Category Archives: રઘુવીર ચૌધરી

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

22 beach night 2

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

(કવિ પરિચય) 

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

– રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

અમૃતા – જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત શ્રી રઘુવીર ચૌધરીની ખૂબ જ જાણીતી નવલકથા

(નીચેની માહિતી – અને અમૃતા નવલકથાનું Digital Version – એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી સાભાર)

અમૃતા નવલકથાનું PDF, Kindle or Epub version download કરવા અહીં ક્લિક કરોઃ

http://www.ekatrafoundation.org/books/?book=25

રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી – ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.

કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)

વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!