Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા : ૪૪ : – હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

– ‘સિદ્ધ-હૈમ’માંથી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

રૂપાંતર: વિવેક મનહર ટેલર

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

ત્રીસ હજાર વર્ષ જૂના ચિત્રો? મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાં જઈને ટાઢ-તાપ-તડકા-પવનના તમાચાઓ ત્રીસ-ત્રીસ હજાર વર્ષોથી એકધારા સહન કર્યા બાદ પણ અડીખમ રહેલા ખુલ્લી ગુફાઓમાંના ભીંતચિત્રોને જોઈને આંખ ચાર થઈ જાય. કોઈ પણ જાતની સંસ્કૃતિનું કે સભ્યતાનું નામોનિશાન પણ નહોતું એ સમયે પણ જંગલી માનવી ગુફાઓમાં એવા રંગો વડે ચિત્રો દોરતો હતો જે હજારો વર્ષોથી એવાંને એવાં છે. વિશ્વ આખામાં ઠેકઠેકાણે આવાં ગુફાચિત્રો મળી આવે છે જે સૂચવે છે કે આજનો હોય કે ગઈકાલનો – માનવમાત્રને કળા અને આંતરિક અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી. વિશ્વભરની ભાષાઓમાં હજારો વર્ષો જૂનું સાહિત્ય જડી આવે છે એ પણ એ જ કારણે કે साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशुः पुच्छविषाणहीनः।

ભાષા જ આપણને પ્રાણીઓથી અલગ તારવી આપે છે. અને ભાષા સતત પરિવર્તનશીલ છે. ભાષા નદી સમાન છે. એ સતત વહેતી અને બદલાતી રહે છે. આજે આપણે ઑનેસ્ટનો અર્થ પ્રામાણિક કરીએ છીએ પણ ચારસો વર્ષ પહેલાં શેક્સપિઅરના સમયમાં એનો અર્થ સારો માણસ થતો હતો. ચૌસરની અંગ્રેજી, શેક્સપિઅરની અંગ્રેજી અને આજની અંગ્રેજી ભાષા સામસામે મૂકીએ તો ત્રણેય અલગ ભાષા જ હોય એવું અનુભવાય. છસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સમયથી ગુજરાતી ભાષાની નદીનો પ્રવાહ આજ તરફ વળવો શરૂ થયો પણ હજાર વર્ષ પહેલાંની ગુજરાતી વાંચીએ તો હરદ્વાર ગોસ્વામી જેવો જ પ્રશ્ન આપણને થાય:

એના કરતાં હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. આ દુહાઓ ‘હેમચંદ્ર’ના દુહા તરીકે ઓળખાય છે

કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિની વાત કરીએ તો ૧૦૮૯ની સાલમાં કાર્તક સુદ પૂનમના દિવસે ધંધુકા ખાતે જન્મ. બાળપણનું નામ ચાંગદેવ. નવ જ વર્ષની વયે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. હેમચંદ્ર બન્યા. જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રભ્યાસ કર્યો. આચાર્યપદ મેળવ્યું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં એમણે સાહિત્ય અને ભાષાવિષયક જે ઊંડુ ખેડાણ કર્યું એ न भूतो, न भविष्यति છે. પ્રવર્તમાન ગુજરાતી ભાષાને નિશ્ચિત દિશા મળી. જૈન રાજધર્મ બન્યો અને અહિંસા પરમોધર્મ. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો પર એમણે કામ કર્યું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનું અને ‘શબ્દાનુશાસન’માં ગ્રંથસ્થ કરવાનું મહાન કાર્ય એમણે કર્યું. કહે છે કે જયસિંહે સિદ્ધપુરમાં એમના ‘સિદ્ધહેમ’ની હાથી ઉપર શોભાયાત્રા કઢાવી હતી.

પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. આ ઉદાહરણો એટલે આ દુહાઓ. આમ તો આ દુહાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અહીં માત્ર દસ દુહાઓ સમાવ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.
શ્રી રમેશ જાની ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પ્રાકૃત અને આજની ગુજરાતી ભાષાની સમાનતા વિશે કહે છે, ‘કોઈ કોઈ શબ્દનો પડઘો આપણી ભાષામાં પડતો હોય એમ નથી લાગતું? ‘સામલા’ અને ‘શામળા’ વચ્ચે, ‘ચંપાવણ્ણી’માંના ‘વણ્ણી’ અને ‘વર્ણી’ કે ‘વરણી’ વચ્ચે, ‘નિદ્ડી’ અને ‘નીંદરડી’, ‘સલોણી’ અને ‘સલૂણી’ વચ્ચે, ‘ગોરડી’ અને ‘ગોરી’ વચ્ચે, ‘ભડુ’ અને ‘ભડ’ વચ્ચે, ‘હેલ્લિ’ અને ‘હે અલી’, ‘ખુડુક્કઈ’ અને ‘ખડકે’ કે ‘ખટકે’, ધુડુક્કઈ’ અને ‘ધડકે’, ‘વારિસ’ અને ‘રસ’ વચ્ચે માત્ર નામનો જ ભેદ નથી?’

એક પછી એક આ દુહા જોઈએ:

(૧) ઢોલો [ધવ(ધણી)+લો] યાને ધણી એકદમ શામળા વર્ણનો ને ધણિયાણી ચંપાના ફૂલ જેવી ગૌરવર્ણી. બંને સંભોગમાં રત હોય ત્યારે કાળા ધણીની ઉપર પત્નીની ધવલ કાયા જાણે સોનાની રેખા કસોટી પર પડી ન હોય એમ લાગે છે. કસોટી એટલે સોના-રૂપાનો કસ જોવા માટેનો પથ્થર જેના પર સોના-ચાંદીને ઘસીને પારખવામાં આવે છે. ‘નળાખ્યાન’ના પંદરમા કડવામાં પ્રેમાનંદ પણ આ ઉપમા પ્રયોજે છે:

ગલસ્થળ નારંગફળ શા, આદિત્ય ઇંદુ અકોટી;
અધર પ્રવાળી, દંત કનકરેખા, જિહ્વા જાણે કસોટી
(ગાલ નારંગીના ફળ જેવા, સૂર્ય-ચંદ્ર કાનની કડી જેવા, હોઠ લાલ, દાંત જાણે કે સુવર્ણરેખા અને જીભ જાણે કસોટી.)

(૨) મેઘલરાત એટલે અંધારી તારા વગરની રાત. આવામાં પાછો પ્રવાસ. એક તરફ હૈયામાં ગોરીની યાદ ખટકતી હોય તો બીજી તરફ આકાશમાં મેઘ ગરજતો હોય. બંને બાજુ સંકટ. બંને તરફ વરસાદ. બંને રીતે ભીનાં જ થવાનું ને વળી આગળ પણ વધવાનું.

(૩) પરસ્પર અસીમ-અપાર પ્રેમ કરનારમાંથી કોઈ એકને કો’ક કારણોસર કદાચ લાખ જોજન દૂર જવાનું થાય અને બે જણ કદાચ સો-સો વર્ષ સુધી પાછાં મળી જ ન શકે; બસ, વિયોગના તાપમાં તવાયા કરે પણ જે ઘડીએ આ બે અતૃપ્ત આત્માઓ ભેગાં થશે એ ઘડી, એ મિલનની ઘડી નિતાંત સુખની ઘડી જ બની રહેશે… સાચો પ્રેમ કદીપણ ઉપસ્થિતિ કે સમયનો મહોતાજ નથી હોતો. એ તો એમ જ કહે,

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

(૪) મિલન અને વિરહ – બંનેમાં મીઠી પીડા છે. પ્રિયતમ સાથે હોય તો ઊંઘવાનો પ્રશ્ન જ નથી આવતો. રાત આખી કામકેલિમાં ક્યાં વીતી જાય એય ખબર ન પડે. એથી વિપરિત પ્રિયજન પરોક્ષ-આંખથી અળગો હોય, દૂર ગયો હોય તો એની યાદમાં રાત આખી પડખાં ઘસી-ઘસીને જ વિતાવવી પડે છે. ઊંઘ ન તો મિલનમાં આવે છે, ન જુદાઈમાં. પ્રેમ બંને જ સ્વરૂપે ઊંઘનો દુશ્મન છે.

(૫) નખશિખ લાવણ્યમયી આ સુંદરી કંઈ અલગ જ પ્રકારનો વિષડંખ ધરાવતી નાગણ છે. નાગ તો જેને ગળે લાગે એ મરણ પામે છે પણ એથી ઊલટું, આ સુંદરી તો જે વીરપુરુષને ગળે નથી લાગતી એ બિચારો દુઃખી થઈને, તિરસ્કૃત થઈને મરી જાય છે. સૌંદર્યની કેવી ઉત્તમ પરિભાષા!
(૬) જેની આપણે કાગડોળે રાહ જોતાં હોઈએ એની આવવાની વકી હોય ત્યારે કાગડો ફળિયે આવી બેસે તો ઘરનું કોઈક કહે કે ફલાણો માણસ આવતો હોય તો ઊડી જજે. કાગડો ઊડી જાય તો એ માણસ તરત આવશે અન્યથા વિલંબ થાય એવી આપણે ત્યાં માન્યતા છે. કાગડો કા-કા કરી રહ્યો છે પણ ઊડતો નથી અને એ ઊડે તો જ પરદેશ ગયેલો પિયુ પાછો ફરે એમ માનતી પ્રોષિતભર્તૃકા કાગડાને ઊડાડવા પથરાં વીણવા વાંકી વળે છે પણ પ્રિયતમના વિરહમાં એ સૂકાઈને એવી તો કાંટા જેવી થઈ ગઈ છે કે એના કૃષ હાથમાંથી અડધાં કંકણ નીકળી જઈને જમીનમાં પડે છે. પણ રહે! અચાનક જ પિયુ પધારતો નજરે ચડે છે અને હરખઘેલી ભાન ભૂલીને દોડે એમાં બે હાથ અથડાય છે કે હર્ષનું માર્યું શરીર ફૂલવા માંડે છે પણ બાકીના કંગન તડાક્ કરતાંકને ત્યાં જ તૂટી જાય છે… કાગડો, વિરહ અને પિયામિલનની આ વાત પર બાબા ફરીદની અમર પંક્તિઓ જરુર યાદ આવે:

कागा सब तन खाइयो, चुन-चुन खइयो मांस
दो नैना मत खाइयो, पिया मिलन की आस

(૭) સૌંદર્યની જ બોલબાલા છે. મુગ્ધ ગોરીના માથા પરની ઓઢણી પણ સાવ જીર્ણ થઈ ગયેલી હતી ને ગળાની માળામાં પૂરા વીસ મણકાં પણ નહોતા પણ એ છતાં સુંદરતાનો પ્રકોપ તો જુઓ! ગોરીએ બધા જ ગોઠિયાઓને ઉઠબેસ કરાવી.

(૮) ભારતીય રાજવી પરંપરામાં વીરપુરુષનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાંના એક પણ રંગ ઉપટેલા હોય તો તમને પુરુષ હોવાનું ઓળખપત્ર જ ન મળે. જે ભડવીરે યુદ્ધમાં માથે તલવાર ઝીલી નથી, તોફાની ઘોડાઓને પલાણ્યા નથી ને સુંદરીને ગળે નથી લગાડી એનો તો જન્મારો જ એળે ગયો.

(૯) વીરપુરુષોનું આપણે ત્યાંનું સંસ્કૃતિચિત્ર આ દુહામાં વધુ બળવત્તર થયું છે. નાયિકાની સખી એના કંથના વખાણ કરતાં થાકતી નથી એને વારતા નાયિકા કહે છે, હે સખી! તું મારા કંથના ખોટેખોટા વખાણ ન કર, કેમકે એનામાં બે દોષ તો છે જ. માન્યું કે એ મોટો દાની છે ને એણે ભલે દાનમાં બધું જ દઈ દીધું પણ હું તો બાકી જ રહી ગઈ ને? મતલબ એ પૂરો દાનવીર નથી. અને એ એવો મોટો શૂરવીર પણ નથી. યુદ્ધ કરતાં કરતાં એની તલવાર પણ રહી ગઈ મતલબ પૂરી શૂરવીરતાથી યુદ્ધમાં ઝંપલાવવામાં એ કાચો પડ્યો છે.

(૧૦) અને આ આખરી દુહો તો પુરુષાતનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં કેસરિયા કરવા એ આપણી જૂની પરંપરા રહી છે. એ જ વાત આ દુહામાં પણ કહેવાઈ છે. સખી સાથે વાત કરતાં-કરતાં નાયિકા કહે છે કે, બહેન! સારું થયું કે મારો પતિ યુદ્ધમાં જ મરાયો. જો એ જીવતો ઘરે પરત ફરત તો હું લાજથી મરી જાત. માણસની જિંદગી કરતાં એની શૂરવીર તરીકેની પ્રતિષ્ઠાની વધુ કિંમત છે. યુદ્ધમાં સૌભાગ્ય છીનવાઈ જાય એમાં સૌભાગ્ય નજરે ચડે છે. પોતે વિધવા બને એ ચાલે, પણ ખંડિત મર્દાનગીવાળા ભાગેડુ પતિની સધવા બનવું ભારતીય આર્યનારીને મંજૂર નથી.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

ગ્લૉબલ કવિતા : ૪૩ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – કિટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આખી જિંદગી ગાય-ભેંસ સાથે કાચા ગામડામાં વિતાવનાર અચાનક માયાનગરી મુંબઈમાં આવી ચડે કે રણના ગળામાં અટકી ગયેલી જિંદગીની આખરી ક્ષણોની તરસના કિનારે હર્યોભર્યો રણદ્વીપ હાથ આવી જાય એ ઘડીએ માણસ શું અનુભવતો હશે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગના યાને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું ને નીલે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા પ્રાપ્તિની કઈ ચરમસીમાએ હશે!

શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. જોન કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજના પર પ્રકાશ નાંખે છે. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા ને ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે એને જરા સ્પર્શી લઈએ.

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈ. મોટાભાગના એને હોમર નામના કવિનાં સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ પ્રકારના કળાકારોને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. બે માઇલ દૂર પોતાના ઘરે ગયા અને બીજા દિવસે સવારે દસ વાગ્યે ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું.

શાળાના દિવસોમાં વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’માં કિટ્સ ભણ્યા હતા કે કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. સોનેટ મુજબ બાલ્બોઆ અવાક્ પણ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. જો કે કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે નહીં એ કોઈ જાણતું નથી.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. માતાએ બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. વારસામાં ખૂબ ધન મળ્યું પણ કોઈએ જાણ જ ન કરી. પ્રેમમાં પડ્યા. ગજ ન વાગ્યો. પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, કવિનું ‘સ્વ’ વિશ્વના ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. એમની હયાતીમાં એમની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ છે. ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે ખૂબ ઓછા સમયમાં જે બહોળું અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી.

કિટ્સનું આ સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું અષ્ટક-ષટક રચનાયુક્ત પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના કિટ્સે એવી સહજતાથી નિભાવી જાણી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં પ્રાસરચના અલગ રીતે કરવી પડી છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે અને સાથે જ સ્પષ્ટ થાય કે આ વાત સાહિત્યની સ્વર્ણભૂમિની પણ છે. આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટમાં કવિ કહે છે કે એ નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો ફરી આવ્યા છે. સાક્ષાત્ એપોલોના ટાપુ અને સ્વર્ણભૂમિ પણ તેઓ ખૂંદી વળ્યા છે. અર્થાત્ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી કવિ પસાર થઈ ચૂક્યા છે. હોમરના અજરામર સર્જન વિશે પણ જ્ઞાત છે પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સત્ય ઉજાગર કરે છે.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! લડાઈ જીત્યા બાદ લશ્કર સાથે ડેરિયન શિખર પર ચડીને તગડો કોર્ટેઝ (હકીકતમાં બાલ્બોઆ) જ્યારે એ દિન પર્યંત માનવજાતથી સાવ અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર નજર ફેંકે છે ત્યારે વાચા પણ હરાઈ જાય એ અનુભૂતિ કેવી હશે! સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક વાંચતીવેળાએ જે નવીનતમ પુસ્તકિયો આનંદ હાંસિલ થાય છે એ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અણજાણ્યો પ્રદેશ જીતી જવાતા જે જીતનો, મગરૂરીનો, તાકાતનો સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. હોમરની કવિતાની લાક્ષણિકતાઓ આ ચાવીઓ બખૂબી ઊઘાડી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેઝ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

ગ્લૉબલ કવિતા : ૪૨ : વિલાપ – (અજ્ઞાત) (ચાઇનીઝ)

Lament

Cheek by cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

વિલાપ

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું
જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી મૃગશીર્ષ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમના આંસુથી દિલના કાગળ પર લખેલી બેવફાઈની કવિતા

પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમની રેખા ખેંચો કે ઉત્તરથી દક્ષિણની, ગઈકાલથી આજની રેખા ખેંચો કે આજથી આવતીકાલની, આ ભાષાથી તે ભાષાનો છેદગણ કાઢો કે આ સંસ્કૃતિથી તે સંસ્કૃતિનો – લાગણીઓ એકસરખી જ જોવા મળવાની. એ છતાંય પ્રેમથી વધુ સનાતન, સર્વવ્યાપી અને સેલિબ્રેટેડ લાગણી બીજી કોઈ જોવા નહીં મળે. તડકા વિનાનું અસ્તિત્વ શક્ય જ ન હોવા છતાં જેમ મનુષ્યમન હંમેશા છાંયડા માટે જ તરસવાનું તેમ, નફરત-ગુસ્સો-અદેખાઈ વગેરે દુઃખદાયક લાગણીઓ વિનાનું હૃદય શક્ય જ ન હોવા છતાં હરએક દિલ પ્રેમ માટે તો તલસવાનું જ. જિંદગીના અફાટ બળબળતા રણની વચ્ચે પ્રેમ રણદ્વીપની ટાઢક લઈને આવે છે. પણ સમસ્યા એ છે કે પ્રેમ હંમેશા એના ગજવામાં ક્યાં જુદાઈ, ક્યાં બેવફાઈ લઈને જ આવે છે. અને આ બેવફાઈ અને જુદાઈ દુનિયાની દરેક ભાષામાં દરેક સમયે ઉત્તમ સાહિત્ય અને કળાના પ્રાણતત્ત્વ બન્યાં છે. પ્રસ્તુત કવિતા પણ પ્રણય અને બેવફાઈની જ વાત કરે છે. આ રચના કોણે લખી છે એની તો માહિતી નથી પણ ચીનમાં તાંગવંશના શાસનકાળ દરમિયાન એ લખવામાં આવી છે.

ઇ.સ. ૬૧૮થી ૯૦૭ સુધી ચીનમાં તાંગ વંશનું શાસન રહ્યું. આ સમયગાળો કોસ્મોપોલિટન કલ્ચર માટે સર્વોત્તમ બની રહ્યો. ચાઇનીઝ કવિતા અને કળાનો એ સુવર્ણકાળ હતો. એ સમયના લગભગ ૨૨૦૦થી વધુ સર્જકોની લગભગ ૪૯૦૦૦ જેટલી રચનાઓ કાળની થપાટો સહન કરીને પણ આજદિનપર્યંત સલામત રહી છે. કવિતા રાજદરબારમાં સ્થાન પામવા માટેનું અનિવાર્ય સાધન બની ગઈ હતી એટલે ગળાકાપ સ્પર્ધાઓ પણ યોજાતી. ચાઇનિઝ ભાષામાં ‘શી’ (Shi/Shih) એટલે કવિતા. એ સમયમાં ‘ગુશી’ એટલે કે પ્રાચીન કવિતા જે પારંપારિક કાવ્યસ્વરૂપને વફાદાર હતી અને ‘જિંટિશી’ એટલે કે અર્વાચીન કવિતા જેમાં પંક્તિની લંબાઈ, પ્રાસરચના બધામાં ફરક હતો – એમ બે મુખ્ય પ્રવાહ હતા જેમાંથી જિંટિશી એ સંપૂર્ણપણે તાંગ વંશની ભેટ હતી.

લગભગ બારસો- ચૌદસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોકગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો જ ચિત્કાર આપણી ભીતર જગાડે છે. વાલ્મિકીના હૃદયમાં અબોલ પક્ષી માટેની સંવેદના જાગી હતી, અહીં નિજ પ્રેમસંબંધના હૈયામાં જુદાઈનું અને બેવફાઈનું તીર ભોંકાવાની વેદના જન્મે છે. સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ વચનો આપે છે અને કોઈક કારણોસર છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની એ ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

રચનાની શરૂઆત નજાકતથી થાય છે. ગાલ સાથે ગાલ અને તકિયો – નકરી સુંવાળપ અને મૃદુતા. કદાચ આ નાજુકાઈ જ એ વાતનો ઇશારો છે કે જીવનની સુનિશ્ચિત દુર્દમ્યતા આ ઋજુ સંબંધ કેમે કરી ઝીલી શકનાર નથી. અને આશંકાની આ હળવી કંપારી બીજી જ પંક્તિમાં વાસ્તવિક્તામાં ફેરવાય પણ છે, જ્યારે ‘વચન આપ્યું હતું’ એમ કહીને કવિ ભૂતકાળ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે પ્રેમીઓના શરીરના સાયુજ્યની વાતની વચ્ચે આ વિલન જેવા ‘હતું’ની હાજરી આપણને સમજાવી દે છે કે આ વચન પળાયું નથી. પ્રેમની ધરતી પર તો કદી વચનોનો દુકાળ પડતો જ નથી. શેક્સપિઅરના નામે ચડી ગયેલ બિડવિન (Bedouin) ગીતમાં બેયર્ડ ટેલર કહે છે, ‘હું તને ચાહું છું, એવો પ્રેમ કે જે સૂર્ય ઠંડો પડી જાય કે તારાઓ ઘરડા થઈ જાય ત્યાં સુધી મરે નહીં.’ આવું જ એક બહુ જાણીતું અંગ્રેજી વાક્ય પ્રેમીઓએ એકબીજાને કહી કહીને ઘસી નાંખ્યું છે: ‘Rivers can dry. Mountains can fly. You can forget me, but never can I.’

અતિશયોક્તિ તો પ્રેમનો સનાતન અલંકાર છે. ચાંદ-તારા તોડી લાવવાથી સમયની પેલે પાર સુધી જવાની વાતો પ્રેમમાં સહજ ને વળી બેઉ પક્ષે સ્વીકાર્ય પણ છે. શેક્સપિઅર સત્તરમા સૉનેટમાં કહે છે, ‘હું જો તારી આંખની સુંદરતા આલેખી શકતો હોત, અને તાજા આંકડાઓમાં તારી તમામ મોહક અદાઓને ગણી શક્યો હોત, તો આવનાર યુગ કહેત, ‘આ કવિ જૂઠાડો છે; આવા દિવ્ય સ્પર્શ કદી પાર્થિવ ચહેરાઓને સ્પર્શ્યા જ નથી.’ નાયક પણ પ્રેમમાં ગરકાવ છે. પ્રેમની પરાકાષ્ઠાએ બંને પ્રેમીઓ એકમેકને વચન આપે છે કે આપણો પ્રેમ કદી નાશ નહીં પામે. શેક્સપિઅર જ અઢારમા સૉનેટમાં કહે છે, ‘જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લઈ શકશે, અથવા આંખ જોઈ શકશે ત્યાં સુધી આ (કવિતા) જીવશે, અને એ તને જીવન આપતી રહેશે.’ પ્રસ્તુત કાવ્યમાં પણ જ્યાં સુધી લીલા અર્થાત્ ભર્યાભાદર્યા પર્વતોનું પતન ન થાય કે ભારીખમ લોઢું નદી પર તરવા ન માંડે કે ગંગા (ચીનની યેલો રીવર) જેવી બારેમાસ છલકાતી-ઉભરાતી નદી સ્વયંભૂ સૂકાઈ ન જાય, મૃગશીર્ષનો તારો ધોળા દિવસે ન ઊગે કે ધ્રુવનો તારો ઉત્તરને બદલે દક્ષિણમાં ન ઊગે અને ભર રાત્રિએ સૂર્ય ઊગી આવીને આકાશને ઝળાંહળાં ન કરી દે ત્યાં સુધી, અર્થાત્ यावत्चंद्रोदिवाकरौ સુધી એકમેકને અમર પ્રેમ કરવાના કોલ બંનેએ એકબીજાને આપ્યા હતા.

પ્રેમમાં હોય ત્યારે દુનિયાના દરેક પ્રેમીને એમ જ લાગતું હોય છે કે એમનો પ્રેમ રોમિયો-જુલિયેટ, શીરી-ફરહાદ, લૈલા-મજનૂ, હીર-રાંઝા જેવો જ અથવા એથીય અદકેરો અને અમર અવિનાશી છે. પ્રેમમાં અભિવ્યક્તિ બધાથી ઉદાર હોય છે. એક શબ્દમાં પતતું કામ પ્રેમ દસ વાક્યોમાં પતાવે છે. શેક્સપિઅરે કહ્યું કે પ્રેમ આંધળો છે ને હકીકત પણ એજ છે કે પ્રેમના ચશ્માંમાંથી પ્રેમિકા સામે વિશ્વસુંદરીનીય કોઈ વિસાત નજરે ચડતી નથી. છવ્વીસ્સો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફો કહે છે, ‘જે રીતે હવાનું ઝોકું વૃક્ષને નમાવે છે એમ જ પ્રેમ મને ઝુલાવે છે, પ્રેમ મને ફરીથી બંદી બનાવી લે છે અને હું કડવીમીઠી એષણાથી કંપી ઊઠું છું.’ ખલિલ જિબ્રાન કહે છે તેમ, ‘સદાકાળથી એમ જ છે કે અળગા થવાની ક્ષણ આવી ઊભતી નથી ત્યાં સુધી પ્રેમને એનું પોતાનું ઊંડાણ ખબર પડતી નથી.’ તરસ લાગી હોય તોજ પાણીની મહત્તા સમજાય.

પણ મોટાભાગના ‘અમર’ પ્રેમ ફટકિયા મોતી જ સાબિત થતા હોય છે. અહીં જે બે પ્રેમીની વાત છે એ કદાચ બેવફાઈના કારણે છૂટા પડ્યા છે. કવિએ કોઈ ખુલાસો કર્યો નથી. ગાલિબ લખે છે:

तुझ से क़िस्मत में मिरी सूरत-ए-क़ुफ़्ल-ए-अबजद
था लिखा बात के बनते ही जुदा हो जाना

(હે આંકડાના મેળથી ખુલનારા તાળા ! મારી કિસ્મતમાં કદાચ વાત બનતા જ અલગ થઈ જવાનું લખાયું હતું.) તાળું બંધ હોય ત્યારે દાંડી કાયાની અંદર હોય છે પણ જેવી ચાવી ફેરવો કે આંકડાવાળા તાળામાં નિશ્ચિત આંકડા મેળવો કે દાંડી અને કાયા જુદા થઈ જશે. વાત બને, બે પ્રેમીઓ લગ્નગ્રંથિથી જોડાય, સંસારક્રમ આગળ વધે એ પહેલાં જ બંનેના નસીબમાં જુદા પડવાનું લખાયું. જેણે બેવફાઈ કરી હશે એની જિંદગી તો નદીના પ્રવાહ પેઠે સમયના કિનારાઓ વચ્ચે આગળ વહેવા માંડી હશે. પણ જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો-

दिल से मिटना तिरी अंगुश्त-ए-हिनाई का ख़याल
हो गया गोश्त से नाख़ुन का जुदा हो जाना | (ગાલિબ)

(દિલથી તારી મહેંદીવાળી આંગળીનો ખ્યાલ મટી જવો અર્થાત, મારા માંસથી નખ જુદો થઈ જવો)

લગભગ બેહજાર વર્ષ જૂની ‘ગાથાસપ્તશતી’માં સાતવાહન હાલ પ્રાકૃત ભાષામાં કહે છે:

परित्र्प्रोस-सुन्दराइं सुरएसु लहन्ति जाईँ सोक्खाइं।
ताइं च्चित्र्प्र उण विरहे खाउग्गिण्णाईँ कीरन्ति॥

અર્થાત્, પ્રેમીઓ જુદા પડે છે ત્યારે એક સમયે જે આનંદ આપતું હતું એ ઊલટી જેવું લાગે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે: ‘હે હૃદય ! શાંત થા. શા માટે આટલું સહન કરે છે? જેને તું પ્રેમ કરે છે એ તને ચાહતું નથી.’ પણ હૃદય શાંત થતું નથી. જૂની બધી વાતો યાદ આવે છે. પ્રસ્તુત રચનામાં ‘આપણે વચન આપ્યું હતું’ની દ્વિરુક્તિ પ્રેમીના જીવનમાં પ્રેમ અને પ્રિયપાત્રનું શું મહત્ત્વ હતું એ વાતને અંડરલાઇન કરી આપે છે. રોજર ડિ બસી-રબુટિને કહ્યું હતું, ‘હવા જે આગ માટે છે, એ જ અનુપસ્થિતિ પ્રેમ માટે છે; એ નાનાને હોલવી નાંખે છે, મોટાને ભડકાવે છે.’ રુમીએ પણ કહ્યું હતું, ‘…જ્યારે હું તારાથી દૂર હતો, આ દુનિયાનું કોઈ અસ્તિત્ત્વ નહોતું, બીજી કોઈનું પણ નહીં.’ સાચો પ્રેમ પ્રેમીને ઓગાળી દે છે અને પ્રિયપાત્રને પોતામાં ઓગળી-ભળી ગયેલ અનુભવે છે. પોતાની નાડીમાં સામાના ધબકારા સંભળાય એ પ્રેમ. ‘હું’ અને ‘તું’ પીગળી જઈને ‘અમે’ બને એ રાસાયણિક પ્રક્રિયાનું નામ જ પ્રેમ છે.

પાબ્લો નેરુદા કહે છે, ‘આવજે, પણ તું મારી સાથે જ હશે, તું જશે મારા લોહીના એક બુંદમાં જે દોડતું હશે મારી નસોમાં અથવા બહાર, એક ચુંબનમાં જે મારા ચહેરાને બાળતું હશે, અથવા એક આગના પટ્ટામાં જે મારી કમર ફરતો હશે.’ જેફ હૂડે કહ્યું હતું, ‘અંતર લોકોને અલગ નથી કરતું, મૌન કરી દે છે.’ અહીં પણ નાયક બંને વચ્ચે આવી ગયેલા અંતરને અવગણીને ચિત્કારે છે. નાયિકા સામે છે કે નહીં એનો કવિતામાં ઉલ્લેખ નથી, આ ચિત્કાર એ સાંભળે છે કે નહીં એ આપણે કદી જાણી શકવાના નથી પણ દિલમાં ખૂંપી ગયેલું તીર જ્યાં સુધી ખેંચીને કાઢી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી એ નાયકને ચેનના શ્વાસ લેવા દે એમ નથી એટલે નાયક તારસ્વરે સાથે લીધેલા પણ પળાય એ પહેલાં જ તૂટી ગયેલા વચનો અને છૂટી ગયેલા સાથને એ વચનોની દુહાઈ આપીને ખોવાયેલ પ્રેમ પરત મેળવવાની આખરી કોશિશ કરે છે.

