Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

ગ્લૉબલ કવિતા : ૧૩૪ : કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ

How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

કવિતા કેવી રીતે ખાવી

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)


કવિતા ‘ખાવા’ની કળા…

કવિતા. શું છે કવિતા? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કવિતા કેવી રીતે લખાય? કવિતા વાંચવી કઈ રીતે? –આ બધા પ્રશ્નો કવિતાઓ લખાવી શરૂ થઈ ત્યારથી એકસમાન રીતે કવિઓ અને ભાવકો-બંનેને મૂંઝવતા આવ્યા છે. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને શિરમોર ગણવામાં આવી છે. કવિતા કોઈપણ વિશ્વસંસ્કૃતિના સિરનો તાજ છે. કવિતા સમજવી બધાને સહેલ નથી. કવિતામાં રસ પડવો બધાને સુલભ નથી. ને કદાચ એટલે જ, કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. કલાપી કહી ગયા હતા:

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

ભોગવનાર ન હોય તો કળાનો કોઈ અર્થ સરતો નથી ને યોગ્ય ભોગવનાર મળે તો કળાથી મીઠું બીજું શું હોઈ શકે? કળાની આવી મીઠાશ મનભર કઈ રીતે માણવી એની વાત લઈને ઇવ મેરિઅમની આ કવિતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇવ મેરિઅમ. ૧૯-૦૭-૧૯૧૬ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા ખાતે મેક્સ મોસ્કોવિટ્ઝ અને જેની સિગેલના ઘરે જન્મ. મા-બાપ બંને રશિયાથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. પિતા કપડાંની દુકાનોની શૃંખલા ધરાવતા હોવાથી ફેશનનો હાથ ઝાલીને તેઓ મોટાં થયાં. બાળપણથી કવિતાનું સંગીત એ રીતે આકર્ષતું કે એમને લાગતું કવિ બનવું એ બીજું કંઈ નહીં, પણ એમની પોતાની આંતરિક જરૂરિયાત હતી. કવિતાના પ્રાસ કે શબ્દોની રમત કાને પડતી એ એમને એડ્રિનાલિનનું ઇન્જેક્શન કે પ્રાણવાયુ મળવા બરાબર લાગતું. સાત વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હાઇ સ્કૂલમાં તો પ્રકાશિત કરવી શરૂ કરી દીધી. આર્ટ્સમાં સ્નાતક. શરૂમાં કોપીરાઇટર અને ફેશન સામયિકોના માનદ તંત્રી તરીકે કામ કર્યું. રેડિયૉ માટે પણ લખ્યું. પ્રાધ્યાપિકા તરીકે પણ સેવા બજાવી. મૂળ નામ ‘એવા મોસ્કોવિટ્ઝ’ પણ જ્યારે એમનું પુસ્તક કોઈ છાપતું નહોતું ત્યારે પોતાની યહૂદી અટક અંતરાય બનતી હોવાની એક પ્રોફેસરની સલાહ માનીને ટેબલ પર પડેલી મેરિઅમ-વેબ્સ્ટર ડિક્શનરીમાંથી મેરિઅમ લઈને ઇવ મેરિઅમ નામ અપનાવ્યું. ૩૦ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. બાળકાવ્યોના તો જાદુગર જાણે. એમના બાળકાવ્યો અમેરિકામાં પેઢી-દર પેઢી ભણાવવામાં આવી રહ્યાં છે. ૬૦થી વધુ પુસ્તકો લખ્યાં. વારાફરતી ચાર લગ્ન કર્યાં: એર્વિન સ્પિટ્ઝર (૧૯૩૯), માર્ટિન માઇકલ (૧૯૪૭), લિઓનાર્ડ લેવિન (૧૯૬૩) અને છેલ્લે વાલ્ડો સૉલ્ટ (૧૯૮૩). પ્રવાસ અને સમુદ્રના આકંઠ ચાહક પણ જીવનના કેન્દ્રસ્થાને ન્યૂયૉર્ક જ રહ્યું. એ કહેતાં કે ‘હું મેનહટ્ટનની અંતિમ જીવંત નિવાસી હોવાની આશા રાખું છું જ્યારે અન્યો સૌ પરાં કે ઉપનગરો માટે છોડી ગયાં હોય.’ ૧૧-૦૪-૧૯૯૨ના રોજ ૭૫ વર્ષની વયે મેનહટ્ટન, ન્યૂયૉર્ક ખાતે યકૃતના કેન્સરના કારણે નિધન. મૃત્યુ નજીક હોવાની ખાતરી થયા બાદ લખાયેલ મૃત્યુ-વિષયક કાવ્યો ‘એમ્બ્રાસિંગ ધ ડાર્ક: ન્યૂ પૉએમ્સ’ નામે મરણોત્તર પ્રકાશિત થયાં.

વિપુલ માત્રામાં ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં અને સફળ નાટ્યકાર હોવા છતાંય ઇવ પ્રમુખતઃ કવયિત્રી જ હતાં. એ કહેતાં: ‘તમે કવિતાઓ લખો છો કેમકે એ તમારી અનિવાર્યતા છે… કેમકે તમે એમને લખ્યા વિના તમારું જીવન નહીં જીવી શકો.’ તેઓ ઉમદા જીવનકથાકાર પણ હતાં. નારીવાદી ચળવળો શરૂ થઈ એના ઘણાં વર્ષો પહેલાંથી ઇવના લખાણો, કટાક્ષોમાંથી એ વિશેનો બુલંદ અવાજ ઊઠવો શરૂ થયો હતો. પુરુષ-સ્ત્રી વચ્ચેની સામાજિક અસમાનતા સામેનો એમનો અભિગમ બહુ મજબૂત અને સટીક હતો. એમનો ક્રમિક રાજકીય દૃષ્ટિકોણ એમની કવિતાઓ અને નાટકોમાં શહેરી જીવન અને સામાજિક ન્યાયના સંદર્ભમાં સતત છતો થતો દેખાય છે. મેરિઅમની કવિતાઓ એક તરફ તમામ ઇન્દ્રિયો માટે ઉદ્દીપક અને સંતર્પકનું કામ કરે છે, તો બીજી તરફ આપણી મેધાને પણ પોષે-તોષે છે. મેરિઅમે પાનાં પર શબ્દોની ગોઠવણ બાબતમાં પણ કામ કર્યું હતું, અને એ રીતે દૃશ્યેન્દ્રિયને પોતાની કવિતામાં પૂરેપૂરી કામમાં લીધી હતી. પારંપારિક તુકબંદી ઉપરાંત રવાનુકરણ (onomatopoeia), અંતર્પ્રાસ, વર્ણસગાઈ, અનુનાદ (assonance), રુપક વગેરે તમામ કાવ્ય પ્રયુક્તિઓનો બહોળો પ્રયોગ એમની ખાસિયત ગણાય છે. કવિતાની ભાષા અને ભાષામાંનો અવાજ એ એમનો પ્રથમ પ્રેમ હતો, તો સામાજિક ન્યાય બીજો પ્રેમ હતો. સમાજની આકરી ટીકા કરતું ‘ઇનર સિટી મધર ગૂઝ’ પુસ્તક અમેરિકામાં સૌથી વધુ પ્રતિબંધિત થયેલ પુસ્તક હતું. આ પુસ્તકમાંની સૌથી ટૂંકી કવિતા આ હતી: ‘એક કુટિલ માણસ હતો,/ અને એ ખૂબ સારી રીતે જીવ્યો.’ આ પુસ્તક પરથી બનાવાયેલ સંગીત-નાટિકાએ બ્રૉડવે પર તહલકો મચાવ્યો હતો. ‘ધ વે વી વર’ ફિલ્મનું ‘કેટી મોરોસ્કી’ નામનું પાત્ર એમના જીવન પર આધારિત હતું.

‘કવિતા કેવી રીતે ખાવી’ નાની અમથી રચના છે. ૧૯૬૪માં બાળકો માટે લખાયેલ એમના ‘ઇટ ડઝન્ટ ઑલ્વેઝ હેવ ટુ રાઇમ’ પુસ્તકમાં આ કવિતા પ્રગટ થઈ હતી. બાળકો માટે લખવામાં આવેલ હોવા છતાં મેરિઅમના મોટાભાગના પુસ્તકો મોટેરાંઓને પણ સમાનભાવે અપીલ કરે છે. મેરિઅમ પોતે પણ આ હકીકતથી માહિતગાર હતાં. કદાચ એ રીતે કે તેઓ જાણતાં હતાં કે માણસ ગમે તેટલો મોટો કેમ ન થાય, એની અંદરનું બાળક કદી અવસાન પામતું નથી. સામાન્યરીતે પ્રાસને કવિતાનું બહુ અગત્યનું અંગ માનતાં મેરિઅમે ૬૦ના દાયકામાં કવિતા વિષયક કવિતાઓની પુસ્તકત્રયી પ્રગટ કરી હતી, જેમાં ઉપરોક્ત પુસ્તક ઉપરાંત ‘ધેર ઇઝ નો રાઇમ ફોર સિલ્વર’ અને ‘કેચ અ લિટલ રાઇમ’નો સમાવેશ થાય છે. સ્વભાવિકપણે પ્રસ્તુત રચના છંદ અને પ્રાસથી પર અછાંદસ કાવ્ય છે, જેને મરિઅમે ૫-૨-૭ પંક્તિઓના ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. પહેલો ભાગ કવિતા કેવી રીતે ‘ખાવી’ એ સમજાવે છે, બીજો ભાગ કયા-કયા ઉપકરણોની જરૂર નથી એ કહે છે અને ત્રીજો ભાગ એ માટેનાં કારણો આપે છે.

હવા, પાણી અને ખોરાક જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભલે મનુષ્ય સર્વભક્ષી બન્યો છે પણ લાખો વર્ષ સુધી મનુષ્ય મુખ્યત્વે માંસભક્ષી જ હતો. દસેક હજાર વર્ષ પૂર્વે નૂતન પાષાણયુગમાં માણસ જંગલી ફળો-શાકભાજી અને અનાજ-કઠોળ ખાતો થયો. એ જમાનામાં મનુષ્યની શારીરિક સક્રિયતા એટલી બધી હતી કે એનો ખોરાક પણ આજે આપણી આંખ ચાર થઈ જાય એટલો અધધધ હતો. ખેતીની શોધ સાથે માણસ ઠરીને ઠામ થયો અને સભ્યતાઓ આકાર લેવા માંડી. જ્યારે માણસ ઠરીઠામ નહોતો થયો ત્યારે સ્થળાંતર કરતા પશુઓ સાથે એનું પણ સ્થળાંતર થતું રહેતું અને પ્રકૃતિ અને મનુસઃય વચ્ચેનું સમતુલન તંતોતંત જળવાઈ રહેતું પણ જેવો મનુષ્ય સ્થાયી થયો કે એનો ખોરાક અને ખોરાક માટેના વિકલ્પો-બંને મર્યાદિત બન્યા જેના કારણે આયુષ્ય ઘટતું ગયું, અને કુદરતી પરિબળો પર અવલંબન વધતું ગયું. બાઇબલમાં પણ સાત વર્ષના દુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. સમય-સમયે અને સ્થળે-સ્થળે મનુષ્યોની ખાણીપીણીની પદ્ધતિઓમાં ફરક અને ફેરફાર થયેલાં જોવા મળે છે. ધીમેધીમે મનુષ્ય સીધાં બચકાં ભરીને ખાવા બદલે હાથથી નાના ટુકડાઓ કરીને ખાતો થયો. પછી છરી-કાંટા અસ્તિત્વમાં આવ્યા. ખાવાની વાતની આટલી પારાયણ એટલા માટે કે આપણે કવિતા કેવી રીતે ખાવી જોઈએ એ વાત કરવી છે.

શીર્ષક આપણને ચોંકાવે છે. કવિતા વાંચવાની-સાંભળવાની-માણવાની વસ્તુ છે એવું સાંભળી-સાંભળીને આપણાં મનાંકનો દૃઢ થયાં છે. કવિતા હાથમાં લઈએ એ પહેલાં જ મેરિઅમ સવાલ કરે છે: કવિતા કેવી રીતે ખાવી. કવિતા ખાવાની વાત જ આપણી આંખો ચાર કરી દે છે. આપણે તૈયાર થઈ જઈએ છીએ કે નક્કી આજ સુધી કદી જોયું-જાણ્યું નહીં હોય એવી જ કોઈ વસ્તુ સાથે અહીં આપણો પનારો પડશે. આ શીર્ષક વાંચી લીધા પછી કવિતા વાંચવાનું ટાળી શકે એવો હિંમતવાન તો કોઈ વિરલો જ હોવાનો. શીર્ષક વડે કવયિત્રી ભાવકને જડબેસલાક જકડી રાખે એવો હૂક મારી આપવામાં સફળ રહ્યાં છે. આખી કવિતામાં કુલ છ પૂર્ણવિરામ અને એક અલ્પવિરામચિહ્ન વપરાયાં છે, પણ શીર્ષકમાં પ્રશ્ન હોવા છતાં મેરિઅમ પ્રશ્નાર્થચિહ્ન પ્રયોજતાં નથી, એ સૂચક છે. પ્રશ્ન પછી ચિહ્ન મૂકીને એ ભાવકને અટકવા દેવા માંગતાં નથી. પ્રશ્ન પૂરો થાય એ પહેલાં એ ચિહ્ન ગોપિત રાખીને સીધું જવાબ સાથે જ ભાવકનું અનુસંધાન સાધી આપે છે. નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ખાવા બેસીએ ત્યારે ડાહ્યા થઈને બેસવું. નીચે બેસીએ તો પલાંઠી વાળીને અને ટેબલ પર બેસીએ તો ખોળામાં નેપકિન પાથરીને. ખાતાં પહેલાં પ્રાર્થના કરવાની અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી બાકીનાઓએ રાહ જોવાની. ઉતાવળ તો જરાયે ન કરવાની. નાના કોળિયાં લેવાનાં અને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવાનું. હાથ ન વાપરવા. છરી-કાંટા વાપરવા. સબડકાં ન ભરવા. બચ-બચ કરવું નહીં. આંગળાં ચાટવાં નહીં. સીધું વાસણ મોઢે માંડવું નહીં. અને આ બધા શિષ્ટાચાર પરથી તમારું શિક્ષણ અને સભ્યતા નક્કી કરવામાં આવે છે. જે કામ સજીવમાત્ર કુદરતી સ્વયંસ્ફુરણાથી કરતો આવ્યો હતો, એ શીખવાડવા માટે આજે પૈસા લઈને ચાલતા વર્ગો પણ અમલમાં આવ્યા છે.

પણ મેરિઅમ બધા જ શિષ્ટાચાર નેવે મૂકીને સીધી વાત કરે છે. કવિતા ખાવા માટે એનો પહેલો અને ટૂંકોટચ આદેશ છે કે વિનમ્ર ન બનશો. કરડી ખાવ. આક્રમણ. તૂટી પડો. રાહ ન જોશો. ગળથૂથીથી જે આચારસંહિતા શીખીને આપણે મોટાં થયાં છીએ, કવિતા ‘ખાવા’ સૌથી પહેલાં એનો જ ત્યાગ કરવાનો છે. કવિતાની પાસે જવાની આ પહેલી શરત છે. કોઈપણ જાતના પૂર્વનિર્મિત માપદંડ લઈને જો તમે કવિતાની પાસે જવાની કોશિશ કરશો તો કાવ્યતત્ત્વ કદી હાથ નહીં આવે. કવિત્ એ છટકણો પદાર્થ છે. પ્રારબ્ધની જેમ જ એ ‘રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે’ છે. (બાલાશંકર કંથારીયા) કવિતાની પાસે જવું હોય તો સૌથી પહેલાં તમારે કોરો કાગળ બનવું અનિવાર્ય છે. લીટા પડેલા કાગળ પર લખી નહીં શકાય. આકાર વગરની માટીનો લોંદો લઈને ચાકડે મૂકશો તો જ એમાંથી વાસણ બની શકશે. કેટલી મોટી વાત છે! પણ કવયિત્રી કેવી બાળસુલભતાથી સમજાવી શક્યાં છે!

કોઈ પણ સાધનસામગ્રીની રાહ જોયા વિના કવિતાને સીધી આંગળીઓથી જ ઊંચકી લેવાની છે અને કરડી જ ખાવાની છે. સ્વાદ પામવો હોય તો એમાં સીધા દાંત જ બેસાડવા પડશે, ને આમ કરતાં જે રસ કદાચ તમારી હડપચી પરથી દડીને નીચે ઊતરે છે, એને પણ જતો નથી કરવાનો, તરત જ ચાટી લેવાનો છે. અહીં ‘કદાચ’ શબ્દ પણ ધ્યાન માંગી લે છે. પૂર્ણ જંગલિયત સાથે જ્યારે તમે કવિતાના ફળને કરડી ખાવ છો ત્યારે રસ ભાગ્યે જ છટકી શકશે. એ સંપૂર્ણતઃ તમારા મોંમાં આવશે. પણ ન કરે નારાયણ ને રસ છટકે અને દાઢીથી નીચે ઊતરે તો લગરિક શરમાયા-ખંચકાયા વિના એને પણ ચાટી જ લેવાનો છે. એક બુંદ પણ છટકવા દેવાનું નથી. કવિતા ‘ખાવી’ હોય તો આ સૂચનાનું પાલન કર્યા વિના છૂટકો નથી. માર્ક સ્ટ્રાન્ડ નામના કવિ ‘ઇટિંગ પોએટ્રી’માં લખે છે: ‘શાહી મારા મોઢાના ખૂણાઓથી દડે છે./મારા જેવી ખુશી બીજે ક્યાંય નથી./હું કવિતા ખાઈ રહ્યો છું.’

બીજા તમામ ફળ પાકે અને ખાવા માટે તૈયાર થાય એ માટે તમારે રાહ જોવાની હોય છે પણ કવિતાનું આ ફળ એવું છે, જે તમે જે ઘડીએ તૈયાર અને પરિપક્વ હો એ ઘડીએ જ એ પણ તૈયાર અને પાકી ગયેલું હશે. કવિતાનું આ ફળ તમારી તૈયારી મુજબ પાકે છે. છરી અથવા કાંટા અથવા ચમચી અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથ – તમારે કશાની જરૂર પડવાની નથી. તમારી અને કવિતાની વચ્ચે કોઈપણ સાધન આણવાની જરૂર નથી. કવિતા સાધ્ય છે ને તમે પોતે જ સાધન છો. કોઈપણ બાહ્ય ઉપકરણ કવિતાનો સ્વાદ માણવા માટે ઉપકારક નહીં નીવડે. એકમાત્ર સાધન જો કોઈ હોય તો તે તમે, અને માત્ર તમે જ છો. કવિતા ખાવા માટેના તમામ ઉપકરણો – શબ્દાર્થ, વિવેચન, આસ્વાદ બધું જ અર્થહીન છે. આર્કિબાલ્ડ મેકલેઇશે કહ્યું હતું કે ‘કવિતાનો અર્થ જરૂરી નથી, પણ (કવિતા) હોવી જોઈએ.’ ઇલિયટે પણ કહ્યું હતું કે ‘વિશુદ્ધ કવિતા સમજાય એ પહેલાં જ પ્રત્યાયન કરી શકે છે.’ આમ, કવિતા મૂળે અનુભૂતિનો પદાર્થ છે. અર્થ ન પણ સમજાય તો પણ કવિતા ભાવકના મનમાં સ્પંદન સર્જી શકે છે. આ સ્પંદનો જ કવિતાનો મૂળ અર્થ અને હેતુ હોઈ શકે.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

ઘણા ચિત્રો આપણે કલાકો મથીએ પણ સમજી શકાતા નથી. આપણને એ વાહિયાત લાગે છે. પણ આ ચિત્રો જોતી વખતે આપણી ભીતર જે વિચારવમળ જન્મે છે, જે અરાજકતા અનુભવાય છે એ જ એનો સાચો અર્થ છે. કોઈ જ્ઞાની માણસ આવે અને ચિત્ર કે કવિતાના મહીન પહલૂઓ તરફ આપણું ધ્યાન દોરે ત્યારે આપણી અનુભૂતિનો ગુણાકાર થાય છે. એ વિશેષ મજા છે પણ નાસમજીમાં અનુભવેલ રોમાંચ પણ એટલો જ સાચો છે. મેરિઅમના એક સંગ્રહનું નામ જ ‘આઉટ લાઉડ’ છે. આ બે શબ્દોમાં જ મેરિઅમની કવિતાની આખી ફિલસૂફી છતી થાય છે. કવિતા મનમાં વાંચવાની વસ્તુ છે જ નહીં. મોટેથી વાંચો. ફરી-ફરીને વાંચો. મોટેથી વાંચ્યા વિના અને એ રીતે સાંભળ્યા વિના કવિતાના પ્રેમમાં પડવું શક્ય જ નથી એમ તેઓ માનતાં. કવિતાનું સંગીત આત્માને સ્પર્શવું શરૂ થાય એ પછી જ સાચી કવિતા સમજાવી શરૂ થાય છે. મેરિઅમ કહેતાં: ‘કંઈ પણ કરો, પણ કવિતા વાંચવાના કારણો શોધી કાઢો. એને ખાવ, એને પીઓ, એનો આસ્વાદ લો, અને એને વહેંચો.’

કવિતા ખાવા માટે કોઈ પણ ઉપકરણની જરૂર નથી કારણ કે આ એવું ફળ છે જેમાં કાપીને કાઢવો પડે એવો સફરજન જેવો કોઈ ગર્ભ નથી, લીચી કે બેરી જેવી કોઈ દાંડી નથી, કેળાં, સંતરાં કે અનેનાસ જેવી કોઈ છાલ નથી, ચીકુ, બોર કે જાંબુ જેવા કોઈ ઠળિયાં નથી, સફરજન કે તડબૂચ જેવાં કોઈ બિયાં નથી, અને સંતરા-મોસંબીની જેમ બહારની છાલ કાઢ્યા પછી ચીરીઓ ઉપરની કોઈ ત્વચા નથી, જેને તમારે કાઢી ફેંકવાનું હોય. આ એવું ફળ છે, જેનો કોઈ જ ભાગ તમારે જતો કરવાનો છે જ નહીં. આખેઆખા ફળનો આકંઠ આસ્વાદ લેવાનો છે. તમારી અને આ ફળની વચ્ચે બીજું કશુંય આવવું ન જોઈએ. તમારે બસ, તૂટી પડવાનું છે.

બાળકો માટે લખાયેલી આ કવિતા સહુને સમાન અંશે સ્પર્શે છે. જમવા માટેના તમામ શિષ્ટાચારને સંપૂર્ણતયા તિલાંજલી આપીને જ કવિતાની વાનગી હાથમાં લેવાની છે. કવિતાનો દેખીતો સૂર રમૂજનો છે, હળવાશનો છે પણ વાત મુદ્દાની છે, પાયાની છે. કવયિત્રીનો હેતુ પૂર્ણપણે ગંભીર છે. ચાવીરૂપ સંદેશો એ ભરપૂર આવેશ અને ઊર્જા સાથે આપણા સુધી પહોંચાડે છે: કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

અને કવિતા ‘ખાતાં’ શીખી લીધા પછી ચાલો, એમની જ એક કવિતા ‘’ધ એસ્કેઇપ’ એમણે જે રીતે સલાહ આપી છે, એ રીતે જ ખાઈએ:

અચાનક સબવેમાં
ન્યુઝસ્ટેન્ડ પરથી છાપું ખરીદવાનો સમય રહ્યો નહોતો,
અને પસાર થતી ટ્રેનો પરની બધી જાહેરાતો
(ઇનોના જોડકણાં વાળી સુદ્ધાં) વાંચી લીધા બાદ,
હું મારા અમર આત્મા સાથે રૂબરૂ થઈ ગયો,
અને મારે ઉતરવાનું બીજા ત્રણ સ્ટેશનો પછી આવવાનું હોવાથી
હું ચિંતામાં પડ્યો,
જ્યાં સુધી મેં એક છોકરાને અલગ-અલગ ટ્રેનોમાં ફરીને
કબજિયાત અને ઈલાજ પરના ફરફરિયાં વહેંચતો નહીં જોયો:
એમના પર બંને બાજુઓ પર છાપકામ હતું, અને નીચે ઝીણી પ્રિન્ટ પણ,
મતલબ હવે હકીકતમાં ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું, કંઈ જ નહીં.

ગ્લૉબલ કવિતા : ૧૩૨ : માન – મલિસા સ્ટડાર્ડ

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

– Melissa Studdard

માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદાંમાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું तमसो मा ज्योतिर्गमय…

ઈશ્વર પોતે પુરુષ હતો એટલે સર્જનકાળે કદાચ પક્ષપાત કરવાનું ચૂક્યો નહીં. પુરુષને એણે બળ આપ્યું ને સ્ત્રીને સહનશક્તિ. સ્ત્રીને સૌંદર્ય ને પુરુષને નિતાંત લોલુપતા. પુરુષ મગજજીવી તો સ્ત્રી હૃદયજીવી. સર્જન કરવાની શક્તિ સ્ત્રીને આપી પણ બીજ માટે પુરુષ પર અવલંબિતા રાખી. ટૂંકમાં ઈશ્વરે પુરુષનો હાથ ઉપર રાખ્યો અને બુદ્ધિ-બાવડાંના જોરે પુરુષ અનાદિકાળથી સ્ત્રીઓનું યેનકેન પ્રકારે શોષણ કરતો આવ્યો છે. વાણી-વિચાર-વર્તનથી પુરુષ સ્ત્રીને જેટલું શોષે છે, એના એકાદ ટકા જેટલી જ તક સ્ત્રીને માંડ મળતી હશે. એમાંય પૈસો કે પદ હોય, તો તો સ્ત્રીનું આવી જ બન્યું. અને જેની પાસે પદ-પૈસો નથી, એ તક ઝડપીને શારીરિક નબળાઈનો દુર્લાભ ઊઠાવીને સ્ત્રીને ભોગવવાનો પાશવી આનંદ પ્રાપ્ત કરી લે છે. ‘બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર’ એમ બાલમુકુંદ દવે કહી ગયા, પણ સ્ત્રી હકીકતમાં ઈશ્વરે સર્જેલો સહુથી મોટો ચમત્કાર છે. જ્યાં પુરુષનું વિચારવું ખતમ થઈ જાય છે, સ્ત્રી ત્યાંથી શરૂ કરી શકે છે. જ્યાં પુરુષની સહનશક્તિનું નાકું આવી જાય છે, ત્યાંથી તો સ્ત્રીની શરૂઆત થાય છે. સમય અને સંજોગોની થપાટો સ્ત્રી જેટલી સહજતાથી ખાઈ શકે શકે છે, એ પુરુષ ભાગ્યે જ કરી શકે. સર્જનહારે પણ ધાર્યું નહીં હોય કે પુરુષની શક્તિની સામે સ્ત્રીની સહનશક્તિ વધુ બળવત્તર સિદ્ધ થશે. દેવહૂમા પક્ષીની જેમ રાખમાંથી પુનર્જીવીત થવાની હામ ધરાવતી સ્ત્રીની વાત અમેરિકન કવયિત્રી મલિસા અત્રે લઈ આવ્યાં છે.

મલિસા સ્ટડાર્ડ. ૦૫-૦૮-૧૯૬૯ના રોજ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કલૂસા ખાતે જોન અને લોરી સ્ટડાર્ડના ઘરે જન્મ. ભૂરી મોટી બોલકી ચમકદાર આંખો, સોનેરી ઘેઘૂર વાળ, આલિંગન આપતું પહોળું સ્મિત, ઊંચી-પાતળી કાઠી અને મૂડ મુજબના વસ્ત્રપરિધાનના કારણે તાત્ક્ષણિક વશીભૂત કરતું ચુંબકીય વ્યક્તિત્વ. બાળપણથી ચર્ચ જવાના બદલે ઘરના પછવાડે બેસીને ઈશ્વર સાથે વાતચીત કરવાની આદત. બૌદ્ધધર્મમાં રસ. એક બુદ્ધ સાધુએ એમને કહ્યું હતું, ‘જ્યારે તમે તમારા મનની અંદર જ હળવા થવાનું શીખી લો છો, ત્યારે તમે કાયમી વેકેશન પામી લો છો, દિવસના ચોવીસે કલાક, અઠવાડિયાના સાતેય દિવસ.’ બબ્બે અનુસ્નાતક ડિગ્રીઓ. પહેલી માટેના અભ્યાસ દરમિયાન કાવ્યલેખનની શરૂઆત. કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન. ટૉક શૉ યોજે છે. ‘VIDA: વિમેન ઇન લિટરરી આર્ટ્સ’ સંસ્થાના સ્થાપ. આ સંસ્થા ‘વિડા: વૉઇસિસ એન્ડ વ્યૂઝ’ નામે સાહિત્ય-કળાના ક્ષેત્રો સાથે સંકળાયેલ સ્ત્રીઓના રચનાત્મક વિડીયો ઇન્ટર્વ્યૂ વડે સાહિત્ય તેમજ કળાઓમાં સ્ત્રીઓનો અવાજ બુલંદ કરી લિંગભેદ સામે આંગળી ચીંધે છે. ‘વિમેન’સ કૉકસ’ સંસ્થાના પ્રમુખ. કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કારથી સન્માનિત. સંગ્રહમાંના શીર્ષક-કાવ્ય પર શૉર્ટ ફિલ્મ બની છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં અધિકૃત પસંદગીની ફિલ્મ તરીકે રજૂ કરાઈ છે. દીકરી રોઝાલિન્ડ વિલિયમ્સન બે જ વર્ષની હતી ત્યારે છૂટાછેડા થયા. દસ વર્ષ એકલા હાથે દીકરી અને દુનિયાના બેવડા મોરચા સાચવવામાં કવિતા છૂટી ગઈ. તેઓ પોતાને ઊભયલિંગી (બાય-સેક્સ્યુઅલ) કહેવડાવવાના બદલે સર્વલિંગી (પેન-સેક્સ્યુઅલ’ કહે છે), જેને મનુષ્ય માત્રમાં રસ છે. હાલ તેઓ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે દીકરી સાથે રહે છે. અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં સેવા બજાવ્યા બાદ હાલ લોન સ્ટાર કોલેજ-ટોમ્બાલમાં પ્રાધ્યાપિકા. દેશભરમાં નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

એમની કવિતાઓમાંથી નારીવાદ તારસ્વરે ઊઠતો સંભળાય છે. ઈશ્વરને પણ સ્ત્રીસ્વરૂપે જુએ છે, પણ આ ઈશ્વર દેવની બાજુમાં બેઠેલી દેવી નથી, એ સ્વયં સર્વશક્તિમાન છે. મલિસા લખે છે: ‘તો ઈશ્વર ત્યાં સૂતાં છે, તેણીના પગ પહોળા ફેલાવીને, તેણીના લાલ મખમલી ચીરામાંથી આ ચિલ્લાતી દુનિયાને જન્મ આપતાં.’ ગ્રીક પુરાકથાના પાત્ર ફિલોમીલા -જેના પર બળાત્કાર કરીને સગા બનેવીએ પોતાનો ગુનો ખુલ્લો ન પડે એ માટે જીભ પણ કાપી નાંખી હતી- ની ઘાયલ જીભ (Philomela’s severed tongue)ને કેન્દ્રમાં રાખી નવો કાવ્યસંગ્રહ તૈયાર કરી રહ્યાં છે, જે સ્ત્રીશોષણના વેદનાસિક્ત આયામો રજૂ કરે છે. મલિસાની કવિતાઓમાં પગના મોજાં જેવી ક્ષુલ્લક વસ્તુ આકાશના તારાઓ સાથે, કપડાં ધોવાની ક્રિયા પ્રાર્થના સાથે તો પેનકેક બ્રહ્માંડ સાથે સંવાદિતતા સાધે છે. જોન ડનની આધિભૌતિક (metaphysical) કવિતાઓની પડખે ટટ્ટાર પીઠે બેસી શકે એવી એમની કવિતાઓ છે. રાજકીય ઉથલપાથલો એમની નજરમાંથી બચી શકતી નથી. ચિત્ર, નૃત્ય જેવી દૃશ્યકળાઓ તથા પુરાકથાઓ-પૌરાણિક પાત્રો પર આધારિત કવિતાઓ (ekphrastic poems) એમની આગવી ઓળખ છે. શબ્દોની મદદથી તેઓ જોયેલા ચિત્ર પરથી એક અલગ જ ચિત્ર બનાવે છે, જે મૂળ ચિત્રથી લગરિક ઊતરતું નથી. એમના માટે લખવું એ પોતે જે અનુભવે અને વિચારે છે એને કઈ રીતે વ્યક્ત કરવું એની રોજિંદી મથામણ છે. લખવું જ એમના માટે જાત-સંભાળ છે.

ઉત્તમ કવિતાઓની વાત થાય એટલે આપણી નજર ભૂતકાળ તરફ જ ડોકું ફેરવે. પણ આજે સર્વકાલીન ઉત્તમ ગણાતી કવિતાઓય ક્યારેક સમસામયિક જ હતી. આજે જેને સાંપ્રત ગણીને ઝાઝું માન આપવાથી આપણે દૂર રહીએ છીએ એ આજની કવિતાઓ શું આવતીકાલની પેઢી માટે સર્વકાલીન શ્રેષ્ઠ નહીં હોઈ શકે? મલિસાની આજની કવિતાઓ કદાચ આવતીકાલની ‘ક્લાસિકલ’ કવિતાઓ છે. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં બે’ક સંદર્ભો સમજીએ. કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે. ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે ગ્રીક પુરાકથાઓના કથાનાયક એટલસને પૃથ્વીના છેડા પર જઈને દૈવી સ્વર્ગોને અનંતકાળ સુધી પોતાના ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એણે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે… (આપણે ત્યાં શેષનાગ પૃથ્વીને પોતાની ફેણ ઉપર ઊપાડે છે એવી પુરાકથા છે.) બીજું, કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવો પડે છે. આ માટે પેઢુના જે સ્નાયુ આપણે વાપરીએ છીએ એ સેક્સની ક્રિયામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે. આ બૉલને યોનિમાં નાખી રાખવામાં આવે ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. આવા અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી ‘માન’ કવિતા તરફ વળીએ. શીર્ષક અપેક્ષા જન્માવે છે પણ કવિતા છેલ્લી પંક્તિ સુધી શીર્ષકનું ઔચિત્ય સમજવા દેતી નથી. જો કે અંત સુધી ભાવકને લઈ જવામાં કવયિત્રી મદદગાર થાય છે. એમણે કવિતામાં એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી. વાત કોઈ પણ આરોહ અવરોહ વિના સડસડાટ અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યકલેવરના પ્રાણરૂપ છંદનો પણ મલિસાએ ત્યાગ કર્યો છે. કુછંદની શિકાર યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય બચ્યો હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા પણ કદાચ નાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. કવિતા પોતે અને કવિતામાં દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-પીડતો જ રહે, અને નાયિકાની વ્યથા-કથામાં એ સહિયારી શકે.

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પહેલી નજરે તો આ વાત અનધિકૃત સેક્સ માટે સમાજ દ્વારા શોષિત થયેલી કોઈક નિર્ભયાની વાત છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. એની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. એની જીવન-ઉષ્મા કોઈક છિનવી ગયું છે. જીવન ટાઢું હિમ બની ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. બળાત્કારી કદી એ વિચારતો નથી કે એની બે પળની મજા કોઈક માટે જીવનભરની સજા બની રહેનાર છે. જબરદસ્તી કોઈકને ‘ઓવરપાવર’ કરતી વખતે કદાચ પુરુષને સર્વશક્તિમાન હોવાનો અહેસાસ થાય છે. મફતની વસ્તુ ચાખવાનો, ને ઇચ્છા વિરુદ્ધ કોઈકને ઝબ્બે કરવાનો પૌરુષી આસુરી નશો દુનિયાના કોઈપણ નશા કરતાં વધુ અસરદાર હોવો જોઈએ. કદાચ એટલે જ પરાપૂર્વથી પુરુષ સ્ત્રીમાત્રને માત્ર ભોજ્યભાવે જ જોતો આવ્યો છે. પુરુષ તો ચૂંથીને હાથ ખંખેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની અંદર જે આગ સળગે છે, એ આજીવન બુઝાતી નથી. એની બળતરા આખરી શ્વાસ લગીની છે. પોતે ન કરેલા અપરાધનો બોજ એણે જીવનભર વેંઢારવાનો છે. શરીર પર તો એક જ વાર બળાત્કાર થયો છે, પણ સંવેદના તો આજીવન બળાત્કારાતી રહે છે. પુરુષને તો વીર્યસ્ખલન કરવાની ચાનક ચડી હતી. પોતાનો હાથ વાપરીને આ કામ આસાનીથી કરી શકાયું હોત પણ જે પોતાનું છે જ નહીં, એની મરજી વિરુદ્ધ એના પર પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવાની બે ઘડીની મજા જતી કરે, સામા પાત્રને આજીવન થનાર તકલીફો વિશે એ વિચારે તો એ વળી પુરુષ કેવો? સ્ત્રી પર ચડી બેસવું, સ્ત્રીનો એક વસ્તુ ગણીને ઉપભોગ કરવો એ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે!

સ્ત્રી માટે તો દરેક રાત હવે એક યુદ્ધ છે. કોઈ નવું આવશે ફરી એના પર બળાત્કાર કરવા. કે ઘર ભાળી ગયેલ જમ પણ મનફાવે ત્યારે બોડી બામણીનું ખેતર ચરવા ફરી-ફરીને આવી શકે છે. આ ભયનું કાયમી અંધારું જ હવે એની કાયમી રાત છે. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. કોઈ હુમલો લઈને ચડી આવે તો પણ પોતા સુધી પહોંચી ન શકે એ માટે એ એક ખાઈ બનાવી રહી છે. આવનાર પુરુષ એના શરીરને તો કદાચ ફરીથી પામી શકશે પણ એના અહેસાસને પહેલીવારમાં જે રીતે ચકનાચૂર કરી ગયો, એ રીતે હવે બીજીવાર નહીં કરી શકે, કેમકે સ્ત્રી રોજ રાતે પોતાની સંવેદના અને પુરુષની પહોંચની વચ્ચે એક ખાઈ બનાવી રહી છે, જાળીબંધ દરવાજાઓ ઊભા કરી રહી છે. હવે બીજીવાર કોઈ આ શરીર પર ચડાઈ કરે તોય એના ભાગે અચેતન શરીર જ આવશે, અંદરની સ્ત્રીને પીડિતા રોજેરોજ વધુને વધુ સુરક્ષિત બનાવી રહી છે. એ હવે કોઈનીય પહોંચબહાર જઈ પહોંચી છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે. પુરુષ તો ઘોડેસવારી કરીને ચાલ્યો ગયો. સ્ત્રી પોતાનું સમતુલન ખોઈ ચૂકી છે. એને પોતાના જીવતરની લગામ હાથમાંથી જતી રહેલી લાગે છે. અને નિરંકુશ અશ્વોને પહાડની ટોચે અટકી જવાનો ખ્યાલ પણ ક્યાંથી રહે? કોઈકના પાપે પતનની ખીણમાં સતત ગબડવાની સજાથી વધુ પરાધીનતા અને નિર્બળતાની લાગણી બીજી કઈ હોઈ શકે? પણ કવિતા અહીં વળાંક લે છે

આ સ્ત્રી છે. એ તાકાત છે. એનું શરીર કદાચ ઘડનારે કમજોર બનાવ્યું હશે પણ એનું ભીતર દુનિયાના કોઈપણ મર્દ કરતાં વધુ બળકટ છે. એના શરીરને જીતવું આસાન છે, પણ એના અહેસાસને જીતવો અશક્ય. એની કાયાને પરાજીત કરવી સરળ હશે પણ એના માનસને તમે એની મરજી વિના અડી પણ નહીં શકો. આ નિર્લગામ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈ તો રહ્યા છે પણ ખતમ થઈ જતા નથી. તળિયે અફડાઈને ચૂરચૂર થઈ જવાના બદલે તેઓ એ પહેલાં જ ફૂદાંમાં પરિવર્તન પામે છે. ફૂદાં વિકાસ પામશે અને રંગબેરંગી પતંગિયાંમાં પરિણમશે. કોઈકે ભલે બેરંગ બનાવવા ધારી હોય, પણ આ જિંદગી ફરી એકવાર અનેકાનેક રંગો જન્માવી મુક્ત ગગનમાં સંચરવાની ફિનિક્સી ક્ષમતા ધરાવે છે. તળિયે પછડાઈને નષ્ટ થવા પૂર્વે જ પોતાની મરજીથી ઊડી શકનાર ફૂદાંમાં થતું આ પરિવર્તન એ નારીની પોતાની જન્મજાત અસીમ આંતર્શક્તિમાંના અખૂટ વિશ્વાસ અને એણે ભોગવેલી તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसो मा ज्योतिर्गमय |

પેલા ઘોડાઓની ખરીઓ એના જીવતરના આકાશ પર મધરાત્રિના લિસોટાઓ છોડી જાય છે. રૂપક ધ્યાન આપવા જેવું છે. આ ઘટના એના જીવનને મધરાત્રિ નથી બનાવી દેતી, પણ જે રીતે ઘોડાની ખરી જમીન પર એમ આ ઘટના એના જીવતરના આકાશ પર મધરાત્રિના કાળા લિસોટા છોડી જાય છે. અર્થાત્, દિવસ હોય કે રાત, એના આકાશમાં આ કાળા લિસોટા કાયમ માટે નજરે ચડનાર છે. કોઈ સૂર્યનો પ્રકાશ આ લિસોટાને ગોપવી શકવા સમર્થ બનનાર નથી. નાનાં બાળકો પાસે સોફ્ટ ટોય્ઝનો એક આખો પરિવાર હોય છે. ટેડી બેર કે રેબિટ જેવા આ પોચાં રમકડાંઓ ભૂલકાંઓના પરમ મિત્ર હોય છે, જેમની સાથે તેઓ પોતાના અંગતતમ રહસ્યો ‘શેર’ કરતાં હોય છે. આ રમકડાં કદી કોઈને ચુગલી કરવા જતાં નથી. આપણે ત્યાં તો બળાત્કારના મોટા ભાગના કિસ્સા લોકડર ને લોકલાજે બહાર જ આવતા નથી. ભૂલ કોઈકે કરી છે, પણ આપણો સમાજ સજા ભોગ બનનારને જ કરતો આવ્યો છે. બળાત્કાર પામેલી સ્ત્રીએ મોઢું છૂપાવીને જીવવું પડે એ આપણી મહાન ભારતીય સંસ્કૃતિની અદભુત મહાનતાનું સુવર્ણપૃષ્ઠ છે! સમાજ આ સ્ત્રીને એ રીતે જુએ છે, જાણે અરેરે! આપણે બાકી રહી ગયા!!! વિદેશોમાં પરિસ્થિતિ આટલી ખરાબ નથી. ત્યાં સ્ત્રીઓ આગળ આવીને વાત કરી શકે છે. પણ એ છતાં હકીકત છે કે પાશ્ચાત્ય દેશોમાંય આજની તારીખે પણ ઘણી બધી સ્ત્રીઓ પોતાના જાતીય શોષણની વાત પોતાના સુધી જ સીમિત રાખીને જીવતી રહે છે. મોટાભાગના અપરાધ છતા થતા જ નથી. #MeToo આંદોલન સ્ત્રીઓ પોતાના પર થયેલા અત્યાચારોની વાત કરવા આગળ આવી એ બતાવે છે એના કરતાં વધુ તો એ વાતની સાબિતી આપે છે કે અત્યાચારો થયા હોવા છતાં કેટલી બધી સ્ત્રીઓ અત્યાર સુધી ચુપચાપ જીવ્યે જતી હતી! નાયિકા પણ પોતાના પર થયેલા અત્યાચારોની વાત પોતાના હાથ અટકાવનાર સમાજને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝને એ કરે છે. મતલબ એ પોતાના ઘા પોતાના પૂરતા સીમિત રાખે છે.

પણ એ મરી પરવારી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કોઈને કશું કહ્યા વિના. ચુપચાપ. અધિકૃતતાથી. ચઢિયાતાપણાંથી. પૃથ્વીને પોતાના ખભા પર ઊંચકવા માટે એક પુરુષે-એટલસે- કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો! દુનિયા સદીઓથી એટલસની આ ક્ષમતાને માનભરી નજરે જોતી આવી છે. એટલસ પુરુષપ્રધાન સમાજનો ગૌરવાન્વિત નાયક છે. એના નામ પરથી ટાપુ (એટલાન્ટિસ) –સમુદ્ર (એટલાન્ટિક)ના નામકરણ કરવામાં આવ્યાં છે. પણ નાયિકા એટલસના આ તમામ ‘પુરુષાર્થ’ને વિસ્મિતભાવે જુએ છે. જે સહજતાથી-સરળતાથી એ પોતાની દુનિયાને વેંઢારી રહી છે એની સામે એટલસની આ મહાગાથા સાવ વામણી ભાસે છે. દૃશ્યને વેંઢારવું કદાચ આસાન છે, પણ અદૃશ્યને વેંઢારવું વધુ ક્ષમતા, વધુ સમર્પણ, વધુ પ્રતિબદ્ધતા માંગી લે છે. સ્ત્રી આ દુનિયાને પુરુષ કરતાં વધુ સહજતાથી-સરળતાથી લઈ શકે છે. છેક અહીં આવીને કવિતાનું શીર્ષક આપણને સમજાય છે. કવયિત્રી નાયિકાની પીડા ઊંચકવાની ક્ષમતા સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને, નાયિકાની ક્ષમતાનું મહિમાગાન કરીને, સ્ત્રીને- યૌનપીડિતાને સર્વોચ્ચ ‘માન’ આપે છે.

ગ્લોબલ કવિતા : ૧૨૯ : લીલી દ્રાક્ષ – અનામી (ગ્રીક)

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે… પ્રતીક્ષા ચિરકાલીન છે… પ્રેમ અમર છે…

જીવન નાશવંત છે, પ્રેમ શાશ્વત છે એમ કહેનારા કહી ગયા છે, અને આપણે સાંભળતા તથા ડોકું હલાવીને અનુમોદન આપતા આવ્યા છીએ. પ્રેમ કઈ લાગણીનું નામ છે એ વ્યાખ્યાયિત કરવામાં કવિઓએ અને ચિંતકોએ જિંદગીઓની જિંદગી વિતાવી દીધી પણ આ કંઈક એવી અનુભૂતિ છે જેને કોઈ નિશ્ચિત ચોકઠાંમાં કદી બેસાડી શકાઈ નથી અને બેસાડી શકાશે પણ નહીં. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમ, પ્રેમની વ્યાખ્યા અને અનુભૂતિ અલગ-અલગ હોવાની. એક જ વ્યક્તિ માટે પણ અલગ-અલગ સમયે અને અલગ-અલગ વ્યક્તિઓ માટેની પ્રેમની વ્યાખ્યા ભાગ્યે જ એકસમાન હોઈ શકે છે. સાચા પ્રેમ માટે આવું કહી શકાય:

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

પણ અધિકાર, અપેક્ષા વગેરનો કાદવ સ્પર્શી જ ન શકે એ રીતે દુનિયામાં ભાગ્યે જ પ્રેમનું કોઈ કમળ ખીલતું હશે. પ્રેમ થાય એટલે ક્રમશઃ સંબંધમાં મમત્વ, આશાઓ, અહંકાર વગેરે બદીઓ આરબના તંબુમાં જે રીતે ઊંટ ઘૂસ્યું હતું એમ પગપેસારો કરે છે અને નાક, માથું, ગરદન કરતાં-કરતાં જે રીતે ઊંટ આખુ તંબુમાં ઘૂસી જતાં આરબનો તંબુનિકાલો થયો હતો એ રીતે સંબંધમાંથી પ્રેમનું બાષ્પીભવન થઈ જતું જોવા મળે છે. ફક્ત જે સંબંધો અધિકારભાવે બંધાતા નથી એમાં જ સ્નેહ આખર સુધી ટકી રહેલો જોવા મળે છે. કદાચ એટલે જ પતિ-પત્ની કરતાં દોસ્તો વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત અને દીર્ઘાયુ જોવા મળે છે. આજે જે કવિતાની વાત કરવી છે એમાં વાત તો પ્રેમની જ છે, પણ વધતી જતી વય પણ સાથે સંકળાયેલ જોવા મળે છે.

ડૂડલી ફિટ્સે અંગ્રેજી અનુવાદ કરેલ આ કવિતા સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. કવિતાનો રચનાકાળ ચોક્કસ કરી શકાયો નથી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ”

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યસ્પદ ગણી છે. ઘણા આ કવિતાને કવિતા જ ગણતા નથી. પણ આ ત્રણ જ પંક્તિની નાનકડી રચના ધ્યાન આપીએ તો જીવનની સૌથી અગત્યની બે વાત- પ્રેમ અને વધતી વયની- કરે છે, એ તરત જ સ્પર્શી જાય એવી છે. રચના ખૂબ સરળ છે પણ એના સંદર્ભે ઘણું વિચારી શકાય એમ છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો? પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ઈસુના જન્મથી સોએક વર્ષ પહેલા થઈ ગયેલા ફિલોડેમસની કાવ્યનાયિકાઓમાંની એક, વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે ! આ સિવાય જોઈએ તો કોઈ પણ ફળનો સંદર્ભ પરિણામ સાથે સંકળાયેલો હોય છે. ફળ બીજનું અંતિમ પરિણામ છે. બીજમાંથી કૂંપળ, છોડ-વૃક્ષ, ફૂલ અને આખરે ફળ. ફળનો એક અર્થ જ પરિણામ છે. મહેનતના ફળ કોને મીઠાં ન લાગે? ભગ્વદગીતા પણ કર્મ અને ફળના પાયા પર રચાયેલી છે. ફળોમાં દ્રાક્ષ પરિણામ, પુરસ્કાર અને પરિતોષનું પ્રતીક ગણાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નોમાં આવતા વિવિધ પ્રકારના દ્રાક્ષના સંદર્ભોના અર્થ જોવા મળે છે અને મોટાભાગના હકારાત્મક છે. દ્રાક્ષ તો આમેય પ્રણયનું અર્ક ગણાય છે. દ્રાક્ષાસવનો ઇતિહાસ કદાચ માનવ-ઇતિહાસ જેટલો જ પુરાણો છે. ઇજિપ્તના પિરામિડોમાંથી પણ દ્રાક્ષાસવના પુરાવાઓ મળી આવ્યા છે. રોમન પુરાણકથાઓમાં બક્ચુસ (Bacchus) નામના દેવતાનો ઉલ્લેખ છે, જે ખેતી, શરાબ અને ફળદ્રુપતાનો દેવતા છે અને દ્રાક્ષ એનું પ્રતિનિધિત્વ કરતું ફળ છે. દ્રાક્ષને કામોત્તેજક ફળ ગણવામાં આવે છે. ભરાવદાર અને રસદાર હોવાના નાતે વિશ્વસાહિત્યમાં ઠેકઠેકાણે દ્રાક્ષને સ્ત્રીના પ્રતીક તરીકે પ્રયોજવામાં આવી છે. સોફા પર આડી પડેલી સ્ત્રી દ્રાક્ષનો ઝુમખો હોઠ તરફ લાવે અથવા પ્રેમી આ કામ કરે એ દૃશ્ય ચિત્રકળા, કવિતા-નાટક-ચલચિત્રોના માધ્યમથી જનસમૂહના માંસ પર કામકેલિના રણશિંગા સમું અંકાઈ ચૂક્યું છે. દ્રાક્ષના બી અને છાલ વયપ્રતિકારક (anti-aging) દ્રવ્યોથી ભરપૂર હોય છે. પ્રસ્તુત રચના દ્રાક્ષના સ્ત્રી અને વય –બંને સાથેના સંદર્ભો એકીસાથે ઊઘાડવાનું કામ કરે છે. વધતી વય કોને નથી સતાવતી?

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. ચહેરા પર મૂંછનો પહેલો દોરો ફૂટે એ અનુભૂતિ જેટલા ગર્વભરી હોય છે, એટલી જ મૂંછમાં પહેલા ધોળા વાળના દર્શનની અનુભૂતિ કષ્ટભરી હોય છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ યૌવન અને ઘડપણની માયાજાળથી અછતા નહોતા રહી શક્યા: ‘ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.’ નર્મદ જેવો ભડવીર પણ ગાઈ ગયો: ‘હરિ, તું ફરી જોબનિયું આપે.’ ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. પુરાણકાળમાં તો એક જ યયાતિ હતો જેણે પોતાનું યૌવન સાચવી રાખવા માટે પોતાના સંતાનની યુવાનીનો ભોગ પણ સ્વીકાર્યો હતો પણ ખરું જોઈએ તો એકેય અપવાદ વિના આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ સદાકાળ નિતાંત યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતના યક્ષ પ્રશ્નોમાંનો એક આ હતો: ‘સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું?’ અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી; આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિએ શૃંગારશતકમાં કહ્યું હતું:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।

(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ.’

વધતી વય ઉપરાંત બીજી એક વાત પણ ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની તો આખી વાડીની વાડી હોય. પણ નાયકની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને સાથી કૌરવો-પાંડવો, વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી –કશું જ નહીં, માત્ર ને માત્ર પંખીની આંખ જ દેખાતી હતી એમ કાવ્યનાયક પણ એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ જ ‘સર્વસ્વ’ છે. નાયક નાયિકા ભરયૌવના હતી ત્યારથી એના પ્રેમમાં છે પણ કોઈક કારણોસર નાયિકાએ આ પ્રેમનો એ સમયે સ્વીકાર કર્યો નથી. કવિતામાં આ માટેનું કોઈ કારણ નિર્દેશાયું નથી ને કવિતાને આમેય કારણો સાથે સંબંધ હોવો બિલકુલ આવશ્યક હોતું નથી. નાયિકાનો ઇનકાર બરકરાર રહ્યો છે એની સમાંતરે જ નાયકનો એકરાર પણ અકબંધ રહ્યો છે. સમય સાથે વય ઢળવા આવી છે, એવા પરિપક્વ તબક્કે પણ નાયિકા નાયકના ઈજનને ઠુકરાવે છે. મતલબ કારણ જે પણ હોય, નાયિકાની ના કોઈ મુગ્ધાની અણસમજમાંથી જન્મેલી ના નથી. નાયિકા હવે પરિપક્વ સ્ત્રી બની ચૂકી છે. મતલબ એનો નકાર પણ એટલો પુખ્ત જ હશે. તો સામા છેડે નાયક પણ હવે છેલબટાઉ આશિક રહ્યો નથી. એ પણ પાકટ બન્યો છે. અને હજી એણે આશા ત્યજી નથી. હજી એણે નાયિકા સિવાય બીજા કોઈનો હાથ ઝાલ્યો નથી. એ હજીય પૂર્ણ પ્રામાણિકતાથી નાયિકાની ‘હા’ની પ્રતીક્ષામાં છે. એનો પ્રેમ પણ એની વયની સાથે પુખ્ત અને સમજદાર બન્યો હશે. નાયિકાના નકારનું કોઈ કારણ નથી. નાયકના પ્રણયનું કારણ કવિ કલાપી આપી ગયા હતા: ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની તેહ લક્ષ્મી બધી.’

મુગ્ધાવસ્થા ગઈ, પરિકવતા પણ ગઈ, હવે વૃદ્ધાવસ્થા આવી ઊભી છે. નાયિકાથી નકાર છૂટતો નથી, નાયકથી ઇંતેજાર છૂટતો નથી. પ્રિયતમાની વધતી વયને ઉનાળાના દિવસ સાથે સરખાવવાનો ઇનકાર કરીને શેક્સપિઅરે ૧૮મા સૉનેટમાં સૌંદર્ય નાશવંત હોવાનું સ્વીકારીને પ્રિયતમાના સૌંદર્યને કવિતામાં કેદ કરીને અમરત્વ આપવાની કોશિશ કરી હતી એ આ તબક્કે યાદ આવી જાય. પણ પ્રસ્તુત કવિતાનો નાયક વધુ વાસ્તવદર્શી છે. એ સવાર, બપોર અને સાંજના સૂરજને સ્વીકારીને ચાલે છે. પણ હવે મનુષ્યસહજ અપેક્ષા એના અત્યાર સુધીના એકતરફા પણ નિરપેક્ષ પ્રેમમાં પ્રવેશે છે. નાયિકાની ચામડી પર પડેલી કરચલીઓ અને ધોળાં થયેલાં વાળ એની નજરે પડે છે, ત્યારે એને એ પણ અહેસાસ થતો હશે કે એ પોતે પણ સંધ્યાચળે આવી ઊભો છે. એના પ્રેમનું હવે આ તબક્કે પણ કોઈ વળતર નહીં મળે તો શક્ય છે કે એણે ખાલી હાથે જ કબરમાં સૂવાનું થાય. પણ આટઆટલા દાયકાઓની એકધારી પ્રતીક્ષા બાદ કદાચ ખાલી હાથે ને ખાલી હૈયે જ મરી જવાનું એને સ્વીકાર્ય નથી. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું અત્યાર સુધીનું જીવનપાથેય હતું. પ્રતીક્ષાની ચરમસીમાએ ‘સમગ્ર’ની અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ આ અપેક્ષા એક ‘આખી’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત થઈ જાય છે. અપેક્ષાની પરાકાષ્ઠાએ ફરિયાદ પણ સામેલ થાય છે. નાયિકાએ પણ કદાચ આજીવન કોઈ સાથીને અપનાવ્યો લાગતો નથી. એ છતાં એ નાયકના એકધારા પ્રેમ અને સમય-સમય પરના એકરાર અને સ્વીકારની માંગણીને સ્વીકારતી નથી એટલે અંતે નાયકથી માનવસહજ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. ગાલિબે પણ થાકીને કહ્યું હતું: आह को चाहिए इक उम्र असर होने तक, कौन जीता है तेरी ज़ुल्फ़ के सर होने तक। आशिक़ी सब्र-तलब और तमन्ना बेताब, दिल का क्या रंग करूँ ख़ून-ए-जिगर होने तक। આખી ઉમર આહ કરવામાં અને પ્રેમને ધીરજ ધરવાનું શીખવાડવામાં વીતાવી તો ખરી પણ અંતે બેતાબ તમન્ના ફરિયાદ કરે છે: કંઈક તો આપ. પૂરું નહીં તો અસ્તિત્વનો એક અંશ તો આપ. આખી જિંદગી મને નકાર્યે રાખવો શું જરૂરી છે? શું મને એક બટકુંય નહીં મળી શકે? પ્રેમના એક ટુકડા માટેય મને નકારવો શું જરૂરી જ છે? નાયકની સ્વગતોક્તિનું આ કાવ્ય આ રીતે ફરિયાદમિશ્રિત અપેક્ષાના ઉંબરે આવીને પૂરું થાય છે.

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી) અમર આશાના તાંતણાને પકડીને જીવી રહેલા આ નાયકને જોઈને ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવી જાય:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી યથાતથ્ રહે છે એ કેટલી મોટી વાત ગણાય! પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચિરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

ગ્લૉબલ કવિતા : ૧૨૭ : ચુંબન – સારા ટિસડેલ

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

ચુંબન

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

पहला नशा… पहला खुमार…

પ્રથમની ઉત્તજનાથી વધુ બીજું કંઈ હોતું નથી. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પ્રથમની તો વાત જ અલગ. પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. ને વળી ‘પહેલું’ કદી ફરીને આવતું નથી, માટે જ એની સરખામણી શક્ય જ નથી. કેટલાક લોકો પોતાના જીવનના આવા ‘પહેલા’ઓની યાદી બનાવતા હોય છે, તો કેટલાક એને યાદમાં સંગોપીને વિન્ટેજ વાઇનની જેમ આજીવન ચુસકી ભરતા રહે છે. કોલેજનો પહેલો દિવસ હોય કે લગ્નની પહેલી રાત- લોકો તડામાર તૈયારી કરવાનું ચૂકતા નથી. પહેલી પળનો રોમાંચ તસુભર માણવાનું ચૂકી ન જવાય એ માટે માણસ પોતાની જાતને દિવસો સુધી તૈયાર કરે છે. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે.

સારા ટ્રેવર ટીસડેલ. ૦૮-૦૮-૧૮૮૪ના રોજ સેંટ લૂઈ, મિસોરી, અમેરિકા ખાતે મેરી વિલાર્ડ અને જોન ટિસડેલના પૈસાપાત્ર ઘરે ચોથા અને છેલ્લા સંતાન તરીકે જન્મ. નબળા સ્વાસ્થ્યના કારણે ૯ વર્ષની વય સુધી ઘરે જ ભણ્યાં. સ્વાસ્થ્ય તો જોકે આજીવન નબળું જ રહ્યું અને એક નર્સ મોટાભાગનો સમય એમની સાથે જ રહેતી. સૌથી નાનાં અને તબિયતે કમજોર હોવાના કારણે રાજકુમારીની જેમ લાડમાં ઉછર્યાં. બોલતાં શીખ્યાં ત્યારે પહેલો શબ્દ એ ‘pretty’ (સુંદર) બોલ્યાં હતાં. ૧૯૦૩માં સ્નાતક થયાં. ૧૫ વર્ષની વયે પહેલી કવિતા લખી. ૧૯૦૭માં ૨૩ વર્ષની વયે એમની પ્રથમ કવિતા અને પ્રથમ કાવ્યસંગ્રહ –બંને પ્રગટ થયાં. પોતાની કવિતાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે તેઓ ખૂબ સતર્ક હતાં. એ જમાનામાં સોશ્યલ મિડીયાઝ તો નહોતા, એટલે સ્ત્રી તરીકેની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે, પણ ખંતપૂર્વક તેઓ પોતાનો સંગ્રહ ટપાલ વડે યોગ્ય જગ્યાઓએ પહોંચે એની કાળજી લેતાં. જો કે પુલિત્ઝર વિજેતા ‘લવ સૉન્ગ્સ’ પુસ્તક એટલું લોકપ્રિય થયું કે એની એકાધિક આવૃત્તિઓ ટૂંકા ગાળામાં છાપવી પડી હતી. ત્રણેક વર્ષ ઘણા બધા પુરુષો સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ ૧૯૧૪માં અર્ન્સ્ટ ફિલસિંગરને પરણીને ન્યૂયૉર્ક સ્થાયી થયાં. બહુખ્યાત પુલિત્ઝર પ્રાઇઝની શરૂઆત ૧૯૨૨માં થઈ પણ એ પહેલાં ૧૯૧૮માં આ ઈનામ પહેલવહેલીવાર ‘સ્પેશ્યલ પ્રાઇઝ’ તરીકે સારાને આપવામાં આવ્યું હતું. વ્યવસાયાર્થે સતત પરિભ્રમણ કરતા પતિને ૧૯૨૯માં છૂટાછેડા લઈ એમણે ચકિત કરી દીધો. જૂના પ્રેમીઓમાંથી એક, હવે પરિણીત કવિ વચેલ લિન્ડસે સાથે ફરી સ્નેહસંબંધે જોડાયાં. એમનો છેલ્લો સંગ્રહ પ્રગટ થયો એ જ વર્ષની શરૂઆતમાં ન્યુમૉનિયાથી લાંબો સમય રિબાયા બાદ વધુ પડતી ઊંઘની ગોળીઓ લઈને માત્ર ૪૮ વર્ષની વયે ૨૯-૦૧-૧૯૩૩ના રોજ ન્યૂયોર્ક ખાતે એમણે આત્મહત્યા કરી. આત્મહત્યાના અઢાર વર્ષ પૂર્વે પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહમાંની ‘આઇ શેલ નોટ કેર’ કવિતાને ઘણા લોકો એમની ‘સુસાઇડ નોટ’ ગણવાની ભૂલ કરે છે.

સારાની કવિતાઓ પ્રમુખ અંગ્રેજી કાવ્યધારાઓમાંની ‘ક્લાસિકલ’ ધારાને વરેલી છે. મુખ્યત્વે તેઓ તેમના ગીતો માટે વધુ જાણીતાં છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે તો લખ્યું હતું: ‘મિસ ટિસડેલ પહેલાં, અંતે, અને હંમેશા એક ગાયિકા છે.’ પરવીન શાકિરની જેમ સારાના ગીતો એક સ્ત્રીના અંતરના ભીતરતમ પડળમાંથી ઊઠતો નિજી અવાજ છે, જે જેટલો સરળ લાગે છે એટલું જ ઊંડાણ ધરાવતો હોવાથી જનસમાજને વ્યાપક રીતે સ્પર્શી શક્યો છે. એમના જીવનકાળમાં તેઓ વાચક અને વિવેચક -બંનેના પ્રિય હતાં. માનવસંબંધના ઝીણેરાં સંવેદનો એમણે કુમાશથી કાંત્યાં છે. એમની કવિતાઓમાં લંબાઈ કરતાં ઊંડાઈ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જાણે ગાગરમાં સાગર ન હોય!

પ્રસ્તુત રચના ‘ચુંબન’ પણ આ વાતની પ્રતીતિ છે. માત્ર આઠ જ પંક્તિનું આ સાવ ટબુકડું પણ કેવું બળુકડું ગીત છે! અહીં માત્ર ચાર-ચાર પંક્તિઓના બે જ બંધ છે અને પંક્તિઓ પણ સાવ નાનકડી. અંગ્રેજીમાં પ્રચલિત આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) વાપરવાના બદલે સારા એકી પંક્તિઓમાં ટેટ્રામીટર (આઠ શબ્દાંશ) અને બેકી પંક્તિઓમાં તો સાત જ શબ્દાંશ (સિલેબલ્સ) પ્રયોજે છે. કવયિત્રી ચુસ્ત પ્રાસ મેળવે છે, પણ માત્ર બેકી પંક્તિઓમાં જ. ગુજરાતી અનુવાદ પણ મૂળ અંગ્રેજી રચનાને અનુસરીને બેકી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવવાની સાથે એકી પંક્તિઓમાં આઠ ગુરુ અને બેકી પંક્તિઓમાં સાત ગુરુ માત્રાવિન્યાસ કરીને તાલમાં તાલ મિલાવવાની કોશિશ કરે છે. ટૂંકી પંક્તિઓ, ઓછી પંક્તિસંખ્યા, સરળ અને સહજ શબ્દો, ચુસ્ત પ્રાસ અને પ્રવાહી લયના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિનું આ ગીત છે. ચુંબન આમેય કવિઓનો પ્રિય વિષય રહ્યો છે. આ જ શીર્ષકધારી અન્ય એક ગીતમાં સારા કહે છે, ‘તેં મને ચૂમી એ પહેલાં માત્ર સ્વર્ગમાંથી વાતા પવનો અને વરસાદની ઋજુતાએ જ મને ચૂમી હતી, પણ હવે તું આવી ગયો છે તો એમના જેવા ચુંબનોની દરકાર હું કઈ રીતે રાખી શકું? દરિયો દક્ષિણના ગીતો ગાતા પવનો મને ચૂમવા મોકલે છે, પણ હું મારું મોઢું દૂર ફેરવી લઉં છું જેથી મારા હોઠ પરના તારા ચુંબનોની પવિત્રતા યથાવત જાળવી શકું અને એપ્રિલની પ્રકાશિત ઋતુના મીઠા વરસાદો પણ મારા હોઠ શોધી નથી શકતા, જેના પર ચુંબનો હજી જીવંત છે; હું મારું માથું નમાવી લઉં છું, જેથી જે રીતે વરસાદ તારાઓ બુઝાવી દે છે, મારી શોભા ઓલવી ન દે. હવે હું મારા પ્રેમીની છું અને એ મારો છે હરહંમેશ માટે, મહોર મારીને કાયમ માટે સીલ કરી દઈને. તમને શું લાગે છે, જ્યાં પહેલાં રાજા ઊભો હતો, ત્યાં હું ભિખારીને પ્રવેશવા દઈશ?’ ચુંબનનું આ ગીત ખાસ એટલા માટે આખું અહીં ઉતાર્યું છે કે અહીં પ્રથમ ચુંબનની મહત્તા સારાએ સ્થાપી છે અને જે રીતે અમિતાભ બચ્ચન સાથે હાથ મેળવ્યા બાદ એ સ્પર્શ ઊડી ન જાય એ માટે ઘણા લોકો ત્રણ-ચાર દિવસ સુધી હાથ ધોતા નથી હોતા એ જ રીતે સારા પ્રિયતમના ચુંબનને સાચવે છે. પણ જે કવિતાની આપણે અહીં વાત કરવા ધારી છે એમાં પ્રથમ ચુંબનની વાત આનાથી બિલકુલ વેગળી છે. અલગ-અલગ મનોસ્થિતિમાં એક જ કવિ એક જ અનુભૂતિને કેવી અલગ-અલગ રીતે તાગે છે એ પણ કેવું રસપ્રદ છે, નહીં?!

આ નાયિકાની એકોક્તિ-સ્વગતોક્તિ છે. નાયિકાને આશા હતી કે નાયક એને પ્રેમ કરશે. અને એણે એને મુખ પર ચૂમી લીધી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રેમ છે. પ્રેમના એકરાર અને ચુંબન વચ્ચે શૂન્ય સમયગાળો હોય એ સહેજે સમજી શકાય છે. નાયિકાને આશા હતી કે બંને વચ્ચેનો સંબંધ જે રીતે આકાર લઈ રહ્યો છે એ મુજબ ગમે ત્યારે નાયક પ્રેમનો એકરાર અને ચુંબન કરશે જ. બે પંક્તિની વચ્ચે ‘પણ’ના સ્થાને ‘(અ)ને’ પ્રયોજાયું છે એ સૂચક છે એ વાતનું કે ચુંબન પ્રેમના એકરારની સાથે જ વણાયેલી અભિવ્યક્તિ છે. બલ્કે, ચુંબન જ કદાચ પ્રેમના આવિર્ભાવને સંપૂર્ણ કરે છે. ચુંબન વિશેનું સારાનું અન્ય ગીત ‘નજર’ અહીં માણવું ગમે એવું છે:

ધવલ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં કલ્પન,
પણ નીરવે માત્ર જોયે જ રાખ્યું
ચૂમ્યો નહીં કદી પણ.

ખોવાઈ મસ્તીમાં ચૂમી ધવલની,
કલ્પનની રમતમાં,
પણ મને રાત-દિ પીડે ચૂમી જે
હતી નીરવની નજરમાં.

પ્રત્યક્ષ ચુંબન કરતાં પરોક્ષ ચુંબન ક્યારેક વધુ બળવત્તર અને વધુ દીર્ઘજીવી હોય છે એ વાત આ કવિતા કેવી સ-રસ રીતે કરે છે! આપણે જે રચનાની વાત માંડી છે એમાં પણ પ્રેમના આવિર્ભાવ સાથે જ પ્રત્યક્ષ ચુંબન પણ નાયિકાને ભેટ મળ્યું છે. પણ અહીં પણ પ્રત્યક્ષ મળેલા ચુંબનમાં હોવી જોઈએ એવી મજા નાયિકા અનુભવતી નથી. આ ચુંબન નાયિકાની અપેક્ષાની કસોટી પર કદાચ પૂરું અને ખરું ઊતર્યું નથી એટલે જ એને પોતે ઘાયલ પંખી હોવાનો અહેસાસ થાય છે. પ્રેમથી મોટું બીજું કોઈ ઘા-બાજરિયું શોધાયું નથી અને ચુંબનથી વધુ અસરદાર કોઈ મલમ નથી. ચુંબનથી વધુ નજીકનો કોઈ દિલાસો હોઈ જ ન શકે પણ અહીં તો ઊલટું, નાયિકા ચુંબન મળ્યા બાદ ઘાયલ થયાનું દુઃખ અનુભવે છે. ઘાયલ થવાના કારણે દક્ષિણમાં પહોંચવા અસમર્થ બનેલા પક્ષીની વેદના એને થાય છે. જે રીતે પહેલી બે પંક્તિઓને કવયિત્રી ‘(અ)ને’થી સાંધે છે, એ જે રીતે પછીની બે પંક્તિઓ વચ્ચે એ ‘પણ’ લઈ આવે છે. કવિતામાં આ ‘પણ’નો પ્રવેશ વિરોધ અને વળાંકનો સૂચક છે. એક જ સાચા શબ્દનો પ્રયોગ કવિતાને કઈ રીતે ધારી દિશામાં લઈ જઈ શકે એ આના પરથી સમજી શકાય છે.

દક્ષિણનો સંદર્ભ આપણે ત્યાં મૃત્યુ સાથે સંકળાયેલો છે. દક્ષિણને યમરાજની દિશા માનવામાં આવે છે. મરણાસન્ન વ્યક્તિનું માથું ઉત્તર તરફ રાખવામાં આવે છે, જેથી એના પ્રાણ દશમ દ્વારમાં થઈને નીકળે. ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોવાથી ધ્રુવાકર્ષણના લીધે આત્મા આસાનીથી શરીરની જેલમાંથી મુક્ત થઈ શકે એમ મનાય છે. પણ મૃત્યુ બાદ શબનું માથું દક્ષિણ તરફ કરવામાં આવે છે જે મૃતકને યમરાજને સમર્પિત કરી દેવાયાનું સૂચક છે. ગ્રીક પુરાણકથાઓમાં નોટસ નામે દક્ષિણાનિલના દેવતાનો ઉલ્લેખ છે. ઇજિપ્તની પુરાણકથાઓમાં પણ સિંહના માથું અને માનવીનું શરીર ધરાવતા દક્ષિણી પવનોના દેવતા શેહબુઇની વાતો જોવા મળે છે. પાશ્ચાત્ય દેશોમાં દક્ષિણથી આવતો પવન ખુશનુમા હોવાનું મનાય છે, જે ફૂલોને ખીલવામાં અને પક્ષીઓને ચહેકવા પ્રેરે છે. બાઇબલમાં પણ ઠેકઠેકાણે કહેવાયું છે કે દક્ષિણાનિલ મનુષ્યજીવનમાં શાંતિ આણે છે, જીવનને તરોતાજા બનાવે છે અને આ જ સમય છે જ્યારે ઈશ્વર આધ્યાત્મિક સત્યો છતા કરે છે. માટે જ બાઇબલ ચહેરો દક્ષિણ તરફ કરવા (સેમ્યુઅલ ૩૩:૨૪) અને દક્ષિણ તરફ જોઈ બોલવા (જોશુઆ ૧૫:૦૪) પણ કહે છે. જિનેસીસમાં અબ્રાહમને દક્ષિણ તરફ મુસાફરી કરતો બતાવાયા છે.

દક્ષિણના આ મહત્ત્વથી સારા વંચિત છે. એમની કવિતાઓમાં ‘દક્ષિણ’ અવારનવાર ડોકિયું કરે છે. વિશ્વમાં દક્ષિણના પ્રદેશો બહુધા હૂંફાળા છે. શિયાળો જોર પકડે ત્યારે યાયાવર પક્ષીઓ ઉત્તરીય શીતપ્રદેશો છોડીને દક્ષિણાયન કરે છે. આમ, પક્ષીઓનું દક્ષિણ દિશા તરફનું પ્રયાણ હૂંફ-ઉષ્મા પ્રાપ્તિ માટેનું પ્રયાણ છે. પણ નાયિકાને પ્રિયતમે કરેલા ચુંબનમાં એ હૂંફ અનુભવાતી નથી, જે દક્ષિણ તરફ જતું પક્ષી અનુભવતું હશે અથવા જે હૂંફ મેળવવા પક્ષી દક્ષિણ તરફ ઊડતું હશે. એટલે જ્યારે નાયિકા કહે છે, કે આ ચુંબન બાદ પોતાને દક્ષિણ તરફ ઊડવાને અશક્ત ઘાયલ પક્ષી હોવાનું અનુભવાય છે ત્યારે ચુંબન વડે મળવી જોઈતી હૂંફની ગેરહાજરી આપણને સમજાય છે. ગંતવ્યસ્થાને ન પહોંચી શકવાનું દુઃખ કોને ન થાય? પક્ષીનો ઉલ્લેખ અમૂર્ત ચુંબનના આનંદનું મૂર્ત સ્વરૂપ પણ છે. ચુંબન કરતી વખતે આપણા પગ ધરતીથી અધ્ધર થઈ જાય છે. રોમાંચના માર્યા આપણને સાતમા આસમાને ઊડતા હોઈએ એવી લાગણી થાય છે. પણ પ્રથમ ચુંબનમાં આ ઊડ્ડયનનો અભાવ અનુભવાતા કવયિત્રીને પોતે પાંખ કપાયેલું ને ધાર્યું ન ઊડી શકનાર પંખી હોવાની દુઃખદ ખાતરી થાય છે.

જાણ છે કે પ્રિયજન પોતાને સાચે જ ચાહે છે, પણ આ હકીકત નાયિકાના હૃદયને ખુશીનું માર્યું તર કરી દેવાના બદલે આજે રાત્રે ખિન્ન કરી દે છે. અહો વૈચિત્ર્યમ્! કેવી વિડંબના! પ્રિયપાત્ર પાસેથી ‘લૉન્ગ અવેઇટેડ’ ચુંબન મળે ત્યારે પ્રેયસીને પોતે ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’ હોવાનું અનુભવાવું જોઈએ. પ્રેમમાં આ એવી ક્ષણ છે, જેની આગળ મનુષ્યને સ્વર્ગસુખ પણ મિથ્યા લાગતું હોય છે. આ ક્ષણની પ્રાપ્તિ માટે લોકો આખું જીવન દાવ પર લગાવી દેતા હોય છે. પણ એથી વિપરિત, અહીં તો નાયિકા વ્યથિત થઈ ગઈ છે. સુખના સ્થાને એ દુઃખ અનુભવે છે. જીવનભરના ઘા રુઝાઈ જવાના બદલે એને પોતાની પાંખો કપાઈ ગઈ હોવાનું અનુભવાય છે. આખી મુગ્ધાવસ્થા પ્રથમ ચુંબનની પ્રતીક્ષામાં વીતી જતી હોય છે. પહેલી ચૂમીની ફરતે તો રોમાંચના મહેલોના મહેલ ચણાતા હોય છે. પહેલું ચુંબન કરીશું ત્યારે ચારેતરફ શહનાઈ-વાયોલિન વાગશે, આકાશમાંથી ફૂલવર્ષા થશે અને ‘હોવું’ એક ઉત્સવ બની રહેશે એવાં સ્વપ્નો કોણ નથી સેવતું? દરેકને આ ‘પહેલાં’ની બેસબ્ર ઇંતેજારી હોય છે. ચારેય હોઠ મંદ-મંદ કંપ અનુભવે છે. પૂર્વાનુમાનની ઉત્તેજનામાં આંખો બિડાઈ જાય છે, ને શરીર કમાન વળી જાય છે… હોઠ પર હોઠ પહેલવારકા સ્પર્શે એ સંવેદનાની પરાકાષ્ઠાનું ગુરુશિખર છે.

પણ ‘પહેલું’ શું સાચે જ આવું ને આટલું રોમાંચપ્રદ હોય છે? શું પ્રથમ ચુંબન તમારી વર્ષોની પ્રત્યાશાને સાચે જ સંતોષે છે? પૂર્ણપણે? આંશિક? કે ધૂળભેગી કરી દે છે? કવિઓએ, નવલકથાકારોએ અને પ્રેમીઓએ સેંકડો સદીઓથી ઊભા કરેલા પ્રથમ ચુંબનના ઉન્માદના મહાગ્રંથોને સારા ટૂંકાટચરક ગીતની છેલ્લી બે જ કડીમાં જમીનદોસ્ત કરી દે છે. એ કહે છે, કે આ ચુંબન આજ સુધી જોયેલાં સૌ સ્વપ્નોથી બિલકુલ ભિન્ન હતું. વર્ષોથી હજારો સપનાંઓમાં જે લાખો મન્સૂબા ઘડ્યે રાખ્યા હતા, આ ચુંબન એવું અદભુત હતું જ નહીં. કલ્પનાની દુનિયા જેટલી રળિયામણી ભાસતી હતી, વાસ્તવની ધરતી એનાથી સાવ ઊલટી જ અનુભવાઈ. સપનાંઓમાં સાતમા આસમાને ઊડવાનું સુખ આંખ ખુલતાવેંત ધરતી પર પછડાવાના દુઃખમાં પલટાઈ ગયું. ‘પ્રથમ’ની ઉત્તેજના બહુધા આપણે જ ઊભા કરેલા ભ્રમનો ભાગ હોય છે. એને ચકનાચૂર થતાં વાર લાગતી નથી. ‘પ્રથમ’માં એવું કંઈ મહાન જાદુ ભર્યું હોતું નથી.

ખેર, માત્ર ચુંબનની જ નહીં, જીવનની પણ આ જ હકીકત છે. કલ્પના અને વાસ્તવનું મિલન ભાગ્યે જ સુખદાયી હોય છે. આશાનો પ્રકાશ સદૈવ નિરાશાનો પડછાયો લઈને જ આવે છે. વસ્તુ જ્યાં સુધી મળતી નથી, ત્યાં સુધી જ મીઠી લાગે છે. પાણી ન મળે ત્યાં સુધી જ તરસની સાચી કિંમતની જાણ રહે છે. મન્સૂબાના સૂબા વાસ્તવની ધરતી પર ભાગ્યે જ રાજ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો સારાનું આ ગીત અધૂરપની મધુરપનું પ્રશસ્તિગાન છે. પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે,
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

ગ્લોબલ કવિતા : ૧૨૫ : આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

આપણા વૉર્ડનો

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી જન્મ લેનાર દરેક સજીવે મૃત્યુનો અનુભવ કરવો ફરજિયાત હોવા છતાં મૃત્યુ પામ્યા પછી કોઈ પોતાનો અનુભવ પાછળ રહી જનારને કહેવા આવી શકતું નથી. જન્મતાવેંત માથે લખાઈ જનાર અફર મૃત્યુ સૌને ડરાવે તો છે જ પણ આકર્ષે પણ એટલું જ છે. મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં ૨૯ વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે. પણ મૃત્યુની નિશ્ચિતતા કોઈ ત્રાહિત વ્યક્તિએ માથે ઠોકી બેસાડી હોય ત્યારે? નખમાં પણ રોગ ન હોય પણ તમારી જિંદગી અને શ્વાસની માલિકી કોઈ અત્યાચારી પોતાના હાથમાં લઈ લે અને શ્વાસની દોરી ક્યારે કાપશે એની જાણ પણ ન કરે એવી નિશ્ચિત અનિશ્ચિતતામાં મોતની રાહ જોતો માણસ શું વિચારતો હશે એની વાત આજે કરવી છે.

આલ્બ્રેશ્ટ હૌસહૉફર. જર્મન ભૂગોળવિદ્. ૦૭-૦૧-૧૯૦૩ના રોજ મ્યુનિચ, જર્મની ખાતે વગદાર ભૂ-રાજનીતિજ્ઞ કાર્લ તથા માર્થાના ઘરે જન્મ. ભૂગોળમાં પી.એચ.ડી. તેઓ ૧૯૨૮થી ૪૦ સુધી બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના સેક્રેટરી જનરલ તથા તેઓના મુખપત્રના સંપાદક રહ્યા. રુડૉલ્ફ હેસના સલાહકાર. ૧૯૩૩થી તેમણે રાજકીય ભૂગોળ અને ભૂ-રાજનીતિના પ્રૉફેસર તરીકે પણ સેવા બજાવી. હિટલરની સરકારમાં ઊંચી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. હિટલરની વધતી આપખુદી અને યહૂદીઓ પરના દમનનું સમર્થન કરવું એમના માટે દોહ્યલું બની ગયું. ૧૯૪૦માં એમણે નોકરી છોડી દીધી પણ બર્લિન યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું. આલ્બ્રેશ્ટ એમના હોદ્દા પર સર્વોત્તમ હતા. ત્રણ ભાગમાં લખવા ધારેલ પણ અકાળે મૃત્યુના કારણે એક ભાગ પૂરતું જ સીમિત રહી ગયેલ રાજનૈતિક ભૂગોળ પરનું એમનું પુસ્તક બહુખ્યાત થયું. મુઆબિત સૉનેટ્સ સિવાયની કવિતાઓ, નાટકો અને પદ્યનાટકમાં પણ એમણે પદાર્પણ કર્યું હતું. સારા સંગીતકાર પણ હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવાના હેસના પ્રયાસોમાં મધ્યસ્થી તરીકે એમણે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને થોડા અઠવાડિયાની જેલ થઈ પણ બ્રિટન સાથે શાંતિ સ્થાપવા માટે એમની અગત્યતા જોઈને હિટલરે એમને જેલમુક્ત તો કર્યા પણ ગેસ્ટાપો ખાતે નિગરાનીમાં રાખ્યા. પણ, સંપૂર્ણ લશ્કરી અને રાજકીય હોનારતથી બચવા હિટલરને પૂર્ણતયા હટાવવું અનિવાર્ય છે એમ આલ્બ્રેશ્ટને લાગ્યું. ૧૯૪૪માં એ કામ બૉમ્બથી કરવાનું નક્કી કરાયું. હિટલરનો જમણો હાથ ખરાબ રીતે ઘવાયો પણ મૃત્યુ ન થયું. આલ્બ્રેશ્ટનો આમાં કોઈ હાથ ન હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ તરત જ ભૂગર્ભમાં ઊતરી ગયા. પણ જર્મનીની ગુપ્ત રાજકીય પોલિસ (ગેસ્ટાપો -Geheime Staatspolizei)ના હાથે ૦૭-૧૨-૧૯૪૪ના રોજ પકડાઈ ગયા. બર્લિનની મુઆબિત જેલમાં બંદી રખાયા. કહેવાય છે કે હિટલરના મનમાં એમની રાજકીય અગત્યતા યથાવત હોવાના કારણે નિયમિતપણે મોતને ઘાટ ઉતારાતા અન્ય કેદીઓની જેમ તેઓની હત્યા કરવામાં આવી નહીં. જો કે એમના પિતાએ પુત્રએ દેશદ્રોહ કર્યો છે એમ કહીને પોતાની વગ વાપરીને એમને આઝાદ કરાવવાની શક્યતાને નકારી દીધી હતી. ‘મારા પિતા’ (સૉનેટ ૩૮)માં પિતાની રાજકીય મહત્તા અને હિટલરને નાથવાની શક્તિ હોવા છતાં હિટલરનો સાથ આપવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને આલ્બ્રેશ્ટ લખે છે કે ‘મારા પિતાએ જ સીલ તોડી નાંખ્યું. એમણે દુષ્ટના ચઢતા શ્વાસ જોયા નહીં. એમણે દૈત્યને દુનિયામાં ખુલ્લો છૂટી જવા દીધો.’ ‘એકરન’ (Acheron) (સૉનેટ ૨૪)માં એ પોતાના પિતાને ‘સત્તાના સ્વપ્નથી હજીય આંધળા થઈ ગયેલ’ ગણાવે છે. (જો કે કવિના મા-બાપ બંનેએ કવિના મૃત્યુના અગિયારેક મહિના પછી કોઈક કારણોસર ઝેર ખાઈને ભેગી આત્મહત્યા કરી હતી.)

કોટડીમાં બિલકુલ એકલા અને સાંકળમાં બંધાયેલા હાથ-પગ સાથે જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટે કાગળ-પેન મેળવ્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા. સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો પણ તેઓ શહેરમાં આવી ચડે એ પહેલાં ૨૩ એપ્રિલ, ૧૯૪૫ના રોજ જેલના અધિકારીઓએ આલ્બ્રેશ્ટ અને બીજા ચૌદ કેદીઓને છોડી મૂક્યા. નસીબ વાંકું તે જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગરદનમાં ગોળી આડેધડ દફનાવી દેવાયા. એક કેદી કોઈક રીતે બચી ગયો. જેના કારણે ત્રણ અઠવાડિયા પછી ૧૨મી મેના રોજ કવિના નાના ભાઈ હેઇન્ઝને એમનું શબ જડ્યું. કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખા દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ સૉનેટોમાં પોતાની આ પરિસ્થિતિ માટે કોઈ દયાભાવ નથી, તો આતતાયીઓ સામે કોઈ પ્રત્યારોપ કે નિંદાવૃત્તિ પણ નથી. અહીં પોતાના અનિચ્છનીય દુર્ભાગ્યની સ્વીકૃતિ અને ઉદાસીન શરણાગતિ નજરે ચડે છે. અહીં એક તરફ ગમે ત્યારે આવી શકનાર મૃત્યુની સન્મુખ એક કવિના અંતઃકરણનું પરીક્ષણ તો બીજી તરફ માનવસભ્યતા પર થતા હીચકારા હુમલા સામેની ઠંડી પ્રતિબદ્ધતા છે. કદાચ, એટલે જ આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામેના વિરોધમાં લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે. આલ્બ્રેશ્ટનું રાજકારણ, ભૂગોળ, જ્યોતિષ-ખગોળવિદ્યા અને ગણિત વગેરેનું ઊંડું જ્ઞાન પણ અહીં નજરે ચડે છે. મધ્યયુગીન અલ્કેમી અને પુરાણકથાઓનો અર્ક આ સૉનેટ્સમાં રસ્યોબસ્યો છે.

‘બેડીમાં’ (In fetters) (સૉનેટ ૦૧)માં કવિએ પોતાની પીડા સાથે તમામ કેદીઓની પીડા વણી લીધી છે. કવિ કહે છે: ‘ખાલી લાગતી કોટડીની દીવાલો જિંદગીથી ભરપૂર છે. અપરાધબોધ અને નિયતિ એના ગુંબજની જગ્યાને ભૂખરા પડદાંઓથી ભરી દે છે. ઈંટો અને સળિયાઓમાં અન્ય આત્માઓનો ઊંડો તણાવ જીવંત શ્વાસ લઈ રહ્યો છે. આ કમરામાં હું પ્રથમ નથી જેના કાંડા સાંકળોથી કપાઈ રહ્યાં હોય અને જેના દુઃખ ઉપર અજાણ્યાઓની ઇચ્છાશક્તિ પોષાતી હોય. ઊંઘ ઉજાગરો બની જાય છે અને ઉજાગરો સ્વપ્ન. દીવાલોમાંથી ઘણા ભાઈઓના હાથનો કંપ સંભળાય છે.’ જો કે પોતાની ભીતરી તાકાતથી પણ તેઓ બરાબર માહિતગાર હતા. ‘પરાકાષ્ઠાએ’ (On the threshold) (સૉનેટ ૦૫)માં કવિ લખે છે કે ‘એક ઝાટકો – અને જેલની કોઈ દીવાલ નથી જે મારા આત્માને અડવા માટે શક્તિશાળી હોય.’ અને ‘જેને અન્યો માન્યતાઓ, આદર્શો, આશાઓ ગણીને વળગી રહે છે, એ મારા માટે મરી પરવાર્યા છે.’ આ એંસી સૉનેટ્સમાં તિબેટના રહસ્યો પણ છે અને ‘ઓમ મણી પદ્મે હમ’નું બોધિસૂત્ર પણ જોવા મળે છે. કવિના મા-બાપ, મિત્ર, પાડોશીઓ, તબીબ, વાયોલિન વાદકથી લઈને બીથોવન, ફિડેલો, એલેક્ઝાન્ડ્રિયા અને મેમ્ફિસ પણ અહીં સમાવિષ્ટ છે. વિશ્વપ્રવાસી આલ્બ્રેશ્ટે ઉમર ખૈયામ અને ભગવદગીતાને પણ પોતાના સૉનેટ્સના વિષય બનાવ્યા છે.

‘આપણા વૉર્ડનો’ ઇટાલિઅન અથવા પેટ્રાર્કશાયી ઢબમાં લખાયેલું પણ અંગ્રેજી પ્રાસવ્યવસ્થાનો સંસ્પર્શ પામેલ સૉનેટ છે. મૂળ પેટ્રાર્કશાયી સૉનેટમાં અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDCDCD અથવા CDEEDE પ્રકારે પ્રાસ જોવા મળે છે. અંગ્રેજી સંસ્કરણમાં ષટકમાં CDD CEE પ્રકારની પ્રાસવ્યવસ્થા કરાય છે. આલ્બ્રેશ્ટે એમના આ સૉનેટ્સમાં શેક્સપિઅરની જેમ અષ્ટકના બે ચતુષ્ક બનાવી ABBA ABBA મુજબ એકસમાન પ્રાસ રાખવાના બદલે બંને ચતુષ્કમાં ABBA વ્યવસ્થા તો જાળવી છે પણ બંનેના પ્રાસ ABBA CDDC મુજબ અલગ કરી નાંખ્યા છે. ષટકમાં જો કે CDD CEE પ્રમાણે પ્રાસવ્યવસ્થા બરકરાર રાખી છે. સૉનેટ કદાચ સૌથી વધુ ચુસ્ત કાવ્યપ્રકાર છે. એ કવિ પાસે મહત્તમ શિસ્ત અને સજ્જતા માંગી લે છે. મુક્તવિહાર માટેનો અવકાશ અહીં લઘુત્તમ છે અને છંદ પણ વધુ છૂટ આપતો નથી. એમાંય ઇટાલિયન કે પેટ્રાર્કન સૉનેટ પ્રાસની બાબતમાં એટલા કડક છે કે અંગ્રેજી ભાષાએ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપે પોતાની પ્રાસવ્યવસ્થા ઊભી કરવી પડી હતી. માથા પર તલવાર લટકતી હોય, કાળકોટડીનું એકાંત હોય અને હાથ-પગમાં સાંકળ પડી હોય એવી પરિસ્થિતિના તણાવને તંતોતંત અભિવ્યક્ત કરવા માટે પેટ્રાર્કન સૉનેટ જેવા સંયમિત અને અતિશિસ્તબદ્ધથી વધુ ઉચિત કાવ્યપ્રકાર બીજો કયો હોઈ શકે? કદાચ એટલે જ પોતાની તણાઈને તંગ થયેલી લાગણીઓ વ્યક્ત કરવા માટે કવિએ ઇટાલિઅન સૉનેટ પર કાવ્યસ્વરૂપ તરીકેનો કળશ ઢોળ્યો હોઈ શકે. એમ. ડી. હેર્ટર નોર્ટને જર્મન ભાષામાં લખયેલ આ સૉનેટ્સનો ગદ્યાનુવાદ કર્યો છે. પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે કવિએ પ્રયોજેલ આયમ્બિક પેન્ટામીટરને મળતો આવતો માત્રામેળ છંદ (હરિગીત) અને મૂળ પ્રમાણેની પ્રાસવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે.

રશિયન સૈનિકો વડે ધમરોળાઈ ગયેલ ટ્રાન્સિલ્વેનિયાનો વતની જેલના વૉર્ડન તરીકે નવોસવો આવ્યો હતો એની સાથે વાતચીત થયા બાદ કવિએ આ સૉનેટ લખ્યું હતું. આ સૉનેટ વાંચો ને રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે! એક કેદીની નજરે જેલના દરોગાને જોવાનો અને સમજવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા, જોર-જુલમ કરતા, મારતા-પીટતા વૉર્ડન પણ કેદીને ભલા લાગે છે. મોત નિશ્ચિત થઈને માથા પર આવી જાય ત્યારે મનુષ્યમાં કુદરતી રીતે જ સમ્યકભાવ આવી જાય છે. સગી આંખે પોતાના મોતને સામુ ઊભેલું જોવાનું થાય અને બચવાનો એકેય રસ્તો જ ન હોવાની ગળા સુધીની ખાતરી થઈ જાય ત્યારે માણસમાં બુદ્ધનો કરુણાભાવ જન્મે છે. અને એ લોકો સારા માણસ છે એ બાબતમાં કવિ વળી પુરાવો પણ રજૂ કરે છે. ભલા છે કેમકે તેઓ ખેડૂતનું જ લોહી છે. જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવીને દુનિયા માટે અનાજ ઊગાડી જાણે એ કદી નિર્દય હોઈ શકે ખરો? એ લોકો પોતાની માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈને અહીં જેલની આ સાવ અણજાણ અને સમજણના પ્રદેશ બહારની દુનિયામાં આવી પડ્યા છે.

પૂર્વના જે પ્રદેશોમાંથી આ વૉર્ડનો અહીં આવ્યા છે એ પૂર્વના પ્રદેશોમાં હવે કંઈ જ બચ્યું નથી. સઘળું ક્યારનું ખેદાનમેદાન થઈ ચૂક્યું છે. યુદ્ધના ખપ્પરમાં આ વૉર્ડનોના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર-વંશજો – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. ખરું પૂછો તો દુનિયામાં કયો માણસ હશે જે પોતાની અને પોતાનાઓની આવી તારાજીનું દુઃસ્વપ્ન જોતો હશે? ‘’ભગવદગીતા’ (સૉનેટ ૬૬)માં તો કૃષ્ણ હતા જેના કારણે અર્જુનનો ‘અપરાધભાવ વિજય અને શક્તિમાં રૂપાંતરિત થાય છે,’ પણ એ મહાભારત હતું, આ વિશ્વયુદ્ધ અને એના પરિણામ છે. જેલમાં બેસીને યુદ્ધના દુષ્પરિણામો જોઈ રહેલા કવિને ‘અપરાધ’ભાવ (Guilt) (સૉનેટ ૩૯) પણ થાય છે: ‘મારે મારી ફરજ વેળાસર સમજી જવાની હતી. મેં મારો નિર્ણય વધુ લાંબ સમય સુધી રોકી રાખ્યો. હું જાત અને અન્યો સાથે જૂઠું બોલ્યો.’ યુદ્ધની જે તારાજીની જાણ હોવા છતાં કવિ ‘પૂરતા મોટા અવાજે અને સ્પષ્ટ ચેતવણી’ આપી શક્યા નહોતા, આ વૉર્ડનો એ જ તારાજીનો શિકાર થઈ અહીં આવ્યા છે. અહીં જેલમાં સર્વેસર્વા હોવા છતાં તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. ભાગ્યે જ બોલે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. એ તો પોતાને કેદીઓના ભાગ્યવિધાતા ગણતા હોય. પણ આ લોકો તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો કદી-મદી વિનમ્રતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે માતૃભૂમિના દુર્ભાગ્યનો આવો વિકટ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ આ વૉર્ડનોને હજી પણ જિંદગીની એકાદી નિશાનીની પ્રતીક્ષા છે. આ ‘જીવનપ્રતીકની પ્રતીક્ષા’ ઘણું બધું કહી જાય છે. જેલની નિર્જીવ દીવાલો અને સળિયાની વચ્ચે સેંકડો કેદીઓ અને ઘણાબધા ચોકીદારો-વૉર્ડનો જીવી રહ્યા છે પણ કવિનો આ શબ્દપ્રયોગ એ વાતનો સાફ ઈશારો છે કે આ જીવન જીવન નથી. આ જિંદગી મૃત્યુથી વિશેષ કંઈ જ નથી. કેદી કવિની જેમ જ વૉર્ડનો પણ આ વાત કદાચ સમજે છે, માટે જ તેઓ ક્યાંક કોઈક જગ્યાએ જીવનની એકાદી નિશાની જડી આવે એની આશામાં જ કદાચ જીવી રહ્યા છે. તેઓ ચુપચાપ પોતપોતાનું કામ કર્યે રાખે છે. કેદીઓની જેમ જ તેઓ પણ મૂંગામૂંગા કદાચ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? પાછળથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

આપણા બધાની અંદર એક આલ્બ્રેશ્ટ હૌસહૉફર વસે છે, જે આપણને આપણી વ્યર્થ લડાઈઓ અને જાતે ઊભી કરેલી કેદમાં કેદી બની ચૂક્યા હોવા અંગે સમજાવવા માંગે છે, પણ શું આ વાત આપણને સમજાશે ખરી? આવતીકાલે? પછી? ક્યારેય પણ?

ગ્લોબલ કવિતા : ૧૨૩ : મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

મારી કબર પર થોભશો કે, રડશો નહિ

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

એક જ કવિતાથી અમરત્વ – સૂંઠના ગાંગડે ગાંધી?

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

મેરી એલિઝાબેથ ફ્રે. ૧૩-૧૧-૧૯૦૫ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના ડેટન શહેરમાં જન્મ. ત્રણ જ વર્ષની વયે અનાથ થયાં. બાર વર્ષની વયે બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે સ્થાયી થયાં. કોઈ જાતનું ઔપચારિક શિક્ષણ મળ્યું નહોતું એ છતાંય તેઓ અકરાંતિયા વાચક હતાં અને યાદદાસ્ત પણ એવી જ તીક્ષ્ણ. ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં અને મેરી એલિઝાબેથ ક્લર્કમાંથી મેરી એલિઝાબેથ ફ્રે બન્યાં. પતિનો કપડાંનો વ્યવસાય હતો અને મેરીનો ફૂલો વેચવાનો. ૧૯૬૪માં એમના પતિનું નિધન થયું. ૧૫-૦૯-૨૦૦૪ના રોજ ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને, પોતાની પાછળ એક દીકરીને મૂકીને બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે જ આ ફાની દુનિયાને રામ રામ કરી ગયાં.

મેરીના ઘરે એક જર્મન યહૂદી યુવતી માર્ગારેટ શ્વાર્ઝકૉફ (Schwarzkopf) મહેમાન તરીકે રહેતી હતી. જર્મનીમાં એ સમયે યહૂદીઓ વિરુદ્ધ લાવા ઉકળતો હતો, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘હૉલોકાસ્ટ’ નામે નરસંહારમાં પરિણમ્યો હતો. નાદુરસ્ત રાજકીય પરિસ્થિતિના કારણે એ પોતાની બિમાર માતાને મળવા જઈ શકે એમ નહોતી. છેવટે માતા મૃત્યુ પામી. અને માર્ગારેટે મેરી આગળ અફસોસ વ્યક્ત કર્યો કે પોતાની માની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ ૧૯૩૨ની સાલમાં આ કાવ્ય લખી નાંખ્યું. મેરીના કહેવા મુજબ શબ્દો આપમેળે એની પાસે વહી આવ્યા હતા. આ પહેલાં મેરીએ કદી કવિતા લખી પણ નહોતી. બાર પંક્તિનું મેરીનું આ પહેલવહેલું કાવ્ય લોકોને ઘણું પસંદ આવ્યું હોવાથી મેરીએ એની અનેક નકલો કરીને અંગત ધોરણે એની વહેંચણી કરી પણ કદી પ્રકાશિત કર્યું નહીં. કવિતા લખાઈ અને વિશ્વવિખ્યાત થઈ ગઈ પણ એના સર્જકનું નામ દુનિયા માટે અજાણ્યું જ રહ્યું. લગભગ છ-છ દાયકાઓ વીતી ગયા બાદ, છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈને કોઈ માહિતી નહોતી. કવયિત્રી જો લાંબુ જીવ્યાં ન હોત તો કદાચ આજેય આ કવિતા કોની છે એ ખબર જ પડી શકી ન હોત. સેંકડો લોકો આ કવિતા પોતાની હોવાનો દાવો કરી ચૂક્યા હતા, પણ નેવુના દાયકામાં કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો. અસંખ્ય લોકોએ શંકા વ્યક્ત કરી. પણ ‘ડિઅર એબી’ નામની એકીસાથે ૧૪૦૦ અખબારોમાં પ્રકાશિત થતી અને અગિયાર કરોડ વાચકો સુધી પહોંચતી વિશ્વપ્રસિદ્ધ કટારના લેખિકા એબિગેલ વાન બુરેને ૧૯૯૮ની સાલમાં વિશ્વસનીય વિગતવાર સંશોધન થકી આ દાવો સાચો પુરવાર કર્યો અને કવિતાને કવિનું નામ મળ્યું.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ‘બુકવર્મ’ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. બીબીસીએ બીજા વર્ષે આ કવિતાને ‘દેશની સૌથી વહાલી કવિતા’નું બિરુદ આપ્યું. ૧૦ વર્ષ કવયિત્રીના મરણ વખતે પછી ‘ધ ટાઇમ્સ’એ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સામાજિક હોદ્દા અને દેશદેશાવરોની સરહદો પાર કરીને વિખ્યાત થઈ ચૂકી છે.” કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર લખવા-વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. ધર્મ અને જાતિના ભેદભાવ વિના વિશ્વભરના કબ્રસ્તાનોમાં, અંત્યેષ્ઠિ સમયે, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં, જાહેર સમારંભોમાં, અને અસંખ્ય સ્થળોએ અને પ્રસંગોએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે. આ અભૂતપૂર્વ વિશ્વવિક્રમ કદાચ બીજી કોઈ કવિતા કદી પણ તોડી શકનાર નથી. આ સિવાય, વાંચતા વાંચતાય આંખ ભીની થઈ જાય એવા હજારો પ્રતિભાવ અખબારોમાં, સામયિકોમાં, મુખપત્રોમાં અને ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાનો ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

મેરીએ આ કવિતાને કોઈ શીર્ષક આપ્યું નથી. જરૂર પણ નથી. કવિતા પોતે જ એટલી સબળ છે કે એને બીજા કોઈ ઉપાદાનની આવશ્યકતા જ નથી. મૃતકની એકોક્તિ સમી બાર પંક્તિની આ કવિતાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલી બે પંક્તિઓ, જેમાં કથક પોતે મૃત્યુ પામી નથી એવું કહીને પોતાની પાછળ રહી જનારને ન રડવાની શિખામણ આપે છે. બીજા ભાગમાં પોતે કેમ મરી ન ગણાય એના નાનાવિધ કારણો આપે છે તો ત્રીજા અને અંતિમ ભાગની આખરી બે કડીઓમાં પહેલી બે કડીઓમાં જ નજીવો શબ્દફેર કરીને પોતાની વાતને યોગ્ય વજન આપવા માટે દોહરાવે છે. અંગ્રેજીમાં સામાન્યરીતે પ્રયોજાતા આયમ્બિક પેન્ટામીટરના સ્થાને મેરીએ ટેટ્રામીટર છંદ અહીં પ્રયોજ્યો છે. બે પંક્તિ ઉમેરીને સૉનેટ લખવાનો મોહ જેમ એમણે જતો કર્યો છે, એ જ રીતે સાતમી પંક્તિમાં અપવાદરૂપે આયમ્બિક પેન્ટામીટર વાપર્યો છે, જેના કારણે દ્યુતગતિએ આગળ વહી જતી કવિતાનો લય બરાબર અધવચે સહેજ બદલાય છે. ભાવકના ચિત્તતંત્રને ઝંઝોડવા માટેની આવી પ્રયુક્તિ બધી ભાષામાં સિદ્ધહસ્ત સર્જકો અપનાવતા આવ્યા છે. વળી, આખી કવિતામાં એ એક જ વાક્ય છે જે છંદપલટા સાથે ત્રણ પંક્તિઓ સુધી લંબાય છે. આ સિવાય, સમગ્ર કવિતામાં પંક્તિ અને વાક્ય સાથે જ પૂરાં થાય છે. બીજે ક્યાંય આ અપૂર્ણાન્વય (enjambment) નજરે ચડતું નથી. ઊલટું, બીજી અને છેલ્લી પંક્તિમાં તો એક-એક કરતાં બબ્બે વાક્ય કવયિત્રીએ વાપર્યા છે. અંગ્રેજીમાં હિરોઇક કપ્લેટ તરીકે જાણીતી A-A B-B C-C પ્રકારની દુપાઈ કહી શકાય એવી પ્રાસયોજના કવયિત્રીએ અહીં કરી છે, જેના કારણે ગીત બધુ ગેય બને છે. ઘણા લોકો આને બાર પંક્તિનું સૉનેટ પણ ગણાવે છે પણ આ એવા કોઈ સ્વરૂપને જબરદસ્તી આ કવિતા ઉપર ઠોકી બેસાડવાના બદલે આ કવિતા જેમ છે તેમ જ માણવાની કદાચ વધુ મજા છે. કદલાઘવ, ટૂંકી પંક્તિએ, દુપાઈ પ્રકારની પ્રાસવ્યવસ્થા, અને પંક્તિ સાથે તાલમેળ સાધતા વાક્યના કારણે કવિતાનું જે બાહ્ય કલેવર રચાયું છે એ પણ એની અપ્રતીમ લોકચાહનાનું કારણ ગણી શકાય. ઉત્તમ કવિતા માટે માત્ર કાવ્યપ્રાણ જ નહીં, કાવ્યસ્વરૂપ પણ ઉમદા હોવું જોઈએ એ કળા આ કવિતા આપણને સમજાવે છે.

પ્રેમ એક અદભુત અનુભૂતિ છે, એકતરફી નહીં, ઉભયતરફી! અહીં એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા અસ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન ચાલ્યો ગયો છે. એ દેહ હવે કબરની નીચે છે. કબરની બહાર છે એને એના માટે ખેંચાણ છે તો કબરની અંદર સૂતેલને પણ પાછળ રહી જનાર માટે એવું જ ખેંચાણ હશે ને! પ્રેમની લાગણી તો બહુધા બેઉતરફી જ હોવાની. પણ મરનારની જીવિત રહેનાર માટેની સંવેદના તો કવિ જ જોઈ-અનુભવી-કહી શકે. જે રીતે થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતાની નાયિકા પોતાની કબર ખોદનાર સાથે વાર્તાલાપ કરે છે, એ જ રીતે મેરીની આ કવિતામાં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે. જે હજી જીવે છે એ મૌન છે, જે અવસાન પામ્યું છે એ વાતો કરે છે. હાર્ડીની કવિતામાં ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ, કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ’ જેવો આશાનો ભાવ મૃતક સેવે છે, જ્યારે મેરીની આ કવિતામાં મૃતક આશા-હૂંફ-દિલાસો લઈને જીવનાર પાસે આવે છે. પોતાના ગયા પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું મૃતકને માત્ર ભાન જ નથી, ચિંતા પણ છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે આવશો નહીં. અને રડશો પણ નહીં. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ તો કદી મરતો નથી. એ તો અલગ અલગ સ્વરૂપે આપણી આસપાસ જીવંત જ રહેવાનો. તો જો મૃતક કબરની અંદર હોય જ નહીં તો કબર પાસે આવવાનો અને શોક વ્યક્ત કરવાનો કોઈ અર્થ ખરો? પણ મૃતક તો આગળ વધીને જાહેર કરે છે કે હું હજી ઊંઘી નથી. અર્થાત્ પોતે મૃત્યુ પામી જ ન હોવાનો આંચકો મૃતક ભાવકને આપે છે. બીજું, મૃતકનો ભાવ અહીં વિનંતીનો નહીં પણ હુકમનો છે. એ પોતાની પાછળ શોક નથી જ કરવાનો એવું ફરમાન આપતાં હોય એવી અધિકૃતતતા સાથેનો આ અવાજ છે, જે આપણને છેક અંદર સુધી સ્પર્શી જાય છે. બીજી પંક્તિમાં ઝડપભેર આવતા બે ટૂંકાટચ વાક્યો આ અધિકૃતતતાને બળકટ બનાવે છે અને આપણી અનુભૂતિને સઘન.

કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓની વચ્ચેની આઠ પંક્તિઓમાં કવયિત્રી મૃતકના હજીય જીવંત જ હોવાની અને એથીય આગળ વધીને સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. કહે છે, જે ફૂંકાઈ રહ્યા છે એ હજાર પવનો હું છું. કવયિત્રી સામાન્ય ચલણથી વિપરિત જઈને અહીં પવનનું બહુવચન ‘પવનો’ પ્રયોજી અતિશયોક્તિ અલંકાર વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી આ રીતે ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા? (જોયો આ “વરસાદો” શબ્દ?)

પવનનું બહુવચન કદાચ અલગ-અલગ તમામ પ્રકારના સમયમાં પવનના તમામ સ્વરૂપો –મંદમંદ સમીરથી લઈને ચક્રવાત સુધીના-ને સમાવી લેવા તરફ પણ ઇંગિત કરતું હોય. પણ મોટાભાગના પ્રતીક આથમતી સંધ્યાનો અહેસાસ કરાવતા હોય એમ પણ અનુભવાય છે. પવન જે ફૂંકાય છે, એ પડશેય ખરો. કથક પોતાને બરફ પર સૂર્યપ્રકાશમાં એકીસાથે હીરાની જેમ ચળકતી બુંદો ગણાવે છે. સૂર્યનું કિરણ પડતાં જ જે બરફનું સમૂચું સ્વરૂપ જ બદલી નાંખે છે અને સૃષ્ટિને અને જોનારને માલામાલ કરી દે છે. પણ બરફ પર ચળકતી આ સેંકડો હીરાકણીઓ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. સૂર્યપ્રકાશ પડતો નથી, ત્યાં સુધી જ બરફનું અસ્તિત્વ કાયમી જણાય છે. તડકો પડ્યો નથી કે બરફ પીગળવો શરૂ થયો નથી. બરફ એ મૃત્યુની ક્રૂર ઠંડક અને એના પર ચળકતાં કિરણો શાશ્વત પ્રકાશિત આત્મા તરફ પણ ઈશારો કરે છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. મૃતક અકાળે આવજો કહીને ગયાં નથી. એટલે જ કવિ પોતાને પાકી ગયેલ દાણા પર પડતું સૂર્યકિરણ કહે છે. પક્વ દાણો પણ સૂર્યપ્રકાશમાં તાજો ને નવો ભાસે છે. પાછળ રહી ગયેલ સ્નેહીજનોને બરફ સાથે કે પાકતા જતા દાણા સાથે સરખાવીએ તો એના પર પડતો સૂર્યપ્રકાશ એ મર્યા બાદ પણ મૃતક તરફથી મળતી રહેનાર હૂંફ છે એમ કહી શકાય. જનાર ભલે ગયો છે પણ એની હાજરીની હૂંફ પાછળ રહી જનારના જીવનને હીરાની જેમ ચમકતું અને દાણાની જેમ તરોતાજા જ રાખશે. આપણે ત્યાં તો ચોમાસુ એક નિશ્ચિત ઋતુ તરીકે આવે છે પણ પાશ્ચાત્ય દેશોમાં એવું નથી. ત્યાં ચોમાસા જેવી કોઈ ઋતુ હોતી નથી. ગમે તે દિવસે વરસાદ પડી શકે, પણ પાનખરમાં બહુધા જે વરસાદ પડે છે એ મંદ-મંદ હોય છે. એ ભીની ઠંડક પહોંચાડે છે પણ સરાબોળ ભીંજવતો નથી. મૃતક પાનખરમાં હળુહળુ પડતો આવો ઋજુ વરસાદ છે. વળી, દાણો પક્વ થાય એટલે એને કાપવાનો સમય થયો ગણાય. દાણો પક્વ થયા બાદ કવિતામાં પાનખર અને વરસાદ આવે છે. દાણા કપાઈ ગયા છે એટલે કે પાનખર આવી ગઈ છે પણ વરસાદ પડવો શરૂ થયો છે, મતલબ ધરતી ફરી તૃપ્ત બની રહી છે અને નવા બીજ ફૂટવાની આશા આકાશમાંથી મંદ-મંદ વરસી રહી છે.

સવારે મોસૂઝણાના સમયે રાત્રિના અંધકાર દરમિયાન શાંત થઈ સૂઈ રહેલા પક્ષીઓનાં ઝુંડ વર્તુળાકારમાં ઊડ્ડયન આદરી આકાશમાં ઊંચે જાય છે ત્યારે એ લોકો પોતાના ખભા પર રાતનું અંધારું સાથે ઊંચકી જતાં હોય એમ અનુભવાય છે. પક્ષીઓના આવા ટોળાંને ઊઠાડીને ઉર્ધ્વગતિ માટે પ્રેરનાર અબાબીલ પોતે જ છે એમ જ્યારે મૃતક કહે છે ત્યારે સ્વજનોની જિંદગીમાંથી મૃતક અંધારું હટાવીને પ્રભાતનું અજવાળું પાથરનાર હોય એમ નૂતન આશાની અનુભૂતિ આપણને થાય છે. વર્તુળાકાર ઊડ્ડયન पुनरपि जननम् पुनरपि मरणम् ના જીવનચક્ર તરફ પણ આપણું ધ્યાન દોરે છે. ઊંઘમાંથી જાગવા તરફનો અને ઊંચે આકાશ તરફ ઊઠવાની વાત બાઇબલનું પણ સ્મરણ કરાવે છે. રાત્રે આકાશમાં ઝીણું ઝીણું ટમકતા મૃદુ તારાઓ પણ પોતે જ છે એમ એ કહે છે. રાત્રે ચંદ્ર પણ ન હોય તોય ગાઢા અંધકારમાં પણ તારાઓ ઓછા તો ઓછા, પણ પ્રકાશની સતત હાજરીની અનુભૂતિ કરાવે છે. જીવનના ગાઢતમ અંધારામાં પણ તેઓ આશાના કિરણ સમા છે. ફૂંકાતા પવનોનું જોશ, બરફ પર ચળકતી હીરાકણીઓનું ઐશ્વર્ય, સૂર્યકિરણની ઉષ્મા, પાનખરના વરસાદની ભીનપ, વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી ખુલતી સવારના જીવનચક્રથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓના પ્રકાશની આશા– એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે.

કાવ્યાંતે નજીવા ફેરફાર સાથે કવયિત્રી શરૂઆતની બંને પંક્તિઓનું પુનરાવર્તન કરે છે. શરૂમાં હું ઊંઘી નથી કહીને મૃત્યુ તરફ સંકેત કર્યા બાદ કાવ્યાંતે હું મરણ પામી નથી એમ સાફ કહીને, ફરી એકવાર અધિકૃત અવાજમાં આદેશ આપતાં હોય એ રીતે કવયિત્રી આપણને શોક નથી જ કરવાનો એમ સાફ કહે છે. કથનની પુનરોક્તિ અને નજીવા શબ્દફેરના કારણે વાત વધુ દૃઢીભૂત થાય છે અને કવિતા જ્યાં પૂરી થાય છે ત્યાં ભાવકને કવિની વાત ફરજિયાત સ્વીકારવાની થાય છે. મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ. કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે. એ કબર નીચે અટકવાની નહીં પણ પ્રકૃતિમાં ભટકવાની વાત કરે છે. અહીં, સપાટી પર તો આપણને મૃત્યુ દેખાય છે, પણ સાચો અંડર-કરન્ટ જીવનનો છે. અને આ જ કારણોસર વિશ્વભરમાં શોકસભાઓ માટેની એ પહેલી પસંદ બની રહી છે…

ગ્લોબલ કવિતા : ૧૨૧ : પ્રથમ વિજય-ગીત – એમર્જિન

First Triumph-Song

. I, the Wind at Sea,
. I, the rolling Billow,
. I, the roar of Ocean,
. I, the seven Cohorts,
. I, the Ox upholding,
. I, the rock-borne Osprey,
. I, the flash of Sunlight,
. I, the Ray in Mazes,
. I, the rushing Wild Boar,
. I, the river-Salmon,
. I, the Lake o’er plains,
. I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
. Who can lead to falling waters ?
. Who can tell the white Moon’s ages ?
. Who can draw the deep sea fishes ?
. Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

પ્રથમ વિજય-ગીત

હું, પવન દરિયા પર,
હું, ઊછળતું મોજું,
હું, દરિયાનું ગર્જન,
હું, સાતેય પલટન,
હું, ઉર્ધ્વમુખી હરણું,
હું, પહાડી બાજ,
હું સૂર્યનો ઝબકારો,
હું, ભૂલભૂલૈયે કિરણ,
હું, ધસતું જંગલી સૂવર,
હું, નદીની સાલમન,
હું, તળાવ મેદાની,
હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ…

‘હું’ – ‘I’ – ‘मैं’: દુનિયામાં સૌથી નાનામાં નાનો શબ્દ હોવા છતાંય સૌથી મોટામાં મોટો ને સૌથી વધારે વજનદાર શબ્દ. દુનિયામાં જે કંઈ રામાયણ-મહાભારત આજ સુધીમાં થયાં એ બધાં માત્ર આ એક શબ્દના કારણે જ થયાં. ‘હું’ એટલે મનુષ્યનો અહમ્. અહમ્ ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે અહમ્. અહમ્ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. માણસના ‘હું’નો પરિઘ ‘સ્વ’ સુધી જ સીમિત હોય છે, ઈશ્વરનો ‘હું’ ‘સર્વ’ને સમાવી લે છે. આપણો ‘હું’ એટલે માત્ર વ્યષ્ટિ, ને પરમેશ્વરનો ‘હું’ યાને સમષ્ટિ. આવું જ મજાનું ‘હું’પુરાણ લઈને પ્રાગૈતિહાસિક કવિ એમર્જીન અહીં ઉપસ્થિત છે.

એમર્જીન ગ્લુઇન્ગલ અથવા એમર્જીન ગ્લુન્મર ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ અને ધર્મોપદેશક હતો. મિલેસિઅન લોકો એ જમાનામાં આયર્લેન્ડ પર ચડાઈ કરનાર આખરી જાતિ હતી, જેમાં મિલ એસ્પેઇનના સાત દીકરાઓમાંનો એક એમર્જીન પણ સામેલ હતો. આયર્લેન્ડના ત્રણ રાજાઓએ એમર્જીનના કાકાની કાવતરાપૂર્વક કરેલી હત્યાના જવાબમાં એ લોકોએ આ આક્રમણ કર્યું હતું. વિચિત્ર લાગે એવી આ ચડાઈમાં એમર્જીને મધ્યસ્થીની અને નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવી હતી. એણે લડાઈના નિયમો નક્કી કર્યા. એ મુજબ મિલેસિઅનોએ ત્રણ દિવસ માટે પીછેહઠ કરીને ‘નવ લીલા મોજાંઓ’ જેટલા પાછા જવાનું હતું. (આ નવ લીલાં મોજાંઓ વિશે વિસ્તૃત જાણકારી ક્યાંય મળતી નથી!) આઠ શ્લોકોની કવિતામાં એમર્જિને આ ફરમાન બહાર પાડ્યું હતું. મિલેસિઅનોને રોકવા માટે આયર્લેન્ડના ધર્મગુરુઓએ જાદુઈ તોફાન ઊભું કર્યું, જે અયોગ્ય હતું. એમર્જીને આયર્લેન્ડના આત્માનું ગીત ગાઈને આહ્વાન કર્યું, તોફાનને નાથ્યું અને એમનું જહાજ સહીસલામત જમીન પર લાંગરી શક્યું. આયર્લેન્ડની ભૂમિ પર પગ મૂક્યો એ વખતે એમર્જીને આ ગીત ગાયું હતું એમ મનાય છે. મિલના એમર્જીન સહિતના બચી ગયેલ ત્રણ સંતાનોએ ત્રણેય રાજાઓનો ખાત્મો બોલાવ્યો. એમર્જીને જીતેલ પ્રદેશને બે ભાઈઓમાં વહેંચી આપ્યો અને રાજા બનેલ બે ભાઈઓએ એમર્જીનને મુખ્ય ઓલ્લામની પદવી આપી. મિલેસિઅન પુરાણોમાંની ઘણી કવિતાઓ એમર્જીનના નામે બોલે છે.

એમર્જીનનું ‘પ્રથમ વિજય-ગીત’ પ્રાચીન કૅલ્ટિક કવિતા છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વે મોટા ભાગના યુરોપ તથા એશિયાઈ ઉપખંડોમાં બોલાતી ભાષા કૅલ્ટિક (અથવા સૅલ્ટિક) ભાષાઓ કહેવાય છે, જે હિંદ-યુરોપીય ભાષા પરિવારનો એક ફાંટો હતો. પ્રારંભિક મધ્યયુગીન સમયમાં લખાયેલ આ કવિતાનો આખેઆખો મૂળપાઠ તો આજે ઉપલબ્ધ નથી. એક અનુમાન મુજબ આ રચના લગભગ બત્રીસસો-તેંત્રીસસો વર્ષ પહેલાં ઈ.પૂ. ૧૨૬૮માં લખાઈ હશે. આ કવિતાના સેંકડો અનુવાદો ઉપલબ્ધ છે. દરેક અનુવાદકે પોતપોતાની સમજણનો અર્ક ઉમેરવાની કોશિશ કરી છે. પ્રસ્તુત અનુવાદ જ્યૉર્જ સાઇગરસનના ૧૮૯૭ના ૪૫૦ પાનાંના દળદાર પુસ્તક ‘બાર્ડ્સ ઑફ ધ ગેલ એન્ડ ગૉલ (BARDS OF THE GAEL AND GALL) – ઇક્ઝામ્પલ્સ ઑફ ધ પોએટિક લિટરેચર ઑફ એરિન’માંની કવિતા પરથી કરાયો છે. આ પુસ્તકમાં ગેલ સાહિત્યના સૌથી પહેલા પ્રકરણથી લઈને આજપર્યંતની આખી યાત્રા સમાવી લેવાઈ છે અને મૂળ ભાષાની કવિતાઓ પણ અનુવાદની હારોહાર યથાતથ રજૂ કરવામાં આવી છે. સાઇગરસને મૂળ કવિતાઓમાં પ્રયોજાયેલ પ્રાચીન છંદો અને પ્રાસયોજના પણ અદ્દલ સાચવવાની જે નિષ્ઠાવાન કોશિશ કરી છે એ અન્ય અનુવાદકો ચૂકી ગયા છે. આ કારણોસર સાઇગરસનના અનુવાદ મૂળ કવિતાને વધુ સંનિષ્ઠ અને વધુ નજીકના હોય એમ લાગે છે. ૧૮૫૭માં પ્રગટ થયેલ ‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ ઑસિઆનિક સૉસાયટી’ના પ્રૉ. કોનેલાન દ્વારા સંપાદિત ૩૫૦ પૃષ્ઠોમાં પથરાયેલ પાંચમો ભાગ, આયર્લેન્ડના કવિઓ અને કવિતાઓનો પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે જેમાં આ કવિતાનો જે ગદ્યાનુવાદ જોવા મળે છે એ સાઇગરસનના અનુવાદની ખાસ્સો નજીકનો છે. ચાર્લ્સ સ્ક્વાયરના ૧૯૦૫ના ૪૫૦ પાનાંના પુસ્તક ‘કૅલ્ટિક મિથ એન્ડ લિજેન્ડ’માં જોવા મળતો ગદ્યાનુવાદ પણ સાઇગરસનના અનુવાદને મળતો આવે છે. જાણીતા અનુવાદક રૉબર્ટ ગ્રેવ્સે ‘વાઇટ ગોડેસ’ પુસ્તકમાં અલગ જ અનુવાદ રજૂ કર્યો છે, જેને ઘણાં પ્રમાણભૂત ગણે છે. પણ મૂળ રચના કરતાં ગ્રેવ્સના અનુવાદમાં પંક્તિઓનો ક્રમ ખાસ્સો ઊલટોસૂલટો છે અને કેટલીક પંક્તિઓ તો ગ્રેવ્સે જાતે જ ઘડી કાઢી છે. પ્રૉ. જૉન મેકનેઇલ, ‘ધ બુક ઑફ લિકેન એન્ડ ધ બુક ઑફ ધ ઑ’ક્લેરિસ’માં ઑ’ક્લેરિસ, જૉન મેકએલિસ્ટર તથા લેડી અગસ્ટા ગ્રેગરી (૧૯૦૪)ના અનુવાદો ઉપરાંત અસંખ્ય નાના-મોટા અનુવાદો આ કવિતાના થયેલા જોવા મળે છે. પણ સાઇગરસન જે રીતે આયર્લેન્ડના સાહિત્યના મૂળ અને કુળને વળગીને ચાલ્યા છે એ જોતાં એમનો અનુવાદ મૂળ કૃતિથી સહુથી નજીકનો હશે એમ ધારી શકાય.

ઉપર જેની વાત કરી એ રૉબર્ટ ગ્રેવ્સનો અનુવાદ મૂળ કવિતાથી ઘણે દૂર હોવા છતાં એને વિદ્વાનોએ ઘણું માન આપ્યું છે એનું પ્રમુખ કારણ ગ્રેવ્સે કવિતાનું બિલકુલ અલગ રીતે જે પૃથક્કરણ કર્યું છે એ ગણી શકાય. આજે તો કેલેન્ડર/તારીખિયું માત્ર સાદા અને રેખિક સમયના ઉપકરણ માત્ર છે, જેના ઘટકને દિવસો કહેવામાં આવે છે, જે અનિશ્ચિત કાળ સુધી અને નિર્બાધ રુપથી એકની પાછળ એક આવ્યે રાખે છે. હકીકતમાં કેલેન્ડર ગતિશીલ બ્રહ્માંડને ઉઘાડી આપતી ચાવી, એક સાચું જ્ઞાનનું ઓજાર છે. સાદી ભાષામાં કેલેન્ડર વૈશ્વિક નિર્માણની વાત કરે છે, જે ચંદ્રના પૃથ્વી ફરતેના, પૃથ્વીના સૂર્ય ફરતેના અને પોતાની ધરી પરના ભ્રમણની સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક ગણતરી સૂચવે છે. ગ્રેવ્સના મતે ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું ત્યારે પોતાના મૂળ સાચવી રાખવા માટે ખાનગી મૂળાક્ષરો વાપરવામાં આવતા. પ્રાચીન કૅલ્ટિક કેલેન્ડર તરીકે કામ કરતા આવા મૂળાક્ષરો એમર્જીનના ગીતમાં ગ્રેવ્સે શોધી કાઢ્યા. તત્કાલિન આઇરિશ મૂળાક્ષરોમાં પ્રયોજાતા ૧૩ વ્યંજન અને ૫ સ્વર એ ઓળખી બતાવે છે. એ કહે છે કે આ મૂળાક્ષરોની ગોઠવણી કઈ રીતે છે એની નિશાની એનર્જીને ડોલ્મેન વિશે આપેલા સંદર્ભમાંથી મળી આવે છે. ડોલ્મેન એટલે છથી સાત હજાર વર્ષ જૂની વિશાળ ઊભા પથ્થરો પર એક આડો પથ્થર ગોઠવીને રચવામાં આવેલ કહેવાતી કબરો. વ્યંજનો અને સ્વરોની ગોઠવણી વડે ગ્રેવ્સ મૂળાક્ષરોનું ડોલ્મેન રચી બતાવે છે, જે કેલેન્ડર તરીકે કામ આપે છે. આ મૂળાક્ષરો, ડોલ્મેનનું ચિત્ર અને કેલેન્ડર સમજાવવું પ્રસ્તુત લેખના પરિઘ બહારની વાત છે.

ડોલ્મેનનો ઉપયોગ આઇરિશ મૂળાક્ષર શીખવવાના નમૂના તરીકે કરાતો હોવાની ગ્રેવ્સની આ શોધ પ્રખ્યાત સ્ટોનહેન્જની વિરાટકાય શીલાઓને આયર્લેન્ડથી સેલિસ્બરી લઈ જનાર જાદુગર મર્લિનની લોકવાયકાને વધુ રસિક બનાવે છે. પથ્થરોની આ સાંકેતિક ભાષા ઉકેલી શકાય તો હજારો વર્ષ જૂનાં સ્ટોનહેન્જના રહસ્યમયી શિલાશિલ્પોને કદાચ પુસ્તકની જેમ જ વાંચી શકાય એવી સંભાવના નકારી ન શકાય.

ખેર, આપણે એમર્જિનની કવિતા તરફ આગળ વધીએ. એમર્જિનની અન્ય કવિતામાં કોનાક્લોન પ્રકારની વિશિષ્ટ પ્રાસરચના જોવા મળે છે જેમાં પંક્તિનો છેલ્લો શબ્દ આવનારી પંક્તિના પહેલા શબ્દ સાથે પ્રાસ મળવે છે અને એ પછીના બંને શબ્દો વર્ણસગાઈ ધરાવે છે. પણ આ કવિતામાં વિશિષ્ટ પ્રકારનું Rosg મીટર પ્રયોજાયું છે, જે નાનાં અને ઝડપી વાક્યોથી બને છે અને લયબદ્ધ હોવા છતાં પ્રાસબદ્ધ હોતું નથી. આપણે લોકો એમ માનીએ છીએ કે ‘બ્લૅન્ક વર્સ’ (પ્રાસરહિત છંદોબદ્ધ પદ્ય) એ આધુનિક કવિતાની દેણ છે પણ એમર્જિનની આ કવિતાને બ્લૅન્ક વર્સના પ્રાચીનતમ ઉદાહરણ તરીકે સ્થાન આપી શકાય એમ છે. વળી, રચનાને સાવ પ્રાસરહિત પણ ગણી શકાય એમ નથી. કવિએ અંત્યાનુપ્રાસના સ્થાને પ્રારંભ-પ્રાસ પ્રયોજ્યા હોય એમ અનુભવયા છે કેમ કે મોટાભાગની પંક્તિઓ ‘હું’, ‘કઈ દિશામાં’ અને ‘કોણ’થી શરૂ થાય છે. આ પ્રારંભ-પ્રાસ પુનરોક્તિ વડે કાવ્યભાવને પણ સઘનતા બક્ષે છે. એમર્જિનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આટઆટલા હજાર વર્ષ પહેલાં પણ કવિઓમાં છંદ, લય, પ્રાસ, વર્ણસગાઈ વગેરે કાવ્યતત્ત્વની કેટલી ઊંડી સૂઝ હશે એનો ખ્યાલ આવે છે અને સહજ આશ્ચર્ય થયા વિના રહેતું નથી.

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. ડૉ. મેકઅલિસ્ટર આ ગીતને ‘બ્રહ્માંડની એક પંથિક અવધારણા, જ્યાં દૈવત્વ સર્વત્ર અને સર્વશક્તિમાન છે’ ગણાવે છે. એમના મતે આ ગીત કુરાન કે ખ્રિસ્તી ધર્મગ્રંથોના પ્રારંભિક પ્રકરણ સમું છે. જુલિયસ સિઝરે જ્યારે કહ્યું હતું કે, ‘કૅલ્ટ ધર્મગુરુઓ તારાઓ અને તેમના ગતિઓ, વિશ્વ, જમીનના કદ, કુદરતી તત્વજ્ઞાન અને દેવતાઓના સ્વભાવ વિશે શીખવે છે’ ત્યારે એના મનમાં આ સ્તોત્ર હોવું જોઈએ. પ્રકૃતિની સ્તુતિ તો આમેય લગભગ દરેક સંસ્કૃતિના પ્રારંભકાળમાં જોવા મળે જ છે. આ કવિતાને પણ એ સંદર્ભમાં જોઈ શકાય. કુદરતની કવિતા લગભગ બધી જ ભાષામાં કવિતાની જનેતા છે. રૉબર્ટ ગ્રેવ્સના મતે તો, ‘અંગ્રેજી કાવ્ય શિક્ષણની શરૂઆત, ખરેખર તો, કેન્ટરબરી ટેલ્સથી નહીં, ઓડિસીથી નહીં, જિનેસીસથી પણ નહીં, પરંતુ એમર્જીનના ગીતથી થવી જોઈએ, જે ટૂંકાણમાં મુખ્ય કાવ્યાત્મક માન્યતાઓનો સારાંશ રજૂ કરે છે.’

આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. કહે છે, હું દરિયા પર વાતો પવન છું, દરિયાનું ઊછળતું મોજું છું, દરિયાની ગર્જના પણ હું છું અને સાતેસાત સેનાઓ પણ હું જ છું. ગીત એ જ લયમાં આગળ વધે છે. કવિતામાં ચાર સજીવોનો ઉલ્લેખ આવે છે- હરણ, બાજ, સૂવર અને સાલમન માછલી. સાઇગરસન સહિત કેટલાક અનુવાદકોએ મૂળ Lam શબ્દનો અનુવાદ Ox યાને બળદ કર્યો છે તો કેટલાકે Stag યાને હરણ કર્યો છે, જે વધુ તાર્કિક લાગે છે. આઇરિશ પુરાણકથાઓમાં તુઆન મેક કૈરિલ (કૈરિલનો પુત્ર)ની વાત આવે છે, જે પ્રલય-પૂરથી બચનાર એકમાત્ર મનુષ્ય હતો. કાળક્રમે એ હરણ, જંગલી સૂવર, બાજ અને અંતે સાલમન માછલીરૂપે જન્મ લે છે અને આઇરિશ ભૂમિ પર થનાર અતિક્રમણોનો સાક્ષી બને છે. માછલીને કૈરિલની પત્ની આરોગી જતાં તેણી ગર્ભવતી બને છે અને તુઆન મેક કૈરિલનો જન્મ થાય છે, જે આયર્લેન્ડનો ઇતિહાસ સંભળાવે છે. એટલે હરણ વધુ યોગ્ય પર્યાય જણાય છે. પાડો શક્તિ અને પૌરુષનું પ્રતીક છે તો હરણ ચપળતાનું. બાજ ઝડપનું, જંગલી સૂવર શક્તિ અને સાહસનું, તો નદીની માછલી જ્ઞાનના જળરાશિનું પ્રતીક છે. સૂર્યનો ઝબકારો પણ હું જ છું અને ભૂલભૂલામણીમાંનું કિરણ પણ હું જ છું. એમ હું-પુરાણ હું સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર છું એમ કહેવા સુધી લંબાય છે. પણ આ હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. કોઈ કવિ પોતાનો વિજયહુંકાર કરતો હોય એના કરતાં વધુ આ હુંકાર પૌર્વાત્ય સભ્યતા અને માન્યતા-સંસ્કારો સાથે વધુ સામ્યતા ધરાવતો હોય એમ અનુભવાય છે.

પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે: હું જળમાં રસ છું, ચન્દ્ર તથા સૂર્યમાં પ્રકાશ છું, સઘળા વેદોમાં ૐકાર છું, આકાશમાં શબ્દ તેમજ મનુષ્યોમાં સામર્થ્ય છું. (0૭:૦૮) હું પૃથ્વીમાં પવિત્ર ગંધ તથા અગ્નિમાં તેજ છું, સર્વ જીવોમાં જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. (૦૭:૦૯) હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, હું જ તર્પણ, ઔષધિ અને મંત્ર છું. હું જ ઘી, હું જ અગ્નિ, હું જ આહુતિ છું. (૦૯:૧૬) હું આ બ્રહ્માંડનો પિતા, માતા, સ્રષ્ટા તથા પિતામહ છું. (૦૯:૧૭) હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. (૦૯:૧૮) હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ જીવમાત્રનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. (૧૦:૨૦) દસમા અધ્યાયમાં તો ૧૯થી ૪૦ સુધીના શ્લોકોમાં શ્રીકૃષ્ણ પોતે કઈ-કઈ રીતે સચરાચરવ્યાપી છે એનું વ્યાપક વર્ણન કરે છે. ભગવાનનો ‘હું’ સૌ કોઈમાં સમાયેલો છે અને એ જ રીતે ભગવાનના ‘હું’માં જ સૌ કોઈ સમાવિષ્ટ પણ છે. આ ભારતીય સંસ્કૃતિનું મહાગાન છે. શ્રીકૃષ્ણનો આ ‘હું’કાર એમના અહંકારનો દ્યોતક નથી, બલકે ઈશ્વરની સર્વવ્યાપકતાનો મહાઘોષ છે, જે આપણી સંસ્કૃતિનો પ્રાણમંત્ર છે. અને એની સાબિતી ગીતાની પવિત્રતા અને શુદ્ધતાથી બિલકુલ વિપરિત દિશામાં ફાલેલ અને તળિયાનો ગણી શકાય એવા ફિલ્મઉદ્યોગમાં અનાયાસે આવી જતા ગીતોમાંથી મળી આવે છે. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રવિન્દ્ર જૈને જ્યારે ‘मुझ तलक आये न जो, वो रास्ता कोई नहीं; मुझ को देखोगे जहाँ तक, मुझ को पाओगे वहाँ तक, इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ’ ગીત લખ્યું હશે ત્યારે એમની સ્થૂળ નજર સામે તો નાયક-નાયિકાનો પ્રેમાલાપ જ હશે, પણ એમના સૂક્ષ્મ માનસમાં રોપાયેલા ગીતાના સંસ્કારબીજનો જ આ પ્રભાવ હોવો જોઈએ એ વાતને તો કેમ નકારી શકાય?

કવિ અને કવિતાની શક્તિ વિશે એ જમાનામાંય કોઈ શંકા નહોતી. કવિને સર્જનહારની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આગળ, બેઠક ક્યાં કરવી એની વાતો કરાય છે. ખીણમાં કે પર્વત પર? સૂર્યાસ્ત થાય છે એ જગ્યાની પછવાડે? ક્યાં જઈશું તો સુરક્ષા સાંપડશે? કોણ સુરક્ષા આપશે? ઓસરી જતાં પાણીનું સુકાન કોણ સંભાળી શકે? ચંદ્રની કળાઓ મારા સિવાય કોણ ભાખી શકે? ઊંડા જળની માછલીઓને સપાટી પર આણવાનું અને સપાટી પરથી કાંઠે ઘસડી લાવવાનું પરાક્રમ પણ મારા સિવાય બીજું કોણ કરી શકે? મસ્તકની ઉપર આગ કોણ પ્રજ્વાળી શકે? મસ્તક ઉપરની આગમાંથી ઈશ્વર જ મનુષ્યની પ્રજ્ઞાનો વિકાસ કરી શકનાર હોવાની પ્રતીતિની ગુંજ આપણને સંભળાય છે. કવિ જ પયગંબર ગણો તો એ ને ભવિષ્યવેત્તા ગણો તો એ છે. કવિ જ ઈશ્વર છે ને કવિ જ પ્રાર્થના છે. દુશ્મનોને હણનાર જે શસ્ત્રોને આજે અમે હાથમાં લીધાં છે એ શસ્ત્રો જ આપણી જીતના ગીત ગાશે, એ શસ્ત્રો જ ગગન આંબતી ગાથાઓમાં આપણા ભાવિ સિદ્ધિઓનું યશગાન કરશે. શત્રુને હણવાનો અને શત્રુઓ પર વિજયી થવાનો ગીતાનો મધ્યવર્તી વિચાર અહીં પણ સંભળાઈ રહ્યો છે. શત્રુ બહારના હોય કે ભીતરના- વાત તો સરખી જ છે. કોઈપણ પરિસ્થિતિમાં ઘૂંટણિયા ટેકવવાના નથી, જયજયકાર જ મેળવવાનો છે. આવનારી પેઢીઓ એ જ ગાવાની છે. અને આ એનું જ ગીત છે. આ એની જ શરૂઆત છે.

એમર્જીન પછીની પેઢીઓમાં પણ આ કાવ્યપદ્ધતિ પ્રચલિત રહી હશે એમ માની શકાય છે કેમકે કુચુલેન (Cuchulainn)ની કવિતામાં પણ ‘હું પૂરોનો બદલો લેનાર આગ છું, હું ખતરનાક આગ ઝરતો સિંહ છું’ જેવી અભિવ્યક્તિઓ જોવા મળે છે. જો કે આ અભિવ્યક્તિઓ એમર્જિનની જેમ સાર્વત્રિક હોવાના બદલે વૈયક્તિક અહંની દ્યોતક વધારે હોવાનું અનુભવાય છે. પણ એમર્જિનની કવિતામાં शब्द ब्रह्म् નો હાથ ઝાલીને अहम् ब्रह्मास्मिની આહલેક પોકારતા કવિને ઈશ્વરની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આનંદવર્ધને પણ कविः एव प्रजापतिः કહીને કવિને વિશ્વમાં પરિવર્તન આણતા સ્રષ્ટાની ઉપમા આપી છે. ગ્રેવ્સનો મત કે આ કવિતા ખ્રિસ્તી બાહ્યાક્રમણ સામે પોતાની સંસ્કૃતિને સાચવી રાખવા માટેના ગુપ્ત મૂળાક્ષરો છે, એ સાચો પણ હોઈ શકે. છતાં અહીં કવિનું જે ‘વિરાટ દર્શન’ છતું થયું છે એ આજે આટઆટલા સૈકાઓ પછી પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. એમર્જીનની આ કવિતા બ્રહ્માંડની ઉત્પત્તિ, દેવતાઓની પ્રકૃતિ અને ડહાપણનો માર્ગ પ્રશસ્ત કરે છે. અત્ર, તત્ર, સર્વત્ર ઈશ્વર જ છે. ઈશ્વર જ સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. न था कुछ तो खुदा था, न होता कुछ तो खुदा होता….

ગ્લોબલ કવિતા : ૧૧૯ : મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

દોઢ લીટીની અ-મર કવિતા…!

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. લાઘવ એટલે શું અને કેટલા લાઘવને લાઘવ કહેશો એવા એકાદા પ્રશ્ન સામા પૂછીએ અને દાખલા માંગીએ તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ વાત સાચી છે. કવિતા એટલે કરકસર. કવિતાના નાજુક બાંધાને એક અક્ષરેય વધારાનો ખપતો નથી. બિનજરૂરી અલંકારો અને ઉપમાઓ કવિતાને કદાચ વધુ આકર્ષક તો બનાવે પણ પ્રાણ હરી લેતાં હોય છે. કવિતામાં લાઘવ અને કરકસર કોને કહેવાય એ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત જ સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજિસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. ઘણાં તો આ કવિતાને વીસમી સદીની શ્રેષ્ઠ કવિતા પણ ગણાવે છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયાં છે, થાય છે, થતાં રહેનાર છે.

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ. ૩૦-૧૦-૧૮૮૫ના રોજ અમેરિકાના ઇડાહો રાજ્યના હૈલી ખાતે જન્મ. હોમર લૂમિસ પાઉન્ડ અને ઇઝાબેલ વેસ્ટનનું એકમાત્ર સંતાન. ૧૧ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય જેકિનટાઉન ટાઇમ્સમાં પ્રગટ થયું હતું. ૧૩ વર્ષની વયે ત્રણ માહિનાનો યુરોપ-પ્રવાસ કરવા મળ્યો. પ્રાથમિક શિક્ષણ ઘરગથ્થુ શાળાઓમાં અને પછી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં. ૧૬ વર્ષની વયે હિલ્ડા ડૂલિટલ (H.D.) સાથેની મુલાકાત પ્રણયમાં પાંગરી. હિલ્ડા એની પાછળ લંડન પણ આવી. પાઉન્ડે એના માટે ઘણી કવિતાઓ લખી અને ૨૫ જેટલી કવિતાઓને જાતે જ બાઇન્ડિંગ કરીને ‘હિલ્ડા’ઝ બુક’ બનાવી પણ એના હિલ્ડાના પિતાએ લગ્ન માટે પરવાનગી ન આપી. હિલ્ડાની હારોહાર જ પાઉન્ડ બીજા બે ઘોડા પર પણ સવારી કરી રહ્યા હતા- વાયોલા બેક્સટર અને મેરી મૂર. મેરીએ પણ લગ્નની દરખાસ્ત નકારી હતી. ફિલોસોફીમાં સ્નાતક થયા. એમ.એ. કરીને પીએચડી શરૂ કર્યું પણ અધવચ્ચેથી ત્યાગ કર્યો. કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું પણ અધિકારીઓ સાથે અવારનવાર પંગો લેવાના કારણે અને એના ઘરે છોકરી રાતવાસો કરતી હોવાના કારણે કોલેજ અને ઘર બંને છોડવા પડ્યા. પરિણામે પાઉન્ડે દેશ જ છોડ્યો અને ૧૯૦૮થી યુરોપ સ્થાયી થયા. ૧૯૨૦ સુધી લંડન રહ્યા. ડબલ્યુ. બી. યીટ્સ સાથે ગાઢ મૈત્રી થઈ અને ડોરોથી શેક્સપિઅર સાથે ૧૯૧૪માં લગ્ન. પ્રથમ વિશ્વયુદ્ધે પાઉન્ડને વ્યથિત કરી નાંખ્યા. ૧૯૨૧થી ત્રણેક વર્ષ પેરિસ અને ૧૯૨૪થી ૪૫ સુધી ઇટલી રહ્યા. પેરિસમાં ઓલ્ગા રડ્જ નામની વાયોલિન વાદિકાના પ્રેમમાં પડ્યા. આ પ્રણયસંબંધ ૫૦ વર્ષ ચાલ્યો. એક બાળકી પણ થઈ જેને ભાડુતી માતાને ઉછેરવા સોંપી દેવાઈ. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોઈ ૧૯૪૩માં પાઉન્ડને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પ્રેમિકાના ઘરમાં પતિ-પત્નીએ આશરો લેવો પડ્યો. રાષ્ટ્રવાદી (Fascism) રાજકારણના પ્રખર હિમાયતી હોવાના નાતે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના સમર્થક પાઉન્ડની રેડિયો પર પોતાના વિચારો રજૂ કર્યે રાખવાના કારણે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ. જેલમાં એમને ત્રણ અઠવાડિયા છ બાય છ ફૂટના લોખંડના પાંજરા –ડેથ સેલ-માં પણ રાખવામાં આવ્યા, જેના પરિણામે એ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ૧૯૪૫થી ૫૮ સુધી તેમને અમેરિકામાં જેલ અને પાગલોની હૉસ્પિટલમાં રખાયા. સમકાલીન લેખકોની એકધારી ચળવળના પરિણામે એમને મુક્તિ મળી. ત્યાર બાદ મૃત્યુપર્યંત તેઓ ફરી વેનિસ, ઇટલીમાં રહ્યા. ૮૭મી વર્ષગાંઠના બે દિવસ બાદ ૦૧-૧૧-૧૯૭૨ના રોજ એમનું નિધન થયું ત્યારે ઓલ્ગા એમની પડખે જ હતી.

વીસમી સદીમાં આધુનિક કવિતાની નવરચના કરવાનું શ્રેય કોઈ એક જ વ્યક્તિને આપવાનું થાય તો એઝરા પાઉન્ડ સિવાય બીજું કોઈ નામ વિચારી પણ ન શકાય. એકલા હાથે એમણે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધ્યો. પણ સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઈટાલીમાં આવિર્ભૂત થયેલ રાજદ્વારી રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હોવાના કારણે અને ઉઘાડછોક યહૂદી-વિરોધી વલણના કારણે એમના જીવનકાળ દરમિયાન એ ઓછા પોંખાયા. તકનીકી નાવિન્ય અને બિનપરંપરાગત કાવ્યસામગ્રીના વપરાશના કારણે એમના ચાહકો બોખલાઈ પણ જતા હતા. નાનપણથી જ એમને અન્ય કોઈપણ જીવિત વ્યક્તિ કરતાં કવિતા વિશે વધુ જાણકારી મેળવવાની ચાનક ચડી હતી. કળાને યોગ્ય દિશામાં વધારવા માટે તેઓ આજીવન સક્રિય રહ્યા. ઇમેજિસમ અને વૉર્ટિસિસમ એનાં જ્વલંત ઉદાહરણ છે. યીટ્સ, ફ્રોસ્ટ, કાર્લોસ, મરિઆન મૂર, એચ.ડી., જેમ્સ જૉય્સ, હેમિંગ્વે અને ઇલિયટ જેવા અન્ય અનેક ‘ઊગતા’ કવિઓને એમણે જે રીતે આગળ વધવામાં અખૂટ મદદ કરી હતી એ પણ न भूतो, न भविष्यति ગણી શકાય. ૮૦૦ પાનાંઓમાં પથરાયેલું ‘કેન્ટોસ’ નામનું અધૂરું રહી ગયેલ મહાકાવ્ય એમની ખરી પ્રતિભા ઉજાગર કરે છે. પુષ્કળ અનુવાદો અને વિવેચન પણ કર્યા.

કવિતાનું શીર્ષક ક્યારેક બિનજરૂરી કે અવશિષ્ટ અંગ જેવું હોય છે તો ક્યારેક એ કવિતાની પૂર્વભૂમિકા રચવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. વળી, ક્યારેક એ કવિતા સાથે એ રીતે રસાયેલું હોય છે કે એના વિના કવિતા અધૂરી લાગે. ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક આ ટૂંકીટચરક કવિતા સાથે અવિનાભાવી સંબંધે એવું સાયુજ્ય સર્જે છે કે કવિતાને શીર્ષક વિના વિચારવી જ અશક્ય થઈ પડે છે. કવિએ કવિતામાં જે રીતે કરકસર કરી છે એ મુજબ શીર્ષક ‘ઇન અ મેટ્રો સ્ટેશન’ રાખ્યું હોત તો બે શબ્દોની બચત ત્યાંય થઈ શકી હોત. પણ, શબ્દો વાપરવાની બાબતે મહાકંજૂસ પાઉન્ડે ‘ધ મેટ્રો’ લખીને બીજું કોઈ નહીં, પણ જે સ્ટેશન પર પોતે બેઠ હતા એ જ સ્ટેશન, એ બાબત બરાબર ગાઢી કરી છે. બીજું, કવિએ ‘સ્ટેશન’ શબ્દને પણ કદાચ હાઇલાઇટ કરવાનું વિચાર્યું હોય. સ્ટેશન એટલે વિરામસ્થાન. એવી જગ્યા, જ્યાં આવીને બધું અટકી જાય. કવિતા મેટ્રોની સતત દોડ્યે રાખતી ભીડને એક સ્થાયી ચિત્રમાં આકારી લે છે, એ અર્થમાં સ્ટેશનને મેટ્રોથી અલગ કરવું ઉચિત ગણી શકાય. જો કે શીર્ષક કાઢી લેવામાં આવે તોય કવિતા ભાંગી પડતી નથી. શીર્ષક ન હોય તો કવિતામાં ઓછાયા જેવી ભાસતી ભીડ કોઈપણ સ્થળે જોવા મળતી ભીડ હોઈ શકે છે. ભીડના સ્થળ અને હેતુ બદલાઈ શકે છે, પણ કવિતાની યશસ્વીતા ઓઝપાતી નથી.

કવિતાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કવિએ પોતે આ કવિતા વિશે કહ્યું છે કે પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે તેઓ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા હતા. આખો દિવસ આ દૃશ્યનો પોતાના માટે શું મતલબ છે એ વિશે તેઓ વિચારતા રહ્યા. પણ એવા શબ્દો જડ્યા નહીં, જે આ આકસ્મિક લાગણી જેટલા જ પ્યારા, અથવા કિંમતી હોય. સાંજે રુ રેનૉર્ડ સાથે ઘરે ગયા ત્યારે પણ મથામણ ચાલુ જ હતી અને અચાનક જ એમને અભિવ્યક્તિ જડી ગઈ. શબ્દો નહીં પણ એક સમીકરણ… વાણીમાં નહીં, પણ રંગના નાના નાના ધબ્બાઓમાં. રંગની ભાષાનો શબ્દ એમને હાથ લાગ્યો. કવિને અહેસાસ થયો કે જો પોતે ચિત્રકાર હોત અને એ લાગણીને રંગોમાં ઢાળી શક્યા હોત તો ચિત્રકળાની એક નવી જ શૈલીની શોધ કરી શક્યા હોત, જે માત્ર રંગોની ગોઠવણીની ભાષામાં જ બોલતી હોય. પાઉન્ડને લાગ્યું કે કોઈ પણ મન જે મન કહેવાવાને લાયક હોય એની પાસે ભાષાની પ્રવર્તમાન શ્રેણીઓની પારની જરૂરિયાત હોવી ઘટે, બરાબર એ જ રીતે, જેમ એક ચિત્રકાર પાસે રંગોના ઉપલબ્ધ નામોની તુલનામાં ખાસ્સા વધારે રંગદ્રવ્યો અથવા રંગછટાઓ હોવાં જોઈએ. કવિ પાસે આ લાગણીને કાગળ પર ઢાળવા માટે શબ્દ નહીં, રંગો હતા પણ એ રંગ ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્રનું સર્જન. પહેલાં આ કવિતા ૩૦ પંક્તિની હતી. પણ કવિને આ કામ ઓછી તીવ્રતા (Second Intensity) વાળું લાગ્યું એટલે એમણે એ રદ કરી. છ મહિના પછી અડધી લંબાઈની કવિતા સર્જી પણ એય ન રુચિ. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ ત્રીસમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર થયેલી અનુભૂતિ તાદૃશ થાય એમ રજૂ કરી શકાય, સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમ-ઇમેજિસ્ટ પોએટ્રીનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

પહેલાં તો ઇમેજિસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંદોના બંધન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. ૧૯૧૨ની સાલમાં એઝરા પાઉન્ડે અન્ય બે મિત્રોની સાથે મળીને અધિકૃતતાપૂર્વક ‘ઇમેજિસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજિસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળનો એમી લૉવેલ જેવાના હાથે થઈ રહેલા દુરુપયોગને અટકાવવામાં પોતે વિફળ રહ્યા છે એમ લાગતા ૧૯૧૭માં પાઉન્ડ હટી ગયા. એમણે ‘ઇમેજ’નું ‘વૉર્ટેક્સ’ (વમળ અથવા ચક્રવાત) અને ‘ઇમેજિસમ’નું ‘વૉર્ટિસિસમ’ નામકરણ કર્યું, જે નામ એ સમયે વિન્ડહામ લૂઈસ અને અન્ય મિત્રોએ આદરેલ નૂતન કળાઅભિયાનને પણ લાગુ પડાયું. પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

પાઉન્ડની આ અંગ્રેજી કવિતાને બે રીતે જોઈ શકાય. એક, સૉનેટ અને બીજું, હાઇકુ. સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે, પાઉન્ડની આ કવિતા ચૌદ શબ્દોની બનેલી છે. સૉનેટમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ સાથે પણ સરખાવે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. જાપાનીઝ હાઇકુ ૧૭ ધ્વનિનું, અંગ્રેજીમાં ૧૭ શબ્દાંશ અને ગુજરાતીમાં ૧૭ અક્ષરનું બનેલું હોય છે જેની ગોઠવણી ત્રણ ૫-૭-૫ ના બનેલ ત્રણ વાક્યાંશમાં થાય છે. પાઉન્ડની આ રચનામાં પણ સત્તર શબ્દાંશ (Syllables) હોવાથી અને મૂળે હાઇકુ-સ્વરૂપથી જ પ્રેરિત હોવાથી ઘણા એને હાઇકુની કક્ષામાં મૂકે છે. જે હોય તે, પણ સરવાળે આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ કે બે પંક્તિઓને જોડતું કોઈ સંયોજક પણ અહીં વપરાયું નથી. જો કે આટલી નાની કવિતામાં પણ પાઉન્ડ પ્રાસ અને લય સંયોજવાનું ચૂક્યા નથી. પ્રથમ પંક્તિમાં એક સંપૂર્ણ દૃશ્ય નજરે ચડે છે અને બીજી પંક્તિમાં બીજું દૃશ્ય તાદૃશ થાય છે. એ પણ સર્વાંગ સંપૂર્ણ છે. બંને દૃશ્યો સ્વતંત્રપણે પરિપૂર્ણ છે અને બંને દૃશ્યોનું સાયુજ્ય થઈને વળી એક ત્રીજી જ અનુભૂતિ થાય છે જે ભાવકના ચિત્તતંત્ર પર કાયમી અસર છોડી જાય છે. ટૂંકમાં, એમ કહી શકાય કે પાઉન્ડે નાની અમથી ડબ્બીમાં સમાઈ શકે એનાથી અનેક ગણા વધારે ચોખા ખાંડી-ખાંડીને ભરી આપ્યા છે. કદાચ એટલે જ આ કવિતા અમર થઈ છે. શબ્દોની આ કરકસર જોતાં એલેક્ઝાન્ડર પૉપનું યુગ્મક યાદ આવે:

શબ્દ છે પાંદડાં જેવા, સૌથી વધુ જ્યાં નજરમાં ચડે,
એ જગાએ જવલ્લે જ ફળ અર્થના કોઈ તમને જડે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે ! રાજેન્દ્ર શાહની ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’ પણ બે જ લીટીમાં અભિધા, લક્ષણા અને વ્યંજના –એમ ત્રણેય સ્તરે જીવનનો અર્ક સમજાવી જાય છે, જ્યાં ઘરને શબ્દશઃ ઘર ગણીને વિશ્વનાગરિકત્વનો અર્થ પણ વિચારી શકાય, ધર્મ-સમાજના વાડા ગણીને વયષ્ટિમાંથી સમષ્ટિ તરફની ગતિ પણ સમજી શકાય છે અને પોતાના અહમ્, વિચાર, મમત્વની જડ સીમાઓ તોડવાથી હાંસલ થતા બ્રહ્મપદ સુધી પણ પહોંચી શકાય છે.

પાઉન્ડ પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન લા કૉન્કર્ડ પર મેટ્રોમાંથી બહાર નીકળે છે અને એક પછી એક ચહેરાઓ એમની નજર સામે આવે છે અને ગાયબ થઈ જાય છે. આ ચહેરાઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એ સમજાય એ પહેલાં તો એ બદલાયે રાખે છે. એક પછી એક ચહેરાઓનો આખો મહાસાગર નજર સામે ઉમટે છે અને ટ્રેન ઉપડી જતાંની સાથે ખાલી મેદાન સમો ઓસરી પણ જાય છે. ભૂતાવળ જ જોઈ લ્યો જાણે! કવિએ યથાર્થ apparition શબ્દ પ્રયોજ્યો છે. અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને ક્ષણાર્ધમાં ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જીવનની નશ્વરતાનું પણ સૂચન કરે છે, જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન! લેટિન Memento Mori અર્થાત્ ‘યાદ રાખો કે તમારે મરવાનું છે’ એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કવિતાનું ટૂંકાણ એના વિષય સાથે તાલમેલ ધરાવે છે. મેટ્રો ટ્રેનની જેમ જ શબ્દો પણ આપણી આંખ આગળથી ઝડપભેર પસાર થઈ જાય છે. ટ્રેનનો દરવાજો ખુલે છે, ચહેરાઓ દેખાય છે, દરવાજો બંધ થાય છે, ટ્રેન પસાર થઈ જાય છે અને શૂન્યાવકાશ પ્લેટફૉર્મ પર છોડતી જાય છે. આ બધું જ વીજળીક ગતિએ થાય છે. કવિતા પણ એ જ ઝડપે આપણી પાસે આવે છે, આપણી નજરે શબ્દો ચડે-ન ચડે એ પહેલાં ચાલી જતી ટ્રેનની જેમ પંક્તિ પૂરી થઈ જાય છે અને આપણી અંદર કંઈક અકળ અનુભૂતિનો અવકાશ છોડતી જાય છે. પાઉન્ડની ‘ઇમેજ’ વિશેની માન્યતા પણ અહીં સાફ થાય છે: ‘કામનો ઢગલો પેદા કરવા કરતાં જીવનમાં એક દૃશ્ય રજૂ કરવું વધુ બહેતર છે.’ કવિએ એવું પણ કહ્યું છે: ‘ઇમેજ એટલે ક્ષણાર્ધ જેટલા સમયમાં જ બૌદ્ધિક અને ભાવનાત્મક સંકુલતાની રજૂઆત.’

બીજી પંક્તિ છ શબ્દો અને એક અલ્પવિરામની મદદથી એક બીજું જ ચિત્ર રજૂ કરે છે. જાપાનીઝ હાઇકુમાં ઋતુની જાણકારી અગત્યની ગણાય છે. અહીં એ જાણકારી પાઉન્ડ પણ પૂરી પાડે છે. કાળી ડાળ પર ભીની પાંદડીઓ નજરે ચડે છે. પાંદડીઓ, પાંદડાં નહીં. અર્થાત્, વાત ફૂલની છે. ઝાડના પર્ણોની નહીં. ડાળી કાળી છે મતલબ સૂકાવા આવી છે અથવા અંધકારનો કે મોંસૂઝણાંનો સમય છે અને વરસાદના પાણીની ભીનાશના કારણે ડાળીનો રંગ ગાઢો અર્થાત્ કાળો નજરે ચડે છે. કાળો રંગ મૃત્યુનો રંગ પણ છે. આ કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે. ફૂલોનો ભાગ હોવાના બદલે પાંદડીઓની ડાળી પરની હાજરી હવે સમજાય છે. વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી હશે અને વરસાદની ભીનાશના કારણે કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. આટલું ચિત્ર કવિ રજૂ કરે છે. પણ કવિતા અહીં પૂરી થતી નથી, શરૂ થાય છે.

ભીડમાં ભૂતિયા ઓછાયાની જેમ આવી-આવીને અદૃશ્ય થઈ જતા ચહેરાઓનું એક દૃશ્ય અને કાળી ભીની ડાળીના ‘કોન્ટ્રાસ્ટ’માં વધુ ધ્યાનાર્હ બની રહેતી ડાળ પર ચોંટેલી પાંદડીઓનું બીજું દૃશ્ય ભેગાં થઈને એક ત્રીજું દૃશ્ય બને છે, જે માત્ર દેખાતું નથી, અનુભવાય છે. ભીડમાં નજરે ચડતા ચહેરાઓ થોડા સમયમાં જ્યાં દેખાયા હતા, ત્યાં નથી દેખાવાના અને જે પહેલાં દેખાયા નહોતા એ થોડી વાર પછી સામે આવનાર છે. આ ક્ષણજીવી ઘટનાને બીજી પંક્તિ સાથે સાંકળીએ તો સમજી શકાય છે કે અહીં કશું કાયમી નથી. ડાળીની ભીનાશ પણ કાયમી નથી. થોડા સમય બાદ આ ભીની ડાળી સૂકાઈ જશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય. Memento Mori, નહીં?!

આવતીકાલે મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન પણ હોય, ભીની ડાળ પર ચોંટેલી એ પાંદડીઓ હોય કે ન પણ હોય પરંતુ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

ગ્લૉબલ કવિતા : ૧૧૭ : લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

જૂની લોકકથાના ચશ્માંમાંથી નજરે પડતો આજની સ્ત્રીનો ચહેરો

પરીકથાઓ કોને ન ગમે? બાળપણમાં પરીકથાઓ, લોકકથાઓ કે દાદાદાદીની વાર્તાઓનું વ્યસન ન હોય એવું કોઈ હશે ખરું? મોટાભાગની આ વાર્તાઓના પાત્રો આજે પણ આપણા લોહીમાં વહી રહ્યા છે. સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, રાપુન્ઝેલ, લિટલ મરમેઇડ જેવી અનેક વાર્તાઓ તો સ્ત્રીપાત્રોઓની આજુબાજુ જ ગૂંથાયેલી છે. પરીકથા તો શબ્દ જ પરીની આસપાસ વણાયેલો છે. પણ આ મોટાભાગના સ્ત્રીપાત્રોમાં સુંદરતા અને નિર્દોષતા જેવા ગુણો જ ઉજાગર કરવામાં આવ્યાં છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રોને હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. ભાગ્યે જ કોઈ કથામાં સારાં સ્ત્રીપાત્રોને જીવનના અગત્યના નિર્ણયો લેતાં અને પુરુષોને એ નિર્ણયો સ્વીકારતા બતાવાયા છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે અને ગળથૂથીમાં પરીકથાઓ પીને મોટાં થતાં બાળકોના માનસમાં અભાનાવસ્થામાં સમાજમાં પ્રવર્તમાન આ વિષમ પદક્રમ ઘર કરી જાય છે. પણ હવે સમય આવી ચૂક્યો છે, વિષમ પદાનુક્રમના આ ચશ્માં ઊતારીને સ્ત્રીઓ તરફ જોવા માટેનો. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

મારિયા કૈલિબ ચાવેઝ આખું નામ પણ ઓળખાય છે એમકે ચાવેઝ તરીકે. જન્મ અને ઉછેર સાન ફ્રાન્સિસ્કોમાં પણ મૂળે લેટિન અમેરિકન. એમનો પરિવાર અલ સાલ્વડોરથી આવ્યો હતો, જ્યાં અસંખ્ય લોકો ગાયબ થઈ ગયા હતા, સેંકડોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એમકેના પરિવારમાં કોઈ વડીલ હાલ જીવંત નથી. જિંદગીની પાટી આ રીતે કોરી હોવી એ એક તરફ કરુણતા છે તો બીજી તરફ આઝાદી પણ એમ તેઓનું માનવું છે. ‘લિરિક્સ એન્ડ ડર્જીસ’ વાંચન શૃંખલાના તેઓ સહસ્થાપક અને અધ્યક્ષ (ક્યુરેટર) છે તથા બર્કલી પોએટ્રી ફેસ્ટિવલના સહ-નિર્દેશિકા પણ છે. આ સિવાય ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં છે. ‘મધરમોર્ફૉસિસ’ અને ‘ડિઅર એનિમલ’ એમનાં બે પ્રકાશિત પુસ્તકો છે. હાલ તેઓ કેલિફૉર્નિયામાં ઓકલેન્ડ ખાતે રહે છે અને એલિ કેટ બુક્સમાં નોકરી કરે છે. એમની સાથે ‘સન રા’ નામનું પળેલું સસલું રહે છે. ચાવેઝ ટ્વિટર પર પોતાને ‘હાર્મ રિડક્શનિસ્ટ’ તરીકે ઓળખાવે છે. ચાવેઝની કવિતાઓમાં એક અર્થ ઊઘાડતાં બીજો ને બીજો ઊઘાડતાં ત્રીજો હાથ લાગે છે. અર્થના પડળો અને એમાંથી જન્મતું ભાતીગળ કેલિડોસ્કોપિક વૈવિધ્ય એ એમની લાક્ષણિક વિશિષ્ટતા છે. કોલરિજની બહુખ્યાત ‘ધ એન્શન્ટ મરિનર’ કવિતાની સામે ચાવેઝ ‘નોટ સો એન્શન્ટ મરિનર’ લઈ આવે છે અને પુરુષોના ઈજારા બની ગયેલ દરિયાઈ ખેપો અને દરિયાની વાર્તાઓ સામે નૌકાના સ્ત્રીત્વનું સજીવીકરણ કરીને સ્ત્રીઓના સક્રિય અવાજને બુલંદ કરે છે. હોઝે એન્જલ આરાગુઝ લખે છે, ‘એમની કવિતાઓમાંથી અસંતોષ/નિરાશાનો સૂર એક વિષયના રૂપમાં પુનરાવૃત્ત થતો રહે છે પણ એ પરિત્યાગ તરીકે નહીં પરંતુ રહસ્યોદ્ઘાટનના ઈંધણ સ્વરૂપે.’ અલગ-અલગ પ્રાણીઓને કેન્દ્રમાં રખીને લખેલી એમની કવિતાઓમાંથી નનાવિધ માનવભાવો ઉજાગર થાય છે. ચાવેઝ કહે છે: ‘જે વસ્તુઓનો આપણે અનુભવ કરી લીધો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકતાં નથી. આપણે અનુભવ્યું હોય એને વણ-અનુભવ્યું કરી શકતાં નથી, ખરાબ પરિસ્થિતિઓ કાયમ ટકતી નથી… અને એટલે જ કળા એક ભેટ સમી લાગે છે, એ બીજી તરફ પહોંચવાના માર્ગ સમી લાગે છે. કળાની મદદથી, આપણે જખ્મોમાંથી સમજણ સર્જીએ છીએ અને આપણે તકલીફોમાં ઘડી ભર પણ ડૂબી રહેતાં નથી.’

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા’ કવિતા સ્ત્રીશોષણ અને એની સામે અવાજ ઊઠાવતી વિદ્રોહી સ્ત્રીના બુલંદ અવાજની કવિતા છે. કવિતાનું શીર્ષક પ્રચલિત લોકકથા ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ’ પરથી સીધું લેવાયું હોવાથી એનો અનુવાદ અનુચિત જણાય છે. પણ આ લોકકથા મજાની છે. યુરોપીય ખંડના દેશોમાં દસમી સદીના ફ્રેન્ચ ખેડૂતો અને ચૌદમી સદીના ઇટાલિઅન ખેડૂતોથી લઈને સામાન્યજનમાં પ્રચલિત આ લોકવાર્તાના સેંકડો ભાષામાં અનુવાદો થયા છે અને સમયાંતરે અનુવાદકોએ વાર્તાના મૂળ સ્વરૂપમાં પણ યથામતિ ફેરફારો કર્યે રાખ્યા છે. સત્તરમી સદીમાં ફ્રેંચ લેખક ચાર્લ્સ પેરોલ્ટે આ કથાનું સૌપ્રથમ મુદ્રિત સ્વરૂપ રજૂ કર્યું. પ્રચલિત ગ્રીમ ભાઈઓના જર્મન સંસ્કરણ મુજબ એક નાની છોકરીને એના દાદી લાલ રંગનો એક કાનટોપીવાળો ઝભ્ભો આપે છે. એ જમાનામાં ઘોડેસવારી (રાઇડિંગ) કરતી વખતે સ્ત્રીઓ ઝભ્ભાની પાછળના ભાગે જોડાયેલ રહી માથું અને ગરદન ઢાંકે એવી કાનટોપી સહિતનું જે વસ્ત્ર પહેરતી એ રાઇડિંગ હૂડ તરીકે ઓળખાતું હતું. છોકરીને આ હૂડ એટલું ગમી ગયું કે એ કદી એને ઉતારતી જ નહીં એટલે એનું નામ લિટલ રેડ રાઇડિંગ હૂડ પડી ગયું. એની મમ્મી એમના ઘરથી થોડે જ દૂર જંગલમાં રહેતાં બિમાર વૃદ્ધ દાદીમાને બેકિંગ-ડે પર બનાવેલી કેક તથા શરાબ આપી આવવા મોકલે છે. સાથે જ મા સહજ સૂચના આપે છે, કે ભૂલેચૂકેય રસ્તા પરથી આડીઅવળી ચાલીશ નહીં અને સીધી જ દાદીમાના ઘરે જજે. નાકની દાંડીએ ચાલી જતી છોકરીને જોઈને વરુ લલચાય છે. એ એને જંગલના સૌંદર્ય તરફ ધ્યાન આપવા લલચાવે છે. છોકરી બાળસહજ લલચાય છે અને દાદીમા માટે એક પછી એક ફૂલો ભેગાં કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ દરમિયાન છોકરીએ આપેલી નિશાની મુજબ વરુ દાદીમાના ઘરે પહોંચી જઈને દાદીમાને ખાઈ જઈ એમનાં કપડાં અને ટોપી પહેરીને પથારીમાં સૂઈ જાય છે. છોકરી મોડી મોડી દાદીના ઘરે આવે છે ત્યારે વરુ એના ગુડ મૉર્નિંગનો પ્રત્યુત્તર આપતો નથી. અને છોકરીને પણ ખાઈ જાય છે. પેટ ભરાઈ જતાં એને ઊંઘ આવી જાય છે ને એના નસકોરાં સાંભળીને એક શિકારી ત્યાં આવી ચડે છે અને વરુનું પેટ ચીરીને દાદીમા તથા લિટલ રેડ રાઇડિંગ હૂડને જીવતાં બહાર કાઢે છે.

આ વાર્તાના અન્ય ઘણાય સંસ્કરણો પણ છે, જેમ કે એવી વાર્તા પણ છે જેમાં વરુ દાદીમાના લોહીમાંસને રહેવા દે છે અને પૌત્રી અજાણતામાં એ ખાઈને નરભક્ષી બને છે. વાર્તાનો બોધપાઠ એ છે કે બાળકીઓએ અને વધુ વિસ્તૃત અર્થમાં સ્ત્રીઓએ ‘પુરુષપ્રધાન’ સમાજે જે ચીલો ચાતરી આપ્યો છે એના પર જ ચાલવું જોઈએ અને અજાણ્યા ‘વરુઓ’ સાથે ઘરોબો કેળવવાથી દૂર રહેવું જોઈએ. રાતનું વરુ રાતી થતી સાંજને ગળી જાય, સૂર્યના રાતા ગોળાને રાત ગળી જાય, ગ્રહણ નામનું વરુ ચંદ્રને ગળી જાય અને સૂર્ય એના કિરણોની બંદૂકથી એને છોડાવે કે કિશોરી માસિકધર્મમાં આવીને યુવતી બને છે એવા તો સેંકડો અર્થઘટનો આ કથાના કરાયા છે. જાતિય પરિપક્વતાની કથા તરીકે પણ ઘણા આને જુએ છે. લાલ હૂડને સ્ત્રીનું યોનિપટલ અને વરુને એ માટેનો ખતરો ગણાવતાં અર્થઘટન પણ થયાં છે. આધુનિક યુગના નારીવાદીઓએ આ વાર્તાને સ્ત્રી-સશક્તિકરણવાળા અંત પણ આપ્યા છે. આપણે ત્યાં પણ ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’વાળી પરીકથાઓના નવા સંસ્કરણ જોવા મળે છે. કંગના રણૌત અભિનિત ‘ક્વીન’ ફિલ્મમાં નાયિકાના અનાધુનિક દેખાવના કારણે એને નકારી દેવાતાં નાયિકા એકલી હનીમૂન મનાવવા વિદેશ ઉપડે છે અને પોતાની જાતને મળે છે, મેળવે છે અને બદલાયેલી નાયિકાને પુનઃપ્રાપ્ત કરવાની મંસા રાખતા નાયકને સગાઈની વીંટી પરત કરી દે છે. આ અંત આજની નારીએ લખાવેલો અંત છે.

સમાજના પ્રસ્થાપિત બંધનોને ફગાવનારી નારીની વાત કરતી હોવાથી પ્રસ્તુત રચના સ્વાભાવિકપણે અછાંદસ પ્રકારની કાવ્યરચના છે, જે છંદ, પ્રાસ કે નિયત પંક્તિસંખ્યાના નિયમો ઉવેખીને આગળ વધે છે. કવયિત્રીએ મોટાભાગે એક અને બેથી લઈને એકાદ જ જગ્યાએ ત્રણ અને ચાર પંક્તિઓના વિભાગોમાં કવિતાને વિખેરી નાંખી છે. આમ કરીને કવિતાને એક restless shape (બેચેન આકાર) આપવામાં તેઓ સફળ થયાં છે. ઘણીવાર મોટા પુસ્તકની સાથે પુરવણી જેવી માર્ગદર્શિકા કે સહાયક પુસ્તિકા બહાર પાડવામાં આવતી હોય છે. શીર્ષકમાં જે કથાના આત્માને એમણે આજના જમાનાનો દેહ આપવાનું કામ કરવા ધાર્યું છે, એ પ્રચલિત લોકકથાના નામની સાથે સ્લેશ (/) મૂકીને ચાવેઝે ‘સહાયિકા’ ઊમેર્યું છે, જે પરથી સમજી શકાય છે કે કવયિત્રી સદીઓથી ચાલી આવતી લોકકથાના સંદર્ભે કોઈક બીજી વાત કરનાર છે. પરિણામે જે ભાવક આ લોકકથાથી પરિચિત છે, એની કવિતા વાંચવાની જિજ્ઞાસા બેવડાય છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે એ સત્ય અહીં પ્રકાશિત થાય છે.

કાવ્યારંભે ચાવેઝ એક અભિલેખ મૂકે છે જે ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ’નામના ડૉ. ક્લેરિસા પિન્કોલા એસ્ટિસના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. સમાજ જેને જંગલી પ્રકારની સ્ત્રી ગણે છે એમની વાર્તાઓ અને દંતકથાઓ આ પુસ્તકમાં સમાવાઈ છે. આ પુસ્તકમાં ક્લેરિસા દુનિયાભરની પ્રચલિત પરીકથાઓ અને દંતકથાઓનું વિશ્લેષણ કરી સ્ત્રીપ્રધાન અને સ્ત્રીસ્વાતંત્ર્યના આયામો ચકાસે છે. વરુના સ્વભાવગત લક્ષણો જેવાં કે, ઉગ્ર વફાદારી, સહજતા, સંવેદનશીલતા, અને જંગલિયત અને આ કથાઓની નાયિકાઓના લક્ષણો વચ્ચેનું સામ્ય એમનો મુખ્ય પ્રયાસ છે. સમસામયિક સ્ત્રીના ચશ્માંમાંથી તેઓએ જંગિઅન મનોવિજ્ઞાનને જોવાનું કામ કર્યું છે. સ્ત્રીઓએ નિર્ણાયક નહીં બની શકે એ પુરુષપ્રધાન સમાજમાં પ્રચલિત ધારાની સામે તેઓ બુલંદ અવાજ ઊઠાવે છે. આવા સાવ અલગ ભાત ધરાવતા પુસ્તકમાંથી ચાવેઝ જે અવતરણ ટાંકે છે એ છે: ‘અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.’

અહીં વાતની અને કવિતાની, બંનેની શરૂઆત ‘અને’થી થાય છે. મતલબ ચાવેઝ કોઈ નવી વાત નહીં, અગાઉ ક્યારેક પ્રારંભાયેલી કોઈક વાતનું અનુસંધાન જ કરવા માંગે છે એમ સમજાય છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસ્વાતંત્ર્યતાનું આ કામ તો વર્ષોથી, પેઢીઓથી, અને કદાચ સદીઓથી ચાલતું જ આવી રહ્યું છે. અધૂરી વાત સાથે છેડા જોડ્યા બાદ ‘અન્ય સ્ત્રીઓ’નો ઉલ્લેખ આવે છે, જે નિર્દેશે છે કે આ વાત કેટલીક સ્ત્રીઓની છે, બધાની નહીં. મોટાભાગની સ્ત્રીઓ તો સમાજે ચાતરેલા ચીલા પર ચાલી લેવામાં જ જીવનનું સાફલ્ય સમજી બેઠી હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ છે જે પોતાનો રસ્તો પોતે નક્કી કરવામાં માનતી આવી છે, માને છે અને માનતી રહેશે. સમાજે ગળામાં બાંધેલ કોલર કે ગળપટ્ટામાંથી એકાદ-બે ક્ષણો પણ જે સ્ત્રીઓ છટકી જઈ શકી હતી અને જેમના માથે પુરુષપ્રધાન સમાજે ‘ખરાબ’નું લેબલ ચોડી દીધું હતી એવી સ્ત્રીઓની વાત આ કવિતામાં આવનાર છે એમ ક્લેરિસાના પુસ્તકમાંથી અભિલેખ તરીકે ટાંકવામાં આવેલ આ અવતરણ આપણને કહે છે. સરળ અને સહજ દૃષ્ટિએ જોઈએ તો શીર્ષક તથા કાવ્યારંભે આવતાં ‘અને’ને જોડી દઈએ તો ‘લિટલ રેડ રાઇડિંગ હૂડ અને એ અન્ય સ્ત્રીઓ જે…’ એમ વાક્ય સંપૂર્ણ થાય છે. અને એ રીતે ચાવેઝ શીર્ષકનાયિકાની સાથે સમાજની એ તમામ સ્ત્રીઓને સાંકળી લે છે, જે પોતાની પાંખે ઊડવા માંગે છે.

નાયિકા કહે છે, રહસ્યે એની મજ્જામાં ઘર કરેલું છે. ખરી વાત છે. સ્ત્રીથી મોટું બીજું કયું રહસ્ય આ સંસારમાં સર્જાયું હશે? સ્ત્રીનો પાર પામતાં તો દેવોનેય પરસેવો પડી જાય. નાયિકા સ્ટ્રિપટીઝ ડાન્સર છે. પશ્ચાત્ય દેશોમાં ઘણી ક્લબ કે બાર-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના મનોરંજન ખાતર એક કે એકાધિક સ્ત્રીઓ નૃત્ય કરતાં કરતાં પોતાનાં કપડાં લયાત્મક રીતે એક પછી એક ઉતારતી જાય અને અંતે બિલકુલ નિર્વસ્ત્ર થઈને કામુક નૃત્ય રજૂ કરે છે. નગ્ન નૃત્ય કરતી આ સ્ત્રીઓ ગ્રાહકોના ઈશારે એમના ખોળામાં ચડી જઈને પણ અંગભંગીઓ રજૂ કરે છે. નૃત્યાંગનાઓ ગ્રાહકના શરીરને સ્પર્શી-ચૂમી શકે છે પણ ગ્રાહકોને એમના શરીરને –ખાસ કરીને ઊઘાડાં જાતીય અંગોને- હાથ લગાડવાનો અધિકાર હોતો નથી. સ્ત્રીદેહનો આ નગ્ન નજારો જોનારાંઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કેટલીક ક્લબોમાં સ્ત્રીગ્રાહકોને આકર્ષવા માટે પુરુષો પણ આ પ્રકારનું નૃત્ય કરતા હોય છે. નાયિકા જાહેરમાં વસ્ત્રો ઉતારતાં જતાં પગના અંગૂઠા પર બેલે ડાન્સરની જેમ ગોળ-ગોળ ફરતી હોય છે ત્યારે જોનાર પુરુષોને એનામાં પોતાનો ‘શિકાર’ નજર આવે છે. કેટલીક ક્લબોમાં ગ્રાહક પોતાને ગમી ગયેલી નૃત્યાંગનાને ભોગવવા માટે માલિક સાથે સોદો પાડે છે. નાયિકા સ્ત્રી હોવાની મજબૂરીની પરાકાષ્ઠા રજૂ કરતાં કહે છે કે એ આ નૃત્ય પત્યા બાદ ‘ભોગવાવું’ કોને કહેવાય તે આપણને બતાવી શકશે. પાશાગીરી અને પોપત્વ ઊભા થઈ ચારેતરફ સતત છંટકાવ કરે છે. સરકારી ખાતામાં કે સેનાદળમાં ઉચ્ચાધિકારીની પદવી ભોગવનાર પાશા કહેવાય છે. જે સ્થાન પાશાનું સામાન્ય સમાજમાં એ જ સ્થાન પોપનું ખ્રિસ્તી ધર્મમાં. ધર્મસ્થાન અને સમાજમાં ઊંચુ સ્થાન ભોગવનાર અધિકારીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવામાં કશું બાકી રાખતા નથી. અને નાયિકા કહે છે, કે લખી લો તમે, કંઈ પણ થાય, સ્ત્રીઓનો સ્વાદ માણતા એ લોકોને અંતે તો તમે આછા ધુમ્મસમાં ઢંકાઈ ગયેલા જ પામશો. એમની શોષણગાથાઓ ધુમ્મસમાં ઢંકાયેલી-છૂપાયેલી જ રહેવાની છે. એ લોકો કદી બેનકાબ થશે જ નહીં. અંગ્રેજી કવિતામાં come to gush શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં comeનો એક અર્થ પરાકાષ્ઠાએ વીર્યસ્ખલન થવું પણ થાય છે. ગુજરાતીમાં come યાને ‘આવવું’નો આવો બીજો અર્થ સંભવ ન હોવાથી ઉત્તેજનાના સંદર્ભમાં ‘ઊભા થવું’ પ્રયોજાયું છે.

કવિતા અહીંથી વળાંક લે છે. જે લોકકથાને ધ્યાનમાં રાખીને એ લખાઈ છે, એ કથા અહીંથી કવિના કથનમાં ભળે છે. એ કહે છે, એ જાતીય શોષણકર્તાઓ એ વાતથી અજાણ છે કે નકાબની પાછળ જે પથારીમાં તેઓ વરુ બનીને સ્ત્રીને ભોગવી રહ્યા છે એ સ્ત્રી પોતે જ વરુ છે. વરુની જેમ આ સ્ત્રી વફાદાર તો ખરી પણ ખતરનાક પણ ખરી. શિકાર થઈ રહી છે, પણ શિકાર કરવા માટે સક્ષમ પણ છે. પોતાની રચનાઓમાં પ્રાણીઓના સ્થાન વિશે કવયિત્રી કહે છે: ‘પ્રાણીઓ હંમેશા મારા કામમાં ખાસ્સા નોંધપાત્ર જ રહેવાના. મારી પાસે એક ભીતર એક જાનવર છે, જે રીતે કેટલાક લોકોની ભીતર એક બાળક હોય છે. મોટા ભાગની આ દુનિયા જંગલી છે, બેકાબૂ છે, અદભુત છે.’

નાયિકા પોતાને તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલોમાં પાંદડાની મધ્યશિરા, બૂટ અને ધાર પર શોધવા માટે આહ્વાન આપે છે. અમેરિકાના લુઇઝિઆના રાજ્યમાં મુખ્યત્વે કળણ વિસ્તારોમાં તુપેલો, સાયપ્રસ અને બ્લેકગમના જંગલો ફેલાયેલાં છે. આ વૃક્ષોના થડ નીચેથી ખૂબ પહોળાં હોય છે જેથી કાદવમાં સંતુલન જળવાયેલું રહે અને ૧૦૦ ફૂટથીય ઊંચા વધે છે. આ વૃક્ષોને ચીરીને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચવામાં તકલીફ પડતી હોવાથી આ વૃક્ષોની છાયામાં મર્યાદિત જાતિના ફૂલો ઊગે છે. જીવનપ્રકાશ પહોંચવો દુષ્કર હોય એવા ગાઢ જંગલોમાં પુરુષોએ સ્ત્રીઓને મૂકી દીધી છે, જેથી એમનો બહુઆયામી અમર્યાદિત વિકાસ સંભવે જ નહીં. પણ સ્ત્રીને પાંદડાની જેમ મસળી-ચીરી નાંખનાર પુરુષોને સ્ત્રી ચેતવણી આપે છે. એ કહે છે, પાંદડાનો કોઈપણ ભાગ હું હોઈ શકું છું અને પાંદડાં સુદ્ધાંને પણ દાંત હોઈ શકે છે, જે તમને વરુની જેમ ફાડી ખાઈ જઈ શકે છે. સાવધાન! લોકકથાના એક સંસ્કરણમાં વરુ છોકરીને દાદીનું લોહી-માંસ ખવડાવી અજાણતાં માનવભક્ષ કરાવે છે, એની યાદ કરાવતાં નાયિકા સમાજના ઠેકેદારોને ફરી ચેતવે છે.

વરુની જેમ પોતાનું ભક્ષણ કરવા તત્પર પુરુષોના ગાઢ-અંધારા જંગલોની વચ્ચે લિટલ રેડની જેમ નાયિકા પોતાને ચીંધવામાં આવેલો રસ્તો છોડીને દરેક પ્રકારના જંગલી ફૂલોને વીણી રહી છે. એ પોતાનો માર્ગ જાતે પ્રશસ્ત કરી રહી છે. પુરુષોએ જ સર્જેલ પુરુષવાદી માળખાંઓ સમાજમાં સ્ત્રીઓનો સતત ન્યય તોળતાં આવ્યાં છે. તેઓ સ્ત્રીઓનું ‘સારી’ અને ‘નઠારી’માં વર્ગીકરણ કરે છે. સ્ત્રીઓ માટે નીતિનિયમોનું સર્જન કરે છે અને પોતે બનાવેલ આચારસંહિતાઓ એમના માથે ‘તમારા જ ભલા માટે છે’ કહીને થોપે છે. સ્ત્રીઓના વિચારમાત્રથી પુરુષો જાતીય ઉત્તેજના અનુભવે છે અને એ ઉત્તેજનાને કઈ રીતે સંતોષવી એની તાકમાં જ રહે છે. જેમ વરુ લિટલ રેડને ફસાવે છે એ જ રીતે પુરુષો સ્ત્રીઓને યેનકેન પ્રકારે ફસાવવાની અને પોતાની જાતીય વૃત્તિઓ સંતોષવાની, પંપાળવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહે છે. ચાવેઝની આ કવિતા સ્ત્રીઓના યૌનશોષણ, અન્યાય અને અસમાનતા વિરુદ્ધ ઊઠેલ અત્યંત શક્તિશાળી અવાજ છે. સ્ત્રીઓના દમનના કારણો અને પદ્ધતિઓ ઉપર આ કવિતા પ્રબળ કુઠારાઘાત છે. આ કવિતા ઊંચુ નિશાન તાકે છે અને ઊંડો ઘા કરે છે….