ગ્લૉબલ કવિતા : ૫૯ : ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો – એન્ટૉનિયો મકાડો

Last night when I was sleeping

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.

– Antonio Machado
(Trans: Vivek Manhar Tailor)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને
જે મેં ક્યારેય પીધું નથી?

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે
મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.

– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્વપ્નમાં ઊઘડતો શાશ્વતીનો દરવાજો

સપનાં અતૃપ્ત ઇચ્છાઓના દસ્તાવેજ છે. દિવસના અજવાળામાં છાતીના પિંજરામાં સંતાઈ રહેલું કબૂતર રાતના અંધારામાં પાંપણના દરવાજે ટકોરા મારે એનું જ નામ સપનું. સપનું પ્રેયસી છે જે રાતના કાજળમાં આલિંગનનો અજવાસ પાથરે છે. યાદ રહી જતાં સપનાં જ જીવનનું ખરું ચાલકબળ છે. સ્વપ્ન જોઈને ભૂલી જનાર પથારીથી આગળ વધતા નથી પણ એને ફળીભૂત કરવા મથનાર જીવનના ઉન્નત શિખરો સર કરે છે. ‘ભવિષ્ય એમના માટે જ છે જેઓ પોતાના સ્વપ્નોના સૌંદર્યમાં વિશ્વાસ રાખે છે.’ (એલેનોર રુઝવેલ્ટ) ખલિલ જિબ્રાન કહે છે, ‘સપનાંઓમાં ભરોસો રાખો કેમકે એમાં જ શાશ્વતીનો દરવાજો છૂપાયેલો છે.’ પ્રસ્તુત રચનામાં એન્ટૉનિયો મકાડો સ્વપ્ન, વાસ્તવ અને બેની વચ્ચે રહેલા આત્મશ્રદ્ધાના પ્રદેશની મુસાફરીએ આપણને લઈ જાય છે.

એન્ટૉનિયો મકાડૉ. આખું નામ Antonio Cipriano José María y Francisco de Santa Ana Machado y Ruiz. ૨૬-૦૭-૧૮૭૫ના રોજ સેવિલે, સ્પેન ખાતે જન્મ. પિતા વકીલ, પત્રકાર અને લોકકથાકાર હતા. પાછળથી પ્રોફેસર બન્યા. નવાઈ લાગે પણ એમના પિતાનું જે નામ હતું એ જ નામ એનું પણ પાડવામાં આવ્યું. પિતાને ૧૮ની કુમળી વયે ગુમાવ્યા પછી આર્થિક સંકડામણનો શિકાર બન્યા. અભિનેતા, અનુવાદક જેવી જાતજાતની નોકરી કરી. શાળામાં શિક્ષકોના પ્રોત્સાહન અને ફાન્સમાં રહ્યા એ ગાળામાં સાહિત્યકારો સાથેના સંસર્ગના પરિણામે સાહિત્ય મનમાં ઘર કરી ગયું. સાહિત્યમાં ડૉક્ટરેટની પદવી મેળવી. ફ્રેન્ચશિક્ષક-પ્રોફેસર બન્યા. ૩૪ની વયે ૧૫ વર્ષની લિઓનોર ઇઝ્કિએર્ડો સાથે લગ્ન કર્યા. પણ એ ત્રણ જ વર્ષમાં મકાડોને ડિપ્રેશન ભેટમાં આપીને ટીબીના કારણે અવસાન પામી. સ્પેનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મા-દીકરાએ નાદુરસ્ત તબિયત સાથે આમથી તેમ ભાગવું પડ્યું. કાર, ટ્રેન, પગપાળાં એમણે સરહદ પાર કરી ફ્રાન્સ પહોંચ્યાં પણ જે મદદની રાહમાં હતાં એના અભાવે અને ન્યુમોનિયાના કારણે એન્ટોનિયોનું ૨૨-૦૨-૧૯૩૯ના રોજ દેહાવસાન થયું. મૃત્યુસમયે એના જેકેટમાંથી એમની અંતિમ કવિતા ‘ધીસ બ્લ્યુ ડેઝ એન્ડ ધીસ સન ઑફ ચાઇલ્ડહુડ’ જડી આવી હતી. ‘દીકરો જીવશે એટલું જીવીશ’ કહેનાર માતા પણ ત્રણ જ દિવસમાં દુનિયા ત્યાગી ગઈ. કોઇલ્યુરના એક નાગરિકે જ બંનેને સાથે દફન કર્યાં. મૃત્યુના બે વર્ષ બાદ સ્પેનની ઉગ્રવાદી સરકારે એમનું નામ શિક્ષકોની યાદીમાંથી કમી કરી નાંખ્યું અને છે…ક બીજા ચાળીસ વર્ષ પછી ૧૯૮૧માં લોકશાહી સરકારે એમને એ ગૌરવ પરત કર્યું.

