Category Archives: આદિલ મન્સૂરી

ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર – આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

ગઝલની સુગંધ – આદિલ મન્સૂરી

ગઝલની સુગંધ

શબ્દોનાં સર્વે બારણાં અંદરથી બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

ઉપવન સુધી જવાના જો રસ્તાઓ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાના ઊંડે ઊંડે સકલ શ્વાસ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કાળું ડિબાંગ મૌન ખરેખર તો અંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

વીતી જવાય ક્ષણ બની એવો પ્રબંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

સુકાયેલી વસંતની પર્ણોમાં ગંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાની બાબતે તો બીજી પણ પસંદ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

– આદિલ મન્સૂરી

સંકલન – ‘ગઝલ નામેગઝલ’ – રમેશ પુરોહિત

વાંસળી પડઘાય આખા ગામમાં – આદિલ મન્સૂરી

‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ – ૪

~ કવિ: આદિલ મન્સૂરી
~ સ્વરકાર અને સ્વર: વિજય ભટ્ટ

~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ

વાંસળી પડઘાય આખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં

વીજળી ઝબકી ને વાંદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
– આદિલ મન્સૂરી



Spotify Link:
https://spoti.fi/3nNPSMe

Apple Music Link:
https://apple.co/3OYuWy2

~ બ્લોગ સંપર્ક: +91 88500 74946

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

(આભાર – લયસ્તરો)

ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે – આદિલ મંસૂરી

આજે એક આદિલ-ગઝલ….શ્રી આદિલભાઈનાં જ અવાજમાં સાંભળીએ….

કાવ્ય પઠન : શ્રી આદિલ મંસૂરી

લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.

આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.

આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને,
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

આ ગઝલ ‘આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
પંડિતો ને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

– આદિલ મંસૂરી
(આભાર – ગાગરમાં સાગર)

સામાં મળ્યાં તો – આદિલ મન્સૂરી

આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા

.

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

– આદિલ મન્સૂરી

ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

ગઇકાલે શૂન્ય પાલનપુરીની ‘ગઝલ’ ઉપરની ગઝલ સાંભળી હતી… તો આજે આદિલ મન્સૂરી સાથે જઇએ ‘ગઝલના ઘરમાં..’

* * * * *

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં

– આદિલ મન્સૂરી

માનવ ન થઇ શક્યો – આદિલ મન્સૂરી

(છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ………..  Photo: Images.com)

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

માણેકચોકમાં – આદિલ મન્સૂરી

અમદાવાદનું ઘણું જ જાણીતું સ્થળ.. માણેકચોક..! એના વિષે અમદાવાદના જ ગઝલકાર સ્વ. શ્રી આદિલ મન્સૂરીએ લખેલી ગઝલ – એમના પોતાના અવાજમાં.

(માણેકચોકમાં………….. )

* * * * *

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં

જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં

અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં

કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં

રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

શૂન્યતામાં પાનખર – આદિલ મન્સૂરી

અહીં અમેરિકામાં પાનખરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આદિલ સાહેબની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ – ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.

સ્વર : શ્રુતિ વૃંદ
સંગીત : ગૌરાંગ વ્યાસ

(photo : foodha for thought)

.

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

આભાર : http://aektinka.wordpress.com/