ગ્લૉબલ કવિતા : ૧૪૮ : તારા પગ – પાબ્લો નેરુદા

Your Feet

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda
(English Trans.: Donald Walsh)

તારા પગ

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ તરફ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.

હું જાણું છું કે તેઓ તને સહારો આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારી ડિંટડીઓનો બેતરફો જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી પર અને
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

તારા પગ જ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે….

પ્રેમમાં પ્રાપ્તિનું મહત્ત્વ છે. પ્રાપ્તિ માટે મુસાફરી જરૂરી છે. મુસાફરી પ્રેમ વિના અસંભવ છે. કોઈને દિલથી ચાહતા હોઈએ તો એના માટે આપણે ન માત્ર ઘર-ગલી, સંબંધો, આખી દુનિયા ત્યજીને એને પ્રાપ્ત કરવા માટેની સફર પર નીકળી પડતાં હોઈએ છીએ. બે જણ એકમેકમાં ઓગળી જઈએ એ સિવાયની કોઈ લાગણી મનમાં બચતી નથી. સમર્પણ કરીને પ્રાપ્ત કરવા નીકળે એનું જ નામ પ્રેમ. પણ સંપૂર્ણ સમર્પણ અને સફરના અંતે સર્વાધિક સ્નેહીજન સાંપડે એ તબક્કે સ્નેહીજન જો આ આખી સફરનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું અને પ્રેમીજનના સ્વાર્પણની સાચી કિંમત આંકવાનું ચૂકી જાય તો? જો કે પ્રેમ સાચો હોય ત્યારે આવું જવલ્લે જ બનતું હોય છે. નેરુદાની પ્રસ્તુત રચનામાં પ્રેમીજન સદનસીબે પ્રિયતમાના સમર્પણ અને સફરનું સાચું મૂલ્યાંકન કરવાનું ચૂકતો નથી.

પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિએસર નેફ્ટાલી રેયેસ બાસોઆલ્ટો. થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી મોકલી હતી. ફિલ્મ જોતાં પહેલાં કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો વધુ પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. ‘મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?’ લખનાર નેરુદા વીસમી સદીના સૌથી પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકામાં ચિલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. પિતા રેલ્વે કર્મચારી હતા અને માતા શિક્ષિકા. જન્મના બે જ મહિનામાં માતાનું મૃત્યુ થયું. સાવકી માતા અને સાવકા ભાઈ-બહેન સાથે એ મોટા થયા. દસ વર્ષની વયે પ્રથમ કવિતા લખી અને પિતાની નામરજી હોવા છતાં ૧૩ વર્ષની વયે તો કવિ તરીકે જાણીતા થઈ ગયા. પિતાની નારાજગીથી બચવા કદાચ ૧૯૨૦માં એમણે ઉપનામ અપનાવ્યું, જે પાછળથી એમનું કાનૂની નામ બની ગયું. માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ સંગ્રહ પ્રગટ થયો. બીજા વર્ષે એમનો પ્રસિદ્ધ સંગ્રહ ‘ટ્વેન્ટી લવ પોએમ્સ એન્ડ અ ડેસ્પરેટ સૉન્ગ’ બહાર પડ્યો જે આજે લગભગ સો વર્ષ બાદ પણ બેસ્ટ-સેલર ગણાય છે. આ સંગ્રહમાંનો શૃંગારરસ ખાસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ધર્મે નાસ્તિક. છૂટાછેડા લીધા એ પહેલેથી જ પત્નીથી અલગ થઈ પોતાનાથી વીસ વર્ષ મોટી ડેલિયા ડેલ કેરિલ સાથે રહેતા. પાછળથી એની સાથે બીજાં લગ્ન. રાજકારણમાં શરૂથી અંત સુધી ભારત અને બર્મા સહિત ઘણા દેશોમાં ઊંચા વગદાર હોદ્દાઓ પર સતત સક્રિય રહ્યા. ચિલિઅન કમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર પણ રહ્યા. તત્કાલિન પ્રમુખે ૦૫-૦૨-૧૯૪૮ના રોજ એમના નામનું વૉરંટ જારી કરતાં મિત્રોએ તેરેક મહિનાઓ સુધી એમને ભૂગર્ભમાં સંતાડી રાખ્યા. ત્યાંથી ભાગીને આર્જેન્ટિના ગયા. પોતાના જેવા દેખાતા ગ્વાટેમાલાના અસ્ટુરિયસના પાસપૉર્ટ પર તેઓ યુરોપ ફર્યા. આ ત્રણ વર્ષમાં તેઓ ભારત સહિત અનેક દેશોમાં ફર્યા. આ દરમિયાન એમની કાળજી રાખવા માટે નિમાયેલ સ્ત્રી સાથે એમણે ત્રીજા લગ્ન કર્યા. ઈ.સ. ૧૯૫૦માં એમને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૫૩માં વતન પરત ફર્યા. એ પછી પણ સમસ્ત વિશ્વમાં ફરતા રહ્યા. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે અગસ્ટો પિનોચેટના હુકમાનુસાર ડોક્ટરે એમની હત્યા કરવા અજાણ્યો પદાર્થ ઇન્જેક્શનમાં આપ્યો હોવાની એમને શંકા હતી. હૉસ્પિટલ છોડ્યાના થોડા જ કલાકોમાં ૨૩-૦૯-૧૯૭૩ના રોજ ઇસ્લા નેગ્રા ખાતેના એમના ઘરમાં જ એમનું નિધન થયું. મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ ફેઇલ્યોર અપાયું હોવા છતાં ૨૦૧૫માં ચિલી સરકારના એક વિભાગે એમની હત્યા કરાઈ હોવાની શક્યતા ખૂબ જ વધારે હોવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. પિનોચેટે કર્ફ્યુ લાદી દીધો હોવા છતાં કવિની અંતિમયાત્રામાં લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

વિપુલ માત્રામાં વૈવિધ્યસભર સર્જન. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. વીસમી સદીના આ કવિની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાચાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, ‘પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, થેલાઓ કોલસાના ડબ્બાઓમાંના, પીપડાઓ, અને ટોપલીઓ, હાથઓ અને દાંડાઓ સુથારના ઓજારપેટી માટે. એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે જ એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના ‘ખરાબ સ્વાદ’થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.’

મૂળ સ્પેનિશ ભાષામાં ‘tus pies’ શીર્ષકથી લખાયેલી આ રચનાનો અંગ્રેજી અનુવાદ ડૉનાલ્ડ વૉલ્શે કર્યો છે. મૂળ રચનાને વાંચતા કે ઓનલાઇન સાંભળતા એમાં પ્રાસ કે એકસમાન લય જણાતા નથી એટલે એમ અનુમાન કરી શકાય કે આ મુક્તકાવ્ય-અછાંદસ છે. કવિએ ૨-૨-૩-૮-૫ પંક્તિસંખ્યાવાળા પાંચ અસમાન અંતરાઓ પ્રયોજ્યા છે, જે બબ્બે પંક્તિના બે પગ પર ઊભેલી ઉલટી માનવાકૃતિનો ભાસ પણ સર્જે છે. અંગ્રેજી અનુવાદમાં બીજા-ત્રીજા અંતરાનું કદાચ અર્થને અનુલક્ષીને એકીકરણ કરી દેવાયું છે. અનુવાદના અનુવાદમાં આમેય ઘણું બધું ચળાઈને-બદલાઈને રજૂ થતું હોય છે, એટલે કાવ્યસ્વરૂપની ચર્ચા અસ્થાને મૂકીને કાવ્ય તરફ જ પગ ઊપાડીએ.

‘તારા પગ’ શીર્ષક જેટલું સ્વયંસ્પષ્ટ છે, એટલું જ અચંબાજનક પણ છે. આંખ, હોઠ, ઝૂલ્ફ, ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ તો વિશ્વસાહિત્યમાં ચારેતરફ મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. પ્રભુના કે ગુરુના પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ હજી આપણે ત્યાં પ્રવર્તે છે. આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર ‘ચરણસ્પર્શ’ હજી સાવ ભૂંસાઈ નથી ગયો. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. લક્ષ્મણને સીતાનો ચહેરો યદ નહોતો, કેમકે એમણે એમના પગથી ઉપર દૃષ્ટિ જ ઊઠાવી નહોતી. પગની પાનીમાં તીર વાગતાં શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. વામન સ્વરૂપે વિષ્ણુએ ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. તો એ જ વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રીએ પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્ ભાગવત (સ્કન્ધ ૧૦, અધ્યાય ૩૧)માં બે શ્લોક (૭ તથા ૧૩) પણ પગ વિશે મળી આવે છે. એમાંથી એક જોઈએ:

प्रणतदेहिनां पापकर्शनम्
तृणचरानुगं श्रीनिकेतनम्।
फणिफणार्पितं ते पदाम्बुजं
कृण कुचेषु नः कृन्धि हृच्छयम्॥७॥

(આપનાં ચરણકમળ જે શરણાગત પ્રાણીઓના પાપોનો નાશ કરનાર છે, વાછરડાંઓની પાછળ જાય છે, લક્ષ્મી જેની સેવા કરે છે, સાપની ફેણ પર સવાર થાય છે, તેને અમારા સ્તનમંડળ પર મૂકીને અમારા કામાગ્નિને શાંત કરો.) આ છતાં પણ એ વાત અલગ છે કે ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. આપણે ત્યાં રમેશ પારેખનું ‘હસ્તાયણ’ જડી આવશે પણ ‘ચરણાયન’ જવલ્લે જ નજરે ચડશે. પણ નેરુદા પગની કવિતા લઈને આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે. ફ્રેન્ક સ્ટેનફર્ડ નામના સર્જકે ‘બ્લૂ યૉડેલ ઓફ હર ફીટ’ નામે કાવ્ય આ કવિતાને પાયાના પદાર્થ તરીકે વાપરીને રચ્યું છે, જે પણ આસ્વાદ્ય છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं । इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे ।“ એક વિખ્યાત લોકગીત પણ છે: “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?” નેરુદા પણ પ્રિયતમાના પગની કવિતા કરે છે. પણ પગની કવિતા કરવા પાછળનું એમનું કારણ સહજ-સામાન્ય કારણોથી અલાયદું છે. એ કહે છે, જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું. ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કારણ જે પણ હોય, કવિનો આત્મવિશ્વાસ લગરિક પણ મંદ નથી. આખી કવિતા શરૂથી અંત સુધી એક તણાવનું વહન કરે છે. પ્રિયપાત્રને મળવાનું થાય ત્યારે માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ ઘણીવાર ભારોભાર સંકોચ અનુભવતા હોય છે. આવામાં તારામૈત્રક સર્જવું ઘણીવાર ઉભય પક્ષે સંભવ બનતું નથી. પ્રથમ મિલનના આવેશ અને સંકોચની વચ્ચે પ્રવર્તતો તણાવ કવિતાના શબ્દે-શબ્દે ઝમે છે. ન જોઈને જોવાનો રોમાંચ પણ અવર્ણનીય હોય છે.

કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિનું ધ્યાન પ્રિયાના પગ તરફ જ છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોડોર દોસ્તોએવસ્કી (લેખક), એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી/છે. ઘણા નેરુદા માટે પણ આવું વિચારે છે પણ આ એક કવિતાને આધારે એમને આવું વળગણ હતું એમ કહેવું વધુ પડતું છે, કેમકે કવિએ કયા વિષય પર કવિતા નથી કરી એ સંશોધનનો વિષય છે.

મરોડદાર હાડકાંથી બનેલા પ્રિયાના પગ નાના અને સખત છે. આ મુલાયમ પગ સખત કેમ થઈ ગયા છે એનું રહસ્ય જો કે કવિતાની અંતિમ પંક્તિઓમાં ખુલે છે. આ પગ પ્રિયાને આધાર આપે છે અને એનું ફૂલ જેવું નાજુક-મીઠડું વજન પણ ઉપાડે છે. પગ પ્રિયતમાનું જ પ્રતિક પણ હોઈ શકે ને? પ્રિયતમા પણ ફૂલ-સુકોમળ મરોડદાર કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ પણ કવિ પ્રિયતમા તરફથી ફેરનજર કરતા નથી. નાજુક કમર અને એની નજાકત વધુ ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ કવિની નજરથી અછતા નથી. પ્રિયા પણ કદાચ નાયકના જેવો જ તણાવ મહેસૂસ કરે છે. એની આંખો પણ ક્યાંક દૂર તાકી રહી છે એટલે કવિને એની આંખો દૂર ઊડી ગઈ હોવાથી એના સ્થાને ખાલી ગોખલા બની ગયા હોવાનું દેખાય છે. કેવું અનૂઠું પણ સચોટ કલ્પન! નાયકના તણાવથી અવગત નયિકાનું સાશ્ચર્ય પહોળું થયેલું મોં કવિને ફળની ફાડ જેવું દેખાય છે. કેશનો રાતો રંગ પ્રેમ-આવેશ-લોહીનો રંગ ઈંગિત કરે છે. પ્રિયતમાના સૌંદર્યના રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે. જો કે ફળની ફાડ જેવું પહોળું મોં, રાતા કેશ અને નાનકડો મિનાર- આ ત્રણેય કલ્પન સાથે મળીને સંભોગશૃંગાર રચતા હોવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

ચહેરો જોઈ શકવાની અસમર્થતાને કારણે પગ તરફ મીટ માંડતો નાયક નાયિકાની સમગ્ર દેહયષ્ટિનું રસપાન કર્યા બાદ ફરીથી પગ તરફ વળે છે અને પોતાનું ધ્યાન પગ તરફ કેમ છે એનું કારણ લગભગ અંજલિસ્વરૂપે આપે છે. બેઉ માટે ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’

વીસ પંક્તિની આ કવિતામાં તેર વાર ‘તું’ અને છ વાર ‘હું’ના ઉલ્લેખ છે, જે કવિની પ્રેયસી તરફના ઉત્કટ ઉન્માદ તરફ પણ ઈશારો કરે છે. છેલ્લા અંતરામાં સ્પેનિશ કવિતાની મૂળ કાવ્યપંક્તિ Pero no amo tus piesનો અનુવાદ ‘પણ હું તારા પગને પ્રેમ કરતો નથી’ થાય છે. સમજાય છે કે ‘નથી’ની પૂર્વધારણા મૂકીને નેરુદાએ પ્રેમની તીવ્રતાનો પ્રમેય સાબિત કર્યો છે. અંગ્રેજી અનુવાદમાં આ નકાર ત્યજી દેવાતાં પ્રેમાવેશ થોડો હળવો થઈ જાય છે. આ અનુવાદની મર્યાદા છે. ચહેરો, લલચામણા સ્તન, માદક સ્તાનાગ્ર, લચીલી કમર, આંખ, સ્મિત –બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે, પગને પ્રેમ કરે છે કેમ કે એ પગ જ છે, જે પ્રેયસીને એના સુધી લઈ આવ્યા છે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. (મનોજ ખંડેરિયા)

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. ચરણ લઈને જવામાં જ્યાં વરસો લાગવાની વકી હોય ત્યાં શબ્દોની મદદથી પલક ઝપકતામાં પહોંચી જતો કવિ વળી શબ્દો વડે એ જ પગની સ્તુતિ પણ કરે છે. કેમ? તો કે, પૃથ્વી, પવન અને પાણી પર ચાલીને નાયિકા નાયક સુધી પહોંચી છે. એના નાના નાજુક પગ કદાચ આટઆટલું ચાલવાના કારણે સખત બની ગયા છે. અનંતતા, અશક્યતા અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અનંતનો છેડો, અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. એક કવિતામાં નેરુદા કહે છે: ‘તારા નિતંબથી લઈને પગ સુધી, હું એક લાંબી મુસાફરી ખેડવા ચહું છું.’ એ એમ પણ કહે છે: ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ નાયકને મળવા માટે નાયિકા સમય અને સ્થળના તમામ વ્યવધાનો પાર કરીને, લાંબી મુસાફરી તય કરીને આવી છે. માટે જ નાયક કહે છે કે, આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું. આ પગ ન હોત તો આપણું મિલન શક્ય ન હોત. આ પગ ન હોત તો આપણે એક થઈ શક્યાં ન હોત. આ પગ, પગ નથી; આપણા પ્રેમનો પ્રશસ્ત થયેલો માર્ગ છે. આ પગ આપણા સાયુજ્યના સ્વપ્નને વાસ્તવદેહ આપવામાં નિમિત્ત બન્યા છે. આ પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે, માટે જ હું તારા ચહેરાને નથી જોઈ શકતો, ત્યારે આ પગને જોઉં છું, આ પગને ચાહું છું…

2 replies on “ગ્લૉબલ કવિતા : ૧૪૮ : તારા પગ – પાબ્લો નેરુદા”

  1. સુધારેલ:
    સત્સંગ, સેવા અને વ્યાપક્તામાં હરિનાં દર્શન તો દયારામ જેવા ભક્તકવિ જ આપણને કરાવી શકે! આજના સોસીયલ મીડીયામાં અમદાવુડીયામાંથી શું શાં પૈસા ચાર જેવા વહેતા ગુજરાતી ગીતલીટાઓની વચ્ચે ટહુકો જેવાં માધ્યમોથી દયારામ, નરસિંહની અમૃત સરિતામાં સ્નાન કરવા મળે ત્યારે ટાઢક વળે ખરી ને ગુજરાતી સમાચારપત્રો કે દૂરદર્શનીય માધ્યમોના બેઢંગા ગુજરાતીમાંથી ઘડીભર છુટકારો પણ મળે ખરો!

  2. સત્સંગ, સેવા અને વ્યાપક્તામાં હરિનાં દર્શન તો દયારામ જેવા પ્રજ્ઞાચક્ષુ જ આપણને કરાવી શકે! આજના સોસીયલ મીડીયામાં અમદાવુડીયામાંથી શું શાં પૈસા ચાર જેવા વહેતા ગુજરાતી ગીતલીટાઓની વચ્ચે ટહુકો જેવાં માધ્યમોથી દયારામ, નરસિંહની અમૃત સરિતામાં સ્નાન કરવા મળે ત્યારે ટાઢક વળે ખરી ને ગુજરાતી સમાચારપત્રો કે દૂરદર્શનીય માધ્યમોના બેઢંગા ગુજરાતીમાંથી ઘડીભર છુટકારો પણ મળે ખરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *