Category Archives: કરસનદાસ માણેક

ને પથ્થરો તરી જાય છે – કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક

હરિનાં લોચનિયાં – કરસનદાસ માણેક

.

એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા,
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા,ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તંતી
દ્રરિદ્ર,દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા,

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મા’જન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા;
જીર્ણ, અંજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું:
’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી,
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી,

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ભય-થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા:
વરુના ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયાં !
થેલી,ખડિયા,ઝોળી, તિજોરી: સૌ ભરચક્ક ભરાણાં:
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !
ધીંગા ઢગલા ધાન્યતણા સૌ સુસ્તોમાંહિ તણાણા:
રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં:

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

હુંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુધ્ધ—દદામા;
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળમહિં ઝડપાયા:
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઇ હડકાયા;
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં:
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઇઓમાં ખોવાણા.
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં,
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !
વસંત,વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા:
જીવનમોહ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા ;
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિક્સ્યાં જ સુકાણાં;

તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !

– કરસનદાસ માણેક

(આભાર – મા ગુર્જરીના ચરણે….)

 

ઓડિયો સૌજન્ય:mavjibhai.com

ગમે છે ! – કરસનદાસ માણેક

(ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !….. View of Nevada Falls – from the top.. !  April 09)

હજું વરસાદભીની ધરતીની ખુશ્‍બુ ગમે છે,
રહેમત છે ખુદાની, જીવતો છું, તું મને ગમે છે !

ગમે બુઢ્ઢા સમુદ્રોને જીગર ભરતી અજંપો,
શરદની ચાંદની, ને દિલતણું ઝુરવું ગમે છે !

હિમાચ્છાદિત શિખર-સંઘોનો સંગાથી બનીને
ધરાતલ પર ઉતરવા વાયુનું વે’વું ગમે છે !

અને મૃતઃપાય – સર્જનમાં નવા ચેતન કણોને
સ્ફુરાવન્તી એ વાસંતી તણું ગાણું ગમે છે !

અનાદિ કાળથી વરસ્યાં રણોના અંતરંગે,
મને ગ્રીષ્‍મો તણી બજરંગ-હસતી લૂ ગમે છે !

ચહું નવ મુકિત, ઓ માલિક, મને તો તારી સંગ
ગમે છે જન્મ ને જીવન, અને મૃત્યુ ગમે છે !

નથી ગમતું ઘણું પણ કૈંક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે !

છે ચારેકોર માનવસરજી નકરી મુશ્કિલાતો
પરંતુ કૈંક છે જેથી, એ સૌ સહેવું ગમે છે !

છે મેલાં મહાજનો ને મોવડીઓ છે સડેલા
હું જાણું છું છતાં સંસારમાં રે’વું ગમે છે !

છે એક એક કદમે મોત મારગમાં ઉભેલું,
અને તોયે સદાયે ચાલતા રહેવું ગમે છે !

છે બંધનો કાનૂનોના અંધ અન્યાયી ઘણાયે
છતાં આઝાદ વાયુ છે, અને વહેવું ગમે છે !

આ કિશ્તી ઔર છે, જેની તુફાની પ્રેરણા છે
ખરાબા ને ખડક વચ્ચે થઇને વહેવું ગમે છે !

ક્ષિ‍તિજ પર છે અણુંબોંબો ને માથે મુફલીસી છે
છતાં ઇન્સાનના ચહેરા ઉપરનું રૂ ગમે છે.

હું જેવું માગું છું તેવું કશુયે છે નહિ ત્યાં
પરંતુ તેથી તો જીવવું જ ઉલ્ટાનું ગમે છે !

ખુદાતાલાની ખલ્ક્ત છે કે છે કોઇ બીજાની
એ જોવા કાજ પણ આખર સુધી રહેવું ગમે છે !

ઘડીક વરસાદ ભીની ને ઘડીક સોણીવભીની
મને હર હાલમાં ધરતી તણી ખુશ્બુ ગમે છે !

કાવ્ય – કરસનદાસ માણેક

gandhijee.jpg

કોટિ કંઠ જેના સ્તુતિગાન કરે
કોટિ કંઠ જેના સ્તુતિગાન રટે,
જેને દર્શન વિશ્વ બધું ઉમટે ;
મૃત માનવતાને  જીવાડવામાં
જેની જોડી નથી ધરતીને પટે ;

એવા અદભૂત આ અવધૂતનું અંતર
આંખ ખોલી એક વાર જુઓ :
એને ભીતરમાં ભડકા સળગે ,
એનું દુ:ખ દેખી એકવાર રુવો !

એણે માનવપ્રેમનું ગાણું કર્યું :
ઝેર જીરવીને સુધા-વ્હાણું કર્યું ;
અને જૂઠને હિંસાની સામે સદા એણે
એક અખંડ ધિંગાણું કર્યું ;

અને આજે એની તપસિધ્ધિકેરે ટાણે
જૂઠ ને ઝેર રેલાઇ રહ્યા !
જેને નાથવા આયખું ગાળ્યું તે નાગના
તાંડવ આજ ખેલાઇ રહ્યા !

એણે માનવતાને મ્હોરાવવી’તી ,
દેવવાડી ધરાપે લ્હેરાવવી’તી :
હ્ર્દયે હ્ર્દયે પ્રભુના કમલો કેરી
ફોરમ દિવ્ય ફોરાવવી’તી :

અને ઉકરડા આજ ડુંગર ડુંગર
જેવડા એની મા-ભોમ પરે ;
બદબો થકી રુંધતા આત્મને દેખી
ઉર એનું કલ્પાન્ત કરે !

ઓ રે , જન્મજયંતી તણા રસિયા ,
ખોલો લોચન અંધકારે ગ્રસિયાં
જરી તો દેખો ઘન વેદનાના
વન અંતર જે એમને વસિયા

એની આત્મસૃષ્ટિને ઉચ્છેદીને
એના દેહની આરતી શીદ કરો :
ડગલે ડગલે એનું ખૂન કરી
એને પૂજવા પુષ્પથી કાં નીસરો !

એની જન્મજયંતી તો ત્યારે થશે ,
જ્યારે પ્રેમની બીન બજશે ,
જ્યારે બ્રહ્મના અંકશા મુક્ત આકાશમાં
મુક્ત ધરા દિવ્યતા સજશે ;

એને મુક્ત સમીરને નીરના નૃત્ય ની
સંગ મીલાવીને તાલ સદા
અરે મુક્ત પ્રકાશમાં મુક્ત માનવ્યનું
નાચી રહેશે મન મુક્ત યદા !