ગ્લૉબલ કવિતા : ૧૪૭ : ખાતરી – એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ છે, મારી પ્રિયે, સાચો માનવીય ચહેરો,
મેં મનોમન આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
અસત્યને જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે તું મને મળી જેમ કોઈ મુસાફરને મળી આવે
અચાનક એક આવકારભર્યું સ્થળ,
ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓની વચ્ચે.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાંનો પાણીનો કૂવો?
અથવા એવું કંઈ પણ જે ઈમાનદાર અને સારું છે, એક આંખ
જે આખી દુનિયાને રોશન કરે છે.
તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ.
પહેલવહેલું સારું વિશ્વ, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે દુર્લભ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

માણસ સૌંદર્યનો ભૂખ્યો છે. સૌંદર્યપાન માટે એ આખી દુનિયા ફરે છે. સ્થળનું હોય કે વ્યક્તિનું- સૌંદર્યનું મૂલ્ય એના ચાહકની ચાહના પર આધારિત હોય છે. કહે છે કે ક્લિઓપેટ્રા સાવ કાળી હતી પણ એના સૌંદર્યનું કામણ કંઈ એવું હતું કે ઇતિહાસ એને કદી પણ મિટાવી શક્યો નહીં. લૈલા તો સાવ બદસૂરત હતી એમ કહેવાય છે, પણ મજનૂની નજરે એ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હતી… સનસેટ પૉઇન્ટ પર ઊભેલા હજારો માણસ એક જ સૂર્યાસ્તને એકીસાથે જોઈ રહ્યાં હોવા છતાં દરેકનો સૂર્યાસ્ત અલગ-અલગ હોય છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીં તો સૌની શામ છે.

દરેક વસ્તુ માટે દરેકનો નજરિયો ભિન્ન હોય છે. માટે જ, જે વસ્તુ આપણને પસંદ પડી જાય છે, એના ગુણ-દોષ જોવાના બદલે એને યથાતથ ચાહવામાં જ એની ખરી ગરિમા છે. પ્રસ્તુત ગ્લૉબલ કવિતામાં પણ પુસ્તકના કવરની આકર્ષકતા પરત્વે દુર્લક્ષ સેવીને પુસ્તકમાં રહેલ ‘કન્ટેન્ટ’ પર ધ્યાન આપવાની વાત બખૂબી કરવામાં આવી છે.

એડવિન મૂર. જન્મ ૧૫-૦૫-૧૮૮૭ના રોજ સ્કૉટલેન્ડમાં ઓર્ક્ની ટાપુઓ પર ડીઅરનેસ ખાતે ખેડૂતને ત્યાં છ સંતાનોમાં છેલ્લા તરીકે જન્મ. તેઓ ચાર વર્ષના હતા ત્યારે પિતાએ ખેતર ગુમાવ્યું અને ગ્લાસગૉ રવાના થયા. બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંમાંથી ચારકોલ બનાવતી ફેક્ટરી જેવી અનેક ક્ષુલ્લક નોકરીઓ કરવાની ફરજ પડી. આ દારુણ ગરીબી, વારંવારની અસફળતા, જીવલેણ હતાશાઓએ જો કે સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. ગામડાંથી શહેર તરફની ગતિ મૂર પચાવી શક્યા નહોતા. તેઓ આ સ્થળાંતરને ‘ઇડનથી નરક’ તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર એમના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. તેઓએ લખ્યું છે: ‘અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.’ ૧૯૧૩માં કવિતા લખવી શરૂ કરી. ૧૯૧૯માં વિલા એન્ડરસન સાથે ‘એમના જીવનની સૌથી વધુ સદભાગી ઘટના’ યાને લગ્ન થયા અને લંડન ખાતે સ્થાયી થયા. મૂરની કારકિર્દી ઘડવામાં વિલાનો સિંહફાળો હતો. સહતંત્રી, પત્રકાર, અનુવાદક તરીકે કામ કર્યું. પ્રાગ, ઇટલી, સાલ્ઝબર્ગ, વિએના વગેરે જગ્યાઓએ પણ રહ્યા. ૧૯૩૯ પછી પોતાને ખ્રિસ્તી માનવા માંડ્યા. પ્રાગ તથા રોમમાં બ્રિટીશ કાઉન્સિલના ડિરેક્ટરથી લઈને કોલેજના વૉર્ડન અને યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૦૩-૦૧-૧૯૫૯ના રોજ ૭૧ વર્ષની વયે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયર ખાતે દેહત્યાગ.

હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. દરેક માણસે પોતાની જિંદગી બે વાર જીવવી જોઈએ એમ તેઓ માનતા. જંગિઅન વિચારધારા, કેળવેલો ખ્રિસ્તીભાવ, ગરીબી, શહેરની વચ્ચે અનુભવાયે રહેતું ગામડાંનું ખેંચાણ, ગરીબી, પુરુષાર્થ વગેરેએ એમની કલમને એક અલગ જ આયામ આપ્યો. પરંપરાગત કાવ્યશૈલીઓ પરની એમની હથોટી એમને એમના જમાનાની આધુનિક કવિતાઓની ફેશન-પરેડથી અલગ તારવે છે. ઈલિયટે એમની કવિતાઓ સંપાદિત કરતી વેળાએ લખ્યું હતું: ‘તેઓ પહેલાં અને સૌથી વધુ તો પોતાને જે કહેવું છે એ બાબતમાં ચિંતિત હતા. ભાવનાત્મક તીવ્રતાના દબાણ હેઠળ, અને પોતાની દૃષ્ટિને આધીન, તેઓ, લગભગ સાવ જ અચેતાવસ્થામાં, પોતાને જે કહેવું છે એ માટેનો સાચો અને અનિવાર્ય માર્ગ શોધી લેતા હતા.’ કવિતા ઉપરાંત એમણે સેંકડો વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને પુષ્કળ અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા, માન જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

કવિતાના શીર્ષક ‘ખાતરી’થી વધુ નક્કર શબ્દ દુનિયામાં જડવો કદાચ મુશ્કેલ. દુનિયાની અડધી સમસ્યાઓ માત્ર એ કારણે છે કે મનુષ્યને વાતની કે માણસની ખાતરી નથી હોતી. કોઈ પણ વ્યક્તિ કે વાત પર ખાતરી બેસી જાય તો સમસ્યા ખતમ જ સમજો. સળંગ સોળ પંક્તિઓમાં લખાયેલી આ કવિતા વાચકને વચ્ચે ક્યાંય અટકવાને અવકાશ દેતી નથી. વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યાંક પ્રાસ મળી જતાં દેખાય છે તો ક્યાંક-ક્યાંક પંક્તિઓ આયમ્બિક પેન્ટામીટર કે ટેટ્રામીટરમાં લખાયેલી પણ જોવા મળે છે, પણ મૂળે આ રચના અછાંદસ છે અને એમાં કવચિત સંભળાતા ચુસ્ત પ્રાસ અને છંદ એ એનો આગવો લય માત્ર છે. ‘જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને’ (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિ આપણને કરાવે છે. વાત ખાતરીની છે, એટલે કવિતાનો પ્રારંભ પણ ‘હા’ થી થાય છે. ‘સુલતાન’ ફિલ્મના ગીત –‘जग घूमेया, थारे जैसा ना कोई’ થી શરૂ થઈ ‘जैसी तू है वैसी रहना’ સુધી આ કવિતા પહોંચે છે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટન લખે છે, ‘તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી.’ પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રીસહજ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

એડવિન મૂર પણ આ જ વાત કહે છે. કહે છે, હા, મારી વહાલી! તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. મેંમનોમન વર્ષો સુધી તારા જ ચહેરાની રાહ જોયે રાખી છે. સાચી વસ્તુની –તારી- તલાશમાં જિંદગીભર હું ખોટી વસ્તુઓને જ જોતો રહ્યો. વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ, અસત્યમાં જ ફાંફા માર્યે રાખીએ છીએ. સાચું સૌંદર્ય સત્યમાં છે. સત્ય કડવું હોઈ શકે, પણ કદરૂપું નહીં. મજનૂને લૈલા સુંદર લાગી હતી કેમકે લૈલા એ મજનૂની જિંદગીનું એકમાત્ર સત્ય હતી.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

લાંબી પ્રતીક્ષા અને ખોટા માર્ગ પર ભટક્યા બાદ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बन्जारे को घर’ની જેમ અચાનક ખોટા સરનામાંઓની વચ્ચેથી સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. તમારું આ પ્રિયપાત્ર… તમે એને શું કહેશો? એ તમારી વેરાન જિંદગીમાં ફૂટેલો ફુવારો છે. સત્યની તલાશમાં ખીણો-પર્વતો-વંકાચૂકા રસ્તાઓ પર અસત્યની વચ્ચે રઝળતા રહેલા તમે કોઈ સૂકા પ્રદેશ જેવા છો અને આ પ્રિયતમા એમાંનો પાણીનો કૂવો છે. આગળ કવિ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરે છે. પ્રિયપાત્ર અથવા ઝંખનાનો ચરિતાર્થ આકાર માત્ર સત્ય હોવાના કારણે સુંદર કે શાતા બક્ષનાર નથી. દુનિયામાં જે કંઈ પણ વસ્તુ કે વ્યક્તિ એની જેમ જ ઈમાનદાર છે અથવા સારી છે, એ પણ આમ જ આકંઠ તરસ છિપાવી શકવા સમર્થ છે. તમારી ભીતર કોઈ ખોટ નહીં હોય તો તમારી આંખનું તેજ દુનિયાનું તેજ બને છે. જે આંખમાં સત્ય છે, ઈમાનદારી છે, સારપ છે, એ આંખ બુદ્ધની આંખ છે. એ દુનિયા આખીને રોશન કરે છે.

જેનો આત્મા શુદ્ધ અને દૃષ્ટિ પ્રબુદ્ધ છે, એ આપવામાં માને છે. એનું હૃદય મોકળું હૃદય છે, એમાં ક્યાંય સાંકડી ગલીઓ સંભવ જ નથી. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ. આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. આપવું એ આદિ કર્મ છે, સંઘરવું નહીં. પ્રેમ આપવામાં માને છે. પ્રેમ વહેંચવાથી વધે છે. સાચા દિલથી અને સાચા પ્રેમથી આપણે આપવું શરૂ કરીએ તો દુનિયા પહેલવહેલીવર સારી લાગે છે, સંસારવૃક્ષ ફૂલોથી લચી પડે છે અને આ ફૂલોના બીજ પવન સાથે ફૂંકાઈને દુનિયાભરમાં ફેલાઈ વળે છે અને દુનિયા વધુને વધુ ખૂબસુરત બને છે. સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો એ જીવનના પ્રતીકો છે. એ આપણી અલગ-અલગ અવસ્થાઓ નિર્દેશે છે. જીવનના દરેક તબક્કે આપણી સાથે જે કંઈ બને છે, એ બધું સારું જ હોય એ જરૂરી નથી. જિંદગીના રસ્તામાં આપણે જેને-જેને મળીએ એ બધું સુંદર કે સાચું જ હોવું જરૂરી નથી. પણ જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી –સાચી, ઈમાનદાર વસ્તુ- હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં, ત્યારે કવિની જેમ જ આપણને પણ ખાતરી થવી ઘટે છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાતથ જ સ્વીકારી લેવાવું જોઈએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે સાચું જ કહ્યું હતું: ‘रम्याणी वीक्ष्य।‘ (સર્વમાં સુંદરતા જ જોવી.) અને અંતે સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *