Category Archives: શૂન્ય પાલનપુરી

રૂબાઇ – ઉમર ખય્યામ

છાયા નીચે શીતલ તરુની સ્થાન એકાંતમાં કો
કાવ્યો થોડાં મધુર ગીતનાં હોય જો મારી પાસ,
સુરપ્યાલો સમીપ વળીને રોટલો એક નાનો
– ને તું ગાતી ! સનમ ! પછી ત્યાં સ્વર્ગની શી જરૂર ?

દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

પ્રણયનો વિવેક – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

(કવિ પરિચય)  

Pranay no vivek – shoonya palanpuri , shunya palanpuri

દરિયો – 2

dariyo

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં !
– ‘શૂન્ય’ પાલનપુરી

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ !
– રમેશ પારેખ
કંઇ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !
– સુરેશ દલાલ

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
– ‘મરીઝ’

સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર.
– નર્મદાશંકર દવે ‘નર્મદ’

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

(શૂન્ય પાલનપુરીનો પરિચય)