Category Archives: ટહુકો

પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? 🙂

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત – ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

.

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ – સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

.

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા

પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!

આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય – હંસા દવે

.

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…

(Picture : GangesIndia.com)

* * * * * * *

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

ગુજરાતના વ્હાલા અને વિખ્યાત સ્વરકાર એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને થોડા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ – અમર ભટ્ટ અને એમની દીકરીઓના શબ્દોમાં….

‘ગુજરાતના proud possession…. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય’  – સ્વરકાર અમર ભટ્ટ

ગુજરાતના proud possession એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે થોડીક વાત કરતાં અત્યંત આનંદ થાય છે. હું ખૂબ નાનો હતો ત્યારથી પુરૂષોત્તમભાઇને સાંભળતો આવ્યો છું ને માણતો આવ્યો છું. ઘણીવાર એવો વિચાર આવે છે કે એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના અવાજની, એમની રજઆતની અને એમના સંગીતની તાજગી છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ even fresh લાગે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. હું ઘણીવાર કહેતો હોઉં છે કે પુરૂષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. મને એમની સાથે રહેવાનું ને એમની પાસે શીખવાનું મળ્યું તે મારા જીવનનો એક અગત્યનો વળાંક છે તેમ હું માનું છે. જેટલી ગઝલો સ્વરબધ્ધ કરી છે તે બધી જ પુરૂષોત્તમભાઇનાં માર્ગદર્શન પછી અને એમની અસર નીચે સ્વરબધ્ધ થઇ છે તે વાતનો નિખાલસ સ્વીકાર કરું છું.

.

એમના કાર્યક્રમો, બેઠકો એ બધું જ આજે આંખ સમક્ષ પસાર થઇ જાય છે. એ મહેફિલો સવાર સુધી ચાલતી એમ થાય છે કે આ મહેફિલ પૂરી જ ન થાય. મારો એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં પુરૂષોત્તમભાઇને દિવસમાં એકવાર યાદ ન કર્યા હોય. એક શિક્ષક તરીકે પુરૂષોત્તમભાઇ ખૂબ વિશાળ હ્રદયનાં છે અને પોતાની પાસે રહેલું બધું જ આપણને આપવા તત્પર છે. આવા નિખાલસ, વિશાળ હ્રદયનાં ગુરુ મેં જોયા નથી. ઘણીવાર સપનામાં મને એમના કાર્યક્રમો આવે છે. Mozartની biographyમાં સંગીત-music ની સરસ વ્યાખ્યા છે.

‘It is the space between the notes that makes music’.

આ વાત પુરૂષોત્તમભાઇનાં સંગીતમાં દેખાય છે. કવિવર ટાગોરની કવિતામાં એક ભાવકનો પ્રશ્નો છે તે મારાં પણ પ્રશ્નો પુરૂષોત્તમભાઇ માટે છે :-

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક થઇને સાંભળી રહું છું તમને, એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યોય જડતો નથી. કાંઇ કહેવા માંગું છું પણ શબ્દો અટકી જાય એ. હાર માનતા મારો પ્રાણ રડે છે. મારી ચોરેતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

.

મારો પુરૂષોત્તમભાઇ સાથે ઘનિષ્ઠ પરિચય થયો તેના કારણમાં આપણા ખબ સુંદર સ્વરકાર દક્ષેશ ધ્રુ છે અને એટલે હું દક્ષેશભાઇનો પણ ખૂબ આભારી છું કે મને પુરૂષોત્તમભાઇનો પરિચય કરાવ્યો.

આવા સંપૂર્ણ કલાકાર ગુજરાત પાસે છે એ ગુજરાતનું સદનસીબ છે. ગુજરાત બહારના કલાકારોને હું જ્યારે પુરૂષોત્તમભાઇને અનોખો આદર અને અનેરું સન્માન આપતા જોઉં છું ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે અને એક જુદું જ રોમહર્ષણ થાય છે જે હું શબ્દોમાં વર્ષવી શકતો નથી. પુરૂષોત્તમભાઇ વિશે આ થોડીક વાત કરવાની તક આપવા બદલ આપનો આભાર માનું છું.

– અમર ભટ્ટ

——————————–

(‘થેંક યૂ પપ્પા’ માં પ્રકાશિત)
‘પપ્પા એટલે હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ – વિરાજ અને બીજલ ઉપાધ્યાય

અમે પુરુષોત્તમ ઉપાધ્યાયની દીકરીઓ છીએ. હું બીજલ, ઘરમાં સૌથી નાની અને વિરાજ મારાથી મોટી બહેન. હું નાની છું છતાં લગ્નની બાબતમાં પહેલ મેં કરી! પછી વિરાજ મારા રસ્તે ચાલી. અમને ઉછેર્યા ચેલણા ઉપાધ્યાયે અને છાવર્યા પુરુષોત્તમ ઉપાધ્યાયે. ગયા ભવની અમારી સાધના એવી છલોછલ હશે કે આ ભવે અમને પુરુષોત્તમ જેવા પિતા અને ચેલણા જેવી મમ્મી મળી.

.

પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સૂરીલો માહોલ..! પપ્પા આઠ વર્ષના હતા ત્યારથી મુંબઇમાં છે. કલાકાર તરીકેનો એમનો સંઘર્ષ અમારી આંખો સામેથી પસાર થયો છે. એ દિવસોના પપ્પા અને અત્યારના પપ્પામાં દુનિયાદારીની દ્રષ્ટિએ ઘણો ફેર છે. પણ, અમારા માટે તેઓ ક્યારેક નથી બદલાયા.

એમની કારકિર્દીનો સૂરજ ઊગવાને સંઘર્ષ કરતો હતો ત્યારથી લઇને આજ સુધી એમણે અમને કે મમ્મીને અછતના અંધકારમાં જીવતાં નથી શિખવાડ્યું. જીવન સાથે સમાધાન કરે પણ માંડવાલ કરે, એ પપ્પા ન હોય!

.

દુનિયાની નિષ્ફળતાને ભૂલીને તેઓ જ્યારે અમને ઉછેરતા ત્યારે અમે પણ અંદરથી મક્કમ બની જતાં! પપ્પા એટલે જુસ્સાનો પર્યાય. (અને હા, ક્યારેક ક્યારેક ગુસ્સાનો પણ!)

ગુસ્સાની વાત નીકળી છે ત્યારે યાદ આવે છે બીજલનો જન્મદિવસ… એ દિવસે પપ્પા બીજલ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં પણ, પછી ગુસ્સો ઓસર્યા એટલે પોતે જ રડવા બેસી ગયા… ત્યારે ખબર પડે કે રડવા માટે જ ગુસ્સો કર્યો હશે..!

જો કે ગુસ્સે થવાની પરંપરા હવે વિરાજે સંભાળી છે, પપ્પાને ખખડાવવાની બાબતે વિરાજ ખાસ્સી ઉદાર છે. એમને કોઇ વાતે રોકવા, ટોકવા, વધુ બોલતા અટકાવવા – આ બધા પ્રશ્નો વિરાજ ઉકેલી શકે. જો કે આ પ્રકારના કાર્યક્રમમાં મમ્મીનો ફાળો પણ હૂંફાળો..! છતાં પણ, આ બધાની વચ્ચે પપ્પા એટલે સંગીત… મહેફિલ… વહાલ અને ખુલ્લેખુલ્લું ખડખડાટ હાસ્ય…!

ગુજરાતી સંગીત સાંભળનારો દરેક શ્રોતા જાણે છે કે પપ્પા એટલે સુગમ સંગીત… સંગીતના સંસ્કારો અમારી ઉપર થોપવામાં નથી આવ્યા, અમે કેળવ્યા છે. આત્મસાત કર્યા છે. ઘણા એવા કલાકારોને અમે જોયા છે કે એમનાં દીકરા-દીકરી ઉપર પોતાની કલાનો વારસો ઊતરે એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરતાં હોય…! વળી, ઘણાને એમ હોય છે કે પુરુષોત્તમભાઇની દીકરીઓને તો સંગીત આવડવું જ જોઇએ ને! પપ્પાએ ‘મસ્તી પડે તો જ ગાવું’ – ના આગ્રહની પરંપરા અમને સોંપી છે.

એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે ‘શ્રેષ્ઠ’ – પરફોર્મરનો જન્મ થયો હોય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને ‘કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે.

.

પપ્પા બીજાના કાર્યક્રમોને પણ સાંભળે… સારુ લાગે તો દાદનો વરસાદ વરસાવી દે. વળી, પપ્પા નવી ટેલેન્ટને ઉછેરવામાં વધુ પડતાં ઉત્સાહી… આ બાબતે બહુ ઓછા કલાકાર એવા હશે જે ‘નવા’ ને સ્વીકારવામાં એમનાં જેટલો ઉસ્તાહ બતાવી શક્યા હોય.

ક્યારેક પપ્પાની ખૂબ ચિંતા થાય છે, એમના ‘પોઝિટિવ એટિટ્યૂડ’ – ને કારણે. તેઓ તબિયતની ચિંતા કર્યા વગર પ્રવાસો અને કાર્યક્રમો કર્યા જ કરે છે. ઉપરના સૂર ભરે છે ત્યારે ભૂલી જાય છે કે એમણે બાયપાસ કરાવી છે. (જો કે ગાતી વખતે બધું જ ભૂલી જાય એનું જ નામ કલાકાર ને!) આ બધું એટલે કહ્યું છે કારણ કે ‘પિતાની ચિંતા’ એ દીકરીઓનો વિશેષાધિકાર છે.

.

એમની બધી જ મર્યાદા વચ્ચે એમની વિશેષતાને દુનિયા સલામ કરે છે અને અમે એમની વિશેષતાઓને પ્રણામ કરીએ છીએ. એમણે ક્યારેય સ્ટેજ પરથી અમારી પાસે એમનાં જ સ્વરાંકનો ગવડાવવાનો આગ્રહ નથી રાખ્યો. એમણે અમારી પાસે બીજા સ્વરકારોનાં સ્વરાંકનો જ ગવડાવ્યાં છે. પણ, એ વાત ખરી કે અમે ગાતાં હોઇએ છીએ ત્યારે એમના ચહેરાનો હાવભાવ જોઇને અમને જે ખુશી થાય છે એવી ખુશી બીજે ક્યાંય નથી મળતી..!

.

આજે તો પપ્પા ઉંમરના એવા પડાવ પર છે જ્યાં સંઘર્ષનો ભૂતકાળ હવે હર્ષનો વર્તમાનકાળ બની ગયો છે. એ વિદેશ ગયા હોય છે ત્યારે પણ હમણાં ચાલીને અમારા ઘરે આવશે અને અમારા દીકરાઓ જોડે ક્રિકેટ રમશે – એવો આભાસ થાય છે.

યાદ છે ત્યાં સુધી બીજલના લગ્ન વખતે પપ્પા ખૂબ રડેલા. જેનાથી એમની તબિયતને અસર થઇ હતી. એટલે વિરાજના લગ્ન વખતે અમે નક્કી કરેલા પ્લાન મુજબ એમને સૌથી છેલ્લે મળીને વિરાજે સીધા નીકળી જ જવાનું રાખ્યું. વળી, અમે બધાએ એમને બીજા કામમાં રોકી રાખ્યા. આવું એટલા માટે કર્યું હતું કે એમની તબિયતને અસર ન થાય. ‘સોરી પપ્પા, પણ રડતા પપ્પાને જોવાનું કઇ દીકરીઓને ગમે?’

.

આમ તો ધારેલું કે પપ્પાને પત્ર સ્વરૂપે વાત કરતાં હોઇએ એ રીતે લખવું, પણ પછી વિચાર આવ્યો કે પપ્પાને પત્ર લખવો પડે એટલે દૂર રાખવાનું કોઇ કારણ? પપ્પા વિશે લખવું એટલે અરીસા સામે ઊભા રહીને આપણે જ આપણો ફોટો પાડવો; જેમાં ફ્લૅશના અજવાળા સિવાય કંઇ જ દેખાતું નથી હોતું !

जन गण मन अधिनायक – રવિન્દ્રનાથ ટાગોર

આપણું રાષ્ટ્રગીત – જનગણ મન – કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે. અટેચ કરી મોકલું છું. 15 ઑગસ્ટના રોજ ટહુકો પરથી કવિવર ને સાંભળવા મળે એથી રૂડું શું હોય?

અને હા.. આજે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને એમના જન્મદિવસે ખૂબ ખૂબ.. અમિત શુભેચ્છાઓ..!! એમના સ્વર-સ્વરાંકનો થકી તો બધા જ એમને ઓળખે છે.. આજે એક પ્રયાસ એમને થોડા વધુ નજીકથી ઓળખવાનો, એમની દીકરીઓ અને અમર ભટ્ટના શબ્દોમાં.. વાંચો અહીં..!

સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

રવિન્દ્રનાથ ટાગોરના સ્વમુખે:

.

ભારત સરકારની વેબસાઇટ પરથી મળેલું Official Version:

.

जन गण मन अधिनायक जय हे
भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा
द्राविड उत्कल वंग
विंध्य हिमाचल यमुना गंगा
उच्छल जलधि तरंग
तव शुभ नामे जागे
तव शुभ आशिष मागे
गाहे तव जयगाथा
जन गण मंगल दायक जय हे
भारत भाग्य विधाता
जय हे, जय हे, जय हे
जय जय जय जय हे!

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ

સૌ મિત્રોને આજે જન્માષ્ટમીની અનેક શુભેચ્છાઓ.. ! અને કવિ શ્રી માધવ રામાનુજની આ કૃષ્ણજન્મના દિવસ યાદ કરાવતી કૃતિ..!!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: પરેશ ભટ્ટ
સ્વર: શ્યામલ મુનશી

.

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ

કૃષ્ણગીતો…

આવતી કાલે જન્માષ્ટમી છે, એ ખુશીમાં થોડા કૃષ્ણગીતોની વણઝાર… કૃષ્ણલીલાના કાવ્યો કે રાધા-કૃષ્ણના કાવ્યો એ કવિઓનો પ્રિય વિષય છે.. ટહુકો પર અત્યાર સુધીમાં આમ તો ૬૫ જેટલા કૃષ્ણગીતો મુક્યા છે… અને બીજા પણ ઘણા ગીતો આપને ભવિષ્યમાં ચોક્કસ સંભળાવીશ જ… આજે તો એમની બસ એક ઝલક માત્ર…!! કાનુડાના સ્વાગતની તૈયારીઓ કરતા કરતા આ થોડા ગીતો સાંભળવાની મઝા આવશે ને?

.