Tag Archives: પુરુષોત્તમ ઉપાધ્યાય

ઝેરી કાળોતરો ડંખે (ગીત) ~ વિનોદ જોશી ~ સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: કિન્નરી વૃંદ

રચના: વિનોદ જોશી
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: કિન્નરી વૃંદ

ઝેરી કાળોતરો ડંખે,
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
આરપાર શેરડીનો સાંઠો રે લોલ…

વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;

પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે !
હે જી તાણો આ રેશમની ગાંઠો,
તાણો આ રેશમની ગાંઠો રે લોલ…

વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!

નીતરતું ઘેન મારે અંગે રે!
કાંઈ ભીનું લાગે, કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ…

***

મને પ્રીત કરવાનો મોકો મળ્યો’તો ~ સૈફ પાલનપુરી ~ સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: સોનાલી શેઠ

રચના: સૈફ પાલનપુરી
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સોનાલી શેઠ

મને પ્રીત કરવાનો મોકો મળ્યો’તો
ને તારાઓ ગણવાની આદત પડી’તી
હતી ધન્ય થોડી પળો જિંદગીમાં
મને ગીત ગાવાની ફુરસત મળી’તી

તમે વાત મારી ભલેને ન માનો
મને પણ છે ક્યાં કઈ હરખ શોક એનો
મને પણ ખબર ક્યાં રહી’તી એ યુગમાં
દિવસ ક્યાં ગયો રાત ક્યારે પડી’તી

***

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું (ગઝલ) ~ કવિ: હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: સંનિધ શાહ 

કવિ: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સંનિધ શાહ

જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું.
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે.
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટાહાસ લાવ્યો છું.
***

મન ન માને (ગઝલ) ~ હેમેન શાહ ~ સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ 

હેમેન શાહની ઘણી ગઝલો પ્રખ્યાત છે. દા.ત. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. એવી જ રીતે નીચે રજૂ કરેલી ગઝલ શાયરની પણ પ્રિય છે અને શ્રોતાઓની પણ પ્રિય છે. હેમેનભાઈની સિગ્નેચર ટ્યુન ગઝલ કહી શકાય.

આ ગઝલનું મનહર ઉધાસે `અક્ષર’ આલબમમાં લીધેલું સ્વરાંકન મોટે ભાગે સાંભળવા મળે છે.

https://tahuko.com/?p=3785

આલાપ દેસાઈએ પણ એનું સુંદર સ્વરાંકન કર્યું છે.

https://aapnuaangnu.com/2021/12/25/man-na-mane-gazal-hemen-shah-alap-desai-gargi-vora/

પણ આજે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું સ્વરાંકન માણીએ, જેની વિશેષતા એ છે કે આ પિયુ અને પાર્થિવનું મેલ ડ્યુએટ છે. ગુજરાતી સુગમ સંગીતમાં મેલ ડ્યુએટ બહુ ઓછા મળે છે. સ્વરાંકનમાં થોડાક શેર લેવાયા છે, પણ વાચકો માટે આખી ગઝલ મૂકી છે.

 

શાયર: હેમેન શાહ
સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર:  પુરુષોત્તમ ઉપાધ્યાય – પાર્થિવ ગોહિલ
આલબમ: દીવાન-એ -ખાસ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ

રોજ વિઘ્નો પાર કરતા દોડવાનું છોડીએ
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ

આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે
કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની રસમ શીખવાડવાનું છોડીએ

કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિન્હ નાનું છોડીએ

***