ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.

6 replies on “ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી”

  1. Good compilation of life story of Sufi poet. “રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા.” This sentence did not make any sense.

    • રુમ એટલે રૂમ – ઓરડો નહીં… જગ્યાનું નામ…

      રુમમાં રહેવાના કારણે રુમી અને બાલ્ખમાં રહ્યા હોવાના કારણે તેઓ બાલ્ખી પણ કહેવાય છે… આ ઐતિહાસિક હકીકત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *