Category Archives: કવિઓ

હવે બોલવું નથી – સૈફ પાલનપૂરી

.

આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
એવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી

પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી

( કવિ પરિચય )

આકાશનું ગીત – અનિલ જોશી

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…

મને પરવડે નહીં – સ્નેહી પરમાર

paravade

આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ.

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

(કવિ પરિચય)  

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
– જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
– સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )

એક કાવ્ય – પુરુરાજ જોષી


એમણે
સર્જ્યું અસીમ આકાશ
અને ધરા પર
લહેરાવ્યાં કાંઇ છમલીલેરાં વૃક્ષો
પક્ષીઓને કહ્યું,
આવો,
કર્ણમધુર કલશોર લઇને
આવો
વૃક્ષોની ડાળે બાંધો માળા
ને
મધમીઠાં ફળ ચાખો….
વિહગો આવ્યાં
વૃક્ષો પર ખીલ્યો કલરવ
પછી –
પછી પ્રવેશ્યા તમે
હાથમાં પીંજર લઇને
તમે –
હા તમે ઉતરડી નાખ્યું
પંખીની પાંખો પરથી
એનું નીલાકાશ
પૂરી દીઘું એને
સાંકડા પીંજરમાં
અને હજી તો
કરો કામના સૂણવા
મઘુરા કલરવની ?!

થોડોએક તડકો – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(તા. 31 ઓગષ્ટ, 1947)

તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

bhomiya

.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

Continue reading →