Category Archives: ઉમાશંકર જોષી

માઇલોના માઇલો મારી અંદર – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશી ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં, શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.

જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે….

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બધ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીંધા કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો,
ધરતીની દ્યુતિ – અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો,
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

પ્રશ્ન – ઉમાશંકર જોષી

prashna

‘છે મારું કો અખિલ જગમાં?’ બૂમ મેં એક પાડી :
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,
ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી,
સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો
બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો,
તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ ક્યાં?
ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિરઝર આ પાણીપોચા હૈયાને:
‘વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.’
ને એ દંભી શરમ તજી કહે:’તું ન માલેક મારો,
હું તારામાં વસું અવર કાજે.’ – ખિજાયો, વિચાર્યું:
બીજાં કાજે વસતું મુજમાં?! તો મદર્થે બીજામાં
હૈયા વાસો નહિં શું વસતાં કૈ હશે સ્નેહભીનાં?

 

થોડોએક તડકો – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(તા. 31 ઓગષ્ટ, 1947)

ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

bhomiya

.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

Continue reading →