Category Archives: કાવ્યપ્રકાર

પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

ગીતકાર અને સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

mahendi

.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

———————

ફરમાઇશ કરનાર મિત્રો : દેવ, નિયંતા, પ્રિત, અંકિત

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે – મરીઝ

rose buds

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

રૂબાઇ – ઉમર ખય્યામ

છાયા નીચે શીતલ તરુની સ્થાન એકાંતમાં કો
કાવ્યો થોડાં મધુર ગીતનાં હોય જો મારી પાસ,
સુરપ્યાલો સમીપ વળીને રોટલો એક નાનો
– ને તું ગાતી ! સનમ ! પછી ત્યાં સ્વર્ગની શી જરૂર ?

कुछ मस्तीभरे पल… किशोरदा के संग

આજે થોડા મસ્તીભર્યા ગીતો સાંભળીને હળવા થઇએ..

आके सीधी लगी दिलपे जैसे कटरिया..
ओ सांवरिया….
हो तेरी तिरछी नजरिया….

આમ તો ઘણાને ખબર હશે, પણ તો યે કહી દઉં, કે આ ગીત, જે પહેલી નજરે Duet જણાય છે, એ ખરેખર તો કિશોર કુમારના એકલાના સ્વરમાં ગવાયેલું છે. પદડા પર કિશોરકુમાર ( છોકરીના વેશમાં) અને પ્રાણ; બંને માટે સ્વર કિશોર કુમારનો જ છે…

—————-
C. – A. – T. – CAT ; CAT माने बिल्ली….
R. – A. – T. – RAT ; RAT माने चुहा
अरे दिल है तेरे पंजेमें तो क्या हुआ

एक चतुरनार करके सिंगार
मेरे मनके द्वार.. ये धुसत जात
हम मरत जात….

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ

વિરાજ – બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું ‘સૂના સરવરિયાને કાંઠડે‘ ગીત તો તમને યાદ જ હશે. એ જ સુમધુર કંઠે ગવાયેલું, પણ એક અલગ જ દુનિયામાં લઇ જતું આ ગીત. ગીતની શરુઆત જ એટલી ચોટદાર છે કે વાહ… દરેક વ્યક્તિ, વસ્તું, દરેક નાની મોટી વાતનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે, એ વાત ફક્ત એક કડીમાં એટલી અસરકારક રીતે કહી છે કે કદાચ આખો નિબંધ પણ આ વાત આટલી સરળતાથી ન સમજાવી શકે.

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

અને અવિનાશ વ્યાસના શબ્દો અને સૂર હોય, તો તો પછી પૂછવું જ શું ? ત્રણસો વાર આ ગીત સાંભળ્યું હશે, તો યે નક્કી નથી કરી શકી કે ત્રણ માંથી કઇ કડી વધુ ગમે છે.. થોડું ઉદાસ કરી દે એવું આ ગીત, તો યે વારંવાર સાંભળવું ચોક્કસ ગમે જ.

fiji_full_moon

.

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

————

ફરમાઇશ કરનાર મિત્ર : દિનેશ ગુસાણી

હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.

આવ શબ્દની પાસે – કૃષ્ણ દવે

books.jpg 

આવ શબ્દની પાસે.
એક જ પળમાં આખા ભવનો થાક ઉતરી જાશે.
આવ શબ્દની પાસે.

આવ તને હું યાદ કરાવું, તારા હોઠે બોલાયેલા
સૌથી પહેલા એક શબ્દને;

આવ તને હું યાદ કરાવું, હુંફાળા ખોળે ઉછરેલા
મા જેવા એ નેક શબ્દને;
આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ્ પ્રકાશે.
આવ શબ્દની પાસે.

બાળક જેવા શબ્દો પાસે, પત્થર પાણી પાણી,
ભીતરનો અકબંધ ખજાનો,ખોલી આપે વાણી,
પછી મૌનના મહા સમંદરમાં ભળવાનું થાશે.
આવ શબ્દની પાસે.

એક નિસાસો – મનોજ ખંડેરિયા

એક નિસાસો એ તો જાણે
હોઠે મ્હોર્યું ફુલ હવાનું
એક નિસાસો રણ પથરાતું
જાણે સહરાનું

એક નિસાસો એ તો જાણે
કોઇ વિહગની પાંખ તૂટેલી
એક નિસાસો એ તો આંખો
આંસુ ખૂટેલી

એક નિસાસો કોઇ કવિનો
બહાર કદી ના આવેલો સ્વર
એક નિસાસો ભીડ ભર્યું પણ
લાગે ખાલી ઘર

એક નિસાસો એ તો જાણે
કૃષ્ણ વિનાનું ગોકુળ પાદર
એક નિસાસો તો ગોપીની
વણફૂટી ગાગર

એક નિસાસો ગુલાબજળની
કોરી કોરી ઝરતી ઝારી
એક નિસાસો નિશદિન તારી
બંધ રહી બારી

સજન મારી પ્રિતડી

સુમન કલ્યાણપુર અને મુકેશ જેવા દિગ્ગજ કલાકારોનો કંઠ મઢેલું આ ગુજરાતી ફિલ્મ ‘જીગર અને અમી’નું legendary ગીત. ફિલ્મમાં આ ગીત બે અલગ અલગ ભાગમાં આવતું હશે, પણ અહીં એને એક સાથે જ મુકું છું. પહેલા સુમન કલ્યાણપુરના અવાજમાં, અને પછી મુકેશના. Sound Quality જોઇએ એવી સારી નથી, કારણકે ઘણા વર્ષો પહેલાના recording ને digitalise કર્યું છે. છતાંય આશા રાખું છું કે ગીત સાંભળવું તમને ગમશે.

(ગીત સાંભળીને જ શબ્દો લખ્યા છે, તો કશે ભુલ થઇ હોય તો જણાવશો.)

.

સ્વર : સુમન કલ્યાણપુર

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

સુહાગણ રહીને મરવું, જીવવું તો સંગમાં
પલપલ ભીંજાવું તમને, પ્રિતડીના રંગમાં
ભવોભવ મળીને કરીએ, ઉરની ઉજાણી
સજન મારી પ્રિતડી…

જીગર ને અમીની આ તો રજની સુહાગી
મળી રે જાણે સારસની જોડલી સોભાગી
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી
સજન મારી પ્રિતડી…

સ્વર : મુકેશ

સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

જનમોજનમની પ્રિતી દીધી કાં વિસારી
પ્યારી ગણી તેં શાને મરણ પથારી ?
બળતાં હ્ર્દયની તેંતો વેદના ન જાણી….
સજન મારી પ્રિતડી…

ધરા પર ઝુકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠો અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી
સજન મારી પ્રિતડી…

—————-

ફરમાઇશ કરનાર મિત્રો : ધ્રુવિન, માનસી

સમરો મંત્ર બડો નવકાર

નવકાર મહામંત્ર

.

સમરો મંત્ર બડો નવકાર
એ છે ચૌદ પૂરવનો સાર
એહના મહિમાનો નહીં પાર
એના અર્થ અનંત અપાર

સુખમાં સમરો, દુ:ખમાં સમરો
સમરો દિવસને રાત
જીવતા સમરો, મરતા સમરો
સમરો સૌ સંગાથ

યોગી સમરે, ભોગી સમરે
સમરે રાજા રંક
દેવો સમરે, દાનવ સમરે
સમરે સૌ નિ:શંક

અડસઠ અક્ષર એહ ના જાણો
અડસઠ તીરથ સાર
આઠ સંપદાથી પર માણો
અષ્ટસિધ્ધી દાતાર

નવપદ એહના નવનિધી આપે
ભવભવના દુઃખ કાપે
વીરવચનથી હ્રદય સ્થાપે
પરમાતમ પદ આપે