Category Archives: ગીત

સપનાં વસંતના – સુરેશ દલાલ

આજે – ૧૧મી ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલના જન્મદિને, એમની એક મઝાની કવિતા…

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૯૪ : ચિમની સ્વીપર – વિલિયમ બ્લેક

The Chimney Sweeper

When my mother died I was very young,
And my father sold me while yet my tongue
Could scarcely cry ‘weep! ‘weep! ‘weep! ‘weep!
So your chimneys I sweep, and in soot I sleep.

There’s little Tom Dacre, who cried when his head,
That curled like a lamb’s back, was shaved: so I said,
“Hush, Tom! never mind it, for when your head’s bare,
You know that the soot cannot spoil your white hair.”

And so he was quiet; and that very night,
As Tom was a-sleeping, he had such a sight—
That thousands of sweepers, Dick, Joe, Ned, and Jack,
Were all of them locked up in coffins of black.

And by came an angel who had a bright key,
And he opened the coffins and set them all free;
Then down a green plain leaping, laughing, they run,
And wash in a river, and shine in the sun.

Then naked and white, all their bags left behind,
They rise upon clouds and sport in the wind;
And the angel told Tom, if he’d be a good boy,
He’d have God for his father, and never want joy.

And so Tom awoke; and we rose in the dark,
And got with our bags and our brushes to work.
Though the morning was cold, Tom was happy and warm;
So if all do their duty they need not fear harm.

– William Blake

ચિમની સ્વીપર

જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો,
અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો
માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ!
સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ.

નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું
ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું,
“ચુપ, ટોમ! દિલ પર ન લે તું, ટકોમૂંડો ભલેને થઈ ગ્યો,
મેંશ હવે નહીં બગાડી શકશે, તારા ધોળા વાળનો જથ્થો.

અને પછી એ શાંત થઈ ગ્યો; અને બરાબર એ જ રાત્રે,
ટોમ સૂઈ રહ્યો’તો જ્યારે, એણે એવું દૃશ્ય જોયું કે –
એક નહીં પણ હજારો મહેતર, ડિક, જૉ, નેડ અને જેક,
બધા જ થઈ ગયા’તા કાળી કોફિનોની અંદર કેદ.

એવામાં એક દેવદૂત આવ્યો સાથે લઈ તેજસ્વી ચાવી,
સૌ કોફિન ઊઘાડી એણે, દરેક જણને મુક્તિ આપી;
દોડ્યાં સૌએ, નીચે લીલાં મેદાનોમાં, હસતાં-કૂદતાં,
નાહ્યાં સૌ નદીમાં ભરપૂર, અને થયા તડકામાં ચમકતાં.

પછી તો નાગાંપૂગાં ધોળાં, સૌ થેલીઓ છોડી પાછળ,
પવનમાં મસ્તીએ સૌ ચડ્યાં, ચડીને ઊંચે ઊંચે વાદળ;
પછી કહ્યું દેવદૂતે ટોમને, જો એ સારો બાળક બનશે,
પામશે પિતાના સ્થાને ઈશ્વર, અને કદી આનંદ ન ખૂટશે.

અને આમ જાગી ગ્યો ટોમ ને અમેય ઊઠ્યા અંધારામાં,
અને ઊઠાવી થેલીઓ ને બ્રશ અમે સૌ કામે ઊપડ્યાં.
ટોમ હતો ખુશ ને હૂંફાળો, હતી ભલેને સવાર ઠંડી,
જો સૌ સૌની ફરજ બજાવે, હાનિનો ડર બિનજરૂરી.

– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
બાળમજૂરી- શોષણ અને કરુણતાનો આર્તનાદ…

દુનિયાનું સૌથી ક્રૂર પશુ કોણ એવો પ્રશ્ન કોઈ તમને પૂછે તો તમે શો જવાબ આપો? વાઘ? સિંહ? મગરમચ્છ? કે પછી મનુષ્ય પોતે? છંછેડવામાં ન આવે કે ભૂખ્યા ન હોય તો જંગલીમાં જંગલી પશુ પણ બિનજરૂરી હુમલો કે હત્યા કરતા નથી પણ મનુષ્ય એક એવું પ્રાણી છે જે કોઈપણ જાતની છંછેડ વિના, ભૂખ્યું ન હોય તો પણ હુમલો અને હત્યા બંને કરી શકે છે, અને નિતાંત કરી શકે છે. વળી, અન્ય પ્રાણીઓથી અલગ, મનુષ્યને વાણી-વર્તનની વધારાની સુવિધા પણ છે એટલે એ શરીરિક ઉપરાંત વાણી-વર્તનથી પણ હુમલા કરવાને સશક્ત છે. વયનો ફાયદો મળે કે પદનો, જૂથનો ફાયદો મળે કે ધર્મનો, સ્થળનો ફાયદો મળે કે સમયનો; માણસ પોતાનાથી નીચેનાનું શોષણ કરવાની તક ભાગ્યે જ જતી કરી શકે છે. શોષણની પરાકાષ્ઠા એટલે ફૂલ જેવા કોમળ બાળકો પર મોટાઓ વડે કરાતો અત્યાચાર. વિલિયમ બ્લેક પ્રસ્તુત રચનામાં આંખમાં આંસુ આવી જાય અને હૈયું ધ્રુજી જાય એવી ભાષામાં બાળશોષણની વાત લઈને આવ્યા છે.

વિલિયમ બ્લેક. ૨૮-૧૧-૧૭૫૭ના રોજ બ્રૉડ સ્ટ્રીટ (હાલના બ્રૉડવીક સ્ટેશન), લંડન ખાતે જન્મ. દસ વર્ષની વયે એમણે કવિતા પર હાથ અજમાવવું પ્રારંભ્યું. વાંચવાના ભયંકર શોખીન. ૧૪ વર્ષની વયે એક નકશીગરને ત્યાં કામે લાગ્યા અને સાત વર્ષમાં તો વ્યાવસાયિક બની બહાર પડ્યા. રોયલ અકાદમીના વિદ્યાર્થી બન્યા પણ પ્રમુખ રેનોલ્ડ્સ અને એમની ચિત્રશૈલી સાથે સતત ટકરાવમાં રહ્યા. એકવાર હૃદયભંગ થયા બાદ અંગૂઠાછાપ કેથેરીન બાઉચર સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને એને ન માત્ર અક્ષરજ્ઞાન આપ્યું, નક્કાશી પણ શીખવાડી, જે આજીવન બ્લેકની ચડતી-પડતીમાં સતત પ્રેરણા અને પડછાયો બનીને રહી. ઓગણીસમી સદીમાં પ્રચલિત થયેલી ‘મુક્ત પ્રેમ’ ચળવળના મુખ્ય પ્રણેતાઓમાંના એક તેઓ પણ હતા. ૧૭૮૪માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. પોતાની ચિત્રશૈલીને એ ‘ફ્રેસ્કો’ તરીકે ઓળખાવતા. બ્લેકે ધાતુના પતરા પર તેજાબથી આકૃતિ કોતરવા માટે પોતાની ‘રિલીફ એચિંગ’ પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ, નકશીકામ, પોતાના સાહિત્યોપરાંત બ્લેક અન્ય કવિઓની કવિતાઓ અને પુસ્તકોને આ પદ્ધતિઓથી શણગારવાનું કામ પણ કરતા. બ્લેક નિધન પામ્યા એ દિવસે પણ તેમણે દાન્તેની ‘ઇન્ફર્નો’ પર એકધારું કામ કર્યું હતું. થાક્યા પછી પત્ની તરફ ફરીને એમણે કહ્યું, ‘થોભ કેટ! જેમ છે એમ જ રહે-હું તારું પોર્ટ્રેઇટ બનાવીશ- કેમકે તું મારા માટે હરહંમેશ દેવદૂત બની રહી છે.’ ચિત્ર બનાવ્યા પછી એમણે સ્તોત્રો અને છંદ ગાવા શરૂ કર્યા અને પત્નીને આજીવન સાથે રહેવાનું વચન આપીને ૧૨-૦૮-૧૮૨૭ના દિવસે સાંજે એમણે શ્વાસ છોડ્યો.

બ્લેકની રચનાઓ અભિવ્યક્તિ, રચનાત્મકતા, ફિલસૂફી, શુભ-અશુભની લડાઈ, અને ગૂઢ અંતઃપ્રવાહસભર છે. પારલૌકિક આભાસોની અનુભૂતિની પણ એમના સર્જન પર ગાઢ અસર જોવા મળે છે. લગભગ આખી જિંદગી લંડનમાં કાઢવા છતાં એમના સર્જનમાં જે વૈવિધ્ય અને ઊંડાણ જોવા મળે છે એ ધ્યાનાર્હ છે. સર્જનમાં એ એટલા રત રહેતા કે એમની પત્ની કહેતી કે, ‘મને મિ. બ્લેકનો સહવાસ સાવ નગણ્ય જ મળે છે; એ હંમેશા સ્વર્ગમાં જ હોય છે.’ કવિ, ચિત્રકાર અને પ્રિન્ટમેકર બ્લેક જીવનકાળ દરમિયાન બહુ ઓછા પોંખાયા હતા. લોકોએ એમને ગાંડાય ગણ્યા હતા. એમના પર રાજદ્રોહનો આરોપ પણ મૂકાયો હતો. મૃત્યુપર્યંત બ્લેક એમના અતિખ્યાત સંગ્રહો ‘સૉન્ગ્સ ઑફ ઇનોસન્સ’ અને ‘સૉન્ગ્સ ઑફ એક્સપિરિઅન્સ’ની ત્રીસ પ્રત પણ વેચી શક્યા નહોતા. પણ સમયની ચાળણીમાંથી કચરું ચળાઈ જાય છે અને સત્ત્વ બચી જ જાય છે એ વાત એમના વિષયમાં સાવ સાચી છે. આજે કવિતા અને દૃશ્યકળાના ક્ષેત્રમાં રૉમેન્ટિક યુગની એ પ્રમુખ પ્રતિભા ગણાય છે. ઘણી અમર રચનાઓ આપનાર બ્લેકની એક કૃતિની શરૂઆતમાં આવતી અમર પંક્તિઓ (To see a World in a Grain of Sand) જોવા જેવી છે:

જોવી હો જો દુનિયા એક રેતીના કણમાં
ને સ્વર્ગ જો જોવું હોય જંગલી પુષ્પ મહીં
તો શાશ્વતતાને ઝાલી લો આ એક ક્ષણમાં
અને હથેળીમાં અનંતતાને લો ગ્રહી.

‘ચિમની સ્વીપર’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજી ટેબલ અને ફારસી ખુરશી ગુજરાતીમાં આવીને જે રીતે લગ્નગ્રંથિએ જોડાઈ ગયાં છે એ જ રીતે ઘણાબધા અંગ્રેજી શબ્દો આજની અંગ્રેજીઘેલી ગુજરાતી પેઢીના પ્રતાપે ઝડપભેર ગુજરાતી થવા માંડ્યા છે. શીર્ષકનું ભાષાંતર ‘ધુમાડિયું સાફ કરનાર’ કરીએ તો ધુમાડિયુંનો અર્થ સમજાવવો પડે એ પરિસ્થિતિ આજે થઈ છે. જેમ ‘ચિમની’ એમ ‘સ્વીપર’ શબ્દ પણ એ હદે ગુજરાતી બની ગયો છે કે ‘મહેતર’ શબ્દ વાપરીએ તો એ બીજી ભાષાનો લાગે. ભાષાના સાંપ્રત વહેણ અને ભાષાંતરની મર્યાદા ધ્યાનમાં રાખીને શીર્ષક યથાવત્ રાખવું વધુ ઉચિત લાગે છે. ચાર-ચાર પંક્તિના છ બંધ અને અ-અ, બ-બ પ્રકારની ચુસ્ત પ્રાસરચના (છેલ્લા બંધના અર્ધપ્રાસને બાદ કરતાં) બ્લેકે પ્રયોજી છે. ચૉસરે પ્રયોજેલ અને પૉપે ખેડેલ ‘હિરોઇક કપ્લેટ (યુગ્મ)’ની પ્રણાલિમાં એ બંધ બેસે છે, ફરક માત્ર એ જ કે અહીં આયમ્બિક પેન્ટામીટરના સ્થાને ટેટ્રામીટર છંદ પ્રયોજાયો છે. બીજું, સામાન્યતઃ પ્રચલિત આયમ્બ (લ-ગા પ્રકારની શબ્દાંશ વ્યવસ્થા)ના સ્થાને બહુધા એનાપેસ્ટ (લ-લ-ગા પ્રકારની શબ્દાંશ વ્યવસ્થા) પ્રયોજાવાના કારણે ગીતના લયમાં અનૂઠો જ ઉછાળ આવે છે. આ બ્લેકની ખાસિયત છે. પોતાની વાતને અંડરલાઇન કરવા માટે એ છંદમાં સફળ પ્રયોગ ખૂબ કરે છે. માત્ર છેલ્લા જ બંધમાં ચુસ્ત પ્રાસ ન વાપરીને પણ એ આખી પરિસ્થિતિની અરાજકતા તરફ ભાવકને વિચલિત કરવામાં સફળ થયા છે.

‘ચિમની સ્વીપર’ કવિતાની વાત કરતાં પહેલાં ચિમની સ્વીપરની વાત કરવી અનિવાર્ય બની રહે છે. બાળમજૂરી આજે ગુનો ગણાતો હોવા છતાં આજની તારીખે પણ બાળમજૂરી નાબૂદ કરી શકાઈ નથી. વિશ્વના પછાત દેશોમાં આજે પણ ચારમાંથી એક બાળકને બાળમજૂર બનવાની ફરજ પડે છે. કેટલાક દેશોમાં તો પચાસ ટકાથી વધુ બાળકો બાળમજૂર બને છે. ભારતમાં પણ દસ ટકા બાળકો આજે પણ બાળમજૂરીમાં જોતરાય છે. ગરીબી, અને નિરક્ષરતાને આના બે મુખ્ય કારણ ગણી શકાય. કારણ ગમે એ હોય, પણ રમવા-ભણવાની વયે બાળકોના બાળપણની ઘાતકી હત્યા કરી દેવામાં સગા મા-બાપ પણ ખચકાટ અનુભવતા નથી. બ્લેકના જમાનામાં ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાના બાળકો વરદાનરૂપ ગણાતા. માત્ર ત્રણ જ વર્ષની વયના બાળકોને પણ આ કામમાં જોતરી દેવાતા. બાળકોને અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર ઉતારાતા ત્યારે ચિમનીમાંથી નીચે પડી જઈને હાથ-પગનું તૂટવું એકદમ સામાન્ય હતું. ચિમનીની સાંકડી દીવાલો સાથે ઘસાઈ ઘસાઈને બાળકોની કોણી અને ઘૂંટણની ચામડી ઉતરડાઈ જતી, જેને મીઠાની પાણીથી સાફ કરીને એમનો માલિક નિષ્ઠુર હૃદયે એક પછી એક ચિમનીમાં ઉતરવાની ફરજ પાડતો. રાખ અને મેંશના કારણે શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર થવું પણ સહજ હતું. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને કે ફસાઈને, ગૂંગળાઈને બાળકનું મરી જવું પણ ખૂબ જ સામાન્ય અકસ્માત ગણાતો. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયું છે એની જાણ પણ થતી નહોતી અને રિબાઈ રિબાઈને એ મરણને શરણ થતું. માલિકો બાળકોને જાડા થઈ જવાના ડરે હંમેશા અપૂરતો ખોરાક આપતા. જે કામ બ્રશની મદદથી આસાનીથી થઈ શકે એમ હતું એ જઘન્ય કામ કઈ ગણતરીથી બાળકોના માથે લાદવામાં આવ્યું હતું એ એક કોયડો છે. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો. ૧૭૮૮માં પહેલો કાયદો ઘડાયો પણ એનો અમલ લગભગ સો વરસ પછી ૧૮૭૫માં થવો શરૂ થયો, પણ આ કાયદો પણ ચિમનીસ્વીપરોને વયમર્યાદા ઉપરાંત સગવડ અને રક્ષણ પૂરું પાડવાથી વિશેષ કંઈ કરી ન શક્યો.

કવિતાની શરૂઆત કથકની માતાના મૃત્યુ સમયે પોતે ખૂબ નાનો હતોના એકરાર સાથે થાય છે. અર્થાત્ કથક હવે મોટો થઈ ગયો છે અને પોતાની આપવીતી કહી રહ્યો છે એ સમજી શકાય છે. એ સમાજમાં મૃત્યુદર ઊંચો હતો એટલે ઘણા બાળકો નાનપણમાં જ અનાથ થઈ જતાં હતાં. કથક કહે છે કે એના સગા બાપે એને વેચી નાંખ્યો હતો. બાળકોને વેચવું અને ખરીદવું એ સમાજમાં સહજ હતું. ચાર્લ્સ ડિકન્સની મશહૂર ઓલિવર ટ્વિસ્ટમાં ઓલિવરનું વેચાણ કરવામાં આવે છે. અરેરાટી છૂટી જાય એવી વાસ્તવિક્તા સાથે કવિ આપણને મુખામુખ કરે છે. કવિતાનું કામ આમેય માત્ર પ્રેમના ટાયલા કૂટવાનું નહીં, સમાજનો અરીસો બનવાનું અને સમાજને અરીસો ધરવાનું પણ છે જ અને બ્લેક આ કામ બખૂબી નિભાવી શક્યા છે. બાળક ખૂબ નાનું હોય ત્યારે સાફ બોલી શકતું નથી. સ્વીપ! સ્વીપ! વાપરવાના બદલે બ્લેક ’વીપ! ’વીપ! પ્રયોજે છે, જેના પરથી કથક સાફ બોલી પણ ન શકે એટલું નાનું બાળક છે અને આવી કૂમળી ઉમરમાં સગા બાપના હાથે ચિમની સાફ કરવાના અમાનુષી કાર્ય માટે બલિ દેવાયું છે એ વાત સ્પષ્ટ થાય છે. પોતાની વાતને વજન આપવું હોય તો જીવનમાં કે સાહિત્યમાં એને બેવડાવવાની કે ત્રેવડાવવાની નીતિ આપણે અપનાવતાં હોઈએ છીએ પણ બ્લેક અહીં ’વીપ! ઉદગારને ચોવડાવીને સગા બાપના હાથે કૂમળી વયે વધેરાયેલા બાળક પીડા તરફની આપણી વિહ્વળતાને ઓર ગાઢી બનાવે છે.

આગળ જતાં સમજાય છે કે કથક પોતાની પીડાને પચાવી ચૂક્યો છે, પણ એના દિલમાંથી બીજાની તકલીફ વિશેની બાળસહજ કરુણા યથાવત્ છે. ટોમ ડેક્રી નામના સહયોગી બાળકની એ વાત કરે છે, જેના માથે ઘેટાંની પીઠ જેવા મજાના વાંકડિયા વાળ હતા જેને માલિકે સાફ કરાવી નાંખ્યા હશે. કથક ટોમને સાંત્વના આપે છે, કે ભલે ટકોમૂંડો થઈ ગયો પણ હવે એક વાતની તો શાંતિ ને કે ચિમનીની મેંશ કે રાખ હવે તારા ધોળા વાળને બગાડી નહીં શકે! નાના બાળકના વાળ માટે ધોળા રંગનું વિશેષણ તરત જ ધ્યાન ખેંચે છે. પાશ્ચાત્ય દેશોમાં વાળના કુદરતી રીતે જાત-જાતના રંગો જોવા મળે છે એ હકીકત વાપરીને બ્લેક કદાચ મેંશના કાળા રંગ સામેનો વિરોધાભાસ કદાચ વધુ કટ્ટર ને બળવત્તર બનાવવા માંગે છે. બીજું, વાળની સફેદી અકાળે આવી જતી વૃદ્ધાવસ્થા તરફ પણ ઈશારો કરે છે. એમ પણ વિચારી શકાય કે કંઈક કાળું, કંઈક અંધારું મેલું અને ભ્રષ્ટ કરે છે કશાક ધોળાંને-કશીક નિર્દોષતાને. રંગો વચ્ચેનો વિરોધાભાસ બ્લેકને ગમે છે. એક કવિતામાં એ લખે છે: ‘બંને રાત ને દિવસ બાઇબલ વાંચે છે/પણ તું કાળું વાંચે છે જ્યારે હું સફેદ.’

અનાથ બાળકો જ એકબીજાના બેલી થતાં હશે ને! એક બાળકની સાંત્વના બીજાના ગળે ઊતરી ગઈ. આખરે તો એ એનો હમદર્દ જ ને! ટોમ સૂઈ જાય છે અને ઊંઘમાં એને કંઈક દેખાય છે. બ્લેક સીધા શબ્દોમાં સપનું જોયું એમ નથી કહેતા. કારણ? બ્લેકને ખુદને પણ નાનપણથી અવારનવાર પારલૌકિક આભાસ થતા. ચાર જ વર્ષની ઉમરે એમણે ભગવાનને બારી પર માથું મૂકતા તો નવની વયે દેવદૂતોથી ભરેલું ઝાડ જોયાનું કહ્યું હતું. લોકોને તો ગપ્પાં જ લાગે ને! પણ બાળકને આવું “જૂઠું” બોલતું અટકાવવાના બદલે મા-બાપે એ અન્યથી અલગ છે એમ વિચાર્યું અને ભીતરના કળાકારને પારખી લઈને દસ વર્ષની વયે જ શાળા છોડાવીને મા પાસે ગૃહશિક્ષણ શરૂ કરાવ્યું અને ચિત્રકળાના વર્ગમાં મૂક્યા. બ્લેક કદાચ એટલે જ કવિતામાં ટોમે એક દૃશ્ય જોયું એમ કહે છે, કેમ કે કવિતા માત્ર સમાજનો અરીસો જ નહીં, કવિની આત્મકથા પણ છે. ટોમે જોયું જે એક નહીં પણ હજારો બાળકો કાળી કોફિનમાં કેદ સૂતાં છે. કાળી કોફિન ચિમનીની કાળી સંકડાશની સાથોસાથ કાળા મૃત્યુના ઓછાયાનો પણ સંદર્ભ સૂચવે છે. કાળી ચિમની બાળકો માટે કાળી કોફિનથી અલગ છે જ નહીં જેમાં મોતની નીંદ લેવાની હોય. હકીકત પણ એ જ હતી કે આ કામ કરનારા બાળકો ભાગ્યે જ આધેડાવસ્થા કે વૃદ્ધાવસ્થા સુધીનું આયુષ્ય ભોગવવા નસીબદાર બનતા.

બધા કાળી કોફિનમાં તાળાબંધ હતા તેવામાં ઉજળી આશાના કિરણ સમી એક તેજસ્વી ચાવી લઈને એક દેવદૂત આવ્યો, જેણે બધી કોફિન ઊઘાડીને બધાને મુક્તિ આપી. બાઇબલમાં ઈસુ પીટરને સ્વર્ગના રાજ્યની ચાવી આપે છે એ સંદર્ભ યાદ આવે. (મેથ્યુ ૧૬:૧૯) એક રચનામાં બ્લેક લખે છે: ‘ઈશ્વર પ્રકાશ છે/એ ગરીબ આત્માઓ માટે જેઓ રાતમાં સબડે છે.’ પોતાના નાના કદ અને વયના હાથે મોટેરાઓના ગુલામ બની ગયેલ બાળકો હકીકતમાં કેવી જિંદગી ઇચ્છે છે એ વાત હવે બ્લેક કરે છે. કહે છે, બાળકો તો હસતાં-કૂદતાં નીચે ખુલ્લાં લીલાં મેદાનોમાં દોડ્યાં. ‘કાળી’ ચિમનીમાં ‘ઊંચે’ જ ચડવાની વ્યથાગ્રસ્ત બાળકોની મુક્તિ સાથે બ્લેક કેવી કુશળતાથી ‘નીચે’ અને ‘લીલાં’ શબ્દ પ્રયોજે છે! અઠવાડિયાઓના અઠવાડિયાઓ સુધી જેમને નહાવાનું નસીબ થતું નથી એ હજારો બાળકો નદીમાં ન્હાઈને તડકામાં ભીના ચળકતાં શરીરે ઊભાં છે. ‘ચળકતાં” શબ્દ પણ ચિમનીના અંધારા સામે સહેતુક ગોઠવવામાં આવ્યો હોવાનું નથી અનુભવાતું? કોઈએ કપડાંની કેદ પણ સ્વીકારી નથી. ન્હાઈને ઊજળાં થઈને નાગાંપૂગાં જ પોતાની બાળમજૂરી માટેની થેલીઓ પાછળ છોડી દઈને સૌ ઊંચે વાદળ પર ચડે છે અને પવનની સાથે રમતો આદરે છે.

ભીતરમાં દફન થઈ ગયેલી બાળકોની ઇચ્છાઓ સાથે સાક્ષાત્કાર કરાવ્યા બાદ બ્લેક તરત જ કવિતાને અણધાર્યો વળાંક આપે છે. ટોમ એ આ હજારો બાળકોનો પસંદીદા પ્રતિનિધિ છે. દેવદૂત એને કહે છે કે જો એ સારો બાળક બનીને રહેશેતો ઈશ્વર ખુદ એના પિતાનું સ્થાન લેશે અને એને જિંદગીમાં કદી પણ ખુશીની કામના નહીં કરવી પડે કેમકે ખુશી હરહમેશ એને હાથવગી જ રહેશે. બાળપણથી જ બ્લેકના જીવન-કવન પર બાઇબલનો બૃહદ પ્રભાવ રહ્યો. એમના બહુધા સર્જનમાં બાઇબલ માટેનો સાચો આદર અને સ્થાપિત ધર્મના ધામા સમા ચર્ચ સામેનો ઉગ્ર વિરોધ સાફ નજરે ચડે છે. એ પહેલો સવાલ ઊઠાવે છે છે, ઈશ્વર શું સૌનો પિતા નથી? બીજો સવાલ, શું ખુશી સૌના નસીબમાં ન હોવી જોઈએ? ત્રીજો સવાલ, શું ઈશ્વર શરતી પ્રેમ કરે કે બિનશરતી? અને ચોથો સવાલ, સારો બાળક કોણ? એ કોણ નક્કી કરે?

કવિ કહે છે કે, ‘આમ’ ટોમ ‘જાગી’ ગયો. પણ હકીકતમાં બધા બાળકો ‘ઊઠે’ છે તો ‘અંધારામાં’ જ. આ બાળકો માટે ક્યાંય કોઈ પ્રકાશ કે કોઈ દેવદૂત કે પરમપિતા છે જ નહીં. સવાર પડી છે પણ હજી અંધારું ગયું નથી કેમકે આ શિયાળાની સવાર છે અને ઇંગ્લેન્ડની હાડ ગાળી નાંખે એવી ઠંડી સવાર છે. બાકીના બાળકો ટોમના આ સપનાંથી અવગત નથી એટલે એ સૌ તો અંધારામાં ઊઠીને પોતપોતાની થેલીઓ અને બ્રશ ઊઠાવીને રોજની જેમ ચિમની સાફ કરવા ઊપડે છે પણ સપનામાં સુખ અને ખુશીની આશાનો સ્વાદ ચાખનાર ટોમ આટલી કડકડતી ઠંડીમાં પણ ગરમાટો અનુભવે છે. એ જાણી ગયો છે કે જો દરેક જણ પોતપોતાની ફરજ બજાવશે તો કોઈપણ પ્રકારની હાનિનો કોઈ ડર રાખવાનો જ નથી. ચિમનીસ્વીપર જો ચિમનીની સફાઈ કરવાની ‘ફરજ’ પૂરેપૂરી બજાવશે તો જ ઈશ્વર એને કાયમની ખુશી આપનાર છે…

આ કોઈ દેવદૂતે સપનાંમાં આવીને કરેલી વાત નથી. આ તો મજૂરી કોઠે પાડી દેવામાં આવી છે એ બાળકોના મનાનુકૂલનની વાત છે. કૂમળાં બાળકોના મગજમાં ક્રૂર સમાજે ઠસાવી દીધું છે કે આ મજૂરી એ જ એમની એકમાત્ર ફરજ છે. માળીએ ફૂલને રહેંસી તો નાંખ્યું છે પણ સાથોસાથ એવું પણ સમજાવી દીધું છે કે આ રહેંસાવું એ જ એમનું એકમાત્ર ગંતવ્ય પણ છે ને કર્તવ્ય પણ છે. આમ, આ બાળકોનું માત્ર શારીરિક જ નહીં, માનસિક અને ભાવનાત્મક શોષણ પણ થઈ રહ્યું છે. અહીં બાળકો વડે મોટાઓ દ્વારા થતા અન્યાય સામે લડવાની નહીં, પણ આ જીવંત નર્કને જ પોતાનું સ્વર્ગ સ્વીકારી લેવાની મોટાઈ પ્રદર્શિત થાય છે. મોટા જ્યાં સુધી ન સમજે કે પોતે ખોટા છે, ત્યાં સુધી આ શોષણનો કોઈ અંત નથી. કવિએ સમાજની બદી પર પ્રકાશ ફેંક્યો છે, આંખ ઊઘાડીને જોવાનું કામ સમાજનું છે.

પ્રસ્તુત રચના બ્લેકના ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ સંગ્રહમાં છે. એમના તમામ સર્જનમાં ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ(૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ નોખા તરી આવે છે. પહેલામાં બાળસહજ નિષ્કપટ અભિગમ રજૂ થયો છે તો બીજામાં સમયની થપાટે બદલાયેલું જીવન રજૂ થાય છે. મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ અને રિગેઇન્ડની જેમ બ્લેક એક જ વસ્તુની બે બાજુઓ અને ખાસ તો બે અવસ્થાઓ, બે વિરોધાભાસો પ્રસ્તુત કરે છે. ઇનોસન્સમાં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે એક્સપિરિઅન્સમાં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત કર્યાં હતાં. આ જ શીર્ષકથી ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ’માંનું ગીત પણ સાથોસાથ જોઈએ:

નાની અમથી કાળી એક ચીજ, બરફની વચ્ચે,
ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ!” દુઃખભીના અવાજે!
“ક્યાં છે તારા પપ્પા ને ક્યાં છે મમ્મી? બોલ!”-
“તે બંને તો ગયા છે સાથે પ્રાર્થવા માટે ચર્ચ.

“કારણ બંજરપાટ ઉપર હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો હું સ્મિત શિયાળાના બર્ફમાં,
એ લોકોએ પહેરાવ્યા મને મૃત્યુના વસ્ત્રો,
અને મને કરતા-ગાતા શીખવ્યા આર્તનાદો.

અને કારણ કે હું ખુશ છું, નાચું-ગાવું છું,
તેઓ વિચારે છે તેમણે મને દર્દ નથી પહોંચાડ્યું,
ને ગ્યા છે પૂજવા દેવ ને એના પાદરી ને રાજાને
જેઓ અમારા દુઃખમાંથી સ્વર્ગ ખડું કરે છે.

ગ્લૉબલ કવિતા : ૯૩ : अपराजेय – વિલિયમ અર્નેસ્ટ હેન્લી

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

अपराजेय

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

નાયકને મહાનાયક, માનવને મહામાનવ બનાવનારી અમર કવિતા

ફર્સ્ટ ક્લાસની ટિકીટ હોવા છતાં હિંદુસ્તાનના એક વકીલને દક્ષિણ આફ્રિકામાં સામાન સાથે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. ૭ જુન, ૧૮૯૩ના એ દિવસે પેટ અને પૈસા માટે વિદેશ ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધીની અંદર એક નેતાનો ઉદય થયો હતો એ વાત આપણે સહુ જાણીએ છીએ. પણ મહાત્મા ગાંધીનો જન્મ એક પુસ્તકના ઉદરમાંથી થયો હતો એ વાત કેટલાને યાદ હશે? ૧૯૦૪માં હેન્રી પૉલાક મરફત ગાંધીજી જૉન રસ્કિનના ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકના પરિચયમાં આવ્યા, જે એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ પુરવાર થયો. આ પુસ્તક ગાંધીજીનો પડછાયો બનીને રહ્યું. આ પુસ્તકથી પ્રેરિત થઈને જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પહેલાં ફિનિક્સ ફાર્મ અને પછી ટૉલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. આ પુસ્તકની પ્રેરણામાંથી જ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ઉદભવ્યો. આઝાદી માટેનો ભારતનો અહિંસક સત્યાગ્રહ અને સમાજના છેવાડાના છેલ્લામાં છેલ્લા માણસ માટેની સામાજીક જાગૃતિના પગરણ પણ આ પુસ્તકમાંથી જ મંડાયા. કોઈ પુસ્તકે કે કોઈ પ્રવચને કે કોઈ ફિલ્મે કોઈની આખેઆખી જિંદગી જ બદલી નાંખી હોય એવા અસંખ્ય દાખલાઓ ઇતિહાસમાંથી જડી આવશે. હેન્લીની પ્રસ્તુત રચના પણ આ જ રીતે એક માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનાવવામાં ચાવીરૂપ બની હતી…

વિલિયમ એર્નેસ્ટ હેન્લી. કવિ. વિવેચક. સંપાદક. ૨૩-૦૮-૧૮૪૯ના રોજ ઇંગ્લેન્ડમાં ગ્લૉસ્ટર ખાતે પુસ્તકવિક્રેતાને ત્યાં જન્મ. છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા. શાળામાં ટી.ઈ.બ્રાઉન નામના કવિ આચાર્ય તરીકે આવ્યા એ એમના માટે વરદાન સાબિત થયું. બંને વચ્ચે આજીવન મૈત્રી પણ રહી. ૧૨ વર્ષની નાની વયે હેન્લીને હાડકાંનો ટી.બી. થયો. ઓગણીસમી સદીના અંતભાગમાં ક્ષયરોગની આજે છે, એવી સારવાર ઉપલબ્ધ ન હોવાથી હેન્લીના નસીબે ખૂબ રિબાવાનું આવ્યું હતું. ૧૯ વર્ષની વયે માથે દેવાદારો મૂકી ગયેલા પિતાને ગુમાવ્યા એ જ અરસામાં ક્ષયરોગના કારણે ઘૂંટણ પાસેથી ડાબો પગ પણ કપાવવો પડ્યો. વિક્ટોરિયન યુગના પ્રમુખ અવાજોમાંનો એક એમનો હતો. અવારનવારની હૉસ્પિટલયાત્રાની વચ્ચે-વચ્ચે એમણે પત્રકાર અને સંપાદક તરીકે શાખ જમાવી. જે હૉસ્પિટલમાં હેન્લી હતા ત્યાં જ દાખલ પોતાની બહેનની ખબર કાઢવા આવતી અન્ના બોયલે સાથે ૧૮૭૮માં એમણે પ્રેમલગ્ન કર્યા. માર્ગારેટ નામની દીકરી જન્મી જે કાયમ બિમાર રહેતી હતી. આમ તો એ પાંચ-છ વર્ષનું આયુષ્ય ભોગવીને જ મૃત્યુ પામી પણ જે.એમ. બેરીની સુપ્રસિદ્ધ ‘પિટર પૅન’માં ‘વૅંન્ડી’ના પાત્રરૂપે એ અમર થઈ ગઈ. હૉસ્પિટલમાં જ જેમની સાથે અનન્ય મૈત્રી થઈ એ રૉબર્ટ લૂઈ સ્ટિવન્સનની જગવિખ્યાત ‘ટ્રેઝર આઇલેન્ડ’માં આવતું લોંગ જોન સિલ્વરનું પાત્ર એક પગવાળા હેન્લીના જીવનથી પ્રેરિત હતું. સ્ટિવન્સનના સાવકો પુત્રે હેન્લી માટે કહ્યું હતું: ‘લાલ દાઢી અને એક કાંખઘોડીવાળો મહાન, દેદીપ્યમાન, પહોળા ખભાવાળો માણસ; હસમુખો, હેરત પમાડે એટલો ચાલાક, અને હાસ્ય જાણે કે સંગીત; અકલ્પનીય આગ અને પ્રાણશક્તિથી ભરપૂર; સામાના પગ તળેથી જમીન ખેસવી લે એવો.’ ૧૧-૦૭-૧૯૦૩ના રોજ માત્ર ૫૩ વર્ષની નાની વયે લંડન નજીક વૉકિંગ ખાતે ઘરમાં જ નિધન.

વિક્ટોરિયન અને પરંપરાગત કાવ્યશૈલી એમની રચનાઓ અલગ તરી આવે છે. એ સમયના લાંબાલચક વિવરણોથી ઊલટું એમની કવિતાઓ પ્રમાણમાં ટુ-ધ-પૉઇન્ટ કહી શકાય એવી ટૂંકી અને આડંબરરહીત હતી. કાવ્યસ્વરૂપ અને તકનીકની બાબતમાં એ ખાસ્સા વૈવિધ્યસભર રહ્યા. એમના હૉસ્પિટલ કાવ્યો એમની યશકલગીમાંનાં છોગાં બની રહ્યાં છે. આંતરિક આત્મસંભાષણ, મુક્તકાવ્ય, ટૂંકાણ તથા પ્રયોગપ્રચુર એમની કવિતાઓ વીસમી સદીમાં પ્રાંરંભાયેલી આધુનિક કવિતા તરફનો પહેલો ઈશારો ગણી શકાય.

પ્રસ્તુત રચના અંગ્રેજીમાં લિરિક અને આપણી ભાષામાં ગીત તરીકે ઓળખાય છે. સોળ જ પંક્તિની ટૂંકીટચ રચનાને કવિએ ચાર-ચાર પંક્તિના ચાર બંધમાં વહેંચી દીધી છે. ચૌદમી અને સોળમી પંક્તિના અર્ધાનુપ્રાસને બાદ કરતાં બધા જ બંધમાં કવિએ અ-બ-અ-બ ક-ડ-ક-ડ પ્રકારે ચુસ્ત પ્રાસ જાળવ્યા છે. અંગ્રેજીમાં આ પ્રકારની કાવ્યવ્યવસ્થાને ‘હીરોઇક ક્વૉટ્રેઇન’ કહે છે. અંગ્રેજીમાં આયમ્બિક ટેટ્રામીટરની નજીક નજીક જતી આ રચનામાં કવિએ છંદવૈવિધ્ય ઉમેરીને એને વધુ રવાની બક્ષી છે. ચુસ્ત પ્રાસરચના તથા અપૂર્ણાન્વય (enjambment)ની જાણીતી કાવ્યપ્રયુક્તિના સ્થાને પૂર્ણાન્વય ચરણ (end-stopped lines)ની રીતિ પસંદ કરી છે. આ કારણોસર દરેક પંક્તિ એક સ્વતંત્ર વાક્યનો ભાસ ઊભો કરે છે અને આ કવિતા માટે આવશ્યક અધિકૃતતતા અને અંતિમતાનો ભાવ ઉજાગર થાય છે. હેન્લીએ ૧૮૭૫માં ‘ઇન્વિક્ટસ’ લખી એ વખતે કોઈ શીર્ષક આપ્યું નહોતું. કાવ્યસંગ્રહની બીજી-ત્રીજી આવૃત્તિમાં પણ કોઈ શીર્ષક નહોતું પણ અખબારોમાં આ કવિતા તંત્રીઓએ મનફાવે એ શીર્ષક આપીને છાપ્યે રાખી હતી, જેમ કે, ‘માયસેલ્ફ’, ‘સોન્ગ ઑફ અ સ્ટ્રોંગ સૉલ’, ‘માય સૉલ’, ‘ક્લિઅર ગ્રિટ’, ‘માસ્ટર ઑફ ફેઇટ’, ‘કેપ્ટન ઑફ માય સૉલ’, ‘ડિ પ્રોફન્ડિસ’ વિ. કવિતા લખાયાના ૨૫ વર્ષ બાદ ઈ.સ. ૧૯૦૦માં આર્થર ક્વિલર-કાઉચે ‘ઓક્સફર્ડ બુક ઑફ ઇંગ્લીશ વર્સ’માં આ કવિતા સમાવી ત્યારે ‘ઇન્વિક્ટસ’ શીર્ષક આપ્યું જે આજદિનપર્યંત કવિતાની ઓળખ બની રહ્યું છે. ‘ઇન્વિક્ટસ’ લેટિન શબ્દ છે, જેનો અર્થ અપરાજેય થાય છે. અંગ્રેજી કાવ્યનું શીર્ષક પાશ્ચાત્ય ઉપખંડની આદિમ ભાષામાંથી લેવામાં આવ્યું છે એ ન્યાયે ગુજરાતી અનુવાદનું શીર્ષક ભારતીય ઉપખંડની આદિમ ભાષા સંસ્કૃતમાંથી લેવામાં આવે એ જ ઉચિત ગણાય ને?

જે કામ ગાંધીજી માટે અન ટુ ધ લાસ્ટ પુસ્તકે કર્યું હતું એ કામ મહાનાયક મન્ડેલા માટે આ કવિતાએ કર્યું હતું. રંગભેદની નીતિના પ્રખર વિરોધી વિશ્વનેતા નેલ્સન મન્ડેલાને દક્ષિણ આફ્રિકાની સરકારે ૨૭-૨૭ વર્ષ સુધી કેદ રાખ્યા. આમાં રોબન ટાપુ પરની જેલમાં એમણે ૮ ફૂટ બાય ૭ ફૂટની કોટડીમાં ૧૮ વર્ષ ગાળ્યાં. રોબન ટાપુની જેલમાં ગયા ત્યારે એક રદ્દી કાગળના ટુકડા પર લખેલી હેન્લીની આ કવિતા એમની પાસે હતી. આ કવિતાએ એમને સંજીવની પૂરી પાડી, જીવનબળ આપ્યું અને આ કવિતાના અવારનવારના વાચન વડે એમણે સાથી કેદીઓમાં પણ હિંમત અને આશા જીવંત રાખ્યાં. આ કવિતાએ એમને શીખવ્યું કે છાતી પર ધસી આવતી દીવાલોવાળી સાંકડી કાળકોટડી એમને તોડી શકવા માટે અપૂરતી છે. ગોરા વૉર્ડનના જુલમ કે કપરો કાળ ગમે એ કસોટી કેમ ન કરે, એ જાણતા હતા, કે તેઓ પોતાના આત્માના સુકાની હતા, અપરાજેય હતા. મન્ડેલાએ કહ્યું હતું કે આ કવિતાનો સધિયારો ન હોત તો તેઓ આ જેલમાંથી કદાચ જ જીવતા બહાર આવી શક્યા હોત. સરકારને મન્ડેલાને કારાવાસમાંથી મુક્ત કરવાની ફરજ પડી એ બાદ તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ પણ બન્યા. ૨૦૦૯ની સાલમાં એમના જીવન પર ફિલ્મ બની જેનું નામ પણ ‘ઇન્વિક્ટસ’ જ હતું અને મન્ડેલાની ભૂમિકા ભજવનાર મૉર્ગન ફ્રીમેન ફિલ્મમાં આ કવિતાનું પઠન કરે છે એ દૃશ્ય અમર બની ગયું છે. બર્માની ક્રાંતિકારી અને શાંતિ માટેની નોબલ પુરસ્કાર વિજેતા ઑન્ગ સેન સુ કિના કહેવા મુજબ આ કવિતા આઝાદીની લડતમાં ન માત્ર એમના પિતાનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત બની હતી પણ વિશ્વભરમાં અનેક લડાઈઓમાં અનેકાનેક લડવૈયાઓ માટે પ્રેરણાનું ભાથું બની ચૂકી છે. વિન્સ્ટન ચર્ચિલથી લઈને બરાક ઓબામા સુધીના વિશ્વનેતાઓ એમના ભાષણમાં ક્યારેક ને ક્યારેક આ કવિતા કે એની કાવ્યપંક્તિઓ ટાંકવી ચૂક્યા નથી. એ જ રીતે વિશ્વભરમાં અનેક નાટકો, પુસ્તકો અને ફિલ્મોમાં પણ આ કાવ્ય અથવા કાવ્યાંશ વપરાયા છે, વપરાતા રહેનાર છે.

આ છેડેથી પેલા છેડા સુધી વિસ્તરેલા ખાડા જેવી કાળી રાતના અંધારામાંથી બહાર આવવા બદલ નાયક દુનિયામાં જો કોઈ પણ ઈશ્વર કે દેવતાઓ હશે એમનો આભાર માને છે કે એ આવા અજેય આત્માનો માલિક છે. હેન્લીએ Pit શબ્દમાં ‘પી’ને કેપિટલ રાખ્યો છે, જે પોતે જ ખાડાની વિશાળતા શું હોઈ શકે એ સૂચવે છે. કવિને આટલું સૂચન અપૂરતું લાગે છે એટલે એ આ ખાડો એક Pole થી બીજા pole સુધી વિસ્તરેલો છે એમ કહે છે. કાવ્યાંતે પોતે પોતાના આત્માનો સુકાની છે એવી વાત આવે છે એટલે આ થાંભલો જહાજનો હોઈ શકે એમ પણ આપણે વિચારી શકીએ પણ પોલનો બીજો અર્થ ધ્રુવ પણ થાય છે. એટલે સહેજે સમજી શકાય કે આ અંધારો ખાડો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે એમ કવિ કહેવા માંગે છે. આ સંદર્ભમાં ‘પી’માટે કેપિટલ લેટર પ્રયોજવાનું અને અંધારા ખાડાની પૃથ્વી સમી વિશાળતા ચાક્ષુષ કરવાની કવિની કાર્યકુશળતા તરત ધ્યાનમાં આવે છે. ‘પોલ’ના બંને અર્થ જન્માવી શકે એવો શબ્દ આપણી ભાષામાં ન હોવાથી ‘છેડા’થી ચલાવી લેવાની ફરજ પડે છે. ‘અંધારું’ શબ્દમાં માનવને પડતી તકલીફો, દુઃખો અને નિરાશાઓ તરફ પણ ઈશારો છે. અને આ અંધારો અનંત ખાડો ‘નરક’ની અર્થચ્છાયા પણ ઉપસાવે છે. આ અંધારા ખાડામાંથી બહાર આવી શકવાની ક્ષમતા નાયકના અપરાજેય આત્મા સાથે સીધો પરિચય કરાવે છે. નાયક દેખીતી રીતે તો આ માટે કહેવાતા ઈશ્વરોનો આભાર માને છે પણ એની કહેતીમાંથી કટાક્ષ અછતો નથી રહી શકતો. દેવગણ માટે ‘જે કોઈ પણ’ અને ‘હશે’ પ્રયોજીને નાયક સાફ કરે છે કે જીવનની અસીમ અંધારી સમસ્યાઓમાંથી એ આત્મબળે જ બહાર આવવામાં સફળ થયો છે. ઈશ્વરનો ઉલ્લેખ એના સ્વીકાર કરતાં અસ્વીકાર તરફ વધુ નિર્દેશે છે. ઈશ્વરના હોવા-ન હોવાથી નાયકને કોઈ ફરક પડતો ન હોવાનો ભાવ બળવત્તર થતો અનુભવાય છે.

કવિતાના દરેક બંધ આ જ રીતે આલેખાયા છે. નકારાત્મક ભાવમાંથી સકાર ઊઠતો સંભળાય છે. આખી કવિતાનો મૂડ ઉદ્વિગ્નતાસભર છે પણ નાયકનો આશાવાદી અભિગમ બરાબર એની સમાંતરે જ જાય છે. પહેલા ચતુષ્કમાં જ ચિત્તતંત્રને ખિન્ન કરે એવા શબ્દો -રાત, ખાડો, કાળી- ઉદાસીનતાનું વાતાવરણ રચે છે અને આગળ જતાં કાતિલ, નાગચૂડ, દૈવયોગ, ગદામાર, રક્તરંજિત, ક્રોધ, આંસુ, ઓછાયો, ભય, લળુંબવું, કેર, સાંકડો, સજાઓ જેવા શબ્દો સતત વાતાવરણને ભારઝલ્લુ જ રાખે છે. તો એની હારોહાર જ અમર આશા અને અપરાજિતતાની ભાવના મૂકતા રહીને કવિ પોતાને જે કહેવું છે એ યથાર્થ ઉપસાવવામાં સફળ રહ્યા છે. બે લાગણીઓ વચ્ચેનો વિરોધાભાસ તીવ્રતમ બનાવીને કવિએ ધાર્યું નિશાન સાધ્યું છે અને એટલે જ આ કવિતા વિશ્વભરમાં અંધારામાં ગરકાવ હજારો લોકો માટે આશાનું કિરણ બનતી આવી છે.

બીજા ચતુષ્કમાં નાયક સ્વીકારે છે કે એ સંજોગોની કાતિલ નાગચૂડમાં જકડાયેલો છે અને નસીબનો ગદામાર વેઠી-વેઠીને એનું માથું લોહીલુહાણ થઈ ગયું છે, પણ જીવનમાં ગમે એવા કપરા સંજોગો કેમ ન આવ્યા હોય, એણે કદી પીછેહઠ નથી કરી, આક્રંદ નથી કર્યું કે નથી કોઈની આગળ આ મસ્તક નમાવ્યું. એનું મસ્તક ઉન્નત જ હતું અને રહ્યું છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું: ‘હું શીખ્યો છું કે હિંમત એ ભયની ગેરહાજરી નહીં, પણ એની ઉપર વિજય મેળવવામાં છે. બહાદુર માણસ એ નથી જેને ડર જ લાગતો નથી, પણ એ છે જે ડર ઉપર જીત મેળવે છે.’ નાયક કહે છે કે આ સ્થળ માત્ર ક્રોધ અને આંસુઓથી ભરેલું છે. આ સ્થળ એટલે આ દુનિયા. માત્ર ક્રોધ અને દુઃખદર્દોથી ભરેલી આ દુનિયાથી દૂર બીજું કંઈ છે જ નહીં, સિવાય કે ઓછાયાનો ભય. ભય માટેના અંગ્રેજી શબ્દ ‘હૉરર’ના ‘એચ’ ને કવિ પુનઃ કેપિટલ અક્ષરે લખે છે. અને આ ભયને સાર્વત્રિક સ્વરૂપ આપે છે. માત્ર એક અક્ષરના આલેખનમાં ફેરફાર કરીને કવિ કેવી ખૂબીથી નાયકના આ ભયને વયષ્ટિનો મિટાવીને સમષ્ટિનો બનાવે છે, એ નોંધવા જેવું છે! કવિકર્મ પરત્વેની અપાર નિષ્ઠા વિના આવું કવિકર્મ સંભવ જ નથી. કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેનો તફાવત શું હોઈ શકે એ બે જગ્યાએ કરાયેલા કેપિટલ લેટર્સના પ્રયોજનમાત્રથી સમજી શકાય છે. ભય જ્યારે સાર્વત્રિક બને છે ત્યારે ઓછાયો મૃત્યુનો જ હોઈ શકે એ વાત પણ સાફ થાય છે. મૃત્યુનો ભય સતત માથે લળુંબતો જ રહેવાનો. જીવનના વર્ષો હંમેશા સંઘર્ષના વર્ષો જ હોવાના. હેન્લીની બાબતમાં તો આ વાત સોળ આની સાચી હતી.

ક્ષયરોગના કારણે સડવા માંડેલો બીજો પગ પણ તાત્કાલિક કાપી નાંખવામાં નહીં આવે તો બચી શકવાની કોઈ આશા જ નથી એવી પ્રવર્તમાન તબીબોની ગંભીરતમ ચેતવણી વિરુદ્ધ હેન્લી પડ્યા અને અડીખમ ઊભા રહ્યા. બીજો પગ બચાવવા માટે ૧૮૭૩માં એમણે જાણીતા સર્જન જોસેફ લિસ્ટરનું શરણું લીધું. નાની-મોટી શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થયા પણ અંતે જમણો પગ બચી ગયો. ચાર-ચાર દાયકા જેટલી લાં…બી બિમારી અને હૉસ્પિટલમાં દિવસો-મહિનાઓ-વરસો કાઢવા પડવા છતાંય હેન્લીના ઊર્જા-ઉત્સાહ, યાદદાસ્તમાં ઓટ આવી નહોતી. હૉસ્પિટલનિવાસ દરમિયાન જ એમણે કવિતા કરવી શરૂ કરી અને ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષાઓ પણ શીખ્યા. હૉસ્પિટલમાં સાજા થઈ રહ્યા હતા એ દિવસોમાં આ બિમારી અને બાળપણની ગરીબી એમના માટે પ્રેરણા બની. એમણે ‘ઇન હૉસ્પિટલ’ નામે ૨૮ કવિતાઓનો કાવ્યગુચ્છ રચ્યો, જેમાં ૧૮૭૫ની સાલમાં આ રચના થઈ. ઘણીવાર કૃતિ કર્તા કરતાં મહાન સાબિત થતી હોય છે. મેરી એલિઝાબેથ ફ્રેને લોકો ‘ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ વીપ’ના કવયિત્રી તરીકે જ યાદ રાખે છે. હેન્લી પણ ખૂબ પ્રતિભાશાળી કવિ હોવા છતાં એમના નામ સાથે ‘ઇન્વિક્ટસ’ કવિતા એ રીતે જોડાઈ ગઈ છે કે એમના બાકીના તમામ સર્જન ઝાંખા પડી ગયા. સાહિત્યનું આ દુર્ભાગ્ય ગણી શકાય પણ જનમાનસને રદીયો પણ કેમ આપી શકાય? આ રચના ભલે એકતરફ એમના નામનો પર્યાય કેમ બની ન ગઈ હોય, એ સાચા અર્થમાં હેન્લીની જાનલેવા બિમારી સામેની જિંદાદિલ લડતની આત્મકથા પણ બની ગઈ છે. હેન્લીનો સાચો મિજાજ આ કવિતામાંથી વ્યક્ત થાય છે. અન્ય એક કવિતામાં એ કહે છે: ‘ઓ, એ મૃત્યુ છે જે આપણા માટે નિશ્ચિત છે, પણ એ જીવન છે જે આપણે જીવી શકીએ છીએ.’

નાયક કહે છે, જિંદગી ભલે કાળો કેર કેમ ન વરસાવે, માથે ભલે મૃત્યુ જ કેમ ન લળુંબતું રહે, જીવન મને જ્યારે પણ શોધશે, નિર્ભય જ શોધશે. આખરી બંધમાં બાઇબલના બે સંદર્ભો જોવા મળે છે. રાજા જેમ્સના બાઇબલમાં લખ્યું છે: ‘કેમકે દરવાજો સાંકડો છે અને રસ્તો સંકીર્ણ છે, જે જિંદગી તરફ દોરી જાય છે, અને બહુ ઓછા હશે જે એને શોધી શકશે.’ (મેથ્યુ ૭:૧૪) અહીં જિંદગીનો અર્થ મોક્ષ કરી શકાય. મોક્ષ તરફ લઈ જતો માર્ગ અને દ્વાર બહુ સાંકડા હોવાથી એ તમામને સુલભ નથી. એ પછી સજાઓ ભરેલા સ્ક્રોલનો ઉલ્લેખ આવે છે જે ફરીથી બાઇબલની ‘બુક ઑફ રિવિલેશન’ તરફ આપણને દોરી જાય છે. આપણે ત્યાં જેમ ચિત્રગુપ્તના ચોપડામાં આપણા સૌના કર્મોના લેખાંજોખાં નોંધાતા હોવાની માન્યતા પ્રચલિત છે એમ બાઇબલમાં સ્ક્રોલનો ઉલ્લેખ છે. નાયક કહે છે કે સ્વર્ગ કે મોક્ષ તરફ દોરી જતો દરવાજો ગમે એટલો સાંકડો કેમ ન હોય, મારા માટે એનો કોઈ અર્થ નથી અને મારી ખાતાવહીમાં ભલેને ગમે એટલી સજાઓ કેમ ન નોંધવામાં આવી હોય, મને એની લગરિકેય પરવાહ નથી, કેમકે હું જ મારા ભાગ્યનો સ્વામી છું અને હું જ મારા આત્માના જહાજનો સુકાની છું, ટંડેલ છું. અંગ્રેજીમાં જે વાત બંને પંક્તિના પ્રારંભે ‘I am’ કહીને કવિએ દોહરાવી છે અને ‘તું તારા દિલનો દીવો થા ને’ની અભિવ્યક્તિને જે રીતે ધાર કાઢી આપી છે, એ ધાર યથાવત્ રહે એ માટે અનુવાદમાં બંને પંક્તિમાં ‘હા હા’ની પુનરોક્તિ પ્રયોજાઈ છે.

મન્ડેલા કહી ગયા: ‘જેવો હું મારી મુક્તિ ભણી દોરી જતા દરવાજા તરફ બહાર આવ્યો, હું જાણી ગયો કે જો હું મારી કડવાશ અને નફરતને પાછળ નહીં છોડી દઉં, હું હંમેશા જેલમાં જ રહીશ.’ અહીં પણ કાળી રાત છે, ઊંડો અફાટ ખાડો છે, સંજોગોની ક્રૂર પકડ છે, નસીબનો માર છે, ક્રોધ અને આંસુઓ છે, મૃત્યુનો અવિરત ડર છે, મોક્ષનો માર્ગ સાંકડો છે અને ઉપરવાળો સજાઓ સંભળાવવા તૈયાર જ બેઠો છે પણ નાયક ભયભીત નથી. નાયક હાર માની લે એવો નથી. એ દુનિયાની પીડાઓ, આંસુઓ સાથે લઈને આગળ વધે એમ નથી. નાયકને જિંદગી સાથે જ સાડીબારી છે. એ સંજોગોની જેલમાં સડી રહેનાર નથી. એ પોતાની મુક્તિની વાર્તા જાતે જ લખનાર છે. બાઇબલના ઉલ્લેખ છે પણ ઈશ્વરના સર્વોપરીપણાનો સ્વીકાર ક્યાંય નથી. મોક્ષ મળે કે ન મળે, કયામતના દિવસે નસીબમાં સજાઓ કેમ ન લખાઈ હોય પણ નાયક પોતાના જહાજનું સુકાન જે કોઈ પણ હોય એ દેવગણને સોંપવાના બદલે પોતાના જ હાથમાં રાખવા માંગે છે. મણિલાલ દ્વિવેદીની અમર ઉક્તિ ‘કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ તરત યાદ આવી જાય. શેખાદમ આબુવાલાએ પણ કદાચ આવા જ આત્મવિશ્વાસ માટે લખ્યું હશે:

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.

સૂના ઘરમાં ખાલી-ખાલી – નયન દેસાઈ

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. – તમે જશો, ને ઉંબર ઉપર..

ગ્લૉબલ કવિતા : ૯૨ : ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર? – થોમસ હાર્ડી

Ah, are you digging on my grave?

“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”

“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”

“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”

“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”

“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”

“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”

– Thomas Hardy

ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર?

“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”

“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”

“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”

“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”

– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)

દુન્યવી સંબંધોની નિરર્થકતાનું કાવ્ય

પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને કોઈકે સવાલ કર્યો. સંબંધોના સમીકરણ પરના આત્મવિશ્વાસમાં રત એ ઘરે ગયો અને પેલો સવાલ રમતો મૂક્યો. મા-બાપ-પત્ની-સંતાન બધાએ સવાલનો એવો જવાબ આપ્યો કે લૂંટારાના તો પગ તળેથી ધરતી જ સરકી ગઈ. પોતે પરિવારના પાલનપોષણ માટે જે ચોરી-લૂંટ-ખૂનામરકી કરે છે એના પાપમાં પરિવાર સામેલ હશે જ એવા દૃઢ ભરોસા સાથે કુટુંબને મુખામુખ થયેલને ભોં ભારે પડી ગઈ. પરિવારના કોઈ પણ સભ્યે એના પાપમાં પોતાની ભાગીદારી હોવાની સાફ ના પરખાવી દીધી. સંબંધની કિતાબમાં અચાનક ખૂલી આવેલા સ્વાર્થના આ પાનાંએ લૂંટારાની આંખ ઊઘાડી નાખી અને વાલિયો વાલ્મિકી બન્યો ને રામાયણ રચાઈ… સંબંધોની આ રામાયણ કદાચ પરાપૂર્વથી આની આ જ છે… મહાન નવલકથાકાર અને કદાચ એટલા જ મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…

થોમસ હાર્ડી. ઇંગ્લેન્ડમાં ડોર્સેટ પરગણાના સ્ટિન્સફર્ડ ગામમાં એક સલાટને ત્યાં ૦૨-૦૬-૧૮૪૦ના રોજ જન્મ. સ્વાભાવિકપણે, કારકિર્દીની શરૂઆત સલાટકામથી જ કરી. દસ વર્ષ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું. નાની વયે સાહિત્યલેખન હાથમાં લીધું અને સફળતા મળતાં જ લગભગ ૩૧ વર્ષની કુમળી વયે આર્કિટેક્ટનું કામ ત્યાગી કલમના ખોળે માથું ટેકવ્યું. એના જમાનાના સર્વશ્રેષ્ઠ અને સર્વકાલીન ઉત્તમ અંગ્રેજી નવલકથાકાર તરીકે આજે એમની ગણના થાય છે પણ ‘ટેસ ઑફ ધ ડિ’અર્બરવિલેસ’ અને ‘જુડ ધ અબ્સ્ક્યુર (૧૮૯૫)’ નવલકથાઓ સામે એ જમાનામાં વિરોધનો મોટો જુવાળ ઊઠ્યો હતો અને હાર્ડી વધુ પડતા નિરાશાવાદી અને કામ-પીડિત હોવાની છાપ ઉપસાવાઈ હતી. આ જુવાળની એમના પર એટલી ઊંડી અસર થઈ કે જીવ્યા ત્યાં સુધી કદી બીજી નવલકથા જ ન લખી. ઓગણીસમી સદીનો નવલકથાકાર વીસમી સદીનો કવિ બની ગયો. ૧૮૭૪માં બંને પરિવારોની મરજી વિરુદ્ધ એમા સાથે લગ્ન કર્યા અને પોતે જ ડિઝાઇન કરેલા ઘર –મેક્સ ગેટ-માં રહ્યા. પાછળથી બંને અલગ રહ્યા પણ ૧૯૧૨માં એમાના અવસાન બાદ હાર્ડીના સર્જનોમાં એ સતત જીવતી રહી. ઘરમાં રહેલી પત્નીને ન ચાહી પણ કબરમાં રહેલી પત્નીને દિલ ફાડીને એમણે ચાહી. બે વર્ષ પછી પોતાનાથી ૩૮ વર્ષ નાની ફ્લૉરેન્સ સાથે એ પરણ્યા. બે વાર નોબલ પારિતોષિક માટે પણ એમનું નામાંકન થયું હતું. ૮૭ વર્ષની જૈફ વયે ૧૧-૦૧-૧૯૨૮ના રોજ પોતાના જ ઘરમાં નિધન. એમની ઇચ્છા વિરુદ્ધ એમની અસ્થિઓને વેસ્ટમિન્સ્ટર એબિમાં પોએટ’સ કૉર્નરમાં સ્થાન મળ્યું અને અંતિમ ઇચ્છાને માન આપવા માટે એમના હૃદયને પ્રથમ પત્નીની બાજુમાં દફનાવવામાં આવ્યું.

વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો ટકરાવ અને સ્ત્રીઓના સામાજિક તથા રાજકીય હક્ક એમના પ્રમુખ રસના વિષય હતા. હાર્ડી સ્થાનિક (રિજિઓનલ) નવલકથાકાર તરીકે જાણીતા છે. દક્ષિણ ઇંગ્લેન્ડના જે ભાગથી તેઓ પરિચિત હતા એ વેસેક્સના શહેરો એમની નવલકથામાં એવા વણાઈ ગયા છે કે એમની નવલકથાઓમાં એક નાયક વેસેક્સને ગણી શકાય. બીજો નાયક કમનસીબ અથવા નિર્દયી કુદરત છે. હાર્ડીએ કારકિર્દીની શરૂઆત કવિ તરીકે કરી અને અંત પણ કવિ તરીકે કર્યો. કવિતાને એ સાહિત્યનું સર્વોત્તમ સ્વરૂપ ગણતાં પણ આજીવિકા માટે એ પર્યાપ્ત ન હોવાથી નવલકથાનો કોઈ વિકલ્પ નહોતો. હાર્ડીની કવિતાઓમાં આર્કિટેક્ટ અને સલાટ –એમ બંને વ્યવસાયની ચિવટાઈ નજરે ચડે છે. એ કાવ્યસ્વરૂપના સ્વામી હતા અને પ્રયોગના પ્રેમી હતા. નવલકથાઓની જેમ એમની કવિતાઓમાં પણ કરુણરસ અને ગ્રામ્યજીવનનું પ્રાધાન્ય વર્તાય છે. ‘ધ ડાયનાસ્ટ્સ’ નામે પદ્યનાટક મહાકાવ્ય સ્વરૂપે આલેખ્યું. માનવજીવનની ઉદાસીનતા-નિરાશા પર એમની કવિતાઓ તિરસ્કારપૂર્ણ વિલાપ કરે છે. પત્નીના વિયોગમાં લખાયેલી કવિતાઓ એમની શ્રેષ્ઠ રચનાઓ ગણાય છે. એમની કાવ્યશૈલી દાયકાઓ સુધી આવનારા કવિઓ માટે અનુકરણીય બની રહી. સમય લાગ્યો પણ દુનિયાએ એમને વીસમી સદીના મહાનતમ કવિઓમાં સ્થાન આપ્યું ખરું.

૧૯૧૩માં પ્રથમવાર પ્રગટ થયેલી “ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર” કવિતા પ્રસિદ્ધ અંગ્રેજી કાવ્યપ્રકાર બેલડ –લોકગીત કે કથાકાવ્યની શૈલીમાં પણ ખૂબ જ સફાઈદાર રીતે લખાયેલ છે. અહીં છ-છ પંક્તિના છ અંતરા છે. દરેક પંક્તિમાં આઠ શબ્દાંશ (Syllables) છે પણ દરેક અંતરાની બીજી અને છઠ્ઠી પંક્તિમાં છ શબ્દાંશ છે. ગીતમાં જેમ ધ્રુવ પંક્તિ આવે એમ કવિએ અહીં પહેલી પંક્તિમાં જરા-તરા ફેરફાર કરીને કવિતાની ટૂક (રિફ્રેઇન) તરીકે દરેક અંતરાના આરંભે મિજાગરાની જેમ પ્રયોજી છે, જે મિજાગરા પર થઈને જ કવિતાનો દરવાજો ખૂલે છે. દરેક અંતરામાં અ-બ-ક-ક-ક-બ પ્રકારની અલગ-અલગ પ્રાસરચના છે, જેમાં પહેલી પંક્તિ સ્વતંત્ર છે અને છ શબ્દાંશવાળી બીજી અને છઠ્ઠી પંક્તિ વચ્ચે તથા આઠ શબ્દાંશવાળી વચ્ચેની ત્રણ પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે. બે પાત્રો વચ્ચેના સંવાદના સ્વરૂપમાં આખું ગીત છે પણ કવિએ કયું પાત્ર કોણ છે એનો ખુલાસો આપવો જરૂરી સમજ્યું નથી. ઊલટું, સંવાદ એ રીતે પ્રયોજાયા છે કે ભાવક જાતે જ સમજી શકે છે કે કોની વચ્ચે આ વાર્તાલાપ થઈ રહ્યો છે અને કયું વાક્ય કોણ બોલી રહ્યું છે. અલગ તરી આવતી પ્રાસરચના, છંદમાં કરાયેલા પ્રયોગો તથા સંવાદરીતિના કારણે ગીત બેલડ કાવ્યપ્રકારની અનુભૂતિ કરાવે છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસવ્યવસ્થા મૂળ રચનાને અનુસરે છે અને બીજી તથા છઠ્ઠી પંક્તિમાં છંદનું એક આવર્તન ઓછું કરીને તાલમેળ જાળવવાની કોશિશ કરી છે.

દુન્યવી સંબંધોની નિરર્થકતાનું આ કાવ્ય છે. આપણા પરસ્પર વ્યવહાર ઉપર જે ગીલીટ ચડાવીને ચળકાટ આપણે પેદા કર્યો છે, એ ગીલીટ ઉતરડીને સોનાના અંચળા નીચે છૂપાડાયેલા લોઢાને હાર્ડી આપણી સમક્ષ ખુલ્લું કરે છે. હળવી રમૂજ અને ભારોભાર કટાક્ષ સાથે આપણને હેન્ડશેક કરાવીને કવિ અચાનક જ હથેળીમાં અંગારો મૂકી દે છે. ને આ અંગારો ખાલી હાથ નથી દઝાડતો, આપણા રોમરોમને સળગાવી દે છે. એક તરફ એ વાત પણ સાચી છે કે आप मूआ, पीछे डूब गई दुनिया તો બીજી તરફ કોઈ અનામી કવિનો પ્રલાપ -મૂઆની સંગાથે કોઈ જાતું નથી રે…. કોઈ કોઈનું નથી રે -પણ એટલો જ સાચો છે. ચાલો ત્યારે, હાર્ડીનો હાથ ઝાલીને સાચવીને આ કવિતાની ગલીઓમાં પગ મૂકીએ…

કવિતાની શરૂઆત પ્રશ્નથી થાય છે, કે ‘ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર.’ સમજાઈ જાય છે કે બોલનાર વ્યક્તિ હવે હયાત નથી, કબરની અંદર સૂતી છે. હાર્ડીને અલૌકિકમાં અને મૃત્યુ બાદના જીવનમાં જે ઊંડો રસ હતો એ પણ અહીં નજરે ચડે છે. કબરની અંદરની વ્યક્તિ દુનિયાની નજરે ભલે મૃત્યુ પામી છે પણ કવિ એ સજીવારોપણ વડે મૃતકની સંવેદનાને હાથો બનાવીને પોતે જે કહેવું છે એ કહે છે. મૃતકને અંદેશો થાય છે કે એની કબર પર ખોદકામ કરનાર કદાચ એની પ્રિય વ્યક્તિ જ હોઈ શકે. આમ તો કબર ખોદવાની ન હોય. કબર ખોદીએ તો મૃતકને ખલેલ પહોંચે એમ મનાતું હોય છે એટલે કોઈક વ્યક્તિ કબર ખોદી રહી છે એ વાત જ વિસંગતતાની અને સંબંધમાંની વિસમતાની દ્યોતક છે, પણ મરનારની આંખ સાચે જ મીંચાઈ ગયેલી હોવાથી એ હજી જગતની વાસ્તવિકતાથી સુપેરે અવગત નથી. કબર પર ખોદકામ થતું હોવા છતાં એની આશા હજી મરી પરવારી નથી કે કોઈક નિકટનું જ હશે જે એને આ ક્રૂર કહી શકાય એવી રીતે યાદ કરે છે. એને એમ પણ લાગે છે કે ખોદનાર કદાચ કંઈક વાવી રહ્યું છે. ઓગણીસમી સદીના વિક્ટોરિઅન યુગમાં ઇંગ્લેન્ડમાં ફૂલોના બગીચાઓનું ખૂબ મહત્ત્વ ગણાતું. દરેક ફૂલને અલગ-અલગ લાગણીઓ સાથે સાંકળવામાં આવતા અને કબર ઉપર અને આસપાસમાં પણ ફૂલો ઉગાડાતા. દેખાવે પ્રફુલ્લિત હોવા છતાં ગલગોટો દુઃખના ભાવ સાથે સંકળાયેલો હતો. અફીણનો છોડ શાંતિ અને શાશ્વત નિદ્રાનું પ્રતીક હતું. કમળ શુદ્ધતાની લાગણી વ્યક્ત કરે છે. આઇવી નામની વેલ બારેમાસ લીલાંછમ સ્મરણની સૂચક છે. પ્રસ્તુત રચનામાં રુ (Rue) નામની વનસ્પતિનો નામોલ્લેખ છે. ‘રુ’ના બે અર્થ થાય છે અને બન્ને જ અર્થ કવિને અહીં અભિપ્રેત પણ જણાય છે. રુ એટલે દુઃખ અથવા દિલગીરી. મૃતકને એમ માનવાની ઇચ્છા થાય છે કે પ્રિયજન કદાચ એના મરણ પર દિલસોજી વ્યક્ત કરવા માંગે છે. જો કે બીજો અર્થ જોઈએ તો રુ એટલે તૂરાં અને ઉગ્ર વાસના પાંદડાંવાળો એક બારમાસી છોડ. સામાન્યરીતે કબર પર પ્રેમ અને સદભાવ દર્શાવતા ફૂલ ચડાવવાનો અથવા વાવવાનો રિવાજ છે. એથી ઊલટું અહીં ‘રુ’ વાવવાની વાત છે, જે મૃતક અને કહેવાતા પ્રિયજન વચ્ચેના સંબંધની કડવાશ પર પ્રકાશ નાંખે છે.

કવિતામાં હવે બીજું પાત્ર ઉમેરાય છે. મૃતકના સવાલનો જવાબ હવે કબર ખોદનાર આપે છે. અંગ્રેજી કવિતામાં પ્રિયતમ પુરુષ છે, મોટાભાગે પતિ છે એ વાત પર ત્રીજી પંક્તિમાં પ્રકાશ પડે છે, ગુજરાતી અનુવાદમાં એ પ્રકાશ છઠ્ઠી પંક્તિમાં પડે છે. ખોદનાર કહે છે, કે મૃતકના પતિ કે પ્રિયતમે તો ગઈ કાલે જ કોઈક ગર્ભશ્રીમંતની કન્યા સાથે લગ્ન કરી લીધાં છે. એનું એવું કહેવું હતું કે એ મરનાર પરત્વે સંનિષ્ઠ રહ્યો છે કે નથી રહ્યો એ વાતથી હવે મરનારને કોઈ તકલીફ થનાર નથી. પહેલા જ અંતરામાં મરનારના માથે પસ્તાળ પડે છે. ગઈકાલ સુધી જેની સાથેનો સંબંધ દુનિયામાં સૌથી ઘનિષ્ઠ હતો, એ પલક ઝપકતાંમાં જ પીઠ ફેરવી બેઠો. પેલા ‘રુ’ના છોડના બંને અર્થ ફરી ધારદાર બને છે. પ્રિયજન પોતાનું દુઃખ કે દિલસોજી વ્યક્ત કરવા માટે નહીં, પણ મરનાર માટે જ કદાચ દુઃખ ને દિલસોજી વાવી રહ્યો હોવો જોઈએ અથવા બંને વચ્ચેના સંબંધમાં હકીકતમાં જે કડવાશ અને તિરસ્કાર હતા એ કબર ખોદીને વાવી રહ્યો હોવો જોઈએ.

પણ કબર ખોદનાર પતિ કે પ્રીતમ તો નથી. તો પછી કોણ હશે? નાયિકા ફરી અનુમાન કરે છે. શું પોતાની કબર ખોદનાર એના સૌથી નજીકનાં ને સૌથી વહાલાં હતાં એવાં કોઈ સ્વજન છે? ખોદનાર ફરીથી નાયિકાનું ભ્રમનિરસન કરે છે. નકારે છે. કહે છે, નાયિકાના સ્વજન તો ઘેર બેઠાં છે, ને વિચારે છે કે હવે એની કબર પર ફૂલછોડ રોપવાથી કોઈ ફરક પડનાર નથી કેમકે ગમે એટલી કાળજી કેમ ન લો, મૃત્યુ એને પોતાની જાળમાંથી હવે આઝાદ કરનાર નથી. જે ગયું એ ગયું. હવે એની પાછળ દુબળા થવાથી શો ફાયદો? આશંકા પરાકાષ્ઠાએ પહોંચે છે. દુનિયામાં કોઈને તો પોતાના વિશે વિચારવાની નવરાશ છે એમ માનવામાંથી નાયિકા મરણ બાદ પણ પોતાને મુક્ત કરી શકતી નથી. એ પોતાના વિચારોની કબરમાં પણ કેદ છે. એને થાય છે કે કોઈ નહીં તો કદાચ એની શત્રુ જ હશે જે એની કબર પર આમ ઘોંચપરોણો કરીને પોતાની ભડાશ કાઢતી હશે. પણ ખોદનાર ફરી એકવાર એની રહીસહી આશા પર પાણી ફેરવી દે છે. કહે છે, એની શત્રુને જે ઘડીએ જાણ થઈ કે મૃત્યુનું જે દ્વાર બધા પર ધરાર બંધ થાય જ છે,એ એને નાયિકા ઓળંગી ગઈ છે એ જ ઘડીએ એણે શત્રુતા પણ કબરમાં જ દાટી દીધી. મરનાર હવે એની ઘૃણાની હકદાર નથી અને એને ક્યાં દાટવામાં આવી છે એની પણ હવે એને કોઈ તમા નથી.

કબર પર કોણ ખોદતું હશે એ બાબત હવે મૃતકની કલ્પના બહારની બાબત બની જાય છે. એ સીધું જ પૂછે છે કે તો પછી કોણ છે જે મારી કબરને ખોદી રહ્યું છે? સામેથી જવાબ મળે છે કે એ તો તમારો નાનકડો કૂતરો જ છે, જે હજી અહીંથી નજીકમાં જ રહે છે અને આશા વ્યકત કરે છે કે એની આ કબર ખોદવાની નાનકડી હલચલથી માલકિનના આરામમાં વિક્ષેપ નહીં જ પડ્યો હોય. હાર્ડી ફરીથી વિરોધાભાસના એના પ્રિય હથિયારને તીક્ષ્ણ કરે છે. કબરને ખોદવું એ જ આમ તો દુષ્કર્મની નિશાની ગણાય. માલકિન એક પછી એક પ્રશ્નો કરીને પોતાની કબર પર કોણ ખોદી રહ્યું છે એમ પૂછે છે એ વાત જ સાબિત કરે છે કે એના આરામમાં ભંગ પડ્યો છે ને એ છતાંય માલકિનના આરામમાં ખલેલ નહીં જ પડે એવા દૃઢ વિશ્વાસ સાથે કૂતરો કબર ખોદી રહ્યો છે અને પોતાની આ માન્યતા વળી માલકિન સાથે સહિયારે પણ છે. કેવો વિરોધાભાસ!

માલકિનની અમર આશા હજી જીવંત છે. આટઆટલી ખતા ખાધા પછી પણ ડૂબતો તરણું ઝાલે એમ એ હજીય એ વાતનો તંત છોડતી નથી કે આ દુનિયાને હજી એની જરૂર છે, આ દુનિયામાં હજી કોઈક એના વિશે વિચારે છે. એ આશ્ચર્યોદ્ગાર કરે છે કે આટલી સરળ વાત હજી સુધી કેમ એને સમજાઈ નહીં કે દુનિયામાં કંઈ નહીં તો એક હૃદય તો હજીય સાચું બચ્યું જ છે! કૂતરાની વફાદારીના તો દુનિયા સદીઓથી દાખલા આપતી આવી છે. એ વિમાસે છે કે કૂતરાની જાતમાં જેમ વફાદારી નિહિત છે એમ મનુષ્યજાતમાં એની બરાબરીની કહી શકાય એવી કોઈ લાગણી કેમ નથી. આમ જોવા જઈએ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે. નાયિકાને જાણ થઈ જાય છે કે આ દુનિયામાં કોઈ સંબંધ કાયમી નથી અને કોઈ જીવિતને કોઈ મૃતકની કોઈ જ સાડીબારી નથી, સિવાય કે કૂતરા જેવા વફાદાર પ્રાણી, જે મરણ પછી પણ પોતાના માલિકને ભૂલતાં નથી. પણ આ થોમસ હાર્ડી છે. એ હળવો ઘા કરવામાં માનતા જ નથી. એમની નવલકથાઓ લો કે કવિતાઓ, કુઠારાઘાત જ એમની ખરી શૈલી છે. વાચકની સંવેદના પર જનોઈવઢ ઘા કરીને એ વાચકને દુનિયાની વરવી વાસ્તવિક્તા સાથે રૂબરૂ કરાવવાની એકપણ તક ચૂકતા નથી. અહીં પણ હાર્ડીની એ જ પ્રયુક્તિ નજરે ચડે છે. દરેક અંતરા સાથે કવિતા આપણને સંબંધના રૉલરકૉસ્ટરમાં તીવ્ર ગતિથી ઊલટા-સીધા ફેરવે છે અને દરેક અંતરા સાથે એક પછી એક કરીને સંબંધના સઘળા સમીકરણ ખોટા ઠેરવે છે. કાવ્યાંતે હાર્ડી ભાવકને વધુ એક તીવ્ર વળાંક આપીને સીધો મોંભેર જ પટકે છે.

આખી જિંદગી જેને પોતાના સંતાનની જેમ ચાહ્યો હશે એ વફાદાર ગણાતો કૂતરો જવાબ આપે છે કે માલકિન, મેં તો એમ વિચારીને તમારી કબર પર ખોદકામ કર્યું કે એક હાડકું ભીતર દાટી રાખું, જેથી વિપરીત સમયમાં ભૂખ લાગી હોય અને અહીંથી પસાર થવાનું થાય તો એ હાડકું ખોદીને ખાવાના કામમાં આવી શકે. એ માફી માંગતા કહે છે કે એ સાવ ભૂલી જ ગયો હતો કે આ કબર એ એની માલકિનનું આખરી વિશ્રામસ્થળ છે. પ્રાણી જેવું પ્રાણી પણ ભૂલી ગયું છે કે એની માલકિનની કબર કઈ જગ્યાએ છે. એ તો માટીનો ટીંબો જોઈને હાડકું દાટી-સંતાડી રાખવાની લાલચે ખોદકામ કરતું હતું પણ કબરની નીચેથી એની માલકિનનો અવાજ આવ્યો અને વાત શરૂ થઈ… માલકિન અને કૂતરા વચ્ચે તો વાત શરૂ થઈ પણ દુન્યવી સગપણની સચ્ચાઈ પૂરી થઈ… હાર્ડી મૃતકની કબર પર ખોદકામ નથી કરી રહ્યા, એ તો આપણા પરસ્પરના સંબંધને ખોદીને અંદર સડી ગયેલી લાશ બહાર કાઢી આપે છે. ડેવિડ હૉલબ્રુકની ‘ફિંગર્સ ઇન ધ ડોર’ કવિતા યાદ આવ્યા વિના નહીં રહે. શંકરાચાર્ય ‘ભજગોવિન્દમ્’માં કહે છે:

यावत्पवनो निवसति देहे, तावत्पृच्छति कुशलं गेहे ।
गतवति वायौ देहापाये,भार्या बिभ्यति तस्मिन्काये ॥
(જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરાના લોકો ખબર પૂછે છે, પ્રાણ નીકળી ગયા પછી શરીરનું પતન થતાં જ તમારી પત્ની પણ તમારા શરીરથી ભય પામે છે.)

હાર્ડી મનુષ્યસંબંધની કાળી બાજુ પર પ્રકાશ નાંખે છે. હાર્ડી સગપણની વાસ્તવિકતાને રમૂજ અને કટાક્ષની પીંછીથી રંગીને રજૂ કરે છે. જો કે મરી ગયેલાઓને કદાચ હાર્ડી કહે છે એટલા ઝડપથી આપણે વિસ્મરતાં નથી એ હકીકત છે પણ આપણી એમના તરફની યાદ એ પણ કદાચ આપણા જ સ્વાર્થનો કોઈ આયામ હોવાની પૂરેપૂરી સંભાવના છે. સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ કોઈ નજીકની વ્યક્તિ કે મિત્રના દેહાવસાનની ખબર સાંભળવા મળે ત્યારે આપણી છે…ક ભીતર એક અપ્રગટ હાશકારો તો થાય જ છે, કે હાશ! આપણે નથી ગયા. મૃતકના પરિવારજનો મૃતદેહ ફરતે આક્રંદ કરે છે એમાં પણ સાચી લાગણી કેટલી એનો જવાબ પ્રામાણિકતાપૂર્વક આપવાનો થાય તો કદાચ સમસ્યા સર્જાય. સ્મશાનમાં ગંભીર મોઢે મૃતદેહને લઈ જનારા થોડી જ વારમાં પોતપોતાના ટોળાં બનાવીને શેરબજારની ચડઉતર કે રાજકારણના દાવપેચ અને આપણી આજકાલની ગપસપમાં રત થઈ જતાં હોય છે. મૃતદેહ ચિતામાં હોય એ વખતે જ સ્મશાનની કેન્ટિનમાં બેસીને ચા-નાસ્તો કરવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. ગમે એવી નજીકની વ્યક્તિ કેમ ન ગઈ હોય, ગમે એવો આકરો શોક કેમ ન અનુભવાયો હોય, માનવી પોતાના શ્વાસની ગાડીમાં બેસીને પોતીકી જિંદગીની સફર પર ઊપડી જ જતો હોય છે, મરનારને અને એની યાદોને પાછળ દફનાવી દઈને… હકીકત છે કે-

कौन रोता है किसी और की ख़ातिर ऐ दोस्त
सब को अपनी ही किसी बात पे रोना आया

મૃતકના દૃષ્ટિકોણને બાજુએ મૂકીને અલગ રીતે આ કવિતાને જોઈએ તો સાહિર લુધિયાનવીની આ વાત એકદમ સાચી લાગે. મરનાર અપેક્ષા રાખે છે કે પોતાની પાછળ જમાનો પોતાને યાદ રાખે અને વિસ્મય પણ અનુભવે છે કે આમ થયું નથી. પણ શું મૃતક નાયિકા જ્યારે જીવંત હતી ત્યારે આજે એના તરફથી મોં ફેરવી ગયેલા તમામ સગપણ યથાર્થ નિભાવ્યા હશે ખરાં? આપણે જીવતાં હોઈએ છીએ ત્યારે પણ આપણા સંબંધોમાં જીવન રેડવાની કોશિશ કરતાં નથી હોતાં. આપણાં મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… આ સંબંધો ઘડી-ઘડી આપણા હાથમાંથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી એને ખેંચી-તૂસીને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરતાં હોઈએ છીએ. જે સંબંધોમાં આપણે જીવતેજીવ જીવન રેડી શકતા નથી, એ સંબંધો પાસેથી આપણે આપણા મરણ પછી સ્મરણની અપેક્ષા શી રીતે રાખી શકીએ? હાર્ડી બંને બાજુએથી આપણાં કાન પકડે છે…

બોલે બુલબુલ – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિવસે – એમને શ્રધ્ધાંજલી સાથે આજનું આ ગીત, અને સાથેની વાતો – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી..
*******
21 જુલાઈ – ઉમાશંકર જોશીનો જન્મદિન –

રાસભાઈએ 1983માં સુગમ સંગીત શિબિર દરમિયાન એક સંગીતશ્રવણબેઠકમાં બુલબુલના અવાજનું રૅકૉર્ડિન્ગ સંભળાવેલું, એના સ્વરો ઓળખી બતાવેલા, ને એ રીતે પંખીગાન તરફ ધ્યાન દોરેલું. 2010માં, ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં, એકાએક સવારે કોફી પીતા સામેના ગુલમહોર પર બેઠેલા બુલબુલનો અવાજ સાંભળ્યો ને કવિનું ‘બોલે બુલબુલ’ ગીત રાગ ભટિયાર પર આધારિત સ્વરબદ્ધ થયું. એમના ‘પંખીહૃદય’ કાવ્યનું મારા અવાજમાં પઠન અને ‘બોલે બુલબુલ’નું ઐશ્વર્યા મજમુદારના અવાજમાં ગાન પ્રસ્તુત છે.-

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઐશ્વર્યા મજમુદાર

.

‘બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ’

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશીના સંગ્રહ ‘સમગ્ર કવિતા’માં પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ છે-
‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’
અને અંતિમ કાવ્યની અંતિમ પંક્તિ છે-
‘છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય’
‘મંગલ શબ્દ’થી ‘છેલ્લા શબ્દ’ની યાત્રાના કવિને સૂરવંદન

અમર ભટ્ટ

ગ્લૉબલ કવિતા : ૮૨ : શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ

THE WORD

Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.

You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.

You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.

You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.

For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.

– Ella Wheeler Wilcox

શબ્દ

ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.

ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.

ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.

ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.

કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.

– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી. આદિમાનવની જંગલિયતનો શિકાર શબ્દે જ કર્યો. ને એથી જ પરાપૂર્વથી કવિઓ-લેખકો શબ્દની મહત્તાના ગુણગાન કરતા આવ્યા છે. પ્રસ્તુત રચનામાં પણ શબ્દની જ વાત છે પણ અહીં કવિ સાચા શબ્દની મહત્તા કરી રહ્યાં છે.

એલા વ્હીલર વિલ્કોક્સ. અમેરિકાના વિસ્કોન્સીન ખાતે ૦૫-૧૧-૧૮૫૦ના રોજ જન્મ. ચાર ભાઈ-ભાંડુઓમાં સૌથી નાનાં. ખૂબ નાની વયે કવિતા એમને વરી અને એ ગ્રેજ્યુએટ થયાં ત્યાં સુધીમાં તો એમના રાજ્યમાં કવિ તરીકે ખ્યાતિ પણ મેળવી લીધી. ૨૨ વર્ષની ઉમરે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૩ની વયે બીજો અને ૨૬મા વર્ષે ત્રીજો. એમના ચોથા પુસ્તકને પ્રકાશકે એમ કહીને નકારી દીધું કે એમાં વધુ પડતી કામુકતા છે અને જે કારણોસર એ નકારાયું એ જ કારણોસર ૩૩ વર્ષની વયે પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ઑફ પેશન’ની સવાસોથીય વધુ વર્ષ પહેલાં ૧૮૮૩માં એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ એપ્સની ગેરહાજરીમાં માત્ર બે જ વર્ષમાં ૬૦૦૦૦ નકલો વેચાઈ ગઈ. પછીના વર્ષે તેઓ રૉબર્ટ વિલ્કોક્સ સાથે પરણ્યાં. એક પુત્ર જન્મ્યો પણ થોડા જ સમયમાં મરણ પામ્યો. પતિ-પત્નીએ એકમેકને વચન આપ્યું હતું કે જે પહેલાં મરણ પામશે એ બચી જનારનો સંપર્ક કરશે પણ મૃત પતિ તરફથી કોઈ સંદેશો ન મળતાં એલા વધુ દુઃખી થઈ ગયાં. મેક્સ હેઇન્ડલ નામના જ્યોતિષીએ એમને આ સમયે માર્ગદર્શન આપ્યું અને એલાના કહેવા મુજબ એ મૃત પતિના આત્મા સાથે સંપર્ક સ્થાપી શક્યાં હતાં. એમણે કહ્યું: ‘હું જીવંત સાક્ષી છું: મૃતકો જીવે છે: અને તેઓ આપણી મારફતે અને આપણી સાથે વાત કરે છે.’ એમણે ઘણાં કાવ્યસંગ્રહ આપ્યાં. કવિતા અને પત્રકારિત્વ ઉપરાંત વાર્તાઓ, બે આત્મકથાઓ, અને વિવેચનાત્મક લેખો પણ એમણે લખ્યા. ૩૦-૧૦-૧૯૧૯ના રોજ કનેક્ટિકટ ખાતે ૬૮ વર્ષની વયે કેન્સરની બિમારીના કારણે નિધન.

એમના સમયગાળાના કદાચ એ સૌથી લોકપ્રિય કવિ હતાં. વિવેચકો કરતાં એ લોકોના વધુ વહાલાં હતાં. એમની રચનાઓ ‘ખરાબ’ કવિતાઓના સંપાદનોમાં પણ સ્થાન પામી છે. પણ એમના માટે તો એમનું લખવાનું કારણ એ જ હતું જે કારણે એક પક્ષી ગાય છે. ગીતોમાં એમના સમયમાં બિનપરંપરાગત ગણાતી સાધારણ તિર્યક શૃંગરિકતાની છાંટના કારણે તેઓ વધુ જાણીતાં છે. પાછલી જિંદગીમાં આધ્યાત્મિકતા તરફના એમના વળાંક અને લખાણોના કારણે નૂતન વિચાર (New Thought) નામની તત્ત્વચિંતન ચળવળ પણ શરૂ થઈ હતી. એમની રચનાઓમાં જીવનવિષયક ધનમૂલકતા અને આશાનો સૂર ઊઠતાં નજરે પડે છે. ભારતીય મૂળની વિચારધારાથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતાં. ‘દયાળુ બનવાની કળા’ એ એમનો ધર્મ હતો, જેનું એમણે આજીવન રોજેરોજ પાલન કર્યું હતું. એમની કવિતાઓ તથા લખાણોમાંની ઘણી સૂક્તિઓ કહેવતકક્ષાએ પહોંચવાનું બહુમાન પામી છે: ‘હસો, અને દુનિયા તમારી સાથે હસશે; રડો, અને રડો એકલા.’ ‘નફરત બુઝાવે છે એના કરતાં પ્રેમ વધુ આગ સળગાવે છે.’ ‘જ્યારે વિરોધ કરવો જોઈએ ત્યારે મૌન રહેવાનું પાપ માણસોને કાયર બનાવે છે.’ ‘નબળી મૌલિકતા સારી નકલ કરતાં વધુ સારી છે.’

એલાની આ કવિતા ‘ધ વર્ડ’ આયમ્બિક પેન્ટામીટરમાં પાંચ ચતુષ્કમાં અ-બ-ક-બ પ્રાસવ્યવસ્થામાં લખાયેલ ગીતરચના છે, જેનો લય વાંચતી વખતે સતત મનમાં રણકતો રહે છે. સરળ શબ્દોની પસંદગી અને ચપોચપ પ્રાસની સાથોસાથ સહજ પણ ઊંડા ભાવ લઈને આવતું હોવાથી આ ગીત સીધું હૈયાને સ્પર્શી જાય છે. એકદમ સાદી ભાષામાં એલા દિલની ઊંડાઈથી લાગણીની સચ્ચાઈ પકડીને આવતા શબ્દોનું માહાત્મ્ય કરે છે. વર્ડ્સવર્થે કવિતાની આપેલી ખૂબ જાણીતી વ્યાખ્યામાં કહે છે કે કવિતા શક્તિશાળી સંવેદનાઓનો આકસ્મિક ઊભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મ લે છે. કવિતા આવા જ શબ્દોનો સમૂહ છે. શબ્દ વિચારમાંથી-ચિંતનમાંથી જન્મે છે ત્યારે એ સૂક્ષ્મ અને અશ્રાવ્ય સ્વરૂપે હોય છે, અને પછી એ જ્યારે પ્રકટ થાય છે ત્યારે સ્થૂળ અને શ્રાવ્ય બને છે. કોઈકે કહ્યું છે કે તમે તમારા શબ્દોની પસંદગીથી તમારા જીવનની રાહ બદલી શકો છો. રેવ જે માર્ટિન લખે છે કે શબ્દો એ દરવાજાઓ ખોલે છે, જે હાથ નથી ખોલી શકતા. એમના ‘ધ પાવર ઑફ વર્ડ્સ’ પુસ્તકના મુખપૃષ્ઠ પર એ લખે છે: ‘શબ્દો તો મફત છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, એની તમારે કિંમત ચૂકવવી પડે છે.’ ચાણક્યે પણ શબ્દોને સૌથી શક્તિશાળી હથિયાર લેખાવ્યા હતા. પિઅરી ડુ પ્લેસિસ નામના એક સર્જકે માત્ર એક અંગ્રેજી ‘એલ’ અક્ષર ઉમેરીને બહુ સાચી વાત કરી હતી: ‘Words create worlds.’ (શબ્દો વિશ્વો સર્જે છે.) હર્મન બાર નામના એક લેખક પણ આવી જ વાત કરે છે: ‘શબ્દો માણસોના કાબૂમાં નથી, માણસો શબ્દોના કાબૂમાં છે.’ શબ્દો વિશે સર્જકો એટલું બધું લખી ગયા છે કે બધું ભેગું કરવા બેસીએ તો દળદાર મહાગ્રંથ સર્જાય.

કવિતાના પાંચ અંતરામાં એલાની સ્થિર પણ નિર્ધારિત ગતિ નજરે ચડે છે. પહેલા અંતરામાં એ શબ્દને વ્યાખ્યાયિત કરવા કોશિશ કરે છે અને ‘જે પોષતું તે મારતું’ જેવી સિક્કાની બંને બાજુ રજૂ કરે છે. શબ્દ કિંમતી હીરો છે અથવા મૂલ્યહીન પથરો છે; ગીત છે કે અગનજ્વાળા છે કે આવતાંય વેતરે ને જતાંય વેતરે એવી બેધારી તલવાર છે. શબ્દ ખીલેલાં ગુલાબ જેવો નૈસર્ગિક પણ હોઈ શકે અને મધુર અત્તર જેવો કૃત્રિમ પણ હોઈ શકે; શબ્દ પિત્તનું ટીપુંય હોઈ શકે. એરિસ્ટોટલ, હિપોક્રેટ્સ જેવા ગ્રીક વિચારકોના સમયથી મનુષ્યના સ્વભાવને પૃથ્વી, જળ, હવા અને આગ એમ ચાર મૂળભૂત તત્ત્વોના આધારે શરીરમાંના ચાર પ્રવાહી મેલન્કોલિક (કાળી પિત્ત) (ઉદાસ પ્રકૃતિ) , ફ્લેગ્મેટિક (ગળફો) (આળસુ પ્રકૃતિ), કૉલરિક (પીળી પિત્ત) (તામસી પ્રકૃતિ) અને સૅન્ગ્વિન (લોહી) (ઉત્સાહી પ્રકૃતિ)ના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આપણે ત્યાં પણ પંચમહાભૂત – આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ-નું મહત્ત્વ છે. આ પંચમહાભૂત પરથી જ આયુર્વેદ મનુષ્યની કફ, વાયુ અને પિત્ત એમ ત્રિદોષ પ્રકૃતિનું નિદાન કરે છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે. આમ, પાશ્ચાત્ય તેમજ આપણી સંસ્કૃતિમાં પણ પિત્તને તામસી સ્વભાવ સાથે સાંકળવામાં આવ્યા છે. એ સંદર્ભે શબ્દને અત્તર અથવા પિત્તનું ટીપું કવિ કેમ કહે છે એ સમજી શકાય છે.

બીજા ચતુષ્કમાં એલા જે વાત કહેવા માંગે છે એ સીધી જ કહે છે. અહીં સીધી વાતનું મહત્ત્વ છે કેમકે જે શબ્દ સીધો દિલમાંથી આવ્યો છે એ શબ્દ જ આપણને હચમચાવી શકે છે, આપણી સંવેદનાને ઝંકૃત કરી શકે છે અને કાળાતીત થઈ શકે છે. મોટા મર્મજ્ઞની જેમ ભલે તમે ખૂબ જ કાળજીપૂર્વક શબ્દોનું ચયન કરો અને તમારી પાસે હોય એ બધી જ કળાથી એને ઓપ પણ કેમ ન આપો પણ જે શબ્દ દિલમાંથી જન્મ્યો નથી એ કદી શાશ્વતીને પામતો નથી. કુદરતી એ કુદરતી છે અને કૃત્રિમ એ કૃત્રિમ છે.

એઝરા પાઉન્ડની અમર કવિતા ‘ઇન એ સ્ટેશન ઑફ મેટ્રો’ જ્યારે એમણે લખી ત્યારે છત્રીસ પંક્તિની હતી પણ આ છત્રીસ પંક્તિઓ જે સંવેદના પેરિસના મેટ્રોસ્ટેશન પર બેઠાં-બેઠાં ટ્રેનમાંથી ઊતરતાં-ચડતાં અને પ્લેટફૉર્મ પર ચાલતાં સાવ અજાણ્યાં માણસોનાં ટોળાંને જોઈને થઈ હતી એ યથેચ્છ ઝીલી નથી શકી એમ એમને લાગ્યું એટલે થોડા સમય પછી કવિતા અઢાર પંક્તિની અને લગભગ એક વર્ષની લગાતાર તપશ્ચર્યાના અંતે માત્ર દોઢ પંક્તિ, ચૌદ શબ્દો અને સત્તર જ સિલેબલ્સમાં જ સીમિત કરી દીધી. આજે આ કવિતા માસ્ટર-પીસ ગણાય છે. કવિએ પોતાની અંદર જે લાગણી અનુભવી હતી એ જે સ્વરૂપે અનુભવી હતી એ જ સ્વરૂપે બહાર આવે એની રાહ જોવામાં એક આખું વર્ષ ગાળ્યું એટલે એમના આ શબ્દો અમરત્વ પામ્યા. વર્ડ્સવર્થની કવિતાની વ્યાખ્યા એમણે સાચા અર્થમાં આત્મસાત્ કરી હતી એમ કહી શકાય. જ્યાં સુધી દિલમાંથી શબ્દો સીધા ન આવ્યા ત્યાં સુધી એમણે કાગળ પર કાવ્યકૌશલ્યના ફળસ્વરૂપ આવતા રહેલા શબ્દોના ઘોડાપૂરને ખાળ્યે જ રાખ્યું. હજારો અઠવાડિયાઓ સુધી તમે શબ્દને ચમકાવવા માટે, ઝગારો અપાવવા માટે એના પર મચી કેમ ન રહો, એ બધું જ વ્યર્થ છે જો એ શબ્દ સમયની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને શુદ્ધ થયેલી ધાતુની ઉષ્ણ શુભ્રતા સાથે વણશોધ્યો ઊર્મિના ઊછળતા ફુવારાઓમાંથી નીકળીને કાગળ પર અવતર્યો નહીં હોય તો. તપશ્ચર્યા શબ્દોને ચમકાવવા માટે નથી કરવાની, તપશ્ચર્યા ઊર્મિઓના ફુવારાઓ બંધ ન પડી જાય એ માટે કરવાની છે. પ્રતીક્ષા કરવાની છે, શબ્દ એની મેળે કોઈપણ જાતની શોધખોળને મહોતાજ થયા વિના, કવિ કે કવિતાની અંગત જરૂરિયાતને તાબે થયા વિના સ્વયંસ્ફુરિત થાય એ માટેની.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે. ચાર્લ્સ સ્વેઇન વર્ડ્સ નામની એમની એક કવિતામાં આ જ વાત કરે છે: ‘ઓછું જ કહ્યું છે-પણ સાચું જ કહ્યું છે-કે જે શબ્દો માત્ર માથાં સુધી જ રહે છે અને દિલ સુધી પહોંચતાં નથી એ પ્રગાઢ આનંદ આપી શકતા નથી.’ સપાટી પર રમનારને કદી મોતી મળતાં નથી. એને માટે સમુદ્રના તળિયાનાં જોખમો વેઠીને ઠેઠ ગર્ભ સુધી જવું પડે છે. શબ્દ જ્યાં સુધી શ્વાસની પેઠે અનિવાર્ય બનતો નથી, કવિતા બનતી નથી. પણ,

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે,
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં?

ગુજરાતી ભાષા મરવા પડી છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ વાત સમજવી માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બની રહે છે કે કોઈપણ ભાષા એના કવિઓ થકી જ જીવતી રહે છે. મનુષ્યમાત્રને કળાની તરસ રહે જ છે. આદિમાનવો પણ ગુફામાં ચિત્રો દોર્યા વિના રહ્યા નહોતા. પાંચ-પાંચ હજાર વર્ષો જૂનાં કાવ્યોની ઉપસ્થિતિ જ એ વાતની સાબિતી છે કે સમય કે સંસ્કૃતિ કોઈપણ હોય, કવિતા વિના માનવજાતને ચાલ્યું નથી, ચાલવાનું નથી. જે માણસોને કવિતા સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી એ લોકોને પણ આપણે ફિલ્મી ગીતો ગણગણતાં જોઈએ જ છીએ. તાત્પર્ય એ જ કે જે ભાષાના કવિઓ પ્રામાણિક છે, દિમાગથી નહીં પણ દિલથી લખે છે એ ભાષાને મરણ પામવાનો કોઈ ભય હોય જ નહીં. પણ આપણે ત્યાં છેલ્લા ઘણા દાયકાઓથી આ ભય પ્રવર્તી રહ્યો છે કે ગુજરાતી ભાષા મરણશય્યા પર આવી પડી છે. એટલે હકીકતમાં તો આ ઘડી પ્રામાણિક આત્મવિશ્લેષણની ઘડી છે. અત્યારે એક આખી પેઢી છંદોલય અને કાફિયા-રદીફનો કસબ શીખી લઈને ગીત-ગઝલના કારખાનાં ચલાવવા મચી પડી છે. શબ્દોની રમતને અને હાથચાલાકીને કવિતાનો દરજ્જો મળી રહ્યો છે. માત્ર સાહિત્યિક સામયિકો જ નહીં, પાઠ્યપુસ્તક જેવા પાઠ્યપુસ્તકોમાં પણ કવિતાના નામે ગતકડાંઓ અને જોડકણાંઓ સ્થાન પામી રહ્યાં છે જેના પરિણામે આવનારી આખી પેઢીની માવજત જ ગેરવલ્લે જઈ રહી છે. સરકારને ભાષાની પડી નથી. શિક્ષણશાસ્ત્રીઓ સાચા રહ્યા નથી. સામયિકોમાં ખાલી ચણા જેવા સંપાદકો અને સાહિત્યિક સંસ્થાઓમાં વહાલાં-દવલાંઓના રાજકારણ ખેલીને કુપાત્રો મથાળે ચડી બેઠાં છે. અને એટલે જ ભાષાની દુર્ગતિ શરૂ થઈ છે..

જે શબ્દ તમારી ઠેઠ ભીતરથી તવાઈને શુદ્ધ શુભ્ર થઈને બહાર આવીને ભાવકના ભીતરને ઝંઝોડી નાંખે છે એની જ આ દુનિયા પરવાહ કરે છે અને એ જ ટકે છે એ સનાતન સત્ય આજનો સર્જક જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી ભાષાને બચાવવાના બ્યુગલો ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ જેવી શેખચલ્લી કથા બનીને જ રહી જશે…. સસ્તી પ્રસિદ્ધિથી વધીને મોટો કોઈ દુશ્મન નથી. સાચો શબ્દ સાગના લાકડાં જેવો હોય છે, એ કદી કહોવાતો નથી:

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ સાબૂત, હતું કાષ્ઠ સાગી.

મને હું શોધું છું – દલપત પઢિયાર

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

shodh
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?

ગ્લૉબલ કવિતા : ૮૦ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.
Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર વીતી રહેલી ક્ષણોને અઢેલીને તમે એનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચીને બેઠા છો… આ સમય અહીં જ થીજી જાય તો કેવું સારું એવી બૂમ હૃદયના ઊંડામાં ઊંડે ખૂણેથી ઊઠતી હોય એવે વખતે ક્ષિતિજ પર તમારા પ્રણયને અવગણીને ઝડપભેર ઢળી રહેલો સૂરજ પીગળી રહેલા આઇસક્રીમ જેવો નથી લાગતો? આઇસક્રીમ… આઇસક્રીમ કોને ન ગમે? પણ શું એ પ્રેમની જેમ ટકી શકવા સમર્થ છે ખરું? ગમે એટલું વહાલું કેમ ન હોય, વેફલકૉનમાં કે કપમાં આઇસક્રીમ લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ એ તમારા હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડે છે કેમકે એની ખરી મજા જ એને માણવામાં છે, સાચવવામાં નહીં. જિંદગીનું પણ આવું જ છે. વૉલેસ સ્ટિવન્સ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા અને ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં તો જીતી ન શકી પણ પ્રગટ જરૂર થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરી નીચલા વર્ગની છે એમ વિરોધ સાથે આશીર્વાદ આપવા આવ્યા નહીં અને વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. એલ્સી અડધા ડોલરના સિક્કા માટેની મોડેલ પણ બની હતી. વૉલેસ કરતાં ઉમરમાં એક દાયકો નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે પણ અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન એક છત નીચે અલગ-અલગ શયનકક્ષમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે થ્રી-પીસ સુટમાં સજ્જ રહેલી અંતર્મુખી સ્વભાવની માલિક સવા છ ફૂટની પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક ગણાય છે પણ મૃત્યુના એક વર્ષ પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાથી પ્રચુર જોવા મળે છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકવાની કલ્પનાની શક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની એમની અભૂતપૂર્વ પ્રતિભા એમને સમકાલીન આધુનિક કવિઓથી ઉફરા તારવી આપે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહે છે. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં એ લખાઈ છે પણ કવિએ મીટર એકધારું રાખવાના બદલે નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વાત વધુ રસિક બને છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવવાની પળોજણ કરી નથી. આ કવિતાને સેંકડો વિવેચકોએ વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા કહી છે અને એ સાથે જ સેંકડો વિવેચકોએ આને ઉત્તમોત્તમ કૃતિ કહીને માથે પણ ચડાવી છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘એલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી જે પરિભાષા આ કવિતાને પણ લાગુ પડે છે. આ પ્રકારની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી જરા ઉફરી ચાલે છે. આ કવિતાઓમાં વચ્ચે-વચ્ચેથી ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવામાં આવે છે. તિર્યકતા અને માર્મિકતા એના પ્રધાન લક્ષણ છે. આ કવિતામાં પણ ઘણી વસ્તુઓ સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારની છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. કવિતાની વ્યાખ્યા આપતા વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજાર જાતના શહેનશાહોના નામ આપણે સાંભળ્યાં હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ છે એ વાત બબ્બે વાર કરે છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપવું ઘટે.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા હતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને નિરામય સ્વાસ્થ્ય માટે બરફ ખાવાનો ઈલાજ સૂચવતા હતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબો ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ હકીકત એમણે શોધી કાઢી હતી. રોમન રાજાઓ ગુલામો પાસેથી પહાડો પરથી તાજો બરફ મંગાવી એમાં અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા હતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં જ રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવી ખાધો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો હતો. ભારતમાં મોઘલ સામ્રાજ્યમાં આઇસક્રીમના પગરણ મંડાયા. છેક ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ સામાન્ય માણસોની પહોંચ બહારની ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સહજ સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે!

કવિતા ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. બંને અંતરા પણ બે કમરાની જેમ જ અલગ પડે છે. પહેલો અંતરો આપણને રસોડામાં તો બીજો અંતરો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા જ વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધી આપે છે. કવિતા વિશે વાત કરતાં-કરતાં વૉલેસે જે અસામાન્ય શબ્દોની ભરમાર કરી છે એ પણ સાથોસાથ જોતાં જવું પડશે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) જેવા શબ્દો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ તદ્દન out of the box શબ્દ આપણને વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. જો કે વૉલેસે પોતે આ કવિતા વિશે કહ્યું હતું: ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને સામાન્ય પોશાક ધારણ કર્યો છે પણ તે છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ એટલે સમજી શકાય છે કે વૉલેસે આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજ્યાં છે. કામાતુર શબ્દ ખાદ્યપદાર્થ માટે વાપરવામાં આવ્યો છે એ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં અંગ્રેજી ભાષાના સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

આ કવિતામાં વીસમી સદીના પ્રારંભકાળના કી-વેસ્ટ તથા હવાના ટાપુઓની આબોહવા નજરે ચડે છે. વૉલેસ આ સ્થળોએ અવારનવાર રહ્યા હતા એટલે ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય અહીં આપણને સાંપડે છે. અંગ્રેજીમાં મૃતકના ઘરમાં એની લાશ પડી હોય એ સમયે થતા સામાજિક મેળાવડાને ‘વૅક’ (wake) કહે છે. એક જમાનામાં આ પ્રસંગે જાગરણ થતું હોવાથી આ નામ પડ્યું હોવાનું મનાય છે. આવા પ્રસંગોએ આઇસક્રીમ પણ ઘરોમાં બનાવાતું. કવિતાના આરંભ પરથી જ સમજી શકાય છે કે કોઈકે આ ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લીધી છે અને એ એક પછી એક હુકમ આપે છે. હાથેથી કાગળ વાળીને મોટી સિગાર બનાવવામાં જે નિષ્ણાત હશે એવા કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન સૌપ્રથમ તો કરવામાં આવે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં ઘણી સિગારની ફેક્ટરીઓ હતી એટલે નજીકની આવી ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો હુકમ થયો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે કામાતુર દહીંઓને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને જે કપડાં તેઓ સામાન્યતઃ પહેરતી હોય છે એ જ કપડાંમાં અહીં-તહીં આંટા મારવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખાસ કાળાં કપડાં પહેરવાની પ્રથા હોય છે પણ નાયક અહીં મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદા કપડાંમાં છોકરીઓનું સ્વાગત છે. છોકરડી માટે કવિએ વાપરેલ ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો અર્થ વેશ્યા પણ થાય છે. અહીં કવિ કદાચ બંને અર્થોનું સંમિશ્રણ ઝંખે છે. શોકસભામાં છોકરાઓ વ્યવસ્થિત બુકે બનાવીને ફૂલ લાવતા હોય છે પણ અહીં વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા આપવામાં આવી છે. ગયા મહિનાના અખબારનો સંદર્ભ અને ફૂલોનું અલ્પાયુ પણ આઇસક્રીમ અને એ રીતે જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. વાસ્તવ અને કલ્પના – આ બે જણ સામસામે આવી ઊભા હો ત્યારે વાસ્ત્વને કલ્પનાથી ઊંચુ સ્થાન કવિ આપી રહ્યા છે. સરળ ભાષામાં કહી શકાય કે ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો. લાગવું એ આભાસી જીવનનું પ્રતીક હોઈ શકે છે તો હોવું એ નક્કર મૃત્યુની હકીકત. કેમકે આખરે તો જે ક્ષણોમાં પીગળી જનાર છે આઇસક્રીમ યાને કે મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ એ સેક્સ, ફૂલો અને અખબારની જેમ જ એકદમ અલ્પજીવી આનંદ છે. વળી આઇસક્રીમ ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ટાઢક પણ અહીં અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ જેમ હવે ઠંડો જ હોઈ શકે, રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ જેના મૃત્યુપ્રસંગે આવ્યાં છે એ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે. આમ, બધી રીતે આઇસક્રીમ યથાર્થ લાગે છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાનું દૃશ્ય પૂરું થયા બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. આખી કવિતા વાંચી ન લો ત્યાં સુધી પહેલો અંતરો સમજી શકાય એમ જ નથી. બીજો અંતરો જ પહેલા અંતરાને ખોલવા માટેની ચાવી છે. સંભાષક હજીય હુકમ ચલાવી રહ્યો છે. એ મૃતકને ઓઢાડવા માટે કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. કબાટના ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો અહીં પહેલવહેલો અંદેશો આવે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરી આવે છે. એ ચાદર કાઢવાની છે જેના પર મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું. ભરતકામનો શોખ મરનારની વય વધુ હશે એવો ઈશારો કરે છે. આમ, મૃતકની ઉમર વિશે પણ કવિતામાં પહેલી વાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. રસોડામાં ચાલતી પવૃત્તિઓ પર પડદો પાડવા માટેની આ ચેષ્ટા હોવાનું પણ અનુભવાય છે. બની શકે કે મોઢું ઢાંકવા જતાં એના પગ ઊઘાડા રહી જાય. કવિ પગ માટે હૉર્ની વિશેષણ વાપરે છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ એ આંગળીના અગ્રભાગને ઢાંકતો શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો પદાર્થ છે. વળી આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડી માટે પણ હૉર્ની વિશેષણ પ્રયોજી શકાય છે. એ સિવાય આખી કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો બીજો અર્થ કામાતુર થાય છે એ યાદ કરવું પણ અનિવાર્ય છે. આંટણવાળા કઠણ પગ એ મૃતકની ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ છે. ચાદરમાં ઢંકાવા બાકી રહી જતા કઠણ પગ મૃતકનો રસોડાની ગતિવિધિ તરફનો ઠંડો અને મૂંગો પ્રતિભાવ સૂચવે છે. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં જીવનની અપૂર્ણતા પણ દેખાડે છે. ટૂંકમાં, અનેક રીતે અર્થઘટન કરી શકાવાની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

વૉલેસની આ Carpe Diem કવિતા પણ આજમાં જીવી લેવાની જ વાત કરે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની હોવા-ન હોવાની દ્વિધામાં અટવાયેલ શેક્સપિઅરના હેમ્લેટની પણ આ કવિતા યાદ અપાવે છે. અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટના જ ઉચ્ચારણ ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ની પણ યાદ અપાવે છે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાનાર છે એ અફર હકીકત છે. આસપાસનું જીવન તો મૃત્યુ પછી પણ અટકવાનું નથી. શા માટે મોતના શોકનો દંભ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? શા માટે પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવનનું ચિત્ર અને એકલવાયા મૃત્યુના ચિંતન તરફ આપણને લઈ જાય છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. આઇસક્રીમ જે આપણને શરૂમાં એક ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે લોભાવે છે એ આખરે ભાગ્ય આપણને અંતે ક્યાં લઈ જનાર છે એના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’

મારો અનહદ સાથે નેહ! – મકરંદ દવે

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરંદ દવે