એન્ટૉનિયો વીસમી સદીના શ્રેષ્ઠ કવિઓમાં મોખરે બિરાજે છે. ૧૮૯૮ના સ્પેન-અમેરિકા વચ્ચેના યુદ્ધ વખતે કવિ, નવલકથાકાર, નિબંધકાર અને ફિલસૂફો – જે સિત્તેરના દાયકામાં જન્મ્યા હતા અને ૯૮ પછીના બે દાયકા સુધી કાર્યરત્ હતા-નો એક સમૂહ હતો જે ‘જનરેશન ઑફ ૧૮૯૮’ (૯૮ની પેઢી) તરીકે ઓળખાયો. યુદ્ધમાં સ્પેનની હાર પછી આ ઘવાયેલ સ્વમાનીઓએ રાજાશાહીની પુનર્સ્થાપના (રિસ્ટોરેશન મૂવમેન્ટ) અને તત્કાલિન પ્રચલિત સાહિત્ય અને શૈક્ષણિક મૂલ્યોનો વિરોધ કરી સ્પેનિશ સાહિત્યને એક નવો જ ચહેરો આપ્યો. એન્ટોનિયો આ ચળવળના અગ્રણીઓમાંના એક હતા. મકાડૉની શૈલી સરળ ભાસે પણ એ આકરી તપશ્ચર્યા અને કૃતનિશ્ચયીપણાનો ગુણાકાર છે, જે પ્રવર્તમાન ફિલસૂફી અને કોમન સેન્સથી રસાયેલ છે. એની ઉક્તિઓ અને ગીતો સ્પેનના સાહિત્યકારો અને નાગરિકોના હોઠે વસે છે. કોબ અને સમય અને સ્મૃતિનો કવિ કહી ઓળખાવે છે. ગેરાર્ડો ડિએગોના શબ્દોમાં એન્ટૉનિયો ‘ગીતોમાં બોલતા અને કવિતામાં રહેતા’ હતા. એમના સમસામયિકોના આધુનિકતાવાદને ફગાવીને એમને ‘શાશ્વત કવિતા’ની આરાધના કરી, જેમાં બુદ્ધિમતા કરતાં સ્વયંસ્ફુરણ વધુ મહત્ત્વનું હતું. શરૂની કવિતાઓ પર રોમાન્ટિસિઝમનો પ્રભાવ દેખાય છે. પછીનો તબક્કામાં પ્રકૃતિ અને માનવસંવેદનને ઝીલતો કેમેરા નજરે ચડે છે. એ પછીના કાવ્યોમાં અસ્તિત્વવાદ અને એકાંત પડઘાય છે. એ પોતે કહેતા, ‘કવિતા લખવા માટે, પહેલાં તો તમારે એક કવિનો આવિષ્કાર કરવો પડે જે એ લખે.’

મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.

મૂળ કવિતા લયબદ્ધ ગીતસ્વરૂપે છે અને ABAB CDCD પ્રકારની પ્રાસરચના ધરાવે છે. ચાર અંતરાની રચના ૮-૮-૮-૪ પંક્તિયોજનાથી થઈ છે. કવિતાનું શીર્ષક કવિતાના ચારેય અંતરાની પ્રથમ પંક્તિ પણ છે. એટલે ગઈ રાત અને સૂવાનો સંદર્ભ સતત પુનરાવર્તિત થઈ દૃઢીભૂત થાય છે. નિદ્રા અને મૃત્યુ વચ્ચે એકમાત્ર ફર્ક એ છે કે નિદ્રામાંથી જાગી શકાય છે. નિદ્રા એ રિવર્સિબલ ડેથ જ છે ને! એન્ટૉનિયો કહે છે: ‘મૃત્યુ એવી વસ્તુ છે જેનો આપણે ડર ન રાખવો જોઈએ, કેમકે જ્યારે આપણે છીએ, મૃત્યુ નથી, અને જ્યારે મૃત્યુ છે, આપણે નથી.’ અહીં વાત ગઈકાલની છે પણ એ આજના ખોળામાં છે, ગઈ કાલની નિદ્રાની છે પણ ઈશારો આજની જાગૃતિ તરફ છે.

દિવસ દરમિયાન માણસ જાતથી દૂર રહે છે એટલે આંખો વિસ્ફારિત રહે છે, રાત્રે માણસ એક પછી એક વિચારની ગાંસડી ઊતારતો જઈ જાત તરફ વળે છે. બધી જ ગાંસડી માથેથી ઊતરી જાય કે તરત સમાધિ લાગી જાય છે. જે લોકો ગાંસડીત્યાગ નથી કરી શકત, એ લોકો સ્લિપિંગ પિલ્સ કે દારૂનો સહારો લઈ આભાસી ઊંઘની કબરમાં રાતવાસો કરી આવે છે. અધૂરી મનોકામનાઓનો સૂર્ય ઊંઘના આકાશમાં સપનું થઈને ઊગે છે ને નસીબદાર લોકોની સ્મૃતિમાં દુનિયાનો સૂર્ય ઊગી ગયા પછી પણ સપનાના સૂર્યનો પ્રકાશ જળવાઈ રહે છે. નાયકને એના ગઈ રાતના સપનાંઓ યાદ છે એમાંથી આજની કવિતાનું ગૂંફણ થાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘ગઈકાલ એ આજની યાદ છે, આવતીકાલ આજનું સ્વપ્ન.’ તો સપનાંઓનો સાચો સોદાગર વૉલ્ટ ડિઝની છાતી ઠોકીને કહી ગયો: ‘આપણાં દરેક સ્વપ્ન સાચાં પડી શકે છે, જો એને આંબવાની હિંમત હોય તો.’ સાચું છે. એન્ટૉનિયો જ કહે છે: ‘જીવવા અને સ્વપ્ન જોવા વચ્ચે એક ત્રીજી વસ્તુ છે. વિચારી જુઓ.’ આ કવિતા એ ત્રીજી વસ્તુની કવિતા છે…

ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. લગભગ પંદરસો વર્ષ પહેલાં ગૌડપાદે કહ્યું હતું એ યાદ આવે: ‘સ્વપ્નમાં જે કંઈ દેખાય છે, એ શરીરની અંદર જ સ્થિત હોય છે.’ સ્વપ્નમાં કવિ જુએ છે કે એમના હૃદયમાં એક ફુવારો ફૂટ્યો છે. કઈ ખાનગી નીકમાં થઈને પાણી હૃદયની ભીતર આવીને જીવનજળના ફુવારા તરીકે પ્રગટ્યું છે એ પ્રશ્ન છે. કવિને આ પહેલાં આ ફુવારાનો સાક્ષાત્કાર પણ થયો નથી એટલે આ નવજીવનનું અમૃત પીવાનું પણ આ પહેલાં કદી બન્યું નથી. કવિવર ટાગોરની ગીતાંજલિમાં ઠેરઠેર આ વાત જોવા મળે છે. એક ગીતમાં એ કહે છે: ‘મારા પ્રભુ, મારી જિંદગીના આ ઊભરાતા કપમાંથી કયું દિવ્ય પીણું આપ લેશો?’ મકાડો એક કવિતામાં કહે છે: ‘કશા માટે ઉતાવળા ન થાવ: કેમ કે કપના ઉભરાવા માટે, પહેલાં તો એ ભરવો જરૂરી છે.’ હૃદયનો આ કપ જીવનજળથી છલકાઈ રહ્યો છે. આ જીવનજળ એ આશા સિવાય બીજું કશું નથી. જે માણસ નવજીવનની આશા પી લે છે, એ ભવસાગર તરી જાય છે. મકાડો કહે છે: ‘માનવજાતના મારા બૌદ્ધિક વિશ્લેષણ કરતાં એમાંનો મારો ભરોસો વધુ બળવત્તર છે; અને ત્યાં જ યૌવનનો ફુવારો છે જેમાં મારું હૃદય અનવરત ન્હાય છે.’

આગળ એ કહે છે કે એના હૃદયમાં એક મધપૂડો છે, જેમાં સોનેરી મધમાખીઓ ગઈકાલની કડવાહટ, ગઈકાલના અપમાનો, ગઈકાલની તકલીફો, ગઈકાલની નિષ્ફળતાઓ, દુઃખો વાપરીને સફેદ મીણ અને મીઠું મધ બનાવી રહી છે. માનવજીવન આખાની કવિતા કદાચ આ એક અંતરામાં જ સમાયેલી છે. મધમાખીના પીળા રંગને કવિ સોનેરી રંગ તરીકે જુએ છે. સોનેરી રંગ આશાનો રંગ છે, ઊગતા સૂરજનો રંગ છે, મૂલ્યોનો રંગ છે. ભૂતકાળની વિડંબનાઓને સીડી બનાવીને આગળ વધવાની, ઊંચે જવાની આ વાત છે. મીણ સફેદ છે અને મધ મીઠું, મતલબ ગઈકાલની સમસ્યાઓનો સામનો કરવાથી આજ કાલિમા અને કડવાશરહિત બની છે. નિષ્કલંક શુભ્ર મીણમાં નવો પ્રકાશ આપવાની ગુંજાઈશ ભરી પડી છે. તકલીફોમાં રડતા રહીએ તો જીવન કદી મધમીઠું નહીં થાય. એક કવિતામાં એ આવું જ કહે છે: ‘મને લાગ્યું કે મારું ફાયરપ્લેસ મૃત છે/અને મેં રાખ ફંફોસી./મેં મારા આંગળાં દઝાડ્યાં.’ જે ચાલ્યું ગયું છે એ પણ કદી ચાલ્યું ગયેલું હોતું નથી કેમકે ગઈકાલના ગર્ભમાંથી જ આજનો જન્મ થાય છે.

ત્રીજો અંતરો સંકુલ છે. એ તરત ઊઘડતો નથી. ઈશ્વર પણ ક્યાં સીધો હાથ ચડે જ છે? કવિ જુએ છે કે એક બળતો સૂર્ય એના હૃદયમાં પ્રકાશી રહ્યો છે. અહીં કવિએ Hogar શબ્દ પ્રયોજ્યો છે, જેના બે અર્થ થાય છે – એક ફાયરપ્લેસ કે સગડી, ને બીજો ઘર. આપણી ભાષામાં એવો કોઈ શબ નથી જે ઘર અને સગડીનો સમન્વય કરી શકે. અનુવાદની આ મર્યાદા છે. સૂર્ય ક્યારેક ઘરની જેમ ઉષ્મા આપે છે તો ક્યારેક એની ગરમી સળગતા નરકની બળતરાનો અહેસાસ પણ કરાવે છે. એ પ્રકાશે છે અને અજવાળું પણ આપે છે ને એની સામે જોવા જઈએ તો આંખમાં આંસુ પણ આવે છે. ઈશ્વરની વાત છે- એ પ્રેમાળ પિતા પણ છે ને નજર મેળવી ન શકાય એવો ડર પણ. એન્ટૉનિયો એની આગવી શૈલીમાં પૃથ્વી અને સ્વર્ગ-નર્કને એક લસરકે ઊભા કરી આપે છે ને એ પણ એના દિવ્ય માયા જેવા સપનામાં.

અને જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. મકાડોના જ શબ્દોમાં આપણે યાદ રખવાનું છે કે ‘વટેમાર્ગુ, તારા પદચિહ્નો જ માર્ગ છે, બીજું કશું જ નહીં.’ ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’ એન્ટૉનિયો પહેલાં હૃદયની ભીતરના પાતાળઝરાની વાત કરે છે, પછી એ ધરતી અને આકાશ વચ્ચે લટકતા મધપૂડાની વાત કરે છે, એ પછી આકાશમાંના સૂર્યની અને અંતે સૌથી ઉપર બેઠેલા પરમપિતા પરમેશ્વરની. આમ, આખી કવિતા પાતાળથી સ્વર્ગ તરફના ઉર્ધ્વગમનની કવિતા પણ ગણી શકાય. અંતે તો ब्रह्म सत्यं, जगत मिथ्या।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *