Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા: સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જે મીઠાશથી વાગે છે સૂરમાં.

જેટલી સુંદર છે તું, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી વહાલી,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો.

સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સહુ ખડકો પીગળી જાય સૂર્યથી;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી જાય સરકી…

અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું, થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે હજારો માઇલ કેમ ન હોય.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત.

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ આપણે જાણીએ જ છીએ કે નામમાં શું છે! અને એમાં પણ પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. કવિ કહે છે કે એનો પ્રેમ લાલ ગુલાબ જેવો છે. લાલ શબ્દની પુનરુક્તિ પ્રેમની ભાવનાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. માત્ર લાલ નહીં પણ લાલથીય વધુ લાલ હોય એવા ગુલાબ જેવો કવિનો પ્રેમ એ પ્રેમથીય વધુ બળવત્તર છે અને એ પણ જુન મહિનામાં ખીલેલા સાવ નવાનવા ગુલાબ જેવો તરોતાજા.

આપણે ત્યાં જુનમાં ચોમાસુ શરૂ થાય, સ્કૉટલેન્ડમાં જુનમાં ઉનાળો શરૂ થાય. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) સ્કૉટલેન્ડનો જુન એટલે લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોની મોસમ. મોસમ ખુશનુમા હોય એટલે માનવીનો મિજાજ પણ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં ખીલેલા નવા નવા લાલ લાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી જ એની પ્રેયસીને કહી શકે કે સૂરમાં વાગતી હોય એવી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો મારો પ્રેમ છે.

રૉબર્ટ બર્ન્સનું આ ગીત અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા છે. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયું અને ગવાયું છે. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે.

ખૂબ નાની વયે દુનિયા છોડી જનાર પણ અલ્પાયુમાં પણ મોટું કામ કરીને અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની યાદી બહુ લાંબી છે. માત્ર સાડત્રીસ વર્ષ (૧૭૫૯-૧૭૯૬)નું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ આ યાદીમાં માનભેર શામેલ થઈ શકે એવો કવિ છે. સ્કૉટલેન્ડના એક ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાંનો એક બર્ન્સ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’નું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં મજૂરી, ખેતી, એક્સાઇઝની નોકરી –આ બધામાં ઝોલાં ખાતા ખાતા જીવ્યો. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યો પણ સફળતા પચાવી ન શક્યો. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ એ પણ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યો નહોતો. એ જમાનામાં અસાધ્ય હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારીએ એનો અકારણ ભોગ લીધો.

ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખેલ ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયા. પ્રાદેશિક હવા, સ્થળો અને રિવાજોને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે એ સ્કોટલેન્ડનો રાષ્ટ્રીય કવિ ગણાયો.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા ફકરામાં સમજી શકાય છે. કોઈ છોકરી બહુ ‘હોટ’ દેખાતી હોય તો શું આપણે એમ કહેવાની ધૃષ્ટતા કરીએ કે તું જેટલી હોટ દેખાય છે એટલો હું તને પ્રેમ કરું છું? પ્રેમની બેફિકરાઈ અને પરાકાષ્ઠાથી પરિચિત કાવ્યનાયક પ્રેયસીને બિન્દાસ કહે છે કે તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”)

ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. આ જુદાઈ ભલે હજારો માઈલોની કેમ ન હોય એ બહુ લાંબી નથી. (Journeys end in lovers meeting૧૦)નાયક પાછો ફરશે જ. રાહ જોવાનું છોડીશ નહીં. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે.

પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧)

(લેખમાં ટાંકેલા તમામ અંગ્રેજી અવતરણ શેક્સપિઅરના છે:
1. રોમિઓ એન્ડ જુલિએટ
2. સૉનેટ નં. ૧૮
3. ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના
4. રોમિઓ એન્ડ જુલિએટ
5. અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ
6. ધ મર્ચન્ટ ઑફ વેનિસ
7. લવ્સ લેબર્સ લોસ્ટ
8. સૉનેટ નં. ૧૮
9. મચ અડુ અબાઉટ નથિંગ
10. ટ્વેલ્ફ્થ નાઇટ
11. વિનસ એન્ડ એડોનિસ)

ગ્લૉબલ કવિતા: મમ્મી. રસ્તો કર. જવા દે. – ઉષા એસ.

To Mother

Mother, don’t , please don’t,
don’t cut off the sunlight
with your saree spread across the sky
Blanching life’s green leaves.

Don’t say: You’re seventeen already,
don’t flash your saree in the street,
don’t make eyes at passers-by,
don’t be a tomboy riding the winds.

Don’t play that tune again
that your mother,
her mother and her mother
had played on the snake-charmer’s flute
into the ears of nitwits like me.
I’m just spreading my hood.
I’ll sink my fangs into someone
And lose my venom.
Let go, make way.

Circumambulating the holy plant
In the yard, making rangoli designs
To see heaven, turning up dead
Without light and air,
For God’s sake, I can’t do it.

Breaking out of the dam
You’ve built, swelling
In a thunderstorm,
Roaring through the land,
Let me live, very different
From you, Mother.
Let go, make way.

– Usha S (Kannad)
(Eng Translation by A K Ramanujan)

મમ્મીને

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.

નહીં કહે: તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.

સોળ કે સત્તર– ઉંમરના સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી-જીવવી-જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય-સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં પાંચ-પાંચ દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ-પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજની મમ્મીઓ પોતાની છોકરીની ચારેફરતી લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે. (જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે)

ખેર, પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ આવી જ કોઈ ટીનએજર આપણા સમાજની સ્થાપિત કુ-પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. એસ. ઉષાની આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા-દીકરીઓની સાથે બાપને અને આખા સમાજને સમાન સ્પર્શે છે. કન્નડ સાહિત્યકાર એસ. ઉષા કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે.

પ્રસ્તુત રચના એમની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. બિલકુલ સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. આખેઆખું સંવેદનાતંત્રને હચમચી જાય એવી રચના…

નકારની નક્કરતા ધ્યાન ખેંચે છે. પહેલી નવ પંક્તિમાં એક-બેવાર નહીં, આઠ-આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ રજૂ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે ગળુ એવીરીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, કાવ્યનાયિકા પોતાની મમ્મીને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં જ સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે. સંતાનોના રક્ષણ માટે મા-બાપ છાપરું બનીને ઊભા રહે છે પણ માએ ફેલાવેલો આ પાલવ હકીકતમાં જીવનવૃક્ષના લીલા પાનને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દે છે.

સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, હવે તારાથી આમ ન થાય. અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એ આ રક્ષણને સાફ નકારે છે. મમ્મીઓએ ખેંચી કાઢેલી લક્ષ્મણરેખા સામે એ સાફ બળવો પોકારે છે. મમ્મી ભલે કહે, સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે, હવે શેરીઓમાં આમ છોકરાઓની જેમ રખડ નહીં, ઠરીને ચાલતાં શીખ. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:

अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे-रवां मिले न मिले । (આનન્દનારાયણ ‘મુલ્લા’)
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગર્દન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’, ‘બેટી તેની ગર્દન હેઠી’- આપણી કહેવતોમાંથી જ આપણી દીકરીઓ તરફની વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. આપણે ભૂલી ગયા છીએ કે પુત્ર તો પુત્ નામના નર્કમાંથી મર્યા બાદ ઉગારશે, દીકરી તો પૃથ્વી પર ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા-દેખાડવાના દાંત અલગ છે.

પણ હવે બહુ થયું. હવે પરંપરાના નામ પર મને બારી-બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો પણ મારાથી નહીં બને. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી-સડીને મરવું મારી ફિતરત નથી. તમે બાંધી રાખેલા બંધ ને બંધનો તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

ગ્લૉબલ કવિતા: એક મજાનું ગીત – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

સ્ટિફન ક્રેન. આયુષ્ય ગણવા બેસો તો બે હાથની આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યો હોય એમ લાગે. લખ-વા ન થયો હોય એમ ક્રેને માત્ર ચાર વર્ષની ઉંમરે લખવાની શરૂઆત કરી હતી. સોળ વર્ષની ઉંમરે તો એમના લેખો છપાવા માંડ્યા હતા. માત્ર ૨૮ વર્ષનું અલ્પાયુષ્ય (૦૧-૧૧-૧૮૭૧ થી ૦૫-૦૬-૧૯૦૦). છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે.

ચૌદ બાળકોના પરિવારમાં એ સહુથી નાના. બહેને ઉછેર્યા અને ભણાવ્યા. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી યાને કે એ જમાનાની રુઢિથી ઉફરી ચલનારી હતી. ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે. કહેવાતી વેશ્યાના કેસમાં સાક્ષી બનવા બદલ વર્ષો સુધી ક્રેન ગામચર્ચાનું પાત્ર બન્યા હતા. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં રસ્તામાં પ્રથમ મહિલા યુદ્ધ ખબરપત્રી કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે જીવનસંગિની તરીકે પછી સાથે રહી. જહાજ પાણીમાં ડૂબી જતાં ત્રીસ કલાક નાના હોડકાના સહારે પણ રહ્યા ને બચી ગયા. પણ દીર્ઘાયુષ્ય નસીબમાં હતું નહીં તે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં એમણે શ્વાસ છોડ્યો.

અહીં સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને, કવિતાની વિભાવનાને સરસ રીતે સમજાવે છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને “सुबह होती है, शाम होती है; उम्र यूं ही तमाम होती है”ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે. કળા જીવી જવા માટેનું ચૈતસિક બળ પૂરું પાડે છે. આપણે ત્યાં કહેવાયું છે, “साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।” (કળાવિહીન મનુષ્ય સાક્ષાત્ પૂંછડા અને શિંગડા વિનાના પશુ સમો છે.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, ઘર નહોતાં ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય (સંપૂર્ણ એકાગ્રતા), બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, “अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।” અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be.

કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે. કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ કે લપોડશંખનો કોઈ તોટો નથી એટલે એ પોતાની મિલકત વિશે ખાતરી પણ કરાવવા માંગે છે. પોતાની પાસે એક મજાનું ગીત છે એ વાત એકદમ સાચી છે એમ કહ્યા પછી પણ કવિને વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે મારો વિશ્વાસ કરો. કેમકે,

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિતા પંખી જેવી છે, આઝાદ. વર્ડ્ઝવર્થ કહે છે, Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે) પણ આ લાગણીઓ કાગળ પર ઉતારવા જઈએ ત્યારે? શું એ લાગણીઓનું સ્વરૂપ પણ બદલાઈ નથી જતું? અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો છે ખરો? અહીં કવિએ પણ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… અને ઊડી ગયેલા વિચાર પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની. પંખીઓની સાચી જગ્યા જેમ મુક્ત આકાશ એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળની છાબલીમાં અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ કરીએ એ ઘડી એના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

ગ્લૉબલ કવિતા: અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આવકારો મીઠો આપજે રે…
“આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે” બાર વર્ષના છોકરાને એના બાપની પાછળ ચાલતો આવતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે બાળકમાં રહેલી શક્તિ અને સંભાવનાઓનો ક્યાસ કાઢીને આમ કહ્યું. આઠસો વર્ષ પહેલાંની આ વાત. આ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું. આજના અફઘાનિસ્તાનના બલ્ખી (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદને ત્યાં જલાલુદ્દીન મુહમ્મદ રુમી/બલ્ખીનો જન્મ થયો. (૩૦-૦૯-૧૨૦૭ થી ૧૭-૧૨-૧૨૭૩) બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. પિતાના મૃત્યુ બાદ રુમીએ દરવેશ સમાજમાં શેખનું સ્થાન લીધું પણ તબ્રીઝના શમ્સે એનું જીવન બદલી નાંખ્યું.

શમ્સે પોતાના મટે કોઈ સાથી-સંગાથી શોધતા ફરતા હતા. રુમીએ પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. અને રુમીએ પોતાની જાત ધરી દીધી. એવી વાયકા છે કે શમ્સે પૂછેલા “કોણ વધુ મહાન, મુહમ્મદ કે બિસ્તમી?” (અબુ યઝિદ અલ-બિસ્તમી ઈશાન પર્શિયામાં જન્મેલા મહાન સૂફી સંત હતા) પ્રશ્નમાં રહેલું ઊંડાણ પારખતાવેંત રુમી બેહોશ થઈ ઢળી પડ્યા હતા. એ પછીએ રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ પણ હંમેશા રહસ્યમય બની રહ્યો. રુમી સાથેના સંબંધથી સર્જતી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંને વચ્ચેનો સંબંધ ચર્ચાની ચકડોળે ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક કુરબાન ભેટ ધર્યું. રુમીની કવિતામાં શમ્સ માટેની તરસ સતત વ્યક્ત થતી જોવા મળે છે. રુમી કહે છે, “હું શા માટે શોધું છું? હું એ જ છું. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.” શમ્સના ગયા પછી એનું સ્થાન પહેલાં સલાદ્દીન ઝારકુબે અને પછી હસમ ચેલેબીએ લીધું.

રુમીની કવિતાઓ આત્માની શોધને દેહની તરસરૂપે વ્યક્ત કરે છે. રુમીની અલગ-અલગ કવિતાઓમાં પણ એક સળંગસૂત્રીતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એની રૂબાઇ, ગઝલ, મથ્નવી-બધામાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. દરેક કવિતામાં દરિયાનો આછો આછો સાદ સંભળાતો રહે છે. વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ ગણાતા રુમી આજે વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાતા કવિ છે.આમસ્તમૌલા સૂફી સંતકવિની રચનાઓની બરાબરી કરે એવા કવિ આજે પણ જડવા મુશ્કેલ છે.

રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે. હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે કે કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે. રુમી આ ઊર્જાને જ ઉપર તરફ ગતિશીલ કરવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે.

આ કવિતા માટે એક લીટીમાં કહેવું હોય તો લેટિનભાષામાં આમ કહી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

રૂમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પોઝિટિવિટિથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાયત પણ કરે છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રૂમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ હજારો વરસે એક જ થાય છે. રૂમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે પણ ટકોર કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ પણ કરી નાંખે. આખેઆખું અસ્તિત્વ શૂન્ય બની જાય એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવું પણ થાય. રૂમી તો આવા હિંસક દુઃખોનું પણ સન્માનપૂર્વક સરભરા કરવા કહે છે. સંપૂર્ણ ખાલી થવું એ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય યાદ આવે:

ઘણુંકઘણુંભાંગવું, ઘણઉઠાવ, મારીભુજા !
ઘણુંકઘણુંતોડવું, તુંફટકારઘા, ઓભુજા !

તોડીફોડીપુરાણું,
તાવીતાવીતૂટેલું.
ટીપીટીપી બધું તે અવલનવલત્યાંઅર્પવાઘાટએને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટદેને.

મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારો કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે.

કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
“કેમ તમે આવ્યા છો ?”એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.

ગ્લૉબલ કવિતા: મારો તમામ સંકોચ – વિદ્યાપતિ ઠાકુર (અનુ. વિવેક મનહર ટેલર)

All My Inhibition Left Me In A Flash

All my inhibition left me in a flash,
When he robbed me of my clothes,
But his body became my new dress.
Like a bee hovering on a lotus leaf
He was there in my night, on me!

True, the god of love never hesitates!
He is free and determined like a bird
Winging toward the clouds it loves.
Yet I remember the mad tricks he played,
My heart restlessly burning with desire
Was yet filled with fear!

– Vidyapati Thakur

મારો તમામ સંકોચ

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર
એમ જ એ મારી રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો, મારી ઉપર!

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ ઠાકુર
(અનુ. વિવેક મનહર ટેલર)

બેબાક સંભોગશૃંગારનું આ અલ્લડ પ્રણયકાવ્ય આજથી સાતસો-આઠસો વર્ષ પહેલાં કોઈ લખી ગયું હતું એમ કોઈ કહે તો કેવો આંચકો અનુભવાય? ઘડીભરની રાહ જોયા વિના પ્રિયાના શરીરને તમામ વસ્ત્રોની કેદમાંથી આઝાદ કરી દઈ પોતે જ એનું વસ્ત્ર બની જાય, બંને પ્રેમીઓની ત્વચા એક બની જાય, અને આ સમ્-ભોગ રાત આખી ચાલતો જ રહે, ચાલતો જ રહે… કેવું પ્રબળ અને મુખર પ્રેમગીત! સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય.

આવી કલમ ચૌદમી-પંદરમી સદીમાં બિહારના મધુબની જિલ્લાના બિષ્પી (બિસપૂ) ગામમાં થઈ ગયેલા વિદ્યાધર ઠાકુરની હતી. નેવુ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવનાર વિદ્યાપતિ મૈથિલિના કોકિલ તરીકે જાણીતા છે. એમની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. કબીર-મીરાના સમયકાળ પહેલાં લખાયેલ રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની સેંકડો કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે. આ ઉપરાંત એમની શિવસ્તુતિઓ પણ શ્રેષ્ઠ ભક્તિપદોમાં મોખરે બિરાજે છે. રાજા શિવસિંહના દરબારમાં કવિ તરીકે એ સ્થાન શોભાવતા હતા. કહે છે, એકવાર અલાઉદ્દીન ખિલજીએ રાજા શિવસિંહને કેદ કરી લીધા હતા. વિદ્યાપતિ એમને છોડાવવા ગયા ત્યારે ખિલજીએ પોતાના રાજકવિ સાથે એમની વાક્સ્પર્ધા યોજી જેમાં વિદ્યાપતિ જીતી જતાં રાજા મુક્ત થયા હતા. એવી પણ દંતકથા છે કે ભગવાન શિવ સાક્ષાત્ એમના ઘરે ઉજ્ઞ નામના નોકર તરીકે રહેતા હતા. પત્ની દ્વારા એકવાર ઉજ્ઞની પિટાઈ થતી જોઈ વિદ્યાપતિએ નોકરની હકીકત પત્નીને કહી અને શિવ અજ્ઞાતવાસની શરતભંગ થવાથી ગાયબ થઈ ગયા. વિદ્યાપતિની કવિતાઓનું પ્રભુત્વ પછીની સદીઓમાં પૂર્વ ભારતીય અને નેપાળી ભાષાઓ પર ભારોભાર જોવા મળે છે.

પ્રચુર શૃંગારરસની આવી રચનાઓનું આચમન કરીએ ત્યારે સહેજે સમજી શકાય છે કે પ્રેમ અને સેક્સ આપણી સંસ્કૃતિનો મજબૂત અને તંદુરસ્ત હિસ્સો હતા. આજે તો સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. વાલ્મિકીરામાયણમાં જે સમાજનું આલેખન છે એ બેફામ ભોગવિલાસ, પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં કશો શરમસંકોચ અનુભવતો નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(विसर्ज्य ऐनान् सचिवान् यथापूर्वं अरिंदम, ततः क्रिडामहे सर्वा वनेषु मदनोत्कटा। (કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

આપણા સાહિત્યમાંથી જ પ્રણયશૃંગારના બે’ક દાખલા લઈએ:

अद्यापि तां प्रणयिनीं मृगशावकाक्षीं पीयूषवर्णकुचकुम्भयुगं वहन्तीम् ।
पस्याम्यहं यदि पुनर्दिवसावसाने स्वर्गापिवर्गवरराज्यसुखं त्यजामि॥ (બિલ્હણ – ચૌરપંચાશિકા)

(આજે પણ જો દિવસ સમાપ્ત થયા બાદ મૃગબાળ સમાન નેત્રોવાળી અને દૂધ જેવા ધવલ વર્ણના સ્તનકુંભયુગ્મને ધારણ કરતી પ્રિયતમાને દેખી શકું તો હું સ્વર્ગ, મોક્ષ અને શ્રેષ્ઠ રાજ્યના સુખને ત્યાગી શકું છું.) (બિલ્હણ – ચૌરપંચાશિકા)

सुप्तोडयं सखि! सुप्यतामिति गताः सग्व्यस्ततोडनंतरं
प्रेमावेशितमा मया सरलया न्यस्तं मुखं तन्मुखे।
ज्ञातेड्लीकनिमीलने नयनयोर्धूर्तस्य रोमांचतो
लज्जासीन्मम तेन साप्यपहृता तत्कालयोग्यैः क्रमः॥ ॥३७॥

(હે સખી! આ (પ્રિય) સૂઈ ગયો છે તેથી હું પણ સૂઈ જઈશ એવું કહેતાં સખીઓ ગઈ. પ્રેમાવેશમાં ત્યારબાદ મેં તેના મુખમાં મારું મુખ મૂક્યું (ચુંબન કર્યું). ત્યારે તે ધૂર્તના રોમાંચ ચિહ્નો (શિશ્નોત્થાન) જોતાં મેં જાણ્યું કે તે આંખો મીંચી સૂવાનો ઢોંગ કરે છે. હું લજ્જાશીલ થઈ પણ તેણે મને હરી લઈ તત્કાળ યોગ્ય ક્રમથી (સંભોગ) કર્યો.) (અમરુક-અમરુશતક)

કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… ખજૂરાહોના અમર શિલ્પો અને કામસૂત્રને કેમ ભૂલી જવાય? પણ કમનસીબે આજે આપણી કવિતાઓમાં જાતિયતા કે જાતીય અંગોની ખુલ્લી વાત આવે તો નાકનાં ટેરવાં ચઢી જાય છે.

વિદ્યાપતિની રચના દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. આ રચના ઇશ્કે-મિજાજીની નથી, ઇશ્કે-ઇલાહી, ઇશ્કે-હકીકીની છે. અહીં કેન્દ્રમાં માત્ર ઈશ્વરપ્રેમ- બ્રહ્નવાદનું સૌંદર્ય જોવા મળે છે. હવસની બૂ નથી. અને એટલે જ કવિતા ઉત્કૃષ્ટતાના પગથિયા સડસડાટ ચડી જાય છે.

करो प्रेम मधुपान शीघ्र ही यथासमय कर यत्न विधान।
यौवन के सुरसाल योग में कालरोग है अति बलवान। (અજ્ઞાત)

(પ્રેમરસપાન તરત જ કરી લો, સમયસર યત્ન-ઉપાય કરી લો (કેમકે) યૌવનના રસાળ યોગમાં કાળરોગ ખૂબ જ બળવાન છે) કાવ્યનાયક આ ઉક્તિથી પરિચિત હોય એમ ક્ષણાર્ધમાં નાયિકાને વસ્ત્રહીન કરે છે અને વસ્ત્રોની સાથે જ પળભરમાં જ રહ્યો સહ્યો સંકોચ પણ દૂર થઈ જાય છે. બે શરીર કામકેલિમાં એકાકાર થઈ જવાની ચરમસીમા એ જ પ્રેમ. શૃંગારશતકમાં ભર્તૃહરિ કહે છે, आलिङग्तायां पुनरायताक्ष्यामाशास्महे विग्रहयोर्भेदम्। (આલિંગન કરી લેવાથી આપણે માનીએ છીએ કે આપણું અને તેણીનું શરીર મળીને એક થઈ જાય)

પ્રેમને કદી પરમિશન માંગવી નથી પડતી કેમકે दोनों तरफ लगी है आग बराबर की. પ્રેમ આઝાદ પણ કૃતનિશ્ચયી લાગણીનું બીજું નામ છે. એટલે જ તો સદીઓથી જમાનાની કાળમીંઢ ચટ્ટાનો સાથે ટકરાઈને અવારનવાર ચૂરેચૂરા થવા છતાં પ્રેમ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી સજીવન થતો જ રહ્યો છે, રહેશે. શારીરિક સુખની આકાંક્ષાઓથી તન ગમે એટલું બળતું હોય પણ પૂર્વાપેક્ષિત સમાગમ ડરની લહેરખી થઈ રૂંવાડા તો ઊભા કરી જ દે છે… પ્રણયનો દેવતા તરીકેનો સ્વીકાર દૈહિકમાંથી ઐહિક તરફ લઈ જતું પ્રથમ પગલું છે…

ગ્લૉબલ કવિતા: પૈસો – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.
It is the money that counts
and money makes money,
but what makes money make money?
– Henry Miller

પૈસો

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.
એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

ગિન ગિન કે સિક્કે હાથ મેરા ખુરદુરા હુઆ,
જાતી રહી વો લમ્સ કી નરમી, બુરા હુઆ. (જાવેદ અખ્તર)

(સિક્કા ગણી-ગણીને હાથ એવો ખરબચડો થઈ ગયો છે કે હવે સ્પર્શની નરમી ચાલી ગઈ છે.) પૈસાની ગતિ જ ન્યારી છે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, “તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.”

ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડે ૧૯૩૫માં હેનરી મિલરની ચર્ચાસ્પદ નવલકથા “ટ્રૉપિક ઑફ કેન્સર” વાંચીને પોસ્ટકાર્ડ લખ્યો ને પૂછ્યું, “તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?” ત્રણ વર્ષ પછી મિલર ૪૬ પાનાંની પુસ્તિકા “મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે” લઈને આવે છે. આ કવિતા એ પુસ્તકનો જ ભાગ છે કે અલગ સર્જન છે એની જાણકારી મળી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે.

“ધન”નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘ધનમ્’ શબ્દ એ ‘ધનાતિ’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. ધનમ્ નો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને દેશ કોઈપણ હોય, સંસ્કૃતિ કોઈપણ હોય અને સમય પણ ભલે કોઈપણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… “દૌલત” શબ્દ અરબીમાંથી ઉતરી આવ્યો છે. મૂળ ધાતુ ‘દવલ’ છે, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) “દ્રવ્ય” શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. “પૈસો” શબ્દની ઉપપત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘પેન્ડર’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘પેન્સમ’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘પેસો’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –એનું વજન સરખું જ પડે છે. બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

આદિ શંકરાચાર્ય તો ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: “यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।” (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે. સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ) मूढ़ जहीहि धनागमतृष्णां| (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ) अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्| (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીર પણ કહી ગયા, “અવધૂ માયા ત્યજી ન જાઈ.” પૈસાને લગતી કહેવતો -‘પૈસા વગરનો ઘેલો અને સાબુ વગરનો મેલો’, ‘પૈસાના કંઈ ઝાડ ઊગે છે’, ‘પૈસાનું પાણી કરવું’, ‘પૈસે કોઈ પૂરો નહિ, ને અક્કલે કોઈ અધૂરો નહિ’- માંડવા બેસીએ તો આખો લેખ લખાઈ જાય.

હેન્રી મિલરે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણે ત્યાં પણ પૈસાને પરમેશ્વર ગણાયો જ છે. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. અને પૈસો જેટલો મળે, ઓછો જ પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંકૃતિ માટે યથાર્થ છે. “नेति नेति” મનુષ્યજાત માટે સદૈવ ધન માટે જ સાર્થક રહ્યું છે.

પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.પૈસાની જ ગણના છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

ગ્લૉબલ કવિતા: માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back
—Melissa Studdard

*
માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદામાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું તમસો મા જ્યોતિર્ગમય…

ગ્લોબલ કવિતાની વાત થાય એટલે આપણી નજર શેક્સપિઅર, વર્ડ્સવર્થ, રૉબર્ટ ફ્રોસ્ટ જેવા જૂના અને જાણીતા નામ તરફ જ જાય. ભૂતકાળમાં લખાઈ ગયેલી સર્વકાલીન ઉત્તમ કવિતાઓ પણ ક્યારેક સમસામયિક હતી એ આપણે ભૂલી જઈએ છીએ. શા માટે આપણે એવી સાંપ્રત કવિતા તરફ નજર ન કરીએ જેને આવતીકાલની પેઢી સર્વકાલીન શ્રેષ્ઠની યાદીમાં મૂકીને યાદ કરવાની શક્યતા હોય?

મોટી ભૂરી બોલકી આંખો, સોનેરી ઘેઘૂર વાળ ધરાવતી, ઉંમરના અડધા મુકામે પહોંચેલી અમેરિકાની સુંદર યુવાકવયિત્રી મેલિસા સ્ટડાર્ડની એક રચના આજે માણીએ. મેલિસા કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, રિવ્યૂ વિ. લખે છે. સાહિત્યિક કળામાં સ્ત્રીઓના અવાજ અને લિંગભેદ સામે વિડિયો ઇન્ટર્વ્યૂઝ વડે આંગળી ચીંધતી VIDA સંસ્થા સાથે એ સંલગ્ન છે. એમના કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ને ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કાર પ્રાપ્ત થયા છે. પ્રોફેસર તરીકે અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે, આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ગ્રીક પુરાકથાઓમાં ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે એટલસને પૃથ્વીના છેડે જઈને આકાશ(સ્વર્ગ)ને ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એટલસે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવા માટે પેઢુના જે સ્નાયુ વાપરીએ છીએ એ કામક્રીડામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે જેને જ્યાં સુધી યોનિમાં નાખી રાખીએ ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી “માન” કવિતા તરફ વળીએ. કવયિત્રીએ એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી એ બાબત ધ્યાન ખેંચે છે. આખી વાત સડસડાટ કોઈ પણ આરોહ અવરોહ વિના અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યક્લેવરના પ્રાણરૂપ છંદનો પણ ત્યાગ કરાયો છે કેમકે કુછંદીઓથી પિડાયેલી યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા કાવ્યનાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-ભોંકાતો રહે.

વાત એક યૌનપીડિતાની-નિર્ભયાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. શોષિતાની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. દરેક રાત એક યુદ્ધ છે. નવો પ્રુરુષ. નવો બળાત્કાર. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ અહીં કવિતા વળાંક લે છે.

આ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈને ખતમ થઈ જતા નથી, પણ ફૂદામાં પરિવર્તન પામે છે એ કાવ્યનાયિકાના પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

એના જીવતર પર કાળા લિસોટાઓ પડી ગયા છે. પોતાના પર થયેલા અત્યાચારોની વાત હાથ બાંધનાર બળાત્કારીઓને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝ સાથે એ શેર કરે છે. પણ એ મરી પરવારી નથી. બળાત્કાર થવા છતાંય એ પોતાની જન્મજાત આંતર્શક્તિ ગુમાવતી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને-યૌનપીડિતાને ‘માન’ આપે છે.

ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye

મારી કબર પાસે

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું એ હજાર પવનો છું જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણાઓ પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

સૂંઠના ગાંગડે ગાંધી થવાય?

એક જ કવિતા લખીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિઓ કેટલા? ગણવા બેસીએ તો કદાચ આંગળીના વેઢા પણ વધુ પડે. ૧૯૦૫માં જન્મેલ અને છે…ક ૨૦૦૪માં ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી દુનિયાને ગુડ બાય કરનાર મેરી એલિઝાબેથ ફ્રે કદાચ આવા જ વિરલ કવયિત્રી છે જેમના વિશે માનવામાં આવે છે કે આ એક જ કવિતા એમણે લખી છે. એવું બની શકે કે બીજી કવિતાઓ સચવાઈ જ ન હોય. પણ એક દાયકા પહેલાં સુધી કવયિત્રી આપણી વચ્ચે હતા એ હકીકત ધ્યાનમાં લઈએ તો એમની અન્ય રચનાઓ કાળના વહેણમાં ખોવાઈ ગઈ હોવાનું માનવું જરા દુષ્કર થઈ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કવિતા કોઈ બીજાની જ છે. હકીકત જે હોય એ, પણ એક જ કવિતાએ કોઈ કવિને અમરત્વ બક્ષ્યું હોય એવી જવલ્લે જ જોવા મળતી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. વિશ્વભરના કબ્રસ્તાનોમાં, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં અને અસંખ્ય સ્થળૉએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે.

કહેવાય છે કે મેરીની સાથે રહેતી એક જર્મન યહૂદી મિત્ર માર્ગારેટ જર્મનીની ખરાબ રાજકીય પરિસ્થિતિના કારણે પોતાની બિમાર માતાને મળવા જઈ શકતી નહોતી. માતાના મૃત્યુ પર માર્ગારેટે મેરીને કહ્યું કે પોતાની માતાની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ આ કાવ્ય લખી નાંખ્યું. છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈ માહિતી નહોતી. એ પછી કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો અને જાણીતા લેખક એબિગેલ વાન બુરેને આ દાવો પુરવાર કર્યો. ઓહાયોમાં જન્મેલા, ત્રણ વર્ષની ઉંમરે અનાથ બનેલ મેરી એલિઝાબેથ ક્લર્ક બાલ્ટીમોર ખાતે ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ધ બુકવર્મ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. ૧૦ વર્ષ પછી ધ ટાઇમ્સએ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સમાજ અને દેશની તમામ સરહદો પાર કરી ચૂકી છે”

વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય એવા હજારો લોકોના પ્રતિભાવ ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાના ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

પ્રેમ કેવી અદભુત અનુભૂતિ છે ! એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા સ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન હવે ચાલ્યો ગયો છે. એ હવે કબરની નીચે છે. પણ પોતાના પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું એને ભાન છે, ચિંતા છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ કદી મરતો નથી. પોતે શું છે એ કહેવા માટે કવયિત્રી પવનનું બહુવચન વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? (જોયો આ “વરસાદો” શબ્દ?)

એક પછી એક પ્રતીકો વાપરી કવયિત્રી મૃતકના સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. પણ મોટાભાગના પ્રતીક જીવનની સંધ્યાનો અહેસાસ કરાવે છે. બરફ પર ચળકતી હીરાકણીઓ એ વાતનો પણ ઈશારો છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓ – એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે. નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિઓનું પુનરાવર્તન વાતને દૃઢ કરે છે કે મૃતક ખરેખર મૃત્યુ પામી જ નથી. એ કબરમાં છે જ નહીં એટલે કબર પાસે ઊભા રહી વિલાપ કરવાનો શો અર્થ?

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ,
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

ગ્લોબલ કવિતા: ગીતાંજલિ : રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

પુષ્પ:૦૧

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

(રવીન્દ્રનાથ ટાગોર)
-અનુ. વિવેક મનહર ટેલર

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન

ગીતાંજલિ બોલતાં જ આપણી નજર સમક્ષ જે કાવ્યસંગ્રહ આવે એ નોબેલ પારિતોષિક પ્રાપ્ત અંગ્રેજી અનુવાદ. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી 103 કવિતાઓનું ચયન કરી રવીન્દ્રનાથ ટાગોરે એમનો અંગ્રેજી અનુવાદ કર્યો અને વિશ્વ આખાની આંખ ભારતીય કવિતા તરફ આકર્ષિત થઈ. 1913ની સાલમાં આ પુસ્તક માટે ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાં પણ અને પછી પણ આજ પર્યંત એ સૌભાગ્ય અન્ય કોઈ કવિ કે લેખકને પ્રાપ્ત થયું નથી.

શાંતિનિકેતનમાં એક દિવસ કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. યુવાવસ્થામાં કવિ બંગાળના કોઈક ગામડામાં ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. એ પછી શાંતિનિકેતનની સ્થાપના કરી. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંપર્કમાં આવવાની અદમ્ય ઇચ્છાને વશ થઈ એમણે પસંદીદા કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કર્યો. બ્રિટનપ્રવાસ દરમિયાન આ રચનાઓ જેમણે જેમણે વાંચી એ બધાએ આ રચનાઓનો સહર્ષ સ્વીકાર કરી ટાગોરને બ્રિટિશ કવિઓની
સમકક્ષનું માન આપ્યું.

નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યરે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય.

જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય…

“એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

Global કવિતાઃ જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

15078723_10153937594646367_3759833220121636356_n

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

જેલીફિશ
દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો કે બીજું નીકળે… એક અર્થ કાઢો અને તરત બીજો અર્થ જડી આવે. બીજું પડ ઉખેડો ને અંદરથી ત્રીજું… ત્રીજા પછી ચોથું, પાંચમું… અને એક પછી એક બધા જ પડ ઉખેડી નાંખો… એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવતી હોઈ શકે. કોઈ પણ કળાની ખરી કમાલ જ આ છે. ડુંગળીના બધા જ પડ એક પછી એક ઊખેડી નાંખીએ એ પછી હાથમાં જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને અંતે જે શૂન્યનો સાક્ષાત્કાર થાય છે એ જ એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાર્થક્ય છે, ન કે એનો મતલબ. મરિઆન મૂરની આ કવિતા કવિતાની વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

જેલીફિશ તો બધાએ જોઈ જ હશે. દૂધની પારભાસક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓ સતત વધ-ઘટ થતા રહે છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે.

ચાલો તો, આપણે આ ડુંગળીનું પહેલું પડ ઉખાડીએ. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું અને તમે એને પકડવા નજીક જાવ અને પકડવાનો ઈરાદો ત્યજી દૂર જાવ, વળી નજીક જાવ ત્યારે એના આકારમાં એકધારા થતા પરિવર્તનનું સરળ ભાષામાં વર્ણન કરે છે. આ થયો પ્રાથમિક અર્થ.

બીજું પડ ખોલીએ? ચાલો, કવિતાના આકારની વાત કરીએ. જેમ આપણે ત્યાં સૉનેટ મંદાક્રાંતા, શિખરિણી જેવા સંસ્કૃત વૃત્તોમાં લખાય અને ગઝલ-ગીતના પણ પોતીકા છંદ-લય હોય એમ વિદેશી કવિતાઓ પણ બહુધા છંદમાં લખવામાં આવે છે પણ આ કવિતા જરા ઉફરી ચાલે છે. જેમ જેલીફિશ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો… તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. કવયિત્રી કાવ્યાકાર અને મુક્ત કાવ્યરચનાની મદદ લઈને કેવી સિફતથી જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને મૂર્ત કરે છે ! આ છે કવિતાની બીજી કમાલ.

ડુંગળીનું ત્રીજું પડ? શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? શું કવયિત્રીની ખરી મથામણ જેલીફિશ ચિત્રિત કરવાની જ છે કે એ કોઈ બીજું જ નિશાન તાકવા માંગે છે? હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. કવિતા હોય કે અન્ય કોઈ પણ કળા, તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે. એક શેર મને યાદ આવે છે:

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધોનો સંદર્ભ મૂકી જુઓ, અરે ! સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!