ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *