ગ્લૉબલ કવિતા : ૫૩ : ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ

Talking in their sleep

“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”

“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”

“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”

– Edith Matilda Thomas

ઊંઘમાં બબડાટ

“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.

– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

શંકા મૃત્યુ છે, વિશ્વાસ જિંદગી છે…

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસે કહ્યું હતું, ‘માત્ર પરિવર્તન જ સ્થિર છે’ (Change is the only constant). પ્રકૃતિમાં ગતિમાં જ સ્થિરતા છે. એવી રાત જ નથી બની જેની પાછળ દિવસ નથી ઊભો અને એવો દિવસ જ ઊગ્યો નથી જે રાતમાં આથમતો નથી. કાળચક્ર અને ઋતુચક્ર સતત ફરતાં જ રહે છે. पुनरपि जननम, पुनरपि मरणम, पुनरपि जननी जठरे शयनम। (શંકરાચાર્ય). જે બિંદુથી શરૂ કરીએ છીએ, ફરી એજ બિંદુએ આવીને ઊભા રહેવાનું છે. ‘આ સમય પણ ચાલ્યો જશે’ એટલું સમજી લેવાય તો સુખમાં છકી ન જવાય ને દુઃખમાં મરી ન જવાય. પ્રસ્તુત રચના પણ કાળચક્રના પરિવર્તનના આ નિયમને જ સરળ-સહજ-સાધ્ય ભાષામાં રજૂ કરે છે.
એડિથ મટિલ્ડા થોમસ. ૧૨-૦૮-૧૮૫૪ના રોજ અમેરિકાના ઓહાયો ખાતે જન્મ. બાળપણથી જ કળા તરફ ઝૂકાવ. કાકાએ કીટ્સનો સંગ્રહ ભેટ આપ્યો, જેનાથી તેઓ ખાસ્સા પ્રભાવિત રહ્યાં. આ ઉપરાંત અમેરિકન લેખક હેલન હન્ટ જેક્સનનો પોતાના સર્જન પર પ્રભાવ હોવાનું એડિથે પોતે સ્વીકાર્યું છે. ૧૮૮૭ પછી ન્યૂયૉર્કમાં જ રહ્યાં અને ૧૩-૦૯-૧૯૨૫ના રોજ દેહાવસાન. ન્યૂયૉર્ક ટાઇમ્સે એમને ‘સૌથી વધુ નામાંકિત અમેરિકન કવિઓમાંના એક’ લેખાવ્યાં.

કવિતા ઉપરાંત નિબંધો અને વિવેચનગ્રંથો પણ એમણે આપ્યાં. છંદો પરની પકડ અને અમલ તથા અનવરત ગ્રીક ઉલ્લેખોની દૃષ્ટિએ સાચા અર્થમાં શાસ્ત્રીય કવિ હતાં. શાસ્ત્રીય કવિતાથી માંડીને હળવાંફૂલ ગીતો સુધી એમની સીમા વિસ્તરી હતી. આધુનિકીકરણ અને શહેરીકરણની ઉત્તેજનાને સાચા અર્થમાં વાચા આપનાર કદાચ તેઓ પ્રથમ કવયિત્રી હતાં. કેનેડિયને કવિ ચાર્લ્સ રૉબર્ટ્સે એડિથ માટે કહ્યું હતું: ‘આ ગીતો એટલા બધા રક્તરંગી છે, વિચારો અને કલ્પનાઓમાં એટલા બધા સઘન, એટલા બધા પરિપૂર્ણપણે વ્યક્તિગત અને વચનમાં મુક્ત છે કે એના લેખકનું નામ ક્યારનું દીવા જેવું સુસ્પષ્ટ બની ગયું છે…’ એન લિન્ચ બોટા નામની કવયિત્રી ‘ટુ મિસ એડિથ એમ. થોમસ’ કવિતામાં લખે છે કે, ‘એડિથ, તારો પાંખાળો ઘોડો એક તારો બની ગયો છે ને તને દૂરસુદૂરના સ્વર્ગમાં લઈ જાય છે. આ તારાઓ અથવા નાયકો અને દેવતાઓથી ભરેલું પ્રાચીન ગ્રીસ તારું ઘર છે, જ્યાં તું સૉનેટ અને ગીતો સાથે પ્રણયચેષ્ટા કરે છે; મા પ્રકૃતિ એનો પાસવર્ડ કે ચાવી અમારામાંથી શ્રેષ્ઠતમને પણ આપતી નથી પણ તારી પાસે એ બંને છે, અને તારી ફુરસદે તું એના સૌથી રહસ્યમયી ઠેકાણાઓ, અને સૌથી બહુમૂલ્ય ખજાના મેળવી શકે છે. અમારા ટટ્ટુઓ તો દોડ માટે બન્યાં જ નથી અને શ્રેષ્ઠ કોશિશો બાદ પણ તારી સાથે તાલમેલ રાખી શકે એમ જ નથી.’ આ કવિતા પરથી એડિથનું સ્થાન અને સન્માન બંને સમજી શકાય છે.

કવિતાનું શીર્ષક છે, “ટૉકિંગ ઇન ધેર સ્લીપ” પરથી સમજી શકાય છે કે આ નિદ્રાલાપ યાને સૉમ્નિલોકી (Somniloquy)ની વાત છે. સૉમ્નિલોકી ‘પેરાસોમ્નિયા’ (ઊંઘમાં થતા અકુદરતી વર્તનની બિમારીઓ)નો એક પ્રકાર છે. ઊંઘમાં બોલવું કે ચાલવું એ ઘણી સહજ વાત છે. આંકડાઓ કહે છે કે દુનિયામાં પચાસ ટકા બાળકો અને ચાર ટકા વયસ્કો ઊંઘમાં બોલતા હોય છે. ઊંઘમાં માણસ અસ્પષ્ટ બબડાટથી લઈને સુસ્પષ્ટ ઘાંટા પણ પાડી શકે છે. ક્યારેક દિવસ દરમિયાન ઘટેલ આખેઆખો ઘટનાક્રમ માણસ ઊંઘમાં બોલતો હોય છે, જેમાં ઊંઘમાં બોલનારને તો આપણે સાંભળી શકીએ છીએ પણ સામાના પાત્રોના સંવાદ અને સ્થળ વિશે આપણે કલ્પના જ કરવાની રહે. નવાઈ લાગે પણ નિદ્રાલાપ બહુધા વારસાગત હોય છે. શેક્સપિઅરના ‘મેક્બેથ’ નાટકમાં લેડી મેકબેથનું મીણબત્તી લઈને ઊંઘમાં ચાલવાનું અને બોલવાનું દૃશ્ય બહુખ્યાત છે. વૉલ્ટ વ્હિટમેને ‘ધ સ્લીપટૉકર’ નામની નવલકથા પણ લખી હતી. લૉર્ડ બાયરન પણ ‘પરિસિનિયા’માં નિદ્રાલાપનો ઉલ્લેખ કરે છે જ્યારે હ્યુગો પથારીમાં બીજાની સ્ત્રીને ભોગવવાની લાલચથી જાય છે અને એ સ્ત્રી દિવસે જે નામ બોલવાની હિંમત ન કરી શકાય એ નામ ઉચ્ચારે છે. (And mutters she in her unrest, a name she dare not breathe by day)

૧૮૮૫માં એડિથે આ ગીત લખ્યું ત્યારે તેઓ નામાંકિત કવયિત્રી થઈ ચૂક્યાં હતાં. શાળાના પાઠ્યપુસ્તકોમાં આવતી આ કવિતા પેઢી દર પેઢી હજારો-લાખો વિદ્યાર્થીઓએ મોઢે કરી હશે. ખૂબ જ સરળ ભાષામાં -લગભગ બાળકાવ્ય લાગે એટલી સરળ ભાષામાં કામ કરવાનું જોખમ એડિથે લીધું છે. કવિતામાં સજીવારોપણ કે વ્યક્તિકરણ (પર્સોનિફિકેશન)ના પ્રયોગ એ ચોથું પરિમાણ છે. નિર્જીવ વસ્તુના વિચારો રજૂ કરીને કવિ નવી જ દિશામાં ભાવકને લઈ જવાનો પ્રયાસ આ દ્વારા કરે છે. અહીં પણ એડિથે સજીવારોપણ વડે સામાન્ય લાગતી બાબતને અસામાન્ય બનાવીને કાવ્યતત્ત્વ જન્માવ્યું છે. ગુજરાતીમાં જેમ કટાવ છંદ પ્રયોજાય છે એમ કવયિત્રીએ અહીં આયંબ મીટર પ્રયોજ્યું છે. ત્રણ અંતરાની આ કવિતાના દરેક અંતરાની પ્રાસરચના AABCCB DEED પ્રકારની છે અને દરેક અંતરો એક જ સવાલની પુનરુક્તિથી શરુ થાય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે શિયાળાના કાતિલ દિવસોની અહીં વાત છે. હિમવર્ષાના કારણે સૃષ્ટિ સમગ્ર થીજી ગઈ છે. શીતનિદ્રા જ છે પણ મૃત્યુ જેવી લાગે છે. ‘વિન્ટર-સ્લીપ’ નામની એક કવિતામાં એડિથ કહે છે, ‘મને ખબર છે કે હું મરી જ રહી રહું છું, કેમકે હું વલખી રહી છું જિંદગી માટે- જિંદગી, મજબૂત જિંદગી, અને નથી કરી રહી વિચાર કબરનો, આ બર્ફિલા વરસમાં.’

સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. ઊંઘ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. ઊંઘ અને મૃત્યુની વચ્ચે માત્ર શ્વાસ જેટલો જ તફાવત રહેલો છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે.

સૌપ્રથમ સફરજનનું ઝાડ કવયિત્રીને પૂછે છે, ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ શિયાળા અને બરફના કારણે ઝાડ પર એકે પાંદડાં બચ્યાં નથી, ડાળો બરફના ભારથી ઝૂકી-તૂટી ગયેલી છે અને થડ પર શેવાળ બાઝી રહી છે. પણ આવતા મે મહિનાની વસંત માટેની કૂંપળ એના હૈયામાં ગોપવીને એ ઊભું છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. નાયિકાને જે ઝાડ મરણાસન્ન લાગે છે ને કદાચ એણે જેની દયા ખાધી હશે એ ઝાડને એના મૂળ પાસે પથરાયેલું ઘાસ મરણાસન્ન લાગે છે ને એ એની દયા ખાય છે. ઘાસ પણ તૂટી-ફૂટીને નિર્જીવ થઈ ગયેલું જ દેખાય છે. શિયાળામાં માથે ધાબળો ઓઢી લઈને આપણે જેમ બાહ્ય તાપમાનનો સફળ પ્રતિકાર કરીએ છીએ એમ જ આ સૂકું-કચડાયેલું ઘાસ પણ બરફનો ધાબળો માથે ઓઢીને પડ્યું છે ને બરફનો ધાબળો ઓઢીને જ ઋતુચક્રની વિષમતાનો સફળ પ્રતિકાર કરે છે. કલાપી યાદ આવે: ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ પણ અહીં એથી વિપરીત વાત કવિ કહે છે. અહીં જે સંહારક છે એનું જ શરણું લઈને ઘાસ મૃત્યુને હાથતાળી આપી રહ્યું છે. બરફ ઉષ્માનો ઉત્તમ અવાહક છે. તાજા પડેલા બરફના કણોમાં ૯૦-૯૫ ટકા હવા રહી જાય છે જેના કારણે અંદરની ઉષ્મા વાતાવરણમાં ભળીને લુપ્ત થઈ જતી નથી. પરિણામે ઘાસ કે બી જીવંત રહે છે.

વસંત જ્યારે નાચતી-ગાતી આવશે ત્યારે એ પુનઃફૂટવા માટે એકદમ તૈયાર જ બેઠું છે. સફરજનના ઝાડને એની દયા આવી હતી ને એને ડાળ અને મૂળ વિના પડેલા ફૂલની દયા આવે છે. ફૂલનો અવાજ મૃદુ છે. એ પણ ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ના પ્રશ્નથી જ કેફિયત આપવી આદરે છે. ફૂલ કહે છે કે એ ખર્યું ખરું પણ મર્યું નહોતું. પવન પરાગરજથી લઈને બી સુધી વહન કરે છે અને સૃષ્ટિચક્રને ગતિમંત રાખે છે. શિયાળામાં દિવસ તો ટૂંકા હોય છે પણ કલાક લાંબા હોય છે, કેમકે એ વીતતા જ અનુભવાતા નથી. આમેય પ્રતીક્ષા સમયને દ્વિગુણિત જ કરતી હોય છે. ધૈર્યપૂર્વક બીમાં સંતાઈ રહેલું ફૂલ વસંત આવતાં જ ફરી ખીલી ઊઠશે… અને જેણે જેણે દયા ખાધી છે એ બધા પર હસશે… આમ તો ફૂલોનું હાસ્ય નિર્દોષ હોય પણ અહીં પોતાના પર દયા ખાનારા પર વસંતમાં ખીલી ઊઠતાં સેંકડો ફૂલો જાણે કે મરણ ઉપર જેવનની જીતનું જશ્ન ન મનાવતાં હોય એમ અટ્ટહાસ્ય વેરે છે… એક હેસિડિક (યહૂદી) નેતાની પ્રાર્થના યાદ આવે: ‘મારે મરવું નથી, હું જ્યાં સુધી જીવું છું.’ મકરંદ દવે પણ યાદ આવે:

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

પુનરુક્તિ આ કવિતાની જાન છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે. એક જ વાત અલગ અલગ મોઢેથી ફરી-ફરી કહીને કવયિત્રી ‘ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી)ની નીચે ગાઢી લીટી કરે છે. અને કહે છે, દેવહૂમા (ફિનિક્સ) પંખીની જેમ રાખમાંથી ફરી બેઠાં થવાનો આ વિશ્વાસ જ જિંદગી છે. એક કવિતામાં એ કહે છે, ‘મોત સામે હું નમતું જોખું છું, પણ શંકા સામે નહીં, જે પહેલાં જ મારી નાખે છે!’ શંકા મૃત્યુ પહેલાં જ મારી નાખે છે પણ શ્રદ્ધા મૃત્યુના કાંઠેથી પણ પરત લાવી શકે છે. સાવિત્રીની શ્રદ્ધા જ સત્યવાનને યમપાશમાંથી ફરી લાવી શકે.

#GivingTuesday


Join Our Movement to Preserve Musical and Literacy #GivingTuesday.

#GivingTuesday is a movement of nonprofit organizations, local businesses and philanthropists in the United States come together to promote and participate in giving to support better, vibrant and strong communities, throughout the country, beginning right here, in California.

You’re going to hear and read a lot from our fellow nonprofits in the community, but it’s our hope that you can build just a few minutes into your day to support Tahuko Foundation.

Because of you we are able to do things like, running a pioneering gujarati music website for 11+ Years, and hosting various artists for live events in Bay Area, California.

Our work together—not just for one day—is just getting started.

Give Now
(Click above to go to Tahuko Foundation Website and Donate)

ગ્લૉબલ કવિતા : ૫૨ : તૂટ, તૂટ, તૂટ – આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન

Break, Break, Break

Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.

O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!

And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!

Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.

– Alfred, Lord Tennyson

તૂટ, તૂટ, તૂટ

તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.

ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.

અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!

તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.

– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)

અંગત દુઃખના ચશ્માંમાંથી દેખાતો દુનિયાનો નજારો…

પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. આપણા માથે વીજળી કેમ ન ભાંગી પડી હોય, પાડોશમાં છોકરાઓ રમવાનું છોડી દેતાં નથી. કહ્યું છે ને-

कौन रोता है किसी और की खातिर ऎ दोस्त!
सब को अपनी ही किसी बात पे रोना आया। (સાહિર લુધિયાનવી)

આવી જ, નિકટતમ સ્વજનને ખોઈ બેસવાની પીડા અને એનાથી અજાણ દુનિયાની નિરવરોધ ગતિવિધિને સામસામે બેસાડીને શોકની લાગણીને વધુ બળકટ બનાવતું આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસનનું ગીત અહીં પ્રસ્તુત છે.

૧૮૩૦થી ૧૮૯૦ સુધીના સાંઠ વર્ષનો ગાળો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ તરીકે જાણીતો છે. આ યુગમાં સૌથી વધુ જાણીતી ત્રણ જીવિત વ્યક્તિઓમાં પહેલાં, ખુદ રાણી વિક્ટોરિયા; બીજા, બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ ચાર-ચાર ટર્મ સુધી અને સૌથી મોટી ઊંમરે વડાપ્રધાન બનનાર અને કદાચ બ્રિટિશ-ઇતિહાસના સૌથી મહાન વડાપ્રધાન ગણાયેલા વિલિયમ ગ્લેડસ્ટૉન; અને ત્રીજા, આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન-એક કવિ! અંગ્રેજીમાં લખનાર બીજા કોઈ કવિને જીવતેજીવત આવી નામના નસીબ થઈ નથી. આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન. જન્મ ૦૬-૦૮-૧૮૦૯ના રોજ. પિતા દ્વારા અપમાનિત અને જબરદસ્તી પાદરી બનાવાયેલ જ્યૉર્જ ક્લેટન ટેનિસનના બાર સંતાનોમાંના એક. પિતાને દારુ અને ડ્રગ્સની લત હતી. બાર સંતાનોમાંના લગભગ તમામ ઓછામાં ઓછી એકવાર ગંભીર માનસિક બિમારીના શિકાર બન્યા હતા. પરિણામે એમની કવિતાઓમાં પાગલપન, ધનલાલસા, કૃપણતા, સગવડિયા લગ્ન, સંબંધોની વિષમતા અને ખૂનામરકી અવારનવાર જોવા મળે છે. કદાચ પારિવારિક દુઃખી વાતાવરણના ઈલાજરૂપે જ ટેનિસને કવિતા લખવી શરુ કરી હતી. શાળામાં ગોઠ્યું નહીં. કેમ્બ્રિજ ગયા પણ ડિગ્રી લીધા વિના કોલેજ છોડી દીધી. વર્ડ્સવર્થ પછી ૧૮૫૦માં એ રાજકવિ નિમાયા. ૧૮૮૪માં ઉમરાવપદ પામ્યા. લૉર્ડ ગણાયા. ૦૬-૧૦-૧૮૯૨ના રોજ ૮૩ વર્ષની જૈફ વયે પરિવારના સભ્યોની હાજરીમાં એ મૃત્યુ પામ્યા ત્યારે હાથમાં શેક્સપિઅરનું પુસ્તક હતું.

એક ગીતકવિ તરીકે ટેનિસનને લય અને ધ્વનિની જે નૈસર્ગિક બક્ષિસ સાંપડી હતી એ કદાચ તમામ અંગ્રેજી ગીતકવિઓથી ચડિયાતી ગણી શકાય. ગાલિબની જેમ એ કવિતા મનમાં જ લખતા, યાદ રાખતા અને પાછળથી કાગળ પર ઉતારતા. એ લય અને છંદના બેતાજ બાદશાહ હતા. ધ્વનિનો ફોટોગ્રાફ કવિતામાં ઝીલી શકવાની કાબેલિયત એમનામાં હતી જે બહુ ઓછામાં જોવા મળે છે. પણ ટેનિસન વિક્ટોરિયન યુગની દંભી નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ હતા. એમનો અંતરાત્મા કુદરતી અને ગામઠી સૌંદર્ય તરફ એમને ખેંચતો હતો, પણ ઇંગ્લેન્ડના રાજકવિ તરીકે ઝડપભેર ફેલાઈ રહેલા શહેરીકરણ, આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણની ઉજવણી તરફની નૈતિક ફરજ – આ બેની વચ્ચે ક્યારેક કવિતા રહેંસાઈ પણ જતી.

૧૨ વર્ષની ઉંમરે તો એમણે ૬૦૦૦ પંક્તિનું મહાકાવ્ય લખી કાઢ્યું હતું. પૂરા ૧૮ વર્ષનાય નહોતા ને પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. આ કાવ્યસંગ્રહ આર્થર હેન્રી હેલમની આગેવાનીમાં ચાલતી ડઝનેક સાહિત્યકારોની ‘એપોસલ્સ’ (Apostles) ક્લબમાં એમને જોડાવા માટેનું નિમિત્ત બન્યો. હેલમ સાથે પરમ મિત્રતા થઈ. કૌટુંબિક કલહથી દૂર પહેલીવાર ટેનિસનને સાચા સ્નેહનો પરિચય થયો. હેલમ ટેનિસનની બહેન એમિલીના પ્રેમમાં પડ્યો, સગાઈ પણ થઈ પણ લગ્ન થાય એ પહેલાં જન્મજાત ખામીના કારણે મગજમાં રક્તસ્ત્રાવના કારણે હેલમનું નિધન થયું. ટેનિસનને લાગ્યું કે એની જિંદગી તહસનહસ થઈ ગઈ છે અને એ મરવા માંગતા હતા. દસ વરસ સુધી એમણે કોઈ કવિતા પણ પ્રગટ ન કરી. હેલમની યાદમાં કવિતા ઉત્તમને પામી. પોતાના એક સંતાનનું નામ પણ એમણે હેલમ રાખ્યું હતું. પ્રસ્તુત રચના પણ હેલમની યાદમાં જ લખાયેલ ઉત્તમ શોકગીત છે.

