર એનો બનેવી ટેરેઉસ બળાત્કાર કરે છે અને જીભ કાપી નાંખે છે. ફિલોમેલાની પ્રાર્થના સાંભળીને ઈશ્વર એને નાઇટિંગલ બનાવી દે છે, જે દર્દભર્યા ગીતોમાં પોતાની વાત રજૂ કરે છે. ક્રિસ્ટિના આ કથાથી સુપરિચિત હતાં એટલે એ આ ગીતો જાણે દુઃખથી ભરેલાં ન હોય એમ કહે છે. પણ કહે છે કે એની કોઈ જરૂર નથી. અંગ્રેજી જગતમાં ટ્વાઇલાઇટ (ભળભાંખળું)નો સંદર્ભ આફ્ટર-લાઇફ (મૃત્યુ પછીના જીવન) સાથે સંકળાયેલો છે. આપણે ત્યાં પણ આ સમય પ્રેતાત્માઓના વિચરણનો ગણાય છે. નાયિકા માટે ટ્વાઇલાઇટની આ અવસ્થા કાયમી છે એટલે એના માટે આનો ઉદય કે અસ્ત નથી. પહેલા અંતરાની આખરી બે પંક્તિમાં પુરુષસમર્પિત સ્ત્રીનો સૂર કાવ્યાંતે બદલાય છે અને એક આઝાદ સ્ત્રી નજરે ચડે છે. એ કહે છે કે કદાચ હું મૃત્યુપર્યંતના શાશ્વત સ્વપ્નમાં તને યાદ રાખુંય ખરી ને બનવાજોગ છે કે ભૂલી પણ જાઉં. પહેલા અંતરામાં એ પુરુષને સ્મૃતિ-વિસ્મૃતિની આઝાદી આપે છે પણ બીજા અંતરામાં એ આ આઝાદી પોતાના હાથમાં લઈ લે છે. આખરી બે પંક્તિમાં કવયિત્રી જે વળાંક લે છે એ પ્રુરુષપ્રધાન સમાજ માટે આંચકા સમાન છે. ‘આફ્ટર ડેથ’ સૉનેટમાં ક્રિસ્ટીના ફરી એકવાર મરનાર સ્ત્રીની નજરે પ્રેમ અને દયાનો ડોળ કરનાર પ્રિયજન અને એ રીતે સંબંધની નશ્વરતા તરફ તીખો ઈશારો કરે છે. કદાચ ‘આફ્ટર ડેથ’ કવિતા પૂરી થાય છે ત્યાંથી આ ગીત શરૂ થાય છે…

અંગ્રેજીમાં એ Haply શબ્દ વાપરે છે જેને વસ્તુતઃ ‘બનવાજોગ’ તરીકે પણ લઈ શકાય, પણ ક્રિસ્ટિનાને કદાચ બીજો અર્થ Happily –આનંદપૂર્વક પણ અભિપ્રેત છે. કદાચ એટલે જે એ Haply શબ્દ બે વાર પ્રયોજે છે. ‘બનવાજોગ’ શબ્દ સ્ત્રીનો પુરુષ તરફનો લાપરવાહ તટસ્થ અભિગમ નિર્દેશિત કરે છે તો ‘આનંદપૂર્વક’ શબ્દ પુરુષને ભૂલી જવામાં સ્ત્રીને થતા આનંદની વાત કરીને રુઢિગત સંસ્કારોને ધક્કો આપે છે. અનુવાદની મર્યાદા અહીં નજરે ચડે છે. એવો કોઈ ગુજરાતી શબ્દ ખરો જે આ બે અર્થ એકમાં સમાવી શકે?

લોકો જેનો સ્વીકાર કરતાં ડરે છે એ વાત રોઝેટી પૂરી ‘મર્દાનગી’થી કહે છે કે મરનાર પાછળ કરાતા શોકાચારનો કોઈ અર્થ નથી. એનાથી મૃતકને કોઈ ફાયદો નથી. એ માત્ર જીવીત રહી ગયેલાઓ માટેનો લોકાચાર માત્ર છે. માણસ હોય ત્યારે સંબંધની પૂરી ગરિમા જાળવતાં આવડવું જોઈએ અને કાયમી વિયોગ બાદ એને એ જ ગરિમાથી ‘ગુડ-બાય’ કહેતાં પણ આવડવું જોઈએ પણ મનુષ્યજાત આદિકાળથી કદી દંભનો અંચળો ઊતારી શકી જ નથી. જીવતાંને આપણે ચાહી શકતા નથી ને મરેલાંને આપણે ભૂલી શકતાં નથી. જમાનો એ લોકો જેઓ ‘आज हम दार पे खींचे गये जिन बातों पर, क्या अज़ब कल वो ज़माने को निसाबों में मिले’થી ભર્યો પડ્યો છે. (દાર-શૂળી, નિસાબ-પાઠ્યપુસ્તક, અહમદ ફરાઝ)

અમદાવાદની ઉત્તરાણ -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
કવિ: શ્યામલ મુનશી

.

અમદાવાદની ઉત્તરાણ..
આકાશી મેદાને પતંગદોરીનું રમખાણ..
હે… અમદાવાદની ઉત્તરાણ..

કોઈ અગરબત્તીથી કાણા પાડી કિન્યા બાંધે
કોઈ ફાટેલી ફૂત્તિઓને ગુંદરપટ્ટીથી સાંધે..
કોઈ લાવે કોઈ ચગાવે કોઈ છૂટ અપાવે..
કોઈ ખેચે કોઈ ઢીલ લગાવે કોઈ પતંગ લપટાવે..
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ…
હે.. અમદાવાદની ઉત્તરાણ

રંગ રંગના પતંગનું આકાશે જામે જંગ..
કોઈ તંગ કોઈ દંગ કોઈ ઉડાડે ઉમંગ..
પેચ લેવા માટે કરતુ કોઈ કાયમ પહેલ..
ખેલે રસાકસીનો ખેલ કોઈને લેવી ગમતી સેર..
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ગમસાન..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા..
ઠમકે ઠમકે હાથ જલાતા સઘળા પરસેવાથી ન્હાતા..
કોઈ ટોપી, કોઈ ટોટી પહેરે કાળા ચશ્માં..
કોઈ ઢઢઢો મચડી નમન બાંધી પતંગ રાખે વશમાં..
ગીસરકાતી વેળા આંગળીઓના લોહી લુહાણ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..

નથી ઘણાયે ઘેર સૌને વ્હાલું આજે શહેર..
ગમે છે પોળના ગીચોગીચ છાપરે કરવી ગમે છે લીલાલ્હેર ..
વર્ષો પહેલા ભારે હૈયે છોડ્યું અમદાવાદ એમને ઘર ની આવે યાદ ..
પોળનું જીવન પાડે સાદ ..
પરદેશી ધરતીને દેશી આભનું ખેચાણ ..
હે.. અમદાવાદની ઉત્તરાણ..
– શ્યામલ મુનશી

ઝાઝાં હાથ રળિયામણા (The cup song) -શ્યામલ મુનશી

સંગીતઃ શ્યામલ સૌમિલ
સ્વરાંકનઃ શ્યામલ મુનશી
કવિ: શ્યામલ મુનશી

.

એક થી બે ભલા, બાર ભલા ચારથી,
સાથ ને સંગાથથી, સંપ ને સહકારથી,
ઓછા અશક્ત પણ, બનતા બળીયા ઘણા.
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા

આકરો જ્યાં આઘાત હોય, પ્રચંડ જ્યાં ઝંઝાવાત હોય,
સંગઠિત શક્તિ જ ત્યાં, સંઘની તાકાત હોય,
વિરાટને પણ જંગમાં હંફાવતા મળી વામણા,
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા.

– શ્યામલ મુનશી

ગ્લૉબલ કવિતા : ૫૯ : ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો – એન્ટૉનિયો મકાડો

Last night when I was sleeping

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.

– Antonio Machado
(Trans: Vivek Manhar Tailor)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને
જે મેં ક્યારેય પીધું નથી?

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે
મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.

– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્વપ્નમાં ઊઘડતો શાશ્વતીનો દરવાજો

સપનાં અતૃપ્ત ઇચ્છાઓના દસ્તાવેજ છે. દિવસના અજવાળામાં છાતીના પિંજરામાં સંતાઈ રહેલું કબૂતર રાતના અંધારામાં પાંપણના દરવાજે ટકોરા મારે એનું જ નામ સપનું. સપનું પ્રેયસી છે જે રાતના કાજળમાં આલિંગનનો અજવાસ પાથરે છે. યાદ રહી જતાં સપનાં જ જીવનનું ખરું ચાલકબળ છે. સ્વપ્ન જોઈને ભૂલી જનાર પથારીથી આગળ વધતા નથી પણ એને ફળીભૂત કરવા મથનાર જીવનના ઉન્નત શિખરો સર કરે છે. ‘ભવિષ્ય એમના માટે જ છે જેઓ પોતાના સ્વપ્નોના સૌંદર્યમાં વિશ્વાસ રાખે છે.’ (એલેનોર રુઝવેલ્ટ) ખલિલ જિબ્રાન કહે છે, ‘સપનાંઓમાં ભરોસો રાખો કેમકે એમાં જ શાશ્વતીનો દરવાજો છૂપાયેલો છે.’ પ્રસ્તુત રચનામાં એન્ટૉનિયો મકાડો સ્વપ્ન, વાસ્તવ અને બેની વચ્ચે રહેલા આત્મશ્રદ્ધાના પ્રદેશની મુસાફરીએ આપણને લઈ જાય છે.

એન્ટૉનિયો મકાડૉ. આખું નામ Antonio Cipriano José María y Francisco de Santa Ana Machado y Ruiz. ૨૬-૦૭-૧૮૭૫ના રોજ સેવિલે, સ્પેન ખાતે જન્મ. પિતા વકીલ, પત્રકાર અને લોકકથાકાર હતા. પાછળથી પ્રોફેસર બન્યા. નવાઈ લાગે પણ એમના પિતાનું જે નામ હતું એ જ નામ એનું પણ પાડવામાં આવ્યું. પિતાને ૧૮ની કુમળી વયે ગુમાવ્યા પછી આર્થિક સંકડામણનો શિકાર બન્યા. અભિનેતા, અનુવાદક જેવી જાતજાતની નોકરી કરી. શાળામાં શિક્ષકોના પ્રોત્સાહન અને ફાન્સમાં રહ્યા એ ગાળામાં સાહિત્યકારો સાથેના સંસર્ગના પરિણામે સાહિત્ય મનમાં ઘર કરી ગયું. સાહિત્યમાં ડૉક્ટરેટની પદવી મેળવી. ફ્રેન્ચશિક્ષક-પ્રોફેસર બન્યા. ૩૪ની વયે ૧૫ વર્ષની લિઓનોર ઇઝ્કિએર્ડો સાથે લગ્ન કર્યા. પણ એ ત્રણ જ વર્ષમાં મકાડોને ડિપ્રેશન ભેટમાં આપીને ટીબીના કારણે અવસાન પામી. સ્પેનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મા-દીકરાએ નાદુરસ્ત તબિયત સાથે આમથી તેમ ભાગવું પડ્યું. કાર, ટ્રેન, પગપાળાં એમણે સરહદ પાર કરી ફ્રાન્સ પહોંચ્યાં પણ જે મદદની રાહમાં હતાં એના અભાવે અને ન્યુમોનિયાના કારણે એન્ટોનિયોનું ૨૨-૦૨-૧૯૩૯ના રોજ દેહાવસાન થયું. મૃત્યુસમયે એના જેકેટમાંથી એમની અંતિમ કવિતા ‘ધીસ બ્લ્યુ ડેઝ એન્ડ ધીસ સન ઑફ ચાઇલ્ડહુડ’ જડી આવી હતી. ‘દીકરો જીવશે એટલું જીવીશ’ કહેનાર માતા પણ ત્રણ જ દિવસમાં દુનિયા ત્યાગી ગઈ. કોઇલ્યુરના એક નાગરિકે જ બંનેને સાથે દફન કર્યાં. મૃત્યુના બે વર્ષ બાદ સ્પેનની ઉગ્રવાદી સરકારે એમનું નામ શિક્ષકોની યાદીમાંથી કમી કરી નાંખ્યું અને છે…ક બીજા ચાળીસ વર્ષ પછી ૧૯૮૧માં લોકશાહી સરકારે એમને એ ગૌરવ પરત કર્યું.

એન્ટૉનિયો વીસમી સદીના શ્રેષ્ઠ કવિઓમાં મોખરે બિરાજે છે. ૧૮૯૮ના સ્પેન-અમેરિકા વચ્ચેના યુદ્ધ વખતે કવિ, નવલકથાકાર, નિબંધકાર અને ફિલસૂફો – જે સિત્તેરના દાયકામાં જન્મ્યા હતા અને ૯૮ પછીના બે દાયકા સુધી કાર્યરત્ હતા-નો એક સમૂહ હતો જે ‘જનરેશન ઑફ ૧૮૯૮’ (૯૮ની પેઢી) તરીકે ઓળખાયો. યુદ્ધમાં સ્પેનની હાર પછી આ ઘવાયેલ સ્વમાનીઓએ રાજાશાહીની પુનર્સ્થાપના (રિસ્ટોરેશન મૂવમેન્ટ) અને તત્કાલિન પ્રચલિત સાહિત્ય અને શૈક્ષણિક મૂલ્યોનો વિરોધ કરી સ્પેનિશ સાહિત્યને એક નવો જ ચહેરો આપ્યો. એન્ટોનિયો આ ચળવળના અગ્રણીઓમાંના એક હતા. મકાડૉની શૈલી સરળ ભાસે પણ એ આકરી તપશ્ચર્યા અને કૃતનિશ્ચયીપણાનો ગુણાકાર છે, જે પ્રવર્તમાન ફિલસૂફી અને કોમન સેન્સથી રસાયેલ છે. એની ઉક્તિઓ અને ગીતો સ્પેનના સાહિત્યકારો અને નાગરિકોના હોઠે વસે છે. કોબ અને સમય અને સ્મૃતિનો કવિ કહી ઓળખાવે છે. ગેરાર્ડો ડિએગોના શબ્દોમાં એન્ટૉનિયો ‘ગીતોમાં બોલતા અને કવિતામાં રહેતા’ હતા. એમના સમસામયિકોના આધુનિકતાવાદને ફગાવીને એમને ‘શાશ્વત કવિતા’ની આરાધના કરી, જેમાં બુદ્ધિમતા કરતાં સ્વયંસ્ફુરણ વધુ મહત્ત્વનું હતું. શરૂની કવિતાઓ પર રોમાન્ટિસિઝમનો પ્રભાવ દેખાય છે. પછીનો તબક્કામાં પ્રકૃતિ અને માનવસંવેદનને ઝીલતો કેમેરા નજરે ચડે છે. એ પછીના કાવ્યોમાં અસ્તિત્વવાદ અને એકાંત પડઘાય છે. એ પોતે કહેતા, ‘કવિતા લખવા માટે, પહેલાં તો તમારે એક કવિનો આવિષ્કાર કરવો પડે જે એ લખે.’

મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.

મૂળ કવિતા લયબદ્ધ ગીતસ્વરૂપે છે અને ABAB CDCD પ્રકારની પ્રાસરચના ધરાવે છે. ચાર અંતરાની રચના ૮-૮-૮-૪ પંક્તિયોજનાથી થઈ છે. કવિતાનું શીર્ષક કવિતાના ચારેય અંતરાની પ્રથમ પંક્તિ પણ છે. એટલે ગઈ રાત અને સૂવાનો સંદર્ભ સતત પુનરાવર્તિત થઈ દૃઢીભૂત થાય છે. નિદ્રા અને મૃત્યુ વચ્ચે એકમાત્ર ફર્ક એ છે કે નિદ્રામાંથી જાગી શકાય છે. નિદ્રા એ રિવર્સિબલ ડેથ જ છે ને! એન્ટૉનિયો કહે છે: ‘મૃત્યુ એવી વસ્તુ છે જેનો આપણે ડર ન રાખવો જોઈએ, કેમકે જ્યારે આપણે છીએ, મૃત્યુ નથી, અને જ્યારે મૃત્યુ છે, આપણે નથી.’ અહીં વાત ગઈકાલની છે પણ એ આજના ખોળામાં છે, ગઈ કાલની નિદ્રાની છે પણ ઈશારો આજની જાગૃતિ તરફ છે.

દિવસ દરમિયાન માણસ જાતથી દૂર રહે છે એટલે આંખો વિસ્ફારિત રહે છે, રાત્રે માણસ એક પછી એક વિચારની ગાંસડી ઊતારતો જઈ જાત તરફ વળે છે. બધી જ ગાંસડી માથેથી ઊતરી જાય કે તરત સમાધિ લાગી જાય છે. જે લોકો ગાંસડીત્યાગ નથી કરી શકત, એ લોકો સ્લિપિંગ પિલ્સ કે દારૂનો સહારો લઈ આભાસી ઊંઘની કબરમાં રાતવાસો કરી આવે છે. અધૂરી મનોકામનાઓનો સૂર્ય ઊંઘના આકાશમાં સપનું થઈને ઊગે છે ને નસીબદાર લોકોની સ્મૃતિમાં દુનિયાનો સૂર્ય ઊગી ગયા પછી પણ સપનાના સૂર્યનો પ્રકાશ જળવાઈ રહે છે. નાયકને એના ગઈ રાતના સપનાંઓ યાદ છે એમાંથી આજની કવિતાનું ગૂંફણ થાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘ગઈકાલ એ આજની યાદ છે, આવતીકાલ આજનું સ્વપ્ન.’ તો સપનાંઓનો સાચો સોદાગર વૉલ્ટ ડિઝની છાતી ઠોકીને કહી ગયો: ‘આપણાં દરેક સ્વપ્ન સાચાં પડી શકે છે, જો એને આંબવાની હિંમત હોય તો.’ સાચું છે. એન્ટૉનિયો જ કહે છે: ‘જીવવા અને સ્વપ્ન જોવા વચ્ચે એક ત્રીજી વસ્તુ છે. વિચારી જુઓ.’ આ કવિતા એ ત્રીજી વસ્તુની કવિતા છે…

ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. લગભગ પંદરસો વર્ષ પહેલાં ગૌડપાદે કહ્યું હતું એ યાદ આવે: ‘સ્વપ્નમાં જે કંઈ દેખાય છે, એ શરીરની અંદર જ સ્થિત હોય છે.’ સ્વપ્નમાં કવિ જુએ છે કે એમના હૃદયમાં એક ફુવારો ફૂટ્યો છે. કઈ ખાનગી નીકમાં થઈને પાણી હૃદયની ભીતર આવીને જીવનજળના ફુવારા તરીકે પ્રગટ્યું છે એ પ્રશ્ન છે. કવિને આ પહેલાં આ ફુવારાનો સાક્ષાત્કાર પણ થયો નથી એટલે આ નવજીવનનું અમૃત પીવાનું પણ આ પહેલાં કદી બન્યું નથી. કવિવર ટાગોરની ગીતાંજલિમાં ઠેરઠેર આ વાત જોવા મળે છે. એક ગીતમાં એ કહે છે: ‘મારા પ્રભુ, મારી જિંદગીના આ ઊભરાતા કપમાંથી કયું દિવ્ય પીણું આપ લેશો?’ મકાડો એક કવિતામાં કહે છે: ‘કશા માટે ઉતાવળા ન થાવ: કેમ કે કપના ઉભરાવા માટે, પહેલાં તો એ ભરવો જરૂરી છે.’ હૃદયનો આ કપ જીવનજળથી છલકાઈ રહ્યો છે. આ જીવનજળ એ આશા સિવાય બીજું કશું નથી. જે માણસ નવજીવનની આશા પી લે છે, એ ભવસાગર તરી જાય છે. મકાડો કહે છે: ‘માનવજાતના મારા બૌદ્ધિક વિશ્લેષણ કરતાં એમાંનો મારો ભરોસો વધુ બળવત્તર છે; અને ત્યાં જ યૌવનનો ફુવારો છે જેમાં મારું હૃદય અનવરત ન્હાય છે.’

આગળ એ કહે છે કે એના હૃદયમાં એક મધપૂડો છે, જેમાં સોનેરી મધમાખીઓ ગઈકાલની કડવાહટ, ગઈકાલના અપમાનો, ગઈકાલની તકલીફો, ગઈકાલની નિષ્ફળતાઓ, દુઃખો વાપરીને સફેદ મીણ અને મીઠું મધ બનાવી રહી છે. માનવજીવન આખાની કવિતા કદાચ આ એક અંતરામાં જ સમાયેલી છે. મધમાખીના પીળા રંગને કવિ સોનેરી રંગ તરીકે જુએ છે. સોનેરી રંગ આશાનો રંગ છે, ઊગતા સૂરજનો રંગ છે, મૂલ્યોનો રંગ છે. ભૂતકાળની વિડંબનાઓને સીડી બનાવીને આગળ વધવાની, ઊંચે જવાની આ વાત છે. મીણ સફેદ છે અને મધ મીઠું, મતલબ ગઈકાલની સમસ્યાઓનો સામનો કરવાથી આજ કાલિમા અને કડવાશરહિત બની છે. નિષ્કલંક શુભ્ર મીણમાં નવો પ્રકાશ આપવાની ગુંજાઈશ ભરી પડી છે. તકલીફોમાં રડતા રહીએ તો જીવન કદી મધમીઠું નહીં થાય. એક કવિતામાં એ આવું જ કહે છે: ‘મને લાગ્યું કે મારું ફાયરપ્લેસ મૃત છે/અને મેં રાખ ફંફોસી./મેં મારા આંગળાં દઝાડ્યાં.’ જે ચાલ્યું ગયું છે એ પણ કદી ચાલ્યું ગયેલું હોતું નથી કેમકે ગઈકાલના ગર્ભમાંથી જ આજનો જન્મ થાય છે.

ત્રીજો અંતરો સંકુલ છે. એ તરત ઊઘડતો નથી. ઈશ્વર પણ ક્યાં સીધો હાથ ચડે જ છે? કવિ જુએ છે કે એક બળતો સૂર્ય એના હૃદયમાં પ્રકાશી રહ્યો છે. અહીં કવિએ Hogar શબ્દ પ્રયોજ્યો છે, જેના બે અર્થ થાય છે – એક ફાયરપ્લેસ કે સગડી, ને બીજો ઘર. આપણી ભાષામાં એવો કોઈ શબ નથી જે ઘર અને સગડીનો સમન્વય કરી શકે. અનુવાદની આ મર્યાદા છે. સૂર્ય ક્યારેક ઘરની જેમ ઉષ્મા આપે છે તો ક્યારેક એની ગરમી સળગતા નરકની બળતરાનો અહેસાસ પણ કરાવે છે. એ પ્રકાશે છે અને અજવાળું પણ આપે છે ને એની સામે જોવા જઈએ તો આંખમાં આંસુ પણ આવે છે. ઈશ્વરની વાત છે- એ પ્રેમાળ પિતા પણ છે ને નજર મેળવી ન શકાય એવો ડર પણ. એન્ટૉનિયો એની આગવી શૈલીમાં પૃથ્વી અને સ્વર્ગ-નર્કને એક લસરકે ઊભા કરી આપે છે ને એ પણ એના દિવ્ય માયા જેવા સપનામાં.

અને જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. મકાડોના જ શબ્દોમાં આપણે યાદ રખવાનું છે કે ‘વટેમાર્ગુ, તારા પદચિહ્નો જ માર્ગ છે, બીજું કશું જ નહીં.’ ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’ એન્ટૉનિયો પહેલાં હૃદયની ભીતરના પાતાળઝરાની વાત કરે છે, પછી એ ધરતી અને આકાશ વચ્ચે લટકતા મધપૂડાની વાત કરે છે, એ પછી આકાશમાંના સૂર્યની અને અંતે સૌથી ઉપર બેઠેલા પરમપિતા પરમેશ્વરની. આમ, આખી કવિતા પાતાળથી સ્વર્ગ તરફના ઉર્ધ્વગમનની કવિતા પણ ગણી શકાય. અંતે તો ब्रह्म सत्यं, जगत मिथ्या।

ગ્લૉબલ કવિતા : ૫૮ : ડેફોડિલ્સને – રૉબર્ટ હેરિક

To Daffodils

Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.

We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.

– Robert Herrick

ડેફોડિલ્સને
પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.

તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.

– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)

कल हो न हो…

સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે. એ કહે છે: ‘જિંદગી ટૂંકી છે; શું આશા વધારે હોવી જોઈએ? આપણે વાત કરીએ છીએ એ ક્ષણે, ઈર્ષ્યાળુ સમય ઓસરી રહ્યો છે. આજને ચૂંટી લો; આવતીકાલનો કરી શકાય એટલો ઓછો ભરોસો કરો.’ પ્રસ્તુત રચનામાં રૉબર્ટ હેરિક આજ વાત કરે છે.

રૉબર્ટ હેરિક. એક એવો કવિ જેને ત્રણસો વર્ષ સુધી દુનિયા લગભગ ભૂલી જ ગઈ, નગણ્ય જ ગણતી રહી પણ વીસમી સદીમાં ઘડિયાળનું લોલક ગયું હો એટલા જ વેગથી પાછું આવે એમ જ દુનિયાએ એને લોકપ્રિયતાના ચરમ શિખરે આરુઢ કર્યો. જન્મ લંડનમાં. જન્મતારીખ તો કોઈ જાણતું નથી પણ ૨૪-૦૮-૧૫૯૧ના રોજ એને બાપ્ટાઇઝ્ડ કરાયા હતા. દોઢ વર્ષની પણ વય નહોતી ને એમના સોની પિતાએ બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો. થોડા વર્ષ રાજસોની કાકાને હવાલે રહ્યા. પણ સાચું સોનું એમને ત્યાં ન દેખાયું એટલે કેમ્બ્રિજ ગયા. નાણાંકીય ભીડના કારણે કેમ્બ્રિજ છોડીને ટ્રિનિટિ હૉલમાંથી કાયદામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કાયદા અને સાહિત્યસ્વામીઓની સાથે રહીને એ અસ્તિત્ત્વ ટકાવવા મથ્યા. સત્તરમી સદીમાં મોટું માથું ગણાતા બેન જોન્સનના શિષ્યો- બેન્સ સન્સ-માંના એક પણ સૌથી વધુ મૌલિક અને પ્રભાવક. બેનને એ પિતા માનતા અને પૂજતા પણ. માણસ ભગવાનને પ્રાર્થે એમ એ કવિતામાં એમના ‘માનસપિતા’ બેન જોન્સનને પ્રાર્થતા. બકિંગહામના ડ્યુકના પાદરી બન્યા. ચેપ્લેઇનમાંથી વિકાર (વડા પાદરી) બન્યા. ધર્મોપદેશકની નોકરી લેખક માટે કપરી હતી પણ આર્થિક સવલત વધી એટલે વચ્ચેના એકાદ દાયકાને બાદ કરતાં અંત સુધી તેઓ દેવળ સાથે જ સંકળાયેલા રહ્યા. પાદરી હોવા છતાં એ જીવનના સુખાનંદથી વંચિત રહેવામાં માનતા નહોતા. કદી પરણ્યા નહીં અને એમની કવિતાઓ કોઈ એક સ્ત્રી સાથે અનુબંધ ધરાવતી દેખાતી પણ નથી. ૧૫-૧૦-૧૬૭૪ના રોજ નિધન.

સત્તરમી સદીની બીજી પચીસીમાં ગૃહયુદ્ધ દરમિયાન જે કવિઓ ચાર્લ્સ પહેલાને વફાદાર હતા એ કેવેલિઅર્સ કહેવાયા ને સંસદને વફાદાર હતા એ રાઉન્ડહેડ્સ કહેવાયા. એ યુગ મિલ્ટન અને મેટાઝિકલ પોએટ્રીનો પણ યુગ હતો. પાદરી હોવા છતાં હેરિક કવિતામાં લાઘવ, અસ્ખલિત લય, પ્રેમ અને કામકેલિપ્રચુર આકર્ષક ગીતો, તથા ‘કાર્પે ડિએમ’ શૈલીના કારણે કેવેલિઅર પોએટ કહેવાયા. બેન જોન્સનને અનુસરીને પ્રાચીન ક્લાસિકલ રોમન ગીતશૈલીને એમણે પુનર્જીવન આપ્યું. અલ્જેર્નન ચાર્લ્સ સ્વીન્બર્ન તો હેરિકને ‘અંગ્રેજી જાતિમાં જન્મેલ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગીતકાર’ તરીકે ઓળખાવે છે. એમના ગીતોમાં પ્રેમાવેશને અડોઅડ ચિંતન રહેલું છે. હેરિકની કવિતાઓ જીવનને અને આજને ઉજવતી કવિતાઓ છે. એમાં ગ્રામ્યજીવન, ઉત્સવો, મિત્રો, મહેબૂબાઓ, રીતરિવાજો અને પ્રકૃતિ છલકે છે. એમના ગીતો તકનીકની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ છે. એ કદાચ પ્રથમ એવા કવિ હતા જેમણે સ્વરચિત તમામ રચનાઓ (૧૨૦૦થી વધુ) પદ્ધતિસર ગોઠવીને એક જ પુસ્તક હેસ્પેરિડ્સ (Hesperides)માં છપાવી. એની અનુક્રમણિકા –ધ આર્ગ્યુમેન્ટ ઑફ હિઝ બુક- પણ કાવ્યાત્મક છે અને કવિ અને કવિતા બંનેનો પરિચય આપે છે.

‘ડેફોડિલ્સને’ પણ એક કેવેલિઅર પોએમ છે, જે સલાહ આપે છે કે છે ત્યારે સમયનો મહત્તમ ઉપયોગ કરી લો કેમકે એ ત્વરિત ગતિએ ઊડી જાય છે. દસ દસ પંક્તિના બે અંતરા એની અનૂઠી પ્રાસરચના (ABCB DDC EAE)ના કારણે ધ્યાનાર્હ બને છે. વારાફરતી આવતા ગુરુ-લઘુ શબ્દાંશ, અનિયમિત લંબાઈની પંક્તિઓ, ‘હટ કે’ કહી શકાય એવી અંત્યાનુપ્રાસ-ગોઠવણી અને વર્ણસગાઈના કારણે કવિતાનો લય સતત વધઘટ થતો રહે છે અને કવિતાનો બાહ્યાકાર જીવનની અનિયમિતતા સાથે તાલમેલ પુરાવતો હોય એમ લાગે છે. બંને અંતરામાં પાંચમી અને સાતમી પંક્તિ બે જ શબ્દાંશની બની હોવાથી સમયની ઝડપનો અહેસાસ થાય છે. ગુજરાતી અનુવાદમાં પણ પ્રાસરચના અને પંક્તિ લંબાઈ મૂળ રચના મુજબ જાળવવાની કોશિશ કરવામાં આવી છે.

ઈસ્વીસનના બસો-ત્રણ વર્ષ પૂર્વે ડેફોડિલ્સની માહિતી મળે છે. છઠ્ઠી સદીમાં મુહંમદના લખાણમાં પણ ડેફોડિલ્સનો ઉલ્લેખ મળી આવે છે. વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે ડેફોડિલના ફૂલ પાંચથી વીસ દિવસ ખીલેલાં રહે છે પણ આ કવિતા છે અને કવિનું સત્ય વિજ્ઞાનના સત્ય કરતાં અલગ હોઈ શકે એ સર્વસ્વીકૃત છે. અહીં એ ડેફોડિલના ફૂલને અલ્પજીવી કહીને પોતાની વાત ભારપૂર્વક કહે છે. કવિતાની શરૂઆત ડેફોડિલને સંબોધીને જ થાય છે. કવિ કહે છે, વહાલાં ડેફોડિલના ફૂલો, તમે જે ઝડપે મૃત્યુ તરફ દોડી રહ્યાં છો એ જોઈને અમને રડવું આવે છે. હજી તો પ્રભાતનો સૂર્ય મધ્યાહ્ન સુધી પણ પહોંચ્યો નથી ત્યાં જ તમે કરમાવું શરૂ કરી દીધું? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યગીતના સમયે સાથે પ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત… સમજી શકાય છે કે અહીં સવાર, બપોર અને સાંજ બાળપણ, યૌવન અને પ્રૌઢાવસ્થા ઈંગિત કરે છે.

‘ટુ બ્લૉસમ્સ’ કવિતામાં ઝડપભેર ખરી જતાં પાંદડાં વિશે અફસોસ કર્યા બાદ હેરિક કહે છે, ‘પણ તમે પ્યારા પાંદડાંઓ છો, જ્યાં અમે વાંચી શકીએ છીએ કે વસ્તુઓનો અંત કેટલો જલ્દી આવે છે!’ અહીં પણ હેરિક આજ વાત અલગ રીતે કરે છે. કહે છે, તમારી જેમ અમારી પાસે પણ ઝાઝો સમય નથી, અમારી જીવનવસંત પણ ક્ષણભંગુર જ છે. અમે પણ તમારી જેમ જ ઝડપભેર વધીએ છીએ અને ત્વરિતગતિએ અમારોય અંત આવી જાય છે. જે રીતે તમારો સમય મૃત્યુ પામે છે અથવા જે રીતે ઉનાળામાં વરસાદ પડે અને જે રીતે ધરતી તરત જ સૂકી થઈ જાય અને પ્રભાતે ઘાસ-પુષ્પ પર પથરાયેલ મોતી જેવું જાજવલ્યમાન ઝાકળ સૂર્યના આવતાં જ ઊડી જાય એ જ રીતે અમે પણ અલ્પજીવી છીએ. ‘કોરિનાઝ ગોઇંગ અ મેયિંગ’ કવિતામાં હેરિક આજ વાત કરે છે, ‘આપણું જીવન ટૂકું છે; અને આપણા દિવસો સૂર્યની જેમ જ જલ્દી પૂરા થાય છે; અને વરાળ, કે વરસાદના ટીપાની જેમ એક વાર જાય, પછી ફરી કદી જડતા નથી.’

ટૂંકમાં આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. કૌંસમાંનું લખાણ કેટલું લાંબુ છે એ દેખાતું નથી પણ અનંત તો નથી જ એ સમજી શકાય છે. સમયના હાથ તો સોનાની ક્ષણોથી ભરેલા છે પણ હથેળી કાણી છે. સોનેરી ક્ષણની રજ કણ–કણ કરીને સતત આ કાણાંમાંથી સરતી જાય છે. જેટલી ક્ષણ તમે ગજવે ભરી શકો એટલી જ તમારી. સવારે ઊઠીને બ્રશ કરવાથી લઈને રાત્રે સૂઈ જવાની વચ્ચે કશું જ ઉપયોગી કામ ન કરનારના ખમીસમાં ખિસ્સાં જ નથી હોતાં જેમાં આ સોનું ભરી શકાય. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ‘ટુ ધ વર્જિન્સ, ટુ મેક મચ ઑફ ટાઇમ’માં હેરિક આજે કહેવત બની ગયેલી પંક્તિ આપણને આપે છે: ‘Gather ye rosebuds while ye may’ (કરી શકો ત્યાં સુધી તમારા ગુલાબ એકઠાં કરી લો) જોકે ચોથી સદીમાં ઑસોનિયસ આજ વત કરી ગયો હતો: ‘collige, virgo, rosas’, અર્થાત્ ‘ગુલાબ એકઠાં કર, છોકરી’. હેરિકનો જ સમકાલીન કવિ એન્ડ્રુ માર્વેલ એની બહુખ્યાત ‘કાર્પે ડિએમ’ કવિતા ‘ટુ હિસ કોય મિસ્ટ્રેસ’માં નાયિકાને કહે છે કે તારા એક-એક અંગોપાંગની યોગ્ય પ્રસંશા કરવા માટે તો યુગોના યુગો જોઈશે પણ સમયનો સૂર્ય યૌવનના ઝાકળને ઝડપભેર શોષી રહ્યો છે એટલે સમય હાથ પર હોય ત્યારે જ જીવનનો યથાર્થ ઉપભોગ કરી લઈએ. આજ વાત આપણે ત્યાં કબીર કહી ગયા:

काल करे सो आज कर, आज करै सो अब|
पल में परलय होयगी, बहुरी करेगा कब॥

સમયની શીશીમાંથી જીવનની રેતી સતત સરી રહી છે. જામ ગળતું છે ને મદીરા ઓછી છે એટલે જ ‘મરીઝ’ જિંદગીના રસને પીવામાં જલ્દી કરવાનું કહે છે ને?! હેરિક ડેફોડિલના અલ્પાયુને જોઈને રડે છે પણ હકીકતમાં એ રૂદન ડેફોડિલ કરતાં વધારે જાત માટે જ છે. આયખાની ધૂપસળી સતત બળી રહી છે એનો કવિને અંદેશો છે જ. જવાનું નક્કી જ છે પણ થોડું રોકાઈને જઈ શકાય તો સારું. બીજું કશું ન થઈ શકે પણ ઢળતા સૂરજની સાખે દિલથી પ્રાર્થના કરી શકાય તોય જીવન ધન્ય છે. જતાં જતાં ઈશ્વરને યાદ કરી લેવાય એ જ સાફલ્ય. શી ખબર, આપણી ભીતર રહેલા અજામિલે અંતઘડીએ પાડેલો ‘નારાયણ’નો પોકાર મોક્ષના દ્વાર પણ ખોલી દે! સુરેશ દલાલ એક મજાના ગીતમાં ગાય છે:

ગઈકાલ પર મૂકો ચોકડી, આવતીકાલ પર છેકો,
આ ક્ષણમાં તો ફૂલ થઈને વૃક્ષ જેટલું મ્હેકો.

કેવી મજાની વાત! આમેય કહ્યું છે ને, आप मूआ, पीछे डूब गई दुनिया; તો છીએ ત્યાં સુધી આજની જ ફિકર કાં ન કરીએ? કાલ કોણે દીઠી છે એમ કહેનારા કહી ગયા ને સાંભળનારા સાંભળતા આવ્યા છે પણ જિંદગીની પોણાભાગની સફર તો કાલ તરફ ઉદગ્રીવ નજરે તાકવામાં જ પતી જાય છે. વરસાદનું જે ટીપું હજી પડ્યું જ નથી એની સામે તાકવામાં ચાતક બાજુમાં પડેલા પાણીમાં ચાંચ નાખવાનું વિસરી જાય છે. આપણા સૌના જીવનની આ જ કમનસીબ વાસ્તવિક્તા છે. ‘કાર્પે ડિઅમ’ શીર્ષકવાળી કવિતામાં રૉબર્ટ ફ્રોસ્ટ આ વાસ્તવિક્તાની વાત કરે છે: ‘એ (જિંદગી) આજમાં ઓછી ને હંમેશા ભવિષ્યમાં વધુ જીવે છે; અને ભૂતકાળમાં આ બંને કરતાં પણ ઓછી જીવે છે.’ બૌદ્ધ ધર્મમાં પણ અસ્તિત્વના ત્રણ મૂળ સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે, ‘અનિત્ય જ નિત્ય છે’. નશ્વરતા વિશેની સમજમાંથી જ શાશ્વતી જન્મી શકે છે.

હેરિક કહે છે કે ‘કવિતા જેવી બીજી કોઈ વાસના નથી’ પણ ‘કવિતાની સનાતન શક્તિ’માં પોતાની શ્રદ્ધા દોહરાવતા એ કહે છે કે ‘કવિતા કવિને શાશ્વત બનાવે છે’, ને એટલે જ એ અન્યત્ર કહે છે, ‘તો પછી સારી કવિતાઓ પર ભરોસો કરો; એ જ માત્ર ઊંચે જશે; જ્યારે પિરામિડો, માણસની જેમ, લુપ્ત થઈ જશે, અંતિમસંસ્કારની આગમાં.’ રૉબર્ટ હેરિકને પણ જમાનો ઉનાળાના વરસાદ કે પ્રભાતના ઝાકળબુંદની જેમ જ બબ્બે ત્રણ-ત્રણ સદીઓ સુધી ભૂલી ગયો હતો પણ એની કવિતાઓમાં દમ હતો એટલે ખરી ગયેલો આ તારો પુનઃ પ્રકાશ્યો… નશ્વરતાને સ્પર્શ્યો તો એ શાશ્વતીને પામ્યો. ગઈ કાલ અને આવતીકાલની ચિંતામાં સૂકાવાના બદલે આજમાં કંઈક એવું કામ કરીએ, કંઈક એવું સર્જન કરીએ જેથી આપણું હોવાપણું સમયના હાંસિયાની બહાર વિસ્તરે અને જીવન લેખે લાગેલું ગણાય… ખરું ને?

આ ધોધમાર વરસે – નયના જાની

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

.

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની

ગ્લૉબલ કવિતા : ૫૨ : તૂટ, તૂટ, તૂટ – આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન

Break, Break, Break

Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.

O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!

And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!

Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.

– Alfred, Lord Tennyson

તૂટ, તૂટ, તૂટ

તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.

ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.

અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!

તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.

– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)

અંગત દુઃખના ચશ્માંમાંથી દેખાતો દુનિયાનો નજારો…

પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. આપણા માથે વીજળી કેમ ન ભાંગી પડી હોય, પાડોશમાં છોકરાઓ રમવાનું છોડી દેતાં નથી. કહ્યું છે ને-

कौन रोता है किसी और की खातिर ऎ दोस्त!
सब को अपनी ही किसी बात पे रोना आया। (સાહિર લુધિયાનવી)

આવી જ, નિકટતમ સ્વજનને ખોઈ બેસવાની પીડા અને એનાથી અજાણ દુનિયાની નિરવરોધ ગતિવિધિને સામસામે બેસાડીને શોકની લાગણીને વધુ બળકટ બનાવતું આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસનનું ગીત અહીં પ્રસ્તુત છે.

૧૮૩૦થી ૧૮૯૦ સુધીના સાંઠ વર્ષનો ગાળો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ તરીકે જાણીતો છે. આ યુગમાં સૌથી વધુ જાણીતી ત્રણ જીવિત વ્યક્તિઓમાં પહેલાં, ખુદ રાણી વિક્ટોરિયા; બીજા, બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ ચાર-ચાર ટર્મ સુધી અને સૌથી મોટી ઊંમરે વડાપ્રધાન બનનાર અને કદાચ બ્રિટિશ-ઇતિહાસના સૌથી મહાન વડાપ્રધાન ગણાયેલા વિલિયમ ગ્લેડસ્ટૉન; અને ત્રીજા, આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન-એક કવિ! અંગ્રેજીમાં લખનાર બીજા કોઈ કવિને જીવતેજીવત આવી નામના નસીબ થઈ નથી. આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન. જન્મ ૦૬-૦૮-૧૮૦૯ના રોજ. પિતા દ્વારા અપમાનિત અને જબરદસ્તી પાદરી બનાવાયેલ જ્યૉર્જ ક્લેટન ટેનિસનના બાર સંતાનોમાંના એક. પિતાને દારુ અને ડ્રગ્સની લત હતી. બાર સંતાનોમાંના લગભગ તમામ ઓછામાં ઓછી એકવાર ગંભીર માનસિક બિમારીના શિકાર બન્યા હતા. પરિણામે એમની કવિતાઓમાં પાગલપન, ધનલાલસા, કૃપણતા, સગવડિયા લગ્ન, સંબંધોની વિષમતા અને ખૂનામરકી અવારનવાર જોવા મળે છે. કદાચ પારિવારિક દુઃખી વાતાવરણના ઈલાજરૂપે જ ટેનિસને કવિતા લખવી શરુ કરી હતી. શાળામાં ગોઠ્યું નહીં. કેમ્બ્રિજ ગયા પણ ડિગ્રી લીધા વિના કોલેજ છોડી દીધી. વર્ડ્સવર્થ પછી ૧૮૫૦માં એ રાજકવિ નિમાયા. ૧૮૮૪માં ઉમરાવપદ પામ્યા. લૉર્ડ ગણાયા. ૦૬-૧૦-૧૮૯૨ના રોજ ૮૩ વર્ષની જૈફ વયે પરિવારના સભ્યોની હાજરીમાં એ મૃત્યુ પામ્યા ત્યારે હાથમાં શેક્સપિઅરનું પુસ્તક હતું.

