Category Archives: ગીત

થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો – કૃષ્ણ દવે

ધોધમાર ચોમાસુ આંગણે ઉભુ ને સાવ આ રીતે ક્યો છો કે,”આવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેરફુટ માપીને આમ જ ક્હેવાનુ, “વરસાવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

સારા નસીબ છે તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાનાં આવ્યા
બાકી તો આપશ્રીએ વાંછટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા
વિજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? “સમજાવો”
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

ઝાંકળ,ઝરણું કે એક નાનકડી લ્હેરખી શું ? અંતરથી આવકાર્યા કોઇને ?
વાદળ પણ બાર ગાઉ છેટા ભાગે છે આવો બુંધીયાળ પડછાયો જોઇને
ઉપરથી નોટીસ ફટકારી કહો છો ‘નહી વરસ્યા’ ના કારણ દર્શાવો
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો

કૃષ્ણ દવે ! ! !

ગ્લૉબલ કવિતા :૭૯ : રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

રાત અને મૃત્યુ
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુ – અજવાળામાં છૂપાઈ ગયેલું અજવાળું?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જે વસ્તુ વિશે આપણે જાણી લઈએ છીએ એ આપણને ડરાવી શકતી નથી પણ જે વસ્તુ વિશે આપણે પૂરતું જાણી શકતા નથી એ ડર બનીને આપણા મનોમસ્તિષ્કનો કબજો લઈ લે છે. ઈશ્વર વિશે આપણે કંઈ જાણતા નથી એટલે આપણે ડરીએ છીએ. માનવીના મનમાં જો ઊંડે ઊંડેથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય જ નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. જે ક્ષણે માણસ ગુનો આચરે છે એ એક ક્ષણ પૂરતો એ ઈશ્વર-પાપ-નરકના ડરથી સંપૂર્ણ મુક્ત હોય છે. જે ક્ષણે એનો ડર પરત ફરે છે, એ પ્રાયશ્ચિત કરવા બેસે છે. અંધારાનું પણ આવું જ છે. તમારી પાસે પ્રકાશનો કોઈપણ પ્રકારનો સ્રોત ન હોય તો અંધારામાં છાતીના પાટિયા બેસ્યા વિના નહીં જ રહે. ગાઢ જંગલમાં જ્યાં ચાંદતારાનો ટીપું પ્રકાશ પણ પહોંચી ન શકે અને પોતાનો હાથ પણ દેખી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી તમે પસાર થઈ શકો ખરા? મૃત્યુ પણ આવો જ એક ડર છે. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલું જ અકળ પણ છે. મૃત્યુ પામ્યા પછી કોઈ આપણી સાથે પોતાનો અનુભવ વહેંચવા પરત ફરી શકતું નથી. મૃત્યુ વિશે આપણે જે કંઈ લખ્યું-વાંચ્યું છે એ બધું જ કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ જોસેફ વાઇટ આજ અંધારા અને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પેનિશ પણ કર્મે અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પેનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પેન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પેનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગવા માંડ્યા. કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. છેવટે ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં એમની અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે પડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા અને એ એમની રચનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી એમણે ‘લેટર્સ ફ્રોમ સ્પેન’ પુસ્તક લખ્યું જેમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય હતો. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવ્યે રાખતા. સરલ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બને છે.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

રચનાની દૃષ્ટિએ ચૌદ પંક્તિની આ કવિતા સૉનેટના બે મુખ્ય પ્રકાર પેટ્રાર્કશાઈ અને શેઇક્સપિરિઅન સૉનેટની ભેળસેળ છે. ત્રણ ચતુષ્ક અને યુગ્મકની ગોઠવણ તથા યુગ્મકની પ્રાસ રચના (ગ-ગ) શેઇક્સપિરિઅન સૉનેટ પ્રકારની છે; જ્યારે પહેલી બાર પંક્તિની પ્રાસરચના અ-બ-બ-અ/અ-બ-બ-અ/ક-ખ-ક-ખ પેટ્રાર્કશાઈ સૉનેટ મુજબની છે. પેટ્રાર્કશાઈ સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે પંક્તિવ્યવસ્થા હોય છે. છંદ અંગ્રેજી ભાષામાં મહદ અંશે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર જ છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. કવિતાનું શીર્ષક ‘રાત્રિ અને મૃત્યુ’ અગોચર તરફની કવિતાની ગતિ તરફ આપણને તૈયાર કરે છે. રાતનું અને મૃત્યુનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક માત્ર એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. રાત અને મૃત્યુ બંનેમાં એકમાત્ર નિશ્ચિત બાબત અનિશ્ચિતતા છે. એ અર્થમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

અઢારમી સદીનો પૂર્વાર્ધ એ યુરોપમાં કળામાં ‘રોમેન્ટિસિઝમ’ની ચરમસીમાનો હતો. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ કળામાં ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા અને ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ એમની આ રચનામાં એની અસર સ્પષ્ટ નજરે ચડે છે. આ પ્રણાલિકાના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ અને પછી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા દરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જે પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હાયમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. આ એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી તથા મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ આપણી નજર સમક્ષ આવી ચડે છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા એ કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. કવિ આદમની જિંદગીમાં પહેલવહેલીવાર આવેલી રાતની વાત કરે છે. માનવજાતે જે ક્ષણે જિંદગીની પ્રથમ રાત અનુભવી હશે એ ક્ષણની આ વાત છે. આજની રાત પૂર્વે આદમે કદી રાત જોઈ જ નથી. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે, રાતને જોઈ છે. રાત સાથે એનો કોઈ જ પૂર્વપરિચય નથી. એને અંતઃસ્ફુરણા થાય છે કે આ અંધારું આખી દુનિયાનો અને એનો પોતાનો પણ અંત આણશે. ઉજાસ અને આસમાની રંગથી ભરેલી આ ભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે. આ પહેલાં એનો પરિચય માત્ર અજવાળા સાથે જ હતો. પ્રથમ પરિચય, પ્રથમ મુલાકાત, પ્રથમ અનુભૂતિની તો વાત જ અલગ.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી જાણે કે શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યના આથમવાની સાથે જ અંધારી રાત ઊતરી આવી અને રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અને અગણ્ય તારામંડળો લઈને આવે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું બધું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને મનુષ્યને પ્રકૃતિનું સર્જન કેવડું વિશાળ છે એનો પ્રથમ અહેસાસ થાય છે. ટૂંકમાં કહીએ તો દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં મનુષ્યની દૃષ્ટિ ઊઘડે પણ છે અને વિકસે પણ છે. આ જ તો કુદરતની કરામત છે અને કુદરતની આવી કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘ઓ સૂર્ય!’ એમ સીધું જ પૂછે છે કે તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે. જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાની-નાની વસ્તુઓને પણ તેં તારા અજવાળામાં છતી કરી દીધી છે અને એક એવો ભ્રમ ઊભો કર્યો છે કે અજવાળામાં બધું જ દેખી શકાય છે પણ હકીકત એ છે કે તારું અજવાળું આકાશની ભૂરી તેજસ્વી છતને અને એ છતમાંથી ઝળુંબતા અગણિત ગ્રહો-રત્નોની હાજરીની બાબતમાં મનુષ્યને ધોળેદહાડે અંધાપો આપે છે. ચાંદ-તારા કંઈ સૂર્ય ઊગતા ગાયબ નથી થઈ જતાં, એ તો છે જ. એ તો જ્યાં હતાં ત્યાં જ રહીને પોતપોતાના પરિભ્રમણોમાં રત છે પણ અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ જાય છે. આમ, જેને આપણે અજવાળું સમજીએ છીએ એની અંધારી બાજુ અને એ અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ખરા અંધાપાને કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. કેવી અદભુત વાત! કવિતા અહીં પૂર્ણ કરી દીધી હોય તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકે એવી આ વાત છે. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને પણ બીજું નિશાન તાકવા ઇચ્છે છે.

કાવ્યાંતે કવિ પોતાને જે વાત કરવી છે ત્યાં લઈ આવે છે. ‘રાત્રિ અને મૃત્યુ’ની વાત કરતી વખતે ચૌદમાંથી બાર પંક્તિ કવિ રાત્રિના નામે કરે છે અને મૃત્યુના નામે માત્ર આખરી દોઢ જ પંક્તિ કરે છે પણ કવિતા પૂરી થતાં જ સમજાય છે કે આખી કવિતા મૃત્યુને સંદર્ભે જ છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, નફરત કરીએ છીએ કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો કોઈનેય ખબર નથી જ પણ એ આપણને જ્યાં પણ લઈ જાય છે ત્યાંથી કોઈ પરત આવી શકતું નથી, આવી શક્યું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. પ્રકાશ ખુદ ઊઠીને જો છેતરી શકતો હોય, આપણને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે આપણને ન છેતરે? જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી. કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો ઊઠતો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

જે દેખાય છે એ જોવામાં મશગુલ થઈ જતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની જે બાજુ આપણને દેખાય છે એને જ એકમાત્ર બાજુ ગણીને ચાલવું એ જ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે જે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એ નરી આંખે ન દેખાય ત્યાં સુધી એને નકારતા રહેવું એ જ આપણી સાચી પ્રકૃતિ છે. મૃત્યુને પણ આપણે એ જ રીતે જાણે આવવાનું જ નથી એમ અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ જ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજ સુધી પહોંચે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

સ્વર ઃ પૌરવી દેસાઇ
સ્વરાંકન ઃ નિનુ મઝુમદાર

.

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)

સાધો, શબ્દસાધના કીજે -કબીરસાહેબ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સાધો, શબ્દસાધના કીજે,
જેહિ શબ્દ તે પ્રગટ ભએ સબ શબ્દ સોઈ ગહિ લીજૈ.

શબ્દહિ ગુરુ શબ્દ સુનિ સિખ ભૈ સો બિરલા બૂઝૈ,
સાંઈ શિષ્ય ઔર ગુરુ મહામત જેઈ અંતરગત સૂઝૈ.

શબ્દૈ વેદ પુરાન કહત હૈ શબ્દૈ સબ ઠહરાવૈ,
શબ્દૈ સુરમુનિ સંત કહત હૈ શબ્દભેદ નહિ પાવે.

શબ્દૈ સુનિસુનિ ભેખ ધરત હૈ શબ્દૈ કહે અનુરાગી,
ષટદર્શન સબ શબ્દ કહત હૈ શબ્દ કહૈ બૈરાગી.

શબ્દૈ માયા જગ ઉતપાની શબ્દૈ કેર પસારા,
કહ કબીર જહં શબ્દ હોત હૈ તબન ભેદ હૈ ન્યારા.
-કબીરસાહેબ

ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

માની લો કે તમારે કોઈને ગાળ આપવી છે પણ ગાળ બોલ્યાનું આળ પણ માથે લેવું નથી તો આ આખી દુનિયામાંથી કયું એકમાત્ર પ્રાણી તમારી વહારે ધાશે? ગધેડો જ ને! તમારે કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહી દો. નકામો કહેવો છે? ગધેડો કહી દો. મજૂર કહેવો છે? ગધેડો કહી દો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો સૌથી હાથવગી એવી લાખ ગાળોની એક ગાળ છે. પણ એની સામે એ પણ હકીકત છે કે આ એક જ પ્રાણી એવું છે, જેને તમે લાખ ડીફણાં મારો તોય અળવીતરું ચાલતું નથી ને જે તમે કહો એ જ કરે છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. એવો પ્રશ્ન પણ થાય કે શા માટે ઈશ્વરે એવું પ્રાણી બનાવ્યું હશે જે માત્ર બધાની મજાક બનવા જ સર્જાયું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર જી. કે. ચેસ્ટરટન જેવા પંડિત કવિએ એક આખી કવિતા એના માનમાં શા માટે લખી હશે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. એ પાંચ જ વર્ષના હતા અને પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ એ અગોચરથી પ્રભાવિત હતા. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો હતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એમાંથી એમને એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવવામાં નિમિત્ત બની. એ પોતાને ઓર્થોડોક્સ ખ્રિસ્તી તરીકે ઓળખાવતા અને એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી આ સંકુચિતતા વધુ ગાઢી બની. પત્નીએ પતિની જેમ ધર્મપંથ પરિવર્તન ન કર્યું અને જીવનભર બંનેના ધર્મ વિશેના વિચારો અલગ હોવાનો એનો વસવસો આંસુઓમાં વહેતો રહ્યો. ચેસ્ટરટનનું પંથપરિવર્તન એ જમાનામાં ચોરેચૌટે ચર્ચાતા સમાચાર બની રહ્યા હતા. ચેસ્ટરટને કહ્યું: ‘હું શા માટે કેથોલિક થયો છું એ સમજાવવું કપરું છે કેમકે એ માટેના દસ હજાર કારણ છે જે દરેક એક જ કારણ બરાબર છે ને તે એ છે કે કેથોલિઝમ સત્ય છે.’ કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. શરૂમાં ચેસ્ટરટનને ચિત્રકાર બનવામાં ખૂબ રસ હતો જે એમના લખાણમાંના જીવંત શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે. ૬ ફૂટ, ૪ ઇંચની ઊંચાઈ અને ૧૩૦ કિલોગ્રામ વજનવાળા કદાવર શરીરનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. એમની કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને ચેસ્ટરટને જ્યારે કહ્યું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. જવાબમાં બર્નાર્ડ શૉએ કહ્યું કે તમને જોઈને લાગે છે કે આ દુકાળનું કારણ તમે જ છો. મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે જ ભૂલી જાય અને પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવે કે ક્યાં જવાનું હતું. જીવનના આખરી પાંચ વર્ષોમાં બીબીસી રેડિયો પરની એમની વાતચીત ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ જેટલા પુસ્તકો, ૨૦૦ જેટલી વાર્તાઓ, ૪૦૦૦ નિઓબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું બધું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ચેસ્ટરટનને લોકો ‘વિરોધાભાસના રાજકુમાર’ તરીકે ઓળખે છે. ટાઇમ મેગેઝીન કહે છે: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે-પહેલાં કાળજીપૂર્વક એમને ઊલટાવી નાંખ્યા બાદ.’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન કાકુ. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન શિરમોર છે.

કવિતાનું શીર્ષક એ કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે. ઉંબરા પર પગ મૂકતાં જ ખ્યાલ આવી જાય કે ઘર કેવું હશે! ૧૯૨૦માં લખાયેલી ચેસ્ટરટનની આ કવિતાનું શીર્ષક ‘ધ ડૉન્કી’ વાંચતા જ સમજી શકાય છે કે આ ગધેડા વિશેની કવિતા છે. પણ કવિએ ‘અ ડૉન્કી’ નથી લખ્યું એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ એક ગધેડાની નહીં, સમગ્ર ગદર્ભજાતિ વિશેની કવિતા હોવી જોઈએ. કવિએ અહીં બૅલડ-મીટર પ્રયોજ્યું છે; જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિમાં આયંબિક ટેટ્રામીટર (ચાર ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) અને બીજી અને ચોથીમાં આયંબિક ટ્રાઇમીટર (ત્રણ ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) વાપરવામાં આવે છે અને બીજી તથા ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવે છે. બૅલડ એટલે એક પ્રકારનું કથાકાવ્ય કે ગાથાગીત. મધ્યકાલીન ઇંગ્લેન્ડમાં આ પ્રકારની કવિતાઓ ખૂબ પ્રચલિત હતી. ચેસ્ટરટન બૅલડના માસ્ટર ગણાતા.

આ કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. આ નાનીઅમસ્તી કવિતામાં આખેઆખા ચેસ્ટરટન નજરે ચડે છે: વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ. એમની પ્રખ્યાત ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ આપણે જેને શરૂઆતમાં અવગણવાનું વિચારીએ છીએ, એ જ સત્યની અડોઅડ ઊભેલું જડી આવતાં આપણને અંતે દિગ્મૂઢ કરી દે છે. કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

આ કવિતા ગધેડાની સ્વગતોક્તિ છે એ સમજી શકાય છે. પહેલા અંતરામાં એ પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલવા માંડ્યા હશે, અંજીર ઝાડ પર ઊગવાના બદલે કાંટાળા છોડ પર ઊગતા હશે અને ચંદ્ર જ્યારે લોહી જેવો રાતો થયો હશે ત્યારે મારો જન્મ થયો હશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક ચંદ્રનો રંગ લોહી જેવો રાતો થઈ જતો હોય છે. છેલ્લો બ્લડ મૂન ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જોવા મળ્યો હતો. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામત તરફ ઈશારો કરે છે એમ કહેવાયું છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ તાજેતરમાં માર્ક બ્લિટ્ઝના ‘બ્લડ મૂન્સ’ અને જોન હેગીના ‘ફોર બ્લડ મૂન્સ’ પુસ્તકોએ ધર્મિષ્ઠ માણસોમાં આવનારી કયામતનો સજ્જડ ડર બેસાડી દીધો છે. ચેસ્ટરટન પણ રક્તિમ ચંદ્ર અને એ દ્વારા નિર્દેશિત ભયાવહ એંધાણીઓથી જાણતલ હશે એટલે જ એમણે ગધેડાના જન્મ સાથે આ વાત સાંકળી લીધી છે. દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. વાંચતાની સાથે વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો આપણા સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં ગધેડાની જે છબી છે એને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

ગધેડા માટે અંગ્રેજીમાં Ass શબ્દ પણ વપરાય છે, જે લેટિન શબ્દ asinus પરથી ઊતરી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ પણ થાય છે. અંગ્રેજીમાં કૂલા માટે વપરાતા arse માંથી ‘આર’ ખડી પડતાં assનો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એના ચાર દાયકા પહેલાં ૧૫૫૦માં asshead શબ્દ વપરાયો હતો. ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી પ્રયોજે છે કેમકે એ આ અવગણાયેલા પ્રાણીને એના સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માંગે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે તેમ, નમ્ર લોકો સૌમ્યોક્તિરૂપે ક્રૂર લાગતા ‘ઍસ’ શબ્દને અવગણવા માટે ‘ડૉન્કી’ શબ્દ પ્રયોજે છે. સર્વાન્ટીસની પ્રખ્યાત કૃતિ ડૉન કિહોટેમાં નાયક સાંચો પાંઝા એના વાહન તરીકે ડેપલ નામના ગધેડાને પસંદ કરે છે. એન્ડી મેરીફિલ્ડે તો ‘ધ વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ કંઈક અનુભૂતિ જ છે. એ એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન જ ગણી લો. તમે તમારી જાતને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત એવું કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે. ‘ધ રિલક્ટન્ટ સેંટ’ ફિલ્મમાં સેંટ જોસેફ પોતાને ‘ગોડ’સ જેક-એસ’ કહીને સંબોધે છે એ પણ યાદ આવે.

ગધેડો પોતાની જાતને જ ઉતારી પાડવાનું કામ ચાલુ રાખે છે. એ પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. એનું માથું રાક્ષસ જેવું છે, એનું ભૂંકવુંય ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન જાણે એના એકલાની જ ફિરકી ઉતારતો હોય એમ એને લાગે છે. એ કહે છે કે હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું તો ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો શું સાચે જ પોતાની જાતને ઊતારી પાડી રહ્યો છે કે એ સદીઓથી ઉપેક્ષિત રહીને હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરીને આપણને જ ચાબખા મારી રહ્યો છે? દુનિયા આખીમાં એક બહુ મોટો વર્ગ છે, જેમના હક પર કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનનો ગધેડો દુનિયાના ખૂણે-ખૂણે, દેશ-દેશાવરમાં પથરાયેલા આ શોષિત દલિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ છે એ સમજી શકાય છે કેમકે કવિતામાં એનો સૂર અહીંથી બદલાય છે.

એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) ચેસ્ટરટનનો ગધેડો તડ ને ફડ વાત કરે છે. એ પોતાના વિશે બોલે છે ત્યારે પણ એકપણ શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારે પણ નિર્મમતાથી જે કહેવું છે ડંકે કી ચોટ પર કહે છે. એ સીધું જ મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ કહે છે કે એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાંય ખૂબ જ ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો ‘હર કુત્તે કા એક દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો. એ કયા સમયની વાત કરે છે એ સમજવા માટે ફરી એકવાર બાઇબલના પાનાં ઊલટાવવાં પડશે.

ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે અને એ પછીના આખા અઠવાડિયાને પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. નગરમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત એના બે સાથીઓને એવો ગધેડો શોધી લાવવા સૂચના આપે છે કે જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત અને સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો વળી પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. એમાંય માદા ગદર્ભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે માદા સફેદ ગધેડા ઉપર બેસીને રાજા નગરમાં પ્રવેશસે. એટલે ઈસુ સફેદ માદા ગધેડો મંગાવે છે. આખું નગર અને નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે. આ સિવાય પણ બાઇબલમાં ગધેડાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઈસુના હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન પણ ઈઝરાઈલનો નવો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર જ સવાર થયો હતો. જેકબ એના પુત્ર જુદાહને આશીર્વાદ આપે છે એમાં પણ ગધેડાનો સંદર્ભ વાંચવા મળે છે. બલામ નામના મસીહા પણ ગધેડા પર સવારી કરતા બતાવાયા છે અને આ ગધેડો વાતો પણ કરે છે અને દેવદૂતની તલવારથી બલામને બચાવે પણ છે. વર્જિન મેરી પણ સગર્ભાવસ્થામાં પેટમાં ઈસુને લઈને બેથ્લેહેમ સુધી ગધેડા પર બેસીને જ આવે છે. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ખૂબ ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઘણું ઊંચું અંકાયું છે. જૂના અને નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર તથા હોંશિયાર પ્રાણી તરીકે, ડહાપણના ભંડાર તરીકે, પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે, ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ આ જ ગધેડા પર ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો એના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે પ્રભુપુત્ર ઈસુ એના પર સવાર થઈને ઈઝરાઈલમાં પ્રવેશ્યા હતા અને લોકો એમના સ્વાગત માટે તાડપત્રો જમીન પર પાથરતા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુ જ્યારે જેરુસલેમમાં પ્રવેશે છે ત્યારે ચારે તરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એક જણ જે માણસ ન હોવાના નાતે જ નહીં પણ એ રીતે પણ બધાથી અલગ પડે છે કે એક જ જણ સાચા અર્થમાં પોતાના હોવાના તમામ અર્થો ભૂલી જઈને માત્ર ને માત્ર ઈસુની સાથે હોવાની ક્ષણોને આકંઠ માણી રહ્યું છે અને એ છે આ ગદર્ભ! ગદર્ભ બે સંદર્ભ નિર્દેશિત કરે છે: એક ઈસુ જેરુસલેમમાં અને એ રીતે આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશે છે અને આપણી ભીતરના કોલાહલને શમાવે છે. બીજું, ગદર્ભ એ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર ઈસુ સવાર થાય છે અને આપણામાંથી આ કામવાસના દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. આ ઉપરાંત એ કહે છે, કે નાનામાં નાની લાગતી વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડી એ તમને ગધેડો કહેનારા મૂર્ખાઓ સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ પ્રાણીઓ સમાન છે; સૌ મનુષ્યો સમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. આ વાત જે ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry


નવા મિત્રો અને જૂના મિત્રો

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)


મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે….

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોવાની સંભાવના વધુ છે. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે તમને ગાળ આપીને પણ સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે. સંગીતકાર-કવિ જોસેફ પેરી પ્રસ્તુત રચનામાં દોસ્તોની વાત માંડે છે.

જોસેફ પેરી. ૨૧-૦૫-૧૮૪૧ના રોજ વેલ્સ, યુ.કે. ખાતે સંગીતપ્રેમી અને બહોળા પરિવારમાં જન્મ. નવ વર્ષની કૂમળી વયે અભ્યાસ છોડીને કોલસાની ખાણમાં કામે લાગ્યા. સાડા બાર પેની માટે એ અઠવાડિયાના છપ્પન કલાક કામ કરતા. અગિયારની ઉમરે લોખંડની ભઠ્ઠીમાં. ૧૩ વર્ષની વયે પરિવાર પેન્સિલ્વેનિયા, અમેરિકા સ્થળાંતરિત થયો ને ત્યાં એ ફરી ધાતુકામની ફેક્ટરીમાં જોતરાયા. પણ પંચમહાભૂતના એ શરીરમાં છઠ્ઠું મહાભૂત નામે સંગીત પણ શ્વસતું હતું. સહકર્મી સંગીતકારો પાસેથી નાની-મોટી ટિપ્સ મળતી રહી. ફેક્ટરી બંધ થઈ ત્યારે વિધિવત્ સંગીતશિક્ષણના પાગરણ થયાં. હાર્મનીમાં એમને સવિશેષ રસ હતો. એમના સ્વરાંકનોથી પ્રભાવિત થયેલા એમના વતને એ પરત ફર્યા ત્યારે બબ્બે સ્કૉલરશીપ આપવાની દરખાસ્ત મૂકી જે પારિવારીક સાંકળોથી બંધાયા હોવાના કારણે એમણે નકારી. પરિવારના નિર્વાહ માટે વેલ્સ અને અમેરિકા- બંને દેશ તરફથી ફાળાની વ્યવસ્થા થઈ એ પછી જ એ સંગીત શીખવાનું વિચારી શક્યા. પછી તો સંગીતમાં ડૉક્ટરેટ કર્યું. સંગીતમાં સ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ વેલ્શ નાગરિક હતા અને વેલ્સમાં સંગીતના પ્રથમ પ્રોફેસર પણ બન્યા. વેલ્શ ભાષામાં પ્રથમ ઑપેરા પણ એમણે જ આપ્યું. ૧૮૬૧માં જેન થોમસ સાથે લગ્ન. ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. બે પુત્ર નાની વયે જ મૃત્યુ પામ્યા. અમેરિકાની સંગીતયાત્રાઓ થતી રહી. બંને દેશમાં એના સંગીતનો ડંકો વાગતો હોવા છતાં ધંધાકીય દૃષ્ટિના અભાવે આર્થિક સ્થિતિ કાયમ નબળી જ રહી. અદભુત ક્મ્પોઝીશન Myfanwy, સર્વોત્કૃષ્ટ ઋચા (hymn) Aberystwyth અને અભૂતપૂર્વ ઑપેરા Blodwenના કારણે એ અમેરિકન-વેલ્શ સંગીતના આકાશમાં ધ્રુવતારક જેવું અવિચળ સ્થાન પામ્યા છે. ઢગલાબંધ ગીતો, ભજનો, સમૂહગાન, ઑપેરા, અને વાદ્યસંગીતને એણે સંગીતબદ્ધ કર્યા છે. ઉત્તમ સંગીતકાર હોવાથી એમણે લખેલા ગીતોનો લય પણ એવો થયો છે કે સાંભળતાવેંત દિલમાં ઘર કરી જાય. ઉપરાછાપરી બે શસ્ત્રક્રિયા અને એના ગુંચવાડાના પરિણામે ૧૭-૦૨-૧૯૦૩ના રોજ દેહાવસાન. મૃત્યુશય્યા પર સૂતાં સૂતાં એમણે એમનું આખરી સંગીતનિયોજન ‘ડિઅર વાઇફ’ પોતાની પત્ની જેન માટે લખ્યું હતું. શબવાહિની ચર્ચના દરવાજે પહોંચી ત્યારે એમની અંતિમયાત્રામાં જોડાયેલ આખરી માણસ એમના ઘરેથી નીકળતો હતો. આમ, આ અંતિમયાત્રા ઘરથી ચર્ચ સુધી એક માઈલ લાંબી હતી. સાચા અર્થમાં એ ચીંથરે વીંટ્યું રતન હતા. જેક જોન્સે ‘ઑફ ટુ ફિલાડેલ્ફિયા ઇન ધ મૉર્નિંગ’ નવલકથામાં એમની આ જીવનયાત્રાને અમર બનાવી છે, જેના પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

રચનાની દૃષ્ટિએ ‘નવા મિત્રો અને જૂના મિત્રો’ ગીત આયમ્બિક ટેટ્રામીટરમાં લખાયું છે અને અ-અ-બ-બ પ્રકારની પ્રાસરચના પ્રયોજાઈ છે. ક્યાંક આ ગીતની સોળેસોળ પંક્તિઓ એકીસાથે લખાયેલી જોવા મળે છે તો ક્યાંક ચાર-ચાર પંક્તિના ચાર બંધ સ્વરૂપે આ ગીત છાપવામાં આવેલું જોવા મળે છે. સળંગસૂત્રીતા કે અંતરાવ્યવસ્થા જો કે આ ગીતને કોઈ ખાસ પ્રકારે ઉપકારક થતા ન હોવાથી એ બાબતનો ખાસ અર્થ રહેતો નથી. મૂળ ગીતનો લય ખૂબ જ મજબૂત છે એટલે કવિતાની સાથે લયનો પણ અનુવાદ કરવો અનિવાર્ય બને છે.

વાત મિત્રોની છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે મિત્ર આપણે કોને કહીશું? મિત્ર એટલે શેરીમાં કે શાળામાં કે હવેના જમાનામાં વૉટ્સ-એપ કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાઝના ચોતરે મળી ગયેલી વ્યક્તિ માત્ર? મિત્રની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી નથી? સામાન્ય પરિભાષાને જરા વિસ્તારીએ તો પતિ-પત્ની મિત્ર તરીકે જીવવાનું નથી ઇચ્છતા? મા-બાપને સંતાનોના મિત્રો થવાના અભરખા નથી હોતા? ભાઈ-બહેન મૈત્રી નથી ઝંખતા? માત્ર શેક્સપિઅરના નાટકોમાં જ મૈત્રીના કેલિડોસ્કોપિક આયામ કેવા પ્રદર્શિત થયા છે એ જોઈએ:

‘એઝ યુ લાઇક ઇટ’ (અંક ૧, દૃશ્ય ૩)માં રોઝાલિન્ડ ડ્યુક ફ્રેડરિકને કહે છે કે: ‘રાજદ્રોહ વંશપરંપરાગત નથી, નામદાર, અને જો એ અમને અમારા મિત્રોમાંથી મળ્યો છે તો એનાથી મારે શું? મારા પિતા તો ગદ્દાર નહોતા.’ અહીં શેક્સપિઅર ‘પરિવાર’ને ‘મિત્ર’ ગણાવે છે. તો ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (અંક ૫, દૃશ્ય ૧)માં એન્ટોનિયો સેબેસ્ટિઅનને બચાવીને હેમખેમ શત્રુ રાજ્યમાં પહોંચાડવાનું જોખમ લઈ ધરપકડ થયા બાદ બિનશરતી પ્રેમને મૈત્રી વડે વ્યાખ્યાયિત કરે છે. તો ‘જુલિયસ સિઝર’(અંક ૩, દૃશ્ય ૨)માં માર્ક એન્ટની સિઝરની હત્યા કર્યા બાદ ભીડને સંબોધીને કહે છે, ‘મિત્રો, રોમનલોકો, દેશવાસીઓ, મારી વાત ધ્યાનથી સાંભળો.’ એ પોતાની પ્રજાને બીજા કોઈપણ સંબોધન કરતાં પહેલાં મિત્રો કહીને સંબોધે છે. મિત્ર સંબોધન પ્રેમી, ખાસ તો અવૈધ સંબંધ માટે પણ એ વાપરે છે. ‘ઓથેલો’ (અંક ૩, દૃશ્ય ૪)માં કેસિયો એની પ્રેમિકા બિઆન્કાને એક રૂમાલ એના ભરતકામની નકલ કરવા માટે આપે છે ત્યારે બિઆન્કા કહે છે, ‘આ કોઈ નવી મિત્રની ભેટ લાગે છે.’ ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માં બે પુરુષો (બસાનિઓ અને એન્ટોનિઓ) તો ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ (હેલેના અને હર્મિઆ) તથા ‘એઝ યુ લાઇક ઇટ’માં (રોઝાલિન્ડ અને સિલિઆ) બે સ્ત્રીઓ વચ્ચેની સજાતીય મૈત્રીની વિભાવના પણ એ આપે છે. ‘રોમિયો જુલિએટ’ જેવી વિજાતીય મૈત્રી તો એના નાટકોમાં ચારેતરફ વેરાયેલી છે. ટૂંકમાં, મિત્રતા એ કોઈ એક સંબંધ પૂરતું સીમિત નામ નથી, પણ બે વ્યક્તિ લાગણીના તંતુથી જોડાય એ જ મિત્રતા.

પણ મિત્રતાની વિભાવના જોવા માટે આપણે છે…ક શેક્સપિઅર સુધી નજર શા માટે લંબાવવી? આપણા પુરાણો-કથાઓ ભર્યાં પડ્યાં છે દોસ્તીના સ્વર્ણિમ પ્રકરણોથી. એકતરફ કૃષ્ણ-સુદામાની દોસ્તી છે તો બીજી તરફ કૃષ્ણ-દ્રૌપદીનું સખ્યત્વ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ સગપણ ઓછું અને દોસ્તી વધુ નજરે ચડે છે. બલરામ અને કૃષ્ણ પણ ભાઈ ઓછા અને ભાઈબંધ વધુ અનુભવાય છે. ખેર, કૃષ્ણ તો માણસ જ સંબંધોનો છે. એના મોરપિચ્છના જેટલા રંગ એથી વધુ તો એની મૈત્રીના. રામ અને હનુમાનની મૈત્રી રાવણ માટે તો કર્ણ અને દુર્યોધનની મૈત્રી આખી કૌરવસેના માટે નિર્ણાયક બની. પુરાણની વાતો છોડીએ તો આપણા હિંદી સિનેમાનો ઇતિહાસ પણ દોસ્તી, આનંદ, શોલે, યારાના, દોસ્તાના, દિલ ચાહતા હૈ જેવી સીમાચિહ્ન ફિલ્મોથી ઉજ્જવળ છે. ટૂંકમાં, જ્યાં જ્યાં સાચી દોસ્તી નજરે ચડી છે, ત્યાં લોકોએ એને વધાવી જ છે.

આ કવિતામાં જોસેફ દોસ્તીની આવી જ વાત લઈને આવ્યા છે. કવિતાની શરૂઆત જ નિતનવા દોસ્તો બનાવવાની છૂટ લેવાની વાતથી કરે છે પણ તરત જ યાદ અપાવે છે કે નવા દોસ્તો ભલે બનાવીએ પણ જૂનાને ભૂલવાના નથી કેમકે જો નવા દોસ્તો ચાંદી જેવા કિંમતી છે તો પુરાણા યાર સોના જેવા, બહુમૂલ્યવાન છે. એક બહુ સુંદર વાક્ય શેક્સપિઅરના નામે ચડી ગયું છે: ‘નવા મિત્રો કવિતા જેવા છે પણ જૂના તો મૂળાક્ષરો (આલ્ફાબેટ્સ) જેવા છે.મૂળાક્ષરોને ભૂલશો નહીં કેમકે કવિતા વાંચવા માટે તમને એની જ જરૂર પડશે.’ (હકીકત એ છે કે શેક્સપિઅરે એમના સમગ્ર સર્જનમાં ‘આલ્ફાબેટ’ શબ્દ માત્ર એક જ વાર ‘ટાઇટસ એન્ડ્રોનિકસ’માં જ વાપર્યો છે.) એમિલિ ડિકિન્સન પણ ‘મારા મિત્રો એ જ મારી ગરાસ છે’ એમ કહે છે. જોસેફ પણ બંને પ્રકારની મૈત્રીનું મૂલ્ય કરે છે. નવી દોસ્તીને એ નવી શરાબ સાથે સરખાવે છે, જે સમય જતાં વધુ અસરદાર અને મૂલ્યવાન બનશે જ. જે દોસ્તી સમય અને પરિવર્તનની કસોટી પર ખરી ઊતરી શકે છે એ જ બધામાં સર્વોપરી છે. ‘હેમ્લેટ’માં શેક્સપિઅર લખે છે: ‘તમારી પાસે જે મિત્રો છે, અને જેમની વફાદારી ચકાસી લેવાઈ છે, એમને લોઢાની હાથકડીથી તમારા આત્મા સાથે બાંધી રાખો, પણ દરેક નવા અપરિપક્વ માણસ સાથે તમારે હથેળી ગંદી ન કરો’ શેકસપિઅરના નામે ચડી ગયેલ ‘ધ પેશનેટ પિલ્ગ્રિમ’ની આખરી કવિતામાં હકીકતમાં રિચર્ડ બાર્નફિલ્ડ ‘વફાદાર મિત્રો મળવા મુશ્કેલ છે’ એમ કહે છે. (૧૫૯૯માં પ્રગટ થયેલ આ પુસ્તકમાંની વીસ કવિતામાંથી હકીકતમાં પાંચ જ કવિતા શેક્સપિઅરની હોવાનું પુરવાર થયું છે.)

સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્ત જ આપણો હાથ ઝાલીને આપણી વીતેલી ગઈકાલમાં લઈ જઈ શકે છે અને ते हि नो दिवसा गताःથી બિલકુલ વિપરીત એ આપણને ઘડપણમાં પણ નવયુવાનીનો અહેસાસ કરાવી શકે છે. પણ દરેક વસ્તુ એક એક્સપાયરી ડેટ સાથે જ આવે છે. દોસ્તી ભલે કદી મરતી નથી, પણ દોસ્તો તો મરણ પામે જ છે ને! એક પછી એક બધા જ દોસ્ત મરણને શરણ થાય ત્યારે? જોસેફ એટલે જ નવા મિત્રો પણ બનાવતા જવાની સલાહ આપે છે. એ કહે છે, જૂની દોસ્તીનું જીવની જેમ જતન કરો, કેમકે બધામાં એ જ સર્વોત્તમ છે. અને કવિતાની શરૂની બે પંક્તિઓનું પુનરાવર્તન કરીને પોતાના મુદ્દા નીચે ડબલ અંડરલાઇન કરે છે. કોઈકે કહ્યું છે ને, ‘કપડાંની વાત હોય તો નવાં શ્રેષ્ઠ છે, પણ દોસ્તોની વાત હોય તો જૂના.’ લૂઈ વૉલેસ ‘બેન-હુર’ નવલકથામાં લખે છે કે ‘આ પાગલ દુનિયામાં એક જ શાણપણ છે, અને તે છે જૂના દોસ્તોની વફાદારી.’ એક અજ્ઞાત કવિનો દોહો યાદ આવે છે:

दोस्ती ऐसी कीजिये जैसे सिर के बाल
कटे कटावे फ़िर कटे, जड से न जाए ख्याल।

પહેલી નજરે કવિતામાં માત્ર જૂના મિત્રોનું જ માહાત્મ્ય કર્યું હોય એમ લાગે પણ ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે કવિએ નવા અને જૂનાનું નહીં, પણ દોસ્તીનું જ માહાત્મ્ય કર્યું છે. જૂનાની વાત કરતી વખતે પણ એ યાદ કરાવે છે કે નવા મિત્રોની પણ જરૂર પડવાની જ છે, કેમકે આજે જે નવા છે, એ જ તો કાલે જૂના થશે. અને જૂનું એટલું સોનું તો આપણે જાણીએ જ છીએ. જે મિત્રો આપણા જીવનની અંતરંગ ક્ષણોના સાક્ષી છે, જેમણે આપણી લાગણીઓના ઉતારચઢાવ સતત જોયા છે, જે આપણી સફળતા-નિષ્ફળતામાં આપણા કદમ સાથે હરદમ કદમ મિલાવતા આવ્યા છે, જે કદાચ આપણા સ્વ-ભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે એ દોસ્તથી બહુમૂલ્ય ઘરેણું જીવનમાં કયું હોઈ શકે? ઈસુથી સો વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ ટુલિયસ સિસેરોએ કહ્યું હતું કે મિત્ર એ તમારી બીજી જાત (another self) છે; મિત્રો ‘બે શરીરમાં એક આત્મા’ છે. આજે આપણા સૌની સહનશક્તિ ઐતિહાસિક તળિયાને આંબી રહી છે, ત્યારે નાનીમોટી વાતોમાં આપણને ખોટું લાગી આવે છે, નજીવી બાબતમાં વર્ષોની દોસ્તી તૂટી જાય છે અને ક્યારેક જેના વિના જીવન શક્ય પણ નહોતું લાગતું એ સામા મળી જાય તો હસવાનુંય દુષ્કર થઈ પડે છે. સોશ્યલ મિડીયાની દોસ્તી આજે વાસ્તવિક દોસ્તી કરતાં આપણને વધુ મીઠી લાગવા માંડી છે. વર્ચ્યુઅલ સંબંધોનું રૉલર ધરતીમાં ઊંડે મૂળ ઊતારીને ઊગેલા વાસ્તવિક સંબંધો પર ઝડપભેર ફરી વળવા માંડ્યું છે. પણ જીવનમાં રડવા માટે આ વર્ચ્યુઅલ ખભા કામ નથી આવતા. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય! ખોળિયામાં જેમ શ્વાસ એમ જીવનમાં દોસ્તનો ખભો અનિવાર્ય છે:

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે!

દોસ્તના ખભા ઉપર મૂકાયેલા માથાંઓએ તો ઇતિહાસ સર્જ્યા છે. જે ખભા પર આપણી જિંદગીની રામાયણ-મહાભારતના એક-એક શ્લોક લખાયા છે એ ખભાને નાની-મોટી વાતોમાં તરછોડવાનું, અવગણવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય? જીવનના બબ્બે-પાંચપાંચ દાયકાઓ આપણી સાથે કોઈ મિત્ર બનાવીને વીતાવે એ વાત જ કેટલી મોટી છે! આપણી સહનશક્તિનો ગ્રાફ થોડો ઊંચો રાખીને આવા મિત્રો છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ બની રહે એ જોતાં શીખી જઈશું તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં રહે કેમકે ‘ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.’

અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર

એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી

કાવ્ય ગાન – કવિ શ્રી વિનોદ જોષી

એક કાચી સોપારીનો કટકો રે

એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી