ગ્લૉબલ કવિતા : ૧૧૩ : તણાતું – બાઓ ફી

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : વિવેક મનહર ટેલર

Adrift

A shipping container of rubber duckies made in China for the US washed overboard in 1992, and some of them traveled and washed ashore over 17,000 miles over 15 years.

Let’s go ahead and assume it’s yellow.
What little of science I know:
its plastic skin invincible against salt water,
but not the sun–
we can only ask so much.
Will it fade or brown?
What I mean to say is
I would want one of these
for my daughter:
its internal clock set to the mercy of the currents
that have been predictable for centuries,
but mercy is not the word anyone
would choose.
Sometimes not making sense and floating
are the same.
Each wave is its own beginning and ending.
Through international waters,
you could have caused an incident:
no one knowing you,
never reaching the hands that hoped for you.
Rough immigrant, or
free refugee–
floating flagless,
fading border,
stamped with words but not your name.

– Bao Phi

તણાતું

અમેરિકા મોકલવા માટે ચીનમાં બનાવાયેલ રબરના બતકોથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ૧૯૯૨ની સાલમાં પાણીમાં તણાઈ ગયું, અને એમાંના કેટલાક ૧૫ વર્ષ અને ૧૭૦૦૦ માઇલની મુસાફરી કરીને કિનારે ઘસડાઈ આવ્યાં.

ચાલો આગળ વધીએ અને ધારી લઈએ કે એ પીળું છે.
જે થોડું ઘણું પણ વિજ્ઞાન હું જાણું છું એ મુજબ:
એની પ્લાસ્ટિકની ત્વચા ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્ય સામે નહીં-
આપણે માત્ર આટલું જ પૂછી શકીએ.
એ ઝાંખી પડશે કે તપખીરી?
હું એમ કહેવા માંગું છું કે
મારે આમાંથી એક જોઈએ છે
મારી દીકરી માટે:
એની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલ પ્રવાહોની
દયા પર નિર્ભર છે,
પણ દયા કંઈ એ શબ્દ નથી જે કોઈપણ
પ્રયોજવું પસંદ કરે.
ક્યારેક બેમતલબની વાત કરવી અને તણાવું
એકસમાન હોય છે.
દરેક મોજું એનો પોતાનો પ્રારંભ અને અંત છે.
આંતરરાષ્ટ્રીય પાણીઓમાં થઈને,
તમે કોઈક ઘટનાને જન્મ આપ્યો હોત:
કોઈ તમને જાણતું નથી,
જે હાથોએ તમારી કામના કરી હતી એમના સુધી કદી પહોંચ્યા નહીં.
નઠોર દેશાગત, કે
મુક્ત નિર્વાસિત-
તરતાં ધજાહીન,
સરહદ ભૂંસતાં,
શબ્દોનો સિક્કો તો લાગ્યો છે પણ તમારા નામનો નહીં.

– બાઓ ફી
(અનુ.: વિવેક મનહર ટેલર)

पंछी, नदियाँ, पवन के झोंके, कोई सरहद न इन्हें रोके…

મા. અલગ-અલગ ભાષાઓમાં ‘મા’ માટે કયા શબ્દો વાપરવામાં આવે છે એ શું આપણે જાણીએ છીએ? હિંદી-ગુજરાતીમાં મા કે માતા. દક્ષિણ ભારતીય ભાષાઓ, નેપાળ, બાંગ્લાદેશમાં અમ્મા. અંગ્રેજીમાં મધર, મમ્મી કે મોમ. ચાઇનીઝ, રશિયન, પૉલિશ, જર્મન વગેર ભાષાઓમાં મામા, ફ્રેન્ચમાં મેર, મમા… આશ્ચર્ય થશે પણ આ સિવાય પણ દુનિયાની મોટાભાગની ભાષાઓમાં જનની માટેના સંબોધનમાં ‘મા’ શબ્દ કોઈક ને કોઈક રીતે અચૂક વપરાયેલો જણાશે. આદિમ-હિન્દ-યુરોપીય ભાષાના *méh₂tēr (મખ્તેર્) પરથી આદિમ-જર્મનિક *mōdēr (મોદેર્) નો જન્મ થયો. ડચ moeder(મોએદેર), જર્મન Mutter (મતર), લેટિન matter (મેતર), ગ્રીક μήτηρ (મીતીર), સંસ્કૃત मातृ (વિદેશીઓ માટે માતર) વગેરે શબ્દોમાં આના મૂળિયાં હોવાનું મનાય છે. માનવામાં આવે છે કે મૂળ સંસ્કૃત માતૃ શબ્દ આ બધાના મૂળમાં છે. હકીકત કોઈપણ હોય પણ સમજી શકાય છે કે ડાળ ભલે અલગ-અલગ હોય પણ મૂળિયાં એક જ છે. સવાલ એ થાય કે એક જ બીજમાંથી જન્મેલાં ફળ કઈ રીતે આટઆટલે દૂર લગી ફેલાયાં હશે. તો એનો જવાબ છે મનુષ્યની મુસાફરવૃત્તિ. ફરતા રહેવાના મનુષ્યના સ્વભાવના કારણે માત્ર ‘મા’ જ નહીં, સેંકડો શબ્દો એવા છે જે ભાષાઓની અલગતાની વચ્ચે પણ સમાનતા ધરાવે છે. માણસમાં મમત્વ જન્મ્યું એ દિવસથી સીમાડાઓ સર્જાવા શરૂ થયા. શરૂમાં રાજ્યોની સરહદો હતી પણ માનવી આઝાદ હતો. પછી પાસપોર્ટનો જન્મ થયો અને માણસની ઉપર નિર્વાસિત અને દેશાગતના સિક્કા લાગવા શરૂ થયા. નિર્વાસિતો અને દેશાગતોની પોતાની સમસ્યાઓ છે પણ અહીં અમેરિકન-વિએટનામી કવિ બાઓ ફીએ એમની સમસ્યાઓની વાત માંડવાના બદલે એમની યાત્રાનું ગાન ગાવા નિર્ધાર્યું છે.

બાઓ ફી. ૧૯૭૫માં વિએટનામમાં જન્મ. જન્મનું નામ થિએન બાઓ. બાઓ ત્રણ મહિનાના જ હતા ત્યારે એમના મા-બાપ બાઓ અને મોટા પાંચ સંતાનો સાથે વિએટનામ યુદ્ધથી બચવા અમેરિકા આવી ગયા. અમેરિકાના મિનીઆપોલિસમાં ઉછેર અને શાળેય શિક્ષણ. શાળામાં હતા ત્યારથી જ પોતાની કવિતાઓનું પઠન આદરી દીધું હતું. સર્જનાત્મક લેખનમાં સ્નાતક થયા. પિત્ઝા ડિલીવરી બોય તરીકે પણ કામ કર્યું. અને સુપરમાર્કેટ તથા રેસ્ટૉરન્ટમાં પણ કામ કર્યું. શિકાગોમાં ૧૯૮૪ની સાલથી સ્લેમ પોએટ્રી નામની એક સ્પર્ધા શરૂ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ કવિતાને ભારીખમ્મ વિવેચકો અને ચંદ ભાવકોના સાંકડા પાંજરામાંથી મુક્ત કરી સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવાનો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક કવિ હોવા પણ જરૂરી નથી હોતું. આ સ્પર્ધાઓમાં કવિતા સાચે જ કાનની કળા સિદ્ધ થાય છે. બાઓ આ સ્પર્ધાઓમાં અવારનવાર પુરસ્કૃત થઈ ચૂક્યા છે એ બતાવે છે કે એમની સરળતા અને સહજતા એમની રચનાઓના પ્રધાન કાકુ હશે. ૧૯૯૧ની સાલથી તેઓ પર્ફોર્મન્સ પોએટ (પ્રદર્શન કવિ) છે. તેઓ સ્પોકન વર્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. હાલ તેઓ લોફ્ટ લિટરરી સેન્ટરના પ્રોગ્રામ ડિરેક્ટર છે.

