Category Archives: ટહુકો

શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં

પ્રખર સંગીતકાર અને સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજકનું અવસાન 3 ડિસેમ્બર 2020ના રોજ થયું.એમની શ્રધાંજલિ રૂપે અમે એમના સ્વરાંકનો અહીં પ્રસ્તુત કરીએ છીએ.માધ્વી મહેતાના આ સ્વરાંકનો અમને આપવા બાદલ આભારી છીએ.

ભોજક એટલે જૈન સંગીતકાર. ગુજરાતમાં ભોજક, નાયક, વ્યાસ અને મીન ચાર જાતિના લોકો નાટ્ય અને સંગીત ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા હોય છે. ગજાનનકાકાએ કહ્યું હતું કે, સંગીત આપણા પરિવારમાંથી જવું જોઈએ. તમારી પેઢીમાં સંગીતના કલાકારો એટલા છે જેટલા નાન્હાલાલના પરિવારમાં કવિઓ પણ નહિ હોય.
-જયદેવ ભોજક, સંગીતકાર

સંગીત સાથે સંકળાયેલ પરિવાર
ત્રીજી પેઢી | દલસુખભોજક
ચોથીપેઢી | નારણદાસ,કુષ્ણલાલ, વાસુદેવ, ગજાનન ભોજક.
પાંચમીપેઢી | જયદેવ,લાભશંકર, નામદેવ, જગદેવ, ડો.પ્રભાતદેવ અને રમાદેવી ભોજક.
છઠ્ઠીપેઢી | ગિરીરાજ,હેમેન્દ્ર, દેવરાજ, હંસરાજ, હેમંત, મેહુલ, ગોપી, પ્રતિમા, ભાવના
સાતમીપેઢી |બ્રીન્દા, હાર્મની,ખુશબુ, આશિષ, પરમ, મથુર, મીરા, યશ

શહેરનો ભોજક પરિવાર અને સંગીત એકબીજાનું પર્યાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતમાં નામાંકિત, તેમજ સુગમ સંગીત ક્ષેત્રે પ્રખ્યાત પરિવારના ગળથૂંથીમાં સંગીત વણાયેલું છે. આજે તેમની સાતમી પેઢી સંગીતના વારસાને તેમજ પરિવારની પ્રથા સાચવવામાં સફળ નીવડી છે. ભોજક પરિવાર અને રાજ ઘરાનના સંગીત સાથે અનેરો નાતો છે. મૂળ ભાવનગરનું પરિવાર. જેમની ત્રીજી પેઢીમાં થયેલ દલસુખ ભોજક અને તેમના ચાર પુત્રો ભાવનગર રાજ પરિવારના ગાયકો હતા. સંગીતનું તેમનામાં પ્રચૂર જ્ઞાન. ત્યાર બાદ વાસુદેવ ભોજકના મોટાપુત્ર જયદેવ ભોજકે વડોદરામાં આકાશવાણી કેન્દ્રમાં મ્યૂઝિક ડાયરેક્ટરની નોકરી મેળવીને વડોદરામાં સ્થાયી થયા હતાં. પણ, મોટા પુત્રની જવાબદારી તેમણે નિભાવીને અને બાકીના તમામ ભાઈ-બહેનોને સંગીત શીખવાડ્યું. પૂર્વજો જ્યાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર હતા, ત્યાં જયદેવભાઈએ સુગમ સંગીતમાં રસ દાખવીને તમામને શીખવાડ્યું. મહારાજા સ્વ.રણજીતસિંહ મહારાજ, પ્રજ્ઞા છાયા, કૃષ્ણકુમાર ગોસ્વામી, રાજેન્દ્ર શાહ, ભાવના નાયક, માયા વ્યાસ, આસિત દેસાઈ, વ્રજલતા વહુજી, અંજલી મેઢ, લતા પ્રભુણે જેવા અનેક કલાકારો તેમની પાસેથી તાલીમ લીધી હતી.

પ્રખર સંગીતકાર અને મ્હારા સૌ પ્રથમ સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજક ને આ સાથે હું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમનો દેહ વિલય ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ થયો. એમની પાસે સંગીત શિખવું એ મ્હારું અહોભાગ્ય હતું. અને એ યાદો તાજી કરતી હતી ત્યારે AIR ઉપર ગાયેલાં એમના compositions ના ઘણાં જૂનાં recordings હાથ મા આવ્યાં. આ ઓરિજિનલ recordings લગભગ ચાળીસ થી પણ વધારે વર્ષ જૂનાં છે અને બે ત્રણ વાર ટ્રાન્સફર થવા થી ઓરિજિનલ સ્પીડ માં થોડો ફેરફાર થઇ ગયો છે પણ પૂજ્ય જયદેવભાઇ ને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીતો જે એમના compositions છે એ અહીં રજુ કર્યાં છે. છેલ્લા બે tracks “બંસીવાલા આજો મોરા દેસ” અને “વાટ જુવે છે મીરા રાંકડી” એ વધારે recent રેકોર્ડિંગ્સ સ્ટુડિયો માં કરેલા છે. હું નવ વર્ષ ની હતી ત્યારથી મ્હારાંમાં સંગીત ના સંસ્કાર નું સિંચન કરવા બદલ હું પૂજ્ય જયદેવભાઇ ની આજીવન ઋણી રહીશ. હરિ ૐ .
— માધ્વી મેહતા

શ્ર્રી જયદેવભાઇ ભોજક વિષે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

શ્ર્રી જયદેવભાઇ ભોજકના અવાજમાં 40 જૂનું રેકોર્ડિંગ માધ્વીબેન એ મોકલ્યું છે.સાંભળો (ઓડિયો જૂનો છે એટલે ગુણવત્તા એટલી સારી નથી)

.

.

1.સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા
2.શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”
3.તમારી યાદની -અમૃતલાલ દવે
4.બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ
5.વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ
6.મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
7.અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા

શબ્દ રચના : સુરેશા મજમુંદા
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

મલય તણાં એ મસ્ત પવન થી છૂટી કેશ કમાન
સજાવે વેણી સુંદર શ્યામ

પલાશ નાં રાતા રંગો પર
પાથરી વસ્ત્ર ધરી અંગો પર
વસન્ત કેરાં અનંગ રંગે
અંકાયા બે નામ

મલમલ સરખા લઈ મોગરા
ગુલાબ નાં ગુંજે છે ભમરા
મનગમતી વેણી લઈ હાથે
ગૂંથે છે ઘનશ્યામ

પ્રિયમુખ જોઈ જ્યાં મલક્યા
રાધા કેશ કરે થી સરક્યા
હસતા કે રાધા હાર્યા છો
હૃદય જીત્યા છો શ્યામ
– સુરેશા મજમુંદા

બબાલ – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ – ધ્રુવ ભટ્ટ

સ્વર – સોહની ભટ્ટ
સ્વરાંકન – પારૂલ મનીષ
સંગીત – સૂર ભટ્ટ

ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ
કવિઓ તો અઘરું ને ઝાઝું બોલે છે ચાલ સહેલું ને થોડું કંઈ માણીએ

ટિટોડી કકળીને કહેતી પણ હોય કે આ આખું તળાવ મારું આણું
એમાં જો કલકલિયો ઊંધો પછડાય અને સોંસરવું પાડી દે કાણું
કાળોકોશી તો એને શીખવવા બેસે કે ચાલો કલકલિયાને મારીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ.

બગલાનું કહેવું કે આખાં તળાવ કોઈ આણામાં માગે એ કેવું ?
ચકલી કે’ અમને તો આટલુંક આપેલું ધૂળ મહીં નાહ્યાની જેવું
પોપટ કાં પારેવાં બોલતાં રહે કે આવા ઝગડાઓ ઘરમાં ના ઘાલીએ
ચાલ પંખીની ભાષા કંઈ જાણીએ

-ધ્રુવ ભટ્ટ

થોડો બાવળને આવ્યો કંટાળો – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
– કૃષ્ણ દવે

કરુણામયી માત – વિહાર મજમુદાર

શબ્દરચના, સ્વરાંકન – વિહાર મજમુદાર

.

કરુણામયી માત ભવાની મહાદેવી
કરુણામયી માત ભવાની…..

તું જ તેજ, તું જ પ્રભા, તું જ જ્ઞાન, તું પ્રકાશ
તું જ દયા, તું જ કૃપા, તવ દર્શન સર્વ આશ
પરમેશ્વરી માત ભવાની મહાદેવી….કરુણામયી..

પુષ્પ તણી છાબ ભરી હૃદયે શુભ ભાવ ભરૂં
તવ ચરણે નમન કરી શ્રદ્ધાનો દીપ ધરૂં
વરદાયીની માત ભવાની મહાદેવી…કરુણામયી…

રમ્ય ગગન, રમ્ય ધરા, રમ્ય પર્વ, રમ્ય રાત
દિવ્ય તેજ પૂંજ થકી પ્રગટ્યાં જગદંબા માત
સર્વેશ્વરી માત ભવાની મહાદેવી…..કરુણામયી…
-વિહાર મજમુદાર

દીવો રે પ્રગટાવો નાથ -રવીન્દ્ર ઠાકોર

સૌને દિવાળીની શુભેચ્છાઓ
આ દિવાળીના પર્વે ચાલો દીવો પ્રગટાવીએ અને આ સુંદર પ્રાર્થના સાંભળીએ.

સ્વર અને સંગીત:સચિન લીમયે
સ્વરકાર : ભાઈલાલ શાહ

.

દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો !

ઘોર રે અંધારું ભર્યું ઘટ ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક તો પગલીનો પંથ કોઈ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !

સૂનું સૂનું કોડિયું ને સૂની આજ એની વાટ,
પ્રગટાવો જ્યોતિ એની સુની આજ મારી વાટ !
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
-રવીન્દ્ર ઠાકોર

એક ટીપું આંસુનું – જયશ્રી મર્ચન્ટ

આંખથી અનાયાસે
ખરી પડેલાં આંસુને
ચાંચમાં ઝીલવા,
કોઈક ચાતક
ક્યાંક તો વાટ જોતું હશે,
બસ, એ એક ભ્રમમાં
હું તો વરસાવતી રહી,
આંસુનો વરસાદ સતત…

પણ ત્યારે ચાતક ક્યાંય ન હતું
હવે ચાતક
મારા આંગણામાંના
ઝાડની ડાળ પર બેઠું છે
પણ, મારી આંખે
નથી તો શ્રાવણ
કે નથી ભાદરવો
છે કેવળ સૂનકાર…
-જયશ્રી મર્ચન્ટ

જીવન જ્યારે સુકાય ત્યારે – રવિન્દ્રનાથ ટાગોર

7મૅ એટલે કવિવર ટાગોરનો જન્મદિવસ.એમનાં ગીતોના સમગેય અનુવાદોના ગાનનો કાર્યક્રમ વિશ્વકોશમાં 7 ઑગસ્ટ 2019 (ટાગોર નિર્વાણદિન)ને દિવસે યોજાયેલો. ટાગોરપ્રેમી શૈલેશ પારેખનો વિચાર એવો હતો કે શબ્દોમાં ગુજરાતી અનુવાદ હોય અને સ્વરાન્કન ટાગોરનાં – મૂળ બંગાળી પ્રમાણે.

આજે એવો એક સમગેય અનુવાદ સાંભળો.

ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જૅલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલાન થયું. તે જ દિવસે અંગ્રેજ વડાપ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જયારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘Gandhi the years that changed the world 1914-1948’ માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘….on the afternoon of the 26th, the poet ‘bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji…. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. …To celebrate, Tagore sang a verse from his Nobel Prize-winning poem, Gitanjali. Kasturba then offered her husband some orange juice,…’
મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે:
‘કવિએ “જીવન જખન શુકાયે જાયે” ગાયું.સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા.’
તાળાબંધી દરમિયાન મેં માત્ર હાર્મોનિયમ ને મંજીરાંને સહારે ગાયેલી આ રચના સાથે આ કવિઓના કવિ ટાગોરને વંદન.
-અમર ભટ્ટ

કવિ: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ:ગાન:અમર ભટ્ટ

.

જીવન જ્યારે સુકાય ત્યારે
કરૂણાધારે આવો
સકળ માધુરી છુપાય ત્યારે
ગીતસુધારસે આવો

કર્મ પ્રબળ આકારે જ્યારે
ગાજે,ઘેરે ચારે કોરથી ત્યારે
હૃદયપ્રાંગણે હે જીવનનાથ!
શાંત ચરણે આવો

દીન બની મન મારું જ્યારે
ખૂણે પડ્યું રહે થાકીને ત્યારે
દ્વાર ખોલી હે ઉદાર નાથ!
વાજન્તા ગાજન્તા આવો

વાસના ધૂળ ઊડાડી જ્યારે
અંધ કરે આ અબોધને ત્યારે
હે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો!

હરિને ન નિરખ્યા જરી – નાન્હાલાલ કવિ

સ્વર:ફાલ્ગુની શેઠ

.

મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી
એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી

શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં
નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં

પ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં
નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા

નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે

જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા

પણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની
જીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની

સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ’ વદી

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે
એવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે

નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા
નેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા

આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી
એક મટકું તો માંડો રે હૃદયભરી નીરખો હરિ
-નાન્હાલાલ કવિ

આભાર માવજીભાઈ.કોમ