Category Archives: અનિલ ચાવડા

કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા

.

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

– અનિલ ચાવડા

કામ સોપ્યું – અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.
– અનિલ ચાવડા