અવળી વાતું – મકરંદ દવે

જેની વાટ દેખી દેખી નેન થાક્યાં
એને અંતર કેમ ઉચાટ ન જાગે ?
પાય પડ્યા જેને, વીનવ્યા આંસુથી
તોય ! એને કેમ કાંઈ ન લાગે?

અહીં, એને, જેને પાએ મારીને
દૂર ખસેડયાં કૂડાં અપમાને;
તોય લળી લળી પાય પખાળતા
એ જ ખસે ન કોઈ દિનમાને

આજ ‘ન જાવ, ન જાવ’ કહી કહી
રગરગી જેને કાળજુ રોકે ;
મુખ મરોડીને એ જ સિધાવતું
એક ઘડી નવ ફેર વિલોકે.

ને અહીં આતર ચાતક-નેણમાં
રોજ દીવા ઝગે આરતી કેરા;
કાજ એને અરે ! દેવ હૃદાના
કઠોર બની થાય કેમ નમેરા?

આંખ કરે તપ, હોઠ પરે જપ
થાય જેના, એ તો વળગું જાતું;
પાસ રહ્યું એની વાસના લેશ ન,
હાય !વિધાતાની અવળી વાતું
 – મકરંદ દવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *