Category Archives: ગઝલ

માણસ ઉર્ફે…. – નયન હ. દેસાઈ (આસ્વાદ: વિવેક મનહર ટેલર)

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

હીરા ઘસવાની રેતી ખૂટી જતાં હાથ જડેલો સપ્તરંગી હીરો…

જમાનો ઝડપભેર બદલાઈ રહ્યો છે. ગઈકાલે જે વસ્તુ ઘરે-ઘરે ચલણમાં હતી, એના વિશે આજની પેઢીને કંઈ પૂછીશું તો ખભા ઉલાળશે. બાળકના સર્વપ્રથમ જ્ઞાનસંસ્કાર સમા સ્લેટ-પેન ક્યારેક અસ્તિત્ત્વમાં હતા કે કેમ એ શંકા જન્મે આજે તો. ટ્રાન્ઝિસ્ટર કાને લગાડીને વટ પાડતી એક આખી સભ્યતાનું નામોનિશાન રહ્યું નથી. ઑડિયો-વિડિયો કેસેટ પ્લેયર, પેજર, પબ્લિક ટેલિફોન બૂથ, ફ્લોપી ડિસ્ક, ફિલ્મ કેમેરા કેવા ગાયબ થઈ ગયા! બાયૉસ્કૉપ અને ક્લાઇડસ્કોપ -કેવી મજા હતી, નહીં! ક્લાઇડસ્કોપ ન જોયું હોય, એ તો બાળપણ જ જીવ્યા ન કહેવાય. એક નળાકાર ટુકડામાં સાંઠ અંશના ખૂણે ગોઠવેલ ત્રણ લંબચોરસ અરીસાને લઈને કાચની રંગીન બંગડીઓના ટુકડાઓથી પળેપળ નિતનવી રચાતી ભાત તો જાણે સ્વપ્નોના રંગ! કવિતા પણ આપણાં સ્વપ્નોના રંગોની આકૃતિ જ છે, પણ મોટાભાગની કવિતા મર્યાદિત રંગોની છબી સુધી જ સીમિત રહે છે. મજા તો ત્યારે આવે જ્યારે બાળપણની ગલીઓમાં ખોવાઈ ગયેલ ક્લાઇડસ્કોપ જેવી કોઈ કવિતા હાથ લાગી જાય. ફેરવતા જાવ, એમ એમ એમાંથી અમર્યાદિત ભાત ઊઠતી દેખાય. નયન દેસાઈની એક ક્લાઇડસ્કોપિક ગઝલ આજે માણીએ.

નયન હ. દેસાઈ.જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩) જન્મભૂમિ કડોદરા, વતન વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. અભ્યાસ માત્ર SSC સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. ગુજરાતી કવિતારાણીને એમના જેટલા અછોઅછોવાનાં બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરો માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જતો. અવાજ પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં…

‘માણસ ઉર્ફે’ એટલે નયન દેસાઈની સિગ્નેચર કૃતિ. આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ‘ઉર્ફે’, ‘એટલે’, ‘મતલબ’, ‘અથવા’ જેવા ઉભયાન્વયી અવ્યયો વડે કવિએ ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર આપ્યો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એમ અસીમ સંભાવનાઓની વિભાવના પણ દર્શાવી છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા ભાવની ગતિ પણ સિદ્ધ થાય છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોની આ ગઝલમાં ભાવાભિવ્યક્તિનો પ્રયોગ તો છે જ, સાથોસાથ ‘ગાગાગાગા’ના ચાર પ્રચલિત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ છંદને પણ વધુ ગતિશીલ બનાવ્યો છે. કવિના કહેવા પ્રમાણે ચાર-સાડા ચાર દાયકા પૂર્વે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી. હીરા ઘસવાની જૂની પદ્ધતિ મુજબ રેતીના કણ પોલિશ કરવા માટેના આલ્કલીય પ્રવાહીમાં મેળવાતા, હીરાની સપાટી અને રેતકણ વચ્ચે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી અને રેતકણની મદદથી હીરાની ઘસાઈ અંતિમ આકાર લેતી. આ પ્રક્રિયાથી હીરાની સપાટીનું ખરબચડાપણું અઢાર નેનોમીટરથી ઘટાડીને દોઢ નેનોમીટર જેટલું ઓછું કરી શકાતું. એકવાર હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ ગયું હતું, રેતી ખૂટી ગઈ હતી ત્યારે કવિની અંદરથી માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

જેમ આખી દુનિયામાં એમ જ ગુજરાતી કવિતાનાં વહેણ પણ સમયાંતરે બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બાનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી બન્યા બાદ ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, એબ્સ્ટ્રેક્ટ વિ. પ્રયોગો તરફ વળી. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ અને એબ્સ્ટ્રેક્ટ ગઝલો લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

પ્રસ્તુત ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભી છે. લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે. ઢાળ પર ગબડતા હોય એમ એકમાંથી બીજામાં સાવ સાહજિકતાથી ઢોળાતા શબ્દોનો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરે છે. ઉર્ફે અને એટલે જેવા અવ્યયોની મદદથી કવિએ સાવ અલગ કુળની સંજ્ઞાઓને બખિયા ભર્યા છે. પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને એકીસાથે સીવી લઈ કવિએ કવિતાનો મજાનો ડ્રેસ સીવી બતાવ્યો છે. એમ પણ કહી શકાય કે શબ્દોના અલગ-અલગ ટુકડાઓ આપણને આપીને કવિ કહે છે કે, લ્યો આ ટુકડાઓ! હવે પૂરી કરો આ જિગ-સૉ પઝલ! કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરતો રહી અમર્યાદ દૃશ્યો રચે છે. એ અર્થમાં આ ગઝલ ક્લાઇડસ્કોપિક ગઝલ છે. શબ્દના પોતીકા અર્થોપરાંત શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી પણ અહીં અર્થ જન્મતો દેખાય છે… નયન દેસાઈની આ કાબેલિયત અનેક રચનાઓમાં દૃષ્ટિગોચર થાય છે.

પહેલા શેરમાં માનવીના બહુપાર્શ્વીય આયામનો પરિચય કવિ કરાવે છે. માણસ શું છે? હાથમાંથી સરી જાય એવી રેતી?

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

સમયશીશીમાંથી રેતી સતત સરતી જાય એ જ રીતે માણસ પણ સતત ખર્ચાતો રહે છે. તમે એને દરિયો પણ કહી શકો. રેતી ક્ષણભંગુરતાનો તો દરિયો અસીમ સંભાવનાઓનો નિર્દેશ કરે છે. માણસ ઉભયનો સમન્વય નહીં? માણસ એટલે ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના પણ. ને આ ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતું રહેવાનું ને વળી ખૂટીય જવાનું…

માણસની વ્યાખ્યા થઈ રહી હોય અને આંખ ટાપશી ન પૂરાવે એ કેમ ચાલે? ઇન્દ્રિયો ભલે પાંચ હોય, પણ આંખ બધાયમાં અગ્રિમ. કવિ આંખોને બારી સાથે સરખાવે છે પણ શેરની શરૂઆત ખુલ્લી વિશેષણ સાથે કરે છે, કારણ ખુલ્લાપણાં વિના બધું જ વ્યર્થ. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારની શક્યતાઓ. ઊઘડવાની વાત. ખુલી જવું એ જ ખરું જીવન. બાકી તો સંકીર્ણતા અને અંધકાર કેવળ. દિવસોનું ઊગવું-આથમવું એ તો સમયચક્ર છે. ચાર દિન કી જિંદગાનીમાં આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવા-આથમવાના અર્થ ઊમેરશે. એ જ માણસ હોવાનો ખરો અર્થ. હાંસિલે-ગઝલ કહી શકાય એવો આ શેર છે.

બાળકને ઈશ્વરનું સ્વરૂપ કહેવાય છે, કારણ મોટા થતા જઈએ એમ એમ આપણે સમ-વેદના ગુમાવતા જઈએ છીએ. આંસુના અડવાથી પણ જે પીગળી ન શકે એ વજ્ર જેવી છાતીનું બીજું નામ જ વયસ્કતા. આંસુની ઉષ્મા તથા ભીનાશથીય ન પીગળતી વ્યક્તિ શું શું નથી ગુમાવતી? આંસુ તો સ્મરણના રણ મધ્યેનો રણદ્વીપ છે. યાદોની પાંખે બેસાડી આંસુ તમને વિસ્મૃત શૈશવ તરફ લઈ જાય છે. બાળપણના આ કૂવામાં આંખ મીંચીને કૂદી ન પડીએ તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

માણસ એટલે સંભાવનાઓનો સરવાળો, આગળ વધવાની ઘટના. પગ ઊપાડીએ જ નહીં તો રસ્તો કપાય શી રીતે? ચાલવાનું શરૂ કરીએ તો રસ્તામાંથી રસ્તા ફૂટે. સમસ્યાઓના ઈલાજ હાથ જડે.

ડેડ-એન્ડ જોઈ દૂરથી જ કરમાઈ શીદ ગયા છો?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.

A journey of a thousand miles begins with a single step. એકવાર શરૂઆત થાય એટલે રસ્તામાંથી રસ્તા, એમ શક્યતાના ફૂલો ઊગી નીકળશે. ક્યાંક પથ્થરો પણ નડતર બનશે જ, પણ સરવાળે પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી, તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

પાંચમા શેરમાં કવિ આપણને સૌને આહ્વાન કરે છે. સંબંધો એ સમાજની દેણગી છે. પશુપંખી સમુદાયમાં સંબંધ કેવળ બચ્ચાંઓ મોટાં થવા સુધી જ જળવાતા હોય છે. બંધન શબ્દમાં જ છૂટી શકાવાની શક્યતા નિહિત છે. જે બંધાય એ છૂટી-તૂટી પણ શકે જ ને? કવિ આપણા સંબંધોને અલગ આયામ આપવાની, બીજા રસ્તે વાળવાની હાકલ કરે છે, કારણ સંબંધ અને શમણાંના ઝુમ્મર બંને એકસમાન છે. શમણું ગમે એવું હોય, એનો અંત નિશ્ચિત જ છે. ઝુમ્મર પણ કાચનું બનેલું હોવાથી વહેલું-મોડું ફૂટવાની ઘટનાથી અલિપ્ત તો ન જ રહી શકે ને! અને સંબંધ તો વળી શમણાંના ઝુમ્મર જેવા છે, મતલબ વધારે બટકણા. સંબંધ કોઈપણ હોય, એને યોગ્ય સમયે બીજે રસ્તે વાળી ન દેવાય, યોગ્ય રીતે સાચવી ન લેવાય તો તિરાડ તો પડવાની જ.

માણસ એટલે અજંપો, અભાવ અને અસંતોષ. અધૂરી ઇચ્છાઓ, દુઃખ-દર્દ, પૂર્વગ્રહો, અદેખાઈ, સ્વાર્થ વગેરે તો આપણા ઘટ સાથે રે ઘડિયાં ને રઘુનાથના જડિયાં છે. ક્યારેક આ (દુર્)ગુણો ચાલકબળ બની પ્રગતિના પંથે પણ લઈ જાય, પરંતુ બહુધા તો એ તકલીફોની જનેતા જ બની રહે છે. છાતીમાં પીળા ગુમડા જેવો સૂરજ ઊગ્યાનો દવ સળગ્યો હોય એવી બળતરા કોણ નથી અનુભવતું? सीने में जलन, आँखों में तूफ़ान सा क्यूँ है? इस शहर में हर शख़्स परेशान सा क्यूँ है? (शहरयार) મહેફિલમાંથી અધવચ્ચેથી ઊઠી જવાનું થશે, કમોતે મરવાનું થશે એ જાણતો હોવા છતાં છાતીમાં સમસ્યાઓનું બળબળતું ગૂમડું ઊગવા દે અને પાકવા દે એનું જ નામ માણસ. માણસની આ વ્યાખ્યા ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે.

આ એવો જમાનો છે જ્યાં આપણે અરીસા આગળ પણ ચહેરા પર ચહેરો ચડાવીને ઊભા રહીએ છીએ. માણસ પોતાની જાતનો સાક્ષાત્કાર કરતાં જ ડરતો હોય તો અન્ય સામે કઈ રીતે યથાતથ રજૂ થાય? एक चहेरे पे कई चहेरे लगा लेते हैं लोग। (સાહિર લુધિયાનવી) માણસો નહીં, જાણે મુઠ્ઠીભર પડછાયાઓનાં ગામ છે આ દુનિયા. પડછાયા હાલે-ચાલેની હકીકત ભૂતાવળ તરફ પણ અંગૂલિનિર્દેશ કરે છે. હાલતા-ચાલતા પદછાયાઓ જેવી અસ્થાયી અને બનાવટી ઓળખાણને લઈને માણસ પોતાની ખરી ઓળખ ગુમાવી ચૂક્યો છે. કોણ કોને યાદ રાખે? એઝરા પાઉન્ડની અમર રચના યાદ આવે: “The apparition of these faces in the crowd:/ Petals on a wet, black bough.” (ભીડમાં ઓછાયા આ ચહેરા તણા; /પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.)

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

તારી ખુદાઇ દૂર નથી – નાઝિર દેખૈયા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

– નાઝિર દેખૈયા

ગઝલ લખતાં થયેલી છેકછાક – ભગવતીકુમાર શર્મા

હું ગઝલ લખતાં થયેલી છેકછાક;
પણ ગઝલિયતના યે ચમકારા કશાક!

હિંગળોકી છે અનિદ્રા રાતભર;
લ્યો, મળસકું ઊગ્યું છે રાતુંચટાક!

પ્રેમ પહોંચ્યો, પણ ન ઠેકાણે કદી;
ગેરવલ્લે જાય છે મારી જ ડાક!

ઘૂઘવે છે રણમાં પણ દરિયો હવે;
આ ચઢ્યો છે ઝાંઝવાને શાનો છાક?

મૃત્યુની ક્ષણ, ખાતરી આપું તને;
વીત્યાં વર્ષો, વીતશે થોડા કલાક.

હાથતાળી દઈ રહ્યો છું ક્યારનો;
મૃત્યુની કરવી ગમે થોડી મજાક.

– ભગવતીકુમાર શર્મા

કોઈના મનમાં હવે કાયમી નથી રહેવું – ભાવિન ગોપાણી

સુગંધ માત્રથી શ્વાસો ભરી નથી રહેવું
દુ:ખોને અવગણી સ્હેજે સુખી નથી રહેવું

અનિચ્છનીય બનાવોય છે બગીચામાં
પતંગિયા કે ગુલાબો ગણી નથી રહેવું

મને ન ત્યાગ સમંદર મને પરત લઈજા
ત્યજીને પ્રાણ કિનારે પડી નથી રહેવું

નકામો હક કે અધિકાર ના જતાવે ક્યાંક!
કોઈના મનમાં હવે કાયમી નથી રહેવું

ઉપાય છે જ છે એકલતા દૂર કરવાનો
પરંતુ ભીતરે કોઈ વતી નથી રહેવું

થયું કઠિન છે મંડપ ઉતારવાનું કામ
હવે પ્રસંગમાં છેલ્લે સુધી નથી રહેવું

તમારા ધ્યેયને ઢાંકે છે હાજરી મારી
તમારા માર્ગમાં ધુમ્મસ બની નથી રહેવું

– ભાવિન ગોપાણી

ત્યાગમાં પણ ગુનાહ લાગે છે – મરીઝ

આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.

પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.

એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.

આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.

તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.

આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.

કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.

– મરીઝ

છેકીને એક નામ, રડી લેવું જોઈએ – ભાવિન ગોપાણી

કિસ્સો થયો તમામ, રડી લેવું જોઈએ
ખંખેરી દોડધામ, રડી લેવું જોઈએ

ક્યારેક એવુ લાગે કે પામી ગયો શિખર,
બહુ યોગ્ય છે મુકામ, રડી લેવું જોઈએ

રાણીની ઝંખના ફરી રાજા તરફ વળી,
તારે હવે ગુલામ, રડી લેવું જોઈએ

વાંચીને એક નામ, દુ:ખી રોજ શું થવું?
છેકીને એક નામ, રડી લેવું જોઈએ.

આનાથી સારો છે જ નહી કોઈ આશરો,
જો હાથમાં છે જામ, રડી લેવું જોઈએ

પાગલને હસતો જોઉં તો કાયમ વિચારું છું
આને કરી પ્રણામ, રડી લેવું જોઈંએ

પ્હેલાં ઈનામના તમે હકદાર હો ભલે,
પ્હેલું મળે ઈનામ! રડી લેવું જોઈએ

કાલે સવારે યુદ્ધ છે આ વાતને ભૂલી,
ઊંઘી જો જાય ગામ, રડી લેવું જોઈએ
– ભાવિન ગોપાણી.

દર્દ સમજાશે નહીં કોશિશ ન કર – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ ડોકાશે નહીં કોશિશ ન કર,
દર્દ સમજાશે નહીં કોશિશ ન કર.

આંખમાં-દિલમાં-હથેળી પર લખ્યું,
કંઈ જ વંચાશે નહીં કોશિશ ન કર.

છે કણેકણમાં ભલે ગ્રંથો કહે,
ક્યાંય દેખાશે નહીં કોશિશ ન કર.

દોસ્ત! સઘળું અહીંયા વોટરપ્રૂફ છે,
કોઈ ભીંજાશે નહીં કોશિશ ન કર.

હા ભલે મતભેદ હંમેશા થતાં,
મન અલગ થાશે નહીં કોશિશ ન કર.

છોડ તું બમણી ગતિની ઘેલછા,
બમણું જીવાશે નહીં કોશિશ ન કર.

જાતમાં મિસ્કીન ડૂબી જા હવે,
પાર પ્હોંચાશે નહીં કોશિશ ન કર.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કવિ દિલનો હાલ સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

એકાદ પીંછું યાદનું – અંકિત ત્રિવેદી

અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.

આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો,
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે.

બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે.

મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

અટકી ગયેલી વાત ના આગળ વધી શકી,
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?

– અંકિત ત્રિવેદી

તારી એમાંથી નવી ઓળખ મળી છે – અશરફ ડબાવાલા

તું હતી ત્યાં તારી વસ્તુઓ પડી છે,
તારી એમાંથી નવી ઓળખ મળી છે.

સઘળી હોડી ૫૨ હતી. શ્રદ્ધા પરંતુ,
થોડી ડૂબી ગઈ અને થોડી તરી છે.

મારા જે જે યત્નો હાર્યા’તા સ્વયંવર,
મારી ઇચ્છાઓ બધી એને વરી છે.

પર થયો છું માગવાને આપવાથી,
જાતરા મેં હાથની પૂરી કરી છે.

શી ખબર પીડા હવે ક્યાં જઈ સમાશે?
પાંપણેથી એક નદી પાછી વળી છે.

– અશરફ ડબાવાલા