એમના પ્રથમ સંગ્રહનું નામ ‘સૉંગ આઇ સિંગ’ છે. સૉંગ એટલે અંગ્રેજીમાં ગીત એ તો આપણે જાણીએ છીએ પણ વિએટનામી ભાષામાં એનો અર્થ નદી થાય છે અને બાઓને નદી સાથે એટલો બધો લગાવ છે કે ન માત્ર એમણે પોતાના પ્રથમ સંગ્રહના નામ માટે એનો પ્રયોગ કર્યો, પોતાની દીકરીનું નામ પણ એ જ રાખ્યું છે. આ પુસ્તક એમણે ‘મારા’ એશિયન-અમેરિકન લોકોને અર્પણ કર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતા વિશે લખે છે: ‘શ્રીમાન ફીએ લખેલી દરેક કવિતા સચ્ચાઈ સાથે પ્રાસ મેળવે છે.’ શિકાગો રિવ્યૂ ઑફ બુક્સ લખે છે: ‘આ એક અલગ પ્રકારની કવિતા છે, એક સંગ્રહ જે એક અનુભવી વક્તા દ્વારા લખવામાં આવ્યો છે, જે સમજે છે કે વાર્તા કઈ રીતે કહેવાય છે. આ કવિતાઓ થતી નથી, વીતી જાય છે. તેઓ એ વાર્તા સાથે જોડાઈ જાય છે જે હજી પૂરી થઈ નથી.’ બાઓનું કામ વંશિય, ઐતિહાસિક, રાજકીય અને સામાજીક છે. એની શાંતિ અને વિચારશીલતાની નીચે એક આક્રોશ છૂપાયેલો જોવા મળે છે. વિએટનામી અમેરિકન કવિતાનો એ એક જાગૃત અવાજ છે.

‘તણાતું’ અછાંદસ કાવ્ય છે. સમુદ્રના મોજાંની લંબાઈની જેમ અહીં પણ પંક્તિઓ અનિયમિત લંબાઈની બનેલી છે. કવિએ ટીવી પર જોયેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં રજૂ થયેલી સત્યઘટનાના વાક્યનિરૂપણથી ખૂલે છે. શીર્ષક અને કવિતાની વચ્ચેનું આ વાક્ય દરિયાના મોજાં પર તરતાં રમકડાં જેવું લાગે છે. વિદેશી કવિતાઓમાં મૂળ કવિતાના મથાળે આવું કોઈ સ્વરચિત વાક્ય અથવા જાણીતા લેખક-કવિની એકાદી પંક્તિ કે વાક્ય ટાંકવાની પ્રણાલિ ખાસી પ્રચલિત છે. આ પંક્તિ કે વાક્ય ભાવક અને કવિતા વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. પ્રાસ અને છંદની અનુપસ્થિતિમાં કવિની સંવેદનાને પ્રસ્તુત કવિતા સાચો લય આપી શકી છે એ હકીકત અનુભવાયા વિના રહેતી નથી. આ કવિતા વિશે બાઓ કહે છે, ‘વિએટનામ યુદ્ધના પગલે મારો પરિવાર શરણાર્થી તરીકે અમેરિકા આવ્યો. હું બાળક હતો, શારીરિક રીતે તો હાજર, પણ મારા પરિવારે જે મને કહ્યું એ સિવાય મારી પાસે કોઈ યાદ નથી. એક લેખક અને અમેરિકામાં એક મનુષ્યના રૂપમાં, મારા સમગ્ર જીવન દરમિયાન, ખોવાઈ ગયાના, આગંતુક હોવાના, જિજ્ઞાસા કે ઉપહાસની વસ્તુ હોવાના વિષયો હંમેશા હાજર રહ્યા છે.’

જાન્યુઆરી, ૧૯૯૨માં અમેરિકાની ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની માટે ચીને બનાવેલ બાથટબમાં તરે એવા રબરના પીળાં બતક, ભૂરા કાચબા અને લીલા દેડકાઓથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ચીનથી અમેરિકા જવા સમુદ્રમાર્ગે રવાના કરાયું હતું. ૨૯૦૦૦ રમકડાંઓથી ભરેલ આ કન્ટેનર કોઈક કારણોસર પેસિફિક સમુદ્રની મધ્યમાં ખૂલી ગયું અને રમકડાંઓ અમેરિકા પહોંચવાના બદલે સમુદ્રના મોજાંઓના હવાલે થયાં. બાથટબમાં બાળકોને મોજમસ્તીમાં સહાયક બનવાના હેતુસર સર્જાયેલા રબર અને પ્લાસ્ટિકના આ રમકડાં ઈશ્વરના વિશાળતમ બાથટબમાં તરતાં થઈ ગયાં. ટકાઉ પ્લાસ્ટિકમાંથી બનેલ તથા વૉટરપ્રુફ હોવાના કારણે તેઓ સમુદ્રના પ્રવાહો સાથે તરવા-તણાવા માંડ્યાં. કર્ટિસ એબિસમાયર નામના એક સમુદ્રશાસ્ત્રીને આ રમકડાંઓમાં રસ પડ્યો. એણે દૈવજોગે બનેલી આ ઘટનામાં વિજ્ઞાન જોયું અને એ આ રમકડાંઓના અભ્યાસમાં મચી પડ્યો. જે સ્થળે ટાઇટનિક જહાજ ડૂબી ગયું હતું એ જગ્યાએ પણ ડૂબ્યા વિના આ રમકડાંઓ અલાસ્કા, હવાઈ અને આર્ક્ટિકના બર્ફીલા સમુદ્ર અને પ્રદેશોની મુસાફરી કરીને લગભગ સત્તર હજાર માઇલનું અંતર કાપીને પંદર વરસના લાંબા સમયગાળા બાદ બ્રિટન પહોંચ્યા. વિશ્વના મહાસમુદ્રોના પ્રવાહોની દિશા નક્કી કરવામાં આ રમકડાંઓના અભ્યાસે જે મદદ કરી એ અકલ્પનીય હતી. જે કામ ઢગલો નાણાં ખર્ચીને કરવામાં આવતું હતું એ કામ આ રમકડાંઓની મુસાફરીના નક્શાએ આસાન કરી દીધું. પ્રવાહોની દિશા પરથી પૃથ્વીની આબોહવાની આગાહી કરી શકાય છે. આ રમકડાં સમુદ્રી પર્યાવરણ પર પ્લાસ્ટિકના ગેરફાયદાઓ સિદ્ધ કરવામાં પણ કામ લાગ્યાં. ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની, જેના માટે આ રમકડાં બનાવાયાં હતાં એ કંપનીએ જે-તે સમયે આ રમકડાં શોધીને કંપનીને પરત કરનારને પચાસથી સિત્તેર પાઉન્ડનો પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી, જે ઘટના પોતે આ રમકડાંઓનું મહત્ત્વ નિર્દેશે છે. આ રમકડાંઓને ‘ફ્રેન્ડલી ફ્લોટિસ’નું નામ આપવામાં આવ્યું. ટીવી પર આ બાબતની એક ડૉક્યુમેન્ટરી કવિએ જોઈ, એમાંથી આ કવિતા સર્જાઈ.

