ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

5 replies on “ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા”

  1. જીવન માં અફસોસ ન હોય તો સંત બનીએ. દરેક વ્યક્તિ ને આગવો અફસોસ હોય છે. પણ ભરત વિંઝુડાનો અફસોસ અનોખો છે.
    “ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા!”

    આ ગઝલ જ્યારે અમરભાઇએ રજૂ કરી હતી ત્યારથી ફરી સાંભળવાનો તલસાટ છે. જયશ્રીબેન, any chance of you posting Amar Bhatt’s version?

    ઘણો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *