ગ્લૉબલ કવિતા : ૯૭ : ઓચિંતી – લિઓનારા સ્પાયર

Suddenly

Suddenly flickered a flame,
Suddenly fluttered a wing:
What, can a dead bird sing?
Somebody spoke your name.

Suddenly fluttered a wing,
Sounded a voice, the same,
Somebody spoke your name:
Oh, the remembering!

Sounded a voice, the same,
Song of the heart’s green spring,
Oh, the remembering:
Which of us was to blame?

Song of the heart’s green spring,
Wings that still flutter, lame,
Which of us was to blame? —
God, the slow withering!

– Leonora Speyer

ઓચિંતી

ઓચિંતી સળગી એક ઝાળ
ઓચિંતી ફફડી એક પંખ:
શું, ગાઈ શકે એક મૃત વિહંગ?
કો’ક બોલ્યું આપનું નામ.

ઓચિંતી ફફડી એક પંખ,
અવાજ જાણે એ જ હો સાવ,
કો’ક બોલ્યું આપનું નામ:
ઓહ, યાદનો તે શો રંગ!

અવાજ જાણે એ જ હો સાવ,
ગીત – હૃદયની હરિત વસંત,
ઓહ, યાદનો તે શો રંગ!
આપણ બેઉમાં કોનો વાંક?

ગીત – હૃદયની હરિત વસંત,
પાંખ લૂલી હજી કરે ફફડાટ,
આપણ બેઉમાં કોનો વાંક?
પ્રભુ, મુરઝાવું આ મંદ!

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણ – મરણ પામેલા સંબંધની સંજીવની ?

જેમ દિવસ પછી રાતનું પડવું અને જન્મ પછી મૃત્યુનું ચક્ર ફરવું નિશ્ચિત જ છે, એમ શું પ્રેમમાં મિલન પછી જુદાઈ અફર જ હશે? મળ્યા તે મળ્યા, છૂટા પડવાનું જ નહીં એવું સદભાગ્ય કેટલા લોકોને નસીબ થતું હશે? પણ રહો… તડકો ન હોય તો છાંયડાની શી કિંમત? તરસ જ ન હોય તો જળનું શું મૂલ્ય? કદાચ અભાવ જ ભાવના ખરા દામ આંકવાની એકમાત્ર માપપટ્ટી છે. અને એટલે જ શૂન્ય જેવા કવિ ભલે એમ ગાય કે ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈના ગીત હો’ પણ વાસ્તવિક્તા તો મકરંદ દવે આલેખી ગયા એ જ રહેવાની: ‘કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજાં.’ ખીણની ઊંડાઈ પર્વતની ઊંચાઈનું ખરું માપ કાઢી આપે છે. દર્દની પરાકાષ્ઠા જ સારવારની ખરી કદરદાન હોઈ શકે. દુઃખ જ ન હોય તો સુખની ઝંખના કોણ કરે? પ્રેમમાં પણ અનુપસ્થિતિ વિના ઉપસ્થિતિનો મહિમા જ શક્ય નથી. સાથે ને સાથે રહેવાથી આદત પડી જાય છે અને આદત માણસની કિંમત અડધી કરી નાંખે છે. પ્રિયજન નજરથી દૂર હોય ત્યારે જ એની ખરી કિંમતનો અંદાજ આવે છે. એક બહુ સુંદર ગીતમાં આનંદ બક્ષી લખી ગયા: लिखनेवाले ने लिख डाले मिलन के साथ बिछौडे| અમેરિકન કવયિત્રી લિઓનારા પ્રસ્તુત ગીતમાં સ્મરણનો હાથ ઝાલીને વિરહ પછીની ક્ષણોનો તાગ મેળવવાની કેવી કોશિશ કરે છે એ જોઈએ…

લિઓનોરા સ્પાયર. લેડી સ્પાયર. જન્મનું નામ લિઓનારા વૉન સ્ટોક. ૦૭-૧૧-૧૮૭૨ના રોજ અમેરિકામાં વૉશિંગ્ટન ડીસી ખાતે જન્મ. પિતા એક ઉમરાવ હતા અને માતા લેખિકા. બ્રુસેલ્સ, પેરિસ અને લાઇપ્સિગમાં સંગીત શીખ્યાં. એવું કહેવાય છે કે એમની હડપચી વાયૉલિન પકડવા જેટલી મજબૂત થઈ ત્યારથી તેઓ વાયૉલિન વગાડતાં હતાં. માત્ર ૧૭ વર્ષની વયે બૉસ્ટન સિમ્ફની ઓર્કેસ્ટ્રામાં કૉન્સર્ટ વાયોલિનવાદક તરીકે જોડાયાં. પાછળથી ન્યૂયૉર્ક ફિલહાર્મોનિકમાં ઉમદા ‘સૉલો’ વાદક તરીકે ખ્યાતનામ થયાં. ૧૮૯૪માં લુઈ મેરિડિથ હૉલેન્ડ સાથે લગ્ન અને ૧૯૦૨માં છૂટાછેડા. એ જ વર્ષે લંડનના બેન્કર સર એડ્ગર સ્પાયર સાથે લગ્ન જે ૧૯૩૨માં એડ્ગરના અવસાન સુધી ટક્યા. પહેલા પતિથી એક અને બીજા પતિથી ત્રણ દીકરીઓની માતા બન્યાં. જર્મન-વિરોધી લોકોના હુમલાઓ બાદ ૧૯૧૫માં બંને લંડન છોડીને ન્યૂયૉર્કમાં સ્થાયી થવા જતા રહ્યા. એ પછી જ એમણે કવિતા હાથમાં લીધી. ૧૯૨૭માં અત્યંત માનભર્યા પુલિત્ઝર પારિતોષિકથી તેઓ વિભૂષિત થયાં હતાં. ૧૦-૦૨-૧૯૫૬ના રોજ ન્યૂયૉર્ક ખાતે જ ૮૩ વર્ષની પાકટ વયે નિધન.

ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં કવિતા પણ શીખવતાં. એ કહેતાં, ‘કવિતા શીખવાડી શકાતી નથી, એ ભગવાનની લીલા છે. પણ કવિતાની સાચી પ્રક્રિયા – લેખન, શબ્દોના રંગ અને સંગીત, શીખી શકાય છે, શીખવા જ જોઈએ. અન્ય કોઈપણ વાદ્યની માફક આ વાદ્ય પર પ્રભુત્વ મેળવવું અનિવાર્ય છે.’ કવિતા માટે એમણે કહ્યું હતું: ‘એ એ જ કળાની પણ અલગ અભિવ્યક્તિ છે, કદાચ વધુ પ્રચ્છન્ન.’ કવિતાની ગલીઓમાં તેઓ સંગીતના સૂરતાલ ફંફોસતાં હતાં અને કદાચ એટલે જ એમની કવિતાનો લય અન્ય કવિઓ કરતાં વધુ પ્રવાહી, વધારે મૌલિક અને વધારે બળવત્તર સાબિત થયો છે. એમની કવિતાઓ ચાતુર્ય તથા સ્ત્રીવ્યક્તિત્વની અભિવ્યક્તિના કારણે ધ્યાનાર્હ બની. એક કવિ તરીકે એમનું નામ આકાશ આંબી શક્યું નથી એ અલગ વાત છે, બાકી એમની વીસમી સદીની શરૂઆતના કવિઓ, અને ખાસ કરીને કવયિત્રીઓમાં એમના કાવ્યો એક અલગ જ આભા ઊભી કરે છે એ હકીકત છે. એમની પ્રતિભા જેટલી પોંખાવી જોઈએ એટલી પોંખાઈ નથી એ એમનું નહીં, આપણું દુર્ભાગ્ય જ ગણી શકાય.

‘ઓચિંતી’ શીર્ષક તાત્ક્ષણિકતા અને આકસ્મિકતાનો અહેસાસ કરાવે છે. કવયિત્રી ભાવકને આ તાત્ક્ષણિક્તા અને આકસ્મિકતા –બંનેથી સુપેરે અવગત કરાવવા ઇચ્છે છે એટલે ગીત માટે એમણે એકદમ ટૂંકી બહેર પસંદ કરી છે. સામાન્યરીતે અંગ્રેજીમાં પેન્ટામીટર વધુ પ્રયોજાય છે પણ કવયિત્રીએ અહીં ટ્રાઇમીટર પ્રયોજીને પંક્તિઓ એકદમ ટૂંકી કરી દઈને જે વાત ‘ઓચિંતી’ કરવી છે, એને પ્રબળ વેગ સહિત રજૂ કરી છે. વળી ગીતનો લય એટલો પ્રવાહી થયો છે કે ગીત વાંચવું સંભવ જ નથી બનતું. ઇચ્છો કે ન ઇચ્છો, ગણગણાય જ જાય એવું મજાનું આ ગીત થયું છે. ચાર-ચાર પંક્તિના ચાર અંતરામાં દરેક અંતરાની બીજી અને ચોથી પંક્તિ એના પછીના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિ સ્વરૂપે પુનરાવર્તન પામે છે. ફ્રેન્ચમાંથી ઊતરી આવેલ વિલાનેલ જેવા કાવ્યપ્રકારોમાં આવી રીતે આખીને આખી પંક્તિનું પુનરાવર્તન કરવાની પ્રયુક્તિ જોવા મળે છે. લિઓનારાનું આ ગીત આવા કોઈ સુનિશ્ચિત કાવ્યપ્રકારમાં બંધ બેસે છે કે કેમ એ સંશોધનનો વિષય છે પણ પુનરાવર્તન પામતી પંક્તિઓ કાવ્યાર્થને ગતિ આપવામાં નિર્ધાર્યા મુજબ સફળ થાય છે એ કવયિત્રીની સિદ્ધિ ગણી શકાય. પંક્તિઓની જેમ જ આખા ગીતમાં અ-બ-બ-અ / બ-અ-અ-બ મુજબ ઉલટસુલટ પ્રાસ જળવાયો છે, જ્યાં દરેક અંતરાની પહેલી અને ચોથી પંક્તિનો પ્રાસ આવનાર અંતરામાં બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ બને છે અને બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી-ચોથી પંક્તિનો પ્રાસ બની જાય છે. બે જ પ્રાસ વચ્ચેનો આ પકડદાવ પણ કવિતાની ગતિમાં ઉમેરો કરે છે અને ગેયતાને નવી જ ઊંચાઈ બક્ષે છે. મૂળ રચનામાં પહેલી બંને પંક્તિ suddenlyથી પ્રારંભાય છે અને કુલ સોળ પંક્તિઓમંથી નવની શરૂઆત ‘એસ’થી થાય છે. અનુવાદમાં એ જ પ્રકારે સોળમાંથી નવ પંક્તિમાં ‘અ’કાર સાચવવાની કોશિશ થઈ છે.

કવિતાનું શીર્ષક આપણને ‘આઉટ-ઑફ-નોવ્હેર’થી ધસમસી આવનારી કોઈક વાત માટે તૈયાર કરે છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવાનો ઉંબરો હોય છે એ વાત આ ગીતને શત પ્રતિશત લાગુ પડે છે. ભાવક તૈયાર થઈ જાય છે કે ચોક્કસ કંઈક ન ધારેલું બનનાર છે અને એ પણ કલ્પનાય ન હોય એવી ક્ષણે ક્ષણાર્ધમાં વીજળી ત્રાટકે એવી ઝડપથી. કવિતાનો ઉઠાવ પણ આ વચન નિભાવવા માટે પૂરેપૂરો કટિબદ્ધ હોય એમ કવિતા ‘ઓચિંતી’થી જ શરૂ થાય છે. કવયિત્રી કહે છે કે ઓચિંતી જ એક ઝાળ સળગી ઊઠી છે. તમે સાવ અન્યમનસ્ક કે શૂન્યમનસ્ક બેઠા હો અને તમારી ખાલીખમ નજર, જેને કશાયની કોઈ જ આશા ન હોય, એ નજર સામે જ અચાનક ‘કંઈ નહીં’માંથી ‘કંઈક’ ભડકો બનીને સળગી ઊઠે તો કેવા ચોંકી જવાય! બસ, બરાબર આ જ રીતે ઓચિંતી એક ઝાળ ભડકી ઊઠી છે. ઓચિંતી જ એક પાંખ પણ ફફડે છે. ઓચિંતી ઉપરાછાપરી બનેલી આ બે ઘટનાઓથી ભાવક તો આમેય અવાક જ થઈ ગયો હોવાનો. એટલે જે કંઈ કહેવાનું છે કે કવિએ જ કહેવાનું રહે છે. કવિતા આમ તો કારણોની મહોતાજ હોતી જ નથી પણ અહીં કવયિત્રી કારણ લઈને આવ્યાં છે, કારણ કે અહીં તો કારણ પોતે જ કવિતા છે!

ઝાળ અને પાંખના પ્રતીક આમ વચ્ચે સમાનાર્થી શું? જીવન જ ને! આગનો ભડકો અને પાંખનો ફફડાટ બંને સજીવતાના દ્યોતક છે. આગ બાળી શકે છે, તો રોશન પણ કરી શકે છે, રાંધી પણ શકે છે. પાંખ તો આમેય પોઝિટિવિટીથી ભરી પડી છે. પાંખ એટલે તો મંઝિલ તરફ લઈ જતાં ઊડતા પગ જ ને! આગ અને પાંખ બંને શક્તિ છે. અને અહીં આ બંને શક્તિ ઓચિંતી અકારણ જાગૃત થઈ છે. કોઈક પવન ફૂંકાયો લાગે છે, ને રાખ હટી લાગે છે અને આગ ભભૂકી ઊઠી છે. કો’ક સૂર્યોદય થયો લાગે છે, ને સવાર પડી લાગે છે ને પાંખ ફફડી છે. પણ, થોભો જરા! વાત આટલી સીધી પણ નથી. સીધી વાત કરી દે એ કવિતા શાની? તરત જ કવિ સવાલ પૂછે છે, શું મૃત પક્ષી ગીત ગાઈ શકે ખરું? અને આપણા મનમાં ઓચિંતો ચમકારો થાય છે કે વાત તો મરી ગયેલા પંખીની છે અને મરી ગયેલા પંખીમાં અચાનક જીવનની આગ અને સંગીતની પાંખના થયેલ સળવળાટની- પુનર્જીવનસંચારની છે… અને આ સંચાર કેમ થયો છે? કેમકે કોઈક તમારી સામે તમારા પ્રિયપાત્રનું નામ બોલ્યું છે.

અને આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે. નાયિકા એકલી છે. જીવનહીન છે. જીવતી લાશ બની ગઈ છે. કારણ કે એ જેને ચાહે છે અથવા ચાહતી હતી એ પ્રિયજન આજે એની સાથે નથી. જનારો દેહમાંથી પ્રાણ પણ લઈ ગયો છે. પણ નાયિકાની આસપાસની કોઈક વ્યક્તિ કોઈક કારણસર એ પ્રિયજનનું નામ ઉચ્ચારે છે અને એ નામોચ્ચારણ માત્રથી લાશમાં શ્વાસ ફૂંકાય છે! ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ; કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.’ લાશ અચાનક જીવી ઊઠી છે. રાખ બની ગયેલા કોલસામાંથી અચાનક આગ ભભૂકી છે. મરી ગયેલા પંખીએ અચાનક પાંખ ફફડાવી છે. એક તરફ મૃત પક્ષીનું પ્રતીક મૂકીને બીજી તરફ સ્મૃતિઓને પાંખ ફફડાવતી બતાવીને લિઓનારા વિરોધાભાસમાંથી કેવો કમાલ સર્જે છે! જે લાગણીઓને મરી પરવારેલી સ્વીકારી લેવાઈ છે, એ ‘ઓચિંતી’ જ એક નામ-સ્મરણ માત્રથી ફિનિક્સ પંખીની જેમ પોતાની જ રાખમાંથી આળસ મરડીને બેઠી થઈ જાય છે. જો કે એની હારોહાર જ ભૂતકાળને વર્તમાનમાંથી ફરી ભૂતમાં ખદેડી કાઢવાની મથામણ પણ ચાલુ છે.

લિઓનારા કાવ્યસ્વરૂપને વશવર્તીને જે પંક્તિઓનું પુનરાવર્તન કરે છે એ જ પુનરાવર્તન પામતી પંક્તિઓ કવિતાના અર્થને ઘૂંટવામાં માત્ર સહાયભૂત જ નથી થતી, ઉમદા કવિકૌશલ્યની સાહેદી પૂરતી ન હોય એમ અનિવાર્ય પણ બની રહે છે. કો’ક પ્રિયજનનું નામ બોલે છે અને ઓચિંતી જાણે કે એક પાંખ ફફડે છે. પ્રિય નામની આસપાસ રચાયેલી દુનિયા પણ અદભુત હોવાની! પ્રેમ આપણી આંખો પર अखिलम् मधुरम्ના ચશ્માં પહેરાવી દેતો હોય છે એટલે આપણે જે કંઈ જોઈએ-સાંભળીએ છીએ એ બધું જ ગમે છે. પ્રેમના મોજાં જ્યાં સુધી ઓસરતાં નથી ત્યાં સુધી કાંઠો પથરાળ છે કે નહીં એ દેખી શકવું સંભવ જ નથી. વિશ્વાસમાં ઓટ આવે નહીં ત્યાં સુધી પ્રેમની ભરતી વાસ્તવિક્તાના કાંઠાને ફીણાળા ભ્રમના છિનાળાથી ઢાંકી જ રાખે છે. સમય સહવાસના શ્વાસમાંથી વિશ્વાસને ભૂંસી નાંખતું ઇરેઝર છે. એ ધીમે ધીમે ક્રૂર હાથોથી વિશ્વાસ ભૂંસતો રહે છે. માટે જ લગ્નજીવન જેમ જૂનું થાય છે એમ વધુ પક્વ થવાના બદલે મોટાભાગે વધુ સડતું જતું જોવા મળે છે.

નાયિકાની આંખ પર પ્રેમનાં ચશ્માં હજી યથાવત્ છે. સમય એના શ્વાસમાંથી વિશ્વાસ કદાચ હજી ભૂંસી શક્યો નથી. ને એટલે જ ઓચિંતી પાંખ ફફડતાં જે અવાજ ઊઠે છે એ એને એના પ્રિયજનનો જ અવાજ હોવાની આશંકા જન્મે છે. એને લાગે છે, અરે! આ તો એનો જ અવાજ. અદ્દલ એના જેવો જ. એનો જ. કોઈ માત્ર પ્રિયજનનું નામ જ બોલ્યું છે અને યાદો પાંખ ઊઘાડીને, ઝાળ પ્રગટાવીને એના નયનરમ્ય રંગોની રજૂઆત કરે છે… લિઓનારાની કવિતાઓમાં ઊર્મિઓની ઉડાન અને ઊંડાણ બંને અદમ્યમાત્રામાં પ્રગટ થતાં જોવા મળે છે. ‘મેઝર મી, સ્કાય’ નામની કવિતામાં અંતે એ કહે છે:

આકાશ, મારું ઊંડાણ બન;
પવન, મારી પહોળાઈ અને મારી ઊંચાઈ બન;
દુનિયા, મારા હૃદયનો વિસ્તાર:
એકલતા, પાંખો મારી ઉડાન માટેની!

એના જીવનમાં જે એકલતા આવી હશે, એને ગળે પથરાની જેમ બાંધીને હતાશાના દરિયાના તળિયે ડૂબી જવાના બદલે એમણે એ એકલતાને પાંખ બનાવીને અસીમ ઉડ્ડયન કરવાનું વધુ પસંદ કર્યું હતું. ન્યૂયૉર્ક આવ્યા બાદ એમને જ્ઞાનતંતુઓની બિમારી (ન્યુરાઇટિસ) થઈ, જેનો એ સમયે કોઈ ઈલાજ નહોતો. આ બિમારીએ એમને વાયોલિન પડતું મૂકવા મજબૂર કર્યાં ત્યારે એમની મિત્ર એમી લૉવેલે એમને ઇમેજિસ્ટ પોએટ્રી તરફ આકર્ષિત કર્યાં. એ પછીથી જ લિઓનોરાએ કવિતા લખવી આદરી. પણ વીસમી સદીના પ્રારંભની કવિતા જ્યારે મહદ અંશે ઓગણીસમી સદીની બીબાંઢાળ કવિતાઓથી ગ્રસિત હતી એવા સમયે એમણે જે કવિતાઓ લખી હતી એ આજે એકવીસમી સદીમાં પણ તરોતાજા લાગે એવા આધુનિકતમ કલ્પનોથી ભરી પડી હતી. ‘ઑફ માઉન્ટેઇન્સ’ કવિતામાં જે રૂપક એમણે પ્રયોજ્યા છે એ આ વાત સિદ્ધ કરવા પૂરતા છે:

…પછી હું ઊઠી
અને મારી આંખોમાંથી ગ્રહોની ધૂળ વાળી કાઢી,
અને ચિલ્લાતી ફરી વળી એ ચિલ્લાતા કલાકમાં,
અટકી તો એક પહાડને ફૂલની જેમ ચૂંટવા માટે
જે આકાશની સામે ઊંચો વધ્યો હતો.

આમ, પોતાના જમાનાથી આગળ ચાલતી કવયિત્રી પંક્તિની પુનરોક્તિ વડે પોતાની વાતને દૃઢીભૂત કરતાં-અંડરલાઇન કરતાં કહે છે કે અવાજ તો જાણે આબેહૂબ એનો જ હતો. અને મરી ગયેલ પંખી પુનર્જીવિત થાય એ જ રીતે સૂકાઈ ગયેલ હૃદયમાં પણ જાણે કે આ અવાજના જાદુથી લીલીછમ વસંત ફરી વળી છે. અને એનું દિલ આ લીલી વસંતના ગીત ગાવા માંડ્યું છે. રવીન્દ્રનાથનું ગીતાંજલિગાન અહીં સંભળાય છે: ‘Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.’ (મને માત્ર મારી જિંદગી સરળ અને સીધી બનાવવા દે, વાંસની એ વાંસળીની જેમ, જેને તારે સંગીતથી ભરી દેવાની છે.) ઓહ, આ તે યાદનો કેવો રંગ છે, જે તારા નામ સાંભળવા માત્રથી મારા હૃદયને લીલા વાસંતી ગીતોથી છલકાવી દે છે! હવે, આમાં તો બેમાંથી કોનો વાંક કાઢવો? તું, જેણે મને પ્રેમમાં પાગલ કરી છે એનો કે હું, જે પ્રેમમાં પાગલ થઈ ગઈ છું એનો? ગુનેગાર કોણ? કૃષ્ણ કે રાધા? શ્યામ કે મીરાં? પ્રેમ તમને સહેલાઈથી સામા પાત્રનો વાંક કાઢવા દેવાની ફૅસિલિટી પણ આપતો નથી. પ્રેમ હોય ત્યાં સુધી પરસ્પર પર દોષારોપણ કરવું દોહ્યલું બની રહે છે કેમકે જીવનમાં દોષારોપણનો પ્રવેશ થતાં જ પ્રેમ પાછલા બારણે જિંદગીનું ઘર છોડીને પલાયન થવા માંડે છે.

પણ લિઓનારાનું આ ગીત પ્રેમનું મહિમાગાન નથી, સ્મરણનું મહાકાવ્ય પણ નથી. છોડી ગયેલા પ્રેમીના પ્રેમમાં એ હજીય તરબોળ છે એની ના નહીં, એના નામની હવા માત્રથી હજીય એના પોલા અને છિદ્રાળુ બની ગયેલા જીવતરમાંથી સંગીતના સૂર રેલાવા શરૂ થઈ જાય છે એનીય ના નથી પણ એનું આ ગીત એ ફરિયાદનું ગીત છે, વેદનાના આકાશને ચીરી નાંખતો આર્તસ્વર છે. ફૂલ સહજ મસૃણતાથી એ વાસ્તવિક્તાનો કાંટો સીધો આપણા હૃદયમાં ઊતારી દે છે અને આપણને ચીસ પાડવાનો અવસર પણ નથી આપતાં. એની એ પંક્તિઓ ફરી પુનરાવર્તન પામે છે પણ હવે એનો અર્થ બદલાય છે અને કાવ્યાંતે કવિતાના શીર્ષકની જેમ જ ભાવકને બિલકુલ ‘ઓચિંતી’ જ પ્રતીતિ થાય છે કે આ કવિતા કવયિત્રીએ પ્રેમ કે સ્મરણના ગુણગાન ગાવા માટે નથી લખી પણ દિલમાં જન્મેલી વેદનાને યથોચિત વાચા આપવા માટે જ ગાવી પડી છે.

હૃદય લીલી વસંતના ગીત હજીય ગાઈ રહ્યું છે. સ્મરણની એકદા મરણ પામી ચૂકેલી જે પાંખ પુનર્જીવન પામીને ફફડી ઊઠી હતી, એનો ફફડાટ હજી ચાલુ છે પણ લૂલો પડ્યો છે. ‘ઓચિંતી’ આવી ચડેલી યાદે ક્ષણાર્ધ માટે તો બધું જ લીલુંછમ કરી નાંખ્યું પણ સાથોસાથ રુઝાવા આવેલા ઘાને પણ એણે લીલો કરી દીધો છે. જે વેદના સમય સાથે ભૂલાવા ને ભૂંસાવા આવી હતી એ વેદના પણ ‘ઓચિંતી’ તાજી થઈ છે. ભૂલી જવાયેલી બધી જ તકલીફો આળસ મરડીને જાગી છે. ક્યારેક દિલમાં પડેલા પણ વિસરી જવાયેલા દર્દના ચીરા આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠ્યા છે. એક ક્ષણ માટે તો એમ જ લાગે છે કે યાદની આંધી ઘરમાં જામી ગયેલી ધૂળ સાફ કરી નાંખશે પણ બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આ આંધી ધૂળ નહીં, કદાચ આખા ઘરને જ સાફ કરી નાંખશે. ‘આપણ બેઉમાં કોનો વાંક?’ પંક્તિ બીજીવાર આપણી સામે આવે છે ત્યારે તદ્દન નવાનક્કોર અર્થના કલેવર સજીને આવે છે. અહીં પંક્તિનું પુનરાવર્તન સાચા અર્થની ખરી ધાર કાઢી આપે છે. કવયિત્રી પ્રેમીજનનો એકલાનો વાંક પણ કાઢતાં નથી. એ પોતે દોષી હોવાનો એકરાર પણ કરતાં નથી. સમય-સંજોગોનો વાંક હતો કે નહીં એ વિશે પણ એક શબ્દ ઉચ્ચારતાં નથી. એ માત્ર ઈશ્વરના નામનો નિઃસાસો મૂકતાં મંદ મંદ મુરઝાવાની હકીકત આપણી સામે ‘ઓચિંતી’ મૂકી દઈને કવિતાને ‘ઓચિંતી’ જ સમાપ્ત કરી દે છે.

સ્વાભાવિક છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે. એક સ્ત્રી જ આટલા બધા પ્રેમથી ભરીભાદરી ફરિયાદ કરી શકે. જીવનમાં વિયોગ આવી ગયો છે, કદાચ કાયમી વિયોગ આવી ગયો છે. અળગાં થઈ જવાની નિયતિને એ હદે સ્વીકારી લેવાઈ છે કે હવે તો સ્મરણ પણ બહુધા મરણ પામ્યાં છે. સંબંધ અહેસાસની સીમાની પેલી પાર જઈ પહોંચ્યો છે, કદાચ ક્ષિતિજનીય પેલી પાર; ને એટલે જ હવે જીવનમાં એવો ખાલીપો છે જેમાં એ સંબંધ કે એના અહેસાસનું ટીપુંય બચ્યું નથી. ક્યારેક જે ગહન હશે એ પ્રેમસંબંધ ગેરહાજરી સુદ્ધાં ન વર્તાય એ હદે ગેરહાજર થઈ ગયો છે. એવામાં એક નામ કાને પડે છે. સદીઓથી સ્થિર થઈ ગયેલાં પાણીમાં જાણે એક પથ્થર પડે છે અને અચાનક જ વમળો સર્જાય છે. નામની પાછળ-પાછળ યાદો દોડી આવે છે. યાદોની સાથોસાથ પસાર થયેલું આખું જીવન પુનર્જિવિત થઈ જાય છે. ભૂલી જવાયેલી સારી યાદોની સાથોસાથ છૂટાં પડતી વખતે સહન કરવા પડેલા તમામ ઘા પણ આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠે છે. કવયિત્રી સ્વીકારી લે છે કે જીવનનો છોડ સ્નેહ-સહવાસના ખાતર-પાણી વિના ધીમે ધીમે કરમાવા પડ્યો છે પણ એ બેમાંથી કોઈનો વાંક કાઢવા હજીય તૈયાર નથી. જે નામમાત્ર આજેય પોતાના આખાય અસ્તિત્વને હચમચાવી દેવા સક્ષમ છે એ વ્યક્તિનો પણ વાંક કાઢવા તૈયાર ન થાય એવું અભૂતપૂર્વ ઔદાર્ય ઈશ્વરે માત્રને માત્ર સ્ત્રીજાતિને જ સોંપ્યું છે… માટે જ કહેવાની ફરજ પડે છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે….

અન્ય એક કવિતામાં લિઓનારા આવી જ વાત આવી જ નજાકત સાથે રજૂ કરે છે, એ પણ સાથે માણવા જેવી છે:

તારા પ્યારા મૃત હૃદય પરથી હું ઊઠીશ
સાનંદ એક ડાળી બનીને,
કહીશ, ‘‘અહીં સૂએ છે એક ક્રૂર ગીત,
ક્રૂરતાપૂર્ણ શાંતિથી હવે.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠી તલવાર,
હજીય મારી સચ્ચાઈ એના પરથી ટપકી રહી છે;
અહીં સૂતું છે મેં બનાવેલું સીવેલું મ્યાન,
મારા યૌવનથી ગૂંથેલું.’’

4 replies on “ગ્લૉબલ કવિતા : ૯૭ : ઓચિંતી – લિઓનારા સ્પાયર”

  1. -પ્રેમ આપણી આંખો પર अखिलम् मधुरम्ના ચશ્માં પહેરાવી દેતો હોય છે
    -સમય સહવાસના શ્વાસમાંથી વિશ્વાસને ભૂંસી નાખતું ઇરેઝર છે!
    -જીવનનો છોડ સ્નેહ-સહવાસના ખાતર-પાણી વિના કરમાવા માંડે છે!
    આવું કેટલુંંય અને છેલ્લે…

    આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે….

    વિવેક ભાઈ,
    ખરેખર! કવિતાનો આ રીતે આસ્વાદ કરાવનારા
    ૨૧મી સદીમાં તમે એકલા જ હશો!
    કેટલાકનાંં પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાનો સમજાતાં નથી!
    તો કેટલાંક વ્યાખ્યાતાઓને કવિતા જ સમજાતી નથી!
    બન્ને સ્થિતિમાં પાઠક કવિતાથી વિમુખ જઈ રહ્યો છે!

    આપ, પાઠક અને કવિતાની વચ્ચે સેતુ સમાન છો!

    અને હાંં! એક સૂચન છે!
    નહીં, સૂચન નહીં, આગ્રહ ભરી વિનંતી છે!
    જો શક્ય હોય અને યોગ્ય લાગે તો-
    ભારતીય અને ગુજરાતી કવિતાઓની પણ
    એક લેખમાળા અલગથી શરૂ કરો!

    • આપશ્રીનો પ્રતિભાવ પ્રાણવાયુ સમાન છે… ખૂબ ખૂબ આભાર…

      ભારતીય ભાષાઓ તો અવારનવાર અહીં સમાવતો જ રહું છું… ગુજરાતી કવિતાઓ વિશે સમય મળ્યે કામ કરવાની મહેચ્છા છે…

      આભાર.

  2. હું પણ….મોડો…મોડો….પૂછી લઇશ….કે…ભાઈ….કેમછે…..
    પણ…પછી…..તમેજ….કહેતા..નહીં…કે….માણસ હોવાનો..તને વ્હેમ છે…!
    તમે..કે હું….ભલે સ્વીકારીએ ક નહીં પણ…આખરે તો….એની જ…
    આ….સગડી….માયા…ને….રહેમ છે…..
    નરેન્દ્ર સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *