ગ્લૉબલ કવિતા : ૭૨ : શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર

आँख जब आईने से हटाई
श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

શ્યામ! હું તારી ગાયો ચરાવું

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)
પાકિસ્તાનની મીરાંબાઈ – પરવીન શાકિર અને શ્રીકૃષ્ણપ્રેમ

ગિરધરગોપાળ શ્રીકૃષ્ણ ધર્મ-જાતિ-સ્થળ-કાળથી પર છે. એના પર કોઈ ધર્મ કે દેશનો સિક્કો મારી ન શકાય. કૃષ્ણની લીલાઓ સેંકડો સદીઓથી માનવજાતને આકર્ષતી આવી છે. શ્રીકૃષ્ણને તમે ગ્લૉબલ મેગ્નેટ કહી શકો. કૃષ્ણ જેટલો લાડકો ભગવાન કોઈ થયો નથી, થશે નહીં. બીજા ભગવાનોથી વિપરીત એને તમારે ‘તું’ કહીને જ બોલાવવો પડે. પ્રસ્તુત નઝ્મમાં પરવીન શાકિર સૌના માનીતા કાનજી અને રાધાની વાત લઈને આવે છે.

પરવીન શાકિર સઈદ. કૃષ્ણની જેમ જ પરવીન પણ એના ચાહકોને એવી તો પ્યારી અને પોતીકી લાગે છે કે એને તુંકાર સિવાય બોલાવીએ તો વચ્ચે દીવાલ અનુભવાય. પરાણેય તમારે એને એકવચનમાં જ સંબોધવી પડે. જન્મ ૧૪-૧૧-૧૯૫૨ના રોજ કરાચી, પાકિસ્તાન ખાતે. પિતાના નામ શાકિરઅલીમાંથી શાકિરને એણે આજીવન પોતાની અટક તરીકે અપનાવ્યું. ઘરમાં વાતાવરણ સાહિત્યનું પણ લેખન પહેલવહેલું આદરનાર પરવીન. ખૂબ નાની વયે ગદ્ય-પદ્ય બંને પર હાથ અજમાવ્યો. શરૂમાં ‘બીના’ના છદ્મનામે લખતી. અંગ્રેજી સાહિત્ય, ભાષાશાસ્ત્ર, બેન્ક વહીવટ અને મૃત્યુના 3 વર્ષ પહેલાં જ અમેરિકાથી સાર્વજનિક પ્રશાસન -આમ ચાર-ચાર તો માસ્ટર્સ ડિગ્રી. પીએચડી પણ કર્યું. નાની-મોટી પદવીઓ અલગ. આટલો બધો ઉચ્ચઅભ્યાસ અંગ્રેજીમાં કર્યો હોવા છતાં અભિવ્યક્તિની ભાષા તરીકે એણે ઉર્દૂ પર જ મહોર મારી. ૧૯૮૨માં જ્યારે પરવીન સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષા આપવા બેઠી હતી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એક સવાલ એની કવિતા વિશે જ પૂછાયેલો હતો. નવ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ સિવિલ સર્વિસમાં કસ્ટમ ખાતામાં જોડાઈ. ઇસ્લામાબાદ ખાતે ફેડરલ બ્યુરૉ ઓફ રેવન્યૂમાં નાયબ સચિવ બની. ગજબનાક સૌંદર્યવતી. એનું અપાર ભણતર, મેધાવી બુદ્ધિપ્રતિભા, બેસુમાર રૂપ, ક્રાંતિકારી વિચાર અને પાકિસ્તાન જેવા રુઢિચુસ્ત દેશમાં એક મુસલમાન મહિલા હોવા છતાં બેબાક હિંમતભેર લખેલી અને મંચ પરથી એના મદહોશ અવાજમાં રજૂ થતી એની બળવાખોર કવિતા ભલભલાને આંજી નાખતા. પાકિસ્તાની તબીબ સઈદ નાસિર અલી સાથે નિકાહ અને થોડા સમયમાં છૂટાછેડા. ભારતની એની મુલાકાત દરમિયાન એક ભારતીય જ્યોતિષીએ એનો હાથ જોઈને ભાખ્યું હતું કે એ એનું પાંચમું પુસ્તક પૂરું કરી શકે એ પહેલાં જ મૃત્યુ પામશે. થયું પણ એવું જ. ૨૬-૧૨-૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ કામે જતી વખતે એની કારના બસ સાથેના અકસ્માતમાં માત્ર બેતાળીસ વર્ષની નાની વયે એ જન્નતનશીન થઈ. એવું પણ માનવામાં આવે છે કે આ અકસ્માત પાછળ એના વિરોધીઓ અને/અથવા સરકારનો હાથ હતો. પણ મેરેલિન મનરો, મધુબાલા, દિવ્યા ભારતી, જિયા ખાન અને શ્રીદેવી જેવી સુંદરીઓના અકાળ અવસાનની જેમ જ એનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.

પરવીનની કવિતા નખશિખ એક સ્ત્રીની કવિતા છે. એના પ્રથમ સંગ્રહ ‘ખુશબૂ’ની પ્રસ્તાવનામાં એ લખે છે: ‘પરવીને પરવરદિગારને પ્રાર્થના કરી કે તું મારી અંદર રહેલી કન્યાનો મને સાક્ષાત્કાર કરાવ. ખુદા પણ હસ્યો હશે એ છોકરીની નાદાની પર. પૃથ્વી પર વસતા માનવીને આત્મજ્ઞાન થાય તેની જેવી બીજી કોઈ દુઃખદ ઘટના નથી એ વાત આ છોકરી જાણતી ન હતી. આમ છતાં પ્રાર્થના મંજૂર રાખવામાં આવી.’ અહીં બે વસ્તુ નજર સામે આવે છે. એક, પરવીનની કવિતા એ એના આત્મજ્ઞાનના પરિણામે જન્મેલા તીવ્રતમ દુઃખની ઉપજ છે અને બીજું, એ પોતાની જાતને એક સ્ત્રી તરીકે નહીં, છોકરી તરીકે જુએ છે પરિણામે એની કલમમાં શરૂથી અંત સુધી યુવાનીના ઉંબરે ઊભેલી યુવતીની મુગ્ધતા નજરે ચડે છે. ઉર્દૂ ગઝલ અને આઝાદ નઝ્મ એ પરવીનની કવિતાના બે પહલૂ છે. એની કવિતાઓ આત્મકથનાત્મક શૃંગારપ્રચૂર કામુકતાના કારણે બેહદ ચર્ચાનો વિષય બની હતી. એના વિરોધીઓનો વર્ગ જેટલો વિશાળ હતો, એટલો જ વિશાળ વર્ગ એના બેફામ સમર્થકોનો પણ હતો. શું કવિતા, શું દામ્પત્યજીવન કે શું સરકારી નોકરી- પરવીને કદી પાકિસ્તાનના સંકુચિત પછાત માનસધારી પુરુષપ્રધાન સમાજની પરવા કરી નહોતી. પોતાની સ્ત્રીસહજ ઊર્મિઓ એણે કશાય ઢાંકપિછોડા વિના હિંમતપૂર્વક રજૂ કરી છે. તમારી ગઝલ તો મર્દાના છે એવા આરોપની સામે મુશાયરામાં જરા પણ ઝંખવાયા વિના એણે ‘તો પછી સ્ત્રીની ગઝલ સાંભળો’ એમ કહીને ‘હુસ્ન કો સમઝને કો ઉમ્ર ચાહિયે જાનાં, દો ઘડી કી ચાહત મેં લડકિયાઁ નહીં ખુલતી’ જેવી ગઝલ ફટકારીને ટીકાકારોનો મોઢા સીવી લીધા હતા. ડૉ. બશીર બદ્ર પરવીનને ‘પૂરી ઔરતકી પહલી ગઝલ’ કહીને ઓળખાવે છે.

પ્રસ્તુત નઝ્મનું શીર્ષક ‘શ્યામ! હું તારી ગાયો ચરાવું’ વાંચતા જ નવાઈ અનુભવાય. પાકિસ્તાની મુસલમાન શાયરા અને શ્યામ? કંઈ ભૂલ તો નથીને? પણ પરવીનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે શ્રીકૃષ્ણપ્રેમની એની આરત આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પરવીનને ‘પાકિસ્તાનની મીરાબાઈ’ કહીએ તોય કંઈ ખોટું નથી. પણ પરવીન જ શા માટે, ઘણા બધા મુસલમાન કવિઓ સદીઓથી કૃષ્ણપ્રેમની કવિતાઓ લખતા આવ્યા છે. પઠાણ ભક્ત કવિ રસખાન (સૈયદ ઈબ્રાહીમ) (?૧૫૪૮-?૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) ઉપરાંત ઢગલાબંધ મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણના ભક્તિગાન કર્યા છે. રસખાન એક રચનામાં કહે છે:

मानुष हौं तो वही रसखानि बसौं ब्रज गोकुल गांव के ग्वारन।
जो पशु हौं तो कहा बस मेरो चरौं नित नन्द की धैनु मंझारन।।
पाहन हौं तो वही गिरि को जो धरयो कर छत्र पुरन्दर धारन।
जो खग हौं तो बसेरो करौं मिलि कालिन्दी कूल कदम्ब की डारन।।

((કવિ) રસખાન કહે છે કે જો માણસ (અવતાર) હો તો ગોકુળ ગામના ગોવાળ તરીકે મળે, જો પશુ (અવતાર) હો તો નંદની ગાયો વચ્ચે ચર્યા કરું, જો પથ્થર થાઉં તો એ જ પહાડનો જેને પુરંદર (ઇન્દ્ર)ના કારણે છત્ર બનાવીને ધારણ કર્યો હતો, અને જો પંખી હોઉં તો કાલિન્દી કાંઠે કદમ્બની ડાળે રહું.)

ગઝલની સરખામણીમાં એની નઝ્મ અનેકવિધ વિષયોને સાંકળી લેતી, અને ક્યારેક વધુ બળકટ પુરવાર થતી નજરે ચડે છે. અંગ્રેજી શબ્દો અને શીર્ષકોનો પણ એને છોછ નથી એ એક કવિ તરીકેના મોકળાપણની નિશાની છે. પરવીનની નઝ્મોના નાનાવિધ વિષયવસ્તુઓમાંનો એક પ્રધાન વિષય તે કૃષ્ણ. પરવીનની રચનાઓમાં અવારનવાર મીરાંની દીવાનગી અને રાધાનો તલસાટ વંચાતો રહે છે. એ પોતાનો આત્મા સુદ્ધાં મુરલીમનોહર પર વારી દેતા કહે છે:

बस इक आत्मा रहती है/जो दान करुँ तुझ पर!
मनोहर/क्या वारुँ तुझ पर?

પ્રસ્તુત નઝમનો પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે. પ્રથમ બંધ વાંચતી વખતે શ્રી કૃષ્ન બિહારી ‘નૂર’ની ગઝલનો એક શેર પણ યાદ આવ્યા વિના નહીં રહે:

દેના હૈ તો નિગાહ કો ઐસી રસાઈ દે
મૈં દેખૂં આઇના,તો મુઝે તૂ દિખાઈ દે

સપનામાં ગોકુળના રાજા સખીઓને વધાઈ આપવા આવ્યા છે એટલે એમ જ લાગે છે કે ખુદ વાદળે આજે મહેર કરી છે. વાદળ ગોરંભાયેલું હોય ત્યારે શ્યામરંગનું હોય છે. શ્યામ વાદળ જ વરસી શકે. શ્યામસુંદર આજે માયા લૂંટાવી રહ્યો છે તો શા માટે આપણે આપણી માટીની ગાગરમાં આપણી પાત્રતા અનુસાર ભરી શકાય એટલું પ્રેમજળ ન ભરી લઈએ? રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ યાદ આવે: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને તોય હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ પણ પનઘટ પર જવાની વાત આવી ક્યાંથી? આ જિદ્દ કરવા માટે ગાગરે કોની પાસે વિનંતી કરાવી? શ્યામને પનઘટ ગણીએ અને આપણી જાતને માટીની ખાલી ગાગર ગણીએ તો? પરવીન કહે છે, આપણો ખોબો તો કાણો છે. એમાં પાણી ઝાલવાની ગમે એટલી કોશિશ કરીએ, પાણી વહી જ જાય છે ને એ છતાં કૃષ્ણની તરસ છિપાઈ જાય છે એ કેવો કોયડો છે! કૃષ્ણનું ધ્યાન જો કે ખોબામાંથી સરી જતા પાણી તરફ છે જ નહીં, એ તો આકંઠ રાધાના સૌંદર્યનું પાન કરી રહ્યો છે એટલે તરસ તો છિપાઈ જ જાય ને! હકીકતે પણ કૃષ્ણમુરારિ તો ભાવના ભૂખ્યા છે. દ્રૌપદીના પાત્રમાંના કોથમીરના નાના અમથા પાંદડા માત્રથી એની ક્ષુધા શમી જાય છે. પનઘટ પર પાણી ભરવા આવીએ તો યમુનામાં નહાવું પણ પડે, ને નહાવા પડીએ તો ચુંદડી કદમ્બ પર નાખવી પડે ને એમ કરીએ તો કાનજી બધા કપડાં પોતાના કબ્જે કરી જ લેવાનો છે. નદીમાંથી નિર્વસ્ત્ર બહાર કેમ આવવું? પણ બધા જ આવરણ ઘનશ્યામે કબ્જે કરી લીધા હોય એથી વિશેષ પરમસુખ કયું? એ ખુદ દુન્યવી આવરણોથી મુક્તિ આપતો હોય તો હવે જેમ છીએ એમ રહેવામાં જ સાચું સુખ નથી? એટલે રાધા અને ગોપીઓ નદીના જળને જ આંચલ બનાવી લે છે. જેણે માથાની બિંદી ચોરી છે, એ ચિત્તચોરની મરજી વિના ઊંઘ પણ આવનાર નથી. આ મનોહરના મનમાં શું છે એ તો એ જ જાણે પણ એણે માત્ર કાયા જ નહીં, રાધાનો આત્મા સિક્કે રંગી નાંખ્યો છે. એક નઝ્મમાં પરવીન કહે છે:

तू है राधा अपने कृष्ण की, तेरा कोई भी होता नाम
तेरा रंग भी कौन-सा अपना, मोहन का भी एक ही काम

હવે વાત સ્વથી સર્વ સુધી આવે છે. રાધાએ તો પોતાના પનઘટગમન વિશે સખીઓને કંઈ જ કહ્યું નથી. કૃષ્ણને મળવાની આશામાં એ તો એકલી આવવા નિસરી હતી પણ દુશ્મન ઝાંઝરની ઝણકાર એના અભિસારને છતો કરી દે છે. એક અન્ય નઝ્મમાં પરવીન એના સાજશૃંગારમાં પાયલની વાત કરે છે:

हाथों की इक-इक चूडी में मोहन की झनकार
सहज चले फिर भी पायल में बोले पी का प्यार

કાનજી મૂઓ પણ કાંઈ કમ નથી. એ એકલી રાધા સાથે મીઠો કલહ નથી માંડતો, બધી ગોપીઓ સાથે પણ રાસલીલા રચાવે છે. શ્યામને રીઝવવા માટેના રાધાના પ્રપંચ પણ નજરે ચડે છે. કયા ફૂલની ખુશબૂ એને પસંદ પડી જાય એની સૂઝ ન પડતાં હરખઘેલી આંચલમાં જાત-જાતના ફૂલો ભરી લાવી છે. લક્ષ્મણ માટે કઈ જડીબુટ્ટી લાવવી એ બાબતમાં ગૂંચવાયેલા હનુમાન યાદ આવી જાય. દુનિયાદારીમાં કામના બદલામાં વેતન મેળવવાનો રિવાજ છે પણ શ્યામદારીમાં રાધા શ્યામની ગાય ચરાવવાનું કામ મળે તો બદલામાં પોતાની કમાઈ પણ આપવા તૈયાર છે. હકીકતમાં તો આપણી પાસે જે કંઈ છે એ બધું શ્યામનું જ છે એટલે આ તો तेरा तुझ को अर्पण અથવા त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये જેવી વાત થઈ. કબીરે પણ આ જ કહ્યું હતું, ‘मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोह, तेरा तुझको सौपता, क्या लागे है मोह’ આ પ્રેમ છે, આ પ્રેમનો ખરો મહિમા છે. પરવીન કેવી સરસ વાત કરે છે! કહે છે, કૃષ્ણ તો માત્ર માર્ગ ભૂલ્યા હતા. ગોકુળ છોડીને ગયા એ ગયા, ફરી આવ્યા જ નહીં પણ રાધા તો બિચારી પૂરી સુધબુધ ખોઈ બેઠી છે. અહીં ‘રસ્તો ભૂલવા’નો બીજો અર્થ આડા રસ્તે ચડી જવું પણ થાય છે એ ભૂલવા જેવું નથી. પણ તોય શ્યામ માટે કોઈ ફરિયાદ નથી. વિમાસણ છે તો એ જ કે દુનિયાના બધા જ સૂર એક માત્ર વાંસળીની ધૂનમાં કેવી રીતે સમાયા છે? અન્ય એક મુસલમાન ભક્તકવિ ચાંદ કાજી બહુ સ-રસ વાત કરે છે:

बाँशी बाजानो जान ना
असमये बाजाओ बाँशी पराण माने ना।
यखन आमि बैसा थाकि गुरुजनार माझे
नाम धैरा बाजाओ बाँशी आमि मरि लाजे॥

(વાંસળી વગાડવાનું તું જાણતો નથી. કસમયે વાંસળી વગાડે છે ને (મારા) પ્રાણ માનતા નથી. જ્યારે હું વડીલજનોની વચ્ચે બેઠી હોઉં છું, તું નામ લઈને વાંસળી વગાડે છે ને હું લાજી મરું છું.)

આગળ પરવીન જે વાત કરે છે એ એક સ્ત્રી જ કરી શકે. શ્યામ સાથે આ જે બંધન બંધાયું છે એ વાત માત્ર સ્ત્રી જ સમજી શકે, દુનિયાનો કોઈ પુરુષ, પછી ભલેને એ પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ કેમ ન હોય, એની સમજની બહારની છે. સ્ત્રીનો પ્રેમ, બિનશરતી સમર્પણ અને નિરપેક્ષતા પુરુષના કૉર્સ બહારનો દાખલો છે. અને અંતમાં સમર્પણની પરાકાષ્ઠાએ રાધા જે વિમાસણ અનુભવે છે એ જોઈને કૃષ્ણની રાસલીલા જોતાં નરસિંહ મહેતા જરૂર યાદ આવે. રાસલીલામાં તલ્લીન નરસિંહને એય ભાન નથી રહેતું કે હાથમાંની મશાલ સળગીને ક્યારે ખતમ થઈ ગઈ ને મશાલના સ્થાને હાથ ક્યારે સળગવા માંડ્યો! પરવીન કહે છે કે રાધાના હાથ શ્યામના અભિવાદન માટે ફૂલો-ગજરાથી એવા ભર્યા પડ્યા છે, બંને એવા એકાકાર થઈ ગયા છે કે હાથની રચના હાથમાંના ફૂલો કરતાં પહેલાં થઈ ચૂકી હતી કે ગજરામાંથી જ કાંડું ફૂટ્યું છે એ જ સમજાતું નથી. આ પ્રેમની ચરમસીમા છે. આ પ્રેમની આગળ સાક્ષાત ગોવર્ધનધારીની પણ કંઈ વિસાત નથી.

જરા ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે એક જ નાની અમથી નઝ્મમાં પરવીન કેવી બખૂબી આખાય ભાગવતને સમાવી લે છે! કૃષ્ણની બાળલીલાના મોટાભાગના અગત્યના પહલુઓ પરવીને અહીં એક જ નઝ્મમાં કેદ કરી દીધા છે. આ કરામત સર્વાંગ સંપૂર્ણ સમર્પણ વિના શક્ય નથી ને એટલે જ પરવીનને ફરી-ફરીને ‘પાકિસ્તાનની મીરા’ કહેવાનું મન થાય છે.

10 replies on “ગ્લૉબલ કવિતા : ૭૨ : શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર”

  1. મીરા ચાહે મેવાડની હો, ચાહે ગુજરાત, બંગાળ કે મહરાષ્ટની હો
    ચાહે ભારતની હો કે પાકીસ્તાનણી હો , મીરા એટલે પ્રેમ દિવાની જ છે.
    સુંદર રચના તથા રસ્દર્શન, ધન્યવાદ અને અભિનંદનને પાત્ર
    પાકિસ્તાનની મીરાંબાઈ – પરવીન શાકિર અને અનુ. વિવેક મનહર ટેલર.
    ………ઉમાકાન્ત વિ. મહેતા (ન્યુ જર્સી)

  2. हाथों की इक-इक चूडी में मोहन की झनकार
    सहज चले फिर भी पायल में बोले पी का प्यार

  3. વાહ્ અદ્ ભુ ત શબ્દ્ ચિત્ર્. તે સાચે પાકિસ્તાન નિ મિરા હ્તિ. તમે રસ દર્શન પન્ સુન્દર ક્ રાવ્યુ ચ્હે

  4. અરે વાહ… કેવી સુંદર રચના…ભાવસભર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *