Category Archives: હાઇકુ

ગ્લૉબલ કવિતા : ૧૯૪ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:
From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.

ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને, હરપળ
મારું મચ્છર.

દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:
હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ!’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડીમાં આપણને જાણે કે હાઇકુની વ્યાખ્યા સાંપડે છે. હાઇકુ આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને કાગળની નાનકી ધરતી પર કવિતાનો વિશાળ પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા યાને ‘ચાનો કપ’ એ એમનું ઉપમાન. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુ મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર છે. આપણે ત્યાં ભારતમાં એને પહેલવહેલીવાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર લઈ આવ્યા. ગુજરાતી ભાષામાં આ શ્રેય સ્નેહરશ્મિને ફાળે જાય છે. હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: (૧)તેઓ ક્ષણભંગુર છે, (૨)તેઓ આકસ્મિક છે અને (૩)તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દો અને સત્તર શબ્દાંશની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુઓ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ છે એ બાબત આપણે સહુ જાણીએ છીએ. પણ કોબાયાશીએ બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી બતાવ્યો છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો નથી જ. જાપાનીઝ અને ધીમા? એ પણ ગોકળગાય જેવા? ના રે ના! કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એ ન્યાયે સાવ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ચાલતી ન હોય એમ ક્યારેક વર્તતા જોવા મળે છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, કદાચ પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી જણાતું. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓની કાલિમાને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. ઘોડાની આંખે ડાબલા બાંધ્યા હોય એમ આપણે સહુ આજુબાજુ ક્યાંય જોઈ શકવાને અસમર્થ બની, માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યાં છીએ. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે, ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવાતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ શોધાયા પહેલાનું એ અમલીકરણ ગણી શકાય. પણ દુન્યવી સફળતા પાછળની જે દોડ આજે છે એ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ પોતાની રીતે અનોખો છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) થાકને પણ અઢેલવા મળે એવી ચાર નિરાંતવા દીવાલ એટલે ઘર. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ ઘરની રૂની ગાદીમાં મળે એ શાંતિ મળતી નથી. જીવજંતુઓને પણ ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એટલે એ નજરિયાથી પણ આ હાઇકુને જોઈ શકાય.

૫) નવું વર્ષ આવે એટલે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી આપણું વર્તન એવું થઈ જાય જાણે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સુખનો સૂરજ લાવનાર ન હોય. દર વરસે સ્વપ્નભંગ થાય અને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી તો આમેય દોહ્યલી.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં કાશ્મીરને બાદ કરતાં હિમવર્ષાની સમસ્યા, સર્જાતી તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો પરિચય ન હોય એ સ્વાભાવિક છે. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) હાઇકુ એટલે ફોટોગ્રાફ. ફોટોગ્રાફ ક્ષણનો હોય, સદીનો નહીં. હાઇકુ સામાન્યતઃ બહુઆયામી જિંદગીની એકાદી ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપે નહીં. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાન પાસે આવીને ગણગણતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહારના ચપ્પલમાં હોય -ચોરાય તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વખતે આપણે ઊભા તો થઈ જઈએ પણ ધ્યાન આજુબાજુમાં કોઈ ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ ચકાસવામાં જ હોવાનું. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે. ધ્યાનસ્થ મહાવીર સ્વામીને કાનમાં કોઈ કાંટા ભોંકી ગયાનુંય ધ્યાન રહેતું નથી. કવિ બુદ્ધનું ધ્યાન ધરવા બેઠા છે પણ મચ્છર મારવું ચૂકતા નથી.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે, જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ ખરી ગતિ છે.

૧૦) પચાસ પૂરા થાય એને આપણે વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. જીવવાનું હતું એ જીવી લીધું. કરવાનું હતું એ કરી લીધું. હવે જિંદગી, જેટલી અને જે મળે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધું હવે બક્ષિસ છે.

૧૧) નકલ અસલની બરાબરી કે અસલથી ચડિયાતી ન હોવાના નિયમમાં એક અપવાદ છે, બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી શકે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે કરે એ નૈસર્ગિક છે, એ એમનું જીવન છે પણ નાનાં બાળકો એમની નકલ ઉતારતા હોય એ દૃશ્ય કદાચ વધુ જીવંત, વધુ રોમાંચક હોવાનું અનુભવાશે.

૧૨) બાળકોને સજા કરવી એ જાણે મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર. ભાગ્યે જ કોઈ બાળક સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીના ‘તોત્તોચાન’ પુસ્તકમાં આ વાત બહુ રસપ્રદ રીતે થઈ છે.

૧૩) ઉનાળો આપણી ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે, જે બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. એ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

એક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

અત્તર-અક્ષર (હાઈકુ) -પન્ના નાયક

Daffodils Field....  Photo: bestamericanpoetry.com
Daffodils Field.... Photo: bestamericanpoetry.com

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

*

પરોઢે કરે
ઝાકળસ્નાતાં પુષ્પો –
સૂર્યસ્વાગત

*

ટહુકો રેલ્યો
કોયલે, ગુંજી ઊઠ્યું
આખ્ખું કાનન

*

પન્ના નાયક

આવા કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો.  આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે.  એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.  કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

હાઈકુ – પન્ના નાયક

૧.

અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે

૨.

આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

૩.

ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં

૪.

ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં

૫.

કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી

એ જ લખવાનું સખા ! – ઊર્મિ

*

વ્હાલની લીપી
છે સખા, ઉકલશે
એ વ્હાલથી જ !

*

આભ ગોરંભાઈ ગ્યું છે એ જ લખવાનું સખા !
તોયે ગુલાબી થયું છે એ જ લખવાનું સખા !

એક પંખી ફરફર્યું છે એ જ લખવાનું સખા !
એક પીંછું પણ ખર્યું છે એ જ લખવાનું સખા !

રાતભર આ લોચને પીડા પ્રસવની ભોગવી,
એક સપનું અવતર્યું છે એ જ લખવાનું સખા !

એમ તો લૂંટાવી દીધી છે હૃદય મિરાત, પણ-
એક સ્મરણને સાચવ્યું છે એ જ લખવાનું સખા !

દિલનાં દર્દોની કથા વિસ્તાર સંભળાવ્યા પછી,
કેટલું આ દિલ બળ્યું છે એ જ લખવાનું સખા !

કેટલી ઊંચી ચણી’તી ‘હું’પણાની ભીંત મેં !
ભીંતમાં કાણું પડ્યું છે એ જ લખવાનું સખા !

કેટલાં દરિયા વલોવ્યાં ને ઉલેચ્યાં, આખરે-
‘ઊર્મિ’નું મોતી જડ્યું છે એ જ લખવાનું સખા !

-‘ઊર્મિ’

છંદવિધાન : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ની ‘એ જ લખવાનું તને’ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ એટલે આ ગઝલ…!

નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

અંતરંગ સખાને… – ઊર્મિ

આજે ઊર્મિની એક મઝાની ગઝલ.. એના જ હાઇકુ સાથે..!!

(વ્હાલનાં વરસાદમાં………….. Photo by : Kopfjäger)

*

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

*

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)

યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

હાઇકુ – સ્નેહરશ્મિ

(૧)
કેડે દીકરો
ભારો માથે, અમીની
ચોગમ ધારા.

(૨)
નવવધૂએ
દીપ હોલવ્યો: રાત
રૂપની વેલ.

(૩)
વનની એક
લ્હેરખી આવી: કોળ્યાં
નગરે ફૂલ.