Category Archives: કવિઓ

અમૃતા – જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત શ્રી રઘુવીર ચૌધરીની ખૂબ જ જાણીતી નવલકથા

(નીચેની માહિતી – અને અમૃતા નવલકથાનું Digital Version – એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી સાભાર)

અમૃતા નવલકથાનું PDF, Kindle or Epub version download કરવા અહીં ક્લિક કરોઃ

http://www.ekatrafoundation.org/books/?book=25

રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી – ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.

કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)

વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!

પત્ર લખું કે લખું કવિતા… – માધવ રામાનુજ

સ્વર અને સ્વરાંકનઃ નયન પંચોલી

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?

આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું?
પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે?

મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

– માધવ રામાનુજ

આંખોમાં આખો અષાઢ લઈ છોકરી… – તુષાર શુક્લ

આંખોમાં આખો અષાઢ લઈ છોકરી
મળવા આવી’તી એને આજ
વીસ વીસ વરસોનો વેઠયો દુકાળ
તે ના છોકરા એ કીઘી નારાજ
હવે ખાશે પીશે ને કરશે રાજ-

ઘેરાતી છોકરી જ્યાં મનગમનતું વરસી
ને વરસી તે વરસી ઘોઘમાર
રોકી શકાય નહીં કોઈથી એ છોકરીને
કીઘે ન થોભે લગાર
નેણ અને વેણ તણા વ્હેણમાં તણાય
એવા તટને ના કહીએ તારાજ-

છોકરાની છાતી પર લીલુંછમ ઘાસ
એની ગામ લોકો કરી રહ્યા વાતો
વીસ વીસ વરસે એ આંખોને માંડ મળી
સપનાંઓ વાવવાની રાતો
દિવસે એની પાંપણ પણ પળે છે બંધ
એમાં વાવ્યુ ઉછેરવાને કાજ

– તુષાર શુક્લ

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

શી વાત છે હમરાહમાં ? – વિવેક મનહર ટેલર (#tahuko10th)

ટહુકોને હજુ ગઇ કાલે ૧૦ વર્ષ થયા, અને ૬ મહિના પહેલા કવિ મિત્ર ડૉ. વિવેક ટેલરે પણ એમના સ્વરચિત કાવ્યોના બ્લોગ – http://vmtailor.com/ – ની દશાબ્દિ ઉજવી! ટહુકો શરૂ થયો એ પહેલાથી વિવેકનો અપ્રતિમ પ્રેમ સાથ અને સહકાર મળ્યા છે. ગુજરાતી કવિતા માટેનો એનો લગાવ, અને લયસ્તરો, ટહુકો અને શબ્દો છે શ્વાસ મારા માટેનો એનો ઉત્સાહ કદાચ સૌથી મહત્વનું બળ છે કે આ ત્રણે વેબસાઇટ આજે ફેસબુક – વોટ્સએપ અને બીજા બધા ‘સોશિયલ મિડિયા’ના મારા સામે પણ આજ સુધી ટકી રહી છે..

વિવેકે ‘શબ્દો છે શ્વાસ મારા’ ના દસ વર્ષ પર જે વાત કરી – એ અહીં અક્ષરસઃ ટાંકું છું –

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
-વિવેક મનહર ટેલર

તો સાથે વિવેક તરફથી મળેલો આ શુભેચ્છા સંદેશ… અને એના ગીત-ગઝલના આલ્બમ ‘અડધી રમતથી’ માં સ્વરબધ્ધ થયેલી એક મઝાની ગઝલ સાંભળીએ. અને વળી એનું સ્વરાંકન મેહુલ સુરતીએ કવ્વાલી જેવું એકદમ અલગ કર્યું છે, અને એમાં પાર્થિવ ગોહિલનો સ્વર મળે એટલે?

સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

-વિવેક મનહર ટેલર

ગઝલ – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