નાનકડા અભિલેખમાં પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિ ઝડપભેર કવિતામાં આગળ વધવા કૃતનિશ્ચયી જણાય છે. એ કહે છે, ચાલો આગળ વધીએ અને ધારી લઈએ…. કવિની નજર સમક્ષ વર્ષો સુધી અને માઈલો સુધી તણાઈને છેવટે કિનારે આવવામાં સફળ રહેલા બતકોમાંના કેટલાક ઉપસ્થિત છે. કવિ લાંબી ચર્ચામાં ઊતરવાના મિજાજમાં નથી એટલે બતકનો રંગ પીળો હશે એમ ધારી લઈને પોતાની વાતમાં તરત આગળ વધવા માંગે છે. આગળ જતાં સમજાશે કે ન માત્ર રંગનો વિવાદ, નામનો-ઓળખનો વિવાદ સુદ્ધાં અહીં બેબુનિયાદ છે. મહત્ત્વ માત્ર હજારો માઇલ અને સેંકડો વર્ષોની મુસાફરી બાદ કોઈક કિનારો પ્રાપ્ત થવાનું જ છે. પોતે ભૌતિકશાસ્ત્ર કે વિજ્ઞાનના અભ્યાસુ નથી એ વાત સ્વીકારીને પણ કવિ પોતાની વાતમાં વૈજ્ઞાનિક તથ્ય છે જ એવું પ્રતિપાદિત કરી જણાવે છે કે આ રમકડાંઓની ત્વચા ખારાં પાણીની સામે તો હાર માને એવી નથી પણ સાથે જ એ સૂર્ય સામે ઝીંક ઝીલી શકે એમ નહોતી. એટલે આ રમકડાં મૂળે પીળાં હોવા જોઈએ એમ ધારી લઈને આપણે માત્ર એટલું જ પૂછી શકીએ છીએ કે આ રમકડાંઓની ત્વચા સમય સાથે ઝાંખી પડશે કે તપખીરી થશે. આ રમકડાંઓમાં કેટલાક રબરના હતાં તો કેટલાક પ્લાસ્ટિકનાં. કદાચ એટલે જ કવિએ અભિલેખમાં રબર શબ્દ પ્રયોજ્યો છે અને કવિતામાં પ્લાસ્ટિક. હશે, રમકડાં શેનાં બન્યાં છે એની પિષ્ટપેષણ કરતાં વધુ અગત્યનું કવિ જે મુદ્દો ઊઠાવવા માટે આ કવિતા લઈ આવ્યા છે એ છે. એટલે જે રીતે કવિ કહે છે એ જ રીતે આપણે પણ રબર અથવા પ્લાસ્ટિક ધારી લઈએ અને ચાલો આગળ વધીએ.

કવિને આ રમકડાંઓમાંથી એક પોતાની દીકરી માટે મેળવવાની નેમ છે. ઓહહો! તો આ કારણ હતું, આખી ભાંજગડનું! દરેક માણસની ભીતર એક બાળક જીવતું હોય જ છે. અને આ ભીતરી બાળકને જે વસ્તુ સ્પર્શી જાય પણ ઉંમર વચ્ચે અંતરાય બનીને ઊભી રહી ગઈ હોય એ વસ્તુ માણસ પોતાના સંતાન માટે મેળવવા ઝંખે જ છે. એક આ જ રીત છે જે રીતે માણસ પોતાની ભીતરના બાળકને સંતોષવાના શ્રેષ્ઠતમ કીમિયાની સૌથી નજીક જઈ શકે છે. આ રમકડાંઓની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલા સમુદ્રી પ્રવાહોની દયા પર આધારિત છે. અહીં આગળથી કવિતા જરા સંદિગ્ધ બનતી જાય છે. કવિને વાત રમકડાંઓની કે દીકરીની નથી કરવી પણ કવિને જ્યાં જવું છે, જેની વાત કરવી છે, ત્યાં જવા માટે કવિ પહેલા પગથિયા તરીકે એમનો ઉપયોગ કરે છે. સમુદ્રના પ્રવાહો વિશે અનુમાન કરવામાં આ રમકડાં ઉપયોગી બન્યાં એનો સંદર્ભ કવિ આ રીતે અહીં પ્રયોજી લે છે. વર્ષો સુધી હજારો માઇલ તરતાં રહીને કાંઠે પહોંચેલ આ રમકડાંઓને સાધારણ ન જ ગણી શકાય એ કવિ તો સમજે જ છે, આપણે પણ સમજવાનું છે. સમય અને વિપરિત સંજોગોની સામે ઝીંક ઝીલીને એ વિજયી થયાં છે એટલે કયા સમયે કાંઠો આવશે એ ઘડિયાળ સમુદ્રના પ્રવાહોની દયા પર નિર્ભર હતી એમ કહી દીધા બાદ તરત કવિને ખ્યાલ આવે છે કે આ ઘટના માટે દયા શબ્દ પ્રયોજવો અનુચિત છે. રમકડાંની મૌન સિદ્ધિ સમજનાર કોઈ પણ આ શબ્દ વાપરી શકશે નહીં એ હકીકત છે.

કવિને ખ્યાલ છે કે પોતે જે કહેવું છે એ સીધું ન કહીને કદાચ બેમતલબની વાત કરી રહ્યાં છે. કદાચ કંપનીના ગોડાઉનમાં પહોંચીને બજાર અને ત્યાંથી બાળક અને બાથટબ સુધીનું ગંતવ્ય ધરાવતા આ રમકડાંઓ માટે વરસો સુધી સમુદ્રમાં તણાઈને કોઈક અજાણ્યા કિનારે અજાણ્યા હાથોમાં પહોંચી જવું પણ એક બેમતલબ બાબત જ હતી. કવિ બેમતલબની વાત અને દરિયામાં તણાવાને સમાનાર્થી ગણાવે છે. કોઈપણ જાતનો અર્થ ન સરે એવી વાતો જ્યારે આપણે કરતાં હોઈએ છીએ ત્યારે કદાચ આપણે આ રમકડાંઓની જેમ જ દિશાહીન સમયહીન તરતાં-તણાતાં હોઈએ છીએ. ખરું ને?

દરિયાનું દરેક મોજું આરંભની સાથે જ અંત પણ લઈને જ જન્મે છે. આપણે સહુ પણ. આપણો જન્મ એ પોતે જ મૃત્યુની શરૂઆત નથી? આપણે જ આપણી શરૂઆત અને આપણે જ આપણો અંત. આ એક વસ્તુ સમજી લેવાય તો ઘણાખરા શોક કે અફસોસને જીવનમાં સ્થાન ન રહે. મોજું જન્મે છે અને ખતમ થાય છે. એક મોજું ખતમ થાય છે અને બીજું જન્મે છે. આમ, મોજાંઓની હારમાળા અનવરત ચાલ્યે રાખે છે પણ એની ઉપર બતક સ્વરૂપે સમય અને વાતાવરણની જીતીને જીવી રહેલ જે અસ્તિત્વ છે, એ કાયમ રહે છે. કવિ રમકડાંઓને સંબોધીને કહે છે અથવા જેની પાસે દીકરી માટે એક રમકડું માંગે છે એને કહે છે અથવા તો પોતાની જાતને જ સંબોધીને કહે છે કે આંતરરાષ્ટ્રીય પાણીઓમાંથી પસાર થઈને તમે કદાચિત કોઈક ઘટના જન્માવી હોત. માણસે જમીન અને પાણીને સરહદો નક્કી કરીને વહેંચી લીધા છે. રજા વિના કોઈક સરહદ તમે વટાવી નથી કે બબાલ થઈ નથી. આ રમકડાંઓ કેટલા બધા દેશોની માલિકીના પાણીઓ વટાવીને અહીં સુધી પહોંચ્યાં છે. પાણી માટે કવિ બહુવચન પ્રયોજે છે એ વાત ધ્યાન ખેંચે છે અને એ કારણોસર રમકડાંઓની આ યાત્રા પણ વધુ ધ્યાનાર્હ બને છે. જ્યાં એ પહોંચી ગયાં છે ત્યાં કોઈ એમને જાણતું નથી, અને જે હાથોને એમની આશા હતી એ હાથો સુધી એ કદી પહોંચી જ શક્યા નથી. તમે એને દેશ છોડી જનાર નઠોર દેશાગત ગણો કે મુક્ત વિહાર કરી મનફાવે ત્યાં આશ્રય લેનાર નિર્વાસિત ગણો, તેઓ કોઈ પણ જાતની ઓળખની ધજા વિના, તમામ સરહદોને ભૂંસતાં ભૂંસતાં અહીં આવ્યાં છે. એમની ઉપર સિક્કો જરૂર લાગેલો છે પણ એ સિક્કો તમારા નામનો નથી. મતલબ એમની પોતીકી ઓળખ છે જે તમારી માલિકીથી પર છે.

આખી વાત ટૂંકમાં જબરદસ્તી એક યા બીજા કારણોસર પોતાનો દેશ કે મુલ્ક ત્યજવાની જેને ફરજ પડી છે એવા નિર્વાસિતોની કે સ્વેચ્છાએ વતનત્યાગ કરીને અન્ય દેશને પોતાનું ઘર બનાવવા નીકળેલ દેશાગતો કે દેશાંતરવાસીઓની મુસાફરીની છે. કવિના માબાપ વતન છોડીને પરભોમમાં સ્થાયી થયા એ વખતે કવિ તો બહુ નાના હતા પણ નિર્વાસિતોની કથા-વ્યથા એમણે આખું જીવન કાનેથી પીધે રાખી છે. આ કથા-વ્યથા રમકડાંઓની જેમ જ એમની ભીતર વર્ષોના વહાણાં વહાવા અને જિંદગીના સૂરજોની અનેક થપાટો ખાવા બાદ પણ ડૂબવા પામી નથી, અને આખરે એક ડૉક્યુમેન્ટરીના પ્રતાપે કાગળની સપાટી પર તરી આવી. એલિઝા ગ્રિસ્વૉલ્ડ એક કવિતામાં લખે છે: ‘અહીં દરેક વ્યક્તિ દેશાંતરવાસી છે. દરેક જણ ક્યાંક બીજેથી જ આવ્યું છે.’ એક મજાના ગીતમાં સુન યુન્ગ શિન કહે છે: ‘દરેક પક્ષી -જેઓ ઊડી નથી શકતાં તેઓને પણ- પાંખો હોય છે.’ પોતે જે જમીન પર જન્મ્યાં છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળેલ માણસ કેટલો મોટો નિર્ણય લે છે, કેટલો હિંમતવાન હશે! ‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં કૂદકો હિંમતના કે મજબૂરીના પેરાશૂટ વિના મારવો દોહ્યલો છે. બીજી ભૂમિ પર ઝંડો ગાડવા નીકળવા માટે પ્રથમ જાતના ઝંડા છોડવા જરૂરી બને છે. ધજાહીન થયા પછી જ સરહદહીનતામાં પ્રવેશી શકાય છે. માથે દેશનો સિક્કો તો લાગ્યો છે, પણ દેશાગતો-નિર્વાસિતોનું ખુદનું નામ, નિજની ઓળખ સ્થળાંતરના ખારાં પાણી અને સંજોગોના સૂર્યના તાપમાં મૂળ રંગ ગુમાવી બેઠું હોય છે. યુદ્ધ કે આપખુદ શાસકોના ભયથી ઘરબાર ત્યજી ભાગનાર નિર્વાસિતો આખરે શું છે? સત્તાના હાથમાં તરતા રમકડાં જ ને? પૉલ વેલેરીએ કહ્યું હતું: ‘કવિતા ક્યારેય સમાપ્ત થતી નથી, એ માત્ર ત્યજી દેવામાં આવે છે.’ રમકડાંઓની યાત્રા તો કિનારે આવીને ખતમ થઈ જાય છે પણ નિર્વાસિતોની કવિતા તો ત્યાંથી જ શરૂ થાય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *