Category Archives: હસિત બૂચ

ગ્લૉબલ કવિતા : ૧૨૨ : રંગપિયાલો -હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

રગેરગ ચડતો સંગના રંગનો નશો…

નશા હજાર જાતના હોય છે પણ પ્યારના કેફ સામે બધા જ ફીકાફસ. ને એમાં પણ બે જણ વચ્ચેના પ્રેમનો જ્યારે સ્પર્શની ભાષામાં તરજૂમો થાય ત્યારે જે નશો ચડે એની તો વાત જ કંઈ અલગ. આજે જો કે સ્નેહસંબંધની પરિભાષા ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રેમ અને પથારીની વચ્ચે હવે ઝાઝું અંતર રહ્યું નથી પણ એક સમય એવો હતો જ્યારે બે જણ પ્રેમમાં પડે અને વાત સ્પર્શ સુધી પહોંચે એની વચ્ચે થોડું અંતર રહેતું. સ્પર્શ આલિંગનમાં પરિણમે એની વચ્ચે તો કદાચ કિલોમીટર જેટલો લાં…બોલચ્ચ સમય પસાર થતો. અને કદાચ એટલે જ એ પહેલો સ્પર્શ, પહેલું આલિંગન, પહેલું ચુંબન પ્રેમીઓ જીવનભર ભૂલી શકતાં નહોતાં. પહેલાનો તો રોમાંચ જ અલગ. પ્રથમ પ્રેમની પ્રથમ શારીરિક અનુભૂતિઓના ગીત કવિઓ વર્ષોથી લખતા આવ્યા છે, લખતા રહેશે. પણ હસિત બૂચનું ‘રંગપિયાલો’ કાવ્ય કદાચ આ પ્રકારના ગુજરાતી ગીતકાવ્યોમાં શિરમોર કહી શકાય એટલું બળકટ અને ઋજુ થયું છે.

હસિતકાન્ત બૂચ. ૨૬-૦૪-૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે જન્મ. માતા સવિતાલક્ષ્મી કવયિત્રી અને પિતા હરિરાય પત્રકાર-ગ્રંથકાર. બહુ નાની વયે સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૨માં બી.એ. તથા ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કરી. બંને વાર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ!! અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય જોડાણ. શરૂઆતમાં એકાદ વર્ષ મુંબઈ રાજ્યના માહિતી ખાતામાં તંત્રી તરીકે કામ કર્યું. બાદમાં ૧૯૪૬થી ૭૧ સુધી લાગલગાટ પચ્ચીસ વર્ષો સુધી સરકારી કૉલેજોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપક અને આચાર્ય તરીકે સેવા બજાવી. પરિણામે ગુજરાતી સાહિત્ય સર્જનમાં મજબૂત ફાવટ સાંપડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિનયન વિભાગના ડીન બન્યા. ૧૯૭૧થી ૮૧ સુધી ગાંધીનગર ખાતે ભાષાનિયામક રહ્યા અને ભારત સરકારની ભાષા-સમિતિઓમાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે એમણે સેવાઓ આપી. ૧૯૮૨થી વડોદરા ખાતે સ્થાયી થયા. વડોદરામાં ‘ગુજરાતી સાહિત્ય મંદિર’, વિસનગરમાં ‘કવિસભા’ તેમજ ગાંધીનગરમાં ‘મિજલસ’ની સ્થાપના કરીને એમણે પોતાના અને અન્યોના સાહિત્યરસને પોષવામાં ચાવીરૂપ કામગીરી બજાવી હતી. વડોદરા ખાતે એમણે સ્થાપેલી ‘ગ્રંથ ગોષ્ઠિ’ તો આજે ૩૭ વર્ષ થયા હોવા છતાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ વાગ્યે સરદાર ભવન ખાતે અચૂક યોજાય છે. ક. મા. મુનશી જેવી ધારદાર ચાંચવાળી ગાંધીટોપી, ખાદીનો સફાઈદાર પરિવેશ, કાનની ઉપર મોડ આપેલા વાળ, સૌમ્ય વદન, ઉજ્જ્વલ વર્ણ, નાગરી વ્યક્તિત્વ અને સુરીલા કંઠથી તેઓ અલગ તરી આવતા. સ્વરરચનાના જાણતલ. ગીત-ગઝલો સ્વરબદ્ધ કરવામાં એક્કો. કવિસંમેલનોમાં ‘ગાતા કવિ’ તરીકે ચાહના પામ્યા હતા. કાગળની ઘડીઓ વાળી કટિંગ કરી રંગોળી પૂરવા કામ લાગે એવા નક્શીદાર ફર્મા બનાવવામાં નિષ્ણાત. પુત્રી નિર્ઝરી મહેતા પણ સાહિત્યકાર છે. ૧૪-૦૫-૧૯૮૯ના રોજ વડોદરા ખાતે હૃદયરોગના હુમલાથી નિધન.

કવિતામાં ગઝલ કરતાં ગીત એમને સવિશેષ માફક આવ્યાં છે. એમના ગીતોમાંથી જે ગામઠી ભાષાની તળપદી મહેંક ઊઠે છે એ પ્રદ્યુમ્ન તન્ના અને વિનોદ જોશીની યાદ અપાવે છે. અછાંદસ કાવ્યોમાંય એમની કલમે સુપેરે ગતિ કરી છે. કવિતા ઉપરાંત વિવેચન, નવલકથા, વાર્તા, નાટકો, અનુવાદ, ચરિત્રલેખન, બાળકાવ્યો અને સંપાદનો વગેરેના ત્રણ ડઝનથી વધુ પુસ્તકો એમણે આપ્યાં છે. Window નામે અંગ્રેજી તથા ईषत् નામે હિંદી કાવ્યસંગ્રહની યશકલગીથી એમનો તાજ સુશોભિત છે. ધમ્મપદ તેમ જ સિદ્ધહેમ જેવા ગ્રંથોના સબળ અનુવાદ એમણે આપ્યા છે. સમર્થ સર્જક અને કવિના ધર્મપત્ની જ્યોત્સ્ના બૂચ સાથે મળીને એમણે સહિયારા પુસ્તકોથી પણ આપણી ભાષાને રળિયાત કરી છે. સાહિત્યજગતની ખેંચતાણ એમને બહુ માફક આવી નહીં એટલે લાયકાત મુજબ પોંખાયા નહીં. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપર કે ગુજરાત સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’માં પણ સર્જકનું નામ દીવો લઈને શોધવા બેસીએ તોય જડતું નથી.

રંગપિયાલો’ ગીત કદ-કાઠીની દૃષ્ટિએ સાવ નાનકડું અને પ્રમાણમાં તરત જ સમજાઈ જાય અને વાંચતા જ વહાલું લાગે એવું ગીત છે. હસિત બૂચને આમેય ગીતો વધુ રાસ આવ્યા હોવાનું અનુભવાય છે. પ્રસ્તુત ગીત આ વાતની સાહેદી પૂરાવે છે. પરંપરાગત શૈલીમાં અષ્ટકલ લયમાં ગીત ગતિ કરે છે. બે પંક્તિનું મુખડું, બે અંતરા અને અંતરા સાથેની તુક-પંક્તિ. રંગપિયાલો શબ્દ કાને પડતાં જ જયન્ત પાઠકનું ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ ગીત યાદ આવી જાય. બંને ગીતનો લય પણ એકસમાન જ છે. આ લય દિલોદિમાગને કાયમી કેદમાં જકડી લે એવો મજબૂત અને પ્રવાહી છે. ‘રંગપિયાલો’ વાંચતા જ કવિની જ એક ગઝલના બે શેર પણ યાદ આવી જાય:

તમે તો અજબ છો: અમારી પિયાલી
ભર્યાયે કરો છો! કરો છોય ખાલી!
પધારે અહીં પળ અને જાય ચાલી;
પિયાલી અમારી ભરી તોય ખાલી!

પ્યાલીના સ્થાને પિયાલી તરફનો કવિનો પક્ષપાત તરત છતો થઈ જાય છે. પ્રસ્તુત રચનાનું ‘રંગપિયાલો’ શીર્ષક કંઈ ખાસ બોલતું નથી. કવિતાનો વિષય શું છે એ વિશે એ કોઈ છણાવટ કરતું નથી. આપણને તો માત્ર રંગનો પ્યાલો જ સમજાય છે અને એટલે એવો વિચાર જરૂર આવવાનો કે કોઈ ચિત્રકાર કે ચિત્રની વાત લઈને કવિ ઉપસ્થિત થયા છે. પણ કવિતા શરૂ થતાં જ કવિ આપણને સાબદા કરે છે. આ રંગપિયાલો કોઈ ચિત્રકારને ચિત્ર દોરવા માટેનું સ્થૂળ સાધન નથી. ‘રંગપિયાલો ચડ્યો’ કહીને કવિ વાત પ્રારંભે છે અને ભાવકને સાવધ કરે છે. વાત ભલે રંગના પ્યાલાની છે, પણ કવિ ચિત્ર કંઈક અલગ જ દોરનાર છે એ તરત જ સમજાઈ જાય છે. શરાબના ચડવાની વાત હોય તો સહેજે સમજાઈ જાય પણ કવિ તો રંગનો પ્યાલો ચડ્યો છે એમ કહે છે. અને કહીને પાછા અટકતા નથી. આ નશો રગેરગમાં ચડ્યો છે એમ કહીને વાતને દોહરાવીને ભારપૂર્વક અંડરલાઇન પણ કરે છે. ગીત ટૂંકુ-ટચરક છે એટલે આ ‘સસ્પેન્સ’ પણ બહુ લાંબુ ચાલવાના બદલે બીજી જ પંક્તિમાં ખૂલી જાય છે. આ નશો સંગના રંગનો છે, સહેવાસનો છે, સ્પર્શનો છે, ચુંબનનો છે, આલિંગનનો છે. બે પ્રેમીઓ એકમેકને વીંટળાઈ વળ્યાં છે. કદાચ આ એકાંતવાસ બહુ મર્યાદિત હશે. કદાચ કોઈ મિત્ર કે સંબંધી ગમે એ ક્ષણે આવી ચડવાનો ડર હશે. એટલે કવિ ક્ષણભર જ વીંટળાવાની વાત કરે છે પણ ક્ષણને શાશ્વતી સાથે સાધી-સાંધી આપતા કહે છે કે આ એક ક્ષણના આલિંગન થકી પણ પ્રેમનો અમર માંડવો આપણે બેઉએ સર્જ્યો છે. હમમમમ… સંગનો રંગ ખરે જ રગેરગ ચડ્યો જણાય છે!

કવિ સજ્જ કવિ છે. પોતે જે પ્રતીક પ્રયોજે છે એ બાબત એ સતર્ક છે. મુખડામાં માંડવો રચી દીધા બાદ સામાન્ય રીતે જોવા મળે છે એમ કવિ ગીતમાં સહવાસ અને આલિંગન-ચુંબનની વાત અલગ પ્રતીકો વડે કરત તો કંઈ ખોટું નહોતું. પણ કવિને ખ્યાલ છે કે પોતે ક્ષણાર્ધના આલિંગન વડે અ-મર માંડવો રચ્યો છે એટલે માંડવાની વાત જ આગળ વધારીને કવિ ગીતની એકસૂત્રિતા અખંડિત રાખે છે. ઉત્તમ ગીતકારના લક્ષણ કેવા હોય એનો એક પદાર્થપાઠ પણ આપણને સાંપડે છે. આ માંડવો પણ પ્રાચીન સંસ્કૃત નાટકોમાં જોવા મળતો સાદો ફૂલમંડપ નથી. આ મંડપ બે જીવના સાયુજ્યનો, બે આત્માના લગ્નનો મંડપ છે. ચસોચસ સ્પર્શના સંવેદન થકી બેઉના રૂંવેરૂંવાં ફૂલ થઈને મહેકી ઊઠ્યાં છે અને આ ફૂલોની સુગંધ બંનેના શ્વાસોને તર કરી રહી છે. એક સ્પર્શમાં કંઈ કેટલીય શરૂઆતો ગોપિત હોય છે. એક સ્પર્શમાં જગત આખાને અભરે ભરી દે એટલો આનંદ જન્માવવાની તાકાત હોય છે. સ્પર્શની પરાકાષ્ઠાની આ વાત ઉપર પ્રદ્યુમ્ન તન્નાનું મૂળ ઇટાલિયનમાં લખ્યા બાદ જાતે જ ગુજરાતીમાં તરજૂમો કરેલ ‘ઉદભવ’ કાવ્ય યાદ આવે:

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !

રોમરોમ લખલખ આનંદ સ્ત્રોત ઉઘાડતો સ્પર્શ બંને જણે અનુભવ્યો છે. રોમ-રોમ બાગની ક્યારી બનીને ખીલી ઊઠ્યાં છે અને પરસ્પરની કાયાની ખુશબૂ બંનેની ઘ્રાણેન્દ્રિયોને તરબતર કરી રહી છે. સ્પર્શ અને આલિંગન પછીના તબક્કામાં વાત આગળ વધે છે અને સાહજિકપણે ચુંબન સુધી આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના બિનજરૂરી શબ્દો કે શબ્દાડંબર વાપર્યા વિના કવિ દ્યુત ગતિએ પ્રણયના અહેસાસના તબક્કાઓ એક પછી એક વટાવે છે. હોઠ હોઠ સાથે મળીને ઓષ્ઠદ્વયમાંથી અદ્વય સર્જે છે. અને જ્યાં ચાર હોઠ અને બે કાયા એક થયા નથી કે તરત જ હૈયાના પાંદડાઓ મસ્તીના લયમાં લહેરવા માંડે છે. ક્ષણભરના આલિંગનના અ-મર માંડવા તળેના સાયુજ્યની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની આ ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… મૌન જ બોલશે… મૌન જ ગાશે… ‘અહો’ ઉદગારીને કવિ વાતને વળ ચડાવે છે. ગીતમાં ક્યાંય ‘હું’ કે ‘તું’ નજરે ચડતા નથી, નજરે ચડે છે તો માત્ર ‘આપણે’ જ. આલિંગનનો તો કેફ જ નિરાળો. પ્રેમનો તો નશો જ અલગ. અમલનો બીજો અર્થ અસર કે પ્રભાવ પણ અહીં લાગુ પાડી શકાય. નશાથી વાત શરૂ થઈને નશા સુધી આવે છે ને અહેસાસનું એક વર્તુળ પૂરું થાય છે. કવિએ જે બાહોશીથી ગીતને તંતોતંત શબ્દોના તાણેવાણે વણ્યું છે એ અદભુત છે. એમના સજાગ કવિકર્મનો એક સાવ નાનકડો નમૂનો પણ જોવા જેવો છે, જ્યાં માત્ર થોડા શબ્દોની હેરફેરથી અષ્ટકલ લય પ્રયોજીને એમણે સામાન્ય વાતમાંથી પણ ઉમદા કવિતા ઉપસાવી છે:

લાકડું તરે, તરતું માણસ;
કેટલો બધો ફેર!…
પાંદડુ ખરે, ખરતું માણસ;
કેટલો બધો ફેર!…
કો’ક મળે, ને મળતું માણસ;
આટલો બધો ફેર!

વિખવાદ ઓગળી જાય તો વયષ્ટિને વધાવવા સાક્ષાત્ સમષ્ટિ ઊમટી આવે છે. ક્ષણભરના આલિંગનમાં બે જણ ઓગળ્યાં એ દૃશ્ય નિરખવાને આખું આકાશ કમરાની બારીએ ઝૂકીને આવી ચડ્યું છે અને માત્ર આવ્યું નથી, હરખાઈ પણ રહ્યું છે. પ્રેમની આ કમાલ છે. પ્રેમ કરનારને અને જોનારને બંનેને ન્યાલ કરે છે. સાચા પ્રેમીઓને જોઈને કોની આંખ ન ઠરે? દૂ……ર ક્ષિતિજની આંખ પણ મલકે છે. આ આલિંગન કયા સમયની વાત હોવી જોઈએ એનો અણસારો કવિ અહીં આપે છે. બે પ્રેમીઓને એક થવા માટે સંધ્યાથી વધુ ઉત્તમ સમય બીજો કયો હોઈ શકે? સૂર્ય આથમતો આથમતો ક્ષિતિજ સુધી પહોંચી ગયો છે અને કુદરતની આ આંખ પણ પ્રિયજનોના આશ્લેષને જોઈને કેવી તો મલકાઈ રહી છે! સમય સાંજનો છે એ વાતને ફરી એકવાર પુષ્ટિ મળે છે કેમ કે આથમતી સાંજના તડકાના સોનેરી-કેસરી રંગો ઓરડાને એ રીતે ભરી દે છે, જાણે ઐક્યના આ ઓચ્છવ પર ઓરડામાં કેસરવૃષ્ટિ ન થતી હોય! કવિ કેસર વરસતું અનુભવીને અટકતા નથી. માત્ર ઓરડો જ કેસરી રંગે રંગાયો નથી, પ્રિયપાત્રના અંગાંગ પણ જાણે નિર્ગુણ નિરાકારે જાતે પીઠી ન લગાવી હોય એમ આ રંગે રંગાઈ રહ્યાં છે. ‘અલખ’ એટલે ન દેખાય એવું. {અ (નહિ) અને લક્ષ્ય (દેખાય એવું)} ઈશ્વર આપણને દેખાતા નથી એટલે એની સાથે આપણે અલખ વિશેષણ જોડી દીધું છે. અહીં, ઈશ્વર પોતે પીઠી લગાવતા હોય એવો અર્થ પણ નીકળે છે અને દેખી ન શકાય એવી પીઠી તડકાના કારણે અંગેઅંગ લાગી રહી છે એવો અર્થ પણ કાઢી શકાય. બંને સંજોગોમાં લગ્નમંડપ સાથે સંકળાયેલી ઘટના જ તાદૃશ થઈ રહી છે. બંને પક્ષે સ્નેહામૃત લુંટાવ્યું છે અને લૂંટ્યુંય ખરું. કેવો પ્રેમનો અમલ! કેવું અમી! ખુદ કાળ પણ અટકી ગયો છે, વહેવાનું છોડી દઈ લટકામાં લળી લળીને સલામ ભરે છે…

ગીતમાં સુરભિ, આશ્લેષ, અલખ જેવા સંસ્કૃત શબ્દોની અડોઅડ શહનાઈ, અમલ અને મુજરો જેવા અરબી-ફારસી શબ્દો જે રીતે કાવ્યનાયક-નાયિકાની જેમ જ એકમેકને આલિંગીને ભાવકના ચિત્તતંત્રને લગરિક પણ ખટકે નહીં એવું અનૂઠું મિલન રચે છે એ સહજ સબળ કાવ્યકૌશલ્યનું દ્યોતક છે. આલિંગનનું આવું મજાનું ગીત આપણી ભાષામાં ઓછું જ જડે છે. ખૂબ નાની જગ્યામાં, નાના અમથા આલિંગનના અહેસાસને કવિએ જે રીતે બહેલાવ્યો છે એ ભાવકસંવિદને ઉજાગર કરી જાય છે. એકબીજામાં મગન થઈને પ્રેમરસ પાયે રાખવાની વાત કરતી આ જ કવિની આવી જ અદભુત ગીતરચના –‘નિરંતર’-, જે વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો પડે એ પણ સાથોસાથ માણીએ:

એક નિરંતર લગન :
અમે રસ પાયા કરિયેં !
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં !

કોઈ ચાંગળું લિયે, પવાલું-
કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી,
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં :

સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં;
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન !
અમે બસ ગાયા કરિયેં !

ગરબે આવો મા – હસિત બુચ

ગાયિકા : માલિની પંડિત નાયક, રાજેન્દ્ર જોષી
સ્વરકાર : પરેશ નાયક
કવિ : હસિત બુચ
આલ્બમ : ગરબે આવ્યા મા

(ગરબે આવો મા…ચૈત્રી નવરાત્રી… Photo : Navarathri.org)

.

દૂર ડુંગરીયે વાગતી વેણ, ગરબે આવો મા…

રૂડી ધરતીની ગાજતી રેણ, ગરબે આવો મા…

મારી ગાગર પર ચીતરી વેલ, ગરબે આવો મા…

મહીં દીવડીઓ રેલમરેલ, ગરબે આવો મા…

મારી સૈયરની ફોરતી ઘેર, ગરબે આવો મા…

રમે હૈયામાં ઝીણેરી સેર, ગરબે આવો મા…

મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

આજ નવરાતે અમરતના કહેણ, ગરબે આવો મા…

કુંજ-ગુર્જરના નોરતે કહેણ, ગરબે આવો મા…