Category Archives: વર્ષાગીત

મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં. – ‘ગની’ દહીંવાલા

peacock12

મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં.

ઘેનની ઘૂંટી પાઇ, રોમ રોમ આ રતમાં
રાખી શકાય મરજાદમાં ?
… મોરલાને

મીઠેરા ગહેકારે મોભથી સરી આવ્યાં
સેંકડો ગરોળીના ગલ,
વિરહાકુલ હૈયાની ક્યારીમાં રેલાયાં
વખડે વલોવાયાં જલ.
કેટલાય હાયકાર બાઝ્યાનો અંદેશો
છૂટા પડેલ એક સાદમાં
… મોરલાને

વાડામાં શ્રાવણનાં ઝરમરિયાં ઝૂલે,
ને આંગણે અષાઢની હેલી,
ભૂંડા ભાદરવા, તું જોવા ન પામશે,
ગારાની ભીંત આ ઊભેલી.
વનના ને મનના મોરલિયાનું સહિયારું
સાવ રે સુંવાળા અપરાધમાં
… મોરલાને

આખા તે ઘરની એકલતાને લીધો છે
ભીનાશે કારમો ભરડો,
કાને અથડાઇ કૂંણી કાંટાળી ડાળ
પડ્યો હૈયામાં ફૂલ-શો ઉઝરડો.
આખાયે માળાને મ્હેકતો કરી મેલ્યો
પંખીએ પંખીની યાદમાં
… મોરલાને

આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ

સ્વરકારઃ ક્ષેમુભાઈ દિવેટીયા

ગાયકઃ શ્રુતિવૃંદ

.

કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

લીલી લીલી ધરતી મન મલકંતી તરુવર ચઢીને બોલે,
ખળખળખળ ખળખળખળ સરિતા ને ઝરણાં સરવરિયા પણ ડોલે.
વસુંધરાનો પાલવ લ્હેરે, તરસ્યાનો જામ ભરાયો રે!

….કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!…….

ધોધમાર વસાદ પડી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય ત્યારે એ દ્રશ્ય આંખ સામે આવે કે જાણે માતાએ હમણાં જ જન્મેલા બાળકને ખોળે લીધું છે અને એના સ્તનમાંથી આપોઆપ જ દૂધની સેરો નીકળી રહી છે! માતાના દૂધમાંથી મળતા સંસ્કાર, પોષણ અને હૂંફ બળકનું જીવનપર્યંતનું ભાથું બની રહે છે એમ વરસાદ પણ ધરતીને જાણે આખા વર્ષનું પોષણ પૂરું પાડે છે. ભગવાને વરસાદ આપીને પોતાના લાડલા દીકરા માણસને કેટકેટલું આપી દીધું છે!! પાણી જ જીવન છે, અને સંસ્કૃતમાં પાણીને “જીવન” પણ કહે છે.

વરસાદ પડતાં જ મન બાળક બની જાય છે અને આપણે મોગરાના ફૂલ પર પડેલાં ટીપાં પી જઈએ છીએ, કાગળની હોડી બનાવી એમાં કીડી ને મંકોડાને મૂકી હોડીને તરતી મૂકી દઈએ છીએ. વરસાદ પડતાં જ મન પ્રેમી બની જાય છે અને વરને સાદ પાડીને બોલાવી Hero Hondaને આપણા romantic ઉન્માદોની kick મારી મકાઈ ખાવા નીકળી પડીએ છીએ. વરસાદ પડે અને મન મીરાંબાઈ બની જાય અને કહે કે “હું તો વ્હાલાના વરસાદે જ ભીંજાવું”, અન્યથી તો કોરી ને કોરી!

પાણીનું મહત્વ કોણ જાણે? એક તો છે દરિયાની માછલી કે જે સતત પાણીમાં જ મસ્ત છે, પાણીથી જ એનું જીવન છે. બીજું આ આકાશ કે જે પાણીના વાદળથી ભરેલું અને ખીલેલું લાગે છે. ઝાડ કે જે પાણીથી મ્હોરી ઊઠે છે. નદી કે જે પાણીથી ધસમસતી તરુણી બને છે. આપણા જીવનમાં પણ કોઈ પાણી બનીને આવ્યું હશે કે જેનાથી આપણે જીવીએ છીએ, જીવન ભરેલું છે, ખીલેલું છે, મઘમઘતું છે- એ “કોઈ”ને યાદ કરી કૃતજ્ઞ થવાના દિવસો એટલે આ વરસાદી મોસમ!

પ્રસ્તુત ગીતમાં વરસાદનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. છાનું રે છપનું કાંઈ થાય નહી અને ઝાંઝર કે હાથની બંગડી જેમ ચાડી ખાય તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં પવન કરી જાય છે. અને પછી તો વરસાદ પણ નક્કી કરે છે કે જબ પ્યાર કિયા તો ડરના ક્યા અને ચોરી છૂપીથી નહી પણ દખ્ખણના ઢોલ વગાડતો આવી પહોંચે છે…….અને હવે તો ભરાયો છે એટલે વસુંધરાનો પાલવ પણ લ્હેરે છે! ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનુ શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા શાની?? અહીં જ તો સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે- ધીમું પડી જતું ગીત આપણને જાણે કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની એ પંક્તિઓ યાદ કરાવી જાય છેઃ “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી” મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો તો છે નહી!! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં કહેતો હોય છે કે “કે હે આવે મેહુલિયો……આવતા શ્રાવણમાં!” અને એ મિલન પછીની જુદાઈ જાણે ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! પણ એક વાતની મોટી ખુશી  ધરતી પાસે છે કે ધરતી હવે એકલી નથી, એનો પાલવ હવે લહેરાઈ રહ્યો છે, અને આશ્વાસન છે કે આવતા શ્રાવણમાં વરસાદ આવશે જ!

વરસાદ જેવું છે કશુંક – ઉર્વીશ વસાવડા

peacock

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ

સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

.

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.

————-

રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.

ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.

( કવિ પરિચય )

અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.

એવું કાંઇ નહીં ! – ભગવતીકુમાર શર્મા

.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

( કવિ પરિચય )