Category Archives: ગીત

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો (ગીત) ~ હર્ષદ ત્રિવેદી

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

~ હર્ષદ ત્રિવેદી

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી ~ ગીત: નીલેશ રાણા ~ સ્વર-સ્વરાંકન: નયનેશ જાની 

ગીત : નીલેશ રાણા
સ્વર-સ્વરાંકન :
નયનેશ જાની

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

***

શ્યામ મારો આ કોરો કાગળ (ગીત) ~ સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

કવિ સુરેશ દલાલે અનેક સુંદર કૃષ્ણગીતો આપ્યા છે. અહી એક એવું ગીત છે જેનું સ્વરાંકન કરવું અઘરું પડે. પ્રલંબ લય છે. સુરેશભાઈના કંઠે પઠનરૂપે અનેક વાર સાંભળ્યું છે, પણ સ્વરાંકન સાંભળીને આ ગીત, ફરિયાદ સ્વવરૂપે હોવા છતાં, વધારે વ્હાલું લાગશે.

ગીત: સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે?

રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?
– તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?
– મને કૈં કહેશો ક્યારે?

 

રામ રામ! દ્વારિકા જાઉં છું (ગીત) ~ રમેશ પારેખ

રામ રામ! દ્વારિકા જાઉં છું
કાનજી જો મળશે તો એને કહીશઃ દોસ્ત, હું તારો કૈંક સગો થાઉં છું!

કાનજીના માથા પર મોરપીંછ, એમ મારા માથા પર ફરકે છે ભે
ઊંચક્યું છે મેંય મારા જીવતરને એમ, જેમ ગોવર્ધન ઊંચકે છે એ

મારી એકલતાને કાનજીની કઈ હાલત સાથે સરખાવું – મૂંઝાઉં છું

બીજું બધું ઝળઝળિયાં કહી દેશે શું કરવા ખોલું હું મ્હોં?
ઊઘડી પડીશ એની સામે ને કહીશ : હું છું ખુલ્લી કિતાબ, અલે જો!

પછી એ શું કહેશે એ જાણવા આ દ્વારકાના મારગમાં અડવડિયા ખાઉં છું.

~ રમેશ પારેખ

એક ગીત સદીઓનું (ગીત) ~ પ્રફુલ્લ પંડ્યા

ટહુકો ટીમ વતી સૌ વાચકોને નવાં વર્ષની શુભકામનાઓ.  નવાં વરસે ગીતોનો લય અને ગઝલનો તરન્નુમ આપણને તરબતર કરતો રહે, નવાં સ્વરાંકનો મળતાં રહે, નવી નવી જગ્યાએ “લિવિગ રૂમ મહેફિલ” સજતી રહે અને આપણને કવિતા અને સંગીતના વિશ્વને માણતા રહીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ. નવાં વર્ષની શરૂઆત કરીએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જેમને જીવન ગૌરવ પુરસ્કાર ગયા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો તે કવિ પ્રફુલ્લ પંડ્યાના ગીતથી.
***

એક ગીત દરિયાનું ગાવું, એક ગીત નદીઓનું
એક ગીત એક પળનું ગાવું, એક ગીત સદીઓનું!

ગાતાં રહેવું, ગાતાં રહેવું, શબ્દોમાં લહેરાતાં રહેવું,
આંખોમાં કોઈ સ્મરણ આંજીને, ભીતર ઊંડે જાતાં રહેવું!

એક ગીત આકાશનું ગાવું, એક ગીત ઊડવાનું
એક ગીત પર્વતનું ગાવું,એક ગીત ચડવાનું!

હરિયાળાં આ વૃક્ષો એની ડાળ-ડાળ સરવાનું,
હવામાં સાવ જ ઓગળી જઈને, ચારે કોર ફરવાનું!

એક ગીત ફૂલોનું ગાવું,એક ગીત ડોલવાનું !
એક ગીત મૂંઝવણનું ગાવું, એક રૂદિયાને ખોલવાનું!

~ પ્રફુલ્લ પંડ્યા

હરિનો મારગ છે શૂરાનો ~ કવિ: પ્રીતમદાસ ~ સ્વરાંકન: દિવીજ નાયક, મુંબઈ ~ સ્વર: શાન

  1. ક્લાસિક કવિતાને આધુનિક અવતારમાં રજૂ કરવાનો એક પ્રયાસ એટલે દિવીજ નાયકનું “અલખ” આલબમ, જે ૨૦૧૮માં રજૂ થયેલું. એનો એક કાર્યક્રમ અંધેરી ભવન્સમાં થયો એમાં નિમિત્ત બનવાનો અલખ સંતોષ પ્રાપ્ત થયેલો. ભાઈ દિવીજ નાયક યુવાન, તરવરતો, સુસજ્જ, કર્મઠ, નિષ્ઠાવાન, સંવેદનશીલ અને કવિતાની સમજ ધરાવતો સ્વરકાર-ગાયક છે. પોતે સંગીત શિક્ષક પણ છે. `કોશેટો’ નાટકમાં એના સ્વરમાં રજૂ થયેલા ગીતો નાટકનો એક મહત્ત્વનો હિસ્સો બન્યા છે.

અત્યારે “અલખ” આલબમમાંથી એક ગીત માણીએ. પ્રાચીન કવિતાને અર્વાચીન અભિગમથી રજૂ કરવાનો સુંદર પ્રયોગ આ આલબમના સ્વરાંકનોમાં થયો છે.

~ કવિ: પ્રીતમદાસ
~ સ્વરાંકન: દિવીજ નાયક
~ સ્વર: શાન

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

(કવિપરિચય અને શબ્દાર્થ સાભાર)
https://layastaro.com/?p=327

~~~

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

https://tahuko.com/?p=19448

ગૂણિયો માપે ને છેણી રેગતી (ગીત) ~ જસુભાઈ શાહ ~ નોંધ: એક વિશેષ અને વિશિષ્ટ ગીત

જો પ્રસ્તુત ગીત તમને પહેલી વારમાં જ સમજાય, તો તમારે જ તમને એક મિલિયન લીલાકુંજાર અમેરિકન ડોલર્સ (આજની તારીખે રૂપિયા ૮ કરોડ, ૯૧ લાખ, ૬૨ હજાર, ૯૫૦ પૂરા) આપવાના રહેશે, કારણકે અમારી પાસે ફંડ નથી.

અમારે તો ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણું બ્લૉગના ઉપક્રમે આખા અમેરિકામાં માતૃભાષાના સંવર્ધન અર્થે ઘણું ઘણું કામ કરવાનું છે. એટલે અમારી સામે મોટી ટાસ્ક સરસ્વતીને સાચવવા સૌપ્રથમ તો લક્ષ્મીદેવીને રિઝવવાની છે.

ખેર, ગીત તરફ વળીએ. ઓજારોને પરોવીને અનેરી ભાવછાયા અને અર્થચ્છાયા નિરૂપતાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પ્રસ્તુત ગીતમાં અનેક નવા શબ્દો જડશે. એમાંથી કેટલાક શબ્દનો અર્થ ગીત પતે પછી મૂક્યો છે છતાં કેટલાક શબ્દનો અર્થ અમને ખબર નથી. તો એ સમજાવવાની જવાબદારી સુજ્ઞ વાચકની છે. વાત આખરે તો ઓજારથી ઉદ્ધાર તરફની થાય એની મહત્તા છે. – સંપાદકઃ હિતેન આનંદપરા.

ગીત ~ જસુભાઈ શાહ

ગૂણિયો માપે ને છેણી રેગતી
      ચોપેણ વાઢે ધારોધાર.
નજરે લાધે ના એવા ખાંચકા
સમતલ સટામરની ચાલ
હળવો હવાનોયે ભાર
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

ધાર્યું દાબે રે ફુલેલ રેખમાં,
     ભીડમાં ઝટ અટપૈ જાય,
છૂટા રે છેડાને સાંધે ગ્યાસથી,
સાંધે કોઈ વીજળીને તાર
જડે કોઈ રીવેટ્યું’ની હાર – ઘણ રે.

ચાર ચાર મેલી વચમાં છાજલી,
જડિયો પાંચમે ભંડાર,
પડખે બાયે ને જમણે ભોપલાં
હેઠળ ગુપત ડંભાર,
જેમાં હાટિયાનો સાર – ઘણ રે.

કઈ રે જણસ્યુંને કાજે વ્હોરશે?
મનમાં કશી રે ગડભાંજ!
ધન રે કામેલાં કોરે ભરતિયે
અતલસ ગજી ને કિનખાબ,
આણે આવેલો અસબાબ – ઘણ રે.

મૂઢ રે મમતાથી માયા જાળવે
જતને જૂઠના ઉચાટ,
રઝળે રતન, કટકા કાચના
કાજે કળના કબાટ,
ભોગળ ભીડેલાં કમાડ – ઘણ રે.

વાયુને અણસારે થર થર કાંપતા
જેણે ઠઠારી ઠકરાત
મનની મંજૂષા ભરચક ઠાલવી
રાખે રામની મિરાત,
તેને સાથરે નિરાંત.
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

(ગૂણિયોઃ કાટખૂણો. રેગતીઃ રેખા આંકતી, ચોપેણઃ લોખંડ કાપવાનું ચોરસ હથિયાર. સટામરઃ પતરાં સમતલ કરવાનું સાધન. ફુલેલઃ ધાર વાળવા માટેનું સાધન. ભીડઃ પ્રેસ (પતરાં વાળવાનું યંત્ર). ભોપલુંઃ પડખેનું ખાનું.)

સુજ્ઞ વાચકોને નીચેના શબ્દોના અર્થ જણાવવા /
આ ગીત વિશે પ્રતિભાવ આપવા વિનંતીઃ

શબ્દો :  છેણી, રીવેટ્યું, ડંભાર, હાટિયા

મન ન માને (ગઝલ) ~ હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ 

હેમેન શાહની ઘણી ગઝલો પ્રખ્યાત છે. દા.ત. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. એવી જ રીતે નીચે રજૂ કરેલી ગઝલ શાયરની પણ પ્રિય છે અને શ્રોતાઓની પણ પ્રિય છે. હેમેનભાઈની સિગ્નેચર ટ્યુન ગઝલ કહી શકાય.

આ ગઝલનું મનહર ઉધાસે `અક્ષર’ આલબમમાં લીધેલું સ્વરાંકન મોટે ભાગે સાંભળવા મળે છે.

https://tahuko.com/?p=3785

આલાપ દેસાઈએ પણ એનું સુંદર સ્વરાંકન કર્યું છે.

https://aapnuaangnu.com/2021/12/25/man-na-mane-gazal-hemen-shah-alap-desai-gargi-vora/

પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન માણીએ, જેની વિશેષતા એ છે કે આ પિયુ અને પાર્થિવનું મેલ ડ્યુએટ છે. ગુજરાતી સુગમ સંગીતમાં મેલ ડ્યુએટ બહુ ઓછા મળે છે. સ્વરાંકનમાં થોડાક શેર લેવાયા છે, પણ વાચકો માટે આખી ગઝલ મૂકી છે.

 

શાયર: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર:  પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ
આલબમ: દીવાન-એ -ખાસ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

***

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત

‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.

શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.

‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.

મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં મોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.

શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.

સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.

પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.

કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.

જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.

એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.

શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-

શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,

અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.

પગલાં (દરિયાને તીર એક રેતીની ઓટલી) – સુંદરમ

એક મઝાની રચના, કવિ શ્રી સુન્દરમ ના પોતાના અવાજમાં …

—————–

Originally published on Oct 24, 2009

આજનું આ ગીત આખેઆખું ધવલભાઇ પાસેથી… એમના શબ્દો, એમણે પાડેલો ફોટો, અને ટાઇપ કરવાની મહેનત પણ એમની..!! 🙂
——-
ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.
– ધવલ શાહ

(દરિયાને તીર…  Photo by : Dhaval Shah)

* * * * *

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે. ‘

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

(આભાર : લયસ્તરો)