રચનાની દૃષ્ટિએ ગીત ચાર અંતરાનું બનેલું છે. અંગ્રેજીમાં સમાન્ય રીતે વપરાતા આયંબિક (લગા) મીટરના સ્થાને અહીં એનાપેસ્ટિક (લલગા) મીટર પ્રયોજાયું છે. વચ્ચે-વચ્ચે મોનોસિલેબિક ફૂટ (એકવર્ણીય પાદ) જેમકે તૂટ, તૂટ, તૂટ (ગા/ગા/ગા) અને વજનદાર અને ધીમી ગતિવાળા સ્પોન્ડી (ગાગા) વપરાયા છે. છંદની આ અનિયમિતતા સમુદ્રના મોજાંની અનિયત ગતિ સાથે સુસંબદ્ધ જણાય છે. (સમુદ્રના મોજાંની આવજાની ધારી અસર ઉપજાવવા કાંતે ‘ઝૂલણા’ છંદમાં લખેલું ‘સાગર અને શશી’ કાવ્ય અહીં યાદ આવ્યા વિના નહીં રહે) ABCB મુજબની પ્રાસરચના અને અનિયમિત લયગતિના કારણે એન્ગ્લો-સેક્સન યુગની જૂની અંગ્રેજી કવિતામાંથી પસાર થતા હોવાની અનુભૂતિ પણ થાય છે. ગીતની શરૂઆત ‘Break, break, break’થી થાય છે. ત્રણ ગુરુ વર્ણ એકસાથે પ્રયોજાયા હોવાથી ગીતનો ઊઠાવ ગતિ અને જોશસભર બને છે. શોકગ્રસ્ત કવિનું હૈયાના તૂટવાની સાથે અને પથ્થર પર અથડાઈને તૂટતા મોજાંના ધ્વનિની સાથે આ ‘તૂટ, તૂટ, તૂટ’ની સીધી આદેશાત્મક વાક્યરચના ધારી અસર નિપજાવવામાં સફળ રહે છે એમ કાવ્યમાંથી પસાર થતાં સહેજે સમજાય છે.

ઉત્તમોત્તમ ગીતના ઉદાહરણ તરીકે ટાંકી શકાય એવું છે આ ગીત. સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે. સ્વજનની યાદમાં લખાયેલા આવા ઘણા અમર શોકગીતો આપણી વિરાસતનો એક હિસ્સો છે. ચૌદમી સદીના કો’ક અજ્ઞાત કવિનું ‘Pearl’, મિલ્ટનનું ‘Lycidas’, મેથ્યુ આર્નોલ્ડના ‘ Thyrsis’ અને ‘The Scholar Gypsy’, બેન જોન્સનનું ‘My First Sonne’, શેલીનું ‘Adonais’, કેથેરિન ફિલિપ્સનું ‘Epitath’, તથા ઑડનનું ‘Stop All The Clocks’ કેટલાક દૃષ્ટાંત છે. ખુદ ટેનિસને હેલમની યાદમાં ઘણાં કાવ્યો રચ્યાં. જેમાંની એક દીર્ઘ કવિતા ‘ In Memorium’ પણ ઉત્તમ શોકગીત ગણાય છે જેમાં ટેનિસને પ્રયોજેલ દુર્લભ છંદ ‘ઇન મેમોરિયમ મીટર’ તરીકે ઓળખાય છે.

કવિ દરિયાકિનારે ઊભા છે. દરિયાની વિશાળતા કવિના દુઃખની વિશદતાની દ્યોતક છે. પણ આ દુઃખનો કિનારો છે, એ રેતાળ નહીં, ખડકાળ છે. અહીં મોજાં તો આવે છે પણ માથાં પટકી-પટકીને ચૂરેચૂરા થઈ જાય છે. આ ખડકોમાં ઉષ્મા નથી બચી, ઠંડાગાર છે. ખડકોનો ભૂખરો રંગ પણ બેરંગ જિંદગીનું પ્રતીક છે. દરિયા પાસે તો દુઃખમાં પથ્થરો પર માથાં પટકી-પટકીને આક્રંદ કરવાની સગવડ છે પણ કવિ નિઃશબ્દ છે. એ માત્ર ઇચ્છા જ કરી શકે છે કે કાશ! પોતાના માનસપટલ પર જે વિચારો ઊઠી રહ્યા છે એને એની જીભ વાચા આપી શકે.

બીજા અંતરામાં દુનિયાની બેખબરી સાથે અંગત દુઃખને juxtapose કરીને કવિ સંવેદનાના વિરોધાભાસને ધાર કાઢે છે. ખૂબ જ ટૂંકા લસરકા મારીને કવિ એકદમ સજીવ ચિત્રો તાદૃશ કરી આપે છે. આ ટેનિસનની કળા છે. દરિયાકિનારે એક તરફ કવિની નજરે માછીમારના બાળકો રમતાં નજરે ચડે છે. કવિની પીડાથી અજાણ છોકરો બૂમ પાડીને પોતાની બહેન સાથે રમી રહ્યો છે. કવિના મૌનની સામે આ બૂમનો અને કવિની સ્થિરતાની સાથે એમની રમતનો વિરોધાભાસ વાતને વધુ ઊંડી બનાવે છે. બીજું ચિત્ર ખાડીમાં હોડીમાં બેસીને ગાઈ રહેલા ખારવાનું છે. અહીં ફરીથી એ જ ગતિ અને ગીત સાથેનો વિરોધાભાસ વધુ બળવત્તર બનતો અનુભવાય છે. ત્રીજા અંતરાને કવિ પોતાના અંતરની જેમ વચ્ચેથી ચીરીને બે ભાગ કરી દે છે. પહેલી બે પંક્તિમાં ટેકરીઓની નીચે બારામાં જઈ રહેલાં આલિશાન જહાજો નિર્દેશાયા છે. કવિતાની સાર્થકતા એ છે કે એમાં એકપણ શબ્દ વધારાનો ન હોય. ટેનિસને આ કવિતામાં જે કરકસર કરી છે એ અપ્રતિમ છે. જહાજોની વિશાળતા કવિને પડેલી ખોટની વિશાળતાનો પડઘો પાડતી હોય એમ અનુભવાય છે. અને બંદરને સ્વર્ગની ઉપમા આપીને કવિ જિંદગીમાં આવી પડેલા વેદનાસિક્ત નર્કને બખૂબી ઉપસાવી આપે છે. એક વાત સાફ થાય છે કે કોઈના જવાથી સૃષ્ટિચક્ર કદી પણ અને જરી પણ અટકવાનું નથી. વિશાળ સાગરમાં આપણે એક બિંદુ માત્ર છીએ. બિંદુના હોવા-ન હોવાથી સાગરને કશો ફરક પડનાર નથી. (સચોટ ચિત્ર રજૂ કરતા આવા ચિત્રકાવ્યો ઇડિલિક કે પેસ્ટોરલ પોએમ્સ તરીકે પણ ઓળખાય છે.)

ત્રીજા અંતરાના બીજા ભાગમાં કાવ્યારંભે જે ભૂખરી ઠંડીગાર પીડા ધૂંધળી અનુભવાય છે, એ સાફ થાય છે. ‘ઓ સાગર’, ‘ઓહ, સારું છે’ પરથી કવિ ‘અરે, પરંતુ’ સુધી આપણને લઈ આવે છે અને જેનો સ્પર્શ હજી રહી ગયો છે એ હાથ અને જેનો ધ્વનિ હજી કાનોમાં પડઘાય છે એ અવાજની ‘કાયમી’ ગેરહાજરીથી અવગત કરે છે. અને જે ઘડીએ આપણે કવિના શોકમાં સંમિલિત થઈએ છીએ એ જ ઘડીએ કવિ ફરી એકવાર ‘તૂટ, તૂટ, તૂટ’ના ઝડપી પુનરાવર્તન સાથે રહીસહી આશાને કરાડો પર અફાળી-પછાડીને ચકનાચૂર કરી દે છે. દરિયાકિનારે ઊભેલો માણસ પ્રતીક્ષાનું પ્રતીક છે પણ આવી-આવીને પરત ફરી જતાં મોજાં અને ક્ષિતિજ પર આથમી જતો સૂરજ એ વાત ઇંગિત કરે છે કે જે સમય અને માણસ ચાલ્યા ગયા છે એ કદી પાછા ફરતા નથી… સાંજના સમયે દરિયાકિનારે ઊભા રહીને મોજાંની આવ-જા જોતાં હોઈએ ત્યારે આપણા હૈયામાં સહેજે અકથ્ય ગ્લાનિ અનુભવાતી હોય છે. મેથ્યુ આર્નોલ્ડની ‘ડોવર બીચ’ કવિતામાં મોજાંની આવ-જા સાથે ફંગોળાતા પથ્થરોની કર્કશ ગર્જનામાં સંભળાતા ‘ઉદાસીના શાશ્વત સૂર’ (The eternal note of sadness) અહીં સહેજે સાંભરે છે.

‘દુઃખદર્દ લઈ જાય એ મૃત્યુ મીઠું’ એમ એક જગ્યાએ ટેનિસન કહે છે પણ આ મૃત્યુ તો કવિની સકળ સૂધબુધ લઈ જાય એવું છે. ‘ઇન મેમોરિયમ’માં એ હેલમ માટે જ કહે છે કે, ‘ઈશ્વરની આંગળી એને સ્પર્શી અને એ સૂઈ ગયો.’ પણ અહીં હૃદય આવું સમાધાન સ્વીકારતું નથી. સાંજ થઈ ચૂકી છે, દિવસ મરી પરવાર્યો છે પણ હજી દિવસની મૃદુ કૃપા સંધ્યાની લાલિમા બનીને માથે ઉતરી રહેલા અનિવાર્ય અંધારા સામે ઝઝૂમી રહી છે. (દિવસના મૃત્યુની વાતથી કિટ્સના ‘ઓડ ટુ ઓટમ’ના અંતે આવતો ‘સોફ્ટ-ડાઇંગ ડે’ જરૂર યાદ આવે. જોકે ટેનિસન મૃત્યુ પામતા દિવસ સાથે ‘કૃપા’ જોડીને સમયને વધુ માનવીય બનાવે છે.) આવતી કાલે જે ઊગશે એ દિવસ અને એ સાંજ નવા જ હશે, એ આ દિવસ કે આ સાંજ કદી પણ નહીં જ હોય. જે વહી ગયું, એ વહી ગયું. માત્ર બાવીસ વર્ષની કાચી વયે કવિમિત્ર આર્થર હેલમ આથમી ગયો… હવે એની મિત્રતાની કૃપા ફરી કદી વરસવાની નથી. આ જિંદગી છે. આ જ જિંદગીની વાસ્તવિકતા છે.

ટેનિસન જાણે છે કે, ‘કદી નહીં, ઓહ ! કદી નહીં, મરશે કશું પણ; ઝરણું વહેશે, પવન ફૂંકાશે, વાદળ દોડશે, હૃદય ધબકશે, કશું નહીં મરે’ હેલમના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!

ગ્લૉબલ કવિતા : ૫૧ : કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

કવિ, પ્રેમી, બર્ડવૉચર

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

हम इंतिज़ार करेंगे तेरा क़यामत तक़….

કવિતા એટલે કાંદો એમ હું કહું તો તમને હાર્ટ એટેક તો નહીં આવે ને? કાંદાના પડ ઉખેડી જોજો. એક પડ ઉખેડો ને બીજું નીકળે, બીજું ઉખેડો ને ત્રીજું. એમ કરતાં કરતાં છેલ્લે હાથમાં કશું જ નહીં બચે. એક કવિતા હાથમાં લો. સંવેદનાના એક સ્તરે એને ચકાસો ત્યાં તો બીજું નીકળશે… એક અર્થ વિચારો ત્યાં બીજો સમજાશે. એમ એક પછી એક રહસ્યોના પડળ ખોલતા જાવ અને અંતે નાકમાં જે તીવ્ર ગંધ, આંખમાં જે આંસુ અને હાથમાં જે શૂન્ય બચી જાય એ જ છે કવિતા. કવિતાની વિભાવના સમજવાની સાથોસાથ એ ક્યાંથી આવે છે એ સમજવા પણ સદીઓથી કોશિશ ચાલુ જ છે પણ આકાશનો છેડો મળે તો આ શોધનો છેડો મળે. મુકુલ ચોક્સી કહે છે:

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

જ્યાં સુધી લોહી ન વહે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી એ કવિતાની સર્વપ્રથમ અને કદાચ એકમાત્ર શરત છે. એક ડચ કહેવત છે: ‘મુઠ્ઠીભર ધીરજ આઠ ગેલનભર મગજથી વધુ મૂલ્યવાન છે.’ નિસીમ ઇઝેકિલ એમની કવિતામાં ધીરજના ફળ મીઠાંની જ વાત લઈને આવ્યા છે.

નિસીમ ઇઝેકિલ. મુંબઈના મધ્યમવર્ગના મરાઠીભાષી યહૂદી પરિવાર (બેન ઇઝરાઈલ)માં ૧૬-૧૨-૧૯૨૪ના રોજ જન્મ. પિતા અંગ્રેજી શાળાના આચાર્ય અને માતા બીજી શાળામાં મરાઠીશિક્ષક. મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું અને બોમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. આઝાદી બાદ તરત સાડા ત્રણ વર્ષ લંડન જઈ ફિલસૂફી ભણવાની સાથોસાથ થિએટર, સિનેમા અને કળામાં ડૂબી ગયા. ૧૯૫૨માં ભારત પરત ફર્યા, એ જ વરસે એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને એજ વરસે ડેઇઝી જેકબ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અંગ્રેજી ભાષા નહીં, રક્તસંસ્કાર હોવાથી અંગ્રેજી સિવાયની કોઈ ભાષા કલમને અડી જ નહીં. ભારતીય કવિના અંગ્રેજી કાવ્યો લોકોને પચતા બહુ વાર લાગી. ઇઝરાઈલના જન્મ પછી પણ અન્ય યહૂદીઓની જેમ ભારત છોડી જવાના બદલે તેઓ ભારતમાં જ રહ્યા. ભારતસરકાર તરફથી પદ્મશ્રી એનાયત કરાયો. સાહિત્ય અકાદમીએ પણ પુરસ્કારથી નવાજ્યા. જિંદગીના આખરી વર્ષો અલ્ઝાઇમરની બિમારીગ્રસ્ત હોવાના કારણે કવિતા પણ લકવાગ્રસ્ત થઈ ગઈ. મુંબઈ ખાતે જ ૦૬-૦૧-૨૦૦૪ના રોજ નિધન.

તેઓ ભાષાશિક્ષક, નાટ્યકાર, સંપાદક, કળા-વિવેચક અને અભિનેતા પણ હતા. સ્વાતંત્ર્યોત્તર ભારતીય અંગ્રેજી આધુનિક-કવિતાના પિતા કહેવાયા. પારંપારિક ભારતીય અંગ્રેજી સાહિત્યને એમણે આધુનિકતાનો ઓપ આપ્યો અને આજપર્યંત અસ્પૃશ્ય ગણાતી રોજબરોજની વાતો, ક્ષુલ્લક પ્રસંગો, વિ.ને નવા જ પરિપ્રેક્ષ્યમાં, નવા જ દૃષ્ટિકોણ સાથે રજૂ કરી એમણે એમના સમકાલીનો અને અનુગામીઓ માટે નવી જ દિશા ખોલી આપી. નવી પેઢીના કવિઓને માર્ગદર્શન આપવામાં કદી પાછી પાની કરતા નહીં. એમની અંગત જિંદગીની બહુ ઓછી હકીકતો જાણીતી છે પણ એમની કવિતાઓમાં એમની જિંદગી અને કેફિયત સતત ડોકાતી જોવા મળે છે. અંગ્રેજી કવિતાને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં એમનો સિંહફાળો હતો એમ કહી શકાય. વંશવાદનો વસમો ઘૂંટડો પણ પીવા મળ્યો હોવા છતાં નિસીમની કવિતાઓના મૂળ ભારતમાં જ ખોડાયેલા જોવા મળે છે અને મુંબઈ તો એમનું ચેતનાકેન્દ્ર છે. ‘આઇલેન્ડ’માં એ લખે છે: ‘હું આ ટાપુ નહીં છોડી શકું, હું અહીંજ જન્મ્યો છું અને અહીંનો જ છું.’ એક એન્ય કવિતા ‘બેકવર્ડ, કેઝ્યુઅલી’માં તેઓ કહે છે: ‘મેં હવે મારી પ્રતિબદ્ધતાઓ નક્કી કરી દીધી છે./ આ એક છે: જ્યાં છું, ત્યાં જ રહેવું,/જેમ અન્યો પોતાની જાતને/કોઈક દૂરના અને પછાત સ્થળને સોંપી દે છે./મારું પછાત સ્થળ હું જ્યાં છું એ જ છે.’

પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. થિસિયસ કહે છે કે ‘પાગલ, પ્રેમી અને કવિ આ બધા વધુ પડતી કલ્પનાના શિકાર છે.’ શેક્સપિઅર આ ત્રણેયને એક જ શ્રેણીમાં મૂકે છે, તો નિસીમ ત્રણેયમાં બીજો લઘુત્તમ સામાન્ય અવયવ શોધી કાઢે છે: ધીરજ! દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે.

મૂળે આ કવિતા કવિતાની વિભાવનાની વાત કરે છે. કવિતા (પોએમ) શબ્દ ગ્રીક શબ્દ ‘પોએસિસ/પોએઇન’ (Poiesis/Poiein) પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ છે-‘બનાવવું’. પણ કવિતા બને છે કે જન્મે છે એ વિષય પણ શરૂથી ચર્ચાનો વિષય રહ્યો છે. યીટ્સે કહ્યું હતું કે સ્ત્રીઓની જેમ કવિઓએ પણ સુંદર બનવા માટે વેણ લેવું જોઈએ. પણ કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. વર્ડ્સવર્થ કહે છે: ‘કવિતા એ તાકતવર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે- જે શાંત ચિત્તમાં જમા થયેલ ભાવાવેશમાંથી જન્મે છે.’ શૂન્ય પાલનપુરી કવિતાને કળા અને કસબ બંને ગણે છે. માત્ર તમારી અંદર ભાવના જન્મે એ પૂરતું નથી એને કાગળ પર ક્યારે અને કેવી રીતે ઉતારવી એ આવડવુંય આવશ્યક છે. નિસીમ કહે છે સાચો કવિ શબ્દની રાહ જુએ છે. જોકે અન્ય એક કવિતામાં એ એમ પણ કહે છે, ‘હું નહોતો જાણતો કે શબ્દો દગો કરે છે.’ કવિતા સામાન્યરીતે અભિધા પર રમતાં રમતાં લક્ષણા અને વ્યંજના સુધી પહોંચી જતી જોવા મળે છે. કવિતા જેટલું બતાવે એથી વધુ છૂપાવીને ચાલતી હોય છે અને બે શબ્દો વચ્ચેનો અવકાશ કે બે પંક્તિઓ વચ્ચેનું લખાણ ઘણીવાર વધુ અગત્યનું હોય છે પણ નિસીમની આ કવિતા ‘हाथ कंगन को आरसी क्या?’ જેવી સ્વયંસ્પષ્ટ હોવાનું અનુભવાય છે.

આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. ‘ધીરજ તાકાત છે. ધીરજ ક્રિયાનો અભાવ નથી; પણ સાચા સમયની પ્રતીક્ષા છે’ (રોમન પાદરી ફુલ્ટન શીન) કાયમ ઉતાવળ જ કર્યે રાખવી અને લગરિક પણ સ્થિર-શાંતચિત્તે બેસવું નહીં એ સ્ત્રીઓ, પક્ષીઓમાં કે કવિતામાં રસ હોય એ લોકોનું લક્ષણ નથી. ઉત્તમ કવિઓ શબ્દોની પાછળ દોડતા નથી, તેઓ તો પ્રેરણાની રાહ જોતાં તપ કરે છે. કવિતા લખવાની ઇચ્છા થઈ એટલે કાગળ-કલમ હાથ ઝાલીને મચી પડવાની આ વાત નથી. જુલી હબર્ટ ‘લાઇફ ઇઝ પેશન્સ’ કવિતામાં લખે છે: ‘આપણને બધાને જે જોઈએ છે એ તરત મળતું નથી, અને પ્રતીક્ષા જરૂરી છે આપણને રસ્તો બતાવવા માટે’ કોઈ દુર્લભ ભીરુ, શરમાળ પક્ષીની પાંખ માત્રની નજીવી હલચલ પણ ચૂકવા ન માંગતો પક્ષીપ્રેમી મહેનત કરીને ટેકરી લાંઘે ને પછી ચુપચાપ એક જ જગ્યાએ હલનચલન કર્યા વિના પ્રેમથી બસ રાહ જોયા જ કરે, જોયા જ કરે અને પક્ષીને ભરોસો બેસે કે આ જગ્યાએ ખતરો નથી અથવા પક્ષીને ખતરો પણ વહાલો લાગે અને એ ધારી ગતિવિધિ કરે, કે પ્રેમીજન આજ રીતે સ્ત્રીની પ્રતીક્ષા કરે, ઉતાવળે એક પગલું પણ ન ભરે અને બસ પ્રેયસીને જાણવા દે કે આ માણસ એને ભરપૂર ચાહે છે, પ્રેમની ખાતરી થવા દે અને એ ક્ષણે સ્ત્રી ઝોખમ સ્વીકારીને પણ સંપૂર્ણ સમર્પિત થઈ જાય અથવા કવિ આ કાવ્યત્ત્વ-પ્રેરણા-સાચા શબ્દની પ્રતીક્ષાની પરીક્ષાને જ પોતાની નૈતિકતા ગણીને જ્યાં સુધી ક્રૌંચવધ જોઈને જે રીતે વાલ્મિકીનો આત્મા હચમચી ઊઠ્યો એમ આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો કવિતા પણ જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ સામે ચાલીને આવી મળશે. ‘સંબંધમાં કદી ધસી ન જવું. સાચો પ્રેમ વહેલો-મોડો પ્રકટ જરૂર થાય છે.’ (જેઇડન હેઇસ)

આ ધૈર્ય હકીકતમાં ઘણું બધું કહી જાય છે. તમારી ભીતરના દુર્લભતમ પક્ષીઓને પામવા હોય તો તમારે તમારા અસ્તિત્વની સુમશાન ગલીઓમાં થઈને પસાર થવું પડશે, તમારા અહેસાસની નિઃશબ્દ નદીના મૂળ સુધી પહોંચવું પડશે અને હૃદયના અંધારા તળના ઠે..ઠ દૂરના ને કાંટાળા-કષ્ટદાયક કાંઠે-કાંઠે થઈને પ્રવાસ કરવો પડશે. સ્ત્રીઓ તેજપુંજ સમાન છે, એમના કમનીય વળાંક તમારા જીવનને રોમાંચથી ભરી દે છે પણ આ તેજપુંજના કેન્દ્રમાં રહસ્યોનું અંધારું છે, સ્ત્રીઓનો ભેદ પામવો સહલ નથી પણ જો તમારી ભક્તિનું સોનું ધીરજની એરણ પર ખરું ઉતરશે તો સ્ત્રીઓ સામે ચાલીને પરત ફરશે અને તમારી થશે. અને આ ક્ષણે શબ્દ માટે વ્યગ્ર વ્યાકુળ કવિઓ માટે હોંશપ્રાપ્તિની ક્ષણ છે. કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.

આમ જોઈએ તો કવિ સાથે પ્રેમી અને બર્ડવૉચરની સરખામણી જ જરા અનૂઠી લાગે. છોકરીઓ પટાવવા નીકળેલા રોમિયો ‘બર્ડવૉચિંગ’ સંજ્ઞા પણ વાપરતા હોય છે. કવિને શું એ પણ અભિપ્રેત હશે? જે હોય તે, પણ આખી કવિતામાં આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

શેલીની ‘ટુ અ સ્કાયલાર્ક’માં વિચારના પ્રકાશમાં સંતાઈને વણબોલાવેલ ગીત ગાઈ વિશ્વને આશા અને ડર બંને માટે સમાન અનુકંપા અનુભવતું કરતો કવિ યાદ આવે. અભિનવગુપ્ત પણ अविघ्ना संवित् કહે છે. અભિનવગુપ્ત એમ પણ કહે છે કે आत्मैव स्थायी| અર્થાત્, ચૈતન્ય જ સાચું સ્થાયી તત્ત્વ છે. ધ્વન્યાલોક પર ટીકા કરતી વખતે રા.વિ.પાઠક કહે છે કે સ્થિતપ્રજ્ઞત્વ કે શાન્તનો અર્થ, હું લાગણી વિનાની નિષ્ક્રિયતા કે નિશ્ચેષ્ટતાની સ્થિતિ નથી કરતો. રવીન્દ્રનાથ ટાગોર શાકુન્તલનું રહસ્ય એ બતાવે છે કે પ્રેમ છેવટે તપથી શુદ્ધ થઈ શાન્ત રૂપ ગ્રહણ કરે છે. સાચો કવિ સાચી કવિતાની પ્રતીક્ષામાં આવી સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરે છે. એની સ્થિરતા એનું ખરું ચેતન છે. ‘સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક.’ (રાજેન્દ્ર શુક્લ) ‘રહે છે દૂર માંગે તો ને ન માંગ્યે દોડતા આવે’ એવા-

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર

કવિ મિત્ર વિવેક ટેલરનું એક વધુ બાળગીત આજે… એમની વેબસાઇટ પર બાળગીતોના શબ્દો શોધતા આ ટીપ્પ્પણી નજરે ચડી, જે અહીં કોપી પેસ્ટ જ કરું છું – એક મઝાનો સવાલ એણે ઉઠાવ્યો છે, જવાબ તમે આપશો?

“બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

સ્વર – વિવેક ટેલર

.

( …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

બાળદિન Special 2:સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર

આજનું આ ગીત – મારું અને મારી દિકરી આન્યાનું પણ એકદમ favorite!

(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.
સ્વર – વિવેક ટેલર

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર

ગ્લૉબલ કવિતાની આજે ગોલ્ડન જ્યુબિલી – પચાસમી કવિતા…

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે, કળા અમર છે..

ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ
અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે.

વિલિયમ શેક્સપિઅર. ભલે એ એમ કહી ગયા કે What is there in name?, પણ સાહિત્યમાં જરાય રસ ન હોય છતાં એના નામથી અજાણ્યો કોઈ શિક્ષિત ભાગ્યે જ જોવા મળશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અંગ્રેજી સાહિત્યકાર. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે. ૧૮ની ઊંમરે પોતાથી સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. એમની સમલૈંગિકતા પણ બહુચર્ચિત છે. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. શેક્સપિઅરના જીવનનો ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો –‘લોસ્ટ પિરિયડ’- પણ લગભગ અજાણ્યો છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની વિશે ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી આજે ઉપલબ્ધ છે. કહે છે કે આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા બની રહી અને શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ જીવિત ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો બનીને રહી ગઈ હોવાથી અને એના બધા સૉનેટ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં લખાયા હોવાથી આ સૉનેટ એમની જિંદગીની કથા કહે છે એમ માનવાની લાલચ થાય પણ સત્ય શું છે એ આપણે જાણતા નથી. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને આમે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટ એકતરફ સમય સાથેના અનિવાર્ય ક્ષય અને બીજીતરફ પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને સામસામે મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને હજારો નવા શબ્દો અને શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષાને ભેટ આપ્યા છે, જે સર્વસ્વીકૃતિ પામ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ નાટક મૌલિક નથી. મોટાભાગના નાટક જાણીતી-અજાણીતી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણથી રચેલા છે પણ કથાગૂંફનની નવીનતા, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અનનય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ- આ બધાથી રસાઈ રસાઈને બનેલા આ નાટક વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને લખાયા ત્યારથી આજદિનપર્યંત દુનિયામાં કોઈનીય સરખામણીમાં સૌથી વધારે વાર મંચિત થયા હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ પણ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

શેક્સપિઅરના સૉનેટવિશ્વમાં પગ મૂકતાં પહેલાં એમની શૈલી ન સમજીએ તો એમને પૂર્ણતઃ પામી જ ન શકાય. સૉનેટનો જન્મ ઇટાલીની ધરતી પર થયો પણ ઇંગ્લેન્ડમાં એને લઈ આવવાનું શ્રેય સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરેના ફાળે જાય છે. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ઠક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા રહેતી જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ સૉનેટ લઈ આવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લઈ આવ્યા જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગયાં. શેક્સપિઅરે આ અંગ્રેજી કાવ્યપ્રકારમાં હથોટી મેળવીને એવું ઊંડુ ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ તરીકે ઓળખાયું. (મિલ્ટનશાઈ અને સ્પેન્સરિઅન સૉનેટ પણ સૉનેટના અન્ય જાણીતા પ્રકાર છે)

ચૌદ પંક્તિના આ કાવ્યમાં શેક્સપિઅર ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મને એકમેકથી અલગ કરવાના બદલે બધાને એક જ સૂત્રે બાંધીને પ્રવાહિતા લાવ્યા. ત્રણેય ચતુષ્ક અને યુગ્મ ભાવજગતની દૃષ્ટિએ અલગ તારવી શકાય એ ખરું; ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ અને નિષ્કર્ષ પણ અદભુત રીતે આવે એ છતાંય સળંગસૂત્રિતા એ શેક્સપિઅરના સૉનેટનું મુખ્ય પાસુ છે. ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બધા સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer અને fair શબ્દ ત્રણવાર તો eternal બેવાર પ્રયોજાયા છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ બીજું એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મનો કોઈક મહત્ત્વનો શબ્દ સૉનેટના કોઈક શબ્દ સાથે અનુસંધાયેલ હોય છે, જેમકે પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આમ કરીને એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક એ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતનું મહત્ત્વ પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઉનાળો એક ઋતુ છે અને એ નાતે એનું નિશ્ચિત આયુષ્ય છે. શેકસપિઅર તારો રમણીય ઉનાળો એમ શબ્દપ્રયોગ કરી શક્ય હોત પણ એ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દઈને પોતાનો કક્કો ખરો કરે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના નાટ્યાત્મક સંવાદથી જ બનેલું હોય છે.

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે જ જે અહીં જોવા મળે છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

કાવ્યારંભ કવિ પ્રિયપાત્રને પ્રશ્ન પૂછીને કરે છે. કહે છે, ઉનાળાના દિવસ સાથે તને સરખાવું? ઇંગ્લેન્ડમાં રહ્યા હોય એ જ ઉનાળાના દિવસનું સૌંદર્ય અને મહત્ત્વ સમજી શકે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થાય છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. જોકે કવિ તરત જ જાહેર કરે છે કે ઉનાળા જેવી જાજરમાન માનવંતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. ઉનાળો ગમે એટલો આનંદપ્રદ કેમ ન હોય, નાજુક ફૂલોને નઠોર પવનોનો ડર રહે જ છે, વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? ઉનાળામાં સૂર્ય ક્યારેક અસહ્ય બની જાય એટલો તપે છે તો ક્યારેક સૂર્યની સુવર્ણ કાંતિ વાદળોનું ગ્રહણ લાગી જતા ઝાંખી પણ થઈ જાય છે. ભલભલા રૂપસ્વીઓના રૂપ સમયની સાથે ઓઝપાઈ જાય છે, ક્યારેક આકસ્મિકપણે જ તો ક્યારેક કુદરતના અનિવાર્ય કાળચક્રની અડફેટે ચડીને. કુદરત સતત પરિવર્તનશીલ છે અને સૃષ્ટિમાં કશું જ સ્થાયી નથી એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

પણ કવિને ખાતરી છે કે એના ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, એ શાશ્વત છે અને એનું રૂપ સમયના વાદળ કદી ઝાંખું નહીં પાડી શકશે. મૃત્યુ પણ ખોંખારો ખાઈને એવી શેખી નહીં જ મારી શકે કે લે જો, આ તારું પ્રિયજન પ્રેતાત્મા થઈને ભટકી રહ્યું છે, કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે.

અંતે શેક્સપિઅર એમની સૉનેટશૈલી મુજબ અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર નિચોવી આપે છે. કવિ વાસ્તવદર્શી છે. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ ખાતરી આપે છે કેમકે મનુષ્યના નાશ સાથે જ કળા પણ અર્થશેષ બની રહે છે. કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

સ્વર – સ્વરાંકન ઃ અમર ભટ્ટ

.

એકદમ નાનકડું, તો યે વાંચતા જ ગમી જાય એવું મજાનુ કાવ્ય…
વાત પણ કેવી સરસ.. મળી જો બે ઘડી – ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !

(આ સૃષ્ટિ છે ના સાંકડી ! Lake Tahoe, August 08)

* * * * *

પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ -નીનુ મઝુમદાર

આદરણીય કવિ, સ્વરકાર અને ગાયક શ્રી. નિનુ મઝુમદારને આજે એમના 102મા જન્મદિને આદરાંજલિ.વંદન


કવિના અક્ષરમાં લખેલી કવિતા

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ
મલય ત્યજી લાવે રવિ શીતળતાનો અંત;
અરુણે વાળ્યાં અશ્વને અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યાં ભાનુદેવ ભગવંત.

સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યાં મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો

પેલા ગેબનું રહસ્ય જઈ ખોલે, કોઈ બાકી છબીલી ડોલે,
કોઈ સંદેશો લઇ ધરતીનો, શોધે પ્રીતમ પ્રણય રંગભીનો
કોઈ રૂપેરી ફુમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઉડે અનંતનાં ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો

ફૂટી અંબરને લીલી પીળી પાંખો, ખૂલી મસ્તીની લાલ લાલ આંખો
અહી જામ્યો છે જંગી મેળો, એને બાંધે અખંડ દોર ભેળો
કોઈ ખેંચે ને કોઈ ઢીલ છોડે તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ ઉત્તરને કોઈ દખ્ખણની કોઈ પૂરવને કોઈ પરછમની
મળી કોઈ ચતુર કોઈ ભોળી પૂરા આભમાં છવાઈ રંગટોળી
દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિગંતમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો
—– નીનુ મઝુમદાર

—————————————————————

ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો
વસ્તર જાતા રાતનું
જાણે આભને ગાલે શરમભર્યો શેરડો એક છવાયો. – ઓલ્યા …

રમતા’તા થોડા તારલા થોડી બાકી રહેલી રાતે
ભમતા’તા નભ મોરલા થઇ વાદળિયાં પરભાતે
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા…

એકદંડિયા મ્હેલથી કો’કે કુવરીને છોડાવી
હજાર હાથે લડે બાણાસુ, કાળસેના તેડાવી
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો – ઓલ્યા …

કુદરતમાં નાહીને પશુપ્રાણીએ મંત્ર જગાવ્યો
ભૂલાઈ જાતા સામને પાછો પંખીઓએ ગવરાવ્યો
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો – ઓલ્યા ….
—– નીનુ મઝુમદાર

નેહા યાગ્નિકનો ખુબ આભાર.