Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૫૧ : કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

કવિ, પ્રેમી, બર્ડવૉચર

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

हम इंतिज़ार करेंगे तेरा क़यामत तक़….

કવિતા એટલે કાંદો એમ હું કહું તો તમને હાર્ટ એટેક તો નહીં આવે ને? કાંદાના પડ ઉખેડી જોજો. એક પડ ઉખેડો ને બીજું નીકળે, બીજું ઉખેડો ને ત્રીજું. એમ કરતાં કરતાં છેલ્લે હાથમાં કશું જ નહીં બચે. એક કવિતા હાથમાં લો. સંવેદનાના એક સ્તરે એને ચકાસો ત્યાં તો બીજું નીકળશે… એક અર્થ વિચારો ત્યાં બીજો સમજાશે. એમ એક પછી એક રહસ્યોના પડળ ખોલતા જાવ અને અંતે નાકમાં જે તીવ્ર ગંધ, આંખમાં જે આંસુ અને હાથમાં જે શૂન્ય બચી જાય એ જ છે કવિતા. કવિતાની વિભાવના સમજવાની સાથોસાથ એ ક્યાંથી આવે છે એ સમજવા પણ સદીઓથી કોશિશ ચાલુ જ છે પણ આકાશનો છેડો મળે તો આ શોધનો છેડો મળે. મુકુલ ચોક્સી કહે છે:

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

જ્યાં સુધી લોહી ન વહે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી એ કવિતાની સર્વપ્રથમ અને કદાચ એકમાત્ર શરત છે. એક ડચ કહેવત છે: ‘મુઠ્ઠીભર ધીરજ આઠ ગેલનભર મગજથી વધુ મૂલ્યવાન છે.’ નિસીમ ઇઝેકિલ એમની કવિતામાં ધીરજના ફળ મીઠાંની જ વાત લઈને આવ્યા છે.

નિસીમ ઇઝેકિલ. મુંબઈના મધ્યમવર્ગના મરાઠીભાષી યહૂદી પરિવાર (બેન ઇઝરાઈલ)માં ૧૬-૧૨-૧૯૨૪ના રોજ જન્મ. પિતા અંગ્રેજી શાળાના આચાર્ય અને માતા બીજી શાળામાં મરાઠીશિક્ષક. મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું અને બોમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. આઝાદી બાદ તરત સાડા ત્રણ વર્ષ લંડન જઈ ફિલસૂફી ભણવાની સાથોસાથ થિએટર, સિનેમા અને કળામાં ડૂબી ગયા. ૧૯૫૨માં ભારત પરત ફર્યા, એ જ વરસે એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને એજ વરસે ડેઇઝી જેકબ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અંગ્રેજી ભાષા નહીં, રક્તસંસ્કાર હોવાથી અંગ્રેજી સિવાયની કોઈ ભાષા કલમને અડી જ નહીં. ભારતીય કવિના અંગ્રેજી કાવ્યો લોકોને પચતા બહુ વાર લાગી. ઇઝરાઈલના જન્મ પછી પણ અન્ય યહૂદીઓની જેમ ભારત છોડી જવાના બદલે તેઓ ભારતમાં જ રહ્યા. ભારતસરકાર તરફથી પદ્મશ્રી એનાયત કરાયો. સાહિત્ય અકાદમીએ પણ પુરસ્કારથી નવાજ્યા. જિંદગીના આખરી વર્ષો અલ્ઝાઇમરની બિમારીગ્રસ્ત હોવાના કારણે કવિતા પણ લકવાગ્રસ્ત થઈ ગઈ. મુંબઈ ખાતે જ ૦૬-૦૧-૨૦૦૪ના રોજ નિધન.

તેઓ ભાષાશિક્ષક, નાટ્યકાર, સંપાદક, કળા-વિવેચક અને અભિનેતા પણ હતા. સ્વાતંત્ર્યોત્તર ભારતીય અંગ્રેજી આધુનિક-કવિતાના પિતા કહેવાયા. પારંપારિક ભારતીય અંગ્રેજી સાહિત્યને એમણે આધુનિકતાનો ઓપ આપ્યો અને આજપર્યંત અસ્પૃશ્ય ગણાતી રોજબરોજની વાતો, ક્ષુલ્લક પ્રસંગો, વિ.ને નવા જ પરિપ્રેક્ષ્યમાં, નવા જ દૃષ્ટિકોણ સાથે રજૂ કરી એમણે એમના સમકાલીનો અને અનુગામીઓ માટે નવી જ દિશા ખોલી આપી. નવી પેઢીના કવિઓને માર્ગદર્શન આપવામાં કદી પાછી પાની કરતા નહીં. એમની અંગત જિંદગીની બહુ ઓછી હકીકતો જાણીતી છે પણ એમની કવિતાઓમાં એમની જિંદગી અને કેફિયત સતત ડોકાતી જોવા મળે છે. અંગ્રેજી કવિતાને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં એમનો સિંહફાળો હતો એમ કહી શકાય. વંશવાદનો વસમો ઘૂંટડો પણ પીવા મળ્યો હોવા છતાં નિસીમની કવિતાઓના મૂળ ભારતમાં જ ખોડાયેલા જોવા મળે છે અને મુંબઈ તો એમનું ચેતનાકેન્દ્ર છે. ‘આઇલેન્ડ’માં એ લખે છે: ‘હું આ ટાપુ નહીં છોડી શકું, હું અહીંજ જન્મ્યો છું અને અહીંનો જ છું.’ એક એન્ય કવિતા ‘બેકવર્ડ, કેઝ્યુઅલી’માં તેઓ કહે છે: ‘મેં હવે મારી પ્રતિબદ્ધતાઓ નક્કી કરી દીધી છે./ આ એક છે: જ્યાં છું, ત્યાં જ રહેવું,/જેમ અન્યો પોતાની જાતને/કોઈક દૂરના અને પછાત સ્થળને સોંપી દે છે./મારું પછાત સ્થળ હું જ્યાં છું એ જ છે.’

પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. થિસિયસ કહે છે કે ‘પાગલ, પ્રેમી અને કવિ આ બધા વધુ પડતી કલ્પનાના શિકાર છે.’ શેક્સપિઅર આ ત્રણેયને એક જ શ્રેણીમાં મૂકે છે, તો નિસીમ ત્રણેયમાં બીજો લઘુત્તમ સામાન્ય અવયવ શોધી કાઢે છે: ધીરજ! દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે.

મૂળે આ કવિતા કવિતાની વિભાવનાની વાત કરે છે. કવિતા (પોએમ) શબ્દ ગ્રીક શબ્દ ‘પોએસિસ/પોએઇન’ (Poiesis/Poiein) પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ છે-‘બનાવવું’. પણ કવિતા બને છે કે જન્મે છે એ વિષય પણ શરૂથી ચર્ચાનો વિષય રહ્યો છે. યીટ્સે કહ્યું હતું કે સ્ત્રીઓની જેમ કવિઓએ પણ સુંદર બનવા માટે વેણ લેવું જોઈએ. પણ કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. વર્ડ્સવર્થ કહે છે: ‘કવિતા એ તાકતવર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે- જે શાંત ચિત્તમાં જમા થયેલ ભાવાવેશમાંથી જન્મે છે.’ શૂન્ય પાલનપુરી કવિતાને કળા અને કસબ બંને ગણે છે. માત્ર તમારી અંદર ભાવના જન્મે એ પૂરતું નથી એને કાગળ પર ક્યારે અને કેવી રીતે ઉતારવી એ આવડવુંય આવશ્યક છે. નિસીમ કહે છે સાચો કવિ શબ્દની રાહ જુએ છે. જોકે અન્ય એક કવિતામાં એ એમ પણ કહે છે, ‘હું નહોતો જાણતો કે શબ્દો દગો કરે છે.’ કવિતા સામાન્યરીતે અભિધા પર રમતાં રમતાં લક્ષણા અને વ્યંજના સુધી પહોંચી જતી જોવા મળે છે. કવિતા જેટલું બતાવે એથી વધુ છૂપાવીને ચાલતી હોય છે અને બે શબ્દો વચ્ચેનો અવકાશ કે બે પંક્તિઓ વચ્ચેનું લખાણ ઘણીવાર વધુ અગત્યનું હોય છે પણ નિસીમની આ કવિતા ‘हाथ कंगन को आरसी क्या?’ જેવી સ્વયંસ્પષ્ટ હોવાનું અનુભવાય છે.

આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. ‘ધીરજ તાકાત છે. ધીરજ ક્રિયાનો અભાવ નથી; પણ સાચા સમયની પ્રતીક્ષા છે’ (રોમન પાદરી ફુલ્ટન શીન) કાયમ ઉતાવળ જ કર્યે રાખવી અને લગરિક પણ સ્થિર-શાંતચિત્તે બેસવું નહીં એ સ્ત્રીઓ, પક્ષીઓમાં કે કવિતામાં રસ હોય એ લોકોનું લક્ષણ નથી. ઉત્તમ કવિઓ શબ્દોની પાછળ દોડતા નથી, તેઓ તો પ્રેરણાની રાહ જોતાં તપ કરે છે. કવિતા લખવાની ઇચ્છા થઈ એટલે કાગળ-કલમ હાથ ઝાલીને મચી પડવાની આ વાત નથી. જુલી હબર્ટ ‘લાઇફ ઇઝ પેશન્સ’ કવિતામાં લખે છે: ‘આપણને બધાને જે જોઈએ છે એ તરત મળતું નથી, અને પ્રતીક્ષા જરૂરી છે આપણને રસ્તો બતાવવા માટે’ કોઈ દુર્લભ ભીરુ, શરમાળ પક્ષીની પાંખ માત્રની નજીવી હલચલ પણ ચૂકવા ન માંગતો પક્ષીપ્રેમી મહેનત કરીને ટેકરી લાંઘે ને પછી ચુપચાપ એક જ જગ્યાએ હલનચલન કર્યા વિના પ્રેમથી બસ રાહ જોયા જ કરે, જોયા જ કરે અને પક્ષીને ભરોસો બેસે કે આ જગ્યાએ ખતરો નથી અથવા પક્ષીને ખતરો પણ વહાલો લાગે અને એ ધારી ગતિવિધિ કરે, કે પ્રેમીજન આજ રીતે સ્ત્રીની પ્રતીક્ષા કરે, ઉતાવળે એક પગલું પણ ન ભરે અને બસ પ્રેયસીને જાણવા દે કે આ માણસ એને ભરપૂર ચાહે છે, પ્રેમની ખાતરી થવા દે અને એ ક્ષણે સ્ત્રી ઝોખમ સ્વીકારીને પણ સંપૂર્ણ સમર્પિત થઈ જાય અથવા કવિ આ કાવ્યત્ત્વ-પ્રેરણા-સાચા શબ્દની પ્રતીક્ષાની પરીક્ષાને જ પોતાની નૈતિકતા ગણીને જ્યાં સુધી ક્રૌંચવધ જોઈને જે રીતે વાલ્મિકીનો આત્મા હચમચી ઊઠ્યો એમ આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો કવિતા પણ જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ સામે ચાલીને આવી મળશે. ‘સંબંધમાં કદી ધસી ન જવું. સાચો પ્રેમ વહેલો-મોડો પ્રકટ જરૂર થાય છે.’ (જેઇડન હેઇસ)

આ ધૈર્ય હકીકતમાં ઘણું બધું કહી જાય છે. તમારી ભીતરના દુર્લભતમ પક્ષીઓને પામવા હોય તો તમારે તમારા અસ્તિત્વની સુમશાન ગલીઓમાં થઈને પસાર થવું પડશે, તમારા અહેસાસની નિઃશબ્દ નદીના મૂળ સુધી પહોંચવું પડશે અને હૃદયના અંધારા તળના ઠે..ઠ દૂરના ને કાંટાળા-કષ્ટદાયક કાંઠે-કાંઠે થઈને પ્રવાસ કરવો પડશે. સ્ત્રીઓ તેજપુંજ સમાન છે, એમના કમનીય વળાંક તમારા જીવનને રોમાંચથી ભરી દે છે પણ આ તેજપુંજના કેન્દ્રમાં રહસ્યોનું અંધારું છે, સ્ત્રીઓનો ભેદ પામવો સહલ નથી પણ જો તમારી ભક્તિનું સોનું ધીરજની એરણ પર ખરું ઉતરશે તો સ્ત્રીઓ સામે ચાલીને પરત ફરશે અને તમારી થશે. અને આ ક્ષણે શબ્દ માટે વ્યગ્ર વ્યાકુળ કવિઓ માટે હોંશપ્રાપ્તિની ક્ષણ છે. કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.

આમ જોઈએ તો કવિ સાથે પ્રેમી અને બર્ડવૉચરની સરખામણી જ જરા અનૂઠી લાગે. છોકરીઓ પટાવવા નીકળેલા રોમિયો ‘બર્ડવૉચિંગ’ સંજ્ઞા પણ વાપરતા હોય છે. કવિને શું એ પણ અભિપ્રેત હશે? જે હોય તે, પણ આખી કવિતામાં આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

શેલીની ‘ટુ અ સ્કાયલાર્ક’માં વિચારના પ્રકાશમાં સંતાઈને વણબોલાવેલ ગીત ગાઈ વિશ્વને આશા અને ડર બંને માટે સમાન અનુકંપા અનુભવતું કરતો કવિ યાદ આવે. અભિનવગુપ્ત પણ अविघ्ना संवित् કહે છે. અભિનવગુપ્ત એમ પણ કહે છે કે आत्मैव स्थायी| અર્થાત્, ચૈતન્ય જ સાચું સ્થાયી તત્ત્વ છે. ધ્વન્યાલોક પર ટીકા કરતી વખતે રા.વિ.પાઠક કહે છે કે સ્થિતપ્રજ્ઞત્વ કે શાન્તનો અર્થ, હું લાગણી વિનાની નિષ્ક્રિયતા કે નિશ્ચેષ્ટતાની સ્થિતિ નથી કરતો. રવીન્દ્રનાથ ટાગોર શાકુન્તલનું રહસ્ય એ બતાવે છે કે પ્રેમ છેવટે તપથી શુદ્ધ થઈ શાન્ત રૂપ ગ્રહણ કરે છે. સાચો કવિ સાચી કવિતાની પ્રતીક્ષામાં આવી સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરે છે. એની સ્થિરતા એનું ખરું ચેતન છે. ‘સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક.’ (રાજેન્દ્ર શુક્લ) ‘રહે છે દૂર માંગે તો ને ન માંગ્યે દોડતા આવે’ એવા-

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર

ગ્લૉબલ કવિતાની આજે ગોલ્ડન જ્યુબિલી – પચાસમી કવિતા…

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે, કળા અમર છે..

ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ
અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે.

વિલિયમ શેક્સપિઅર. ભલે એ એમ કહી ગયા કે What is there in name?, પણ સાહિત્યમાં જરાય રસ ન હોય છતાં એના નામથી અજાણ્યો કોઈ શિક્ષિત ભાગ્યે જ જોવા મળશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અંગ્રેજી સાહિત્યકાર. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે. ૧૮ની ઊંમરે પોતાથી સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. એમની સમલૈંગિકતા પણ બહુચર્ચિત છે. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. શેક્સપિઅરના જીવનનો ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો –‘લોસ્ટ પિરિયડ’- પણ લગભગ અજાણ્યો છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની વિશે ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી આજે ઉપલબ્ધ છે. કહે છે કે આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા બની રહી અને શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ જીવિત ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો બનીને રહી ગઈ હોવાથી અને એના બધા સૉનેટ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં લખાયા હોવાથી આ સૉનેટ એમની જિંદગીની કથા કહે છે એમ માનવાની લાલચ થાય પણ સત્ય શું છે એ આપણે જાણતા નથી. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને આમે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટ એકતરફ સમય સાથેના અનિવાર્ય ક્ષય અને બીજીતરફ પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને સામસામે મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને હજારો નવા શબ્દો અને શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષાને ભેટ આપ્યા છે, જે સર્વસ્વીકૃતિ પામ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ નાટક મૌલિક નથી. મોટાભાગના નાટક જાણીતી-અજાણીતી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણથી રચેલા છે પણ કથાગૂંફનની નવીનતા, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અનનય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ- આ બધાથી રસાઈ રસાઈને બનેલા આ નાટક વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને લખાયા ત્યારથી આજદિનપર્યંત દુનિયામાં કોઈનીય સરખામણીમાં સૌથી વધારે વાર મંચિત થયા હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ પણ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

શેક્સપિઅરના સૉનેટવિશ્વમાં પગ મૂકતાં પહેલાં એમની શૈલી ન સમજીએ તો એમને પૂર્ણતઃ પામી જ ન શકાય. સૉનેટનો જન્મ ઇટાલીની ધરતી પર થયો પણ ઇંગ્લેન્ડમાં એને લઈ આવવાનું શ્રેય સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરેના ફાળે જાય છે. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ઠક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા રહેતી જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ સૉનેટ લઈ આવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લઈ આવ્યા જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગયાં. શેક્સપિઅરે આ અંગ્રેજી કાવ્યપ્રકારમાં હથોટી મેળવીને એવું ઊંડુ ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ તરીકે ઓળખાયું. (મિલ્ટનશાઈ અને સ્પેન્સરિઅન સૉનેટ પણ સૉનેટના અન્ય જાણીતા પ્રકાર છે)

ચૌદ પંક્તિના આ કાવ્યમાં શેક્સપિઅર ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મને એકમેકથી અલગ કરવાના બદલે બધાને એક જ સૂત્રે બાંધીને પ્રવાહિતા લાવ્યા. ત્રણેય ચતુષ્ક અને યુગ્મ ભાવજગતની દૃષ્ટિએ અલગ તારવી શકાય એ ખરું; ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ અને નિષ્કર્ષ પણ અદભુત રીતે આવે એ છતાંય સળંગસૂત્રિતા એ શેક્સપિઅરના સૉનેટનું મુખ્ય પાસુ છે. ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બધા સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer અને fair શબ્દ ત્રણવાર તો eternal બેવાર પ્રયોજાયા છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ બીજું એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મનો કોઈક મહત્ત્વનો શબ્દ સૉનેટના કોઈક શબ્દ સાથે અનુસંધાયેલ હોય છે, જેમકે પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આમ કરીને એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક એ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતનું મહત્ત્વ પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઉનાળો એક ઋતુ છે અને એ નાતે એનું નિશ્ચિત આયુષ્ય છે. શેકસપિઅર તારો રમણીય ઉનાળો એમ શબ્દપ્રયોગ કરી શક્ય હોત પણ એ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દઈને પોતાનો કક્કો ખરો કરે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના નાટ્યાત્મક સંવાદથી જ બનેલું હોય છે.

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે જ જે અહીં જોવા મળે છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

કાવ્યારંભ કવિ પ્રિયપાત્રને પ્રશ્ન પૂછીને કરે છે. કહે છે, ઉનાળાના દિવસ સાથે તને સરખાવું? ઇંગ્લેન્ડમાં રહ્યા હોય એ જ ઉનાળાના દિવસનું સૌંદર્ય અને મહત્ત્વ સમજી શકે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થાય છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. જોકે કવિ તરત જ જાહેર કરે છે કે ઉનાળા જેવી જાજરમાન માનવંતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. ઉનાળો ગમે એટલો આનંદપ્રદ કેમ ન હોય, નાજુક ફૂલોને નઠોર પવનોનો ડર રહે જ છે, વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? ઉનાળામાં સૂર્ય ક્યારેક અસહ્ય બની જાય એટલો તપે છે તો ક્યારેક સૂર્યની સુવર્ણ કાંતિ વાદળોનું ગ્રહણ લાગી જતા ઝાંખી પણ થઈ જાય છે. ભલભલા રૂપસ્વીઓના રૂપ સમયની સાથે ઓઝપાઈ જાય છે, ક્યારેક આકસ્મિકપણે જ તો ક્યારેક કુદરતના અનિવાર્ય કાળચક્રની અડફેટે ચડીને. કુદરત સતત પરિવર્તનશીલ છે અને સૃષ્ટિમાં કશું જ સ્થાયી નથી એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

પણ કવિને ખાતરી છે કે એના ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, એ શાશ્વત છે અને એનું રૂપ સમયના વાદળ કદી ઝાંખું નહીં પાડી શકશે. મૃત્યુ પણ ખોંખારો ખાઈને એવી શેખી નહીં જ મારી શકે કે લે જો, આ તારું પ્રિયજન પ્રેતાત્મા થઈને ભટકી રહ્યું છે, કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે.

અંતે શેક્સપિઅર એમની સૉનેટશૈલી મુજબ અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર નિચોવી આપે છે. કવિ વાસ્તવદર્શી છે. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ ખાતરી આપે છે કેમકે મનુષ્યના નાશ સાથે જ કળા પણ અર્થશેષ બની રહે છે. કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : ૪૯ : ગુડ બાય, દોસ્ત – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Translated by Vivek Manhar Tailor

આવજે, મારા દોસ્ત, આવજે

આવજે, મારા દોસ્ત, આવજે.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ નિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે ફરી ક્યારેક નક્કી મળીશું.

આવજે, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરમ સખા મૃત્યુ…

દોરડું સ્કાર્ફની જેમ ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી રાખીને એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી ભાગીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ મળી. ઉંમર માત્ર ૩૦ વર્ષ. એના પોતાના શબ્દોમાં જ, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એના મૃત્યુ પછી એની જ અદામાં આત્મહત્યા કરવાની નવી જ ફેશન જન્મી અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયાને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોના ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેરમાં રહેવા ચાલ્યા ગયા એટલે મોટાભાગનું બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવી શરૂ કરી. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા અને પ્રુફ-રિડર તરીકે કામ કરવું શરુ કર્યું. ૧૯૧૬માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. એમની પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત હતી. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે કાચી વયનું મૃત્યુ, સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચાસ્પદ અને ખૂબ લોકપ્રિય પણ રહ્યા. જો કે એમની કવિતામાં સંવેદનાની જે ધાર અને ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જોવા મળે છે એ જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ છે. લાગણીઓની કાલિમા આલેખતી પીંછીથી લખાયેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફ ઘુરકિયા કાઢતું રહે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને ભાવકના મન પર અમીટ છાપ મૂકી જવામાં સફળ રહે છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખવામાં આવેલી આ કવિતા અમરપટો લખાવીને આવે છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કારણ શું છે એ કવિ પહેલા અંતરામાં કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ અંતરના ભીતરતમ ખૂણામાંથી જ્વાળામુખીની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. જે અનુભૂતિમાંથી કવિ પસાર થયો હોય એ જ અનુભૂતિ રચનામાંથી પસાર થતી વખતે ભાવક પણ અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાનો ઇતિહાસ ખબર જ ન હોય તો પણ બીજા અંતરા સુધી પહોંચતામાં તો રુંવાડા ઊભા થઈ જાય છે. એક ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થતી અનુભવાય છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતી વખતે ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાની લાચારી અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ભલેને આપણે ગાઈએ કે, ‘કિસ્મત માં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી), પણ આપણે જાણીએ જ છીએ કે, ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી). સર્ગેની કવિતા જુદાઈના ભાવને મૃત્યુના કાળા કફનમાં વીંટાળીને રજુ કરે છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે પણ આ જુદાઈ બેવફાઈની જુદાઈ નથી, આ તો કાયમ માટેની જુદાઈ છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ પણ અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે ને એક જ રહેવાનો. આ જુદાઈ ટાળી શકાય એમ નથી. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો સજીવમાત્રના જન્મતાવેંત જ થઈ ગયો હોય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની ભાષામાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

જલાલુદ્દીન રૂમી આવી જ વાત કરે છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ જન્મ-મૃત્યુ વિશે આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

ત્રીસ વર્ષની કુમળી વયે રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલો આ ‘કેસનોવા’ ફિતરતનો રંગીન મિજાજ કવિ પણ આ જ વાત કેટલી સહજતાથી કહે છે! મૃત્યુ તો પૂર્વનિર્ધારિત જુદાઈનું જ બીજું નામ છે. પણ આ જુદાઈ વચન પણ આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે જ થશે. અને આ અફર જુદાઈનો શોક પણ વળી શાને? કવિશ્રી હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો અલગ ફંટાઈ રહ્યો છે પણ દિલમાં સ્થાન તો અવિચળ જ છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં જ છે એનાથી છૂટા પડવાની આખરી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું. કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુખથી તણાયેલા ભંવા – આ કશાની અહીં જરૂર જ નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’ જન્મ કોઈ અલગ ઘટના છે જ નહીં. બાળકમાંથી કાળક્રમે જન્મતા વૃદ્ધ અને બાળકને આપણે સમયરેખા સિવાય કઈ રીતે અલગ પાડી જ શકીએ? મૃત્યુ તરફની અવિરત ગતિની શરૂઆતને જ આપણે જન્મ કહીએ છીએ. મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી સુધી ચર્ચાનો વિષય બની રહ્યું છે. એવું કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ છેક સ્ટાલિનના શાસનકાળમાં એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ લાગ્યો હતો અને કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો ડર નીકળી જાય. કવિ ભલે કહે કે ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) પણ આ જીવન અને મરણ –બંનેમાં કંઈ જ નવું નથી, કંઈ જ અલગ નથી. જે જન્મ્યો છે એ મરવાનો જ છે. અને દુનિયાની ઘરેડમાં ઘૂસી ગયા પછી ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં પણ વિશેષ શી નવીનતા છે, કહો તો! માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ જ સાચું ગણિત છે. જેટલો સમય તમે ભીતરથી આનંદિત થઈ શકો છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ રહેતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

ગ્લૉબલ કવિતા : ૪૮ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen

ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)

પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા કવિતા માટે પણ હંમેશા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…
અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમનું પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડનારાઓમાંનું મહત્ત્વનું એક છે, જે સદીઓથી આજપર્યંત એક સીમાચિહ્ન, દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે છે, અથવા એથી વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની પોતાની એક ફ્લેવર હોય છે. ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એ જ શબ્દનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવામાં આવતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? અબુ બક્રની ભાષા કે સ્પેનિશ કે અંગ્રેજી ભાષા પણ ન સમજી શકતા હોય એવા ગુજરાતી કાવ્યરસિકો આ કવિતાની સુંદરતાથી વેગળા રહી જાય એ તો યોગ્ય નથી જ ને? અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ જ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ કદી હોઈ જ ન શકે. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી પણ યથાતથ ઝીલી શકે જ નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકી જવાયું હશે ને કંઈક મૂકી જવાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની આ કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે એય વિચારવા જેવું છે. આ કોઈ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. પ્રતીક્ષાની તીવ્રતા સાચા પ્રેમમાં સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ પ્રણયવિચ્છેદ હજી થયો નથી કે આ વિયોગનું કારણ બેવફાઈ પણ જણાતું નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વાનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ કોઈક પ્રવાસે ક્યાંક ક્યારેક એને મળી ગયો હોય અને એના શ્વાસમાં કવિને ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! પ્રિયતમના સમાચાર મેળવવાની ઝંખના હવે તીવ્રતમ થાય છે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ)

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતિ! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (એ સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા પવન, મને પણ સ્પર્શ.)

દરબદર, ગલી-ગલી નાયક ભટકી રહ્યો છે. આશ એજ છે ને એક જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાં એનું નામ સંતાયેલું હોય. રૂમી કહે છે: ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ જો કે હવે મિલનની રહીસહી આશાનું પોત પણ પાતળું પડી રહ્યું છે. એ જાણવા છતાં કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ બની ગઈ છે પણ તોય આ આશા એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક દરેક ચહેરાને એ હજીય ચકાસી રહ્યો છે કે જરાઅમથી આશાના અજવાળે ક્યાંક પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા ઘણીવાર અશક્ય બની જાય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ ને અંદરથી પ્રિયતમ નીકળે છે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત રહે છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

ગ્લૉબલ કવિતા : ૪૭ : હાઇકુ – કોબાયાશી ઇસા

Haiku

These sea slugs,
they just don’t seem
Japanese.

The crow
walks along there
as if it were tilling the field.

Even with insects—
some can sing,
some can’t.

Don’t worry, spiders,
I keep house
casually.

New Year’s Day—
everything is in blossom!
I feel about average.

The snow is melting
and the village is flooded
with children.

Mosquito at my ear—
does he think
I’m deaf?

All the time I pray to Buddha
I keep on
killing mosquitoes.

A huge frog and I,
staring at each other,
neither of us moves.

Fiftieth birthday:

From now on,
It’s all clear profit,
every sky.

Children imitating cormorants
are even more wonderful
than cormorants.

It once happened
that a child was spared punishment
through earnest solicitation.

Summer night–
even the stars
are whispering to each other.

O snail
Climb Mount Fuji
But slowly, slowly!

– Kobayashi Issa
(Eng Tra.: Robert Hass)

હાઇકુ

ગોકળગાય
જે હોય એ, જાપાની
નથી જ નથી.

કાગડો ચાલે
એમ, જાણે ખેડતો
ન હો ખેતર.

જંતુઓમાંય
કોઈ ગાઈ શકે છે
કોઈક નહીં.
ચિંતા ન કર,
કરોળિયા, રાખું છું
ઘર એમ જ.

નૂતન વર્ષ –
બધું પૂરજોશમાં
હું છું તટસ્થ.

બર્ફ પીગળ્યો
ગામ છલકી ઊઠયું
છે બાળકોથી.

મચ્છર, કાન
પાસે- શું વિચારે છે?
હું બહેરો છું?

પ્રાર્થતી વેળા
બુદ્ધને હરપળ
મારું મચ્છર.
દેડકો ને હું,
તાકે છે ઉભયને
હલે ન કોઈ.

પચાસમી વર્ષગાંઠે:

હવે પછીથી,
એ સૌ સાફ નફો છે,
દરેક આભ.

જળકાગથી
નિરાળાં, એની કોપી
કરતાં બાળ.

એકદા બાળ
સજાથી બચ્યું, તીવ્ર
આજીજી વડે.

તારાય કરે
ગ્રીષ્મમાં, કાનાફૂસી
એકમેકથી.

ગોકળગાય
આંબ માઉન્ટ ફુજી
ધીમે… ધીમેથી…

– કોબાયાશી ઇસા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

ગાગરમાં સાગર : હથેળીમાં આભ

‘એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ !’ –કવિશ્રી જયંત પાઠકના ગીતની આ કડી જાણે કે હાઇકુની વ્યાખ્યા ન હોય એમ લાગે છે. હાઇકુ હવે આપણા માટે નવો કાવ્યપ્રકાર નથી. હાઇકુ એટલે ગાગરમાં સાગર. થોડામાં ઘણું કહી દેવાની કળા એટલે હાઇકુ. કાગળ પર કલમનો એક લસરકો ફરે અને જંગલજંગલ ઝાડ ઊગી નીકળે… વિચારનું એક ટપકું પડે અને પહાડ ફૂટી નીકળે એ ઘટનાનું બીજું નામ એ હાઇકુ. હાઇકુ ભારતમાં પહેલવહેલીવાર લાવનાર હતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતી ભાષામાં હાઇકુ સ્નેહરશ્મિ લઈ આવ્યા પણ મૂળે એ જાપાનીઝ કાવ્યપ્રકાર છે. જાપાનીઝ કવિ ઇસાના કેટલાક હાઇકુ અહીં માણીએ.

કોબાયાશી ઇસા. મૂળ નામ કોબાયાશી નોબુયુકી. બાળપણનું નામ કોબાયાશી યાતરો. ઇસા એમનું ઉપમાન છે જેનો અર્થ ‘ચાનો કપ’ થાય છે. જાપાનના ‘ગ્રેટ ફોર’ (ચાર મહાન) હાઇકુ સર્જકોમાંના એક. (બાશો, બુસોન અને શિકી અન્ય ત્રણ.) જાપાનમાં ૧૫-૦૬-૧૭૬૩ના રોજ જન્મ. જીવન જાણે દુઃખનો પર્યાય હતું. નાની ઉંમરે મા ગુજરી ગઈ. સાવકી મા-ભાઈ જોડે ફાવ્યું નહીં. પિતાની મિલકત બાબતમાં ટંટો થયો. પહેલી પત્ની અને એનાથી થયેલા ત્રણેય સંતાન અવસાન પામ્યાં. બીજું લગ્ન નિષ્ફળ ગયું. ઘર આગમાં ભસ્મીભૂત થયું. ત્રીજા લગ્નથી પુત્રી જન્મે એ પહેલાં તો ઇસા પોતે જ ૦૫-૦૧-૧૮૨૮ના રોજ અવસાન પામ્યા.

નાના-નાના જીવજંતુઓ – મચ્છર,માખી, કરોળિયા, દેડકા, ગોકળગાય ઇસાના હાઇકુના ખરા હીરો છે. રોજબરોજના વપરાશની સરળ ભાષા, રોજબરોજના વિષયો, તીક્ષ્ણ અવલોકનશક્તિ, પ્રવર્તમાન સમાજની તીવ્ર વિવેચના અને ઉમદા સંગીતથી એમની કવિતાઓ અલગ જ પોત સાથે ઉપસી આવી અને જાપાનીઓના દિલમાં ઘર કરી ગઈ. વિશાળ માત્રામાં કાવ્યસર્જન કર્યું. ૨૦,૦૦૦ જેટલા હાઇકુ લખ્યા. કોઈકે કહ્યું છે કે કવિતા એમના હૃદયની ડાયરી હતી. એ પોતાના હાઇકુ સાથે સંલગ્ન ચિત્રો પણ દોરતા અને એમના ચિત્રો પણ એટલા જ પ્રસિદ્ધ છે.

હાઇકુનું મૂળ નામ ‘હોક્કુ’. જાપાનીઝ કાવ્યપ્રકાર ‘રેન્ગા’ અને ‘રેન્કુ’ની શરૂઆતમાં હોક્કુ (પ્રારંભિક કાવ્યાંશ) આવતું. બાશોના સમયમાં એ સ્વતંત્ર કાવ્ય બન્યું. મસાઓકા શિકીએ ‘હાઇકુ’ નામ આપ્યું. હાઇકુના ત્રણ મુખ્ય ઘટકતત્ત્વ છે. (૧) ‘કીરુ’ અર્થાત્ ‘કાપનાર’. બે ચિત્ર કે વિચાર અને એમની વચ્ચે એમને કાપતો શબ્દ ‘કિરેજી’, જે બંને ચિત્ર કે વિચારને અલગ પણ પાડે ને બંને વચ્ચેનો પરાપૂર્વનો સંબંધ પણ સ્થાપિત કરે એ કીરુનું મુખ્ય પાસુ છે. (૨) હાઇકુ ૧૭ ધ્વનિ (આપણે ત્યાં અક્ષર, અંગ્રેજીમાં શબ્દાંશ)નું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ધ્વનિના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. જાપાનીઝ ભાષામાં હાઇકુ એક જ ઊભી લીટીમાં લખાય છે. અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણ વિભાગ ત્રણ પંક્તિ બની ગયા છે. ૩-૫-૩ ગોઠવણીથી કુલ ૧૧ ધ્વનિવાળું પણ હાઇકુ હોઈ શકે છે. (૩) ‘કીગો’ અર્થાત્ ઋતુનો સંદર્ભ પણ લગભગ ફરજિયાત છે. એવો નિયમ પ્રસ્થાપિત થયો કે ઋતુસંદર્ભ પહેલી અથવા ત્રીજી પંક્તિમાં જ આવવો જોઈએ. પ્રકૃતિ અને બૌદ્ધવાદ હાઇકુના પ્રાણ છે. રૉબર્ટ હાસના મત મુજબ બૌદ્ધ તત્ત્વમીમાંસાના મૂળમાં ત્રણ ઘટક તત્ત્વ છે: તેઓ ક્ષણભંગુર છે, તેઓ આકસ્મિક છે અને તેઓ સહન કરે છે… સરળ ભાષા હાઇકુની પૂર્વશરત છે. બાશોએ કહ્યું હતું, ‘હાઇકુનું કામ છે સામાન્ય ભાષાને સુધારવું’ રોબર્ટ હાસ કહે છે, ‘કદાચ (હાઇકુને વાંચવાનો) શ્રેષ્ઠ રસ્તો, શક્ય હોય એટલી સપાટ રીતે અને શબ્દશઃ વાંચવું એ છે.’ હાઇકુ બૌદ્ધવાદ અને ઝેનપંથથી પ્રભાવિત કાવ્યપ્રકાર હોવાથી અર્થ તારવવાની પ્રક્રિયા છોડી દેવી જોઈએ અને અર્થ તારવીએ તો એને એક અલગ જ ઘટના તરીકે જોવું જોઈએ એમ એ કહે છે. ઇમેજીસ્ટ કવિ એઝરા પાઉન્ડ હાઇકુના લાઘવ અને ચમત્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા. એમની અમર કૃતિ -ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો- મૂળ છત્રીસ પંક્તિમાંથી મઠારી-મઠારી ઘટાડી-ઘટાડીને એમણે એક વરસની તપશ્ચર્યાના અંતે ચૌદ શબ્દોની બનાવી હતી જેને ઘણા હાઇકુસ્વરૂપનું સૉનેટ પણ ગણે છે. (The apparition of these faces in the crowd/ Petals on a wet, black bough)

હવે કોબાયાશીના હાઇકુ તરફ વળીએ:

૧) અમેરિકાએ બે અણુબૉમ્બ નાંખીને જાપાનની કરોડરજ્જુ ભાંગી નાંખી પણ જાપાની પ્રજા તો ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ ગઈ. જાપાનીઝ જેવી કર્મઠ પ્રજા જડવી મુશ્કેલ અને કોબાયાશી બહુ સરસ રીતે સત્તર જ ધ્વનિમાં આખી પ્રજાના આત્માને અભૂતપૂર્વરીતે પ્રગટ કરી આપે છે. કોઈ બહુ જ ધીમું હોય તો આપણે એને ગોકળગાય કહીએ છીએ. કવિ કહે છે કે ગોકળગાયની ગતિ એટલી બધી ધીમી છે કે એ ગમે તે હોય પણ જાપાની તો જરાય નથી જ નથી. કેવી અદભુત કવિતા!

૨) શકટનો ભાર શ્વાન તાણે એમ બિનમહત્ત્વના માણસો પોતે સર્વેસર્વા ન હોય અને સૃષ્ટિ જાણે પોતા થકી જ ન હોય એમ ક્યારેક વર્તતા હોય છે. ખાલી ચણો વગે ઘણો. અહીં કાગડાની જગ્યાએ કોઈપણ પક્ષી મૂકી શકાયું હોત પણ કવિને માટે આ જગ્યાએ માત્ર પક્ષી જ નહીં, પક્ષીનો રંગ પણ અભિપ્રેત છે. કાગડાનો રંગ કાળો હોવાથી જ કવિએ બીજું પક્ષી વિચાર્યું નથી. કાગડો ખેતર ખેડવાના વહેમમાં ચાલતો હોવાના શબ્દચિત્રથી કવિએ ભ્રમિત, ચલિત અને અહમપિડિત લોકોના ચારિત્ર્યના કાળા રંગને, અને ભ્રમણાઓને બખૂબી ઉપસાવી આપ્યા છે.

૩) ગળાકાપ સ્પર્ધાનો જમાનો છે. આખા સમાજની આંખે ઘોડાની જેમ ડાબલા ન બાંધ્યા હોય એમ બધા માત્ર ભૌતિક પ્રગતિ તરફ જ જોઈ રહ્યા છે. પૌરાણિક ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોને ટેગેટસ પર્વતની તળેટીમાં ભૂખે મરવા માટે , ઠંડીથી થીજીને કે જંગલી પ્રાણીઓના શિકાર થવા માટે છોડી દેવામાં આવતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો ડાર્વિનવાદ કદાચ આ સ્વરૂપે ત્યારે અમલી થયો હશે પણ દુન્યવી સફળતા પાછળની આવી દોડ તો માનવજાતના ઇતિહાસમાં પહેલાં ક્યારેય નોંધાઈ નથી.ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક મા-બાપ એમ જ ઇચ્છે કે એમનું સંતાન બધા જ ક્ષેત્રમાં અવ્વલ જ હોય. આવા ‘સુપરકિડ્ઝ’ના સ્વપ્નજનકો માટે જ જાણે કવિએ કહ્યું છે કે માણસો તો છોડો, જંતુઓ પણ બધા સરખા હોતા નથી. એમાંય કોઈ ગાઈ શકે છે, કોઈ નહીં. દરેક જીવ એ પોતાની રીતે અનોખો જીવ છે અને ‘ટકે શેર ભાજી’ના ગંડુ-ગજથી બધાને માપવા મૂર્ખતાથી વિશેષ કંઈ નથી.

૪) ઘર એટલે એવી ચાર દીવાલ જ્યાં તમારો થાક પણ અઢેલી શકે. ફાઇવસ્ટાર હૉટલના ઐશ્વર્યસભર કમરામાં પણ એ શાંતિ મળતી નથી જે ઘરની રૂની ગાદીમાં મળે છે. જીવજંતુઓને પણ પોતાના ઘરની ચિંતા તો હોવાની. કવિની આંખ એ સૃષ્ટાની-ઈશ્વરની આંખ છે, એમાં દરેક માટે સમ્યક્ દૃષ્ટિ જ હોવાની. બહુ સફાઈદાર ઘરમાં કરોળિયો કેવી રીતે ઘર કરી શકે? કવિ એટલે જ કરોળિયાને હૈયાધરપત આપે છે કે હું મારું ઘર એમ જ –અસ્તવ્યસ્ત- રાખું છું, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઝેન સિદ્ધાંત મુજબ માણસે એ જેમ છે એમ જ રહેવાની જરૂર છે. ઝેન સિદ્ધાંત બાહ્યાડંબરને નકારે છે એ નજરિયાથી પણ હાઇકુને જોઈ શકાય.

૫) હિંદુ કરતાં ખ્રિસ્તી નવા વર્ષને આજકાલ આપણે વધુ આવકરાતા થઈ ગયા છીએ એ અલગ વાત છે પણ દર વરસે નવું વર્ષ આવે એટલે આપણે ઘરની સફાઈ, નવા કપડાં-રાચરચીલાની ખરીદીથી લઈને ખાણી-પીણી સુધી એવી રીતે વર્તન કરીએ છીએ કે નવું વર્ષ બધા જ દુઃખોનો અંત આણીને સાચે જ સુખનો સૂરજ લઈને આવશે. દર વરસે આપણો સ્વપ્નભંગ થાય છે ને દરવરસે આપણે એનું એ સ્વપ્ન ફરી જોઈએ જ છીએ. કવિનો અભિગમ ‘નવા વર્ષની હું કથા શી લખું? શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું?’ જેવો છે. એ તટસ્થ રહે છે. આમેય કવિનો મોહભંગ કરે એવી મેનકા જડવી દોહ્યલી છે.

૬) વસંતના આગમનનું મજાનું દૃશ્ય કવિ દોરી આપે છે. આપણે ત્યાં તો હિમવર્ષાની સમસ્યા નથી એટલે એની તકલીફો અને સ્થગિત થઈ જતી જિંદગીનો આપણને પરિચય પણ નથી. પણ જ્યાં બરફ સમાજજીવનનો મોટો હિસ્સો ઝબ્બે કરી લે છે ત્યાં બરફનું પીગળવું એ બંધ પડી ગયેલા ફેફસાંમાં પ્રાણવાયુના પુનર્પ્રવેશ જેવું છે. શિયાળામાં જામી રહેલા બરફની સાથોસાથ જ જામી રહેલી જિંદગી પણ જાણે પીગળી રહી છે, વહી રહી છે. ડબ્બામાં પૂરાયેલી બકરીઓ ભાગાદોડી કરી મૂકે એમ જ બરફ પીગળતાં પાણીનું નહીં, ગામમાં બાળકોનું, જિંદગીનું પૂર ફરી વળે છે.

૭) મોટાભાગના હાઇકુ બહુઆયામી જિંદગીની કોઈક ક્ષણની તસ્વીર જ હોવાના. એમાંથી અર્થ તારવી શકાય તો એ તમારો નફો, બાકી કવિને તો સત્તર ધ્વનિમાં એક ચિત્ર પૂરું કરવાના આનંદથી વધુ કંઈ ખપતું નથી. A poem has to be, not mean. (આર્ચિબાલ્ડ મેકલિશ). કાયમ કાનની પાસે જ આવીને ગણગણ કરતા મચ્છરની પ્રકૃતિ જોઈને કવિને સહજ પ્રશ્ન થાય છે કે આ શા માટે કાયમ કાન લગોલગ આવીને જ ગણગણ્યા કરે છે? શું એ એમ વિચારે છે કે હું બહેરો છું?

૮) આપણું બધું જ ઉપરછલ્લું, દેખાવ પૂરતું જ. ડોળ પ્રાર્થનાનો હોય પણ ધ્યાન મંદિર બહાર કાઢેલા ચપ્પલમાં હોય -કોઈ ચોરી તો નહીં જાય ને? આપણી ભીતરની દૃષ્ટિ ખૂલી છે કે નહીં એના કરતાં બાજુવાળાએ આંખ મીંચી છે કે નહીં એમાં આપણને વધુ રસ હોય છે. રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે આપણે ઊભા થઈ જઈને ચારેબાજુ કોઈક ‘દેશદ્રોહી’ બેસી તો નથી રહ્યો ને એ અવશ્ય ચકાસતાં હોઈએ છીએ. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ જેવી આ વાત છે.

૯) ઝેનનો એક સિદ્ધાંત ‘સૈજાકુ’ અર્થાત્ સ્થિરતા કે શાંતિ છે. ઝેન કહે છે, ‘કંઈક કરવું કંઈ જ ન કરવાથી હંમેશા સારું હોતું નથી.’ આર્ટ ઑફ ડુઇંગ નથિંગનો ઝેનમાં અર્થ સક્રિય શાંતિ (Active Calm) થાય છે જે આ હાઇકુમાં દૃષ્ટિગોચર થાય છે. નાયક અને દેડકો બંને એકમેકને તાકતા સ્થિર ઊભા છે. ગતિનો અભાવ જ અહીં ખરી ગતિ છે.

૧૦) આપણે ત્યાં પચાસ પૂરા થાય એને વનપ્રવેશ અથવા વાનપ્રસ્થાશ્રમ કહે છે. સંસારની મોહમાયા અને પળોજણમાંથી મુક્ત થઈ મનુષ્યે ભીતરની જાતરા શરૂ કરવાની, લાંબી ઊંઘમાંથી જાગવાની આ ઘડી છે. કોબાયાશી પણ પચાસમી વર્ષગાંઠે આવું જ અનુભવે છે. હવે પછીની જિંદગી, જેટલી અને જે મળે છે એ બધી રોકડો નફો જ છે. જેટલા આભ, જેટલા દિવસ જોવાની ઈશ્વર હવે તક આપે એ બધા જ આભ, એ બધા દિવસ બોનસ જ છે.

૧૧) નકલ આમ તો કદી અસલની બરાબરી કે અસલથી ચડિયાતી હોવાની નથી પણ આ નિયમમાં એક અપવાદ છે. બાળકો! બાળકોની સહજ કૌતુકવૃત્તિમાં જે નિર્દોષતા રહેલી છે એ નકલને પણ મૂળથી વધુ નિરાળી, રોચક બનાવી દે છે. પશુ-પક્ષી એમની દિનચર્યામાં જે પણ કરે એ તો નૈસર્ગિક છે, એ એમનું જીવન છે અને એ તો એમ કરવાનાં જ પણ નાનાં બાળકો એમની નૈસર્ગિક ક્રિયાઓની નકલ ઉતારતા હોય એ દૃશ્ય વધુ જીવંત, વધુ રોમાંચક જ હોવાનું.

૧૨) બાળકોને સજા કરવી એ મોટાઓનો જન્મસિદ્ધ અધિકાર છે જાણે. ભાગ્યે જ કોઈ બાળક મોટાના હાથે સજા પામ્યા વિના મોટું થયું હશે. સીધી-સહજ નહીં પણ ‘તીવ્ર’ આજીજી શબ્દપ્રયોગ કરીને કવિ આપણી સમાજવ્યવસ્થામાં બાળકના સ્થાન પર તીવ્રતમ કટાક્ષ કરે છે. બહુ વિનંતી કરવામાં આવે તોય બહુ ઓછાં બાળકો બહુ ઓછીવાર મોટેરાંઓની સજાથી બચતાં હશે. જાપાનના જ લેખિકા તેત્સુકો કુરુનાયોગીનું ‘તોત્તોચાન’ પુસ્તક આવી જ વાત બહુ રસપ્રદ રીતે કરે છે.

૧૩) ઉનાળો મનુષ્યની ક્ષમતાની કસોટીનો સમય છે. દિવસભરની ગરમી માણસને તોડી નાંખે છે. આટલું પૂરતું ન હોય એમ ઉનાળાની રાત પણ નકરા ઉકળાટથી ઉકળતી હોય છે. ઉનાળાની આવી રાત બચ્યાકૂચ્યા માણસનેય લીંબુના આખરી ટીપાની જેમ નિચોવી નાંખે છે. કવિ જોકે આકાશમાંના તારાઓની મદદથી તીર તાકે છે. ઉનાળાની રાતે ટમટમતા તારા પણ બહુ બોલકા દેખાતા નથી. નિચોવાઈ ગયેલી માનવઊર્જા ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ના ન્યાયે આપણને આકાશમાંય પરિવર્તાતી ભાસે છે. તારા જેવા તારા પણ ગુફ્તેગૂના બદલે કાનાફૂસીથી કામ ચલાવી લે છે.

૧૪) ‘ટીપે ટીપે સરોવર ભરાય’ની પેઠે આ હાઇકુ ધીરજ અને લગનનો મહામહિમા કરે છે. ‘પંગુ લંઘયતે ગિરિમ્’. ‘અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો’ (?શૂન્ય પાલનપુરી). અઢીહજાર વર્ષ પહેલાં ચીની ફિલસૂફ લાઓઝી કહી ગયા હતા, ‘હજાર મીલોની મુસાફરી પણ એક પગલાંથી જ શરૂ થાય છે.’ આજ વાત આ હાઇકુમાં પ્રસ્તુત છે. સૃષ્ટિનું કદાચ સૌથી ધીમું જળચર ગોકળગાય પણ પર્વત આંબી શકે છે, ધૈર્ય અને ખંત હોય તો. (આ એક હાઇકુનો અંગ્રેજી અનુવાદ આર. એચ. બ્લિથે કર્યો છે)

અંતે એક સૉનેટની બે પંક્તિઓ:

‘લાગે ભલે કદથી હાઇકુ નાનું તોયે,
સોનેટથીય અદકેરું બની શકે છે.’

ગ્લૉબલ કવિતા : ૪૬ – ઓઝિમન્ડિસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

ઓઝિમન્ડિસ

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

समय समय बलवान है|

સૌથી મોટો વિનાશક કોણ? સંહારના દેવતા શંકર? ના, ના, સમય જ! શિવનું તાંડવ તો ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો ક્ષણ-ક્ષણના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. એનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુન પણ મામૂલી ભીલના હાથે લૂંટાઈ જાય છે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એ ન માત્ર ઓક્સફર્ડમાંથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થયા. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા પણ થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી નીકળ્યા અને ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી કરી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં તોફાનમાં ફસાઈને સ્પેઝિયાના અખાતમાં ડૂબી ગયા. શેલીના અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર તરીકે શેક્સપિઅર અતુલ્ય ગણાય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાના ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી બધાથી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) શીર્ષક આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝિમન્ડિસ હતું. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે પડતાં મૂકીને ઓઝિમન્ડિસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સંલ પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝિમન્ડિસ મતલબ “શાસન કરવા માટે શ્વસવું (જીવવું).” ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી હાલ નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝિમનડિસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે.

ઓઝિમન્ડિસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ શેલીએ ટ્રોકી (trochee) પણ અનિયમિતતાથી વચ્ચે વચ્ચે પ્રયોજીને કોઈ કે છંદને વળગી રહેવાનો વિરોધ કર્યો છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની અને એ પછી બિલકુલ અનિયમિત પ્રાસરચના (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. આ અટપટી પ્રાસરચના કાવ્યને કોઈ રીતે ઉપકારક ન હોવાથી શિખરિણીમાં ગુજરાતી અનુવાદ કરતી વખતે એ પ્રકારની પ્રાસરચના જાળવવી અનિવાર્ય લાગી નથી.

શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખીને ભાવકને મળતી નથી. તરત જ સમજી શકાય એવી સરળ હોવા છતાં જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની છે. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. એક રીતે આ ઓઝિમન્ડિસની સરમુખત્યારીનું પણ દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. અને એ મુસાફરે કવિને જે બયાન આપ્યું એ બયાન એટલે બાકીનું આખું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ અફાટ રેતી જ રેતી ફેલાઈ પડી છે. મુસાફરી કરતી વખતે મુસાફર રેતીના સમુદ્રની વચ્ચોવચ ઊભા એક પૂતળા પાસે આવે છે. સમયની થપાટો ખાઈ ખાઈને પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. માત્ર એક કુંભી પર બે વિરાટકાય પગો ઊભેલા રહી ગયા છે. માથું તૂટીને રણમાં પડ્યું છે ને અડધું રેતીમાં ગરકાવ પણ થઈ ગયું છે. ધડનું તો ક્યાંય નામોનિશાન રહ્યું નથી. મુસાફર ચહેરા પર કોતરવામાં આવેલા ભાવો ચિવટાઈથી નિહાળે છે. ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલો છે અને ઠંડા કલેજે અપાતા આદેશનો ઉપહાસ કહી રહ્યો છે કે શિલ્પી રાજાના મનોભાવોને બખૂબી યથાર્થ વાંચી શક્યો છે અને પથ્થર પર કંડારી શક્યો છે જે હજી પણ આ જીવનહીન વસ્તુઓ પર એમનેમ ટકી રહ્યા છે. સમજી શકાય છે કે રાજા ભરે જુલમી અને સરમુખત્યાર હશે. જે હાથે રાજાના આવા હાવભાવ કોતરીને હાંસી ઊડાવી એ શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, પોષનાર હૃદય અર્થાત્ પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. પગ નીચે કુંભી પર લખ્યું છે, ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝિમન્ડિસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્યો તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ પણ આજે ત્યાં આ તૂટ્યા-ફૂટ્યા તોય વિશાળકાય ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. ચારે તરફ એકલી-અટૂલી, નગ્ન, અસીમ અને બધાને સમથળ કરી દેતી રેતી સિવાય બીજું કંઈ જ નથી.

શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. વળી શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય.

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝિમન્ડિસનો પણ સમયે એ જ હાલ કર્યો.

ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) હકીકત એ છે કે ન માત્ર ઓઝિમન્ડિસ, પણ એ શિલ્પી જેણે એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કર્યા એ શિલ્પી અને એ પ્રજા જેણે રાજાના જુલમો સહન કરીને અન્યાયને પોષ્યો, એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝિમન્ડિસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૪૫ – (નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.
On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.
Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.s
Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો એની પખવાડિક રજા પર હતો ને મેઘલી અમાસની રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીના કિનારે આવી ઊભો. એક તો માથે સાંબેલાધાર વરસાદ કોઈએ સમ દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને નદી પણ પૂર આવ્યું હોય એમ બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું ને તરવાના બદલે તણાવા માંડ્યો. ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડી લઈ માંડ સામા કિનારે પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી આવી પહોંચ્યો. કાળીડિબાંગ રાતના આવા કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એની બારી કઈ છે એ ખબર હતી એટલે બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ઉપર ચડી ગયો. પ્રિયાએ પહેલાં તો એને બાથમાં લીધો ને પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો આ ભવસાગર પાર કરી ગયા હોત. યુવકને લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટનાનું આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિ કરી ગયા હતા એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનના કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક વાક્ય આમથી તેમ ખસેડી શકાય એમ નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ કે સમય ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. આપણે ભલે એમ કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ છે કે ‘ડૂબે’ છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે પ્રેમમાં જે જેટલો વધુ પડે છે કે ડૂબે છે એ જ જિંદગીમાં એટલો ઊઠે છે કે તરે છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રેમ અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ તો સફર છે, ઇરોઝ રાહબર છે, મંઝિલ સમ્-ભોગ છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં થઈ ગયેલ આ કવિ તો ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને જાણ નથી કે ઇરોઝ એની પાસે શું કરાવી રહ્યો છે, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

નાયક કદાચ નદીના આ કાંઠે ચિનાર વૃક્ષની નીચે ઊભો છે, એ વૃક્ષ પ્રેયસીએ જાતે જ રોપ્યું હતું એટલે નાયકને મન એની કેટલી કિંમત હશે એ સહજ સમજી શકાય છે. આ વૃક્ષ પ્રેમનું પ્રતીક પણ છે. હજી એ નાનકડું છે એટલે પ્રેમ પણ તાજો-તાજો જ હશે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ આવી ચૂક્યાં છે મતલબ પ્રેમ નવો ખરો પણ એટલો પણ નહીં, પરિપક્વ છે, ફળ આપી શકે એટલો પુખ્ત છે. નાયિકા તો સામા કાંઠે બહુ દૂર છે એટલે નાયકને નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સજીવ ન હોય એમ ઝાડના અંગોપાંગ જેવી નજરે ચડે છે અને વળી એ પ્યારી પણ લાગે છે. ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં!

પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. એટલે જ બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે અને આટલું અપૂરતું હોય એમ આ નદી વળી મગરોથી ભરી પડી છે ને કેટલાક તો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સમજી શકાય છે કે કિનારા પર મગરો હશે તો પાણીમાં તો હોવાના જ!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપર્યું છે અને લોકો આ વાક્ય એમનું જ હોવાનું માને છે.)

આંધળો પ્રેમ નદી કે મગર કે મોતને જોતો નથી, એ માત્ર મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ના ન્યાયે કે નર્મદની જેમ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને ઝંપલાવી જ દે છે. અને સાહસના પડખે તો ખુદ ઈશ્વર પણ આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને એનું હૃદય, એનો ઉમંગ, એનો જુસ્સો એવી રીતે કાપી રહ્યું છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ (શેક્સપિઅર) પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર નાયક પણ ડાહ્યો છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. નદીમાં રસ્તો જે કાપી રહ્યો છે એ હકીકતમાં નાયક નથી, પ્યાર પોતે જ છે. ફરહાદ જ પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શકે. રોમિયો-જુલિયેટ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીય સંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો આજ વાત કરે છે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

ગ્લૉબલ કવિતા : ૪૪ : – હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

– ‘સિદ્ધ-હૈમ’માંથી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

રૂપાંતર: વિવેક મનહર ટેલર

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

ત્રીસ હજાર વર્ષ જૂના ચિત્રો? મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાં જઈને ટાઢ-તાપ-તડકા-પવનના તમાચાઓ ત્રીસ-ત્રીસ હજાર વર્ષોથી એકધારા સહન કર્યા બાદ પણ અડીખમ રહેલા ખુલ્લી ગુફાઓમાંના ભીંતચિત્રોને જોઈને આંખ ચાર થઈ જાય. કોઈ પણ જાતની સંસ્કૃતિનું કે સભ્યતાનું નામોનિશાન પણ નહોતું એ સમયે પણ જંગલી માનવી ગુફાઓમાં એવા રંગો વડે ચિત્રો દોરતો હતો જે હજારો વર્ષોથી એવાંને એવાં છે. વિશ્વ આખામાં ઠેકઠેકાણે આવાં ગુફાચિત્રો મળી આવે છે જે સૂચવે છે કે આજનો હોય કે ગઈકાલનો – માનવમાત્રને કળા અને આંતરિક અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી. વિશ્વભરની ભાષાઓમાં હજારો વર્ષો જૂનું સાહિત્ય જડી આવે છે એ પણ એ જ કારણે કે साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशुः पुच्छविषाणहीनः।

ભાષા જ આપણને પ્રાણીઓથી અલગ તારવી આપે છે. અને ભાષા સતત પરિવર્તનશીલ છે. ભાષા નદી સમાન છે. એ સતત વહેતી અને બદલાતી રહે છે. આજે આપણે ઑનેસ્ટનો અર્થ પ્રામાણિક કરીએ છીએ પણ ચારસો વર્ષ પહેલાં શેક્સપિઅરના સમયમાં એનો અર્થ સારો માણસ થતો હતો. ચૌસરની અંગ્રેજી, શેક્સપિઅરની અંગ્રેજી અને આજની અંગ્રેજી ભાષા સામસામે મૂકીએ તો ત્રણેય અલગ ભાષા જ હોય એવું અનુભવાય. છસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સમયથી ગુજરાતી ભાષાની નદીનો પ્રવાહ આજ તરફ વળવો શરૂ થયો પણ હજાર વર્ષ પહેલાંની ગુજરાતી વાંચીએ તો હરદ્વાર ગોસ્વામી જેવો જ પ્રશ્ન આપણને થાય:

એના કરતાં હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. આ દુહાઓ ‘હેમચંદ્ર’ના દુહા તરીકે ઓળખાય છે

કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિની વાત કરીએ તો ૧૦૮૯ની સાલમાં કાર્તક સુદ પૂનમના દિવસે ધંધુકા ખાતે જન્મ. બાળપણનું નામ ચાંગદેવ. નવ જ વર્ષની વયે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. હેમચંદ્ર બન્યા. જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રભ્યાસ કર્યો. આચાર્યપદ મેળવ્યું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં એમણે સાહિત્ય અને ભાષાવિષયક જે ઊંડુ ખેડાણ કર્યું એ न भूतो, न भविष्यति છે. પ્રવર્તમાન ગુજરાતી ભાષાને નિશ્ચિત દિશા મળી. જૈન રાજધર્મ બન્યો અને અહિંસા પરમોધર્મ. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર એમણે કામ કર્યું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનું અને ‘શબ્દાનુશાસન’માં ગ્રંથસ્થ કરવાનું મહાન કાર્ય એમણે કર્યું. કહે છે કે જયસિંહે સિદ્ધપુરમાં એમના ‘સિદ્ધહેમ’ની હાથી ઉપર શોભાયાત્રા કઢાવી હતી.

પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. આ ઉદાહરણો એટલે આ દુહાઓ. આમ તો આ દુહાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અહીં માત્ર દસ દુહાઓ સમાવ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.
શ્રી રમેશ જાની ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પ્રાકૃત અને આજની ગુજરાતી ભાષાની સમાનતા વિશે કહે છે, ‘કોઈ કોઈ શબ્દનો પડઘો આપણી ભાષામાં પડતો હોય એમ નથી લાગતું? ‘સામલા’ અને ‘શામળા’ વચ્ચે, ‘ચંપાવણ્ણી’માંના ‘વણ્ણી’ અને ‘વર્ણી’ કે ‘વરણી’ વચ્ચે, ‘નિદ્ડી’ અને ‘નીંદરડી’, ‘સલોણી’ અને ‘સલૂણી’ વચ્ચે, ‘ગોરડી’ અને ‘ગોરી’ વચ્ચે, ‘ભડુ’ અને ‘ભડ’ વચ્ચે, ‘હેલ્લિ’ અને ‘હે અલી’, ‘ખુડુક્કઈ’ અને ‘ખડકે’ કે ‘ખટકે’, ધુડુક્કઈ’ અને ‘ધડકે’, ‘વારિસ’ અને ‘રસ’ વચ્ચે માત્ર નામનો જ ભેદ નથી?’

એક પછી એક આ દુહા જોઈએ:

(૧) ઢોલો [ધવ(ધણી)+લો] યાને ધણી એકદમ શામળા વર્ણનો ને ધણિયાણી ચંપાના ફૂલ જેવી ગૌરવર્ણી. બંને સંભોગમાં રત હોય ત્યારે કાળા ધણીની ઉપર પત્નીની ધવલ કાયા જાણે સોનાની રેખા કસોટી પર પડી ન હોય એમ લાગે છે. કસોટી એટલે સોના-રૂપાનો કસ જોવા માટેનો પથ્થર જેના પર સોના-ચાંદીને ઘસીને પારખવામાં આવે છે. ‘નળાખ્યાન’ના પંદરમા કડવામાં પ્રેમાનંદ પણ આ ઉપમા પ્રયોજે છે:

ગલસ્થળ નારંગફળ શા, આદિત્ય ઇંદુ અકોટી;
અધર પ્રવાળી, દંત કનકરેખા, જિહ્વા જાણે કસોટી
(ગાલ નારંગીના ફળ જેવા, સૂર્ય-ચંદ્ર કાનની કડી જેવા, હોઠ લાલ, દાંત જાણે કે સુવર્ણરેખા અને જીભ જાણે કસોટી.)

(૨) મેઘલરાત એટલે અંધારી તારા વગરની રાત. આવામાં પાછો પ્રવાસ. એક તરફ હૈયામાં ગોરીની યાદ ખટકતી હોય તો બીજી તરફ આકાશમાં મેઘ ગરજતો હોય. બંને બાજુ સંકટ. બંને તરફ વરસાદ. બંને રીતે ભીનાં જ થવાનું ને વળી આગળ પણ વધવાનું.

(૩) પરસ્પર અસીમ-અપાર પ્રેમ કરનારમાંથી કોઈ એકને કો’ક કારણોસર કદાચ લાખ જોજન દૂર જવાનું થાય અને બે જણ કદાચ સો-સો વર્ષ સુધી પાછાં મળી જ ન શકે; બસ, વિયોગના તાપમાં તવાયા કરે પણ જે ઘડીએ આ બે અતૃપ્ત આત્માઓ ભેગાં થશે એ ઘડી, એ મિલનની ઘડી નિતાંત સુખની ઘડી જ બની રહેશે… સાચો પ્રેમ કદીપણ ઉપસ્થિતિ કે સમયનો મહોતાજ નથી હોતો. એ તો એમ જ કહે,

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

(૪) મિલન અને વિરહ – બંનેમાં મીઠી પીડા છે. પ્રિયતમ સાથે હોય તો ઊંઘવાનો પ્રશ્ન જ નથી આવતો. રાત આખી કામકેલિમાં ક્યાં વીતી જાય એય ખબર ન પડે. એથી વિપરિત પ્રિયજન પરોક્ષ-આંખથી અળગો હોય, દૂર ગયો હોય તો એની યાદમાં રાત આખી પડખાં ઘસી-ઘસીને જ વિતાવવી પડે છે. ઊંઘ ન તો મિલનમાં આવે છે, ન જુદાઈમાં. પ્રેમ બંને જ સ્વરૂપે ઊંઘનો દુશ્મન છે.

(૫) નખશિખ લાવણ્યમયી આ સુંદરી કંઈ અલગ જ પ્રકારનો વિષડંખ ધરાવતી નાગણ છે. નાગ તો જેને ગળે લાગે એ મરણ પામે છે પણ એથી ઊલટું, આ સુંદરી તો જે વીરપુરુષને ગળે નથી લાગતી એ બિચારો દુઃખી થઈને, તિરસ્કૃત થઈને મરી જાય છે. સૌંદર્યની કેવી ઉત્તમ પરિભાષા!
(૬) જેની આપણે કાગડોળે રાહ જોતાં હોઈએ એની આવવાની વકી હોય ત્યારે કાગડો ફળિયે આવી બેસે તો ઘરનું કોઈક કહે કે ફલાણો માણસ આવતો હોય તો ઊડી જજે. કાગડો ઊડી જાય તો એ માણસ તરત આવશે અન્યથા વિલંબ થાય એવી આપણે ત્યાં માન્યતા છે. કાગડો કા-કા કરી રહ્યો છે પણ ઊડતો નથી અને એ ઊડે તો જ પરદેશ ગયેલો પિયુ પાછો ફરે એમ માનતી પ્રોષિતભર્તૃકા કાગડાને ઊડાડવા પથરાં વીણવા વાંકી વળે છે પણ પ્રિયતમના વિરહમાં એ સૂકાઈને એવી તો કાંટા જેવી થઈ ગઈ છે કે એના કૃષ હાથમાંથી અડધાં કંકણ નીકળી જઈને જમીનમાં પડે છે. પણ રહે! અચાનક જ પિયુ પધારતો નજરે ચડે છે અને હરખઘેલી ભાન ભૂલીને દોડે એમાં બે હાથ અથડાય છે કે હર્ષનું માર્યું શરીર ફૂલવા માંડે છે પણ બાકીના કંગન તડાક્ કરતાંકને ત્યાં જ તૂટી જાય છે… કાગડો, વિરહ અને પિયામિલનની આ વાત પર બાબા ફરીદની અમર પંક્તિઓ જરુર યાદ આવે:

कागा सब तन खाइयो, चुन-चुन खइयो मांस
दो नैना मत खाइयो, पिया मिलन की आस

(૭) સૌંદર્યની જ બોલબાલા છે. મુગ્ધ ગોરીના માથા પરની ઓઢણી પણ સાવ જીર્ણ થઈ ગયેલી હતી ને ગળાની માળામાં પૂરા વીસ મણકાં પણ નહોતા પણ એ છતાં સુંદરતાનો પ્રકોપ તો જુઓ! ગોરીએ બધા જ ગોઠિયાઓને ઉઠબેસ કરાવી.

(૮) ભારતીય રાજવી પરંપરામાં વીરપુરુષનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાંના એક પણ રંગ ઉપટેલા હોય તો તમને પુરુષ હોવાનું ઓળખપત્ર જ ન મળે. જે ભડવીરે યુદ્ધમાં માથે તલવાર ઝીલી નથી, તોફાની ઘોડાઓને પલાણ્યા નથી ને સુંદરીને ગળે નથી લગાડી એનો તો જન્મારો જ એળે ગયો.

(૯) વીરપુરુષોનું આપણે ત્યાંનું સંસ્કૃતિચિત્ર આ દુહામાં વધુ બળવત્તર થયું છે. નાયિકાની સખી એના કંથના વખાણ કરતાં થાકતી નથી એને વારતા નાયિકા કહે છે, હે સખી! તું મારા કંથના ખોટેખોટા વખાણ ન કર, કેમકે એનામાં બે દોષ તો છે જ. માન્યું કે એ મોટો દાની છે ને એણે ભલે દાનમાં બધું જ દઈ દીધું પણ હું તો બાકી જ રહી ગઈ ને? મતલબ એ પૂરો દાનવીર નથી. અને એ એવો મોટો શૂરવીર પણ નથી. યુદ્ધ કરતાં કરતાં એની તલવાર પણ રહી ગઈ મતલબ પૂરી શૂરવીરતાથી યુદ્ધમાં ઝંપલાવવામાં એ કાચો પડ્યો છે.

(૧૦) અને આ આખરી દુહો તો પુરુષાતનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં કેસરિયા કરવા એ આપણી જૂની પરંપરા રહી છે. એ જ વાત આ દુહામાં પણ કહેવાઈ છે. સખી સાથે વાત કરતાં-કરતાં નાયિકા કહે છે કે, બહેન! સારું થયું કે મારો પતિ યુદ્ધમાં જ મરાયો. જો એ જીવતો ઘરે પરત ફરત તો હું લાજથી મરી જાત. માણસની જિંદગી કરતાં એની શૂરવીર તરીકેની પ્રતિષ્ઠાની વધુ કિંમત છે. યુદ્ધમાં સૌભાગ્ય છીનવાઈ જાય એમાં સૌભાગ્ય નજરે ચડે છે. પોતે વિધવા બને એ ચાલે, પણ ખંડિત મર્દાનગીવાળા ભાગેડુ પતિની સધવા બનવું ભારતીય આર્યનારીને મંજૂર નથી.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

ગ્લૉબલ કવિતા : ૪૩ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – કિટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આખી જિંદગી ગાય-ભેંસ સાથે કાચા ગામડામાં વિતાવનાર અચાનક માયાનગરી મુંબઈમાં આવી ચડે કે રણના ગળામાં અટકી ગયેલી જિંદગીની આખરી ક્ષણોની તરસના કિનારે હર્યોભર્યો રણદ્વીપ હાથ આવી જાય એ ઘડીએ માણસ શું અનુભવતો હશે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગના યાને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું ને નીલે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા પ્રાપ્તિની કઈ ચરમસીમાએ હશે!

શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. જોન કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજના પર પ્રકાશ નાંખે છે. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા ને ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે એને જરા સ્પર્શી લઈએ.

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈ. મોટાભાગના એને હોમર નામના કવિનાં સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ પ્રકારના કળાકારોને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. બે માઇલ દૂર પોતાના ઘરે ગયા અને બીજા દિવસે સવારે દસ વાગ્યે ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું.

શાળાના દિવસોમાં વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’માં કિટ્સ ભણ્યા હતા કે કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. સોનેટ મુજબ બાલ્બોઆ અવાક્ પણ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. જો કે કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે નહીં એ કોઈ જાણતું નથી.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. માતાએ બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. વારસામાં ખૂબ ધન મળ્યું પણ કોઈએ જાણ જ ન કરી. પ્રેમમાં પડ્યા. ગજ ન વાગ્યો. પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, કવિનું ‘સ્વ’ વિશ્વના ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. એમની હયાતીમાં એમની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ છે. ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે ખૂબ ઓછા સમયમાં જે બહોળું અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી.

કિટ્સનું આ સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું અષ્ટક-ષટક રચનાયુક્ત પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના કિટ્સે એવી સહજતાથી નિભાવી જાણી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં પ્રાસરચના અલગ રીતે કરવી પડી છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે અને સાથે જ સ્પષ્ટ થાય કે આ વાત સાહિત્યની સ્વર્ણભૂમિની પણ છે. આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટમાં કવિ કહે છે કે એ નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો ફરી આવ્યા છે. સાક્ષાત્ એપોલોના ટાપુ અને સ્વર્ણભૂમિ પણ તેઓ ખૂંદી વળ્યા છે. અર્થાત્ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી કવિ પસાર થઈ ચૂક્યા છે. હોમરના અજરામર સર્જન વિશે પણ જ્ઞાત છે પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સત્ય ઉજાગર કરે છે.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! લડાઈ જીત્યા બાદ લશ્કર સાથે ડેરિયન શિખર પર ચડીને તગડો કોર્ટેઝ (હકીકતમાં બાલ્બોઆ) જ્યારે એ દિન પર્યંત માનવજાતથી સાવ અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર નજર ફેંકે છે ત્યારે વાચા પણ હરાઈ જાય એ અનુભૂતિ કેવી હશે! સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક વાંચતીવેળાએ જે નવીનતમ પુસ્તકિયો આનંદ હાંસિલ થાય છે એ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અણજાણ્યો પ્રદેશ જીતી જવાતા જે જીતનો, મગરૂરીનો, તાકાતનો સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. હોમરની કવિતાની લાક્ષણિકતાઓ આ ચાવીઓ બખૂબી ઊઘાડી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેઝ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)

Lament

Cheek by cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

વિલાપ

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું
જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી મૃગશીર્ષ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમના આંસુથી દિલના કાગળ પર લખેલી બેવફાઈની કવિતા

પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમની રેખા ખેંચો કે ઉત્તરથી દક્ષિણની, ગઈકાલથી આજની રેખા ખેંચો કે આજથી આવતીકાલની, આ ભાષાથી તે ભાષાનો છેદગણ કાઢો કે આ સંસ્કૃતિથી તે સંસ્કૃતિનો – લાગણીઓ એકસરખી જ જોવા મળવાની. એ છતાંય પ્રેમથી વધુ સનાતન, સર્વવ્યાપી અને સેલિબ્રેટેડ લાગણી બીજી કોઈ જોવા નહીં મળે. તડકા વિનાનું અસ્તિત્વ શક્ય જ ન હોવા છતાં જેમ મનુષ્યમન હંમેશા છાંયડા માટે જ તરસવાનું તેમ, નફરત-ગુસ્સો-અદેખાઈ વગેરે દુઃખદાયક લાગણીઓ વિનાનું હૃદય શક્ય જ ન હોવા છતાં હરએક દિલ પ્રેમ માટે તો તલસવાનું જ. જિંદગીના અફાટ બળબળતા રણની વચ્ચે પ્રેમ રણદ્વીપની ટાઢક લઈને આવે છે. પણ સમસ્યા એ છે કે પ્રેમ હંમેશા એના ગજવામાં ક્યાં જુદાઈ, ક્યાં બેવફાઈ લઈને જ આવે છે. અને આ બેવફાઈ અને જુદાઈ દુનિયાની દરેક ભાષામાં દરેક સમયે ઉત્તમ સાહિત્ય અને કળાના પ્રાણતત્ત્વ બન્યાં છે. પ્રસ્તુત કવિતા પણ પ્રણય અને બેવફાઈની જ વાત કરે છે. આ રચના કોણે લખી છે એની તો માહિતી નથી પણ ચીનમાં તાંગવંશના શાસનકાળ દરમિયાન એ લખવામાં આવી છે.

ઇ.સ. ૬૧૮થી ૯૦૭ સુધી ચીનમાં તાંગ વંશનું શાસન રહ્યું. આ સમયગાળો કોસ્મોપોલિટન કલ્ચર માટે સર્વોત્તમ બની રહ્યો. ચાઇનીઝ કવિતા અને કળાનો એ સુવર્ણકાળ હતો. એ સમયના લગભગ ૨૨૦૦થી વધુ સર્જકોની લગભગ ૪૯૦૦૦ જેટલી રચનાઓ કાળની થપાટો સહન કરીને પણ આજદિનપર્યંત સલામત રહી છે. કવિતા રાજદરબારમાં સ્થાન પામવા માટેનું અનિવાર્ય સાધન બની ગઈ હતી એટલે ગળાકાપ સ્પર્ધાઓ પણ યોજાતી. ચાઇનિઝ ભાષામાં ‘શી’ (Shi/Shih) એટલે કવિતા. એ સમયમાં ‘ગુશી’ એટલે કે પ્રાચીન કવિતા જે પારંપારિક કાવ્યસ્વરૂપને વફાદાર હતી અને ‘જિંટિશી’ એટલે કે અર્વાચીન કવિતા જેમાં પંક્તિની લંબાઈ, પ્રાસરચના બધામાં ફરક હતો – એમ બે મુખ્ય પ્રવાહ હતા જેમાંથી જિંટિશી એ સંપૂર્ણપણે તાંગ વંશની ભેટ હતી.

લગભગ બારસો- ચૌદસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોકગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો જ ચિત્કાર આપણી ભીતર જગાડે છે. વાલ્મિકીના હૃદયમાં અબોલ પક્ષી માટેની સંવેદના જાગી હતી, અહીં નિજ પ્રેમસંબંધના હૈયામાં જુદાઈનું અને બેવફાઈનું તીર ભોંકાવાની વેદના જન્મે છે. સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ વચનો આપે છે અને કોઈક કારણોસર છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની એ ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

રચનાની શરૂઆત નજાકતથી થાય છે. ગાલ સાથે ગાલ અને તકિયો – નકરી સુંવાળપ અને મૃદુતા. કદાચ આ નાજુકાઈ જ એ વાતનો ઇશારો છે કે જીવનની સુનિશ્ચિત દુર્દમ્યતા આ ઋજુ સંબંધ કેમે કરી ઝીલી શકનાર નથી. અને આશંકાની આ હળવી કંપારી બીજી જ પંક્તિમાં વાસ્તવિક્તામાં ફેરવાય પણ છે, જ્યારે ‘વચન આપ્યું હતું’ એમ કહીને કવિ ભૂતકાળ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે પ્રેમીઓના શરીરના સાયુજ્યની વાતની વચ્ચે આ વિલન જેવા ‘હતું’ની હાજરી આપણને સમજાવી દે છે કે આ વચન પળાયું નથી. પ્રેમની ધરતી પર તો કદી વચનોનો દુકાળ પડતો જ નથી. શેક્સપિઅરના નામે ચડી ગયેલ બિડવિન (Bedouin) ગીતમાં બેયર્ડ ટેલર કહે છે, ‘હું તને ચાહું છું, એવો પ્રેમ કે જે સૂર્ય ઠંડો પડી જાય કે તારાઓ ઘરડા થઈ જાય ત્યાં સુધી મરે નહીં.’ આવું જ એક બહુ જાણીતું અંગ્રેજી વાક્ય પ્રેમીઓએ એકબીજાને કહી કહીને ઘસી નાંખ્યું છે: ‘Rivers can dry. Mountains can fly. You can forget me, but never can I.’

અતિશયોક્તિ તો પ્રેમનો સનાતન અલંકાર છે. ચાંદ-તારા તોડી લાવવાથી સમયની પેલે પાર સુધી જવાની વાતો પ્રેમમાં સહજ ને વળી બેઉ પક્ષે સ્વીકાર્ય પણ છે. શેક્સપિઅર સત્તરમા સૉનેટમાં કહે છે, ‘હું જો તારી આંખની સુંદરતા આલેખી શકતો હોત, અને તાજા આંકડાઓમાં તારી તમામ મોહક અદાઓને ગણી શક્યો હોત, તો આવનાર યુગ કહેત, ‘આ કવિ જૂઠાડો છે; આવા દિવ્ય સ્પર્શ કદી પાર્થિવ ચહેરાઓને સ્પર્શ્યા જ નથી.’ નાયક પણ પ્રેમમાં ગરકાવ છે. પ્રેમની પરાકાષ્ઠાએ બંને પ્રેમીઓ એકમેકને વચન આપે છે કે આપણો પ્રેમ કદી નાશ નહીં પામે. શેક્સપિઅર જ અઢારમા સૉનેટમાં કહે છે, ‘જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લઈ શકશે, અથવા આંખ જોઈ શકશે ત્યાં સુધી આ (કવિતા) જીવશે, અને એ તને જીવન આપતી રહેશે.’ પ્રસ્તુત કાવ્યમાં પણ જ્યાં સુધી લીલા અર્થાત્ ભર્યાભાદર્યા પર્વતોનું પતન ન થાય કે ભારીખમ લોઢું નદી પર તરવા ન માંડે કે ગંગા (ચીનની યેલો રીવર) જેવી બારેમાસ છલકાતી-ઉભરાતી નદી સ્વયંભૂ સૂકાઈ ન જાય, મૃગશીર્ષનો તારો ધોળા દિવસે ન ઊગે કે ધ્રુવનો તારો ઉત્તરને બદલે દક્ષિણમાં ન ઊગે અને ભર રાત્રિએ સૂર્ય ઊગી આવીને આકાશને ઝળાંહળાં ન કરી દે ત્યાં સુધી, અર્થાત્ यावत्चंद्रोदिवाकरौ સુધી એકમેકને અમર પ્રેમ કરવાના કોલ બંનેએ એકબીજાને આપ્યા હતા.

પ્રેમમાં હોય ત્યારે દુનિયાના દરેક પ્રેમીને એમ જ લાગતું હોય છે કે એમનો પ્રેમ રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા જેવો જ અથવા એથીય અદકેરો અને અમર અવિનાશી છે. પ્રેમમાં અભિવ્યક્તિ બધાથી ઉદાર હોય છે. એક શબ્દમાં પતતું કામ પ્રેમ દસ વાક્યોમાં પતાવે છે. શેક્સપિઅરે કહ્યું કે પ્રેમ આંધળો છે ને હકીકત પણ એજ છે કે પ્રેમના ચશ્માંમાંથી પ્રેમિકા સામે વિશ્વસુંદરીનીય કોઈ વિસાત નજરે ચડતી નથી. છવ્વીસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો કહે છે, ‘જે રીતે હવાનું ઝોકું વૃક્ષને નમાવે છે એમ જ પ્રેમ મને ઝુલાવે છે, પ્રેમ મને ફરીથી બંદી બનાવી લે છે અને હું કડવીમીઠી એષણાથી કંપી ઊઠું છું.’ ખલિલ જિબ્રાન કહે છે તેમ, ‘સદાકાળથી એમ જ છે કે અળગા થવાની ક્ષણ આવી ઊભતી નથી ત્યાં સુધી પ્રેમને એનું પોતાનું ઊંડાણ ખબર પડતી નથી.’ તરસ લાગી હોય તોજ પાણીની મહત્તા સમજાય.

પણ મોટાભાગના ‘અમર’ પ્રેમ ફટકિયા મોતી જ સાબિત થતા હોય છે. અહીં જે બે પ્રેમીની વાત છે એ કદાચ બેવફાઈના કારણે છૂટા પડ્યા છે. કવિએ કોઈ ખુલાસો કર્યો નથી. ગાલિબ લખે છે:

तुझ से क़िस्मत में मिरी सूरत-ए-क़ुफ़्ल-ए-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना

(હે આંકડાના મેળથી ખુલનારા તાળા ! મારી કિસ્મતમાં કદાચ વાત બનતા જ અલગ થઈ જવાનું લખાયું હતું.) તાળું બંધ હોય ત્યારે દાંડી કાયાની અંદર હોય છે પણ જેવી ચાવી ફેરવો કે આંકડાવાળા તાળામાં નિશ્ચિત આંકડા મેળવો કે દાંડી અને કાયા જુદા થઈ જશે. વાત બને, બે પ્રેમીઓ લગ્નગ્રંથિથી જોડાય, સંસારક્રમ આગળ વધે એ પહેલાં જ બંનેના નસીબમાં જુદા પડવાનું લખાયું. જેણે બેવફાઈ કરી હશે એની જિંદગી તો નદીના પ્રવાહ પેઠે સમયના કિનારાઓ વચ્ચે આગળ વહેવા માંડી હશે. પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો-

दिल से मिटना तिरी अंगुश्त-ए-हिनाई का ख़याल
हो गया गोश्त से नाख़ुन का जुदा हो जाना | (ગાલિબ)

(દિલથી તારી મહેંદીવાળી આંગળીનો ખ્યાલ મટી જવો અર્થાત, મારા માંસથી નખ જુદો થઈ જવો)

લગભગ બેહજાર વર્ષ જૂની ‘ગાથાસપ્તશતી’માં સાતવાહન હાલ પ્રાકૃત ભાષામાં કહે છે:

परित्र्प्रोस-सुन्दराइं सुरएसु लहन्ति जाईँ सोक्खाइं।
ताइं च्चित्र्प्र उण विरहे खाउग्गिण्णाईँ कीरन्ति॥

અર્થાત્, પ્રેમીઓ જુદા પડે છે ત્યારે એક સમયે જે આનંદ આપતું હતું એ ઊલટી જેવું લાગે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે: ‘હે હૃદય ! શાંત થા. શા માટે આટલું સહન કરે છે? જેને તું પ્રેમ કરે છે એ તને ચાહતું નથી.’ પણ હૃદય શાંત થતું નથી. જૂની બધી વાતો યાદ આવે છે. પ્રસ્તુત રચનામાં ‘આપણે વચન આપ્યું હતું’ની દ્વિરુક્તિ પ્રેમીના જીવનમાં પ્રેમ અને પ્રિયપાત્રનું શું મહત્ત્વ હતું એ વાતને અંડરલાઇન કરી આપે છે. રોજર ડિ બસી-રબુટિને કહ્યું હતું, ‘હવા જે આગ માટે છે, એ જ અનુપસ્થિતિ પ્રેમ માટે છે; એ નાનાને હોલવી નાંખે છે, મોટાને ભડકાવે છે.’ રુમીએ પણ કહ્યું હતું, ‘…જ્યારે હું તારાથી દૂર હતો, આ દુનિયાનું કોઈ અસ્તિત્ત્વ નહોતું, બીજી કોઈનું પણ નહીં.’ સાચો પ્રેમ પ્રેમીને ઓગાળી દે છે અને પ્રિયપાત્રને પોતામાં ઓગળી-ભળી ગયેલ અનુભવે છે. પોતાની નાડીમાં સામાના ધબકારા સંભળાય એ પ્રેમ. ‘હું’ અને ‘તું’ પીગળી જઈને ‘અમે’ બને એ રાસાયણિક પ્રક્રિયાનું નામ જ પ્રેમ છે.

પાબ્લો નેરુદા કહે છે, ‘આવજે, પણ તું મારી સાથે જ હશે, તું જશે મારા લોહીના એક બુંદમાં જે દોડતું હશે મારી નસોમાં અથવા બહાર, એક ચુંબનમાં જે મારા ચહેરાને બાળતું હશે, અથવા એક આગના પટ્ટામાં જે મારી કમર ફરતો હશે.’ જેફ હૂડે કહ્યું હતું, ‘અંતર લોકોને અલગ નથી કરતું, મૌન કરી દે છે.’ અહીં પણ નાયક બંને વચ્ચે આવી ગયેલા અંતરને અવગણીને ચિત્કારે છે. નાયિકા સામે છે કે નહીં એનો કવિતામાં ઉલ્લેખ નથી, આ ચિત્કાર એ સાંભળે છે કે નહીં એ આપણે કદી જાણી શકવાના નથી પણ દિલમાં ખૂંપી ગયેલું તીર જ્યાં સુધી ખેંચીને કાઢી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી એ નાયકને ચેનના શ્વાસ લેવા દે એમ નથી એટલે નાયક તારસ્વરે સાથે લીધેલા પણ પળાય એ પહેલાં જ તૂટી ગયેલા વચનો અને છૂટી ગયેલા સાથને એ વચનોની દુહાઈ આપીને ખોવાયેલ પ્રેમ પરત મેળવવાની આખરી કોશિશ કરે છે.

કવિ કોણ છે એ ખબર નથી. વિલાપ કરનાર નાયક છે કે નાયિકા એ ખબર નથી. બંને છૂટાં થયાં છે પણ કેમ એ ખબર નથી. વિલાપ સામા વ્યક્તિની હાજરીમાં થાય છે કે નહીં એય ખબર નથી. વિલાપનું કોઈ પરિણામ આવે છે જે નહીં એય ખબર નથી પણ આઠ જ પંક્તિની આ અનિશ્ચિત કવિતામાં પ્રેમની સચ્ચાઈ અને પ્રેમીહૈયાનું કલ્પાંત સુનિશ્ચિત છે અને જિંદગીમાં જેણે પ્રેમમાં જુદાઈ કે બેવફાઈનો જરા પણ સ્વાદ ચાખ્યો હશે એને દોઢ હજાર વર્ષ પહેલાંની આ રચના પોતાના જ દિલના કાગળ પર પ્રેમના આંસુઓથી હજી ગઈકાલે જ લખાયેલી કેમ ન હોય એવી તરોતાજા જ લાગશે.