Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લોબલ કવિતા : ૧૨૩ : મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

મારી કબર પર થોભશો કે, રડશો નહિ

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

એક જ કવિતાથી અમરત્વ – સૂંઠના ગાંગડે ગાંધી?

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

મેરી એલિઝાબેથ ફ્રે. ૧૩-૧૧-૧૯૦૫ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના ડેટન શહેરમાં જન્મ. ત્રણ જ વર્ષની વયે અનાથ થયાં. બાર વર્ષની વયે બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે સ્થાયી થયાં. કોઈ જાતનું ઔપચારિક શિક્ષણ મળ્યું નહોતું એ છતાંય તેઓ અકરાંતિયા વાચક હતાં અને યાદદાસ્ત પણ એવી જ તીક્ષ્ણ. ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં અને મેરી એલિઝાબેથ ક્લર્કમાંથી મેરી એલિઝાબેથ ફ્રે બન્યાં. પતિનો કપડાંનો વ્યવસાય હતો અને મેરીનો ફૂલો વેચવાનો. ૧૯૬૪માં એમના પતિનું નિધન થયું. ૧૫-૦૯-૨૦૦૪ના રોજ ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને, પોતાની પાછળ એક દીકરીને મૂકીને બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે જ આ ફાની દુનિયાને રામ રામ કરી ગયાં.

મેરીના ઘરે એક જર્મન યહૂદી યુવતી માર્ગારેટ શ્વાર્ઝકૉફ (Schwarzkopf) મહેમાન તરીકે રહેતી હતી. જર્મનીમાં એ સમયે યહૂદીઓ વિરુદ્ધ લાવા ઉકળતો હતો, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘હૉલોકાસ્ટ’ નામે નરસંહારમાં પરિણમ્યો હતો. નાદુરસ્ત રાજકીય પરિસ્થિતિના કારણે એ પોતાની બિમાર માતાને મળવા જઈ શકે એમ નહોતી. છેવટે માતા મૃત્યુ પામી. અને માર્ગારેટે મેરી આગળ અફસોસ વ્યક્ત કર્યો કે પોતાની માની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ ૧૯૩૨ની સાલમાં આ કાવ્ય લખી નાંખ્યું. મેરીના કહેવા મુજબ શબ્દો આપમેળે એની પાસે વહી આવ્યા હતા. આ પહેલાં મેરીએ કદી કવિતા લખી પણ નહોતી. બાર પંક્તિનું મેરીનું આ પહેલવહેલું કાવ્ય લોકોને ઘણું પસંદ આવ્યું હોવાથી મેરીએ એની અનેક નકલો કરીને અંગત ધોરણે એની વહેંચણી કરી પણ કદી પ્રકાશિત કર્યું નહીં. કવિતા લખાઈ અને વિશ્વવિખ્યાત થઈ ગઈ પણ એના સર્જકનું નામ દુનિયા માટે અજાણ્યું જ રહ્યું. લગભગ છ-છ દાયકાઓ વીતી ગયા બાદ, છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈને કોઈ માહિતી નહોતી. કવયિત્રી જો લાંબુ જીવ્યાં ન હોત તો કદાચ આજેય આ કવિતા કોની છે એ ખબર જ પડી શકી ન હોત. સેંકડો લોકો આ કવિતા પોતાની હોવાનો દાવો કરી ચૂક્યા હતા, પણ નેવુના દાયકામાં કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો. અસંખ્ય લોકોએ શંકા વ્યક્ત કરી. પણ ‘ડિઅર એબી’ નામની એકીસાથે ૧૪૦૦ અખબારોમાં પ્રકાશિત થતી અને અગિયાર કરોડ વાચકો સુધી પહોંચતી વિશ્વપ્રસિદ્ધ કટારના લેખિકા એબિગેલ વાન બુરેને ૧૯૯૮ની સાલમાં વિશ્વસનીય વિગતવાર સંશોધન થકી આ દાવો સાચો પુરવાર કર્યો અને કવિતાને કવિનું નામ મળ્યું.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ‘બુકવર્મ’ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. બીબીસીએ બીજા વર્ષે આ કવિતાને ‘દેશની સૌથી વહાલી કવિતા’નું બિરુદ આપ્યું. ૧૦ વર્ષ કવયિત્રીના મરણ વખતે પછી ‘ધ ટાઇમ્સ’એ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સામાજિક હોદ્દા અને દેશદેશાવરોની સરહદો પાર કરીને વિખ્યાત થઈ ચૂકી છે.” કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર લખવા-વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. ધર્મ અને જાતિના ભેદભાવ વિના વિશ્વભરના કબ્રસ્તાનોમાં, અંત્યેષ્ઠિ સમયે, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં, જાહેર સમારંભોમાં, અને અસંખ્ય સ્થળોએ અને પ્રસંગોએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે. આ અભૂતપૂર્વ વિશ્વવિક્રમ કદાચ બીજી કોઈ કવિતા કદી પણ તોડી શકનાર નથી. આ સિવાય, વાંચતા વાંચતાય આંખ ભીની થઈ જાય એવા હજારો પ્રતિભાવ અખબારોમાં, સામયિકોમાં, મુખપત્રોમાં અને ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાનો ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

મેરીએ આ કવિતાને કોઈ શીર્ષક આપ્યું નથી. જરૂર પણ નથી. કવિતા પોતે જ એટલી સબળ છે કે એને બીજા કોઈ ઉપાદાનની આવશ્યકતા જ નથી. મૃતકની એકોક્તિ સમી બાર પંક્તિની આ કવિતાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલી બે પંક્તિઓ, જેમાં કથક પોતે મૃત્યુ પામી નથી એવું કહીને પોતાની પાછળ રહી જનારને ન રડવાની શિખામણ આપે છે. બીજા ભાગમાં પોતે કેમ મરી ન ગણાય એના નાનાવિધ કારણો આપે છે તો ત્રીજા અને અંતિમ ભાગની આખરી બે કડીઓમાં પહેલી બે કડીઓમાં જ નજીવો શબ્દફેર કરીને પોતાની વાતને યોગ્ય વજન આપવા માટે દોહરાવે છે. અંગ્રેજીમાં સામાન્યરીતે પ્રયોજાતા આયમ્બિક પેન્ટામીટરના સ્થાને મેરીએ ટેટ્રામીટર છંદ અહીં પ્રયોજ્યો છે. બે પંક્તિ ઉમેરીને સૉનેટ લખવાનો મોહ જેમ એમણે જતો કર્યો છે, એ જ રીતે સાતમી પંક્તિમાં અપવાદરૂપે આયમ્બિક પેન્ટામીટર વાપર્યો છે, જેના કારણે દ્યુતગતિએ આગળ વહી જતી કવિતાનો લય બરાબર અધવચે સહેજ બદલાય છે. ભાવકના ચિત્તતંત્રને ઝંઝોડવા માટેની આવી પ્રયુક્તિ બધી ભાષામાં સિદ્ધહસ્ત સર્જકો અપનાવતા આવ્યા છે. વળી, આખી કવિતામાં એ એક જ વાક્ય છે જે છંદપલટા સાથે ત્રણ પંક્તિઓ સુધી લંબાય છે. આ સિવાય, સમગ્ર કવિતામાં પંક્તિ અને વાક્ય સાથે જ પૂરાં થાય છે. બીજે ક્યાંય આ અપૂર્ણાન્વય (enjambment) નજરે ચડતું નથી. ઊલટું, બીજી અને છેલ્લી પંક્તિમાં તો એક-એક કરતાં બબ્બે વાક્ય કવયિત્રીએ વાપર્યા છે. અંગ્રેજીમાં હિરોઇક કપ્લેટ તરીકે જાણીતી A-A B-B C-C પ્રકારની દુપાઈ કહી શકાય એવી પ્રાસયોજના કવયિત્રીએ અહીં કરી છે, જેના કારણે ગીત બધુ ગેય બને છે. ઘણા લોકો આને બાર પંક્તિનું સૉનેટ પણ ગણાવે છે પણ આ એવા કોઈ સ્વરૂપને જબરદસ્તી આ કવિતા ઉપર ઠોકી બેસાડવાના બદલે આ કવિતા જેમ છે તેમ જ માણવાની કદાચ વધુ મજા છે. કદલાઘવ, ટૂંકી પંક્તિએ, દુપાઈ પ્રકારની પ્રાસવ્યવસ્થા, અને પંક્તિ સાથે તાલમેળ સાધતા વાક્યના કારણે કવિતાનું જે બાહ્ય કલેવર રચાયું છે એ પણ એની અપ્રતીમ લોકચાહનાનું કારણ ગણી શકાય. ઉત્તમ કવિતા માટે માત્ર કાવ્યપ્રાણ જ નહીં, કાવ્યસ્વરૂપ પણ ઉમદા હોવું જોઈએ એ કળા આ કવિતા આપણને સમજાવે છે.

પ્રેમ એક અદભુત અનુભૂતિ છે, એકતરફી નહીં, ઉભયતરફી! અહીં એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા અસ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન ચાલ્યો ગયો છે. એ દેહ હવે કબરની નીચે છે. કબરની બહાર છે એને એના માટે ખેંચાણ છે તો કબરની અંદર સૂતેલને પણ પાછળ રહી જનાર માટે એવું જ ખેંચાણ હશે ને! પ્રેમની લાગણી તો બહુધા બેઉતરફી જ હોવાની. પણ મરનારની જીવિત રહેનાર માટેની સંવેદના તો કવિ જ જોઈ-અનુભવી-કહી શકે. જે રીતે થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતાની નાયિકા પોતાની કબર ખોદનાર સાથે વાર્તાલાપ કરે છે, એ જ રીતે મેરીની આ કવિતામાં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે. જે હજી જીવે છે એ મૌન છે, જે અવસાન પામ્યું છે એ વાતો કરે છે. હાર્ડીની કવિતામાં ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ, કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ’ જેવો આશાનો ભાવ મૃતક સેવે છે, જ્યારે મેરીની આ કવિતામાં મૃતક આશા-હૂંફ-દિલાસો લઈને જીવનાર પાસે આવે છે. પોતાના ગયા પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું મૃતકને માત્ર ભાન જ નથી, ચિંતા પણ છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે આવશો નહીં. અને રડશો પણ નહીં. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ તો કદી મરતો નથી. એ તો અલગ અલગ સ્વરૂપે આપણી આસપાસ જીવંત જ રહેવાનો. તો જો મૃતક કબરની અંદર હોય જ નહીં તો કબર પાસે આવવાનો અને શોક વ્યક્ત કરવાનો કોઈ અર્થ ખરો? પણ મૃતક તો આગળ વધીને જાહેર કરે છે કે હું હજી ઊંઘી નથી. અર્થાત્ પોતે મૃત્યુ પામી જ ન હોવાનો આંચકો મૃતક ભાવકને આપે છે. બીજું, મૃતકનો ભાવ અહીં વિનંતીનો નહીં પણ હુકમનો છે. એ પોતાની પાછળ શોક નથી જ કરવાનો એવું ફરમાન આપતાં હોય એવી અધિકૃતતતા સાથેનો આ અવાજ છે, જે આપણને છેક અંદર સુધી સ્પર્શી જાય છે. બીજી પંક્તિમાં ઝડપભેર આવતા બે ટૂંકાટચ વાક્યો આ અધિકૃતતતાને બળકટ બનાવે છે અને આપણી અનુભૂતિને સઘન.

કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓની વચ્ચેની આઠ પંક્તિઓમાં કવયિત્રી મૃતકના હજીય જીવંત જ હોવાની અને એથીય આગળ વધીને સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. કહે છે, જે ફૂંકાઈ રહ્યા છે એ હજાર પવનો હું છું. કવયિત્રી સામાન્ય ચલણથી વિપરિત જઈને અહીં પવનનું બહુવચન ‘પવનો’ પ્રયોજી અતિશયોક્તિ અલંકાર વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી આ રીતે ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા? (જોયો આ “વરસાદો” શબ્દ?)

પવનનું બહુવચન કદાચ અલગ-અલગ તમામ પ્રકારના સમયમાં પવનના તમામ સ્વરૂપો –મંદમંદ સમીરથી લઈને ચક્રવાત સુધીના-ને સમાવી લેવા તરફ પણ ઇંગિત કરતું હોય. પણ મોટાભાગના પ્રતીક આથમતી સંધ્યાનો અહેસાસ કરાવતા હોય એમ પણ અનુભવાય છે. પવન જે ફૂંકાય છે, એ પડશેય ખરો. કથક પોતાને બરફ પર સૂર્યપ્રકાશમાં એકીસાથે હીરાની જેમ ચળકતી બુંદો ગણાવે છે. સૂર્યનું કિરણ પડતાં જ જે બરફનું સમૂચું સ્વરૂપ જ બદલી નાંખે છે અને સૃષ્ટિને અને જોનારને માલામાલ કરી દે છે. પણ બરફ પર ચળકતી આ સેંકડો હીરાકણીઓ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. સૂર્યપ્રકાશ પડતો નથી, ત્યાં સુધી જ બરફનું અસ્તિત્વ કાયમી જણાય છે. તડકો પડ્યો નથી કે બરફ પીગળવો શરૂ થયો નથી. બરફ એ મૃત્યુની ક્રૂર ઠંડક અને એના પર ચળકતાં કિરણો શાશ્વત પ્રકાશિત આત્મા તરફ પણ ઈશારો કરે છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. મૃતક અકાળે આવજો કહીને ગયાં નથી. એટલે જ કવિ પોતાને પાકી ગયેલ દાણા પર પડતું સૂર્યકિરણ કહે છે. પક્વ દાણો પણ સૂર્યપ્રકાશમાં તાજો ને નવો ભાસે છે. પાછળ રહી ગયેલ સ્નેહીજનોને બરફ સાથે કે પાકતા જતા દાણા સાથે સરખાવીએ તો એના પર પડતો સૂર્યપ્રકાશ એ મર્યા બાદ પણ મૃતક તરફથી મળતી રહેનાર હૂંફ છે એમ કહી શકાય. જનાર ભલે ગયો છે પણ એની હાજરીની હૂંફ પાછળ રહી જનારના જીવનને હીરાની જેમ ચમકતું અને દાણાની જેમ તરોતાજા જ રાખશે. આપણે ત્યાં તો ચોમાસુ એક નિશ્ચિત ઋતુ તરીકે આવે છે પણ પાશ્ચાત્ય દેશોમાં એવું નથી. ત્યાં ચોમાસા જેવી કોઈ ઋતુ હોતી નથી. ગમે તે દિવસે વરસાદ પડી શકે, પણ પાનખરમાં બહુધા જે વરસાદ પડે છે એ મંદ-મંદ હોય છે. એ ભીની ઠંડક પહોંચાડે છે પણ સરાબોળ ભીંજવતો નથી. મૃતક પાનખરમાં હળુહળુ પડતો આવો ઋજુ વરસાદ છે. વળી, દાણો પક્વ થાય એટલે એને કાપવાનો સમય થયો ગણાય. દાણો પક્વ થયા બાદ કવિતામાં પાનખર અને વરસાદ આવે છે. દાણા કપાઈ ગયા છે એટલે કે પાનખર આવી ગઈ છે પણ વરસાદ પડવો શરૂ થયો છે, મતલબ ધરતી ફરી તૃપ્ત બની રહી છે અને નવા બીજ ફૂટવાની આશા આકાશમાંથી મંદ-મંદ વરસી રહી છે.

સવારે મોસૂઝણાના સમયે રાત્રિના અંધકાર દરમિયાન શાંત થઈ સૂઈ રહેલા પક્ષીઓનાં ઝુંડ વર્તુળાકારમાં ઊડ્ડયન આદરી આકાશમાં ઊંચે જાય છે ત્યારે એ લોકો પોતાના ખભા પર રાતનું અંધારું સાથે ઊંચકી જતાં હોય એમ અનુભવાય છે. પક્ષીઓના આવા ટોળાંને ઊઠાડીને ઉર્ધ્વગતિ માટે પ્રેરનાર અબાબીલ પોતે જ છે એમ જ્યારે મૃતક કહે છે ત્યારે સ્વજનોની જિંદગીમાંથી મૃતક અંધારું હટાવીને પ્રભાતનું અજવાળું પાથરનાર હોય એમ નૂતન આશાની અનુભૂતિ આપણને થાય છે. વર્તુળાકાર ઊડ્ડયન पुनरपि जननम् पुनरपि मरणम् ના જીવનચક્ર તરફ પણ આપણું ધ્યાન દોરે છે. ઊંઘમાંથી જાગવા તરફનો અને ઊંચે આકાશ તરફ ઊઠવાની વાત બાઇબલનું પણ સ્મરણ કરાવે છે. રાત્રે આકાશમાં ઝીણું ઝીણું ટમકતા મૃદુ તારાઓ પણ પોતે જ છે એમ એ કહે છે. રાત્રે ચંદ્ર પણ ન હોય તોય ગાઢા અંધકારમાં પણ તારાઓ ઓછા તો ઓછા, પણ પ્રકાશની સતત હાજરીની અનુભૂતિ કરાવે છે. જીવનના ગાઢતમ અંધારામાં પણ તેઓ આશાના કિરણ સમા છે. ફૂંકાતા પવનોનું જોશ, બરફ પર ચળકતી હીરાકણીઓનું ઐશ્વર્ય, સૂર્યકિરણની ઉષ્મા, પાનખરના વરસાદની ભીનપ, વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી ખુલતી સવારના જીવનચક્રથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓના પ્રકાશની આશા– એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે.

કાવ્યાંતે નજીવા ફેરફાર સાથે કવયિત્રી શરૂઆતની બંને પંક્તિઓનું પુનરાવર્તન કરે છે. શરૂમાં હું ઊંઘી નથી કહીને મૃત્યુ તરફ સંકેત કર્યા બાદ કાવ્યાંતે હું મરણ પામી નથી એમ સાફ કહીને, ફરી એકવાર અધિકૃત અવાજમાં આદેશ આપતાં હોય એ રીતે કવયિત્રી આપણને શોક નથી જ કરવાનો એમ સાફ કહે છે. કથનની પુનરોક્તિ અને નજીવા શબ્દફેરના કારણે વાત વધુ દૃઢીભૂત થાય છે અને કવિતા જ્યાં પૂરી થાય છે ત્યાં ભાવકને કવિની વાત ફરજિયાત સ્વીકારવાની થાય છે. મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ. કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે. એ કબર નીચે અટકવાની નહીં પણ પ્રકૃતિમાં ભટકવાની વાત કરે છે. અહીં, સપાટી પર તો આપણને મૃત્યુ દેખાય છે, પણ સાચો અંડર-કરન્ટ જીવનનો છે. અને આ જ કારણોસર વિશ્વભરમાં શોકસભાઓ માટેની એ પહેલી પસંદ બની રહી છે…

ગ્લૉબલ કવિતા : ૧૨૨ : રંગપિયાલો -હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

રગેરગ ચડતો સંગના રંગનો નશો…

નશા હજાર જાતના હોય છે પણ પ્યારના કેફ સામે બધા જ ફીકાફસ. ને એમાં પણ બે જણ વચ્ચેના પ્રેમનો જ્યારે સ્પર્શની ભાષામાં તરજૂમો થાય ત્યારે જે નશો ચડે એની તો વાત જ કંઈ અલગ. આજે જો કે સ્નેહસંબંધની પરિભાષા ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રેમ અને પથારીની વચ્ચે હવે ઝાઝું અંતર રહ્યું નથી પણ એક સમય એવો હતો જ્યારે બે જણ પ્રેમમાં પડે અને વાત સ્પર્શ સુધી પહોંચે એની વચ્ચે થોડું અંતર રહેતું. સ્પર્શ આલિંગનમાં પરિણમે એની વચ્ચે તો કદાચ કિલોમીટર જેટલો લાં…બોલચ્ચ સમય પસાર થતો. અને કદાચ એટલે જ એ પહેલો સ્પર્શ, પહેલું આલિંગન, પહેલું ચુંબન પ્રેમીઓ જીવનભર ભૂલી શકતાં નહોતાં. પહેલાનો તો રોમાંચ જ અલગ. પ્રથમ પ્રેમની પ્રથમ શારીરિક અનુભૂતિઓના ગીત કવિઓ વર્ષોથી લખતા આવ્યા છે, લખતા રહેશે. પણ હસિત બૂચનું ‘રંગપિયાલો’ કાવ્ય કદાચ આ પ્રકારના ગુજરાતી ગીતકાવ્યોમાં શિરમોર કહી શકાય એટલું બળકટ અને ઋજુ થયું છે.

હસિતકાન્ત બૂચ. ૨૬-૦૪-૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે જન્મ. માતા સવિતાલક્ષ્મી કવયિત્રી અને પિતા હરિરાય પત્રકાર-ગ્રંથકાર. બહુ નાની વયે સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૨માં બી.એ. તથા ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કરી. બંને વાર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ!! અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય જોડાણ. શરૂઆતમાં એકાદ વર્ષ મુંબઈ રાજ્યના માહિતી ખાતામાં તંત્રી તરીકે કામ કર્યું. બાદમાં ૧૯૪૬થી ૭૧ સુધી લાગલગાટ પચ્ચીસ વર્ષો સુધી સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક અને આચાર્ય તરીકે સેવા બજાવી. પરિણામે ગુજરાતી સાહિત્ય સર્જનમાં મજબૂત ફાવટ સાંપડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિનયન વિભાગના ડીન બન્યા. ૧૯૭૧થી ૮૧ સુધી ગાંધીનગર ખાતે ભાષાનિયામક રહ્યા અને ભારત સરકારની ભાષા-સમિતિઓમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે એમણે સેવાઓ આપી. ૧૯૮૨થી વડોદરા ખાતે સ્થાયી થયા. વડોદરામાં ‘ગુજરાતી સાહિત્ય મંદિર’, વિસનગરમાં ‘કવિસભા’ તેમજ ગાંધીનગરમાં ‘મિજલસ’ની સ્થાપના કરીને એમણે પોતાના અને અન્યોના સાહિત્યરસને પોષવામાં ચાવીરૂપ કામગીરી બજાવી હતી. વડોદરા ખાતે એમણે સ્થાપેલી ‘ગ્રંથ ગોષ્ઠિ’ તો આજે ૩૭ વર્ષ થયા હોવા છતાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ વાગ્યે સરદાર ભવન ખાતે અચૂક યોજાય છે. ક. મા. મુનશી જેવી ધારદાર ચાંચવાળી ગાંધીટોપી, ખાદીનો સફાઈદાર પરિવેશ, કાનની ઉપર મોડ આપેલા વાળ, સૌમ્ય વદન, ઉજ્જ્વલ વર્ણ, નાગરી વ્યક્તિત્વ અને સુરીલા કંઠથી તેઓ અલગ તરી આવતા. સ્વરરચનાના જાણતલ. ગીત-ગઝલો સ્વરબદ્ધ કરવામાં એક્કો. કવિસંમેલનોમાં ‘ગાતા કવિ’ તરીકે ચાહના પામ્યા હતા. કાગળની ઘડીઓ વાળી કટિંગ કરી રંગોળી પૂરવા કામ લાગે એવા નક્શીદાર ફર્મા બનાવવામાં નિષ્ણાત. પુત્રી નિર્ઝરી મહેતા પણ સાહિત્યકાર છે. ૧૪-૦૫-૧૯૮૯ના રોજ વડોદરા ખાતે હૃદયરોગના હુમલાથી નિધન.

કવિતામાં ગઝલ કરતાં ગીત એમને સવિશેષ માફક આવ્યાં છે. એમના ગીતોમાંથી જે ગામઠી ભાષાની તળપદી મહેંક ઊઠે છે એ પ્રદ્યુમ્ન તન્ના અને વિનોદ જોશીની યાદ અપાવે છે. અછાંદસ કાવ્યોમાંય એમની કલમે સુપેરે ગતિ કરી છે. કવિતા ઉપરાંત વિવેચન, નવલકથા, વાર્તા, નાટકો, અનુવાદ, ચરિત્રલેખન, બાળકાવ્યો અને સંપાદનો વગેરેના ત્રણ ડઝનથી વધુ પુસ્તકો એમણે આપ્યાં છે. Window નામે અંગ્રેજી તથા ईषत् નામે હિંદી કાવ્યસંગ્રહની યશકલગીથી એમનો તાજ સુશોભિત છે. ધમ્મપદ તેમ જ સિદ્ધહેમ જેવા ગ્રંથોના સબળ અનુવાદ એમણે આપ્યા છે. સમર્થ સર્જક અને કવિના ધર્મપત્ની જ્યોત્સ્ના બૂચ સાથે મળીને એમણે સહિયારા પુસ્તકોથી પણ આપણી ભાષાને રળિયાત કરી છે. સાહિત્યજગતની ખેંચતાણ એમને બહુ માફક આવી નહીં એટલે લાયકાત મુજબ પોંખાયા નહીં. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપર કે ગુજરાત સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’માં પણ સર્જકનું નામ દીવો લઈને શોધવા બેસીએ તોય જડતું નથી.

રંગપિયાલો’ ગીત કદ-કાઠીની દૃષ્ટિએ સાવ નાનકડું અને પ્રમાણમાં તરત જ સમજાઈ જાય અને વાંચતા જ વહાલું લાગે એવું ગીત છે. હસિત બૂચને આમેય ગીતો વધુ રાસ આવ્યા હોવાનું અનુભવાય છે. પ્રસ્તુત ગીત આ વાતની સાહેદી પૂરાવે છે. પરંપરાગત શૈલીમાં અષ્ટકલ લયમાં ગીત ગતિ કરે છે. બે પંક્તિનું મુખડું, બે અંતરા અને અંતરા સાથેની તુક-પંક્તિ. રંગપિયાલો શબ્દ કાને પડતાં જ જયન્ત પાઠકનું ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ ગીત યાદ આવી જાય. બંને ગીતનો લય પણ એકસમાન જ છે. આ લય દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લે એવો મજબૂત અને પ્રવાહી છે. ‘રંગપિયાલો’ વાંચતા જ કવિની જ એક ગઝલના બે શેર પણ યાદ આવી જાય:

તમે તો અજબ છો: અમારી પિયાલી
ભર્યાયે કરો છો! કરો છોય ખાલી!
પધારે અહીં પળ અને જાય ચાલી;
પિયાલી અમારી ભરી તોય ખાલી!

પ્યાલીના સ્થાને પિયાલી તરફનો કવિનો પક્ષપાત તરત છતો થઈ જાય છે. પ્રસ્તુત રચનાનું ‘રંગપિયાલો’ શીર્ષક કંઈ ખાસ બોલતું નથી. કવિતાનો વિષય શું છે એ વિશે એ કોઈ છણાવટ કરતું નથી. આપણને તો માત્ર રંગનો પ્યાલો જ સમજાય છે અને એટલે એવો વિચાર જરૂર આવવાનો કે કોઈ ચિત્રકાર કે ચિત્રની વાત લઈને કવિ ઉપસ્થિત થયા છે. પણ કવિતા શરૂ થતાં જ કવિ આપણને સાબદા કરે છે. આ રંગપિયાલો કોઈ ચિત્રકારને ચિત્ર દોરવા માટેનું સ્થૂળ સાધન નથી. ‘રંગપિયાલો ચડ્યો’ કહીને કવિ વાત પ્રારંભે છે અને ભાવકને સાવધ કરે છે. વાત ભલે રંગના પ્યાલાની છે, પણ કવિ ચિત્ર કંઈક અલગ જ દોરનાર છે એ તરત જ સમજાઈ જાય છે. શરાબના ચડવાની વાત હોય તો સહેજે સમજાઈ જાય પણ કવિ તો રંગનો પ્યાલો ચડ્યો છે એમ કહે છે. અને કહીને પાછા અટકતા નથી. આ નશો રગેરગમાં ચડ્યો છે એમ કહીને વાતને દોહરાવીને ભારપૂર્વક અંડરલાઇન પણ કરે છે. ગીત ટૂંકુ-ટચરક છે એટલે આ ‘સસ્પેન્સ’ પણ બહુ લાંબુ ચાલવાના બદલે બીજી જ પંક્તિમાં ખૂલી જાય છે. આ નશો સંગના રંગનો છે, સહેવાસનો છે, સ્પર્શનો છે, ચુંબનનો છે, આલિંગનનો છે. બે પ્રેમીઓ એકમેકને વીંટળાઈ વળ્યાં છે. કદાચ આ એકાંતવાસ બહુ મર્યાદિત હશે. કદાચ કોઈ મિત્ર કે સંબંધી ગમે એ ક્ષણે આવી ચડવાનો ડર હશે. એટલે કવિ ક્ષણભર જ વીંટળાવાની વાત કરે છે પણ ક્ષણને શાશ્વતી સાથે સાધી-સાંધી આપતા કહે છે કે આ એક ક્ષણના આલિંગન થકી પણ પ્રેમનો અમર માંડવો આપણે બેઉએ સર્જ્યો છે. હમમમમ… સંગનો રંગ ખરે જ રગેરગ ચડ્યો જણાય છે!

કવિ સજ્જ કવિ છે. પોતે જે પ્રતીક પ્રયોજે છે એ બાબત એ સતર્ક છે. મુખડામાં માંડવો રચી દીધા બાદ સામાન્ય રીતે જોવા મળે છે એમ કવિ ગીતમાં સહવાસ અને આલિંગન-ચુંબનની વાત અલગ પ્રતીકો વડે કરત તો કંઈ ખોટું નહોતું. પણ કવિને ખ્યાલ છે કે પોતે ક્ષણાર્ધના આલિંગન વડે અ-મર માંડવો રચ્યો છે એટલે માંડવાની વાત જ આગળ વધારીને કવિ ગીતની એકસૂત્રિતા અખંડિત રાખે છે. ઉત્તમ ગીતકારના લક્ષણ કેવા હોય એનો એક પદાર્થપાઠ પણ આપણને સાંપડે છે. આ માંડવો પણ પ્રાચીન સંસ્કૃત નાટકોમાં જોવા મળતો સાદો ફૂલમંડપ નથી. આ મંડપ બે જીવના સાયુજ્યનો, બે આત્માના લગ્નનો મંડપ છે. ચસોચસ સ્પર્શના સંવેદન થકી બેઉના રૂંવેરૂંવાં ફૂલ થઈને મહેકી ઊઠ્યાં છે અને આ ફૂલોની સુગંધ બંનેના શ્વાસોને તર કરી રહી છે. એક સ્પર્શમાં કંઈ કેટલીય શરૂઆતો ગોપિત હોય છે. એક સ્પર્શમાં જગત આખાને અભરે ભરી દે એટલો આનંદ જન્માવવાની તાકાત હોય છે. સ્પર્શની પરાકાષ્ઠાની આ વાત ઉપર પ્રદ્યુમ્ન તન્નાનું મૂળ ઇટાલિયનમાં લખ્યા બાદ જાતે જ ગુજરાતીમાં તરજૂમો કરેલ ‘ઉદભવ’ કાવ્ય યાદ આવે:

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !

રોમરોમ લખલખ આનંદ સ્ત્રોત ઉઘાડતો સ્પર્શ બંને જણે અનુભવ્યો છે. રોમ-રોમ બાગની ક્યારી બનીને ખીલી ઊઠ્યાં છે અને પરસ્પરની કાયાની ખુશબૂ બંનેની ઘ્રાણેન્દ્રિયોને તરબતર કરી રહી છે. સ્પર્શ અને આલિંગન પછીના તબક્કામાં વાત આગળ વધે છે અને સાહજિકપણે ચુંબન સુધી આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના બિનજરૂરી શબ્દો કે શબ્દાડંબર વાપર્યા વિના કવિ દ્યુત ગતિએ પ્રણયના અહેસાસના તબક્કાઓ એક પછી એક વટાવે છે. હોઠ હોઠ સાથે મળીને ઓષ્ઠદ્વયમાંથી અદ્વય સર્જે છે. અને જ્યાં ચાર હોઠ અને બે કાયા એક થયા નથી કે તરત જ હૈયાના પાંદડાઓ મસ્તીના લયમાં લહેરવા માંડે છે. ક્ષણભરના આલિંગનના અ-મર માંડવા તળેના સાયુજ્યની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની આ ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… મૌન જ બોલશે… મૌન જ ગાશે… ‘અહો’ ઉદગારીને કવિ વાતને વળ ચડાવે છે. ગીતમાં ક્યાંય ‘હું’ કે ‘તું’ નજરે ચડતા નથી, નજરે ચડે છે તો માત્ર ‘આપણે’ જ. આલિંગનનો તો કેફ જ નિરાળો. પ્રેમનો તો નશો જ અલગ. અમલનો બીજો અર્થ અસર કે પ્રભાવ પણ અહીં લાગુ પાડી શકાય. નશાથી વાત શરૂ થઈને નશા સુધી આવે છે ને અહેસાસનું એક વર્તુળ પૂરું થાય છે. કવિએ જે બાહોશીથી ગીતને તંતોતંત શબ્દોના તાણેવાણે વણ્યું છે એ અદભુત છે. એમના સજાગ કવિકર્મનો એક સાવ નાનકડો નમૂનો પણ જોવા જેવો છે, જ્યાં માત્ર થોડા શબ્દોની હેરફેરથી અષ્ટકલ લય પ્રયોજીને એમણે સામાન્ય વાતમાંથી પણ ઉમદા કવિતા ઉપસાવી છે:

લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર!…
પાંદડુ ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર!…
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર!

વિખવાદ ઓગળી જાય તો વયષ્ટિને વધાવવા સાક્ષાત્ સમષ્ટિ ઊમટી આવે છે. ક્ષણભરના આલિંગનમાં બે જણ ઓગળ્યાં એ દૃશ્ય નિરખવાને આખું આકાશ કમરાની બારીએ ઝૂકીને આવી ચડ્યું છે અને માત્ર આવ્યું નથી, હરખાઈ પણ રહ્યું છે. પ્રેમની આ કમાલ છે. પ્રેમ કરનારને અને જોનારને બંનેને ન્યાલ કરે છે. સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? દૂ……ર ક્ષિતિજની આંખ પણ મલકે છે. આ આલિંગન કયા સમયની વાત હોવી જોઈએ એનો અણસારો કવિ અહીં આપે છે. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો છે અને કુદરતની આ આંખ પણ પ્રિયજનોના આશ્લેષને જોઈને કેવી તો મલકાઈ રહી છે! સમય સાંજનો છે એ વાતને ફરી એકવાર પુષ્ટિ મળે છે કેમ કે આથમતી સાંજના તડકાના સોનેરી-કેસરી રંગો ઓરડાને એ રીતે ભરી દે છે, જાણે ઐક્યના આ ઓચ્છવ પર ઓરડામાં કેસરવૃષ્ટિ ન થતી હોય! કવિ કેસર વરસતું અનુભવીને અટકતા નથી. માત્ર ઓરડો જ કેસરી રંગે રંગાયો નથી, પ્રિયપાત્રના અંગાંગ પણ જાણે નિર્ગુણ નિરાકારે જાતે પીઠી ન લગાવી હોય એમ આ રંગે રંગાઈ રહ્યાં છે. ‘અલખ’ એટલે ન દેખાય એવું. {અ (નહિ) અને લક્ષ્ય (દેખાય એવું)} ઈશ્વર આપણને દેખાતા નથી એટલે એની સાથે આપણે અલખ વિશેષણ જોડી દીધું છે. અહીં, ઈશ્વર પોતે પીઠી લગાવતા હોય એવો અર્થ પણ નીકળે છે અને દેખી ન શકાય એવી પીઠી તડકાના કારણે અંગેઅંગ લાગી રહી છે એવો અર્થ પણ કાઢી શકાય. બંને સંજોગોમાં લગ્નમંડપ સાથે સંકળાયેલી ઘટના જ તાદૃશ થઈ રહી છે. બંને પક્ષે સ્નેહામૃત લુંટાવ્યું છે અને લૂંટ્યુંય ખરું. કેવો પ્રેમનો અમલ! કેવું અમી! ખુદ કાળ પણ અટકી ગયો છે, વહેવાનું છોડી દઈ લટકામાં લળી લળીને સલામ ભરે છે…

ગીતમાં સુરભિ, આશ્લેષ, અલખ જેવા સંસ્કૃત શબ્દોની અડોઅડ શહનાઈ, અમલ અને મુજરો જેવા અરબી-ફારસી શબ્દો જે રીતે કાવ્યનાયક-નાયિકાની જેમ જ એકમેકને આલિંગીને ભાવકના ચિત્તતંત્રને લગરિક પણ ખટકે નહીં એવું અનૂઠું મિલન રચે છે એ સહજ સબળ કાવ્યકૌશલ્યનું દ્યોતક છે. આલિંગનનું આવું મજાનું ગીત આપણી ભાષામાં ઓછું જ જડે છે. ખૂબ નાની જગ્યામાં, નાના અમથા આલિંગનના અહેસાસને કવિએ જે રીતે બહેલાવ્યો છે એ ભાવકસંવિદને ઉજાગર કરી જાય છે. એકબીજામાં મગન થઈને પ્રેમરસ પાયે રાખવાની વાત કરતી આ જ કવિની આવી જ અદભુત ગીતરચના –‘નિરંતર’-, જે વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો પડે એ પણ સાથોસાથ માણીએ:

એક નિરંતર લગન :
અમે રસ પાયા કરિયેં !
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં !

કોઈ ચાંગળું લિયે, પવાલું-
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી,
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં :

સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન !
અમે બસ ગાયા કરિયેં !

ગ્લોબલ કવિતા : ૧૨૧ : પ્રથમ વિજય-ગીત – એમર્જિન

First Triumph-Song

. I, the Wind at Sea,
. I, the rolling Billow,
. I, the roar of Ocean,
. I, the seven Cohorts,
. I, the Ox upholding,
. I, the rock-borne Osprey,
. I, the flash of Sunlight,
. I, the Ray in Mazes,
. I, the rushing Wild Boar,
. I, the river-Salmon,
. I, the Lake o’er plains,
. I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
. Who can lead to falling waters ?
. Who can tell the white Moon’s ages ?
. Who can draw the deep sea fishes ?
. Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

પ્રથમ વિજય-ગીત

હું, પવન દરિયા પર,
હું, ઊછળતું મોજું,
હું, દરિયાનું ગર્જન,
હું, સાતેય પલટન,
હું, ઉર્ધ્વમુખી હરણું,
હું, પહાડી બાજ,
હું સૂર્યનો ઝબકારો,
હું, ભૂલભૂલૈયે કિરણ,
હું, ધસતું જંગલી સૂવર,
હું, નદીની સાલમન,
હું, તળાવ મેદાની,
હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ…

‘હું’ – ‘I’ – ‘मैं’: દુનિયામાં સૌથી નાનામાં નાનો શબ્દ હોવા છતાંય સૌથી મોટામાં મોટો ને સૌથી વધારે વજનદાર શબ્દ. દુનિયામાં જે કંઈ રામાયણ-મહાભારત આજ સુધીમાં થયાં એ બધાં માત્ર આ એક શબ્દના કારણે જ થયાં. ‘હું’ એટલે મનુષ્યનો અહમ્. અહમ્ ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે અહમ્. અહમ્ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. માણસના ‘હું’નો પરિઘ ‘સ્વ’ સુધી જ સીમિત હોય છે, ઈશ્વરનો ‘હું’ ‘સર્વ’ને સમાવી લે છે. આપણો ‘હું’ એટલે માત્ર વ્યષ્ટિ, ને પરમેશ્વરનો ‘હું’ યાને સમષ્ટિ. આવું જ મજાનું ‘હું’પુરાણ લઈને પ્રાગૈતિહાસિક કવિ એમર્જીન અહીં ઉપસ્થિત છે.

એમર્જીન ગ્લુઇન્ગલ અથવા એમર્જીન ગ્લુન્મર ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ અને ધર્મોપદેશક હતો. મિલેસિઅન લોકો એ જમાનામાં આયર્લેન્ડ પર ચડાઈ કરનાર આખરી જાતિ હતી, જેમાં મિલ એસ્પેઇનના સાત દીકરાઓમાંનો એક એમર્જીન પણ સામેલ હતો. આયર્લેન્ડના ત્રણ રાજાઓએ એમર્જીનના કાકાની કાવતરાપૂર્વક કરેલી હત્યાના જવાબમાં એ લોકોએ આ આક્રમણ કર્યું હતું. વિચિત્ર લાગે એવી આ ચડાઈમાં એમર્જીને મધ્યસ્થીની અને નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવી હતી. એણે લડાઈના નિયમો નક્કી કર્યા. એ મુજબ મિલેસિઅનોએ ત્રણ દિવસ માટે પીછેહઠ કરીને ‘નવ લીલા મોજાંઓ’ જેટલા પાછા જવાનું હતું. (આ નવ લીલાં મોજાંઓ વિશે વિસ્તૃત જાણકારી ક્યાંય મળતી નથી!) આઠ શ્લોકોની કવિતામાં એમર્જિને આ ફરમાન બહાર પાડ્યું હતું. મિલેસિઅનોને રોકવા માટે આયર્લેન્ડના ધર્મગુરુઓએ જાદુઈ તોફાન ઊભું કર્યું, જે અયોગ્ય હતું. એમર્જીને આયર્લેન્ડના આત્માનું ગીત ગાઈને આહ્વાન કર્યું, તોફાનને નાથ્યું અને એમનું જહાજ સહીસલામત જમીન પર લાંગરી શક્યું. આયર્લેન્ડની ભૂમિ પર પગ મૂક્યો એ વખતે એમર્જીને આ ગીત ગાયું હતું એમ મનાય છે. મિલના એમર્જીન સહિતના બચી ગયેલ ત્રણ સંતાનોએ ત્રણેય રાજાઓનો ખાત્મો બોલાવ્યો. એમર્જીને જીતેલ પ્રદેશને બે ભાઈઓમાં વહેંચી આપ્યો અને રાજા બનેલ બે ભાઈઓએ એમર્જીનને મુખ્ય ઓલ્લામની પદવી આપી. મિલેસિઅન પુરાણોમાંની ઘણી કવિતાઓ એમર્જીનના નામે બોલે છે.

એમર્જીનનું ‘પ્રથમ વિજય-ગીત’ પ્રાચીન કૅલ્ટિક કવિતા છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વે મોટા ભાગના યુરોપ તથા એશિયાઈ ઉપખંડોમાં બોલાતી ભાષા કૅલ્ટિક (અથવા સૅલ્ટિક) ભાષાઓ કહેવાય છે, જે હિંદ-યુરોપીય ભાષા પરિવારનો એક ફાંટો હતો. પ્રારંભિક મધ્યયુગીન સમયમાં લખાયેલ આ કવિતાનો આખેઆખો મૂળપાઠ તો આજે ઉપલબ્ધ નથી. એક અનુમાન મુજબ આ રચના લગભગ બત્રીસસો-તેંત્રીસસો વર્ષ પહેલાં ઈ.પૂ. ૧૨૬૮માં લખાઈ હશે. આ કવિતાના સેંકડો અનુવાદો ઉપલબ્ધ છે. દરેક અનુવાદકે પોતપોતાની સમજણનો અર્ક ઉમેરવાની કોશિશ કરી છે. પ્રસ્તુત અનુવાદ જ્યૉર્જ સાઇગરસનના ૧૮૯૭ના ૪૫૦ પાનાંના દળદાર પુસ્તક ‘બાર્ડ્સ ઑફ ધ ગેલ એન્ડ ગૉલ (BARDS OF THE GAEL AND GALL) – ઇક્ઝામ્પલ્સ ઑફ ધ પોએટિક લિટરેચર ઑફ એરિન’માંની કવિતા પરથી કરાયો છે. આ પુસ્તકમાં ગેલ સાહિત્યના સૌથી પહેલા પ્રકરણથી લઈને આજપર્યંતની આખી યાત્રા સમાવી લેવાઈ છે અને મૂળ ભાષાની કવિતાઓ પણ અનુવાદની હારોહાર યથાતથ રજૂ કરવામાં આવી છે. સાઇગરસને મૂળ કવિતાઓમાં પ્રયોજાયેલ પ્રાચીન છંદો અને પ્રાસયોજના પણ અદ્દલ સાચવવાની જે નિષ્ઠાવાન કોશિશ કરી છે એ અન્ય અનુવાદકો ચૂકી ગયા છે. આ કારણોસર સાઇગરસનના અનુવાદ મૂળ કવિતાને વધુ સંનિષ્ઠ અને વધુ નજીકના હોય એમ લાગે છે. ૧૮૫૭માં પ્રગટ થયેલ ‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ ઑસિઆનિક સૉસાયટી’ના પ્રૉ. કોનેલાન દ્વારા સંપાદિત ૩૫૦ પૃષ્ઠોમાં પથરાયેલ પાંચમો ભાગ, આયર્લેન્ડના કવિઓ અને કવિતાઓનો પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે જેમાં આ કવિતાનો જે ગદ્યાનુવાદ જોવા મળે છે એ સાઇગરસનના અનુવાદની ખાસ્સો નજીકનો છે. ચાર્લ્સ સ્ક્વાયરના ૧૯૦૫ના ૪૫૦ પાનાંના પુસ્તક ‘કૅલ્ટિક મિથ એન્ડ લિજેન્ડ’માં જોવા મળતો ગદ્યાનુવાદ પણ સાઇગરસનના અનુવાદને મળતો આવે છે. જાણીતા અનુવાદક રૉબર્ટ ગ્રેવ્સે ‘વાઇટ ગોડેસ’ પુસ્તકમાં અલગ જ અનુવાદ રજૂ કર્યો છે, જેને ઘણાં પ્રમાણભૂત ગણે છે. પણ મૂળ રચના કરતાં ગ્રેવ્સના અનુવાદમાં પંક્તિઓનો ક્રમ ખાસ્સો ઊલટોસૂલટો છે અને કેટલીક પંક્તિઓ તો ગ્રેવ્સે જાતે જ ઘડી કાઢી છે. પ્રૉ. જૉન મેકનેઇલ, ‘ધ બુક ઑફ લિકેન એન્ડ ધ બુક ઑફ ધ ઑ’ક્લેરિસ’માં ઑ’ક્લેરિસ, જૉન મેકએલિસ્ટર તથા લેડી અગસ્ટા ગ્રેગરી (૧૯૦૪)ના અનુવાદો ઉપરાંત અસંખ્ય નાના-મોટા અનુવાદો આ કવિતાના થયેલા જોવા મળે છે. પણ સાઇગરસન જે રીતે આયર્લેન્ડના સાહિત્યના મૂળ અને કુળને વળગીને ચાલ્યા છે એ જોતાં એમનો અનુવાદ મૂળ કૃતિથી સહુથી નજીકનો હશે એમ ધારી શકાય.

ઉપર જેની વાત કરી એ રૉબર્ટ ગ્રેવ્સનો અનુવાદ મૂળ કવિતાથી ઘણે દૂર હોવા છતાં એને વિદ્વાનોએ ઘણું માન આપ્યું છે એનું પ્રમુખ કારણ ગ્રેવ્સે કવિતાનું બિલકુલ અલગ રીતે જે પૃથક્કરણ કર્યું છે એ ગણી શકાય. આજે તો કેલેન્ડર/તારીખિયું માત્ર સાદા અને રેખિક સમયના ઉપકરણ માત્ર છે, જેના ઘટકને દિવસો કહેવામાં આવે છે, જે અનિશ્ચિત કાળ સુધી અને નિર્બાધ રુપથી એકની પાછળ એક આવ્યે રાખે છે. હકીકતમાં કેલેન્ડર ગતિશીલ બ્રહ્માંડને ઉઘાડી આપતી ચાવી, એક સાચું જ્ઞાનનું ઓજાર છે. સાદી ભાષામાં કેલેન્ડર વૈશ્વિક નિર્માણની વાત કરે છે, જે ચંદ્રના પૃથ્વી ફરતેના, પૃથ્વીના સૂર્ય ફરતેના અને પોતાની ધરી પરના ભ્રમણની સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક ગણતરી સૂચવે છે. ગ્રેવ્સના મતે ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું ત્યારે પોતાના મૂળ સાચવી રાખવા માટે ખાનગી મૂળાક્ષરો વાપરવામાં આવતા. પ્રાચીન કૅલ્ટિક કેલેન્ડર તરીકે કામ કરતા આવા મૂળાક્ષરો એમર્જીનના ગીતમાં ગ્રેવ્સે શોધી કાઢ્યા. તત્કાલિન આઇરિશ મૂળાક્ષરોમાં પ્રયોજાતા ૧૩ વ્યંજન અને ૫ સ્વર એ ઓળખી બતાવે છે. એ કહે છે કે આ મૂળાક્ષરોની ગોઠવણી કઈ રીતે છે એની નિશાની એનર્જીને ડોલ્મેન વિશે આપેલા સંદર્ભમાંથી મળી આવે છે. ડોલ્મેન એટલે છથી સાત હજાર વર્ષ જૂની વિશાળ ઊભા પથ્થરો પર એક આડો પથ્થર ગોઠવીને રચવામાં આવેલ કહેવાતી કબરો. વ્યંજનો અને સ્વરોની ગોઠવણી વડે ગ્રેવ્સ મૂળાક્ષરોનું ડોલ્મેન રચી બતાવે છે, જે કેલેન્ડર તરીકે કામ આપે છે. આ મૂળાક્ષરો, ડોલ્મેનનું ચિત્ર અને કેલેન્ડર સમજાવવું પ્રસ્તુત લેખના પરિઘ બહારની વાત છે.

ડોલ્મેનનો ઉપયોગ આઇરિશ મૂળાક્ષર શીખવવાના નમૂના તરીકે કરાતો હોવાની ગ્રેવ્સની આ શોધ પ્રખ્યાત સ્ટોનહેન્જની વિરાટકાય શીલાઓને આયર્લેન્ડથી સેલિસ્બરી લઈ જનાર જાદુગર મર્લિનની લોકવાયકાને વધુ રસિક બનાવે છે. પથ્થરોની આ સાંકેતિક ભાષા ઉકેલી શકાય તો હજારો વર્ષ જૂનાં સ્ટોનહેન્જના રહસ્યમયી શિલાશિલ્પોને કદાચ પુસ્તકની જેમ જ વાંચી શકાય એવી સંભાવના નકારી ન શકાય.

ખેર, આપણે એમર્જિનની કવિતા તરફ આગળ વધીએ. એમર્જિનની અન્ય કવિતામાં કોનાક્લોન પ્રકારની વિશિષ્ટ પ્રાસરચના જોવા મળે છે જેમાં પંક્તિનો છેલ્લો શબ્દ આવનારી પંક્તિના પહેલા શબ્દ સાથે પ્રાસ મળવે છે અને એ પછીના બંને શબ્દો વર્ણસગાઈ ધરાવે છે. પણ આ કવિતામાં વિશિષ્ટ પ્રકારનું Rosg મીટર પ્રયોજાયું છે, જે નાનાં અને ઝડપી વાક્યોથી બને છે અને લયબદ્ધ હોવા છતાં પ્રાસબદ્ધ હોતું નથી. આપણે લોકો એમ માનીએ છીએ કે ‘બ્લૅન્ક વર્સ’ (પ્રાસરહિત છંદોબદ્ધ પદ્ય) એ આધુનિક કવિતાની દેણ છે પણ એમર્જિનની આ કવિતાને બ્લૅન્ક વર્સના પ્રાચીનતમ ઉદાહરણ તરીકે સ્થાન આપી શકાય એમ છે. વળી, રચનાને સાવ પ્રાસરહિત પણ ગણી શકાય એમ નથી. કવિએ અંત્યાનુપ્રાસના સ્થાને પ્રારંભ-પ્રાસ પ્રયોજ્યા હોય એમ અનુભવયા છે કેમ કે મોટાભાગની પંક્તિઓ ‘હું’, ‘કઈ દિશામાં’ અને ‘કોણ’થી શરૂ થાય છે. આ પ્રારંભ-પ્રાસ પુનરોક્તિ વડે કાવ્યભાવને પણ સઘનતા બક્ષે છે. એમર્જિનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આટઆટલા હજાર વર્ષ પહેલાં પણ કવિઓમાં છંદ, લય, પ્રાસ, વર્ણસગાઈ વગેરે કાવ્યતત્ત્વની કેટલી ઊંડી સૂઝ હશે એનો ખ્યાલ આવે છે અને સહજ આશ્ચર્ય થયા વિના રહેતું નથી.

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. ડૉ. મેકઅલિસ્ટર આ ગીતને ‘બ્રહ્માંડની એક પંથિક અવધારણા, જ્યાં દૈવત્વ સર્વત્ર અને સર્વશક્તિમાન છે’ ગણાવે છે. એમના મતે આ ગીત કુરાન કે ખ્રિસ્તી ધર્મગ્રંથોના પ્રારંભિક પ્રકરણ સમું છે. જુલિયસ સિઝરે જ્યારે કહ્યું હતું કે, ‘કૅલ્ટ ધર્મગુરુઓ તારાઓ અને તેમના ગતિઓ, વિશ્વ, જમીનના કદ, કુદરતી તત્વજ્ઞાન અને દેવતાઓના સ્વભાવ વિશે શીખવે છે’ ત્યારે એના મનમાં આ સ્તોત્ર હોવું જોઈએ. પ્રકૃતિની સ્તુતિ તો આમેય લગભગ દરેક સંસ્કૃતિના પ્રારંભકાળમાં જોવા મળે જ છે. આ કવિતાને પણ એ સંદર્ભમાં જોઈ શકાય. કુદરતની કવિતા લગભગ બધી જ ભાષામાં કવિતાની જનેતા છે. રૉબર્ટ ગ્રેવ્સના મતે તો, ‘અંગ્રેજી કાવ્ય શિક્ષણની શરૂઆત, ખરેખર તો, કેન્ટરબરી ટેલ્સથી નહીં, ઓડિસીથી નહીં, જિનેસીસથી પણ નહીં, પરંતુ એમર્જીનના ગીતથી થવી જોઈએ, જે ટૂંકાણમાં મુખ્ય કાવ્યાત્મક માન્યતાઓનો સારાંશ રજૂ કરે છે.’

આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. કહે છે, હું દરિયા પર વાતો પવન છું, દરિયાનું ઊછળતું મોજું છું, દરિયાની ગર્જના પણ હું છું અને સાતેસાત સેનાઓ પણ હું જ છું. ગીત એ જ લયમાં આગળ વધે છે. કવિતામાં ચાર સજીવોનો ઉલ્લેખ આવે છે- હરણ, બાજ, સૂવર અને સાલમન માછલી. સાઇગરસન સહિત કેટલાક અનુવાદકોએ મૂળ Lam શબ્દનો અનુવાદ Ox યાને બળદ કર્યો છે તો કેટલાકે Stag યાને હરણ કર્યો છે, જે વધુ તાર્કિક લાગે છે. આઇરિશ પુરાણકથાઓમાં તુઆન મેક કૈરિલ (કૈરિલનો પુત્ર)ની વાત આવે છે, જે પ્રલય-પૂરથી બચનાર એકમાત્ર મનુષ્ય હતો. કાળક્રમે એ હરણ, જંગલી સૂવર, બાજ અને અંતે સાલમન માછલીરૂપે જન્મ લે છે અને આઇરિશ ભૂમિ પર થનાર અતિક્રમણોનો સાક્ષી બને છે. માછલીને કૈરિલની પત્ની આરોગી જતાં તેણી ગર્ભવતી બને છે અને તુઆન મેક કૈરિલનો જન્મ થાય છે, જે આયર્લેન્ડનો ઇતિહાસ સંભળાવે છે. એટલે હરણ વધુ યોગ્ય પર્યાય જણાય છે. પાડો શક્તિ અને પૌરુષનું પ્રતીક છે તો હરણ ચપળતાનું. બાજ ઝડપનું, જંગલી સૂવર શક્તિ અને સાહસનું, તો નદીની માછલી જ્ઞાનના જળરાશિનું પ્રતીક છે. સૂર્યનો ઝબકારો પણ હું જ છું અને ભૂલભૂલામણીમાંનું કિરણ પણ હું જ છું. એમ હું-પુરાણ હું સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર છું એમ કહેવા સુધી લંબાય છે. પણ આ હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. કોઈ કવિ પોતાનો વિજયહુંકાર કરતો હોય એના કરતાં વધુ આ હુંકાર પૌર્વાત્ય સભ્યતા અને માન્યતા-સંસ્કારો સાથે વધુ સામ્યતા ધરાવતો હોય એમ અનુભવાય છે.

પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે: હું જળમાં રસ છું, ચન્દ્ર તથા સૂર્યમાં પ્રકાશ છું, સઘળા વેદોમાં ૐકાર છું, આકાશમાં શબ્દ તેમજ મનુષ્યોમાં સામર્થ્ય છું. (0૭:૦૮) હું પૃથ્વીમાં પવિત્ર ગંધ તથા અગ્નિમાં તેજ છું, સર્વ જીવોમાં જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. (૦૭:૦૯) હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, હું જ તર્પણ, ઔષધિ અને મંત્ર છું. હું જ ઘી, હું જ અગ્નિ, હું જ આહુતિ છું. (૦૯:૧૬) હું આ બ્રહ્માંડનો પિતા, માતા, સ્રષ્ટા તથા પિતામહ છું. (૦૯:૧૭) હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. (૦૯:૧૮) હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ જીવમાત્રનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. (૧૦:૨૦) દસમા અધ્યાયમાં તો ૧૯થી ૪૦ સુધીના શ્લોકોમાં શ્રીકૃષ્ણ પોતે કઈ-કઈ રીતે સચરાચરવ્યાપી છે એનું વ્યાપક વર્ણન કરે છે. ભગવાનનો ‘હું’ સૌ કોઈમાં સમાયેલો છે અને એ જ રીતે ભગવાનના ‘હું’માં જ સૌ કોઈ સમાવિષ્ટ પણ છે. આ ભારતીય સંસ્કૃતિનું મહાગાન છે. શ્રીકૃષ્ણનો આ ‘હું’કાર એમના અહંકારનો દ્યોતક નથી, બલકે ઈશ્વરની સર્વવ્યાપકતાનો મહાઘોષ છે, જે આપણી સંસ્કૃતિનો પ્રાણમંત્ર છે. અને એની સાબિતી ગીતાની પવિત્રતા અને શુદ્ધતાથી બિલકુલ વિપરિત દિશામાં ફાલેલ અને તળિયાનો ગણી શકાય એવા ફિલ્મઉદ્યોગમાં અનાયાસે આવી જતા ગીતોમાંથી મળી આવે છે. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રવિન્દ્ર જૈને જ્યારે ‘मुझ तलक आये न जो, वो रास्ता कोई नहीं; मुझ को देखोगे जहाँ तक, मुझ को पाओगे वहाँ तक, इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ’ ગીત લખ્યું હશે ત્યારે એમની સ્થૂળ નજર સામે તો નાયક-નાયિકાનો પ્રેમાલાપ જ હશે, પણ એમના સૂક્ષ્મ માનસમાં રોપાયેલા ગીતાના સંસ્કારબીજનો જ આ પ્રભાવ હોવો જોઈએ એ વાતને તો કેમ નકારી શકાય?

કવિ અને કવિતાની શક્તિ વિશે એ જમાનામાંય કોઈ શંકા નહોતી. કવિને સર્જનહારની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આગળ, બેઠક ક્યાં કરવી એની વાતો કરાય છે. ખીણમાં કે પર્વત પર? સૂર્યાસ્ત થાય છે એ જગ્યાની પછવાડે? ક્યાં જઈશું તો સુરક્ષા સાંપડશે? કોણ સુરક્ષા આપશે? ઓસરી જતાં પાણીનું સુકાન કોણ સંભાળી શકે? ચંદ્રની કળાઓ મારા સિવાય કોણ ભાખી શકે? ઊંડા જળની માછલીઓને સપાટી પર આણવાનું અને સપાટી પરથી કાંઠે ઘસડી લાવવાનું પરાક્રમ પણ મારા સિવાય બીજું કોણ કરી શકે? મસ્તકની ઉપર આગ કોણ પ્રજ્વાળી શકે? મસ્તક ઉપરની આગમાંથી ઈશ્વર જ મનુષ્યની પ્રજ્ઞાનો વિકાસ કરી શકનાર હોવાની પ્રતીતિની ગુંજ આપણને સંભળાય છે. કવિ જ પયગંબર ગણો તો એ ને ભવિષ્યવેત્તા ગણો તો એ છે. કવિ જ ઈશ્વર છે ને કવિ જ પ્રાર્થના છે. દુશ્મનોને હણનાર જે શસ્ત્રોને આજે અમે હાથમાં લીધાં છે એ શસ્ત્રો જ આપણી જીતના ગીત ગાશે, એ શસ્ત્રો જ ગગન આંબતી ગાથાઓમાં આપણા ભાવિ સિદ્ધિઓનું યશગાન કરશે. શત્રુને હણવાનો અને શત્રુઓ પર વિજયી થવાનો ગીતાનો મધ્યવર્તી વિચાર અહીં પણ સંભળાઈ રહ્યો છે. શત્રુ બહારના હોય કે ભીતરના- વાત તો સરખી જ છે. કોઈપણ પરિસ્થિતિમાં ઘૂંટણિયા ટેકવવાના નથી, જયજયકાર જ મેળવવાનો છે. આવનારી પેઢીઓ એ જ ગાવાની છે. અને આ એનું જ ગીત છે. આ એની જ શરૂઆત છે.

એમર્જીન પછીની પેઢીઓમાં પણ આ કાવ્યપદ્ધતિ પ્રચલિત રહી હશે એમ માની શકાય છે કેમકે કુચુલેન (Cuchulainn)ની કવિતામાં પણ ‘હું પૂરોનો બદલો લેનાર આગ છું, હું ખતરનાક આગ ઝરતો સિંહ છું’ જેવી અભિવ્યક્તિઓ જોવા મળે છે. જો કે આ અભિવ્યક્તિઓ એમર્જિનની જેમ સાર્વત્રિક હોવાના બદલે વૈયક્તિક અહંની દ્યોતક વધારે હોવાનું અનુભવાય છે. પણ એમર્જિનની કવિતામાં शब्द ब्रह्म् નો હાથ ઝાલીને अहम् ब्रह्मास्मिની આહલેક પોકારતા કવિને ઈશ્વરની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આનંદવર્ધને પણ कविः एव प्रजापतिः કહીને કવિને વિશ્વમાં પરિવર્તન આણતા સ્રષ્ટાની ઉપમા આપી છે. ગ્રેવ્સનો મત કે આ કવિતા ખ્રિસ્તી બાહ્યાક્રમણ સામે પોતાની સંસ્કૃતિને સાચવી રાખવા માટેના ગુપ્ત મૂળાક્ષરો છે, એ સાચો પણ હોઈ શકે. છતાં અહીં કવિનું જે ‘વિરાટ દર્શન’ છતું થયું છે એ આજે આટઆટલા સૈકાઓ પછી પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. એમર્જીનની આ કવિતા બ્રહ્માંડની ઉત્પત્તિ, દેવતાઓની પ્રકૃતિ અને ડહાપણનો માર્ગ પ્રશસ્ત કરે છે. અત્ર, તત્ર, સર્વત્ર ઈશ્વર જ છે. ઈશ્વર જ સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. न था कुछ तो खुदा था, न होता कुछ तो खुदा होता….

ગ્લૉબલ કવિતા : ૧૨૦ : વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારૂં લેશ ન રાજી
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગઈ છું ન્યાંથી, એકલી ને સઈ સાથ
કળણવળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આવળ-બાવળ, ખડચંપાનાં ફૂલડાંનો નહીં પાર
ચ્હાય તે ભરજે ચૂલ મારે હુંય ગુંથીશ તુંને હાર
ને ગંધની મીઠી છોળ્ય મહીં કાંઈ રમશે ઓલ્યો વાયરો ઘેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરનાં કે સાવ સોડ્યમાં સરી હાલું
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું
કોઈ નહીં તહીં જળનારું રે નીરખી આપણ નેડો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ ઊંડાં ને માથે ગૂંજતું રાન
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન
એકલાંયે ઘણું ગોઠતું તહીં, પણ જો પિયા ! હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !…

– પ્રદ્યુમ્ન તન્ના

ચાલ, ચાલીએ સાથે સાથે…

પ્રેમીજનોને સૌથી વહાલું શું? તો કે’ એકાંત. હવા પણ વચ્ચે પેસી ન શકે એવું ચસોચસ નૈકટ્ય એ જ પ્રેમીજનોની એકમેવ ઝંખના હોવાની. દુનિયાનો હસ્તક્ષેપ અને દુન્યવીજનોનો પાદપ્રક્ષેપ જ્યાં શક્ય જ ન હોય એવી ‘હું’ અને ‘તું’ની બે જ ઈંટોથી બનેલી ‘આપણે’ની ભીંતે અઢેલીને સમયની આખરી ગલીની પેલે પાર પરસ્પરના સાયુજ્યમાં રમમાણ રહેવા મળે એ જ પ્રેમીજનોની એકમાત્ર આરત હોય છે. ચાર આંખ મળી નથી કે દુનિયા અલોપ થઈ નથી. ‘બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા.’ (મુકુલ ચોક્સી) દુનિયા એ દખલગીરીનું બીજું નામ છે. દુનિયા આડશ છે. અને એકબીજામાં ડૂબકી મારવા માટે પ્રેમીજનોને કાયમ એકાંતના સ્વિમિંગપુલની જરૂર પડતી હોય છે. દુનિયાનો માર્ગ ભલે ને સોનાનો કેમ ન હોય, એકાંટ મળતું હોય તો પ્રેમીઓ પથરાળ કાંટાળા રસ્તાને વધુ વહાલો કરતાં હોય છે. પ્રદ્યુમ્ન તન્ના ‘વિજન કેડો’ ગીતમાં આવા અલગ, એકાંતભર્યા ચીલાની વાત લઈને આવ્યા છે.

પ્રદ્યુમ્ન તન્ના. ૦૭-૦૭-૧૯૨૯ના રોજ જન્મ. ઉભય પક્ષના વડવાઓ મૂળે ગોહિલવાડના. ભાવનગર નજીકના અધેવાડા તથા અક્વાડા ગામના વતની પણ પેટ દહાણુ તરફ ખેંચી લાવેલું. ગોત્રે ઘોઘારી લોહાણા. બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં માતામહને ત્યાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી, તળપદી બોલી અને પ્રાસંગિક ગીત-સંગીત ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યાં. મુંબઈની માધ્યમિક શાળામાં મેઘાણીના પ્રવચનોથી ભીંજાવાની તક સાંપડી. યુવાનીમાં અખાડામાં કાયા પણ કસતા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. ટ્રેનમાં ત્રીજા વર્ગની હકડેઠઠ ભીડમાં, ખખડધડ બસો અને બળદગાડાંમાં અને પગપાળાં દેશની તળભૂમિને શરીર નંખાઈ જાય એ હદ સુધી ખૂંદતા અને કાવ્યો, ચિત્રો અને છબીઓમાં મઢવાની હારોહાર ત્વચા પરના છૂંદણાંની જેમ અંતરસ્થ કરતા રહ્યા. ૧૯૫૯થી ’૬૧ દરમિયાન ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડના ડિઝાઇન સેન્ટર, મુંબઈમાં કામ કર્યું. ’૬૧-’૬૨ની સાલમાં ઇટાલિયન શિષ્યવૃત્તિ મળી ત્યારે ત્યાંની કલાશાળામાં વરસેક ભણ્યા. કાયમી વસવાટ લગભગ ૧૯૭૫થી ઇટાલીમાં આલ્પ્સની પર્વતમાળા વચ્ચે આવેલ એજ નામના સરોવરના પશ્ચિમી કાંઠે આવેલ કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા. ઇટાલી અને અન્ય દેશોના સામાયિકો તથા કલાસંસ્થાઓએ એમની ચિત્રકળા અને છબીકળાને આવકારી અને વધાવી. દેશવિદેશમાં અનેક જગ્યાઓએ તેમનાં કલાપ્રદર્શનો યોજાતાં. ૩૦-૦૮-૨૦૦૯ના રોજ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો અને એમનો એકમાત્ર અ-ક્ષરદેહ ‘છોળ’ આપણી વચ્ચે રહી ગયો…

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં એમનું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી હોવાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ‘ફિનૉમિનલ’થીયે ઊંચુ ને મોટું કોઈ વિશેષણ હોય તો જેમના માટે અચૂક પ્રયોજી શકાય એવા આ કવિને ગુજરાતી ભાષાએ બહુ ઓછા પોંખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તથા વેબસાઇટ પર કે ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’ના ૧૬૨૪ અને સંવર્ધિત આવૃત્તિની ૨૧૧૦ સાહિત્યકારોની યાદીમાં પ્રદ્યુમ્ન તન્નાનું નામોનિશાન સુદ્ધાં જડતું નથી. પ્રદ્યુમ્ન તન્નાના ગીતો તળપદી ગુજરાતીની ખરી અસ્મિતા-અમીરાત સમાં છે. કલેજામાં ગુજરાતનો ટુકડો રાખીને પરદેશમાં જીવવાની કળા એ શીખવે છે. એમનાં શબ્દોની ગૂંથણી અને લોકબોલીની મીઠાશ એવી છે કે વાંચતાવેંત આપણા હૃદયમાં અનન્ય સ્થાન મેળવી લે છે. બાળપણમાં ગળથૂથીમાં મળેલા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંસ્કાર અને કૃષ્ણ-કાનુડા સાથેનો અવિનાભાવી સંબંધ એમના કાવ્યોનો પ્રાણ છે. લોકાચાર, વ્રજમંડળ, વનવગડો અને પ્રકૃતિનાં નાનાવિધ સ્વરૂપ એમના પ્રધાન કાકુ છે. મકરન્દ દવેએ ‘આદિમ પ્રકૃતિના અણબોટ્યા અવાજ’વાળાં એમના કાવ્યોને ‘વણજારાનાં મોતી’ કહીને વધાવ્યાં હતાં.

કવિતાના શીર્ષક ‘વિજન કેડો’ પાસે બે’ક ઘડી થોભીએ? જ્યાં કોઈ માણસ સામાન્યતઃ જોવા ન મળે એવી જગ્યા માટે સામાન્યરીતે આપણે નિર્જન શબ્દ વાપરીએ છીએ. કવિએ ‘વિજન’ જેવો પ્રમાણમાં ઓછો ખેડાતો શબ્દ પ્રયોજ્યો છે. લયની દૃષ્ટિએ પણ નિર્જન વિજન કરતાં વધુ યોગ્ય શબ્દ-પસંદગી છે કેમકે લયની માંગ મુજબ વિજનના ‘વિ’ને હૃસ્વ હોવા છતાં દીર્ઘ ઊચ્ચારવાની ફરજ પડે છે. પણ, ‘વિ’ વિશિષ્ટ પ્રકારનો ઉપસર્ગ છે. વિગત, વિકંપ, વિક્ષુબ્ધ, વિક્ષોભ જેવા શબ્દોમાં એ ‘વિશેષ’ના અર્થમાં વપરાય છે તો વિયોગ, વિધવા, વિઘટન, વિજન વગેરેમાં એ ‘વિનાનું’ જેવા વિરોધી કે ગેરહાજરીસૂચક સંદર્ભે પ્રયોજાય છે. કવિ નિર્જનના સ્થાને ‘વિજન’ પ્રયોજે છે, એમાં કદાચ બંને ભાવ સમાવિષ્ટ છે. આ રસ્તે કોઈ જન સામાન્યરીતે આવજા કરતું નથી એ અર્થમાં વિજન એટલે જન વગરનું અને પ્રિયજન સાથે અહીંથી જવાનું નાયિકાનું પ્રયોજન છે એ અર્થમાં વિજન એટલે વિશેષ જન એમ પણ ગણી શકાય. ‘કેડો’ને પણ બે અર્થમાં લઈ શકાય: વિ-જન રસ્તો અને વિશેષ-જનનો પીછો કે પૂંઠ. કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિએ એ કામ શીર્ષકમાં પણ સુપેરે પાર પાડ્યાનું જણાય છે. અષ્ટકલના પ્રચલિત લયમાં ગીત વહી જાય છે. પહેલી પંક્તિમાં અષ્ટકલના બે અને ત્રીજી પંક્તિમાં એક આવર્તનની અનિયમિતતતાના માથે ધ્રુવપંક્તિ અને તુકમાં અષ્ટકલના ચાર-ચાર આવર્તન અને ચારેય બંધમાં ત્રણ આવર્તનના માથે વધારાની એક ગુરુ-લઘુ માત્રા મૂકીને કવિ લયને સતત રમતો રાખે છે.

તો, જ્યાં કોઈ આવતું-જતું નથી એવા કોઈ નિર્જન, સૉરી, વિજન રસ્તા પર જવા માટેની ‘પ્રપોઝલ’નું આ ગીત છે. ૧૯૬૧માં લખાયેલું પણ આજેય તરોતાજા લાગે એવું એ સમયાતીત છે. આ નાયિકાની એકોક્તિ છે. નાયકનો જવાબ અહીં અભિપ્રેત નથી પણ સમજી શકાય છે કે નાયિકે નયિકાની દરખાસ્ત સ્વીકારી જ હશે. નાયિકા પોતાના મનની વાત કરવા માટે પહેલાં જ્યાં જવું છે એ નહીં પણ જ્યાં જવાની ઇચ્છા નથી એ ધોરી માર્ગની વાત કરે છે. કહે છે, જ્યાં લોકોની આવનજાવન વધારે છે એવા ધોરી મારગ પર જવાની મારી લેશ ઇચ્છા નથી. હાલ્યને વાલમ કહીને એ મીઠા લલકારે નાયકને એવું ઈજન આપે છે, જેને નકારવું કદાચ લોહી-માંસના બનેલા માણસ માટે તો શક્ય જ નથી. નજીકના ભીડભર્યા માર્ગે જવાના બદલે નાયિકા નાયકને દૂર આવેલ કોતરમાં બનેલો વિજન કેડો પસંદ કરવા સમજાવે છે.

કવિને વિજન કેડો આમેય વધુ પસંદ હોય એમ જણાય છે. નાયકને બદલે સહિયરોને પાછળના ભીડ વગરના રસ્તે જવા લલચાવતી નાયિકાના ‘પછવાડે’ નામના ગીતનો ઉઘાડ જોઈએ:

મારગડે સરિયામ આવજા
ઘટે જ્યહીં ના જરીયે,
ભર્યે બેડલે ઘૂંઘટભર શેં
ભીડ થકી સંચરિયે?!
પછવાડે થઈ હાલો, સૈયર! જળ ભરવાને જઈએ!

સ્વાભાવિક છે કે નાયકને ગળે દૂરનો રસ્તો પકડવાની વાત શીરાની જેમ નહીં જ ઊતરી હોય. પુરુષોનું તો આમેય ગણિત જ નોખું. એટલે નાયિકા હવે એ વેરાન રસ્તાની વકીલાત કરે છે. કહે છે, એ રસ્તો કંઈ અજાણ્યો નથી, વહાલમ. એ રસ્તે તો હું ઘણી વાર એકલી પણ પસાર થઈ છું ને સહેલીઓ સાથે પણ ઘણીવાર ત્યાં થઈને ગામ જવાનું થયું જ છે. કોતર છે એટલે બાજુમાં પહાડ કે ઊંચી જમીનને કોરીને કેડો બનાવનારી નદી પણ હોવાની અને નદી હોય એટલે સાગરની ભરતી-ઓટના કારણે નદીકાંઠે પાણીની વધઘટના લીધે ક્યાંક-ક્યાંક કાદવના કળણ પણ સર્જાયાં જ હશે. પણ જેમ માણસ પોતાના હાથને ઓળખવામાં ઘનઘોર અંધારામાંય ભૂલીનેય ભૂલ કરતો નથી, અદ્દલ એ જ રીતે નાયિકા કોતરના આ ઉજ્જડ રસ્તે આવેલ એક-એક કળણ-વળણને ઓળખે છે. વળણ શબ્દ એક તરફ કળણ સાથે લય મિલાવવામાં અને લોકબોલીમાં થતા શબ્દપ્રયોગનો દ્યોતક છે તો બીજી તરફ કળણ સિવાયના બીજા કોઈ પણ નડતર –એમ તમામનો એક સાથે સમાવેશ કરી લે છે. પોતાની વાતની પુષ્ટિ કરતી નાયિકા કહે છે કે નેસ જવાની આપણને કોઈ ઉતાવળ પણ ક્યાં છે જ, કેમક હજી તો અડધો દિવસ બાકી છે. બીજું, નેસની વાત છે એટલે નાયક-નાયિકાની જાતિ વિશે પણ જાણકારી મળે છે. સંસ્કૃત નિવેશ અને પ્રાકૃત ણિવેસ પરથી નેસ શબ્દ ઊતરી આવ્યો છે. નેસ કે નેસડો એટલે રબારીઓ કે ભરવાડોનું નિવાસસ્થાન. ગીરના જગલમાં આજેય માલધારીઓના નેસ જોવા મળે છે. રબારીની વાત પરથી કવિજીવનનો એક યાદગાર પ્રસંગ યાદ આવે છે.

રબારીઓના લગ્ન બાબતની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવા આદરેલા કવિએ કચ્છ-ભ્રમણ કર્યું હતું એ સમયે ગુજરાતી ભાષાને ઊની આંચ આવનાર નથી એની પ્રતીતિ થઈ હતી. કવિના જ શબ્દોમાં: ‘એક લગ્નમાં બપોરવેળાએ એક ભાભુમા માળા ફેરવતાં’તાં ને ખાટની પડખે જ, નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટયો એક રોપો જોઈ કવિએ પૂછા કરી. બાઈએ કહ્યું: ‘ઈ તો સાંયડી રોપી છે, ભલા!’ પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી” રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત! જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રા-છાયા, આશ્રય અને રક્ષણ. જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડયું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે?”

કવિતાના અન્ય એક સંસ્કરણમાં ‘ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો!’ આ પ્રમાણે તુકની પંક્તિ જોવા મળે છે, જેમાં ધાઈ એટલે ઉતાવળ શબ્દ ઝપ્પ કરતોકને વહાલો થઈ પડે એવો છે. પણ કોઈક કારણોસર કવિએ એમના કાવ્યસંગ્રહમાં આ પંક્તિનું ‘ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો!’ લખીને સરળીકરણ કરી નાંખ્યું છે.

કાવ્યસંગ્રહ સિવાયના સંસ્કરણમાં આવળ-બાવળવાળો બીજો આખો અંતરો જ ગેરહાજર છે. પણ સંગ્રહમાં એ છે એટલે એમ માની શકાય કે કવિએ પાછળથી એનો ઉમેરો કર્યો હશે. રસ્તામાં આવળ, બાવળ અને ખડચંપાના ફૂલો જ ફૂલો ખીલેલાં મળશે. બાવળનાં ફૂલ સામાન્યરીતે ચોમાસામાં અને શિયાળાની શરૂઆતના ભાગ સુધી ખીલતાં જોવાં મળે છે. મતલબ પ્રેમીઓની, ચોમાસાની આ ઋતુ હોવાનું અનુમાન કરી શકાય. આવળનાં ફૂલ તો સામાન્યતઃ શોભાનાં હોય છે પણ નાયિકાને કશાયનો બાધ નથી. એ નાયકને એને જે ફૂલ ગમે એ પોતાનાં કેશમાં નાંખવાને આહ્વાન આપે છે અને બદલામાં એ પણ નાયક માટે હાર ગૂંથી દેશે. એક તો કેડો દૂર છે અને વિજન છે ને વળી નાયિકાને માત્ર ત્યાંથી પસાર થઈ જવામાં રસ નથી પણ વચ્ચે-વચ્ચે થોભતા-થોભતાં ફૂલો વીણવામાં અને ગૂંથવામાં પણ રસ છે. મતલબ, એ નાયક સાથેના સોનેરી એકાંતની શક્યતાને વધુને વધુ લંબાવવાની આરત પણ ધરાવે છે. નદીકિનારે કોતરમાં ખીલેલાં આ ફૂલોની સુગંધની છોળ સાથે નાયક-નાયિકા જ નહીં, ઘેલો મદમત્ત પવન પણ ખેલનાર છે.

નાયિકાએ ગીતના પ્રારંભમાં પોતાનું મન શેમાં રાજી છે ને શેમાં નથી એની વાત કરી. પછી રસ્તાની પરિચિતતા અને સમયના વૈપુલ્યની દલીલ સામી મૂકી. એ પછી રસ્તામાં કેવાં-કેવાં સુગંધસભર રંગીન પ્રલોભનો ખીલેલાં હશે એની લાલચ બતાવી અને હવે એ પુરુષની દુઃખતી રગ દબાવે છે. એ એને શારીરિક પ્રેમની સંભાવના તરફ સંકેત કરે છે. કહે છે, મન થશે તો હાથમાં હાથના આંકડા ભીડીને ચાલશું, ને મન થશે તો હું તારી સોડમાં તને વળગીને ચાલીશ. ઇચ્છા થઈ આવશે તો તારા કાનની બૂટ ઝાલીને તારો ઊંચો ચહેરો મારી નજદીક આણીને તારા વહાલા વહાલા મુખડાને હું ચૂમી પણ લઈશ. સ્ત્રી-પુરુષના રતિયોગ-આસક્તિયોગની આ વાત છે. સાથે મળીને ઉલ્લાસનો હોંકારો આપીએ તો સહવાસના ગીત રણઝણી ઊઠે. ભીતરની ભોંયને પ્રેમથી અડીએ કે તરત અમીઝરણાં વહેતાં થઈ જાય. નાયિકાના પ્રગલ્ભ પ્રલોભનને શું નાયક ટાળી શકશે ખરો? વધુમાં નાયિકા ખાતરી આપે છે કે આપણો આ નેડો-સ્નેહ જોઈને આપણી ઈર્ષ્યાની આગમાં બળનારું પણ ત્યાં કોઈ નહીં હોય. એક બહુ-પ્રચલિત દોહો યાદ આવે છે:

એકલ નર અડધો અને એકલ અડધી નાર,
રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર.

કોતરની હેઠે ઊંડા જળ વહેતાં હશે એનો ખળખળ અવાજ હશે ને આપણા માથે જંગલના ઝાડની છત્રછાયા હશે જે ભાતભાતનાં પંખીઓના કલરવથી ગૂંજતી હશે. અને આટલું સંગીત ઓછું હોય એમ વચ્ચે કેડા પર ચાલતાંચાલતાં મારા કંઠથી ગીત સર્યે રાખશે. આવી અમીરાત પેલા ધોરી માર્ગ પર વળી ક્યાં હોવાની? આ કેડે એકલાં જવાનું થાય તોય નાયિકાને એ સહેજસાજ નહીં, ઘણું-ઘણું પસંદ છે પણ પ્રિયજન સાથે હોય તો? નયિકાને ‘तबे एकला चलो रे’માં પણ કોઈ આપત્તિ નથી પણ एक से भले दो તો કોને ન ગમે? ને એમાંય આ તો મનનો માણીગર. ‘હોય તું ભેળો-’ કહીને કવિ સાયાસ પંક્તિ અધૂરી છોડી દે છે, કેમકે આ સહવાસનું સંગીત હવે આપણે ગણગણવાનું છે. આવા કોઈ વિજન કેડા પર સાથે જવા કોઈ નાયિકા આપણને વાસ્તવિક જીવનમાં કદાચ ઈજન ન પણ આપે પણ પ્રદ્યુમ્ન તન્નાના ગીતનો હાથ ઝાલીને આપણે સહુ આ વિજન કેડા પર આપણી મનમાનીતી પ્રિયાની સાથે એકાંતની મજા માણવા અવશ્ય ઊપડી જઈએ છીએ, ખરું ને?

ગ્લોબલ કવિતા : ૧૧૯ : મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

દોઢ લીટીની અ-મર કવિતા…!

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. લાઘવ એટલે શું અને કેટલા લાઘવને લાઘવ કહેશો એવા એકાદા પ્રશ્ન સામા પૂછીએ અને દાખલા માંગીએ તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ વાત સાચી છે. કવિતા એટલે કરકસર. કવિતાના નાજુક બાંધાને એક અક્ષરેય વધારાનો ખપતો નથી. બિનજરૂરી અલંકારો અને ઉપમાઓ કવિતાને કદાચ વધુ આકર્ષક તો બનાવે પણ પ્રાણ હરી લેતાં હોય છે. કવિતામાં લાઘવ અને કરકસર કોને કહેવાય એ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત જ સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજિસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. ઘણાં તો આ કવિતાને વીસમી સદીની શ્રેષ્ઠ કવિતા પણ ગણાવે છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયાં છે, થાય છે, થતાં રહેનાર છે.

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ. ૩૦-૧૦-૧૮૮૫ના રોજ અમેરિકાના ઇડાહો રાજ્યના હૈલી ખાતે જન્મ. હોમર લૂમિસ પાઉન્ડ અને ઇઝાબેલ વેસ્ટનનું એકમાત્ર સંતાન. ૧૧ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય જેકિનટાઉન ટાઇમ્સમાં પ્રગટ થયું હતું. ૧૩ વર્ષની વયે ત્રણ માહિનાનો યુરોપ-પ્રવાસ કરવા મળ્યો. પ્રાથમિક શિક્ષણ ઘરગથ્થુ શાળાઓમાં અને પછી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં. ૧૬ વર્ષની વયે હિલ્ડા ડૂલિટલ (H.D.) સાથેની મુલાકાત પ્રણયમાં પાંગરી. હિલ્ડા એની પાછળ લંડન પણ આવી. પાઉન્ડે એના માટે ઘણી કવિતાઓ લખી અને ૨૫ જેટલી કવિતાઓને જાતે જ બાઇન્ડિંગ કરીને ‘હિલ્ડા’ઝ બુક’ બનાવી પણ એના હિલ્ડાના પિતાએ લગ્ન માટે પરવાનગી ન આપી. હિલ્ડાની હારોહાર જ પાઉન્ડ બીજા બે ઘોડા પર પણ સવારી કરી રહ્યા હતા- વાયોલા બેક્સટર અને મેરી મૂર. મેરીએ પણ લગ્નની દરખાસ્ત નકારી હતી. ફિલોસોફીમાં સ્નાતક થયા. એમ.એ. કરીને પીએચડી શરૂ કર્યું પણ અધવચ્ચેથી ત્યાગ કર્યો. કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું પણ અધિકારીઓ સાથે અવારનવાર પંગો લેવાના કારણે અને એના ઘરે છોકરી રાતવાસો કરતી હોવાના કારણે કોલેજ અને ઘર બંને છોડવા પડ્યા. પરિણામે પાઉન્ડે દેશ જ છોડ્યો અને ૧૯૦૮થી યુરોપ સ્થાયી થયા. ૧૯૨૦ સુધી લંડન રહ્યા. ડબલ્યુ. બી. યીટ્સ સાથે ગાઢ મૈત્રી થઈ અને ડોરોથી શેક્સપિઅર સાથે ૧૯૧૪માં લગ્ન. પ્રથમ વિશ્વયુદ્ધે પાઉન્ડને વ્યથિત કરી નાંખ્યા. ૧૯૨૧થી ત્રણેક વર્ષ પેરિસ અને ૧૯૨૪થી ૪૫ સુધી ઇટલી રહ્યા. પેરિસમાં ઓલ્ગા રડ્જ નામની વાયોલિન વાદિકાના પ્રેમમાં પડ્યા. આ પ્રણયસંબંધ ૫૦ વર્ષ ચાલ્યો. એક બાળકી પણ થઈ જેને ભાડુતી માતાને ઉછેરવા સોંપી દેવાઈ. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોઈ ૧૯૪૩માં પાઉન્ડને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પ્રેમિકાના ઘરમાં પતિ-પત્નીએ આશરો લેવો પડ્યો. રાષ્ટ્રવાદી (Fascism) રાજકારણના પ્રખર હિમાયતી હોવાના નાતે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના સમર્થક પાઉન્ડની રેડિયો પર પોતાના વિચારો રજૂ કર્યે રાખવાના કારણે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ. જેલમાં એમને ત્રણ અઠવાડિયા છ બાય છ ફૂટના લોખંડના પાંજરા –ડેથ સેલ-માં પણ રાખવામાં આવ્યા, જેના પરિણામે એ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ૧૯૪૫થી ૫૮ સુધી તેમને અમેરિકામાં જેલ અને પાગલોની હૉસ્પિટલમાં રખાયા. સમકાલીન લેખકોની એકધારી ચળવળના પરિણામે એમને મુક્તિ મળી. ત્યાર બાદ મૃત્યુપર્યંત તેઓ ફરી વેનિસ, ઇટલીમાં રહ્યા. ૮૭મી વર્ષગાંઠના બે દિવસ બાદ ૦૧-૧૧-૧૯૭૨ના રોજ એમનું નિધન થયું ત્યારે ઓલ્ગા એમની પડખે જ હતી.

વીસમી સદીમાં આધુનિક કવિતાની નવરચના કરવાનું શ્રેય કોઈ એક જ વ્યક્તિને આપવાનું થાય તો એઝરા પાઉન્ડ સિવાય બીજું કોઈ નામ વિચારી પણ ન શકાય. એકલા હાથે એમણે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધ્યો. પણ સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઈટાલીમાં આવિર્ભૂત થયેલ રાજદ્વારી રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હોવાના કારણે અને ઉઘાડછોક યહૂદી-વિરોધી વલણના કારણે એમના જીવનકાળ દરમિયાન એ ઓછા પોંખાયા. તકનીકી નાવિન્ય અને બિનપરંપરાગત કાવ્યસામગ્રીના વપરાશના કારણે એમના ચાહકો બોખલાઈ પણ જતા હતા. નાનપણથી જ એમને અન્ય કોઈપણ જીવિત વ્યક્તિ કરતાં કવિતા વિશે વધુ જાણકારી મેળવવાની ચાનક ચડી હતી. કળાને યોગ્ય દિશામાં વધારવા માટે તેઓ આજીવન સક્રિય રહ્યા. ઇમેજિસમ અને વૉર્ટિસિસમ એનાં જ્વલંત ઉદાહરણ છે. યીટ્સ, ફ્રોસ્ટ, કાર્લોસ, મરિઆન મૂર, એચ.ડી., જેમ્સ જૉય્સ, હેમિંગ્વે અને ઇલિયટ જેવા અન્ય અનેક ‘ઊગતા’ કવિઓને એમણે જે રીતે આગળ વધવામાં અખૂટ મદદ કરી હતી એ પણ न भूतो, न भविष्यति ગણી શકાય. ૮૦૦ પાનાંઓમાં પથરાયેલું ‘કેન્ટોસ’ નામનું અધૂરું રહી ગયેલ મહાકાવ્ય એમની ખરી પ્રતિભા ઉજાગર કરે છે. પુષ્કળ અનુવાદો અને વિવેચન પણ કર્યા.

કવિતાનું શીર્ષક ક્યારેક બિનજરૂરી કે અવશિષ્ટ અંગ જેવું હોય છે તો ક્યારેક એ કવિતાની પૂર્વભૂમિકા રચવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. વળી, ક્યારેક એ કવિતા સાથે એ રીતે રસાયેલું હોય છે કે એના વિના કવિતા અધૂરી લાગે. ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક આ ટૂંકીટચરક કવિતા સાથે અવિનાભાવી સંબંધે એવું સાયુજ્ય સર્જે છે કે કવિતાને શીર્ષક વિના વિચારવી જ અશક્ય થઈ પડે છે. કવિએ કવિતામાં જે રીતે કરકસર કરી છે એ મુજબ શીર્ષક ‘ઇન અ મેટ્રો સ્ટેશન’ રાખ્યું હોત તો બે શબ્દોની બચત ત્યાંય થઈ શકી હોત. પણ, શબ્દો વાપરવાની બાબતે મહાકંજૂસ પાઉન્ડે ‘ધ મેટ્રો’ લખીને બીજું કોઈ નહીં, પણ જે સ્ટેશન પર પોતે બેઠ હતા એ જ સ્ટેશન, એ બાબત બરાબર ગાઢી કરી છે. બીજું, કવિએ ‘સ્ટેશન’ શબ્દને પણ કદાચ હાઇલાઇટ કરવાનું વિચાર્યું હોય. સ્ટેશન એટલે વિરામસ્થાન. એવી જગ્યા, જ્યાં આવીને બધું અટકી જાય. કવિતા મેટ્રોની સતત દોડ્યે રાખતી ભીડને એક સ્થાયી ચિત્રમાં આકારી લે છે, એ અર્થમાં સ્ટેશનને મેટ્રોથી અલગ કરવું ઉચિત ગણી શકાય. જો કે શીર્ષક કાઢી લેવામાં આવે તોય કવિતા ભાંગી પડતી નથી. શીર્ષક ન હોય તો કવિતામાં ઓછાયા જેવી ભાસતી ભીડ કોઈપણ સ્થળે જોવા મળતી ભીડ હોઈ શકે છે. ભીડના સ્થળ અને હેતુ બદલાઈ શકે છે, પણ કવિતાની યશસ્વીતા ઓઝપાતી નથી.

કવિતાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કવિએ પોતે આ કવિતા વિશે કહ્યું છે કે પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે તેઓ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા હતા. આખો દિવસ આ દૃશ્યનો પોતાના માટે શું મતલબ છે એ વિશે તેઓ વિચારતા રહ્યા. પણ એવા શબ્દો જડ્યા નહીં, જે આ આકસ્મિક લાગણી જેટલા જ પ્યારા, અથવા કિંમતી હોય. સાંજે રુ રેનૉર્ડ સાથે ઘરે ગયા ત્યારે પણ મથામણ ચાલુ જ હતી અને અચાનક જ એમને અભિવ્યક્તિ જડી ગઈ. શબ્દો નહીં પણ એક સમીકરણ… વાણીમાં નહીં, પણ રંગના નાના નાના ધબ્બાઓમાં. રંગની ભાષાનો શબ્દ એમને હાથ લાગ્યો. કવિને અહેસાસ થયો કે જો પોતે ચિત્રકાર હોત અને એ લાગણીને રંગોમાં ઢાળી શક્યા હોત તો ચિત્રકળાની એક નવી જ શૈલીની શોધ કરી શક્યા હોત, જે માત્ર રંગોની ગોઠવણીની ભાષામાં જ બોલતી હોય. પાઉન્ડને લાગ્યું કે કોઈ પણ મન જે મન કહેવાવાને લાયક હોય એની પાસે ભાષાની પ્રવર્તમાન શ્રેણીઓની પારની જરૂરિયાત હોવી ઘટે, બરાબર એ જ રીતે, જેમ એક ચિત્રકાર પાસે રંગોના ઉપલબ્ધ નામોની તુલનામાં ખાસ્સા વધારે રંગદ્રવ્યો અથવા રંગછટાઓ હોવાં જોઈએ. કવિ પાસે આ લાગણીને કાગળ પર ઢાળવા માટે શબ્દ નહીં, રંગો હતા પણ એ રંગ ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્રનું સર્જન. પહેલાં આ કવિતા ૩૦ પંક્તિની હતી. પણ કવિને આ કામ ઓછી તીવ્રતા (Second Intensity) વાળું લાગ્યું એટલે એમણે એ રદ કરી. છ મહિના પછી અડધી લંબાઈની કવિતા સર્જી પણ એય ન રુચિ. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ ત્રીસમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર થયેલી અનુભૂતિ તાદૃશ થાય એમ રજૂ કરી શકાય, સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમ-ઇમેજિસ્ટ પોએટ્રીનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

પહેલાં તો ઇમેજિસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંદોના બંધન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. ૧૯૧૨ની સાલમાં એઝરા પાઉન્ડે અન્ય બે મિત્રોની સાથે મળીને અધિકૃતતાપૂર્વક ‘ઇમેજિસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજિસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળનો એમી લૉવેલ જેવાના હાથે થઈ રહેલા દુરુપયોગને અટકાવવામાં પોતે વિફળ રહ્યા છે એમ લાગતા ૧૯૧૭માં પાઉન્ડ હટી ગયા. એમણે ‘ઇમેજ’નું ‘વૉર્ટેક્સ’ (વમળ અથવા ચક્રવાત) અને ‘ઇમેજિસમ’નું ‘વૉર્ટિસિસમ’ નામકરણ કર્યું, જે નામ એ સમયે વિન્ડહામ લૂઈસ અને અન્ય મિત્રોએ આદરેલ નૂતન કળાઅભિયાનને પણ લાગુ પડાયું. પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

પાઉન્ડની આ અંગ્રેજી કવિતાને બે રીતે જોઈ શકાય. એક, સૉનેટ અને બીજું, હાઇકુ. સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે, પાઉન્ડની આ કવિતા ચૌદ શબ્દોની બનેલી છે. સૉનેટમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ સાથે પણ સરખાવે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. જાપાનીઝ હાઇકુ ૧૭ ધ્વનિનું, અંગ્રેજીમાં ૧૭ શબ્દાંશ અને ગુજરાતીમાં ૧૭ અક્ષરનું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. પાઉન્ડની આ રચનામાં પણ સત્તર શબ્દાંશ (Syllables) હોવાથી અને મૂળે હાઇકુ-સ્વરૂપથી જ પ્રેરિત હોવાથી ઘણા એને હાઇકુની કક્ષામાં મૂકે છે. જે હોય તે, પણ સરવાળે આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ કે બે પંક્તિઓને જોડતું કોઈ સંયોજક પણ અહીં વપરાયું નથી. જો કે આટલી નાની કવિતામાં પણ પાઉન્ડ પ્રાસ અને લય સંયોજવાનું ચૂક્યા નથી. પ્રથમ પંક્તિમાં એક સંપૂર્ણ દૃશ્ય નજરે ચડે છે અને બીજી પંક્તિમાં બીજું દૃશ્ય તાદૃશ થાય છે. એ પણ સર્વાંગ સંપૂર્ણ છે. બંને દૃશ્યો સ્વતંત્રપણે પરિપૂર્ણ છે અને બંને દૃશ્યોનું સાયુજ્ય થઈને વળી એક ત્રીજી જ અનુભૂતિ થાય છે જે ભાવકના ચિત્તતંત્ર પર કાયમી અસર છોડી જાય છે. ટૂંકમાં, એમ કહી શકાય કે પાઉન્ડે નાની અમથી ડબ્બીમાં સમાઈ શકે એનાથી અનેક ગણા વધારે ચોખા ખાંડી-ખાંડીને ભરી આપ્યા છે. કદાચ એટલે જ આ કવિતા અમર થઈ છે. શબ્દોની આ કરકસર જોતાં એલેક્ઝાન્ડર પૉપનું યુગ્મક યાદ આવે:

શબ્દ છે પાંદડાં જેવા, સૌથી વધુ જ્યાં નજરમાં ચડે,
એ જગાએ જવલ્લે જ ફળ અર્થના કોઈ તમને જડે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે ! રાજેન્દ્ર શાહની ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’ પણ બે જ લીટીમાં અભિધા, લક્ષણા અને વ્યંજના –એમ ત્રણેય સ્તરે જીવનનો અર્ક સમજાવી જાય છે, જ્યાં ઘરને શબ્દશઃ ઘર ગણીને વિશ્વનાગરિકત્વનો અર્થ પણ વિચારી શકાય, ધર્મ-સમાજના વાડા ગણીને વયષ્ટિમાંથી સમષ્ટિ તરફની ગતિ પણ સમજી શકાય છે અને પોતાના અહમ્, વિચાર, મમત્વની જડ સીમાઓ તોડવાથી હાંસલ થતા બ્રહ્મપદ સુધી પણ પહોંચી શકાય છે.

પાઉન્ડ પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન લા કૉન્કર્ડ પર મેટ્રોમાંથી બહાર નીકળે છે અને એક પછી એક ચહેરાઓ એમની નજર સામે આવે છે અને ગાયબ થઈ જાય છે. આ ચહેરાઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એ સમજાય એ પહેલાં તો એ બદલાયે રાખે છે. એક પછી એક ચહેરાઓનો આખો મહાસાગર નજર સામે ઉમટે છે અને ટ્રેન ઉપડી જતાંની સાથે ખાલી મેદાન સમો ઓસરી પણ જાય છે. ભૂતાવળ જ જોઈ લ્યો જાણે! કવિએ યથાર્થ apparition શબ્દ પ્રયોજ્યો છે. અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને ક્ષણાર્ધમાં ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જીવનની નશ્વરતાનું પણ સૂચન કરે છે, જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન! લેટિન Memento Mori અર્થાત્ ‘યાદ રાખો કે તમારે મરવાનું છે’ એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કવિતાનું ટૂંકાણ એના વિષય સાથે તાલમેલ ધરાવે છે. મેટ્રો ટ્રેનની જેમ જ શબ્દો પણ આપણી આંખ આગળથી ઝડપભેર પસાર થઈ જાય છે. ટ્રેનનો દરવાજો ખુલે છે, ચહેરાઓ દેખાય છે, દરવાજો બંધ થાય છે, ટ્રેન પસાર થઈ જાય છે અને શૂન્યાવકાશ પ્લેટફૉર્મ પર છોડતી જાય છે. આ બધું જ વીજળીક ગતિએ થાય છે. કવિતા પણ એ જ ઝડપે આપણી પાસે આવે છે, આપણી નજરે શબ્દો ચડે-ન ચડે એ પહેલાં ચાલી જતી ટ્રેનની જેમ પંક્તિ પૂરી થઈ જાય છે અને આપણી અંદર કંઈક અકળ અનુભૂતિનો અવકાશ છોડતી જાય છે. પાઉન્ડની ‘ઇમેજ’ વિશેની માન્યતા પણ અહીં સાફ થાય છે: ‘કામનો ઢગલો પેદા કરવા કરતાં જીવનમાં એક દૃશ્ય રજૂ કરવું વધુ બહેતર છે.’ કવિએ એવું પણ કહ્યું છે: ‘ઇમેજ એટલે ક્ષણાર્ધ જેટલા સમયમાં જ બૌદ્ધિક અને ભાવનાત્મક સંકુલતાની રજૂઆત.’

બીજી પંક્તિ છ શબ્દો અને એક અલ્પવિરામની મદદથી એક બીજું જ ચિત્ર રજૂ કરે છે. જાપાનીઝ હાઇકુમાં ઋતુની જાણકારી અગત્યની ગણાય છે. અહીં એ જાણકારી પાઉન્ડ પણ પૂરી પાડે છે. કાળી ડાળ પર ભીની પાંદડીઓ નજરે ચડે છે. પાંદડીઓ, પાંદડાં નહીં. અર્થાત્, વાત ફૂલની છે. ઝાડના પર્ણોની નહીં. ડાળી કાળી છે મતલબ સૂકાવા આવી છે અથવા અંધકારનો કે મોંસૂઝણાંનો સમય છે અને વરસાદના પાણીની ભીનાશના કારણે ડાળીનો રંગ ગાઢો અર્થાત્ કાળો નજરે ચડે છે. કાળો રંગ મૃત્યુનો રંગ પણ છે. આ કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે. ફૂલોનો ભાગ હોવાના બદલે પાંદડીઓની ડાળી પરની હાજરી હવે સમજાય છે. વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી હશે અને વરસાદની ભીનાશના કારણે કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. આટલું ચિત્ર કવિ રજૂ કરે છે. પણ કવિતા અહીં પૂરી થતી નથી, શરૂ થાય છે.

ભીડમાં ભૂતિયા ઓછાયાની જેમ આવી-આવીને અદૃશ્ય થઈ જતા ચહેરાઓનું એક દૃશ્ય અને કાળી ભીની ડાળીના ‘કોન્ટ્રાસ્ટ’માં વધુ ધ્યાનાર્હ બની રહેતી ડાળ પર ચોંટેલી પાંદડીઓનું બીજું દૃશ્ય ભેગાં થઈને એક ત્રીજું દૃશ્ય બને છે, જે માત્ર દેખાતું નથી, અનુભવાય છે. ભીડમાં નજરે ચડતા ચહેરાઓ થોડા સમયમાં જ્યાં દેખાયા હતા, ત્યાં નથી દેખાવાના અને જે પહેલાં દેખાયા નહોતા એ થોડી વાર પછી સામે આવનાર છે. આ ક્ષણજીવી ઘટનાને બીજી પંક્તિ સાથે સાંકળીએ તો સમજી શકાય છે કે અહીં કશું કાયમી નથી. ડાળીની ભીનાશ પણ કાયમી નથી. થોડા સમય બાદ આ ભીની ડાળી સૂકાઈ જશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય. Memento Mori, નહીં?!

આવતીકાલે મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન પણ હોય, ભીની ડાળ પર ચોંટેલી એ પાંદડીઓ હોય કે ન પણ હોય પરંતુ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

ગ્લૉબલ કવિતા : ૧૧૮ : સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

(શંકરાભરણ)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિકૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

ગુજરાતી કવિતામાં દોરાયેલું અજર-અમર પ્રકૃતિચિત્ર

સાગર અને ચંદ્ર નહીં જોયા હોય એવો માણસ મળવો મુશ્કેલ. હા, આથમતી સાંજે સાગરના પાણી પરથી ચંદ્રને ઊગતો બધાએ નહીં જ જોયો હોય પણ જે ભાગ્યશાળીને આથમતી સાંજે દરિયાના પાણી પરથી ચંદ્રોદય જોવા મળ્યો હશે એ માણસ એ દૃશ્ય આજીવન વિસરી નહીં શકે. કંઈ અજબ ચુંબક છે આ દૃશ્યમાં. સાગર અને ચંદ્ર બંને સ્વતંત્ર રીતે જીવમાત્રને અસ્તિત્વના પહેલા દિવસથી આકર્ષતા આવ્યા છે પણ એ બંનેનું ‘કૉમ્બિનેશન’ તો જાણે કે ‘ફેટલ’ જ છે. જાગ્રત મનુષ્યના ચિત્તતંત્રને લકવો મારી જાય એવું પ્રબળ ચુંબકીય સૌંદર્ય આ મારકણું સંયોજન ધરાવે છે. આદિ કવિ વાલ્મિકીને શરદના નિરભ્ર આકાશમાં સરતા ચંદ્રને જોઈને નીલ સરોવરમાં તરતો શ્વેત રાજહંસ યાદ આવ્યો હતો તો અશોકવનમાં રાક્ષસીઓની વચ્ચે ઘેરાયેલી સીતાના નિસ્તેજ મુખને જોઈને અંધારાથી મુક્ત પણ વાદળોથી ઘેરાયેલ શરદના ચંદ્રનું સ્મરણ પણ થયું હતું. ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગર ભળે તો તો સોને પે સુહાગા. કવિ કાન્ત એમની બહુખ્યાત રચનામાં સાગર અને શશીના મારકણા પ્રભાવને અમરત્વ આપી ગયા છે.

મણિશંકર રત્નજી ભટ્ટ. ‘કાન્ત’ -કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક, આલોચક. જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલ ચાવંડ ગામમાં. માતા મોતીબાઈ. આર્થિક સ્થિતિ સાધારણ. પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને રાજકોટમાં. શાળામાં ગાંધીજી, બ.ક.ઠાકોર તથા પ્રભાશંકર પટ્ટણી એમના સમકાલીન હતા. ૧૧ વર્ષની વયે પિતાનું નિધન. ૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૧૫ વર્ષની વયે પ્રથમ લગ્ન નર્મદા (‘નદી’) સાથે. તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. મુંબઈમાં. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના પ્રથમ ગ્રેજ્યુએટ. કાયદાનો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. દાદા મુકુન્દ ભટ્ટ કવિ હતા, કાકા કથાકાર હતા. બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદાલંકાર શીખ્યા. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં થતા જ્ઞાતિજનોના કવિતાવિલાસનો કવિ તરીકે કાન્તના વિકાસમાં પ્રધાન ફાળો હોવાનું મનાય છે. પાશ્ચાત્ય બુદ્ધિવાદ, નીતિશાસ્ત્રના અભ્યાસ અને અંગ્રેજી કવિતાના આચમનથી એમની માંહ્યનો સાહિત્યકાર અલગ રીતે જ ઘડાયો. પહેલાં થોડો સમય ૧૮૮૯માં સુરતમાં શિક્ષક તરીકે અને પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, ઉપાચાર્ય અને અંગભૂત ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે સેવા બજાવી. પહેલી પત્નીના નિધનના વરસ બાદ ૧૮૯૨માં ફરી નર્મદા (‘ન્હાની’) નામની જ સ્ત્રી સાથે બીજા લગ્ન, જેનું ૧૯૧૮માં અવસાન થયું. ૧૮૯૮માં સ્વીડનબૉર્ગમાં શ્રદ્ધા થતાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. કુટુંબીઓએ પ્રાયશ્ચિત કરાવ્યું જે કામચલાઉ નીવડ્યું. ૧૯૦૦માં બાપ્ટિઝમ લઈ ખ્રિસ્તી બન્યાની જાહેરાત કરી. ધર્મપરિવર્તનના કારણે નોકરી, જ્ઞાતિ, પત્ની-બાળકો અને મિત્રોથી પણ અળગા થવાનું થયું. ચારેતરફના પ્રચંડ દબાણને વશ થઈ ફરી બ્રાહ્મણ થયા પણ હૃદયથી આજીવન ખ્રિસ્તી જ રહ્યા. ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં પહેલાં શિક્ષણ અધિકારી અને પછીથી મહારાજાના સેક્રેટરી તરીકે નોકરી કરી. હિંદી સ્વીડનબૉર્ગ સૉસાયટીની ૧૯૧૪માં સ્થાપના કરી અને આજીવન પ્રમુખ રહ્યા. ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા. ખિસ્સું ગરીબીનો ને શરીર ન્યુમૉનિયાનો શિકાર થયું. ૧૬-૬-૧૯૨૩ના રોજ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં તેમનું અવસાન થયું. અવસાનના દિવસે જ અમદાવાદમાં એમનો સંગ્રહ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો.

ગુજરાતી સાહિત્ય પરિષદ ‘કાન્ત’ને ‘ગુજરાતી કવિતાની એક ઘટના’ તરીકે ઓળખાવે છે. કવિ કાન્ત દેખાવે ખૂબ જ પ્રભાવક હતા. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ ભૂરા બંધ કોલરના કોટ-પાટલૂન, બેઉ ખભે ઝૂલતો ખેસ, માથે પોપટિયો રેશમી ફેંટો, બૂટ-મોજાં, સોનેરી ફ્રેમનાં ચશ્માં, ભરાવદાર મૂંછ, પડછંદ ભરાઉદાર કાયા, ભીનો વાનવાળા કવિ તરત જ મુલાકાતી પર પ્રભાવ જમાવતા. એમનું વક્તૃત્વ પણ એવું જ પ્રભાવશાળી હતું. રા. વિ. પાઠકના મતે ‘કાન્તના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે.’ પહેલાં અજ્ઞેયવાદી, પછી એકેશ્વરવાદી, એ પછી ખ્રિસ્તી, અને ફરી બહારથી બ્રાહ્મણ અને ભીતરથી ઈસાઈ –આ બદલાવો કાન્તના ઈશ્વર, ધર્મ અને સત્યના માર્ગના અનવરત પ્રવાસના પાસપૉર્ટ છે. ધર્માંતર બાદની એમની રચનાઓમાં કવિત્વ ઝાંખું થયેલું અનુભવાય છે. પણ સરવાળે, ધર્મમંથન, ન્યાય અને સત્યની શોધ અને આંતરયાત્રા એમની કવિતાઓના પ્રધાન રંગ રહ્યાં છે. અભૂતપૂર્વ ભાષાસૌષ્ઠવ અને છંદવૈભવ એમની કવિતાઓમાંથી છલકાય છે. સર્વાંગી પ્રાસ, લવચિક લય, નાદસૌંદર્ય, લાલિત્યપૂર્ણ શૈલી, અને અર્થગહન અભિવ્યક્તિ પરની કુદરતી હથોટીના કારણે એમની રચનાઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતીમાં પ્રથમ અંજનીગીત અને પ્રથમ ખંડકાવ્ય આપવાનું શ્રેય એમના ફાળે જાય છે.

સાગર અને શશી’ પહેલવહેલીવાર ૧૯૦૨માં ‘વસંત’ સામયિકમાં પ્રગટ થયું હતું. એક સદીથીય વધુ વર્ષોનાં વહાણાં વહી જવા છતાંય એની તાજગી અને સૌંદર્ય લગરિક ઓઝપાયાં નથી. ચંદ્રકાન્ત શેઠના મતે ‘સાગર અને શશીનું સાલંકૃત સૌંદર્ય અનન્ય છે.’ નિરંજન ભગત આ કવિતાને ‘ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય’ ગણાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ આ કવિતાને ‘આંતરબાહ્ય એકમયતાનો કલાનુભવ કરાવતી સર્વાંગસુંદર રચના’ કહી વધાવે છે. ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે! શીર્ષક પછી કવિતાના મથાળે કવિ શંકરાભરણ શબ્દ મૂકે છે. શંકરાભરણ એટલે સાત શુદ્ધ સ્વરોયુક્ત એક સંપૂર્ણ જાતિ રાગ. તેનો ગ્રહસ્વર સા, વાદી સ્વર મ, સંવાદીસ્વર સા, અને ન્યાસ સ્વર ગ છે. અંગ્રેજીમાં તેને નેચરલ સ્કેલ કે ડાયા ટૉનિક સ્કેલ કહે છે. શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં કવિએ પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ પણ કરેલો જણાય છે. નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. શંકરાભરણ કે શંકરો રાગ પણ પ્રભાતિયાના રાગને મળતો આવે છે. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઊરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા આ જ ઝૂલણા છંદ શંકરાભરણની ચાલમાં પ્રયોજે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે. ‘ગાલગા’ ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતા સંગીતમાંથી સાગરના ‘આવ-જા’ ‘આવ-જા’ ‘આવ-જા’ કરતા મોજાંનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર એ રીતે ઊભું થાય છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત! કાવ્ય પણ છંદ, રાગ અને સાગરની લહેરોની જેમ દ્રુતવિલંબિત લયમાં ચાલે છે. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે), જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય! સુરેશ જોષીના મતે ‘કથયિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક વિરલ ઘટના છે.’

કવિતામાં ‘મહારાજ’ અને ‘પિતા’ એમ બે સંબોધન નજરે ચડે છે. કવિતા પાછળની વાર્તા આ સંબોધન પર થોડો પ્રકાશ ફેંકવામાં સહાયક નીવડે એમ છે. આ કવિતાનું પ્રેરકબળ ભાવનગરના મહારાજ ભાવસિંહ હતા. કહેવાય છે કે ગોપનાથના દરિયાકિનારે કવિની પીઠ પર હાથ મૂકીને ભાવસિંહે કવિને કવિતા લખવાનું આહ્વાન આપ્યું હતું, પરિણામે આ રચના થઈ હતી. એ રીતે મહારાજ સંબોધન મહારાજા માટે પ્રયોજાયું હશે એમ માની શકાય પણ એવું માનવામાં આગળ આવતું ‘પિતા’ સંબોધન નડતરરૂપ બને છે. એટલે, કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદનું આ કાવ્ય હોવાથી ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર માટે વપરાતાં Lord અને Father સંબોધનોનો આ સીધો તરજૂમો હોવાનું સમજી શકાય છે. જો કે આ ગીત રચાવા પાછળની વધુ પ્રમાણભૂત હકીકત એ છે કે ૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્ત સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬-૦૬-૧૯૦૨ના રોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

ખેર, કવિ અને કવિતાનો ઇતિહાસ ભલે કવિતા સમજવામાં ઉપકારક કેમ ન થતો હોય, ખરી મજા તો કવિતાને કવિતાના ધોરણે આસ્વાદવામાં જ રહી છે. કથક કહે છે કે, મહારાજ! આજે જળ પરથી ચંદ્રનો ઉદય જોઈને હૃદયમાં હર્ષ ‘જામે’ છે. જળ પરથી ચંદ્રોદય તો બનવાજોગ છે કે આ પૂર્વે પણ ઘણીય વાર જોયો જ હશે પણ જે મજા ‘આજ’માં છે, એ અભૂતપૂર્વ છે. વળી, હર્ષ થયો એમ કહેવાના બદલે કવિ હર્ષ સાથે કદી વપરાયેલ નહીં હોય એવું અનૂઠું ‘જામે’ ક્રિયાપદ પ્રયોજે છે. આ એક જ શબ્દ વડે કવિ અમૂર્ત હર્ષભાવને સફળતાપૂર્વક મૂર્ત કરી આપે છે. સમજી શકાય છે કે આ એવો ઘનીભૂત થયેલો આનંદ છે જેને સમય પણ પીગાળી, મિટાવી શકનાર નથી. સાગર અને શશી વચ્ચેનું સ્નેહસૂત્ર પણ ફરી યાદ કરી લેવા જેવું છે. ચંદ્ર આપણી સૌથી નજીકનો ગ્રહ- પૃથ્વીનો ઉપગ્રહ છે. શ્રીમદ્ભાગવત અનુસાર એ મહર્ષિ અત્રિ અને અનસૂયાનો પુત્ર છે. સમુદ્રમંથન દરમિયાન ઉત્પન્ન થયો હોવાના નાતે ચંદ્ર લક્ષ્મી અને કુબેરનો ભાઈ પણ કહેવાય છે. શંકર ભગવાને એને પોતાના માથા પર ધારણ કર્યો છે. ચંદ્રમાં રહેલ ડાઘાઓએ તો વિશ્વભરની કથાઓ-કવિતાઓને ચાલકબળ પૂરું પાડ્યું છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનું ખાસ્સું મહત્ત્વ છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને તેના પૃથ્વી ફરતેના પરિક્રમણ દ્વારા જન્મતા કેન્દ્રગામી બળના કારણે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. શુક્લ કે સુદ પક્ષ દરમિયાન ચંદ્રની વૃદ્ધિની સાથોસાથ સાગરમાં ભરતી જન્માવતી લહેરો પણ વૃદ્ધિશીલ થતી જાય છે અને પૂર્ણિમાના દિવસે તો ચંદ્ર ચુંબકની જેમ ખેંચતો હોય એ રીતે આકાશ આંબતી લહેરો ઊછળે છે. કૃષ્ણ કે વદ પક્ષના પખવાડિયામાં મોજાંઓની આ ચંચળતા ક્રમશઃ મંદ થતી જાય છે. આપણાં શરીરનો મોટો ભાગ પાણીથી બન્યો હોવાથી ચંદ્રની કળાઓ આપણી માનસિક સ્થિતિ પર પણ અસર કરે છે એમ માનવામાં આવે છે. પૂનમની રાતોએ પાગલપનની તીવ્રતા અને આત્મહત્યાની સંખ્યા અન્ય દિવસોની સરખામણીએ વધુ હોવાનું મનાય છે. ચંદ્ર માટેના લેટિન શબ્દ લૂના પરથી જ લૂનેટિક (પાગલ) શબ્દ બન્યો છે.

આકાશ કઈ ઋતુનું છે એ કવિ કહેતા નથી. ચંદ્ર પણ કઈ કળાએ છે એ પણ કવિ કહેતા નથી પણ જે ચંદ્રોદય અનનુભૂત આનંદ અને સાગરમાં ભવ્ય ભરતી જન્માવે છે એ ચંદ્ર તો પૂર્ણિમાનો ફુલ્લકુસુમિત ચંદ્ર જ હોઈ શકે ને! રાતનો સમય છે અને રાતનું સૌથી મોટું સુખ એ છે કે એ કાળા રંગની પીંછીથી દુનિયાને રંગી દે છે અને આપણી નજરોથી ગાયબ કરી દે છે. અંધારામાં બહુ ઓછી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, પરિણામે જે કંઈ આપણે જોઈ શકીએ છીએ એનો પૂર્ણાનંદ લઈ શકીએ છીએ. અંધારામાં સમુદ્ર ઉપરથી ઊંચે ઊઠતા ચંદ્રના પ્રકાશમાં આકાશમાં વાદળો નજરે ચડે છે. રાત્રે વાદળો દેખાય છે માટે આ વરસાદ આણતાં કાળાં વાદળો નહીં, પણ હળવાંફૂલ થઈ ઊડતાં શુભ્ર વાદળો છે. મતલબ કે આ આકાશ ચોમાસાનું આકાશ નથી. કવિ કહે છે, ‘સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે.’ સ્નેહનાં વાદળો એ એ રીતે આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, જાણે ફૂલોનાં વન ન હોય! સુરેશ જોષી ‘જોયું ને, વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન’ કહીને કવિના શબ્દપ્રયોગમાં છૂપાયેલી કવિતા આબાદ શોધી બતાવે છે. અને ફૂલોનું વન હોય તો સુગંધનો દરિયો પણ હોવાનો જ. પણ આ સુગંધ શુદ્ધ અને ગહન-અકળ-ઊંડી સુગંધ છે. કવિએ જ્યાંથી સાગર પર ચંદ્રોદય જોયો હશે ત્યાં કદાચ બગીચો પણ હોય અને ફૂલોની ખુશબૂ નાક સુધી પહોંચી પણ હોય એ શક્ય છે પણ સાચું કવિકર્મ જ એ છે જે સમષ્ટિમાંના એક તત્ત્વને બીજામાં અને વયષ્ટિની એક ઇન્દ્રિયને બીજામાં ખબર પણ ન પડે એ નાજુકાઈથી ભેળવી દે છે. દૃશ્ય સાવ સાદું છે. કોઈ સાફ વાતાવરણવાળી ઋતુની રાતે દરિયા પરથી ચંદ્ર ઊગી રહ્યો છે અને સ્વચ્છ આકાશ આખું શ્વેત વાદળોથી ભર્યું પડ્યું છે, જે ચંદ્રના પ્રકાશથી વધુ દેદિપ્યમાન નજરે આવે છે. પણ કવિને અહીં સ્નેહનાં વાદળો નજરે ચડે છે ને આ વાદળોમાં આકાશમાં ફૂલોનું મઘમઘતું વન દેખાય છે. ત્રણ જ પંક્તિમાં જે દૃશ્ય આપણે આંખોથી પીવાનું હતું, એ કવિ આપણને ઘ્રાણેન્દ્રિયથી સૂંઘાડે છે. કેવો અદભુત ઇન્દ્રિયવ્યત્યય! દિલોદિમાગને તર કરી દેતી આ અવર્ણનીય સુગંધ વળી અકળ છે.

ચોથી પંક્તિમાં ‘નિજ’ શબ્દ વાપરીને કવિ આખી વાતને નવું જ પરિમાણ બક્ષે છે. કવિતા સામાન્યરીતે વયષ્ટિનું સમષ્ટિમાં વિસ્તરણ કરતી હોય છે, અહીં કવિ સમષ્ટિને વયષ્ટિમાં આટોપવાનું ભગીરથ કામ કરે છે. નજર જ્યારે સમુદ્ર પરથી થઈ રહેલ ચંદ્રોદય અને વાદળપુંજને નિરખી રહી છે, એ સમયે કથકની પોતાની ભીતર, એની ખુદના આકાશમાં પણ શુભ્ર વાદળાચ્છાદિત આભમાં ચંદ્રોદય થઈ રહ્યો છે અને કશીક ગહન ગંધથી આખું અસ્તિત્ત્વ તરબતર થઈ રહ્યું છે. કદાચ એટલે જ, કવિ કહે છે કે કાલના સર્વ સંતાપ શામે! કાળ બધી સમસ્યાઓનો વાહક છે. કાળના ઉધામા ઘણીવાર અસહનીય બની રહેતાં હોય છે. ક્યારેક વીતી ગયેલો સમય વીતાડે છે, ક્યારેક ન આવેલો સમય સતાવે છે તો ક્યારેક આજનો તાપ દઝાડે છે. સમયના ગર્ભમાં જ જીવનની સૌ સમસ્યા પણ રહેલી છે ને ઈલાજ પણ. એક અદભુત પ્રકૃતિચિત્રને પ્રત્યક્ષ નિહાળવાના સૌભાગ્યની પ્રતીતિ ઇન્દ્રિયગોચરતાને ઇન્દ્રિયાતીતતામાં પલોટે છે ત્યારે જે શાતા અનુભવાય છે એ સર્વ સંતાપ શમાવી દે છે. કાળા આભમાં ચમકતો ધોળો ચંદ્ર જાણે નૂતન જીવનરસથી છલકાતી ઈશ્વરની આંખ હોય એમ લાગે છે. પરિણામે તમામ ઉચાટો શાંત થઈ ગયાનું અનુભવાય છે. સુરેશ જોષી લખે છે: ‘આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે.’ દરિયાના મોજાં તો હજીય આવ-જા કરી જ રહ્યાં છે, ચંદ્ર પણ ક્રમશઃ ઉર્ધ્વગતિ કરી રહ્યો છે, વાદળો આકાશમાં અટક્યાં નથી, પવન પણ થંભ્યો નથી, પણ દર્શકની ભીતર હર્ષ અને શાતા હલાવી-પીગાળી-મિટાવી ન શકાય એ રીતે જામી ગયાં છે. કવિ ઇચ્છે છે કે ભાવકને પણ આ શાંતિની એટલી જ સઘન અનુભૂતિ થાય જેટલી એમને થઈ છે. માટે જ એ પોતાની વાત કરીને અટકી જવાને બદલે દોહરાવે છે: ‘પિતા! કાલના સર્વ સન્તાપ શામે!’ આ પુનરોક્તિ કવિચેતનાને ભાવકચેતના સાથે સંગોપીને દૃઢીભૂત કરે છે.

જલધિ યાને સાગરના મોજાંઓના સમુહને કવિ જલધિજલદલ કહી સંબોધે છે. જેમ આકાશમાં વીજળી ચમકે છે એમ જ દરિયામાં આવતા-જતાં રહેતાં મોજાંઓ ઉપર રેલાતા ચંદ્રપ્રકાશના કારણે જાણે પાણી ઉપર વીજળી ચમકતી ન હોય એમ કવિને લાગે છે. આકાશના સરોવરમાં યામિની યાને રાત્રિની હોડી સરકી રહી છે. સુરેશ જોષી ‘યામિની’ શબ્દપ્રયોગમાં ‘યામ’ યાને પ્રહર, કાળનો શ્લેષ પણ સમાવિષ્ટ જુએ છે. નીચે દરિયો સતત ગતિશીલ છે પણ માથે આકાશ સરોવર જેવું નીરવ શાંત છે પણ વાતાવરણમાં કામિની કોકિલાનો કૂંજારવ પ્રાણ ભરી દે છે. દૃશ્યેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બાદ હવે શ્રવણેન્દ્રિય પણ કામમાં આવે છે. અને જેમ-જેમ ઇન્દ્રિયો જાગૃત થતી જાય છે, તેમ-તેમ અનુભવ ઇન્દ્રિયાતીત થતો જાય છે. ભરતી જેવી રોજની ઘટના પણ હવે ભવ્ય ભાસે છે. સમગ્ર સૃષ્ટિ સમુલ્લાસિત થઈ રહે છે. જેમ આનંદની અવધિએ આપણે આપણને હળવાફૂલ થઈ ગયેલાં અનુભવીએ છીએ એમ જ ઉલ્લાસના આ મહાસાગરમાં સમગ્ર સૃષ્ટિ એવી તો હળવી થઈ ગયેલી ભાસે છે કે એકદમ સહજતાથી, સાવ અનાયાસ પાણીમાં સરી-તરી રહેલી હોડી જેવી નજરે ચડે છે. વળી, આ ઉલ્લાસની પરાકાષ્ઠા છે, પરમ આનંદની ચરમસીમા છે એટલે ફરી એકવાર કવિ પોતાની વાતની પુનરોક્તિ કરતાં ‘પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી’ના હર્ષોદ્ગારને બેવડાવે છે. જગતચેતના અંગતચેતના લગી અને અંગતચેતના ફરી જગતચેતના સુધી પ્રસાર પામે છે. વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે અનુપમ સાયુજ્ય સર્જાય છે. સરવાળે કવિતા જે ચિત્રાનુભૂતિ ભાવકના ચિત્તતંત્ર પર સફળતાપૂર્વક છોડી જાય છે એ પછી કાયમ રહે છે…

દરિયાઈ લહેરો સાથેના છંદના તાલમેલ ઉપરાંત કવિતામાં જે વર્ણસગાઈ અને વર્ણાનુપ્રાસ કવિએ પ્રયોજ્યાં છે એ કદાચ ગુજરાતી કવિતામાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. જલધિ-જલ, દલ-દામિની-દમકતી, કામિની-કોકિલા-કેલિ-કૂજન-કરે, ભાસતી-ભવ્ય-ભરતી વગેરેમાં આવતી વર્ણસગાઈ સમુદ્રની લહેરોની જેમ એક પછી એક કવિતામાં આવ્યે રાખે છે અને લહેરોની છોળની જેમ ભાવકને વર્ણસંગીતથી ભીંજવ્યે રાખે છે. આજ-મહારાજ, ઘન-વન-ગહન, વિમલ-પરિમલ, નવલ-ધવલ, જલ-દલ, યામ્(ઇની)-(વ્)યોમ, દામિની-યામિની-કામિની, (વ્યોમ)સર-સર(તી), તર(લ)-તર(ણી)-સર(લ)-સર(તી) વગેરેમાં યમક અથવા વર્ણાનુપ્રાસની ચમત્કૃતિનું જે ગાન આલાપે છે એ પણ અલૌકિક છે. છંદ-અલંકારોના વ્યાકરણથી બિલકુલ અનભિજ્ઞ ભાવક પણ સાવ અજાણતાંય આ સંગીતમાં આપોઆપ લીન થયા વિના રહેતો નથી. કદાચ, એટલે જ એક સદીથીય વધુ સમય વીતી ગયો હોવા છતાંય અમર થવા સર્જાયેલ આ કવિતા કાવ્યરસિકોને અવર્ણનીય અનુભૂતિ પ્રદાન કરતી આવી છે, ને કરતી રહેનાર છે…

ગ્લૉબલ કવિતા : ૧૧૭ : લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

જૂની લોકકથાના ચશ્માંમાંથી નજરે પડતો આજની સ્ત્રીનો ચહેરો

પરીકથાઓ કોને ન ગમે? બાળપણમાં પરીકથાઓ, લોકકથાઓ કે દાદાદાદીની વાર્તાઓનું વ્યસન ન હોય એવું કોઈ હશે ખરું? મોટાભાગની આ વાર્તાઓના પાત્રો આજે પણ આપણા લોહીમાં વહી રહ્યા છે. સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, રાપુન્ઝેલ, લિટલ મરમેઇડ જેવી અનેક વાર્તાઓ તો સ્ત્રીપાત્રોઓની આજુબાજુ જ ગૂંથાયેલી છે. પરીકથા તો શબ્દ જ પરીની આસપાસ વણાયેલો છે. પણ આ મોટાભાગના સ્ત્રીપાત્રોમાં સુંદરતા અને નિર્દોષતા જેવા ગુણો જ ઉજાગર કરવામાં આવ્યાં છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રોને હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. ભાગ્યે જ કોઈ કથામાં સારાં સ્ત્રીપાત્રોને જીવનના અગત્યના નિર્ણયો લેતાં અને પુરુષોને એ નિર્ણયો સ્વીકારતા બતાવાયા છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે અને ગળથૂથીમાં પરીકથાઓ પીને મોટાં થતાં બાળકોના માનસમાં અભાનાવસ્થામાં સમાજમાં પ્રવર્તમાન આ વિષમ પદક્રમ ઘર કરી જાય છે. પણ હવે સમય આવી ચૂક્યો છે, વિષમ પદાનુક્રમના આ ચશ્માં ઊતારીને સ્ત્રીઓ તરફ જોવા માટેનો. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

મારિયા કૈલિબ ચાવેઝ આખું નામ પણ ઓળખાય છે એમકે ચાવેઝ તરીકે. જન્મ અને ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં પણ મૂળે લેટિન અમેરિકન. એમનો પરિવાર અલ સાલ્વડોરથી આવ્યો હતો, જ્યાં અસંખ્ય લોકો ગાયબ થઈ ગયા હતા, સેંકડોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એમકેના પરિવારમાં કોઈ વડીલ હાલ જીવંત નથી. જિંદગીની પાટી આ રીતે કોરી હોવી એ એક તરફ કરુણતા છે તો બીજી તરફ આઝાદી પણ એમ તેઓનું માનવું છે. ‘લિરિક્સ એન્ડ ડર્જીસ’ વાંચન શૃંખલાના તેઓ સહસ્થાપક અને અધ્યક્ષ (ક્યુરેટર) છે તથા બર્કલી પોએટ્રી ફેસ્ટિવલના સહ-નિર્દેશિકા પણ છે. આ સિવાય ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં છે. ‘મધરમોર્ફૉસિસ’ અને ‘ડિઅર એનિમલ’ એમનાં બે પ્રકાશિત પુસ્તકો છે. હાલ તેઓ કેલિફૉર્નિયામાં ઓકલેન્ડ ખાતે રહે છે અને એલિ કેટ બુક્સમાં નોકરી કરે છે. એમની સાથે ‘સન રા’ નામનું પળેલું સસલું રહે છે. ચાવેઝ ટ્વિટર પર પોતાને ‘હાર્મ રિડક્શનિસ્ટ’ તરીકે ઓળખાવે છે. ચાવેઝની કવિતાઓમાં એક અર્થ ઊઘાડતાં બીજો ને બીજો ઊઘાડતાં ત્રીજો હાથ લાગે છે. અર્થના પડળો અને એમાંથી જન્મતું ભાતીગળ કેલિડોસ્કોપિક વૈવિધ્ય એ એમની લાક્ષણિક વિશિષ્ટતા છે. કોલરિજની બહુખ્યાત ‘ધ એન્શન્ટ મરિનર’ કવિતાની સામે ચાવેઝ ‘નોટ સો એન્શન્ટ મરિનર’ લઈ આવે છે અને પુરુષોના ઈજારા બની ગયેલ દરિયાઈ ખેપો અને દરિયાની વાર્તાઓ સામે નૌકાના સ્ત્રીત્વનું સજીવીકરણ કરીને સ્ત્રીઓના સક્રિય અવાજને બુલંદ કરે છે. હોઝે એન્જલ આરાગુઝ લખે છે, ‘એમની કવિતાઓમાંથી અસંતોષ/નિરાશાનો સૂર એક વિષયના રૂપમાં પુનરાવૃત્ત થતો રહે છે પણ એ પરિત્યાગ તરીકે નહીં પરંતુ રહસ્યોદ્ઘાટનના ઈંધણ સ્વરૂપે.’ અલગ-અલગ પ્રાણીઓને કેન્દ્રમાં રખીને લખેલી એમની કવિતાઓમાંથી નનાવિધ માનવભાવો ઉજાગર થાય છે. ચાવેઝ કહે છે: ‘જે વસ્તુઓનો આપણે અનુભવ કરી લીધો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકતાં નથી. આપણે અનુભવ્યું હોય એને વણ-અનુભવ્યું કરી શકતાં નથી, ખરાબ પરિસ્થિતિઓ કાયમ ટકતી નથી… અને એટલે જ કળા એક ભેટ સમી લાગે છે, એ બીજી તરફ પહોંચવાના માર્ગ સમી લાગે છે. કળાની મદદથી, આપણે જખ્મોમાંથી સમજણ સર્જીએ છીએ અને આપણે તકલીફોમાં ઘડી ભર પણ ડૂબી રહેતાં નથી.’

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા’ કવિતા સ્ત્રીશોષણ અને એની સામે અવાજ ઊઠાવતી વિદ્રોહી સ્ત્રીના બુલંદ અવાજની કવિતા છે. કવિતાનું શીર્ષક પ્રચલિત લોકકથા ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ’ પરથી સીધું લેવાયું હોવાથી એનો અનુવાદ અનુચિત જણાય છે. પણ આ લોકકથા મજાની છે. યુરોપીય ખંડના દેશોમાં દસમી સદીના ફ્રેન્ચ ખેડૂતો અને ચૌદમી સદીના ઇટાલિઅન ખેડૂતોથી લઈને સામાન્યજનમાં પ્રચલિત આ લોકવાર્તાના સેંકડો ભાષામાં અનુવાદો થયા છે અને સમયાંતરે અનુવાદકોએ વાર્તાના મૂળ સ્વરૂપમાં પણ યથામતિ ફેરફારો કર્યે રાખ્યા છે. સત્તરમી સદીમાં ફ્રેંચ લેખક ચાર્લ્સ પેરોલ્ટે આ કથાનું સૌપ્રથમ મુદ્રિત સ્વરૂપ રજૂ કર્યું. પ્રચલિત ગ્રીમ ભાઈઓના જર્મન સંસ્કરણ મુજબ એક નાની છોકરીને એના દાદી લાલ રંગનો એક કાનટોપીવાળો ઝભ્ભો આપે છે. એ જમાનામાં ઘોડેસવારી (રાઇડિંગ) કરતી વખતે સ્ત્રીઓ ઝભ્ભાની પાછળના ભાગે જોડાયેલ રહી માથું અને ગરદન ઢાંકે એવી કાનટોપી સહિતનું જે વસ્ત્ર પહેરતી એ રાઇડિંગ હૂડ તરીકે ઓળખાતું હતું. છોકરીને આ હૂડ એટલું ગમી ગયું કે એ કદી એને ઉતારતી જ નહીં એટલે એનું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ પડી ગયું. એની મમ્મી એમના ઘરથી થોડે જ દૂર જંગલમાં રહેતાં બિમાર વૃદ્ધ દાદીમાને બેકિંગ-ડે પર બનાવેલી કેક તથા શરાબ આપી આવવા મોકલે છે. સાથે જ મા સહજ સૂચના આપે છે, કે ભૂલેચૂકેય રસ્તા પરથી આડીઅવળી ચાલીશ નહીં અને સીધી જ દાદીમાના ઘરે જજે. નાકની દાંડીએ ચાલી જતી છોકરીને જોઈને વરુ લલચાય છે. એ એને જંગલના સૌંદર્ય તરફ ધ્યાન આપવા લલચાવે છે. છોકરી બાળસહજ લલચાય છે અને દાદીમા માટે એક પછી એક ફૂલો ભેગાં કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ દરમિયાન છોકરીએ આપેલી નિશાની મુજબ વરુ દાદીમાના ઘરે પહોંચી જઈને દાદીમાને ખાઈ જઈ એમનાં કપડાં અને ટોપી પહેરીને પથારીમાં સૂઈ જાય છે. છોકરી મોડી મોડી દાદીના ઘરે આવે છે ત્યારે વરુ એના ગુડ મૉર્નિંગનો પ્રત્યુત્તર આપતો નથી. અને છોકરીને પણ ખાઈ જાય છે. પેટ ભરાઈ જતાં એને ઊંઘ આવી જાય છે ને એના નસકોરાં સાંભળીને એક શિકારી ત્યાં આવી ચડે છે અને વરુનું પેટ ચીરીને દાદીમા તથા લિટલ રેડ રાઇડિંગ હૂડને જીવતાં બહાર કાઢે છે.

આ વાર્તાના અન્ય ઘણાય સંસ્કરણો પણ છે, જેમ કે એવી વાર્તા પણ છે જેમાં વરુ દાદીમાના લોહીમાંસને રહેવા દે છે અને પૌત્રી અજાણતામાં એ ખાઈને નરભક્ષી બને છે. વાર્તાનો બોધપાઠ એ છે કે બાળકીઓએ અને વધુ વિસ્તૃત અર્થમાં સ્ત્રીઓએ ‘પુરુષપ્રધાન’ સમાજે જે ચીલો ચાતરી આપ્યો છે એના પર જ ચાલવું જોઈએ અને અજાણ્યા ‘વરુઓ’ સાથે ઘરોબો કેળવવાથી દૂર રહેવું જોઈએ. રાતનું વરુ રાતી થતી સાંજને ગળી જાય, સૂર્યના રાતા ગોળાને રાત ગળી જાય, ગ્રહણ નામનું વરુ ચંદ્રને ગળી જાય અને સૂર્ય એના કિરણોની બંદૂકથી એને છોડાવે કે કિશોરી માસિકધર્મમાં આવીને યુવતી બને છે એવા તો સેંકડો અર્થઘટનો આ કથાના કરાયા છે. જાતિય પરિપક્વતાની કથા તરીકે પણ ઘણા આને જુએ છે. લાલ હૂડને સ્ત્રીનું યોનિપટલ અને વરુને એ માટેનો ખતરો ગણાવતાં અર્થઘટન પણ થયાં છે. આધુનિક યુગના નારીવાદીઓએ આ વાર્તાને સ્ત્રી-સશક્તિકરણવાળા અંત પણ આપ્યા છે. આપણે ત્યાં પણ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’વાળી પરીકથાઓના નવા સંસ્કરણ જોવા મળે છે. કંગના રણૌત અભિનિત ‘ક્વીન’ ફિલ્મમાં નાયિકાના અનાધુનિક દેખાવના કારણે એને નકારી દેવાતાં નાયિકા એકલી હનીમૂન મનાવવા વિદેશ ઉપડે છે અને પોતાની જાતને મળે છે, મેળવે છે અને બદલાયેલી નાયિકાને પુનઃપ્રાપ્ત કરવાની મંસા રાખતા નાયકને સગાઈની વીંટી પરત કરી દે છે. આ અંત આજની નારીએ લખાવેલો અંત છે.

સમાજના પ્રસ્થાપિત બંધનોને ફગાવનારી નારીની વાત કરતી હોવાથી પ્રસ્તુત રચના સ્વાભાવિકપણે અછાંદસ પ્રકારની કાવ્યરચના છે, જે છંદ, પ્રાસ કે નિયત પંક્તિસંખ્યાના નિયમો ઉવેખીને આગળ વધે છે. કવયિત્રીએ મોટાભાગે એક અને બેથી લઈને એકાદ જ જગ્યાએ ત્રણ અને ચાર પંક્તિઓના વિભાગોમાં કવિતાને વિખેરી નાંખી છે. આમ કરીને કવિતાને એક restless shape (બેચેન આકાર) આપવામાં તેઓ સફળ થયાં છે. ઘણીવાર મોટા પુસ્તકની સાથે પુરવણી જેવી માર્ગદર્શિકા કે સહાયક પુસ્તિકા બહાર પાડવામાં આવતી હોય છે. શીર્ષકમાં જે કથાના આત્માને એમણે આજના જમાનાનો દેહ આપવાનું કામ કરવા ધાર્યું છે, એ પ્રચલિત લોકકથાના નામની સાથે સ્લેશ (/) મૂકીને ચાવેઝે ‘સહાયિકા’ ઊમેર્યું છે, જે પરથી સમજી શકાય છે કે કવયિત્રી સદીઓથી ચાલી આવતી લોકકથાના સંદર્ભે કોઈક બીજી વાત કરનાર છે. પરિણામે જે ભાવક આ લોકકથાથી પરિચિત છે, એની કવિતા વાંચવાની જિજ્ઞાસા બેવડાય છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે એ સત્ય અહીં પ્રકાશિત થાય છે.

કાવ્યારંભે ચાવેઝ એક અભિલેખ મૂકે છે જે ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ’નામના ડૉ. ક્લેરિસા પિન્કોલા એસ્ટિસના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. સમાજ જેને જંગલી પ્રકારની સ્ત્રી ગણે છે એમની વાર્તાઓ અને દંતકથાઓ આ પુસ્તકમાં સમાવાઈ છે. આ પુસ્તકમાં ક્લેરિસા દુનિયાભરની પ્રચલિત પરીકથાઓ અને દંતકથાઓનું વિશ્લેષણ કરી સ્ત્રીપ્રધાન અને સ્ત્રીસ્વાતંત્ર્યના આયામો ચકાસે છે. વરુના સ્વભાવગત લક્ષણો જેવાં કે, ઉગ્ર વફાદારી, સહજતા, સંવેદનશીલતા, અને જંગલિયત અને આ કથાઓની નાયિકાઓના લક્ષણો વચ્ચેનું સામ્ય એમનો મુખ્ય પ્રયાસ છે. સમસામયિક સ્ત્રીના ચશ્માંમાંથી તેઓએ જંગિઅન મનોવિજ્ઞાનને જોવાનું કામ કર્યું છે. સ્ત્રીઓએ નિર્ણાયક નહીં બની શકે એ પુરુષપ્રધાન સમાજમાં પ્રચલિત ધારાની સામે તેઓ બુલંદ અવાજ ઊઠાવે છે. આવા સાવ અલગ ભાત ધરાવતા પુસ્તકમાંથી ચાવેઝ જે અવતરણ ટાંકે છે એ છે: ‘અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.’

અહીં વાતની અને કવિતાની, બંનેની શરૂઆત ‘અને’થી થાય છે. મતલબ ચાવેઝ કોઈ નવી વાત નહીં, અગાઉ ક્યારેક પ્રારંભાયેલી કોઈક વાતનું અનુસંધાન જ કરવા માંગે છે એમ સમજાય છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસ્વાતંત્ર્યતાનું આ કામ તો વર્ષોથી, પેઢીઓથી, અને કદાચ સદીઓથી ચાલતું જ આવી રહ્યું છે. અધૂરી વાત સાથે છેડા જોડ્યા બાદ ‘અન્ય સ્ત્રીઓ’નો ઉલ્લેખ આવે છે, જે નિર્દેશે છે કે આ વાત કેટલીક સ્ત્રીઓની છે, બધાની નહીં. મોટાભાગની સ્ત્રીઓ તો સમાજે ચાતરેલા ચીલા પર ચાલી લેવામાં જ જીવનનું સાફલ્ય સમજી બેઠી હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ છે જે પોતાનો રસ્તો પોતે નક્કી કરવામાં માનતી આવી છે, માને છે અને માનતી રહેશે. સમાજે ગળામાં બાંધેલ કોલર કે ગળપટ્ટામાંથી એકાદ-બે ક્ષણો પણ જે સ્ત્રીઓ છટકી જઈ શકી હતી અને જેમના માથે પુરુષપ્રધાન સમાજે ‘ખરાબ’નું લેબલ ચોડી દીધું હતી એવી સ્ત્રીઓની વાત આ કવિતામાં આવનાર છે એમ ક્લેરિસાના પુસ્તકમાંથી અભિલેખ તરીકે ટાંકવામાં આવેલ આ અવતરણ આપણને કહે છે. સરળ અને સહજ દૃષ્ટિએ જોઈએ તો શીર્ષક તથા કાવ્યારંભે આવતાં ‘અને’ને જોડી દઈએ તો ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ અને એ અન્ય સ્ત્રીઓ જે…’ એમ વાક્ય સંપૂર્ણ થાય છે. અને એ રીતે ચાવેઝ શીર્ષકનાયિકાની સાથે સમાજની એ તમામ સ્ત્રીઓને સાંકળી લે છે, જે પોતાની પાંખે ઊડવા માંગે છે.

નાયિકા કહે છે, રહસ્યે એની મજ્જામાં ઘર કરેલું છે. ખરી વાત છે. સ્ત્રીથી મોટું બીજું કયું રહસ્ય આ સંસારમાં સર્જાયું હશે? સ્ત્રીનો પાર પામતાં તો દેવોનેય પરસેવો પડી જાય. નાયિકા સ્ટ્રિપટીઝ ડાન્સર છે. પશ્ચાત્ય દેશોમાં ઘણી ક્લબ કે બાર-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના મનોરંજન ખાતર એક કે એકાધિક સ્ત્રીઓ નૃત્ય કરતાં કરતાં પોતાનાં કપડાં લયાત્મક રીતે એક પછી એક ઉતારતી જાય અને અંતે બિલકુલ નિર્વસ્ત્ર થઈને કામુક નૃત્ય રજૂ કરે છે. નગ્ન નૃત્ય કરતી આ સ્ત્રીઓ ગ્રાહકોના ઈશારે એમના ખોળામાં ચડી જઈને પણ અંગભંગીઓ રજૂ કરે છે. નૃત્યાંગનાઓ ગ્રાહકના શરીરને સ્પર્શી-ચૂમી શકે છે પણ ગ્રાહકોને એમના શરીરને –ખાસ કરીને ઊઘાડાં જાતીય અંગોને- હાથ લગાડવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીદેહનો આ નગ્ન નજારો જોનારાંઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કેટલીક ક્લબોમાં સ્ત્રીગ્રાહકોને આકર્ષવા માટે પુરુષો પણ આ પ્રકારનું નૃત્ય કરતા હોય છે. નાયિકા જાહેરમાં વસ્ત્રો ઉતારતાં જતાં પગના અંગૂઠા પર બેલે ડાન્સરની જેમ ગોળ-ગોળ ફરતી હોય છે ત્યારે જોનાર પુરુષોને એનામાં પોતાનો ‘શિકાર’ નજર આવે છે. કેટલીક ક્લબોમાં ગ્રાહક પોતાને ગમી ગયેલી નૃત્યાંગનાને ભોગવવા માટે માલિક સાથે સોદો પાડે છે. નાયિકા સ્ત્રી હોવાની મજબૂરીની પરાકાષ્ઠા રજૂ કરતાં કહે છે કે એ આ નૃત્ય પત્યા બાદ ‘ભોગવાવું’ કોને કહેવાય તે આપણને બતાવી શકશે. પાશાગીરી અને પોપત્વ ઊભા થઈ ચારેતરફ સતત છંટકાવ કરે છે. સરકારી ખાતામાં કે સેનાદળમાં ઉચ્ચાધિકારીની પદવી ભોગવનાર પાશા કહેવાય છે. જે સ્થાન પાશાનું સામાન્ય સમાજમાં એ જ સ્થાન પોપનું ખ્રિસ્તી ધર્મમાં. ધર્મસ્થાન અને સમાજમાં ઊંચુ સ્થાન ભોગવનાર અધિકારીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી. અને નાયિકા કહે છે, કે લખી લો તમે, કંઈ પણ થાય, સ્ત્રીઓનો સ્વાદ માણતા એ લોકોને અંતે તો તમે આછા ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા જ પામશો. એમની શોષણગાથાઓ ધુમ્મસમાં ઢંકાયેલી-છૂપાયેલી જ રહેવાની છે. એ લોકો કદી બેનકાબ થશે જ નહીં. અંગ્રેજી કવિતામાં come to gush શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં comeનો એક અર્થ પરાકાષ્ઠાએ વીર્યસ્ખલન થવું પણ થાય છે. ગુજરાતીમાં come યાને ‘આવવું’નો આવો બીજો અર્થ સંભવ ન હોવાથી ઉત્તેજનાના સંદર્ભમાં ‘ઊભા થવું’ પ્રયોજાયું છે.

કવિતા અહીંથી વળાંક લે છે. જે લોકકથાને ધ્યાનમાં રાખીને એ લખાઈ છે, એ કથા અહીંથી કવિના કથનમાં ભળે છે. એ કહે છે, એ જાતીય શોષણકર્તાઓ એ વાતથી અજાણ છે કે નકાબની પાછળ જે પથારીમાં તેઓ વરુ બનીને સ્ત્રીને ભોગવી રહ્યા છે એ સ્ત્રી પોતે જ વરુ છે. વરુની જેમ આ સ્ત્રી વફાદાર તો ખરી પણ ખતરનાક પણ ખરી. શિકાર થઈ રહી છે, પણ શિકાર કરવા માટે સક્ષમ પણ છે. પોતાની રચનાઓમાં પ્રાણીઓના સ્થાન વિશે કવયિત્રી કહે છે: ‘પ્રાણીઓ હંમેશા મારા કામમાં ખાસ્સા નોંધપાત્ર જ રહેવાના. મારી પાસે એક ભીતર એક જાનવર છે, જે રીતે કેટલાક લોકોની ભીતર એક બાળક હોય છે. મોટા ભાગની આ દુનિયા જંગલી છે, બેકાબૂ છે, અદભુત છે.’

નાયિકા પોતાને તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલોમાં પાંદડાની મધ્યશિરા, બૂટ અને ધાર પર શોધવા માટે આહ્વાન આપે છે. અમેરિકાના લુઇઝિઆના રાજ્યમાં મુખ્યત્વે કળણ વિસ્તારોમાં તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલો ફેલાયેલાં છે. આ વૃક્ષોના થડ નીચેથી ખૂબ પહોળાં હોય છે જેથી કાદવમાં સંતુલન જળવાયેલું રહે અને ૧૦૦ ફૂટથીય ઊંચા વધે છે. આ વૃક્ષોને ચીરીને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોવાથી આ વૃક્ષોની છાયામાં મર્યાદિત જાતિના ફૂલો ઊગે છે. જીવનપ્રકાશ પહોંચવો દુષ્કર હોય એવા ગાઢ જંગલોમાં પુરુષોએ સ્ત્રીઓને મૂકી દીધી છે, જેથી એમનો બહુઆયામી અમર્યાદિત વિકાસ સંભવે જ નહીં. પણ સ્ત્રીને પાંદડાની જેમ મસળી-ચીરી નાંખનાર પુરુષોને સ્ત્રી ચેતવણી આપે છે. એ કહે છે, પાંદડાનો કોઈપણ ભાગ હું હોઈ શકું છું અને પાંદડાં સુદ્ધાંને પણ દાંત હોઈ શકે છે, જે તમને વરુની જેમ ફાડી ખાઈ જઈ શકે છે. સાવધાન! લોકકથાના એક સંસ્કરણમાં વરુ છોકરીને દાદીનું લોહી-માંસ ખવડાવી અજાણતાં માનવભક્ષ કરાવે છે, એની યાદ કરાવતાં નાયિકા સમાજના ઠેકેદારોને ફરી ચેતવે છે.

વરુની જેમ પોતાનું ભક્ષણ કરવા તત્પર પુરુષોના ગાઢ-અંધારા જંગલોની વચ્ચે લિટલ રેડની જેમ નાયિકા પોતાને ચીંધવામાં આવેલો રસ્તો છોડીને દરેક પ્રકારના જંગલી ફૂલોને વીણી રહી છે. એ પોતાનો માર્ગ જાતે પ્રશસ્ત કરી રહી છે. પુરુષોએ જ સર્જેલ પુરુષવાદી માળખાંઓ સમાજમાં સ્ત્રીઓનો સતત ન્યય તોળતાં આવ્યાં છે. તેઓ સ્ત્રીઓનું ‘સારી’ અને ‘નઠારી’માં વર્ગીકરણ કરે છે. સ્ત્રીઓ માટે નીતિનિયમોનું સર્જન કરે છે અને પોતે બનાવેલ આચારસંહિતાઓ એમના માથે ‘તમારા જ ભલા માટે છે’ કહીને થોપે છે. સ્ત્રીઓના વિચારમાત્રથી પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાને કઈ રીતે સંતોષવી એની તાકમાં જ રહે છે. જેમ વરુ લિટલ રેડને ફસાવે છે એ જ રીતે પુરુષો સ્ત્રીઓને યેનકેન પ્રકારે ફસાવવાની અને પોતાની જાતીય વૃત્તિઓ સંતોષવાની, પંપાળવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહે છે. ચાવેઝની આ કવિતા સ્ત્રીઓના યૌનશોષણ, અન્યાય અને અસમાનતા વિરુદ્ધ ઊઠેલ અત્યંત શક્તિશાળી અવાજ છે. સ્ત્રીઓના દમનના કારણો અને પદ્ધતિઓ ઉપર આ કવિતા પ્રબળ કુઠારાઘાત છે. આ કવિતા ઊંચુ નિશાન તાકે છે અને ઊંડો ઘા કરે છે….

ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ

Jenny kiss’d me

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry Leigh Hunt

જેનીએ મને ચૂમી લીધો

જેનીએ મને ચૂમી લીધો જ્યારે અમે મળ્યાં,

જે ખુરશીમાં બેઠી હતી એમાંથી ઊછળીને;

કાળ! ચોર! પસંદ તને છે તારી યાદીમાં

મીઠું બધું સમાવવાનું, આય નોંધી લે!

કહેજે કે હું થાક્યો છું, કહેજે કે છું ઉદાસ,

કહેજે કે સ્વાસ્થ્ય સંપત્તિ મને બેઉએ લખી વાળ્યો,

કહેજે કે હું વૃદ્ધ છું પણ ઉમેરજે આ ખાસ,

જેનીએ મને ચૂમી લીધો.

– જેમ્સ હેન્રી લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણનું મરણ કદી થતું નથી…

          સમયથી મોટો બાજીગર બીજો કોણ હોઈ શકે? સમય દરેક ‘છે’ને ‘હતું’માં ફેરવી દે છે. સમય ઉસ્તાદોનો ઉસ્તાદ છે. એ પળેપળ આપણને હમણાં જ જીવી લેવાયેલી પળથી દૂર કરતો રહે છે. યમનું રેઝર તો એક જ વાર ચાલે છે પણ સમયનું ઇરેઝર તો એકધારું ચાલતું રહે છે. જે ક્ષણમાં આપણે હાલ શ્વસી રહ્યાં છીએ એ ક્ષણ આપણને ગમે એટલી પ્રિય કે અપ્રિય કેમ ન હોય, સમય એને બીજી જ ક્ષણે વીતી ગયેલી ક્ષણમાં પલટી નાંખે છે. સમય એટલે જીવનના પ્રસંગો અને આપણી વચ્ચે સતત વધતું જતું અંતર. વહેતા પાણીને કે વહેતી હવાને પણ આપણે કદાચ અટકાવી શકીએ પણ વહેતા સમયને નાથવો શક્ય નથી. સમય ન માત્ર જિંદગીની ઘટનાઓ અને આપણી વચ્ચે અંતર વધારતો જાય છે, એ આપણને સતત એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે આપણે જીવનમાં ગમે એટલા ઊંચા શિખરે કેમ ન આરુઢ થયા હોઈએ, આપણી સિદ્ધિ, આપણી તાકાત, આપણી ક્ષમતા એટલી છે જ નહીં, જેટલી આપણે ધારી બેઠાં છીએ. સમયની આવી જ સર્વોપરિતા અને એની સામે નમતું નહીં મૂકવાની ક્ષમતાની વાત પ્રસ્તુત રચનામાં લે હન્ટ લઈ આવ્યા છે.       

          આખું નામ જેમ્સ હેન્રી લે હન્ટ. પણ સાહિત્યજગતમાં લે હન્ટ તરીકે જ વધુ પ્રખ્યાત. વિવેચક. પત્રકાર. નિબંધકાર. કવિ. જન્મ ૧૯-૧૦-૧૭૮૪ના રોજ સાઉથગેટ, લંડન ખાતે. અમેરિકાની આઝાદીની લડાઈ વખતે એના મા-બાપને અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ આવવાની ફરજ પડી હતી. આઠ સંતાનોમા તેઓ સાતમા પણ ઇંગ્લેન્ડમાં જન્મેલ પ્રથમ. પિતા અમેરિકામાં વકીલ હતા પણ ઇંગ્લેન્ડ આવીને પ્રખ્યાત ધર્મોપદેશક બન્યા. લક્ષ્મીકૃપાથી કાયમ વંચિત જ રહ્યા. પિતા ચાન્ડોસના ડ્યુકના ભત્રીજાને ભણાવતા, જેના નામ પરથી જ એમણે પુત્રનું નામ જેમ્સ હેન્રી લે પાડ્યું. બાળપણમાં એમને બોલવામાં તકલીફ હતી -જે આગળ જતાં સારી થઈ ગઈ હતી- એના કારણે અભ્યાસ માટે યુનિવર્સિટી ન જઈ શક્યા. ૧૭ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. પાછળ જતાં આ કવિતાઓ હન્ટને બાલિશ લાગી પણ માત્ર ત્રણ જ વર્ષમાં સંગ્રહની ચાર આવૃત્તિ બહાર પાડવી પડી એ હદે એ લોકપ્રિય થયો હતો. અખબારોમાં વિવિધ વિષયો પર લખવાનું આરંભ્યું. કવિ બાળપણમાં થોમસ ગ્રે અને વિલિયમ કોલિન્સના પ્રભાવ હેઠળ કવિતા કરતા. ઇટાલિઅન સાહિત્યની એમના પર ઊંડી અસર હતી. ૧૮૦૮માં ક્લર્કગીરી છોડીને ‘એક્ઝામિનર’ નામનું અખબાર બે હન્ટ ભાઈઓએ મળીને સ્થાપ્યું, તંત્રી બન્યા અને ખૂબ લોકપ્રિય થયા. એ જમાનામાં અખબારોની તાકાત ચરમસીમાએ હતી. પણ તત્કાલિન રાજકુમાર વિશેના એમના લેખે એમને તથા એમના ભાઈ-બંનેને ૧૮૧૩માં બે વર્ષનો જેલવાસ અપાવ્યો. જેલમાંથી પણ અખબાર માટે લખવાનું ચલુ રાખનાર હન્ટ આઝાદી માટેના શહીદ તરીકે ઓળખાયા. વચ્ચે ઘણા વર્ષ પારાવાર ગરીબીનો પણ શિકાર થયા હતા. ૧૮૦૯માં મરિઆન કેન્ટ સાથે લગ્ન અને વીસ વર્ષમાં દસ સંતાનોના પિતા બન્યા. ૧૮૫૭માં પત્નીનું અવસાન થયું એ પછી એમની સાળી એલિઝાબેથ, જે એમના પ્રેમમાં હતી, એમની શ્રુતલેખિકા બની. કવિતા ઉપરાંત, તેઓ સંગીત અને ચિત્રકળાના માણસ હતા. ૨૮-૦૮-૧૮૫૯ના રોજ ૭૪ વર્ષની વયે લંડન ખાતે જ નિધન.  

          માણસ તરીકે હન્ટ અજાતશત્રુ હતા અને એમના પ્રેમાળ સ્વભાવના કારણે સૌના ચહીતા પણ હતા. જો કે ચાર્લ્સ ડિકન્સે એમની સુપ્રસિદ્ધ ‘બ્લિક હાઉસ’માં હેરોલ્ડ સ્કિમ્પોલેનું જે પાત્ર રચ્યું હતું એ હકીકતમાં બીજું કોઈ નહીં પણ હન્ટ જ હતા. આ વાતથી હન્ટને મોટો આઘાત પણ પહોંચ્યો હતો. કવિનું ‘હન્ટ સર્કલ’ ખૂબ લોકપ્રિય હતું, જેમાં હેઝ્લિટ અને લેમ્બ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. કિટ્સ, શેલી, બ્રાઉનિંગ અને ટેનિસન જેવા મહારથીઓને જનતા સમક્ષ લઈ આવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું હતું. ‘રૉમેન્ટિસિઝમ’નો જે જુવાળ તત્કાલિન ઇંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હતો, એના કેન્દ્રસ્થ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. ગ્રીક, રોમન, ઇટાલિઅન અને ફ્રેન્ચ કવિતાઓના તરજૂમા પણ ઘણા કર્યા. જીવંત વર્ણન, અદભુત લયાન્વિતતતા, પ્રકૃતિ અને માનવમનની નાનાવિધ અવસ્થાઓનું તાદૃશ ચિત્રણ એમની કવિતાઓનાં મુખ્ય જમાપાસાં હતાં. અંગ્રેજી કપલેટ (યુગ્મક)ને નવશાસ્ત્રીય જડતામાંથી આઝાદ કરાવવામાં એમનો નોંધપાત્ર ફાળો હતો. ઊંડે ઊતરવું પડે એવી કવિતાઓ લખવાના બદલે એમણે મજા પડે એવી કવિતાઓ લખવી વધુ પસંદ કરી. કદાચ બહોળા પરિવાર તરફની જવાબદારી, શરાબી અને ઉધારખોર પત્નીના ઉધારને પહોંચી વળવા માટે હન્ટે મોટાભાગની જિંદગી આખા-આખા દિવસ અને અડધી રાત સુધી લખતા રહેવાની ફરજ પડી હતી જેની અસર ગુણવત્તા પર પડ્યા વિના રહી નહીં.  

          ૧૮૩૮માં પ્રગટ થયેલ માત્ર આઠ પંક્તિની આ નાનકડી કવિતાએ વિશ્વકવિતામાં ખાસ્સા વમળ સર્જ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ આ કવિતા ફ્રેન્ચ કાવ્યપ્રકાર રૉન્ડુ (Rondeau-round)ની નજીકની છે. રચનાનું મૂળ શીર્ષક પણ રૉન્ડુ જ આપવામાં આવ્યું હતું પણ પછીથી એ ‘જેની કિસ્ડ મી’થી વધુ જાણીતી થઈ. રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં ઓછું વપરાતા અને પ્રમાણમાં કઠીન ગણાતા ટ્રોકેઇક મીટરનો અહીં અદભુત અને લગભગ પ્રવાહી કહી શકાય એ રીતે પ્રયોગ થયો છે, જેમાં એક હરોળમાં ત્રણ સ્વરભારવાળા શબ્દાંશ (સ્ટ્રેસ્ડ સિલેબલ), દરેકની પાછળ એક સ્વરભારહીન શબ્દાંશ (અનસ્ટ્રેસ્ડ સિલેબલ) હોય છે અને અંતે ચોથો સ્વરભારવાળો શબ્દાંશ વપરાય છે. સમજવા માટે આપણે ગુજરાતીમાં આ છંદને ‘ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ’ (ગાલ ગાલ ગાલ ગા) ગણી શકીએ. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયમ્બિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટો –ગુરુ-લઘુ- છે, જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. આ પ્રકારનો ‘સિંગસોંગ’ લય અંગ્રેજીમાં નર્સરીની કવિતાઓ જેમ કે, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ વગેરેમાં સવિશેષ જોવા મળે છે પણ નર્સરીની કવિતાઓમાં પ્રાસરચના અઅબબ પ્રકારની હોય છે, જ્યારે હન્ટે અબઅબ પ્રકારની પ્રાસવ્યવસ્થા કરીને પોતાની કવિતાને સાયાસ બાળકાવ્યોથી અલગ તારવી છે. બીજું, ભલે ને છંદના જૂતાં પહેરીને ચાલતી હોય પણ નાના-મોટા કૂદકા મારવાનું ચૂકી જાય તો તો એ કવિતા શાની? બધી જ પંક્તિમાં સાત શબ્દાંશ પ્રયોજવાને બદલે હન્ટ બીજી અને છઠ્ઠી પંક્તિમાં આઠ અને છેલ્લી પંક્તિમાં ચાર જ શબ્દાંશ પ્રયોજીને સાવ ટચૂકડી હોવા છતાંય કવિતાને જોડકણું બનતું અટકાવે છે.       

          આ કવિતા પાછળની વાયકા પણ રસપ્રદ છે. કિટ્સ અને શેલી તો એમના ખાસ મિત્રો હતા. પણ સ્વભાવે વિચિત્ર થોમસ કાર્લાઇલ સાથે એમની મૈત્રી થોડી અજુગતી હતી. લાંબા સમય સુધી ફ્લૂની બિમારીમાં સપડાઈ રહ્યા બાદ જ્યારે હન્ટ સાજા થયા ત્યારે કાર્લાઇલને મળવા એના ઘરે ગયા. એ વખતે કાર્લાઇલની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ઉર્ફે જેની એમને મળ્યાં. લાંબા સમય સુધી ન દેખાયેલ હન્ટને જોતાંવેંત જેને એમને ચુંબન આપ્યું અને બે દિવસ પછી હન્ટનો નોકર જેનને એક કાગળ આપી ગયો, જેમાં આ કવિતા લખેલી હતી. એક બીજી વાર્તા એવી પણ છે કે, હન્ટે પોતે થોમસની કવિતાઓ પ્રગટ કરનાર હોવાના સમાચાર જેનને આપ્યા હતા અને ખુશીની મારી જેને ઊછળી પડીને હન્ટને ચુંબન આપ્યું હતું. એવી માહિતી પણ છે કે કવિતાના મૂળ ફરમામાં જેનીના સ્થાને ‘નેલી’ નામ હતું અને weary (થાક્યો)ના સ્થાને jaundiced (કમળાગ્રસ્ત) લખ્યું હતું.       

          કવિતા જે વાક્યથી શરૂ થાય છે એ જ વાક્ય પર એક સંપૂર્ણ વર્તુળની જેમ પૂર્ણ પણ થાય છે. આ પુનરોક્તિ કવિતામાં પ્રાણ પૂરે છે. કાવ્યાંતે ત્રણ જ પંક્તિઓમાં ચાર વાર ‘કહેજે કે’ આવે છે, જે પણ આ જ રીતિનું દ્યોતક છે. લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થયો છે. આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે શય્યાશયન સુધી પણ લંબાતા નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેગ છે, જે આવેશ છે એ તરત જ આપણને સ્પર્શી જાય છે. એક રીતે આ કવિતા માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ છે! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિથી વિપરીત ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવ્યું છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે.

          નાયક સમય સાથે ગુફ્તેગૂ માંડે છે. આખી રચનામાં કવિએ જે રીતે શબ્દોની કરકસર કરી છે એ પણ નોંધવા જેવું છે. આડીઅવળી વાત કરવાના બદલે એ સીધું જ સમયને ગળચીમાંથી પકડતા હોય એમ વાત આદરે છે- ટાઇમ, યુ થીફ! કોઈ પણ ઔપચારિકતા કરવાના બદલે એ સમયને સીધું જ સંબોધે છે અને તરત જ ચોરકરાર પણ આપી દે છે. સમય પર સીધો જ આરોપ મૂકતા નાયક કહે છે કે સમય બધી જ મીઠી વાતોને પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. સમયને અપાતો આ ઉપાલંભ કાવ્યનો પ્રાણ છે. સમય એકતરફ ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે તો બીજીતરફ ભલભલી મીઠી વાતો, સિદ્ધિઓ, પ્રસંગોનું કબ્રસ્તાન પણ સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. બીજા શબ્દોમાં, એ આપણી પાસેથી આપણો વર્તમાન સતત છીનવતો રહે છે. અને એ અર્થમાં એ હરહંમેશ પોતાની સર્વોપરિતા અને આપણા અસ્તિત્વની ક્ષુલ્લકતાનો જયઘોષ કરતો રહે છે.

          ખરી મજા તો નાયક કાળને જે ચીમકી આપે છે એની છે. એ કહે છે, ભલે તું તારી ટેવ મુજબ તારી ડાયરીમાં બધું જ નોંધી લે, પણ હું કહું છું એ નોંધવાનું ભૂલીશ નહીં. કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ હશે. સમયની આગળ નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, ઉદાસ પણ ઘણો છે. તન-મન-ધનના ત્રિવિધ તાપ -આધિ, વ્યાધિ, ઉપાધિ- સામે નાયક નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, ને મનમાં હતાશા. એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને સમ્યકાવસ્થામાં નાયક નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી ગયા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. જીવન હારી ગયું છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને. ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ (સુન્દરમ્) નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

          નાયક સમયને કહે છે કે ભલે મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ તું તારી યાદીમાં સમાવી લે પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક કરાયેલો સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

          સંગીત હોય, કે ગીત, ચિત્ર હોય કે શિલ્પ, નૃત્ય હોય કે કવિતા- ઘણીવાર એને આપણી સામાન્ય સમજની બહારના કોઈક તત્ત્વને સ્પર્શી જતાં આપણે સહુએ અનુભવ્યું જ હશે. કળા કોઈપણ હોય, ક્યારેક એ આપણી બુદ્ધિમત્તાને અતિક્રમી જઈ ઠે…ઠ ભીતરના કોઈક અગોચર રહસ્યમયી ઊંડાણને ઝંકૃત કરી બેસે છે. પરિણામે આપણને એ પસંદ આવી જાય છે. અને આવી ક્ષણે આપણને આમાં શું ગમી ગયું એ કહેવુંય કદાચ અઘરું થઈ પડતું હોય છે. ખેર, કળાની આ I-know-not-what, યાને કે સમજ અને શબ્દ બહારની દિવ્ય અલૌકિક ક્ષમતાના કારણે જ એ સદાકાળથી મનુષ્યજાતને આકર્ષતી આવી છે. બાઇબલમાં આવી જ વાત કરવામાં આવી છે: ‘કેમ કે અત્યારે આપણે અરીસા, અંધારિયામાં, જોઈ રહ્યાં છીએ, પણ પછી રૂબરૂ થઈશું: અત્યારે હું થોડું જ જાણું છું, પણ પછી હું પૂરું જાણી લઈશ.’ (રાજા જેમ્સનું સંસ્કરણ: ૧ કોરિન્થિઆન્સ ૧૩:૧૨) કળાના અર્થમાં વિચારીએ તો ઘણીવાર આપણે શરૂમાં એને માત્ર અનુભવીએ છીએ અને આનંદ લઈએ છીએ, અને પાછળથી આપણે એનું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇલિયટે કહ્યું હતું કે સાચી કવિતા સમજાય એ પહેલાં જ સંવાદ સાધી લે છે. હન્ટની આ કવિતા કાવ્યત્ત્વની દૃષ્ટિએ એવી મહાન કળાકૃતિ ન હોવા છતાંય દાયકાઓથી લોકોએ એને સિરઆંખો પર બેસાડીને અફાટ પ્રેમ આપ્યો છે. અમર કવિતાઓના સંપાદનોથી લઈને સામયિકો, અંગત ડાયરીઓ, જાહેર પ્રસંગો; પ્રેમની દરખાસ્ત મૂકવાના સમયથી માંડીને સુહાગરાત સુધી પેઢીઓની પેઢીઓએ આ કવિતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. કવિતા સારી અને સાચી હશે તો એ ટકશે જ એના જીવંત દાખલા સમી આ કવિતા નવલોહિયા સર્જકો માટે પ્રેરણાનું પીયૂષ છે. થોમસ એલને ‘(સે આઇ એમ ગ્રોઇંગ ઓલ્ડ બટ એડ) જેની કિસ્ડ મી!’ નામની નવલકથા પણ લખી છે. ૧૯૮૬ની સાલમાં ‘જેની કિસ્ડ મી’ નામની એક ફિલ્મ પણ બની હતી. બ્રોડવે પર આ નામનું નાટક પણ ભજવાઈ ચૂક્યું છે. ‘એજ ઓફ એડેલાઇન’ ફિલ્મમાં પણ નાયક નાયિકા સાથે લિફ્ટમાં પ્રથમ મુલાકાત વખતે આ કવિતાની પંક્તિઓ બોલે છે, જે આ કવિતાની લોકપ્રિયતાના માપદંડ ગણી શકાય. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

          સમય તો વૃકોદર છે. એના પેટમાં જેટલું નાંખો, પેટ ખાલીને ખાલી જ રહે છે. બ્રહ્માંડના બ્લેકહૉલમાં પ્રવેશેલી કોઈપણ વસ્તુ કરીય પરત આવી શકતી નથી એ જ રીતે સમયના બ્લેકહૉલમાં આપણી એક-એક ક્ષણ, એક-એક અનુભૂતિ પળેપળ હોમાયે જ રાખે છે પણ સમય કદી સંતોષનો ઓડકાર ખાવાનું નામ લેતો નથી. સમયે નાયકની જિંદગીની તમામ નબળી પળો, મીઠી પળો પોતાની યાદીમાં સમાવી લીધી છે. ‘કહેજે કે’થી શરૂ થતી બધી જ વાત જીવનની કાળી બાજુઓની અને સંજોગો સામેના મનુષ્યના પરાભવની વાત કરે છે. સમયનું કદ શબ્દે-શબ્દે મોટું થતું દેખાય છે. પણ કાવ્યાંતે નાયક પહેલાના બદલે ‘છેલ્લો ઘા રાણાનો’ કરે છે. એ સમયને કહે છે કે તું માત્ર મારા જીવનની નકારાત્મક બાજુઓ કે મારી હાર-નિષ્ફળતાઓ જ મને યાદ કરાવ્યે રાખશે એ કોઈ કાળે ચાલશે નહીં. ‘જેનીએ મને ચૂમી લીધો’ જેવી ખાસ પળ એવી છે, જેને તું લાખ ઇચ્છે તોય જીવનમાંથી ભૂંસી શકનાર નથી. ‘समय समय बलवान है, नहीं मनुष बलवान’ની આલબેલની સામે સાવ મામૂલી ભાસતી અને સાવ નાની કહી શકાય એવી જીવનની યાદગાર પળો છાતી કાઢીને ઊભી રહે છે. નાની-નાની પણ મીઠી યાદો સમય જેવા સમયને માત દઈ શકે એટલી તાકતવર હોય છે.

હે સમય! તું સ્મરણ રાખ આ વાતનું

કે, સ્મરણનું મરણ થાય ના કોઈ દિ…..  

ગ્લૉબલ કવિતા : ૧૧૪ : લે’રિયાની લૂંટાલૂંટ – લોકગીત

મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
      નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

નણંદ-ભોજાઈ અને લેરિયાની લૂંટાલૂંટની મજા…  

                 તમે મારે ત્યાં જાન લઈને આવ્યા છો. ને કન્યા પક્ષના હોવાના નાતે વાંકા વળીને તમારું સ્વાગત કરવાના બદલે હું હજાર માણસોની હાજરીમાં તમને ગાળો ભાંડું છું. મારી દીકરીના થનારા સાસુ-સસરાથી લઈને જેઠ-જેઠાણી, દિઅર-દેરાણી, નણંદ-નણદોઈ બધાને હું અપશબ્દોથી વધાવું છું અને જાનૈયાઓ ગુસ્સે થઈ ચાલ્યા જવાના બદલે ખડખડાટ હસે છે, મજા લ્યે છે અને વળતી રોકડી મને ને મારા ઘરવાળાંઓને ચોપડાવે છે. નજરોનજર જોયું ન હોય તો આ વાત કોણ માને? પણ હા, એ હકીકત છે કે પ્રસંગોપાત ગાવામાં આવતાં આવાં ફટાણાં અને અન્ય પ્રકારનાં લોકગીતો આપણને આવી વિશિષ્ટ પ્રકારની જાહેર સગવડ પૂરી પાડે છે. લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે તો સાંપ્રત સમયનો સીધો અરીસો જ. સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આજે આપણે આવા જ એક લોકગીતની વાત કરવાની છે.

                 લોકસાહિત્યની પરંપરા બહુ જૂની છે. માણસમાત્રને અભિવ્યક્ત થવાની ઝંખના હોય જ. અને માણસ જાત માટે એની બોલી એ અભિવ્યક્તિ માટેનું ઉત્તમ સાધન છે. એટલે જ કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. બોલીનો ઇતિહાસ લિપિના ઇતિહાસ કરતાં કંઈ કેટલોય જૂનો હોવાના કારણે સદીઓની સદીઓ સુધી સાહિત્યનું વહન મુખપાટીએ થતું રહ્યું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મોઢામોઢ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય. લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું. લોકોએ રચેલાં અને લોકો દ્વારા કંઠોપકંઠ પેઢી દર પેઢી વહેતાં રહેલાં આ પદ્યસાહિત્યનું ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. જે સમય સાથે સહુએ સ્વીકારી લીધું. લોક શબ્દ મૂળે સંસ્કૃત ‘लोकृ’ ધાતુ પરથી જન્મ્યો છે, જેનો અર્થ છે ‘જોવું’, ‘જાણવું’, જેના પરથી ‘લોક’ અર્થાત્ ‘જોવાવાળો.’ ઋગ્વેદ અને ઉપનિષદોમાં ‘લોક’ શબ્દનો ઉપયોગ ‘સામાન્ય જનતા’ના અર્થમાં અવારનવાર થયેલો જોવા મળે છે. ભગ્વદગીતામાં પણ ‘લોકસંગ્રહ’ શબ્દ વાપરવામાં આવ્યો છે:

                 कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
                 लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि।।3.20।।   

                 સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે. શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણીવાળી પ્રબળ પ્રવાહિતા લોકગીતનું જમા પાસું છે. તો એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક ક્યારેક એની ઉધાર બાજુ પણ બની રહે છે. જાડી ભાષામાં એમ કહી શકાય કે કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે. ભગ્વદ્ગોમંડલ ‘લોકગીત’ વિશે લખે છે: ‘ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં ગવાતાં ભજનો અને કીર્તિનો તથા જાગરણ, મોળાક્ત વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના દુહા, કવિત તથા રાસ જેવાં ઐતિહાસિક ગીતો પણ તેમાં સમાવિષ્ટ થાય છે. માળવા, રજપૂતાનામાં ગવાતા માંડ, મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા કજ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતાં રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતાં કીર્તનો અને ગુજરાતમાં ગુજરાતણોના ગરબા આ બધાં લોકગીતોના જુદા જુદા પ્રકારો છે.’

                 લોકગીતો વિશે આટલી વાત કરી લીધા બાદ આપણે પ્રસ્તુત ગીત તરફ વળીએ. નાયિકા તાજી પરણીને સાસરે આવી છે અને એનું મનગમતું લહેરિયું સાસરિયાં લૂંટી લેવા ટાંપીને જ બેઠાં છે એવી અહીં વાત છે. લહેરિયું, લે’રિયું કે લેરીયું એટલે વાંકડિયા લીટાની કે મોજાંની ભાતવાળો સાલ્લો. દરિયાની લહેર ઉપરથી એના જેવી ભાતવાળી સાડી લહેરિયું કહેવાઈ. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. કન્યાના મા-બાપની આર્થિક પરિસ્થિતિનો અહીં તાગ પણ મળે છે. આણાં વખતે એક રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. કન્યાને ગમે એટલી વહાલી કેમ ન હોય, નણંદ આણાંમાંથી ઊઠાવે એટલે મને-કમને એનો ત્યાગ કરવો જ પડે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. ટૂંકમાં, આ રિવાજ નણંદની દાદાગીરીનો દસ્તાવેજ છે, જેના પર મતું મારવું કન્યા માટે ફરજિયાત છે. હવે જો કે આ રિવાજ ભૂંસાવા માંડ્યો છે.             

                 આમ તો આખા સાસરિયામાં માત્ર નણંદ જ પારંપારિક હકથી લહેરિયું માંગી રહી છે. એક સાડી આપવી જ પડવાની છે એ વાતથી નાયિકા અજાણેય નથી. ને તે છતાંય એટલામાંય નાયિકાને લૂંટાલૂંટ મચી ગઈ હોવાનું જણાય છે. આટલા પરથી લહેરિયું એને કેટલું પ્રિય છે એ સમજાય છે અને કેમ પ્રિય છે એનો જવાબ આગળ જતાં આવે છે. લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂળ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’. અહીં ગીતનો ‘ઉપાડ’ લીધા પછી ‘પેટાળ’માં સંવાદરીતિ પ્રયોજવામાં આવી છે, જ્યાં નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. આ લહેરિયું કન્યાના દાદાએ આપેલું છે. ને વળી માતાએ એના પર લાંક યાને કે કોર બાંધી છે. આગળ જતાં ગીતમાં ચાર-ચાર ચીજોની યાદી આવે છે. સામાન્ય સંજોગોમાં આણામાં મા-બાપ એક-એક ચીજ મોકલાવે છે પણ અહીં ચારની સંખ્યા પિયર પક્ષની સમૃદ્ધિ નિર્દેશે છે. આવું ભર્યું-ભર્યું આણું લઈ જે આવી હોય, એની પાસે તો સાડી પણ પેટારો ભરીને હોવાનો. એટલે નણંદ એકાદી સાડી ઊંચકી લે એમાં કંઈ દુઃખ લગાડવા જેવું હોય નહીં. પણ આ લહેરિયું ખાસ છે કેમકે દાદા લઈ આવ્યા છે અને માએ પોતાના હાથે પરવટ મૂકી છે. નાયિકા કહે છે કે ઘરમાં ચાર ખૂણે ચાર ડાબલા મૂક્યાં છે. એમાંથી જે ગમી જાય એ લઈ લેવાની છૂટ છે પણ લે’રીયું બક્ષી દે, બસ. નવોઢાને એના પિયરિયાં આણામાં ડાબલા આપે, જેમાં નકદ નાણું અને તેજાના ભર્યા હોય છે. તેજાના જીવનને સ્વાદિષ્ટ અને સુગંધસભર બનાવવાનું પ્રતીક છે તો પૈસો દુઃખેસુખે આર્થિક ભીડ ભાંગવામાં કામ આવે એ હેતુસર મૂકવામાં આવે છે. નવોઢાને પૈસા જેવા પૈસાનોય મોહ નથી, એ એનો લહેરિયાપ્રેમ દર્શાવે છે.  

                 આગળ કહે છે, ચાર ખૂણે ચાર બેડલાં છે. જે પસંદ આવે એ તારું. બેડલું એટલે ઘડો-ગાગર કે હાંડો ને માણિયાની ઉતરડ. હાંડો એટલે મોટો દેગડો કે ગાગર અને માણિયો એટલે મણ જેટલું અનાજ કે પ્રવાહી ભરી શકાય એટલો મોટો ઘડો. એકની ઉપર એક ગોઠવવામાં આવે છે અને ભીતર ઘી અને અનાજ ભરવામાં આવે છે. ભાભી એની નણંદને એમાંથી જે પસંદ હોય એ લઈ લેવાની છૂટ આપે છે. નણંદ માનતી નથી તો વળી ઘોડાંની લાલચ આપે છે. ઘર સામની ઘોડારમાં પિયરથી આણાંમાં આવેલ ચાર-ચાર અશ્વો છે, એમાંથીય જે મનપસંદ હોય એ લઈ લેવા ભાભી નણંદને પ્રલોભન આપે છે. પણ નણંદ કંઈ કેડો મેલે એમ નથી. એનો જીવેય લેરીયામાંજ ભરાણો છે. આમેય માણસજાતનો મૂળ સ્વભાવ જ છે કે જે વસ્તુની ના કહેવામાં આવે એનું જ મન પહેલું થાય.

                 નણંદ બીજા કોઈ પણ જાતના પ્રલોભનોને વશ થતી નથી અને લહેરિયા પર જ ફેણ માંડીને બેઠી હોવાની ખાતરી થાય છે ત્યારે ભોજાઈ નમતું જોખે છે. સાસરીની બળજબરી કેવી હોઈ શકે એ આ ગીત વડે સચોટ વર્ણવાયું છે. નાયિકાના ભાથામાં હવે કોઈ તીર બચ્યાં નથી. નણંદની માંગને તાબે થયા વિના હવે એનો છૂટકો જ નથી એ હવે એને સમજાઈ ગયું છે અને એ લેરીયું દેવા તૈયાર થઈ જાય છે. અને આ ‘પીચ્છ’ કે છેડો’ આ લોકગીતને ઉત્તમોત્તમ કાવ્યની પંગતમાં બેસાડે છે. નાયિકા નણંદને લહેરિયું હાથમાં આપવાના બદલે છણકો કરીને કહે છે કે સામી વળગણીએ લહેરિયું લટકી રહ્યું છે, એ જાતે જ લઈ લો અને અદીઠડા થઈ અહીંથી હાલતા થાવ. પિયરથી આણામાં આવેલું લહેરિયું એટલું તો વહાલું છે કે જીવ પર આવીને એનાથી જીવ છોડાવવાની ફરજ પડે છે તોય નાયિકા પોતાના હાથે એ નણંદને આપી શકતી નથી. એને ફરજ પડી છે એ અલગ વસ્તુ છે, બાકી જીવ તો હજીય ચાલતો જ નથી. એટલે એ હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે. ‘અદીઠડાં’ શબ્દ જ કેટલો કાવ્યાત્મક છે! કવિતામાં જવલ્લે જ પ્રયોજાતા આ ‘અદીઠડું’ શબ્દનો આવો વિવેકસરનો ઉપયોગ શામળના દોહામાં નજરે પડે છે:     

                 મારગ દીઠે સંચરે, તેમાં શો વિવેક;

                 પણ ચલાવીએ અદીઠડે, નિર્મળ તો એ નેક  

                 લોકગીતોનો કોઈ એક સર્જક નથી હોતો. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચતાં રચાઈ જાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્વ પણ હોતું નથી. ગીત જેવું રચાય કે તરત જ એ લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાય છે અને પેઢી દર પેઢી ગળામાં સચવાતું રહે છે. આપણે ત્યાં લોકગીતોને સંગ્રહિત કરવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ રખડી-રઝળીને ઝવેરચંદ મેઘાણીએ કર્યું. એમના મતે ‘લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે.’ લોકગીત એ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે. નણદલ અને લેરિ’યાંની વાત કરતા આ લોકગીતનું થોડા ફેરફારવાળું અન્ય એક સંસ્કરણ પણ હાથ જડે છે, જેમાં નણંદનો સંવાદ ભાભીના સંબોધન સાથે પ્રયોજાયો છે, એ પણ જોઈએ:   

નણદલ માગે લે’રિયું રે બાઈ

               નણદી, જે જોઈએ તે લ્યો રે… નણદલ…

મારા દાદાનું દીધેલું લે’રિયું રે,
               મારી માતાની બાંધેલ લાંક હો… નણદલ…

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તમારા ડાબલા રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હામ હો… નણદલ…

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારાં બેડલાં રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હોંશ હો… નણદલ…

સામી ઘોડા’રે ચાર ઘોડલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારા ઘોડલા રે ભાભી,
               મને લે’રિયું પહેર્યાની ઘણી હામ હો… નણદલ…

.

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
               નણદી લઈને અદીઠડાં થાવ હો… નણદલ…

                 હવે આ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે… માણીએ નેહા પુરોહિતની કલમે નવા જમાનાની વહુનું આ ગીત:              

મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઇ !

મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઇ ;

મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઇ !

મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઇ ;

મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

તારા વીરે વખાણેલ લેરિયું રે બાઇ ;

હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઇ ,

એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

(પૂરક માહિતી: (૧) ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર, (૨) ભમ્મરિયા કૂવાને કાંઠડે –સં. સુરેન ઠાકર ‘મેહુલ’)

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : તણાતું – બાઓ ફી

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : વિવેક મનહર ટેલર

Adrift

A shipping container of rubber duckies made in China for the US washed overboard in 1992, and some of them traveled and washed ashore over 17,000 miles over 15 years.

Let’s go ahead and assume it’s yellow.
What little of science I know:
its plastic skin invincible against salt water,
but not the sun–
we can only ask so much.
Will it fade or brown?
What I mean to say is
I would want one of these
for my daughter:
its internal clock set to the mercy of the currents
that have been predictable for centuries,
but mercy is not the word anyone
would choose.
Sometimes not making sense and floating
are the same.
Each wave is its own beginning and ending.
Through international waters,
you could have caused an incident:
no one knowing you,
never reaching the hands that hoped for you.
Rough immigrant, or
free refugee–
floating flagless,
fading border,
stamped with words but not your name.

– Bao Phi

તણાતું

અમેરિકા મોકલવા માટે ચીનમાં બનાવાયેલ રબરના બતકોથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ૧૯૯૨ની સાલમાં પાણીમાં તણાઈ ગયું, અને એમાંના કેટલાક ૧૫ વર્ષ અને ૧૭૦૦૦ માઇલની મુસાફરી કરીને કિનારે ઘસડાઈ આવ્યાં.

ચાલો આગળ વધીએ અને ધારી લઈએ કે એ પીળું છે.
જે થોડું ઘણું પણ વિજ્ઞાન હું જાણું છું એ મુજબ:
એની પ્લાસ્ટિકની ત્વચા ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્ય સામે નહીં-
આપણે માત્ર આટલું જ પૂછી શકીએ.
એ ઝાંખી પડશે કે તપખીરી?
હું એમ કહેવા માંગું છું કે
મારે આમાંથી એક જોઈએ છે
મારી દીકરી માટે:
એની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલ પ્રવાહોની
દયા પર નિર્ભર છે,
પણ દયા કંઈ એ શબ્દ નથી જે કોઈપણ
પ્રયોજવું પસંદ કરે.
ક્યારેક બેમતલબની વાત કરવી અને તણાવું
એકસમાન હોય છે.
દરેક મોજું એનો પોતાનો પ્રારંભ અને અંત છે.
આંતરરાષ્ટ્રીય પાણીઓમાં થઈને,
તમે કોઈક ઘટનાને જન્મ આપ્યો હોત:
કોઈ તમને જાણતું નથી,
જે હાથોએ તમારી કામના કરી હતી એમના સુધી કદી પહોંચ્યા નહીં.
નઠોર દેશાગત, કે
મુક્ત નિર્વાસિત-
તરતાં ધજાહીન,
સરહદ ભૂંસતાં,
શબ્દોનો સિક્કો તો લાગ્યો છે પણ તમારા નામનો નહીં.

– બાઓ ફી
(અનુ.: વિવેક મનહર ટેલર)

पंछी, नदियाँ, पवन के झोंके, कोई सरहद न इन्हें रोके…

મા. અલગ-અલગ ભાષાઓમાં ‘મા’ માટે કયા શબ્દો વાપરવામાં આવે છે એ શું આપણે જાણીએ છીએ? હિંદી-ગુજરાતીમાં મા કે માતા. દક્ષિણ ભારતીય ભાષાઓ, નેપાળ, બાંગ્લાદેશમાં અમ્મા. અંગ્રેજીમાં મધર, મમ્મી કે મોમ. ચાઇનીઝ, રશિયન, પૉલિશ, જર્મન વગેર ભાષાઓમાં મામા, ફ્રેન્ચમાં મેર, મમા… આશ્ચર્ય થશે પણ આ સિવાય પણ દુનિયાની મોટાભાગની ભાષાઓમાં જનની માટેના સંબોધનમાં ‘મા’ શબ્દ કોઈક ને કોઈક રીતે અચૂક વપરાયેલો જણાશે. આદિમ-હિન્દ-યુરોપીય ભાષાના *méh₂tēr (મખ્તેર્) પરથી આદિમ-જર્મનિક *mōdēr (મોદેર્) નો જન્મ થયો. ડચ moeder(મોએદેર), જર્મન Mutter (મતર), લેટિન matter (મેતર), ગ્રીક μήτηρ (મીતીર), સંસ્કૃત मातृ (વિદેશીઓ માટે માતર) વગેરે શબ્દોમાં આના મૂળિયાં હોવાનું મનાય છે. માનવામાં આવે છે કે મૂળ સંસ્કૃત માતૃ શબ્દ આ બધાના મૂળમાં છે. હકીકત કોઈપણ હોય પણ સમજી શકાય છે કે ડાળ ભલે અલગ-અલગ હોય પણ મૂળિયાં એક જ છે. સવાલ એ થાય કે એક જ બીજમાંથી જન્મેલાં ફળ કઈ રીતે આટઆટલે દૂર લગી ફેલાયાં હશે. તો એનો જવાબ છે મનુષ્યની મુસાફરવૃત્તિ. ફરતા રહેવાના મનુષ્યના સ્વભાવના કારણે માત્ર ‘મા’ જ નહીં, સેંકડો શબ્દો એવા છે જે ભાષાઓની અલગતાની વચ્ચે પણ સમાનતા ધરાવે છે. માણસમાં મમત્વ જન્મ્યું એ દિવસથી સીમાડાઓ સર્જાવા શરૂ થયા. શરૂમાં રાજ્યોની સરહદો હતી પણ માનવી આઝાદ હતો. પછી પાસપોર્ટનો જન્મ થયો અને માણસની ઉપર નિર્વાસિત અને દેશાગતના સિક્કા લાગવા શરૂ થયા. નિર્વાસિતો અને દેશાગતોની પોતાની સમસ્યાઓ છે પણ અહીં અમેરિકન-વિએટનામી કવિ બાઓ ફીએ એમની સમસ્યાઓની વાત માંડવાના બદલે એમની યાત્રાનું ગાન ગાવા નિર્ધાર્યું છે.

બાઓ ફી. ૧૯૭૫માં વિએટનામમાં જન્મ. જન્મનું નામ થિએન બાઓ. બાઓ ત્રણ મહિનાના જ હતા ત્યારે એમના મા-બાપ બાઓ અને મોટા પાંચ સંતાનો સાથે વિએટનામ યુદ્ધથી બચવા અમેરિકા આવી ગયા. અમેરિકાના મિનીઆપોલિસમાં ઉછેર અને શાળેય શિક્ષણ. શાળામાં હતા ત્યારથી જ પોતાની કવિતાઓનું પઠન આદરી દીધું હતું. સર્જનાત્મક લેખનમાં સ્નાતક થયા. પિત્ઝા ડિલીવરી બોય તરીકે પણ કામ કર્યું. અને સુપરમાર્કેટ તથા રેસ્ટૉરન્ટમાં પણ કામ કર્યું. શિકાગોમાં ૧૯૮૪ની સાલથી સ્લેમ પોએટ્રી નામની એક સ્પર્ધા શરૂ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ કવિતાને ભારીખમ્મ વિવેચકો અને ચંદ ભાવકોના સાંકડા પાંજરામાંથી મુક્ત કરી સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવાનો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક કવિ હોવા પણ જરૂરી નથી હોતું. આ સ્પર્ધાઓમાં કવિતા સાચે જ કાનની કળા સિદ્ધ થાય છે. બાઓ આ સ્પર્ધાઓમાં અવારનવાર પુરસ્કૃત થઈ ચૂક્યા છે એ બતાવે છે કે એમની સરળતા અને સહજતા એમની રચનાઓના પ્રધાન કાકુ હશે. ૧૯૯૧ની સાલથી તેઓ પર્ફોર્મન્સ પોએટ (પ્રદર્શન કવિ) છે. તેઓ સ્પોકન વર્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. હાલ તેઓ લોફ્ટ લિટરરી સેન્ટરના પ્રોગ્રામ ડિરેક્ટર છે.

એમના પ્રથમ સંગ્રહનું નામ ‘સૉંગ આઇ સિંગ’ છે. સૉંગ એટલે અંગ્રેજીમાં ગીત એ તો આપણે જાણીએ છીએ પણ વિએટનામી ભાષામાં એનો અર્થ નદી થાય છે અને બાઓને નદી સાથે એટલો બધો લગાવ છે કે ન માત્ર એમણે પોતાના પ્રથમ સંગ્રહના નામ માટે એનો પ્રયોગ કર્યો, પોતાની દીકરીનું નામ પણ એ જ રાખ્યું છે. આ પુસ્તક એમણે ‘મારા’ એશિયન-અમેરિકન લોકોને અર્પણ કર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતા વિશે લખે છે: ‘શ્રીમાન ફીએ લખેલી દરેક કવિતા સચ્ચાઈ સાથે પ્રાસ મેળવે છે.’ શિકાગો રિવ્યૂ ઑફ બુક્સ લખે છે: ‘આ એક અલગ પ્રકારની કવિતા છે, એક સંગ્રહ જે એક અનુભવી વક્તા દ્વારા લખવામાં આવ્યો છે, જે સમજે છે કે વાર્તા કઈ રીતે કહેવાય છે. આ કવિતાઓ થતી નથી, વીતી જાય છે. તેઓ એ વાર્તા સાથે જોડાઈ જાય છે જે હજી પૂરી થઈ નથી.’ બાઓનું કામ વંશિય, ઐતિહાસિક, રાજકીય અને સામાજીક છે. એની શાંતિ અને વિચારશીલતાની નીચે એક આક્રોશ છૂપાયેલો જોવા મળે છે. વિએટનામી અમેરિકન કવિતાનો એ એક જાગૃત અવાજ છે.

‘તણાતું’ અછાંદસ કાવ્ય છે. સમુદ્રના મોજાંની લંબાઈની જેમ અહીં પણ પંક્તિઓ અનિયમિત લંબાઈની બનેલી છે. કવિએ ટીવી પર જોયેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં રજૂ થયેલી સત્યઘટનાના વાક્યનિરૂપણથી ખૂલે છે. શીર્ષક અને કવિતાની વચ્ચેનું આ વાક્ય દરિયાના મોજાં પર તરતાં રમકડાં જેવું લાગે છે. વિદેશી કવિતાઓમાં મૂળ કવિતાના મથાળે આવું કોઈ સ્વરચિત વાક્ય અથવા જાણીતા લેખક-કવિની એકાદી પંક્તિ કે વાક્ય ટાંકવાની પ્રણાલિ ખાસી પ્રચલિત છે. આ પંક્તિ કે વાક્ય ભાવક અને કવિતા વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. પ્રાસ અને છંદની અનુપસ્થિતિમાં કવિની સંવેદનાને પ્રસ્તુત કવિતા સાચો લય આપી શકી છે એ હકીકત અનુભવાયા વિના રહેતી નથી. આ કવિતા વિશે બાઓ કહે છે, ‘વિએટનામ યુદ્ધના પગલે મારો પરિવાર શરણાર્થી તરીકે અમેરિકા આવ્યો. હું બાળક હતો, શારીરિક રીતે તો હાજર, પણ મારા પરિવારે જે મને કહ્યું એ સિવાય મારી પાસે કોઈ યાદ નથી. એક લેખક અને અમેરિકામાં એક મનુષ્યના રૂપમાં, મારા સમગ્ર જીવન દરમિયાન, ખોવાઈ ગયાના, આગંતુક હોવાના, જિજ્ઞાસા કે ઉપહાસની વસ્તુ હોવાના વિષયો હંમેશા હાજર રહ્યા છે.’

જાન્યુઆરી, ૧૯૯૨માં અમેરિકાની ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની માટે ચીને બનાવેલ બાથટબમાં તરે એવા રબરના પીળાં બતક, ભૂરા કાચબા અને લીલા દેડકાઓથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ચીનથી અમેરિકા જવા સમુદ્રમાર્ગે રવાના કરાયું હતું. ૨૯૦૦૦ રમકડાંઓથી ભરેલ આ કન્ટેનર કોઈક કારણોસર પેસિફિક સમુદ્રની મધ્યમાં ખૂલી ગયું અને રમકડાંઓ અમેરિકા પહોંચવાના બદલે સમુદ્રના મોજાંઓના હવાલે થયાં. બાથટબમાં બાળકોને મોજમસ્તીમાં સહાયક બનવાના હેતુસર સર્જાયેલા રબર અને પ્લાસ્ટિકના આ રમકડાં ઈશ્વરના વિશાળતમ બાથટબમાં તરતાં થઈ ગયાં. ટકાઉ પ્લાસ્ટિકમાંથી બનેલ તથા વૉટરપ્રુફ હોવાના કારણે તેઓ સમુદ્રના પ્રવાહો સાથે તરવા-તણાવા માંડ્યાં. કર્ટિસ એબિસમાયર નામના એક સમુદ્રશાસ્ત્રીને આ રમકડાંઓમાં રસ પડ્યો. એણે દૈવજોગે બનેલી આ ઘટનામાં વિજ્ઞાન જોયું અને એ આ રમકડાંઓના અભ્યાસમાં મચી પડ્યો. જે સ્થળે ટાઇટનિક જહાજ ડૂબી ગયું હતું એ જગ્યાએ પણ ડૂબ્યા વિના આ રમકડાંઓ અલાસ્કા, હવાઈ અને આર્ક્ટિકના બર્ફીલા સમુદ્ર અને પ્રદેશોની મુસાફરી કરીને લગભગ સત્તર હજાર માઇલનું અંતર કાપીને પંદર વરસના લાંબા સમયગાળા બાદ બ્રિટન પહોંચ્યા. વિશ્વના મહાસમુદ્રોના પ્રવાહોની દિશા નક્કી કરવામાં આ રમકડાંઓના અભ્યાસે જે મદદ કરી એ અકલ્પનીય હતી. જે કામ ઢગલો નાણાં ખર્ચીને કરવામાં આવતું હતું એ કામ આ રમકડાંઓની મુસાફરીના નક્શાએ આસાન કરી દીધું. પ્રવાહોની દિશા પરથી પૃથ્વીની આબોહવાની આગાહી કરી શકાય છે. આ રમકડાં સમુદ્રી પર્યાવરણ પર પ્લાસ્ટિકના ગેરફાયદાઓ સિદ્ધ કરવામાં પણ કામ લાગ્યાં. ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની, જેના માટે આ રમકડાં બનાવાયાં હતાં એ કંપનીએ જે-તે સમયે આ રમકડાં શોધીને કંપનીને પરત કરનારને પચાસથી સિત્તેર પાઉન્ડનો પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી, જે ઘટના પોતે આ રમકડાંઓનું મહત્ત્વ નિર્દેશે છે. આ રમકડાંઓને ‘ફ્રેન્ડલી ફ્લોટિસ’નું નામ આપવામાં આવ્યું. ટીવી પર આ બાબતની એક ડૉક્યુમેન્ટરી કવિએ જોઈ, એમાંથી આ કવિતા સર્જાઈ.

નાનકડા અભિલેખમાં પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિ ઝડપભેર કવિતામાં આગળ વધવા કૃતનિશ્ચયી જણાય છે. એ કહે છે, ચાલો આગળ વધીએ અને ધારી લઈએ…. કવિની નજર સમક્ષ વર્ષો સુધી અને માઈલો સુધી તણાઈને છેવટે કિનારે આવવામાં સફળ રહેલા બતકોમાંના કેટલાક ઉપસ્થિત છે. કવિ લાંબી ચર્ચામાં ઊતરવાના મિજાજમાં નથી એટલે બતકનો રંગ પીળો હશે એમ ધારી લઈને પોતાની વાતમાં તરત આગળ વધવા માંગે છે. આગળ જતાં સમજાશે કે ન માત્ર રંગનો વિવાદ, નામનો-ઓળખનો વિવાદ સુદ્ધાં અહીં બેબુનિયાદ છે. મહત્ત્વ માત્ર હજારો માઇલ અને સેંકડો વર્ષોની મુસાફરી બાદ કોઈક કિનારો પ્રાપ્ત થવાનું જ છે. પોતે ભૌતિકશાસ્ત્ર કે વિજ્ઞાનના અભ્યાસુ નથી એ વાત સ્વીકારીને પણ કવિ પોતાની વાતમાં વૈજ્ઞાનિક તથ્ય છે જ એવું પ્રતિપાદિત કરી જણાવે છે કે આ રમકડાંઓની ત્વચા ખારાં પાણીની સામે તો હાર માને એવી નથી પણ સાથે જ એ સૂર્ય સામે ઝીંક ઝીલી શકે એમ નહોતી. એટલે આ રમકડાં મૂળે પીળાં હોવા જોઈએ એમ ધારી લઈને આપણે માત્ર એટલું જ પૂછી શકીએ છીએ કે આ રમકડાંઓની ત્વચા સમય સાથે ઝાંખી પડશે કે તપખીરી થશે. આ રમકડાંઓમાં કેટલાક રબરના હતાં તો કેટલાક પ્લાસ્ટિકનાં. કદાચ એટલે જ કવિએ અભિલેખમાં રબર શબ્દ પ્રયોજ્યો છે અને કવિતામાં પ્લાસ્ટિક. હશે, રમકડાં શેનાં બન્યાં છે એની પિષ્ટપેષણ કરતાં વધુ અગત્યનું કવિ જે મુદ્દો ઊઠાવવા માટે આ કવિતા લઈ આવ્યા છે એ છે. એટલે જે રીતે કવિ કહે છે એ જ રીતે આપણે પણ રબર અથવા પ્લાસ્ટિક ધારી લઈએ અને ચાલો આગળ વધીએ.

કવિને આ રમકડાંઓમાંથી એક પોતાની દીકરી માટે મેળવવાની નેમ છે. ઓહહો! તો આ કારણ હતું, આખી ભાંજગડનું! દરેક માણસની ભીતર એક બાળક જીવતું હોય જ છે. અને આ ભીતરી બાળકને જે વસ્તુ સ્પર્શી જાય પણ ઉંમર વચ્ચે અંતરાય બનીને ઊભી રહી ગઈ હોય એ વસ્તુ માણસ પોતાના સંતાન માટે મેળવવા ઝંખે જ છે. એક આ જ રીત છે જે રીતે માણસ પોતાની ભીતરના બાળકને સંતોષવાના શ્રેષ્ઠતમ કીમિયાની સૌથી નજીક જઈ શકે છે. આ રમકડાંઓની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલા સમુદ્રી પ્રવાહોની દયા પર આધારિત છે. અહીં આગળથી કવિતા જરા સંદિગ્ધ બનતી જાય છે. કવિને વાત રમકડાંઓની કે દીકરીની નથી કરવી પણ કવિને જ્યાં જવું છે, જેની વાત કરવી છે, ત્યાં જવા માટે કવિ પહેલા પગથિયા તરીકે એમનો ઉપયોગ કરે છે. સમુદ્રના પ્રવાહો વિશે અનુમાન કરવામાં આ રમકડાં ઉપયોગી બન્યાં એનો સંદર્ભ કવિ આ રીતે અહીં પ્રયોજી લે છે. વર્ષો સુધી હજારો માઇલ તરતાં રહીને કાંઠે પહોંચેલ આ રમકડાંઓને સાધારણ ન જ ગણી શકાય એ કવિ તો સમજે જ છે, આપણે પણ સમજવાનું છે. સમય અને વિપરિત સંજોગોની સામે ઝીંક ઝીલીને એ વિજયી થયાં છે એટલે કયા સમયે કાંઠો આવશે એ ઘડિયાળ સમુદ્રના પ્રવાહોની દયા પર નિર્ભર હતી એમ કહી દીધા બાદ તરત કવિને ખ્યાલ આવે છે કે આ ઘટના માટે દયા શબ્દ પ્રયોજવો અનુચિત છે. રમકડાંની મૌન સિદ્ધિ સમજનાર કોઈ પણ આ શબ્દ વાપરી શકશે નહીં એ હકીકત છે.

કવિને ખ્યાલ છે કે પોતે જે કહેવું છે એ સીધું ન કહીને કદાચ બેમતલબની વાત કરી રહ્યાં છે. કદાચ કંપનીના ગોડાઉનમાં પહોંચીને બજાર અને ત્યાંથી બાળક અને બાથટબ સુધીનું ગંતવ્ય ધરાવતા આ રમકડાંઓ માટે વરસો સુધી સમુદ્રમાં તણાઈને કોઈક અજાણ્યા કિનારે અજાણ્યા હાથોમાં પહોંચી જવું પણ એક બેમતલબ બાબત જ હતી. કવિ બેમતલબની વાત અને દરિયામાં તણાવાને સમાનાર્થી ગણાવે છે. કોઈપણ જાતનો અર્થ ન સરે એવી વાતો જ્યારે આપણે કરતાં હોઈએ છીએ ત્યારે કદાચ આપણે આ રમકડાંઓની જેમ જ દિશાહીન સમયહીન તરતાં-તણાતાં હોઈએ છીએ. ખરું ને?

દરિયાનું દરેક મોજું આરંભની સાથે જ અંત પણ લઈને જ જન્મે છે. આપણે સહુ પણ. આપણો જન્મ એ પોતે જ મૃત્યુની શરૂઆત નથી? આપણે જ આપણી શરૂઆત અને આપણે જ આપણો અંત. આ એક વસ્તુ સમજી લેવાય તો ઘણાખરા શોક કે અફસોસને જીવનમાં સ્થાન ન રહે. મોજું જન્મે છે અને ખતમ થાય છે. એક મોજું ખતમ થાય છે અને બીજું જન્મે છે. આમ, મોજાંઓની હારમાળા અનવરત ચાલ્યે રાખે છે પણ એની ઉપર બતક સ્વરૂપે સમય અને વાતાવરણની જીતીને જીવી રહેલ જે અસ્તિત્વ છે, એ કાયમ રહે છે. કવિ રમકડાંઓને સંબોધીને કહે છે અથવા જેની પાસે દીકરી માટે એક રમકડું માંગે છે એને કહે છે અથવા તો પોતાની જાતને જ સંબોધીને કહે છે કે આંતરરાષ્ટ્રીય પાણીઓમાંથી પસાર થઈને તમે કદાચિત કોઈક ઘટના જન્માવી હોત. માણસે જમીન અને પાણીને સરહદો નક્કી કરીને વહેંચી લીધા છે. રજા વિના કોઈક સરહદ તમે વટાવી નથી કે બબાલ થઈ નથી. આ રમકડાંઓ કેટલા બધા દેશોની માલિકીના પાણીઓ વટાવીને અહીં સુધી પહોંચ્યાં છે. પાણી માટે કવિ બહુવચન પ્રયોજે છે એ વાત ધ્યાન ખેંચે છે અને એ કારણોસર રમકડાંઓની આ યાત્રા પણ વધુ ધ્યાનાર્હ બને છે. જ્યાં એ પહોંચી ગયાં છે ત્યાં કોઈ એમને જાણતું નથી, અને જે હાથોને એમની આશા હતી એ હાથો સુધી એ કદી પહોંચી જ શક્યા નથી. તમે એને દેશ છોડી જનાર નઠોર દેશાગત ગણો કે મુક્ત વિહાર કરી મનફાવે ત્યાં આશ્રય લેનાર નિર્વાસિત ગણો, તેઓ કોઈ પણ જાતની ઓળખની ધજા વિના, તમામ સરહદોને ભૂંસતાં ભૂંસતાં અહીં આવ્યાં છે. એમની ઉપર સિક્કો જરૂર લાગેલો છે પણ એ સિક્કો તમારા નામનો નથી. મતલબ એમની પોતીકી ઓળખ છે જે તમારી માલિકીથી પર છે.

આખી વાત ટૂંકમાં જબરદસ્તી એક યા બીજા કારણોસર પોતાનો દેશ કે મુલ્ક ત્યજવાની જેને ફરજ પડી છે એવા નિર્વાસિતોની કે સ્વેચ્છાએ વતનત્યાગ કરીને અન્ય દેશને પોતાનું ઘર બનાવવા નીકળેલ દેશાગતો કે દેશાંતરવાસીઓની મુસાફરીની છે. કવિના માબાપ વતન છોડીને પરભોમમાં સ્થાયી થયા એ વખતે કવિ તો બહુ નાના હતા પણ નિર્વાસિતોની કથા-વ્યથા એમણે આખું જીવન કાનેથી પીધે રાખી છે. આ કથા-વ્યથા રમકડાંઓની જેમ જ એમની ભીતર વર્ષોના વહાણાં વહાવા અને જિંદગીના સૂરજોની અનેક થપાટો ખાવા બાદ પણ ડૂબવા પામી નથી, અને આખરે એક ડૉક્યુમેન્ટરીના પ્રતાપે કાગળની સપાટી પર તરી આવી. એલિઝા ગ્રિસ્વૉલ્ડ એક કવિતામાં લખે છે: ‘અહીં દરેક વ્યક્તિ દેશાંતરવાસી છે. દરેક જણ ક્યાંક બીજેથી જ આવ્યું છે.’ એક મજાના ગીતમાં સુન યુન્ગ શિન કહે છે: ‘દરેક પક્ષી -જેઓ ઊડી નથી શકતાં તેઓને પણ- પાંખો હોય છે.’ પોતે જે જમીન પર જન્મ્યાં છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળેલ માણસ કેટલો મોટો નિર્ણય લે છે, કેટલો હિંમતવાન હશે! ‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં કૂદકો હિંમતના કે મજબૂરીના પેરાશૂટ વિના મારવો દોહ્યલો છે. બીજી ભૂમિ પર ઝંડો ગાડવા નીકળવા માટે પ્રથમ જાતના ઝંડા છોડવા જરૂરી બને છે. ધજાહીન થયા પછી જ સરહદહીનતામાં પ્રવેશી શકાય છે. માથે દેશનો સિક્કો તો લાગ્યો છે, પણ દેશાગતો-નિર્વાસિતોનું ખુદનું નામ, નિજની ઓળખ સ્થળાંતરના ખારાં પાણી અને સંજોગોના સૂર્યના તાપમાં મૂળ રંગ ગુમાવી બેઠું હોય છે. યુદ્ધ કે આપખુદ શાસકોના ભયથી ઘરબાર ત્યજી ભાગનાર નિર્વાસિતો આખરે શું છે? સત્તાના હાથમાં તરતા રમકડાં જ ને? પૉલ વેલેરીએ કહ્યું હતું: ‘કવિતા ક્યારેય સમાપ્ત થતી નથી, એ માત્ર ત્યજી દેવામાં આવે છે.’ રમકડાંઓની યાત્રા તો કિનારે આવીને ખતમ થઈ જાય છે પણ નિર્વાસિતોની કવિતા તો ત્યાંથી જ શરૂ થાય છે..