એક ગીતકવિ તરીકે ટેનિસનને લય અને ધ્વનિની જે નૈસર્ગિક બક્ષિસ સાંપડી હતી એ કદાચ તમામ અંગ્રેજી ગીતકવિઓથી ચડિયાતી ગણી શકાય. ગાલિબની જેમ એ કવિતા મનમાં જ લખતા, યાદ રાખતા અને પાછળથી કાગળ પર ઉતારતા. એ લય અને છંદના બેતાજ બાદશાહ હતા. ધ્વનિનો ફોટોગ્રાફ કવિતામાં ઝીલી શકવાની કાબેલિયત એમનામાં હતી જે બહુ ઓછામાં જોવા મળે છે. પણ ટેનિસન વિક્ટોરિયન યુગની દંભી નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ હતા. એમનો અંતરાત્મા કુદરતી અને ગામઠી સૌંદર્ય તરફ એમને ખેંચતો હતો, પણ ઇંગ્લેન્ડના રાજકવિ તરીકે ઝડપભેર ફેલાઈ રહેલા શહેરીકરણ, આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણની ઉજવણી તરફની નૈતિક ફરજ – આ બેની વચ્ચે ક્યારેક કવિતા રહેંસાઈ પણ જતી.

૧૨ વર્ષની ઉંમરે તો એમણે ૬૦૦૦ પંક્તિનું મહાકાવ્ય લખી કાઢ્યું હતું. પૂરા ૧૮ વર્ષનાય નહોતા ને પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. આ કાવ્યસંગ્રહ આર્થર હેન્રી હેલમની આગેવાનીમાં ચાલતી ડઝનેક સાહિત્યકારોની ‘એપોસલ્સ’ (Apostles) ક્લબમાં એમને જોડાવા માટેનું નિમિત્ત બન્યો. હેલમ સાથે પરમ મિત્રતા થઈ. કૌટુંબિક કલહથી દૂર પહેલીવાર ટેનિસનને સાચા સ્નેહનો પરિચય થયો. હેલમ ટેનિસનની બહેન એમિલીના પ્રેમમાં પડ્યો, સગાઈ પણ થઈ પણ લગ્ન થાય એ પહેલાં જન્મજાત ખામીના કારણે મગજમાં રક્તસ્ત્રાવના કારણે હેલમનું નિધન થયું. ટેનિસનને લાગ્યું કે એની જિંદગી તહસનહસ થઈ ગઈ છે અને એ મરવા માંગતા હતા. દસ વરસ સુધી એમણે કોઈ કવિતા પણ પ્રગટ ન કરી. હેલમની યાદમાં કવિતા ઉત્તમને પામી. પોતાના એક સંતાનનું નામ પણ એમણે હેલમ રાખ્યું હતું. પ્રસ્તુત રચના પણ હેલમની યાદમાં જ લખાયેલ ઉત્તમ શોકગીત છે.

રચનાની દૃષ્ટિએ ગીત ચાર અંતરાનું બનેલું છે. અંગ્રેજીમાં સમાન્ય રીતે વપરાતા આયંબિક (લગા) મીટરના સ્થાને અહીં એનાપેસ્ટિક (લલગા) મીટર પ્રયોજાયું છે. વચ્ચે-વચ્ચે મોનોસિલેબિક ફૂટ (એકવર્ણીય પાદ) જેમકે તૂટ, તૂટ, તૂટ (ગા/ગા/ગા) અને વજનદાર અને ધીમી ગતિવાળા સ્પોન્ડી (ગાગા) વપરાયા છે. છંદની આ અનિયમિતતા સમુદ્રના મોજાંની અનિયત ગતિ સાથે સુસંબદ્ધ જણાય છે. (સમુદ્રના મોજાંની આવજાની ધારી અસર ઉપજાવવા કાંતે ‘ઝૂલણા’ છંદમાં લખેલું ‘સાગર અને શશી’ કાવ્ય અહીં યાદ આવ્યા વિના નહીં રહે) ABCB મુજબની પ્રાસરચના અને અનિયમિત લયગતિના કારણે એન્ગ્લો-સેક્સન યુગની જૂની અંગ્રેજી કવિતામાંથી પસાર થતા હોવાની અનુભૂતિ પણ થાય છે. ગીતની શરૂઆત ‘Break, break, break’થી થાય છે. ત્રણ ગુરુ વર્ણ એકસાથે પ્રયોજાયા હોવાથી ગીતનો ઊઠાવ ગતિ અને જોશસભર બને છે. શોકગ્રસ્ત કવિનું હૈયાના તૂટવાની સાથે અને પથ્થર પર અથડાઈને તૂટતા મોજાંના ધ્વનિની સાથે આ ‘તૂટ, તૂટ, તૂટ’ની સીધી આદેશાત્મક વાક્યરચના ધારી અસર નિપજાવવામાં સફળ રહે છે એમ કાવ્યમાંથી પસાર થતાં સહેજે સમજાય છે.

ઉત્તમોત્તમ ગીતના ઉદાહરણ તરીકે ટાંકી શકાય એવું છે આ ગીત. સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે. સ્વજનની યાદમાં લખાયેલા આવા ઘણા અમર શોકગીતો આપણી વિરાસતનો એક હિસ્સો છે. ચૌદમી સદીના કો’ક અજ્ઞાત કવિનું ‘Pearl’, મિલ્ટનનું ‘Lycidas’, મેથ્યુ આર્નોલ્ડના ‘ Thyrsis’ અને ‘The Scholar Gypsy’, બેન જોન્સનનું ‘My First Sonne’, શેલીનું ‘Adonais’, કેથેરિન ફિલિપ્સનું ‘Epitath’, તથા ઑડનનું ‘Stop All The Clocks’ કેટલાક દૃષ્ટાંત છે. ખુદ ટેનિસને હેલમની યાદમાં ઘણાં કાવ્યો રચ્યાં. જેમાંની એક દીર્ઘ કવિતા ‘ In Memorium’ પણ ઉત્તમ શોકગીત ગણાય છે જેમાં ટેનિસને પ્રયોજેલ દુર્લભ છંદ ‘ઇન મેમોરિયમ મીટર’ તરીકે ઓળખાય છે.

કવિ દરિયાકિનારે ઊભા છે. દરિયાની વિશાળતા કવિના દુઃખની વિશદતાની દ્યોતક છે. પણ આ દુઃખનો કિનારો છે, એ રેતાળ નહીં, ખડકાળ છે. અહીં મોજાં તો આવે છે પણ માથાં પટકી-પટકીને ચૂરેચૂરા થઈ જાય છે. આ ખડકોમાં ઉષ્મા નથી બચી, ઠંડાગાર છે. ખડકોનો ભૂખરો રંગ પણ બેરંગ જિંદગીનું પ્રતીક છે. દરિયા પાસે તો દુઃખમાં પથ્થરો પર માથાં પટકી-પટકીને આક્રંદ કરવાની સગવડ છે પણ કવિ નિઃશબ્દ છે. એ માત્ર ઇચ્છા જ કરી શકે છે કે કાશ! પોતાના માનસપટલ પર જે વિચારો ઊઠી રહ્યા છે એને એની જીભ વાચા આપી શકે.

બીજા અંતરામાં દુનિયાની બેખબરી સાથે અંગત દુઃખને juxtapose કરીને કવિ સંવેદનાના વિરોધાભાસને ધાર કાઢે છે. ખૂબ જ ટૂંકા લસરકા મારીને કવિ એકદમ સજીવ ચિત્રો તાદૃશ કરી આપે છે. આ ટેનિસનની કળા છે. દરિયાકિનારે એક તરફ કવિની નજરે માછીમારના બાળકો રમતાં નજરે ચડે છે. કવિની પીડાથી અજાણ છોકરો બૂમ પાડીને પોતાની બહેન સાથે રમી રહ્યો છે. કવિના મૌનની સામે આ બૂમનો અને કવિની સ્થિરતાની સાથે એમની રમતનો વિરોધાભાસ વાતને વધુ ઊંડી બનાવે છે. બીજું ચિત્ર ખાડીમાં હોડીમાં બેસીને ગાઈ રહેલા ખારવાનું છે. અહીં ફરીથી એ જ ગતિ અને ગીત સાથેનો વિરોધાભાસ વધુ બળવત્તર બનતો અનુભવાય છે. ત્રીજા અંતરાને કવિ પોતાના અંતરની જેમ વચ્ચેથી ચીરીને બે ભાગ કરી દે છે. પહેલી બે પંક્તિમાં ટેકરીઓની નીચે બારામાં જઈ રહેલાં આલિશાન જહાજો નિર્દેશાયા છે. કવિતાની સાર્થકતા એ છે કે એમાં એકપણ શબ્દ વધારાનો ન હોય. ટેનિસને આ કવિતામાં જે કરકસર કરી છે એ અપ્રતિમ છે. જહાજોની વિશાળતા કવિને પડેલી ખોટની વિશાળતાનો પડઘો પાડતી હોય એમ અનુભવાય છે. અને બંદરને સ્વર્ગની ઉપમા આપીને કવિ જિંદગીમાં આવી પડેલા વેદનાસિક્ત નર્કને બખૂબી ઉપસાવી આપે છે. એક વાત સાફ થાય છે કે કોઈના જવાથી સૃષ્ટિચક્ર કદી પણ અને જરી પણ અટકવાનું નથી. વિશાળ સાગરમાં આપણે એક બિંદુ માત્ર છીએ. બિંદુના હોવા-ન હોવાથી સાગરને કશો ફરક પડનાર નથી. (સચોટ ચિત્ર રજૂ કરતા આવા ચિત્રકાવ્યો ઇડિલિક કે પેસ્ટોરલ પોએમ્સ તરીકે પણ ઓળખાય છે.)

ત્રીજા અંતરાના બીજા ભાગમાં કાવ્યારંભે જે ભૂખરી ઠંડીગાર પીડા ધૂંધળી અનુભવાય છે, એ સાફ થાય છે. ‘ઓ સાગર’, ‘ઓહ, સારું છે’ પરથી કવિ ‘અરે, પરંતુ’ સુધી આપણને લઈ આવે છે અને જેનો સ્પર્શ હજી રહી ગયો છે એ હાથ અને જેનો ધ્વનિ હજી કાનોમાં પડઘાય છે એ અવાજની ‘કાયમી’ ગેરહાજરીથી અવગત કરે છે. અને જે ઘડીએ આપણે કવિના શોકમાં સંમિલિત થઈએ છીએ એ જ ઘડીએ કવિ ફરી એકવાર ‘તૂટ, તૂટ, તૂટ’ના ઝડપી પુનરાવર્તન સાથે રહીસહી આશાને કરાડો પર અફાળી-પછાડીને ચકનાચૂર કરી દે છે. દરિયાકિનારે ઊભેલો માણસ પ્રતીક્ષાનું પ્રતીક છે પણ આવી-આવીને પરત ફરી જતાં મોજાં અને ક્ષિતિજ પર આથમી જતો સૂરજ એ વાત ઇંગિત કરે છે કે જે સમય અને માણસ ચાલ્યા ગયા છે એ કદી પાછા ફરતા નથી… સાંજના સમયે દરિયાકિનારે ઊભા રહીને મોજાંની આવ-જા જોતાં હોઈએ ત્યારે આપણા હૈયામાં સહેજે અકથ્ય ગ્લાનિ અનુભવાતી હોય છે. મેથ્યુ આર્નોલ્ડની ‘ડોવર બીચ’ કવિતામાં મોજાંની આવ-જા સાથે ફંગોળાતા પથ્થરોની કર્કશ ગર્જનામાં સંભળાતા ‘ઉદાસીના શાશ્વત સૂર’ (The eternal note of sadness) અહીં સહેજે સાંભરે છે.

‘દુઃખદર્દ લઈ જાય એ મૃત્યુ મીઠું’ એમ એક જગ્યાએ ટેનિસન કહે છે પણ આ મૃત્યુ તો કવિની સકળ સૂધબુધ લઈ જાય એવું છે. ‘ઇન મેમોરિયમ’માં એ હેલમ માટે જ કહે છે કે, ‘ઈશ્વરની આંગળી એને સ્પર્શી અને એ સૂઈ ગયો.’ પણ અહીં હૃદય આવું સમાધાન સ્વીકારતું નથી. સાંજ થઈ ચૂકી છે, દિવસ મરી પરવાર્યો છે પણ હજી દિવસની મૃદુ કૃપા સંધ્યાની લાલિમા બનીને માથે ઉતરી રહેલા અનિવાર્ય અંધારા સામે ઝઝૂમી રહી છે. (દિવસના મૃત્યુની વાતથી કિટ્સના ‘ઓડ ટુ ઓટમ’ના અંતે આવતો ‘સોફ્ટ-ડાઇંગ ડે’ જરૂર યાદ આવે. જોકે ટેનિસન મૃત્યુ પામતા દિવસ સાથે ‘કૃપા’ જોડીને સમયને વધુ માનવીય બનાવે છે.) આવતી કાલે જે ઊગશે એ દિવસ અને એ સાંજ નવા જ હશે, એ આ દિવસ કે આ સાંજ કદી પણ નહીં જ હોય. જે વહી ગયું, એ વહી ગયું. માત્ર બાવીસ વર્ષની કાચી વયે કવિમિત્ર આર્થર હેલમ આથમી ગયો… હવે એની મિત્રતાની કૃપા ફરી કદી વરસવાની નથી. આ જિંદગી છે. આ જ જિંદગીની વાસ્તવિકતા છે.

ટેનિસન જાણે છે કે, ‘કદી નહીં, ઓહ ! કદી નહીં, મરશે કશું પણ; ઝરણું વહેશે, પવન ફૂંકાશે, વાદળ દોડશે, હૃદય ધબકશે, કશું નહીં મરે’ હેલમના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!