Category Archives: કવિઓ

યાદ છે – અહમદ ગુલ

 

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

koi preet

કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! – કોઇ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! – કોઇ…

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! – કોઇ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! …

કોઇ પ્રીત કરી તો જાણે !

હે સર્જનહારા… – કેશવ રાઠોડ

જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી ગીતો હું નાનપણથી સાંભળતી આવી છું – એમાંનું એક આ ગીત..! જેટલીવાર સાંભળું એટલીવાર નશો કરાવે..!

સ્વર : મુકેશ
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ….

મીઠી લાગે છે મનવાને,મિલન કેરી ઘડી ઘડી..
પણ વિયોગની ક્ષણ લાગે છે,એ ક એક યુગ જેવડી,

ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઇ.. ?
મેળાપ પછી જુદાઇ….
હે સર્જનહારા…

હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાયે રૂઝાયા..
વસંત પછી આ પાનખરના કેમ વાયરા વાયા?

રીત્યું તારી હે રખવાળા અમને ના સમઝાઇ..
મેળાપ પછી જુદાઇ….

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ…

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત

.

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

હે વિહંગ .. – કૃષ્ણ દવે.

( આ કવિતા વાંચીને એવું લાગ્યું, કે જાણે મને ઘર પાછું બોલાવે છે… )

હે વિહંગ ! આમ દૂર દૂર ના ઊડી જવાય,
આ સંબંધ નીડ, ડાળ, પર્ણનો, નસેનસે, ફરી, ફરી,
નહીં, નહીં, નહીં, રચાય.
હે વિહંગ….

આવરણ અગાધ ત્યજીને થયેલ સળવળાટ
યાદ કર થયેલ પાંખમાંથી સ્હેજ ફડફડાટ,
નીડ ડાળ પર્ણ મૂળમાં થયેલ ઝણઝણાટ,
ને ઊડેલ તુંય કેવું સ્વપ્ન જેમ સડસડાટ !

હે વિહંગ, અંતરંગ એ ઉમંગ, એ પ્રસંગ
એમ કેમ વિસ્મરાય ?
હે વિહંગ….

કૂંપળોય આંખમાં ભરી ભરી ફરે ઉચાટ,
ડાળ ડાળનેય આમ જોવડાવીએ ન વાટ,
પાંખ સ્હેજ ફફડતાં જ એમ થાય થરથરાટ,
આંગણેથી જેમ કે ઊડી રહ્યું ન હો વિરાટ !

હે વિહંગ, શું ન એટલું પુછાય આભનેય –
વૃક્ષથી ઊડી શકાય ?
હે વિહંગ….

કવિ પરિચય : (‘વાંસલડી ડોટ કોમ’ માં પ્રસ્તુત મોટાભાઇ કિરિટ દવે એ આપેલ પરિચયમાંથી સાભાર)

શ્રી કૃષ્ણ દવેનો જન્મ તા. સપ્ટેંબર 4, 1963. વતન સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું ધારી ગામ. એટલે 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ એમણે ધારીમાં કર્યો. ત્યાર પછી થોડોક અભ્યાસ રાજુલા તત્વજ્યોતિ સંસ્થામાં કર્યો. જેને કારણે તેમનું સંસ્કૃત સ્તોત્રોનું ગાન પાકું થયું. શ્રી કૃષ્ણ દવેની કવિતામાં લયનું સાતત્ય આને કારણે છે. ભાવનગર જિલ્લા તાલીમ સેવા કેન્દ્રમાં સુથારી કામની તાલીમ લઇને એ ફર્નિચરના નિષ્ણાત મિસ્ત્રી બન્યા. આજે એ ડોરસ્કીનના નિષ્ણાત ડિઝાઇનર છે. વ્યવસાયે બેંકમાં સેવા આપે છે. આ સમય દરમ્યાન એમણે ફરીથી અભ્યાસ પણ ચાલુ કર્યો અને બી.એ. પાસ કર્યું.

પ્રકાશિત સાહિત્ય :

* પ્રહાર
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 1992, દ્વિતીય આવૃત્તિ 1998
* વાંસલડી ડોટ કોમ
કાવ્યસંગ્રહ, પ્રથમ આવૃત્તિ 2005
* ભોંદુભાઇ તોફાની
બાળકિશોર કાવ્યસંવ્રહ, પ્રથમ આવૃત્તિ 2005

‘શંભુપ્રસાદ જોષી’ ના શબ્દોમાં

ફૂટે કવિતા કૃષ્ણને,
જ્ય્મ ફૂલ ફૂટે ડાળને !

નથી મળતા – નાશાદ

nathi malata

જીવન મંઝિલ છે સામે કિન્તુ રસ્તાઓ નથી મળતા,
સમસ્યાઓ છે કાંઇ એવી ખુલાસાઓ નથી મળતા
ગયા મઝધારમાં ‘નાશાદ’ એવા અમને મૂકીને
હવે સંસાર-સાગરના કિનારાઓ નથી મળતા

– નાશાદ.

મુક્તકો – કૈલાસ પંડિત

કોયલોના કાન સરવા થઇ ગયા
ઊતર્યા છે ક્યાંથી ટહુકા પહાડમાં
મોરલી ગુંજી હશે વૃંદાવને
ઘૂંઘરું ખનક્યા હશે મેવાડમાં
————————————————-

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
————————————————-

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
————————————————-

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
————————————————-

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
————————————————-

એવું કાંઇ નહીં ! – ભગવતીકુમાર શર્મા

.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

( કવિ પરિચય )

જેનાં મન નવ ડગે – ગંગા સતી

.

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે

શ્રી ચેતનભાઇ ગઢવી ના કંઠે આ સુંદર ભજન સાંભળો.

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ભજન અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ભજન લેવાયું છે. )

તમે ટ્હૂક્યાં ને… – ભીખુ કપોડિયા

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ.

તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દ્ડ્યું…

મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં… ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું…