Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા: કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રેઇટન અનુ. વિવેક મનહર ટેલર

Since there’s no help, come let us kiss and part.
Nay, I have done, you get no more of me;
And I am glad, yea glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again,
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies;
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes—

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou might’st him yet recover!

– Michael Drayton

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.

હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.

હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,

– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રેઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

જબ તવક્કો હી ઉઠ ગઈ ગાલિબ,
ક્યુઁ કિસી કા ગિલા કરે કોઈ?

– પોણી બસો વર્ષ પહેલાં ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? બુદ્ધ પણ એ જ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે… પણ બુદ્ધ કવિ નથી, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ છે. એ આગળ કહે છે કે એ કારણનું નિવારણ પણ છે જે વળી શક્ય છે. માઇકલ ડ્રેઇટનની આ કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું આ સૉનેટ સમજી શકાય તો આપણા બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પડે છે.

સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલ માઇકલ ડ્રેઇટનના ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. પણ પછી મહારાણી એલિઝાબેથના દરબારમાં એમણે મોભાનું સ્થાન શોભાવ્યું. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ અને અંગ્રેજીમાં જેને ‘ઓડ’ કહેવાય છે, તેના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિયતા અપાવનાર હતા. જે છોકરીને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો એ અથવા કોઈ પણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા.

પ્રસ્તુત સૉનેટ પણ આ સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલીમાં લખાયેલું આ સૉનેટ મૂળ અંગ્રેજીમાં ત્રણ ચતુષ્ક અને યુગ્મરચના તથા ‘અ-બ-અ-બ’ની પ્રાસરચના ધરાવે છે. આખી કૃતિ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલી છે પણ છેલ્લી બે પંક્તિઓમાં દસના બદલે બાર અને અગિયાર સિલેબલ્સ વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે.

‘કેમકે હવે કોઈ મદદ શક્ય નથી’થી થતી શરૂઆત હચમચાવી દે છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ કદાચ કરી દેવામાં આવી છે પણ હવે આ સંબંધ ટકી શકે એમ જ નથી. સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. પ્રેમની નિષ્ફળતાની અસમંજસનું આ મહાકાવ્ય છે.

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? દીર્ઘકાલિન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકતું હશે.… આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ સંબંધની લાશ ખભે વેંઢાર્યે રાખ્યે છીએ. કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે… ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી…

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે… કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. અને પ્રયત્ન કરો તો ફરી એ બેઠો થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

15385353_10153972047011367_1979167902819050663_o

અમારા વૉર્ડન

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ વિચિત્ર, ન સમજાયેલ દુનિયામાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે તેઓ જાણવા માંગતા હોય એ જે તેઓના હૃદયે કદી અનુભવવાનું નહોતું માતૃભૂમિનું દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ કામ કરે છે ચુપકીદીમાં. કેદીઓ છે – તેઓ પણ. પણ શું તેઓ આ સમજી શક્શે? આવતી કાલે? પછીથી? કદી પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે.

પણ આજે આપણે જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફરની વાત કરવાની છે. બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના તેઓ સેક્રેટરી જનરલ હતા અને ઊંચી સરકારી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. ભૂગોળમાં પી.એચ.ડી. કર્યું. જિઓપોલિટિક્સના તેઓ પ્રોફેસર હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવા એમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને બર્લિનના મુઆબિત જિલ્લાની ગેસ્ટાપો જેલમાં બંદી બનાવવામાં આવ્યા. જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટ કાગળ-પેન માંડ મેળવી શક્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.

23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ તો કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! મૃત્યુ નિશ્ચિત થઈ જાય ત્યારે મનુષ્યમાં સમ્યકભાવ આવી જાય છે. કેદીને પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા વૉર્ડન પણ ભલા લાગે છે. ભલા છે કેમકે મૂળે તેઓ ખેડૂત છે અને જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવી જાણે એ કદી નિર્દય કેમ હોઈ શકે? એ લોકો પણ માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈ આવ્યા છે.

યુદ્ધના ખપ્પરમાં એમના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે કદી વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. પણ આવ્યો એટલે તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. પણ આ તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો વિનર્મતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે આ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ હજી પણ જિંદગીની એક નિશાનીની પ્રતીક્ષા છે. કેદીઓની જેમ જ તેઓ પણ ચુપચાપ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? મોડેથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. સામો પ્રશ્ન પૂછીએ કે દાખલો આપો તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત વાત સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજીસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયા છે, થતા રહે છે.

પહેલાં તો ઇમેજીસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંડોના બંઢન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. 1912ની સાલમાં એઝરા પાઉન્ડે અધિકૃતતાપૂર્વક ‘ઇમેજીસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજીસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળ 1917માં તો પૂર્ણ થઈ ગઈ પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

આ કવિતાની રચનાનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં તો ૩૬ પંક્તિની હતી. પણ કવિને બિનજરૂરી લંબાણ ખટક્યું અને એમણે કવિતાની સાઇઝ અડધી કરી દીધી. છત્રીસમાંથી અઢાર પંક્તિ. પાઉન્ડને હજી સંતોષ નહોતો. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ આ છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે !

પાઉન્ડની ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક સૉનેટ સાથે પણ સરખાવે છે. સૉનેટ કાવ્ય ચૌદ પંક્તિનું બનેલું હોય છે જેમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ પણ ગણે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ વાપરવામાં આવ્યું નથી. બંને પંક્તિઓને જોડતું કોઈ પૂરક પદ પણ વપરાયું નથી.

પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે પાઉન્ડ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા અને આખો દિવસ આ દૃશ્યને જોતી વખતે જે લાગણી અનુભવી એને કેવી રીતે વ્યક્ત કરવી એની મથામણમાં રહ્યાં. આ લાગણીને કાગળ પર ઢાળવા માટે એમની પાસે શબ્દો નહીં, રંગો હતા પણ એ રંગો ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્ર…

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન સૂચવે છે. લેટિન Memento Mori અર્થાત્ યાદ રાખો કે તમારે મરવાનું છે એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન હોય, ભીની ડાળ પર ચોંટેલી પાંદડીઓ હોય કે ન હોય પણ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

Global કવિતાઃ અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

ગ્લોબલ કવિતા ‘category’ માં આજે માણીએ ખૂબ જ જાણીતા પર્શિયન કવિ ‘રૂમિ'(30 September 1207 – 17 December 1273)ની એક કવિતા!

*******
અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)
May 25, 2013 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, રૂમી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Global કવિતા (સાપ્તાહિક કોલમ) ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં કવિ વિવેક મનહર ટેલરની કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….! અને દર શનિવારે ટહુકો પર પણ એ ગ્લોબલ કવિતાને ફરી એકવાર મમળાવવાનો મોકો!

01-768x771

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

શી વાત છે હમરાહમાં ? – વિવેક મનહર ટેલર (#tahuko10th)

ટહુકોને હજુ ગઇ કાલે ૧૦ વર્ષ થયા, અને ૬ મહિના પહેલા કવિ મિત્ર ડૉ. વિવેક ટેલરે પણ એમના સ્વરચિત કાવ્યોના બ્લોગ – http://vmtailor.com/ – ની દશાબ્દિ ઉજવી! ટહુકો શરૂ થયો એ પહેલાથી વિવેકનો અપ્રતિમ પ્રેમ સાથ અને સહકાર મળ્યા છે. ગુજરાતી કવિતા માટેનો એનો લગાવ, અને લયસ્તરો, ટહુકો અને શબ્દો છે શ્વાસ મારા માટેનો એનો ઉત્સાહ કદાચ સૌથી મહત્વનું બળ છે કે આ ત્રણે વેબસાઇટ આજે ફેસબુક – વોટ્સએપ અને બીજા બધા ‘સોશિયલ મિડિયા’ના મારા સામે પણ આજ સુધી ટકી રહી છે..

વિવેકે ‘શબ્દો છે શ્વાસ મારા’ ના દસ વર્ષ પર જે વાત કરી – એ અહીં અક્ષરસઃ ટાંકું છું –

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
-વિવેક મનહર ટેલર

તો સાથે વિવેક તરફથી મળેલો આ શુભેચ્છા સંદેશ… અને એના ગીત-ગઝલના આલ્બમ ‘અડધી રમતથી’ માં સ્વરબધ્ધ થયેલી એક મઝાની ગઝલ સાંભળીએ. અને વળી એનું સ્વરાંકન મેહુલ સુરતીએ કવ્વાલી જેવું એકદમ અલગ કર્યું છે, અને એમાં પાર્થિવ ગોહિલનો સ્વર મળે એટલે?

સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

-વિવેક મનહર ટેલર

આમ અધવચ્ચે હું થાકી ના શકું – વિવેક મનહર ટેલર

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર

વિશ્વાસ (મોનો ઇમેજ) – વિવેક મનહર ટેલર

(પાંદડાની હસ્તરેખાઓ….                                  ….એટલાન્ટા, ૨૦૦૯)
(પાંદડાની હસ્તરેખાઓ…. ….એટલાન્ટા, ૨૦૦૯)
*

૧.
જિંદગીભરના શ્વાસ
ખર્ચી નાંખીને પણ
ચપટીક વિશ્વાસ
ખરીદી શકાતો નથી.

૨.
વિશ્વાસમાંથી
શ્વાસ ખરી પડે
એને
આપણે નિઃશ્વાસ કહીએ છીએ.

૩.

ફેફસાં હવાને નહીં,
એક માથું
એક છાતી
એક આખા જણને
શ્વાસમાં ભરે
એ વિશ્વાસ.

૪.
એ જ બીજ
જમીનમાંથી માથું ઊંચકી શકે છે
જેને
પાંખ ફૂટ્યાનો વિશ્વાસ છે.

૫.

વિશ્વાસ લથડે છે
ત્યારે
સંબંધને ફ્રેક્ચર થાય છે
અને
ભલભલા POP એને સાંધી નથી શક્તા.

૬.

સ્મરણોના ઓરડામાં
ફરી ફરીને હું આવ્યા કરું છું,
એનું કારણ
તારા માટેનો પ્રેમ નહીં,
તારા પરનો વિશ્વાસ છે.

૭.

સાચવીને મૂકાયેલા
પીપળાના પાનને
ચોપડીના પાનાં
પારદર્શક બનાવી દે છે
કેમકે એને વિશ્વાસ છે
કે
આ પાનની અંદરની ચોપડી વધુ ઇન્ટરેસ્ટિંગ છે.

૮.
સવારે
એક ચોપડીના પાનાં વચ્ચે
થોડો વિશ્વાસ મૂકીને હું ગયો હતો,
સાંજે આવીને જોયું તો
આખું વૃક્ષ.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૪)

*

જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી….

Jayshree by Vivek Tailor

જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…

शतम् जीवेत् शरद: ।

*

આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.

– વિવેક મનહર ટેલર

*

જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

કવિની આત્મકથા – વિવેક મનહર ટેલર

Monastery by Vivek
(તારા સુધીનો માર્ગ તો સીધો છે, જાણું છું…    …બૌદ્ધ ધર્મસંસ્થાન, લેહ, જુન-2013     Picture by: Vivek Tailor)

 ****

ગીતામાં કહ્યું છે કે
जातस्य ही ध्रुवो मृत्युः
શંકરાચાર્ય પણ કહી ગયા કે
पुनरपि जननं, पुनरपि मरणं
બધાએ જ મૃત્યુ વિશે વાતો કરી.
બધા જ મૃત્યુ પણ પામ્યા.
પણ હું મૃત્યુમાં માનતો નથી.
હા, ક્યારેક મને પણ સાક્ષાત્કાર થશે જરૂર
પણ ત્યાં સુધી
હું ફક્ત જીવવામાં જ માનું છું.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૩)