કવિ કોણ છે એ ખબર નથી. વિલાપ કરનાર નાયક છે કે નાયિકા એ ખબર નથી. બંને છૂટાં થયાં છે પણ કેમ એ ખબર નથી. વિલાપ સામા વ્યક્તિની હાજરીમાં થાય છે કે નહીં એય ખબર નથી. વિલાપનું કોઈ પરિણામ આવે છે જે નહીં એય ખબર નથી પણ આઠ જ પંક્તિની આ અનિશ્ચિત કવિતામાં પ્રેમની સચ્ચાઈ અને પ્રેમીહૈયાનું કલ્પાંત સુનિશ્ચિત છે અને જિંદગીમાં જેણે પ્રેમમાં જુદાઈ કે બેવફાઈનો જરા પણ સ્વાદ ચાખ્યો હશે એને દોઢ હજાર વર્ષ પહેલાંની આ રચના પોતાના જ દિલના કાગળ પર પ્રેમના આંસુઓથી હજી ગઈકાલે જ લખાયેલી કેમ ન હોય એવી તરોતાજા જ લાગશે.

ગ્લૉબલ કવિતા: ૪૧: બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ વિવેક મનહર ટેલર)

Stopping by woods on a snowy evening

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sounds the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

– Robert Frost

બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના અશ્વને મારા લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં

– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

And miles to go before I sleep

जीवन चलनेका नाम, चलते रहो सुबहो-शाम। ગતિ જ જીવન છે. ગતિ વિના પ્ર-ગતિ પણ શક્ય નથી. દુનિયા ગમે એટલી સોહામણી કેમ ન હોય, અકબર ઈલાહાબાદી કહે છે એમ, दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ; बाज़ार से ग़ुज़रा हूँ ख़रीदार नहीं हूँના ન્યાયે થોડું થોભીને, થોડું માણીને એમાંથી માત્ર પસાર થઈ જવા શું આપ તૈયાર છો? મૃત્યુ જિંદગીનું ગળું દબોચવા ટાંપીને જ બેઠું છે એ જાણતા હોવાથી નિતનવા જોખમો ખેડવાનું શું આપને મન થાય છે? ટી.વી., સ્માર્ટફોન, ફેસબુક, વોટ્સ-એપ, sms, ઇમેલ- આ બધી જંજાળ ફગાવી દઈને ક્યાંક ભાગી નીકળવાનું આપને મન થાય છે કદી? જો હા, તો રૉબર્ટ ફ્રૉસ્ટની આ કવિતા તમારા માટે છે.

રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. ૨૬-૦૩-૧૮૭૪ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મ. મા-બાપ બંને શિક્ષક પણ ૧૧ વર્ષની વયે ટીબીના કારણે પિતા ગુમાવ્યા. ૧૮૯૪માં પહેલી કવિતા ‘માય બટરફ્લાય: એન એલિજી’ લખી. આ કવિતા ધ ઇન્ડિપેન્ડન્ટમાં છપાઈ અને એ જમાનામાં ૧૫ ડોલર મળ્યા એથી પોરસાઈને ફ્રોસ્ટે જે સહપાઠી –એલિનોર વ્હાઇટ- સાથે ગ્રેજ્યુએટ થયા એને પ્રપોઝ કર્યું પણ અભ્યાસ બાકી હોવાથી એલિનોરે પ્રસ્તાવ નકાર્યો. એની કોલેજ પત્યા બાદ ફ્રોસ્ટે ફરીથી પ્રસ્તાવ મૂક્યો જે સ્વીકરાયો અને બંને લગ્નગ્રંથિથી જોડાયા અને છ સંતાનોના મા-બાપ બન્યા. એક પુત્ર કોલેરામાં મૃત્યુ પામ્યો, એકે આત્મહત્યા કરી, એક પાગલ થઈ ગયો, એક પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી અને એક જન્મના થોડા જ અઠવાડિયામાં બાય-બાય કહી ગઈ. સંતાનોનું આવું કારમું દુઃખ ઓછું હોય એમ ખેતી-મરઘાંપાલન – બધા જ વ્યવસાયોમાં પણ ફ્રોસ્ટને નિષ્ફળતા જ મળી. બધું વેચી-સાટીને ફ્રોસ્ટ પરિવારભેગા ૧૯૧૨માં ઇંગ્લેન્ડ પહોંચ્યા જ્યાં એઝરા પાઉન્ડ અને એડવર્ડ થોમસ સાથેનો પરિચય બહુ મોટો ભાગ ભજવનાર બન્યો. જિંદગીના પહેલા ચાળીસ વર્ષ સુધી કોઈ એમનું નામ પણ જાણતું નહોતું. અમેરિકાના કવિની કવિતાઓ ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વખતે ૧૯૧૫માં ઇંગ્લેન્ડથી અમેરિકા પરત ફર્યા ત્યારે પ્રસિદ્ધિના આકાશમાં એમના નામનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. એમના પહેલાં એમની કીર્તિ અમેરિકા પહોંચી ચૂકી હતી. ખેતરો અને ગામડાંનું નિષ્ફળ જીવન એમની કવિતાને ફળ્યાં અને કવિતા એમને ફળી. કવિતા અને ભાષાશિક્ષક બન્યા અને નાનાવિધ યુનિવર્સિટીઝમાં સેવા આપી. પણ દુઃખ કેડો છોડતું નહોતું. ૧૯૩૮માં કેન્સરના કારણે એલિનોર અવસાન પામી. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીના ઉદઘટન સમારોહમાં કાવ્યપાઠ માટે એમને ખાસ આમંત્રિત કરાયા હતા. કેનેડીએ એમના માટે કહ્યું હતું, ‘એણે એન દેશને અવિનાશી કવિતાનો એવો વારસો આપ્યો છે જેમાંથી અમેરિકનો હરહંમેશ આનંદ અને સમજણ મેળવતા રહેશે.’ અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયાના કોમ્પ્લિકેશન્સના કારણે ૨૯-૦૧-૧૯૬૩ના રોજ ૮૮ વર્ષની જૈફ વયે બોસ્ટન ખાતે એમનું નિધન થયું.

ફ્રોસ્ટ એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. ફ્રોસ્ટ એમની બહુખ્યાત રચના ‘ધ રોડ નોટ ટેકન’માં કહે છે, ‘મેં જેના પર બહુ લોકો નહોતા જતા એ માર્ગ મેં લીધો અને આ બધો તફાવત એન જ કારણે છે.’ એમની કવિતમાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. સામાન્ય જનજીવન અને ગ્રામ્યજીવન વિશે એમના જેવું અને જેટલું ભાગ્યે જ કોઈ કવિએ લખ્યું હશે. ફ્રોસ્ટની કવિતા ઓગણીસમી સદીની અમેરિકન કવિતા અને આધુનિકતાના દોરાહા પર ઊભેલી છે. પારંપરિક છંદો અને કાવ્યસ્વરૂપો સાથે તોડફોડ કરવાના બદલે એમણે કાવ્યત્ત્ત્વ પર જ વધુ ધ્યાન આપ્યું. એકલતા, કશાકની શોધ, જીવનની અંધારી બાજુ અને માનવમનની સંકુલતાઓ એમણે વાતચીતની ભાષામાં જે રીતે રજૂ કરી છે એ અમેરિકાના ઇતિહાસમાં न भूतो, न भविष्यति ગણાય છે. ફ્રોસ્ટ કહે છે, ‘મને મોટાભાગના વિચારો પદ્યમાં જ આવે છે. કવિતાની તાજગી સંપૂર્ણપણે પહેલાં વિચારીને, પછી પદ્યમાં ગોઠવીને ને પછી પદ્યને સંગીતમાં ઢાળવામાં નથી. કવિતાનો ‘મૂડ’ જ નક્કી કરે છે કે કવિએ કયો છંદ અને પંક્તિલંબાઈ વાપરવા.’ એક જગ્યાએ એ કહે છે, ‘સંપૂર્ણ કાવ્ય એ છે જ્યાં એક લાગણીને વિચાર મળે અને વિચારને શબ્દો.’

પ્રસ્તુત રચના પણ પારંપારિક છંદને જ પકડીને ચાલે છે. આયમ્બિક ટેટ્રામીટર અહીં પ્રયોજાયેલ છે. પણ પ્રાસ-રચના ધ્યાનાર્હ બની રહે છે. ચાર-ચાર પંક્તિના ચારેય અંતરામાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવ્યા છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી, બીજી અને ચોથી પંક્તિનો પ્રાસ બને છે. બીજી રીતે કહીએ તો પર્શિયન ‘રૂબાઈ’ના છંદ અને રૂપ-રચના ફ્રોસ્ટે અપનાવ્યા છે.

તેરમી સદીમાં થઈ ગયેલા ઇટાલીના દાન્તેની ‘ઇન્ફર્નો’ની પણ થોડી અસર અહીં નજરે ચડે છે. એ સિવાય ત્રણેક જગ્યાએ અન્ય કવિઓની પંક્તિની અસર સાફ નજરે ચડે છે: સ્કોટની ‘ધ રોવર’: ‘He gave the bridle-reins a shake’ ~ ‘He gives his harness bells a shake’; થોમસ લવેલ બેડોસની ‘ધ ફેન્ટમ વુઅર’: ‘Our bed is lovely, dark, and sweet’~ ‘The woods are lovely, dark and deep’ અને કીટ્સની ‘કીન ફિટફુલ ગસ્ટ્સ’: ‘And I have many miles on foot to fare’ ~ ‘And miles to go before I sleep.’ જો કે એય હકીકત છે કે દુનિયાના કોઈપણ વિવેચકે આને ઊઠાંતરી કહી નથી. ફ્રોસ્ટનું આ કાવ્ય ઉત્તમોત્તમ મૌલિક કવિતા ગણાયું છે.

આ કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે. કવિતા પણ કવિતામાંના પ્યારાં પણ ગાઢ અને ઊંડા જંગલોની જેમ જ ગહન છે. પહેલી નજરે તો અહીં ખૂબ સરળ ભાસતી વાર્તા સિવાય કંઈ નથી પણ આખી કવિતામાં એકમાત્ર પંદરમી પંક્તિ જ્યારે આખીને આખી જ પુનરાવર્તિત થાય છે ત્યારે સરળ ભાસતી કવિતામાંથી ગહનતાના પડઘા ઊઠતા સંભળાય છે.

વર્ષ આખાની સૌથી અંધારી અને ભયાનક શિયાળુ -ડિસેમ્બરના અંતભાગની- સાંજે નાયક એના નાનકા ઘોડા પર સવાર થઈ જંગલોમાંથી પસાર થઈ રહ્યો છે અને કોઈકના વાડી-જંગલ પાસે આવી ઊભો રહે છે. જ્યાં નજીકમાં કોઈનું ઘર પણ નથી એવી અવાવરૂ જગ્યા પર એક તરફ વન, બીજી તરફ થીજી ગયેલું તળાવ, માથે ઊતરી રહેલાં વર્ષની સૌથી અંધારી અમાસની રાતના ડરામણા ઓળા, ગાત્રો ગાળી નાંખે એવી ઠંડી શ્યામલ રાત્રે બરફનો વરસાદની વચ્ચે નરી એકલતા ઓઢીને નાયક ઊભો ઊભો બરફચ્છાદિત થતા વનોનું સૌંદર્યપાન કરી રહ્યો છે. જેના આ વાડી-જંગલ છે એ પણ આવા સમયે અહીં રહેવાનું જોખમ જાણતો હોવાથી જંગલ છોડીને ગામમાં રહે છે. વન એ સમાજની પેલે પારનું વિશ્વ છે. વન જોખમ, અસામાજિકતા, તર્કશૂન્યતા, જંગલીપણું, પાગલપન – શું શું નથી સૂચવતું?! વન તરફનું નાયકનું ખેંચાણ પણ એ જ રીતે એકાંતપ્રિયતા, સાહસિકતા, જવાબદારીઓમાંથી આઝાદી અને જોખમ તરફનું દુર્દમ્ય આકર્ષણ- શું શું નથી સૂચવતું?! જો કે કવિતામાં જે વનની વાત છે એ કોઈકની માલિકીનું હોવાથી એટલું ખરાબ તો નહીં જ હોય. જે હોય તે, પણ વન સમાજની લક્ષ્મણરેખાની પેલે પારનો જ વિસ્તાર છે. ઘોડો કદાચ સભ્ય સમાજનું પ્રતીક છે. એને કદાચ આવા સમયે આવામાં એકલપંથીનું આમ થોભવું વિચિત્ર લાગે છે અને એ ધુરા પર બાંધેલી ઘંટડી હલાવીને કોઈ ભૂલ તો નથી થઈને એમ પૂછે છે અથવા સંભવ છે કે નાયકને ઘોડો આમ પૂછી રહ્યાનો ભાસ માત્ર પણ થતો હોય!

આછી હવાની મર્મર અને હિમવર્ષાની ફર્ફર સિવાય અન્ય કોઈ અવાજ પણ નથી એવી નિઃશબ્દતામાં ઘંટડીનો રણકાર નાયકને પુનર્જાગૃત કરે છે. ભલેને આ જંગલો ગાઢ, ઊંડા ને પ્યારાં કેમ ન હોય, જીવનની જવાબદારીઓ પૂરી કરવાની છે, દીધેલાં કોલ નિભાવવાના છે અને ઊંઘ આવી જાય એ પૂર્વે દૂર-સુદૂર પહોંચવાનું છે. પંદરમી પંક્તિ પહેલી નજરે મુસાફરીની અનિવાર્યતા નિર્દેશિત કરે છે પણ જ્યારે એનું પુનરાવર્તન થાય છે ત્યારે ઊઠતો પડઘો વધુ ગાઢ અને ઊંડો લાગે છે. નિશ્ચિત મૃત્યુ આવે ચડે એ પહેલાં જિંદગી જીવી લેવાની છે, અટકવાનું નથી, અટવાવાનું નથી પણ સતત આગળ ને આગળ વધતા રહેવાનું છે. આ memento mori (યાદ રાખો, મૃત્યુ નિશ્ચિત છે.) આ ભયાવહ અને લલચામણાં વનમાં અટકવાની વાતને, સૌંદર્યને માણી લેવાના ઈરાદાની પુષ્ટિ કરે છે. જીવન ક્ષણભંગુર છે એટલે જોખમ ઊઠાવવા અને કરી શકાય તો સત્યની શોધ કરવી એવો ધ્વનિ સરવાળે ઊઠે છે. મરીઝ યાદ આવે:

‘જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’

ફ્રોસ્ટ કહે છે, ‘મારા શોખ (avocation) અને વ્યવસાય (vocation)ને એક કરવા એ મારો જીવવાનો હેતુ છે.’ એ એમ પણ કહે છે, ‘જિંદગી વિશે હું જે કંઈ પણ શીખ્યો છું એ ત્રણ જ શબ્દમાં કહી શકું છું – ઇટ ગોઝ ઓન.’ કાવ્યારંભે જેમ નાયક ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે વિ. ગોપિત રખાયું છે, એમ જ કાવ્યાંતે નાયક આગળ વધવું શરૂ કરે છે કે કેમ એ વાત પણ કવિએ કરી નથી. નાયકની જેમ જ ભાવક પણ આ કવિતાના ગાઢ, ઊંડા, પ્યારા વનની શાંત પણ જોખમી એકલતા પાસે આવી ઊભો રહી સૌંદર્યનું આકંઠ પાન પણ કરી શકે છે અથવા આગળ પણ વધી જઈ શકે છે…

ગ્લૉબલ કવિતા: ૪૦ : તિરુક્કુરલ – તિરુવલ્લુવર (તમિલ) ( અનુ. વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥૧૫॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥૧૦૮૪॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥૧૦૯૦॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ, હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥૧૧૧૦॥

-તિરુવલ્લુવર
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બબ્બે મિલેનિયમથી સળગતી રહેલી અગરબત્તી…

બાવીસસો વર્ષ પહેલાં આપણા જ દેશની ધરતીના કોઈ એક ખૂણેથી એક અવાજ ઊઠ્યો હોય અને એ અવાજ આજદિન સુધી વિશ્વભરના દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં એકધારો પડઘાઈ રહ્યો હોય, અભ્યાસુઓને સતત ચકિત કરી રહ્યો હોય એવી આપણને જાણ થાય તો આપણને કેવી અનુભૂતિ થાય! ભારતવર્ષ તો રત્નોનો ખજાનો છે. વ્યાસ, વાલ્મિકી, કબીર, મીરાં, નરસિંહ, તુલસી, ધ્યાનેશ્વર, તુકારામ, લલ્લેશ્વરી, વિદ્યાપતિ, બુલ્લેશાહ, શંકરાચાર્ય, અમીર ખુશરો, જયદેવ – કયા ખૂણેથી ને કઈ ભાષાથી આદરીને ક્યાં જવું એ કોયડો થઈ પડે એવા ને એટલા સંતકવિઓ આ દેશના ખૂણેખૂણેથી પાક્યા છે. તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવર આવા જ એક રત્ન છે. ૨૨૦૦ વર્ષ પહેલાં તામિલનાડુના એક ખૂણામાં પ્રગટેલી અગરબત્તી આજે પણ વિશ્વ આખાના ખૂણે-ખૂણામાં અવિરત ખુશબૂ ફેલાવી રહી છે…આપણા આ અમર અને અકલ્પનીય સાંસ્કૃતિક વારસામાંથી કેટલાક મૌક્તિક આપણે માણીએ

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે કહે છે કે એ વણકર હતા અને એમના કહેવાતા ઘરને આજે મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પત્નીનું નામ વાસુકિ. સંતકવિ હોવા ઉપરાંત તિરુવલ્લુવર ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ પણ હતા. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક પર જનાર તિરુવલ્લુવરના પૂતળાથી અભિભૂત થયા વિના રહેતો નથી. તિરુક્કુરલમાં ૧૩૩ કુરલ છે એટલે એમની પ્રતિમા ૧૩૩ ફૂટ ઊંચી છે અને ત્રણ વિભાગ છે એટલે પ્રતિમામાં સંતને ત્રણ આંગળી બતાવતા નિર્દેશાયા છે. પોંગલના તહેવારમાં ૧૫ જાન્યુઆરીના દિવસે કવિના નામથી તહેવાર પણ ઉજવાય છે. ભાગ્યે જ કોઈ કવિને સરકાર અને નાગરિકો દ્વારા આવું બહુમાન મળ્યું હશે.

મહાભારતની જેમ જ ‘તિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘તિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. તિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. તિરુક્કુરલ એ તિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.બાવીસસો વર્ષ પહેલાં કવિતાને ત્રણ ભાગ અને ૧૩૩ પેટાભાગમાં વહેંચીને દરેક પર દસ-દસ કુરલની રચના કરવા જેટલું પદ્ધતિસરનું કામ કરવું એ પોતે જ કવિની વિચક્ષણતાનું દ્યોતક છે. પ્રાચીન તામિલ કવિ અવ્વલ્યરે કહ્યું હતું, ‘તિરુવલ્લુવરે અણુમાં છિદ્ર કરીને એમાં સાત સમુદ્ર ભરી દઈને એને સંકોચી દીધા છે ને પરિણામે આપણને જે મળ્યું એ છે કુરલ.’

તિરુક્કુરલ એ સમાજના ઊંચ-નીચ, ધનિક-ગરીબ તમામ વર્ગના તમામ મનુષ્યોની રોજબરોજની જિંદગીની સમસ્યાઓ અને એના વાસ્તવિક ઉકેલ સાથે સંકળાયેલ મહાકાવ્ય છે. મનુષ્યજીવનના દરેક પાસાંઓનો પદ્ધતિસર અભ્યાસ અને વિવરણ અહીં જોવા મળે છે. ખેડૂતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો તિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન અનુવાદ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી. મુનશીએ આ ગ્રંથને જીવન જીવવાની કળા શીખવતો ઉત્તમોત્તમ મહાગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો.

અનુવાદ કદી મૂળ કૃતિને સંપૂર્ણ ન્યાય આપી શકે નહીં. કદાચ એટલે જ અંગ્રેજી જેવી એક જ ભાષામાં પણ તિરુક્કુરલના નવા નવા અનુવાદો હજી પણ થયા જ કરે છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

(૦૧) કોઈપણ કક્કાની શરૂઆત ‘અ’થી જ થવાની. એ જ રીતે ઈશ્વર જ સૃષ્ટિનું પ્રારંભબિંદુ છે. એ જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એનાથી જ સૃષ્ટિની શરૂઆત પણ થાય છે.

(૧૫) વરસાદ સર્વસ્વ છે, સર્વેસર્વા છે. એ વધુ માત્રામાં પડે તો બધું જ બરબાદ કરી નાંખે છે. પણ પછી એ જ વરસાદ ધરતીને સીંચીને નવજીવન નવપલ્લવિત કરે છે. ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’(કલાપી)

(૬૯) પુત્રનો જન્મ થાય ત્યારે મા હર્ષથી ફૂલી સમાતી નથી. પોતાના શરીરમાંથી એક બીજા સજીવને જન્મ આપવાથી મોટી ઘટના મનુષ્યના જીવનમાં બીજી કઈ હોઈ શકે? પણ જ્યારે એ જ દીકરાનું નામ દુનિયા સન્માનભેર લે, એ જ દીકરો સિદ્ધિ હાંસિલ કરે ત્યારે પુત્રજન્મની ખુશીથીય અનેક ગણી ખુશી માને થતી હોય છે.

(૭૧) પ્યાર છૂપાવ્યો છૂપતો નથી. છાપરે ચડીને પોકારે છે. એવું કોઈ તાળું જ નથી બન્યું જે પ્રેમને ભીતર સંતાડી દઈને બહાર મારી દઈ શકાય? સાચા પ્રેમીની આંખમાંથી એક નાનુ સરખુ આંસુ ટપક્યું નથી કે પ્રેમના તમામ પર્દાફાશ થયા નથી.

(૧૦૮) કોઈએ કરેલા સારા કામને કદી ભૂલવું જોઈએ નહીં. સત્કાર્યને ભૂલવાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે પણ કોઈ કંઈ ખરાબ કરે અને આપણે એને તાત્ક્ષણિક ભૂલી જઈ શકીએ એનાથી મોટું સત્કર્મ તો બીજું કોઈ જ નથી.

(૩૦૨) તમારો ગુસ્સો ગમે એટલો વ્યાજબી કેમ ન હોય પણ તમારાથી વધુ શક્તિશાળી કે સત્તાસંપન્ન માણસની આગળ એ વાંઝિયો જ પુરવાર થશે. એનો કંઈ જ અર્થ નહીં સરે. એ જ રીતે તમારાથી નબળા માણસ પર ગુસ્સો કરવાથી શો ફાયદો? ટૂંકમાં, કોઈપણ સ્વરૂપે ને કોઈની પણ આગળ ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. ગુસ્સા પર કાબૂ મેળવવો એ જ મોટો ગુણ છે.

(૩૯૬) જમીન ભલે રેતાળ કેમ ન હોય, ઊંડે સુધી ખોદવાથી પાણી જરૂર હાથ લાગે છે અને જેમ વધુને વધુ ઊંડુ ખોદાણ કરીએ તેમ વધુ ને વધુ પાણી જડે છે, એ જ રીતે કોઈપણ વસ્તુનો જેમ વધુ ને વધુ ઊંડો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ વધુને વધુ ડહાપણ પ્રાપ્ત થાય છે.

(૪૮૧) ઘુવડ જેવું શક્તિશાળી પક્ષી પણ દિવસના અજવાળામાં લાચાર છે. કાગડા જેવો કાગડો પણ દિવસે તો એને હંફાવી દઈ શકે. એ જ રીતે સમય વર્તીને શત્રુ પર હુમલો કરે એ માણસ જ યુદ્ધ જીતીને રાજા બની શકે છે. समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वो ही बाण।

(૬૨૩) દુઃખ કોના માથે નથી પડતું? પણ જે માણસ લાખ દુઃખ પડવા છતાં દુઃખી થવાના બદલે એનો સામનો કરે છે, દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા મથે છે એ માણસના ઘરે આવીને તો દુઃખ પોતે દુઃખી થઈ જાય છે અને સત્વરે ચાલતી પકડે છે. જીવનનો જંગ જે હારવામાં માનતો નથી એ જ જીતતો હોય છે.

(૭૯૬) જીવનમાં સમસ્યા કોને નથી આવતી?અને સમસ્યા આવે તો કોને ગમે ? પણ તિરુવલ્લુવર સમસ્યાઓ-તકલીફો-દુઃખોની પોઝિટીવ બાજુથી અવગત કરે છે. દુઃખોના થર્મોમીટરનો ફાયદો જ એ છે કે એનાથી મિત્રો-સ્વજનોનું સાચું તાપમાન ખબર પડી જાય છે. કવિ પણ દુઃખની ફૂટપટ્ટીથી મિત્રોને માપવાનું કહે છે. મરીઝ યાદ આવે: ‘મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.’ ઘણાબધા સુભાષિતોમાંથી પણ આ વાત મળી આવે છે: ‘વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.’

(૧૦૮૪) એની આંખોની કાતિલતા અને રૂપની શાલિનતાનો મેળ પડે એમ નથી. દેખાવે તો એ એકદમ સુંદર અને સૌમ્ય લાગે છે પણ એની આંખ સામે જે આંખ માંડે છે એનું તો એ જીવન જ પી લે છે. બિચારો પ્રેમમાં ગિરફ્તાર અને શમા પર પરવાના પેઠે ફના થઈ જાય છે. ‘કસુંબલ આંખડીના એ કસબનીવાત શી કરવી! કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.’ (ઘાયલ)

(૧૦૯૦) દારૂ ગમે એટલો આનંદ કેમ ન આપતો હોય પણ એના આનંદની અનુભૂતિ કરવા માટે એને ચાખવો ફરજિયાત બને છે પણ પ્રેમનો નશો એનાથીય અદકેરો છે. પ્રેમને હોઠોથી ચાખવાનીય જરૂર પડતી નથી. આંખ આંખથી મળે એટલામાં જ બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.

(૧૧૦૨) ઝેર અને ઝેરનું મારણ કદી એક ન હોઈ શકે. દુઃખ અને દુઃખ મટાડવા માટેની દવા –બંને અલગ જ હોવાના. પણ સૌંદર્ય, ઈશ્કનો કાનૂન અજબ છે. અહીં જે દર્દ જન્માવે છે એ જ એનો ઈલાજ પણ કરે છે. બે’ક શેર જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે. (ઘાયલ)

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે ! (મુકુલ ચોક્સી)

(૧૧૧૦) પુનરાભ્યાસ વિના સાચું જ્ઞાન શક્ય નથી. પુનરાવર્તન જેમ જેમ કરતાં જઈએ તેમ તેમ એક જ વસ્તુમાંથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે અને આપણને અહેસાસ થાય છે કે અરે! આ તો આપણને આગલી વખતે સમજાયું જ નહોતું. એ જ રીતે સમાગમ પણ ફરી ફરીને કરવાથી પરમાનંદના નિતનવા અને ઉત્તુંગ શિખરો સર થતા હોવાનો સાક્ષાત્કાર થાય છે.

બે મિલેનિયમથીય પુરાણો આ જ્ઞાનનો ખજાનો હજી આજેય એવોને એવો જ તાજો છે ને મિલેનિયમના મિલેનિયમ સુધીય તાજો જ રહેશે…

ગ્લૉબલ કવિતા:૩૯: ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

Home-thoughts, from abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાંમારાંફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીનેત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારેમેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

રોબર્ટ બ્રાઉનિંગ. ૦૭-૦૫-૧૮૧૨ના રોજ કેમ્બરવેલ, લંડનમાં જન્મ. પિતાના અંગત પુસ્તકાલયમાં એ જમાનામાં ૬૦૦૦થી વધુ પુસ્તકો હતા. એટલે સાહિત્યની ગલીઓમાં જ મોટા થવાનું થયું. વિપુલ સર્જનશક્તિના માલિક. કહે છે કે પાંચ વર્ષની વયે તો બ્રાઉનિંગ સડસડાટ લખતા-વાંચતા શીખી ગયા હતા. ૧૨ વર્ષની ઉંમર તો કવિતાનું પુસ્તક લખી નાખ્યું પણ કોઈ છાપનાર મળ્યું નહીં. અડધું સ્કૂલે, અડધું ઘરે એમ ભણ્યા ને અડધું ઇંગ્લેન્ડમાં, અડધું ફ્રાંસ-ઇટાલીમાં એમ જીવ્યા. કવિતા સિવાયની કોઈ આજીવિકા સ્વીકારવી ફાવી નહીં. શેલીથી ખાસ્સા પ્રભાવિત-એમની જેમ જ નાસ્તિક અને શાકાહારી બન્યા. ઉંમરમાં છ વર્ષ મોટાં કવયિત્રી એલિઝાબેથ બેરેટ સાથેની એમની પ્રણયથી પરિણય સુધીની કથા –ખાનગી લગ્ન કરીને ભાગી જવું વિ.- એ અંગ્રેજી સાહિત્યના યાદગાર ‘રિઅલ લાઇફ રોમાન્સિસ’માંની એક છે. એમની કવિતાઓનું આખરી પુસ્તક પ્રગટ થયું એ જ દિવસે ૧૨-૧૨-૧૮૮૯ના રોજ વેનિસ, ઇટાલીમાં નિધન.

વિક્ટોરિયન યુગ (૧૮૩૦-૯૦) એ ભૌતિકવાદની ચરમસીમા હતી. ગામડાંઓનો વિધ્વંસ, શહેરીકરણ અને બાળમજૂરી આ યુગના સૌથી મોટા નાસૂર બની રહ્યા. વાંચન શોખ બન્યું. પુસ્તકો અને લેખકોની વાત કરવી એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. ‘અતિ’ કહી શકાય એ માત્રામાં સાહિત્ય લખાવા-છપાવા-વંચાવા માંડ્યું. સ્ત્રી સાઇકલ ચલાવે તોય હાહાકાર મચી જતો. ‘વિક્ટોરિયન’ યુગ એ ઇંગ્લેન્ડનો કદાચ સૌથી વધુ દંભપ્રચુર ગાળો હોવાથી એ ગાળાના સર્જકોને વીસમી સદીના અર્ધભાગ સુધી અવગણવામાં આવ્યા હતા. બ્રાઉનિંગ પણ એમાંથી બચ્યા નહોતા પણ કાળક્રમે એમની કાવ્યશક્તિ અને મૌલિકતા વધુને વધુ પ્રસંશા પામતા ગયા અને આજે એ નિઃશંકપણે મહાન સર્જકોમાંના એક ગણાય છે. નાટ્યાત્મક એકોક્તિ (Dramatic monologue) યુક્ત કથનશૈલીના એ ખાં હતા. રોમાન્ટિસિઝમ કાવ્યશૈલીના એ હિમાયતી હતા.એમના સમયની શૃંગારુ-કાવ્યશૈલીની સામે સરળતા અને લયાત્મક્તાને એમણે પ્રાધાન્ય આપ્યું. પ્રેમ, ફિલસૂફી, રમૂજ-કાળો કટાક્ષ, સામાજિક નિસ્બત અને ઇતિહાસ એમની કવિતાઓમાં વેરાયેલા જોવા મળે છે. પ્રેમકાવ્યોમાં ટૉ બ્રાઉનિંગની કાવ્યશક્તિ શીર્ષસ્થ છે. જિંદગીમાં પહોંચબહારનું કંઈક ‘ઉચ્ચ’ હાંસિલ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએની એમની માન્યતા એમના સર્જનમાં સતત દેખાય છે. એ કહે છે, ‘આપણી મહત્ત્વકાંક્ષાઓ જ આપણી શક્યતાઓ છે.’ છંદોલયની રમતના એ બેતાજ બાદશાહ હતા. એમના શબ્દભંડોળ અને ભાષકર્મની નજીક ભાગ્યે જ કોઈ પહોંચી શકે. એ કહેતા, ‘ધ્યેય, હાંસિલ થાય કે ન થાય, જિંદગીને મહાન બનાવે છે: શેક્સપિઅર બનવા મથો, બાકીનું કિસ્મત પર છોડી દો.’

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો ૮ પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, ૩-૩-૪-૪-૫-૫-૫-૩ મુજબ પ્રયોજાયા છે. બીજો લાંબો અંતરો ૧૨ પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે. પ્રાસરચના બંને અંતરામાં અલગ-અલગ અને અટપટી લાગે છે પણ કવિતાને ૮-૧૨ના બદલે ૧૦-૧૦ના બે ભાગમાં વહેંચી નાંખીએ તો વિચિત્ર લાગતી પ્રાસરચના સરળ ભાસવા માંડે છે: અ-બ-અ-બ/ક-ક/ખ-ખ/ગ-ગ. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના ગુજરાતી અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ અહીં કર્યો છે.

‘હોમ-થોટ્સ ફ્રોમ અબ્રોડ’ લખનાર બ્રાઉનિંગે જ સાત જ પંક્તિની એક કવિતા ‘હોમ-થોટ્સ ફ્રોમ ધ સી’ પણ લખી છે, જેનો ધ્વન્યાર્થ જોકે અલગ જ છે. જો કે એમાં પણ “Here and here did England help me: how can I help England?” (અત્રે-તત્રે બધે ઇંગ્લેન્ડ મને મદદરૂપ થયું હતું, હું શી રીતે ઇંગ્લેન્ડને મદદ કરી શકું?)–એમ વતન માટેની પ્રેમભરી ચીસ તો નીકળે જ છે. જો કે અડધી જિંદગી ઇટાલીમાં વિતાવનાર બ્રાઉનિંગ અન્ય એક કવિતા -De Gustibus- માં આમ પણ લખે છે: ‘મારું હૃદય ઊઘાડો અને તમે જોઈ શકશો કે અંદર કોતર્યું છે, ‘ઇટાલી’. અમે એટલા જૂના પ્રેમી છીએ: એ પહેલાં પણ કાયમ જ (કોતરેલું) હતું, અને કાયમ જ (કોતરેલું) રહેશે.’

શીર્ષક ન આપ્યું હોય તોય કવિતા શેની છે એ તરત સમજી શકાય છે એટલે શીર્ષક અહીં કવિતામાં પ્રવેશવાનો ઉંબરો બનવાના બદલે ઘર કોનું છે એ નિર્દેશતી નેઇમ્પ્લેટ માત્ર બનીને રહી જાય છે. આપણામાંથી બહુ ઓછા એવા હશે જે ઇચ્છતા હોય કે એમની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ હોય. પણ અભ્યાસ, આજીવિકા કે અન્ય કોઈપણ કારણોસર ઘણાં લોકોને ટૂંકા-લાંબા ગાળા કે કાયમી ધોરણે પણ ઘર યા વતનવિચ્છેદ ભોગવવાનું નસીબ થતું હોય છે. બ્રાઉનિંગ કહે છે, ‘જેટલા આઝાદ આપણે દેખાઈએ છીએ, એટલા જ વધુ સાંકળથી બંધાયેલા છીએ!’ ખલિલ જિબ્રાન કહે છે, ‘અને એકલા અને માળા વગર જ ગરુડે સૂર્ય તરફ ઊડવાનું છે.’

માળો ત્યજી ગયેલા આવા કોઈક પંખીને માળો ફરી યાદ આવ્યો છે. કેલેન્ડરનું પાનું ફર્યું છે અને એપ્રિલ દૃષ્ટિગોચર થયો નથી કે નાયક વતનની યાદોમાં ખોવાઈ જાય છે. એપ્રિલ એટલે વસંતની શરૂઆત અને ઇંગ્લેન્ડની આબોહવાની વિષમતા જેણે વેઠી હોય એ જ સમજી શકે છે કે ઇંગ્લેન્ડમાં વસંત એટલે શું અને એવામાં ઇંગ્લેન્ડમાં હોવું એટલે શું ! ‘ઍઝ યુ લાઇક ઇટ’માં ‘આહ, હવે જ્યારે હું આર્ડનમાં છું, હું વધુ પાગલ છું; જ્યારે હું ઘરે હતો, હું વધુ સારા સ્થળે હતો; પણ મુસાફરોએ સંતોષી હોવું જોઈએ’ કહેતો શેક્સપિઅર ‘કિંગ હેનરી પાંચ’માં ‘…તો પછી ઇંગ્લેન્ડ તરફ’ જ કહે છે. વસંત એવો સમય છે જ્યારે વિશાળકાય એલ્મ વૃક્ષની નીચામાં નીચી ડાળીઓ કે એની છાંયમાં ઊગી આવેલ ઝાડી-ઝાંખરાં પણ નાનીનાની પાંદડીઓથી નવપલ્લવિત થઈ રહ્યાં છે. કોકિલ પંચમસૂર આલાપી રહ્યા છે. પણ આ બધું જે કોઈ પાસે નાયક જેવી પારખુ નજર હોય કે બ્રાઉનિંગ જેવા રોમાન્ટિસિઝમના આરાધકને જ નજરે ચડે છે.

મે મહિનામાં તો વસંત પરાકાષ્ઠાએ પહોંચશે. નાના-મોટા પંખીઓ સૂરાવલિઓ રેલાવશે. ‘સાંભળ’ કહીને કવિ ભાવકને કાન સરવા કરવા ઇજન આપે છે. ફળોથી લચી પડેલું નાસપતિનું ઝાડ નીચે ફૂલ અને ઝાકળ પાથરીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવામાં ખેતરમાં દવા છાંટવાના પંપની વાંકી નળી પર બેઠેલી ચકલી હર્ષવિભોર થઈ ગીત ગાય છે અને ક્યાંક તમે એમ ન માની બેસો કે એ વસંતના વૈભવથી અને આનંદથી બેફિકર છે એટલે એ ગીત ફરીથી દોહરાવે પણ છે. ઝાકળ સૂકાઈ રહ્યું હોય કે થીજી રહ્યું હોય તો બપોર સુધીમાં તો વાસી લાગવા માંડે છે પણ બપોર થતાં જ બટરકપના નાનાં-નાનાં પીળાં ફૂલો –જે ભેગાં કરવાં બાળકોની પ્રિય રમત છે- ખીલી ઊઠીને ખેતરનું વાતાવરણ જ આખું બદલી દે છે. ઇંગ્લેન્ડથી દૂ…ર કવિ જ્યાં છે, ત્યાં પણ તડબૂચના પીળાં ફૂલ ખીલ્યાં જ છે પણ વતનના ફૂલ અને વતનની ધૂળ… ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.’ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?!

જિબ્રાન કહે છે, ‘તમારું ઘર લંગર નહીં, કૂવાથંભ હોવું જોઈએ; ઘાને ઢાંકી દેતું ચળકતું પડ નહીં પણ આંખનું રક્ષણ કરતું પોપચું હોવું જોઈએ.’ જી.કે. ચેસ્ટરટને ખૂબ સરસ વાત કરી હતી, ‘હવે એ એનું ઘર હતું. પણ એ એનું ઘર નહીં બની શકે જ્યાં સુધી એ ત્યાંથી ગયો નથી અને પરત ફર્યો નથી.’ ઘર છૂટે ત્યારે જ એની કિંમત સમજાય. જિબ્રાનના કહેવા મુજબ ‘પ્રેમ એની ઊંડાઈ જાણતો જ નથી, જ્યાં સુધી જુદાઈની ઘડી આવતી નથી.’ વતનથી દૂર થવાનું થાય ત્યારે જ વતન શું હતું એની સમજણ પડે છે.

ગીત લખાયું એ અરસો ઇંગ્લેન્ડના ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો તબક્કો હતો અને સેંકડો-હજારો લોકોએ પેટિયું રળવા ઘરબાર છોડ્યા હતા અને આ બધા પોતાની કલ્પનાના એ જ ‘ગામઠી’ અને વધુ ‘પ્રાકૃતિક’ ઇંગ્લેન્ડની યાદોમાં જ જીવતા હતા, જીવવા માંગતા હતા. બ્રાઉનિંગ જો કે આ ગાડરિયા પ્રવાહનો હિસ્સો નહોતા અને એમની રચના અને વતનપ્રેમ વધુ નૈસર્ગિક હોવાનું પણ અનુભવાય છે. આ વતનપ્રેમ જોકે એટલો પ્રબળ પણ નથી કે સાંકળ તોડીને વતન પરત ફરી શકાય. ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત, કહે છે, જ્યારે વિદેશી થિએટરમાં ભારતીયો જોતાં ત્યારે આખું થિએટર ધ્રુસકે ચડતું, લોકો પૈસા ફેંકતા, પણ કેટલા લોકો વિદેશ છોડીને સ્વદેશ પરત ફર્યા હશે?

ગ્લૉબલ કવિતા: ૩૮: આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

આખરી દેવતાઓ

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસમાંની એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ કડક થયો છે
દૈવી પ્રવાહીથી નહીં પણ લોહીથી.
તેણી એને પકડે છે અને ચૂસીને
વધુ કડક બનાવે છે. પેલો ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહી હતી,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને કંપકંપી ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયાં હતાં એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

સંભોગથી સમાધિ તરફ લઈ જતું નિર્વસનતાનું મહાગાન

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રોએ જે ઘડીએ તન ઢાંકવાનું શરૂ કર્યું, આપણાં મન પર પણ પરદા પડી ગયા. માણસ અને પ્રકૃતિ વચ્ચે ભેદ સર્જાયો. માણસ માણસથી પણ દૂર થઈ ગયો. દુનિયામાં ઘણી જગ્યાએ મનુષ્યો ન્યુડિસ્ટ કૉલોની કે ન્યુડ બીચ ઊભાં કરીને ફરીથી પ્રકૃતિની નજીક જવાની કોશિશ પણ કરે છે પણ કોઈ સાંધો કે રેણ આ ભેદ દૂર કરી શકવા સમર્થ નથી. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. વસ્ત્રોની સરહદની પેલે પારના કોઈક કલ્પપ્રદેશની કવિતા અમેરિકાના ‘સોશ્યલ વૉઇસ’ બની ગયેલા કવિ ગાલવે કિન્નલ લઈને આવ્યા છે.

ગાલવે કિન્નલ. અમેરિકામાં રહોડ આઇલેન્ડ પર જન્મ(૦૧-૦૨-૧૯૨૭).બાળપણથી જ એડગર એલન પૉ અને એમિલિ ડિકિન્સનથી પ્રભાવિત અને એમની જેમ જ એકાંતપ્રિય અને ખાસ્સા અંતર્મુખી. એમ.એ. સુધીનો અભ્યાસ. બાર્બરા બ્રિસ્ટોલ સાથે લગ્ન. વિશ્વપ્રવાસી. યુરોપ અને મધ્યપૂર્વમાં વર્ષો ગાળ્યાં. બે વર્ષ અમેરિકન નૌકાદળમાં સેવા પણ બજાવી. ઇરાનમાં પત્રકારિત્વ પણ કર્યું. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનના પ્રોફેસર અને અમેરિકન અકાદમી ઓફ પોએટ્સના ચાન્સેલર. વિશ્વભરની યુનિવર્સિટીઓમાં કવિતા શીખવતા. કોંગ્રેસ ઓફ રેસિયલ એક્વલિટી (CORE)-વંશીય સમાનતાના સક્રિય કાર્યકર, એ માટે એકવાર જેલવાસ પણ ભોગવ્યો. વિયેટનામ યુદ્ધ વખતે સરકારનો ભારે વિરોધ કરી યુદ્ધ-કર ન ભરવાની ચળવળના પ્રણેતાઓમાંના એક. પુલિત્ઝર પ્રાઇઝ, નેશનલ બુક એવૉર્ડ જેવા અનેકાનેક ખિતાબ-અકરામોથી નવાજિત. ૮૭ વર્ષની ઊંમરે લ્યુકેમિયાના કારણે ૨૮-૧૦-૨૦૧૪ના રોજ એક યુગ અંત પામ્યો.

યુ-ટ્યુબ પર એમના પ્રભાવશાળી કાવ્યપઠનની ક્લિપ્સ સાંભળવા જેવી છે. એ કહેતા કે, ‘કોઈ કવિતા નહીં લખે, જો આ વિશ્વ સંપૂર્ણ હોય.’એમના મિત્ર સી.કે.વિલિયમ્સના મત મુજબ,‘કિન્નલની કવિતા તમારી ભીતર એક માંદગી –સિન્ડ્રોમ ઑફ ધ સિંકિંગ હાર્ટ – જન્માવે છે. તમે કવિતાની મૌલિકતા, ઊંડાઈ-પહોળાઈ, કાબેલિયત, ચાતુર્યથી ઘાયલ થઈ જાવ છો. આવી કવિતા એણે કેવી રીતે લખી? હું તો આવું કદી લખી નહીં શકુંની ઈર્ષ્યા ઘેરી વળે છે. પણ પછી તમે એના ગાઢ પ્રેમમાં ગિરફ્તાર થઈ જાવ છો.’ બીજા વિશ્વયુદ્ધ પછીના અમેરિકાના સહુથી વધુ વખણાયેલા-વંચાયેલા-ચર્ચાયેલા કવિઓમાંના એ એક છે. રોજિંદી જિંદગીના અનુભવોને એ બૃહદ ફલક પર કાવ્યાત્મક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બળો સાથે સાંકળે છે. મુક્ત પદ્યશૈલીમાં એ આપણા મનોજગતના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોને યથાર્થ આલેખી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને મનુષ્યજીવનના સમતુલનને એ હળવે હાથે સ્પર્શે છે.

‘આખરી દેવતાઓ’ પણ મુક્ત કવિતા છે. આ નિર્વસનતાનું, પારદર્શિતાનુંગાન છે. કપડાંના નિયમો ફગાવીને જ પ્રારંભાતી આ કવિતા છંદ-પ્રાસ કે અંતરાની કાખઘોડી વિના જ ઊભી રહી શકે છે.કવિતાનું શીર્ષક ‘આખરી દેવતાઓ’ વિચાર માંગે છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓએ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે. ઓશો રજનીશે તો સંભોગથી સમાધિ સુધી જવાનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો હતો.

નગ્નતાને સ્વીકારવા માટે હિંમત કરતાં પણ વધુ તો બાળસહજ નિર્દોષતા જોઈએ. નાનો બાળક જ ‘રાજા નાગુડિયો’ કહીને બૂમ પાડી શકે. આપણે ત્યાં ‘અંજળપાણી’ની જેમ જ ‘નગ્ન સત્ય’ ખોટો શબ્દપ્રયોગ રુઢ થયો છે. સત્ય તો નગ્ન જ હોય ને? આડંબરથી પર જ હોય ને? અને સત્યનો પ્રકાશ લાધે ત્યારે માણસ વસ્ત્રોથી પર અને પાર થઈ જાય છે. ‘યુરેકા’ કહીને આર્કિમિડિઝ શહેરની ગલીઓમાં નિર્વસ્ત્ર દોડી નીકળ્યો એ એનું ગાંડપણ નહોતું, સત્યના પ્રકાશથી એ ચકાચૌંધ થઈ ગયો હતો.જૈનોમાં એક સંપ્રદાય દિગંબર છે, જેને વેદોમાં ‘વાતરશના’ કહે છે. ‘દિશાઓ છે વસ્ત્રો જેનાં તે’ એમ દિગંબરનો બહુવ્રીહિ સમાસ શાળામાં ભણતાં ત્યારે આ શબ્દના ઊંડાણનો અહેસાસ સુદ્ધાં નહોતો. જે માણસ બધું જ ત્યાગી દે છે એને વસ્ત્ર પણ બોજ લાગે છે. બધું ત્યાગી દેનાર જ ઈશ્વરની નજીક જઈ શકે છે. એ વાત અલગ છે કે લોકો વસ્ત્રો પહેરીને દિગંબર મહારાજસાહેબના આશીર્વાદ લેવા જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જે નીતિને માત્ર સારામાં સારા વસ્ત્ર તરીકે જ પહેરે છે એ દિગંબર રહે તો સારું.’ કુંભમેળામાં પણ નાગા બાવાઓનો એક વિશાળ સમુદાય છે. નાગા બાવાઓનો એક પંથ ભરૂચ નજીકના અવાખલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. કહે છે કે લાવ લુશી નામના શૈવપંથીએ વીરશૈવ નાગાઓની પરંપરા ત્યાંથી આદરી હતી. વસ્ત્રોથી આઝાદી એ અપરિગ્રહનું પ્રથમ પગથિયું છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પેટની ભૂખ એ પ્રાથમિક ભૂખ છે. નિર્વસ્ત્રતા અહીં સાહજિક અને એટલી બધી નૈસર્ગિક છે કે એ આદિમ ભાવોને પણ સીધી ઉજાગર નથી કરતી. ટૂંકા વાક્યમાં ગતિપૂર્વક કવિ કહે છે, ‘પેલી બોલાવે છે. આ ફરે છે.’ નગ્નતા આડંબરનો અવકાશ જ શૂન્ય કરી દે છે. सीधी बात। नो बकवास। આદિમભાવથી પ્રેરિત નાયિકા નાયકને બોલાવે છે. બેરીઝથી વધુ ચડિયાતું કંઈક છે એ હવે નાયકને સમજાય છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. જ્યારે બલિ આવકાર આપે છે ત્યારે એક-એક પગલાંમાં એક-એક લોકને સમાવી લેતા વામનના પગલાંને નાના અમથા માથા પર અટકી જવું પડે છે.

ઘૂંટીભેર પાણીમાં દેખાતા નાયિકાના પ્રતિબિંબને ટુકડા-ટુકડા કરતો નાયક લીલ-પાંદડાં અને કીચડ ફેંદતો આગળ વધે છે ત્યારે દૃશ્યમાન જગત વચ્ચેની આત્મીયતા છતી થાય છે. પ્રતિબિંબ ગમે એટલું સુંદર કેમ ન હોય, એનો નાશ કરીએ તો જ વાસ્તવ હાથમાં આવે. યોનિમાર્ગ ખોલીને સસ્મિત આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં નાયક પેલીની ભૂખનું પહેલાં વિચારે છે. નાયક-નાયિકા તો સાવ નિર્વસ્ત્ર છે પણ નાયિકાના મોંમાં જે બેરી નાયક મૂકે છે એ બેરીએ ધુમ્મસનું ખમીસ પહેર્યું છે. કેવું અદભુત કલ્પન! બેરી પર ચોંટેલું ધુમ્મસ હજી સૂકાયું નથી એના પરથી કલ્પી શકાય છે કે વહેલી પરોઢનો આ સમય હશે. નાયિકાને પણ ઉતાવળ નથી. પેલો વારફરતી બેરીઝ ખવડાવે છે, પેલી ખાય છે. ગ્રીક દેવતા ઇરોઝ પ્રેમનો દેવતા કહેવાય છે અને એ પ્રેમ બાબતમાં કદી ઉતાવળ કરતો દેખાતો નથી. અહીં પણ આ બે મનુષ્યોનું મિલન એ કક્ષાનું છે એ બતાવવા કવિ ઉતાવળ કરતા નથી. સંભોજ અને સંભોગ –આમેય બે પ્રવેશક અને પ્રવેશ સમાવતી સમાન ક્રિયા નથી?

આકાશમાં ચકરાવા લેતાં, મસ્તી કરતાં બે અબાબિલ આ જ બંનેનો સ્નેહ પ્રતિબિંબિત ન કરતાં હોય એમ એકની ઝપટમાં જીવડું આવી જતાં બંને આનંદવિભોર થતાં નજરે ચડે છે. મૂળ કવિતામાં Swallow શબ્દ એકીસાથે ત્રણ પંક્તિઓમાં બીજા ક્રમે આવીને મજાનું ભાવવિશ્વ રચે છે જેમાં પહેલી બે વાર Swallows ક્રિયાપદ તરીકે બેરી ગળવાની પ્રક્રિયા અને ત્રીજીવાર Swallows સંજ્ઞા તરીકે, પક્ષીના નામનિર્દેશન માટે વપરાયું છે. અનુવાદ કરીએ ત્યારે ઘણીવાર આવી નાની-મોટી ચમત્કૃતિઓ કમને પણ ગુમાવવી પડતી હોય છે. પુરુષ ઉત્તેજિત થયો છે. ગ્રીક દેવતાઓની નસોમાં ichor-ઇકરનામનું દૈવી પ્રવાહી દોડતું પણ નાયક મનુષ્ય છે. એનું લિંગ લોહીના ભરાવાથી ઉત્તેજીત થયું છે અને નાયિકા એને ઝાલીને-ચૂસીને વધુ ઉત્તેજીત કરે છે.

સેક્સનો સમાજમાં ફેલાવો જેટલો આજે છે એટલો આ પૂર્વે ક્યારેય નહોતો. પૉર્નોગ્રાફીથી મોટો કોઈ ધંધો નથી પણ એની સામે એ પણ હકીકત છે કે સેક્સની બાબતમાં આજનો સમાજ જેટલો પછાત, સંકીર્ણ અને રુગ્ણ વિચારધારાથી પીડાય છે એટલો પણ આ પૂર્વે કદી નહોતો. સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. આમેય, વસ્તુ જેટલી વધુ વેચાય એટલું એનું મૂલ્ય ઓછું. સેક્સનું વેચાણ આકાશે ગયું છે ને મૂલ્ય પાતાળે. જુઓ તો, આ નાયક શું કરે છે! પહેલાં એણે બેરી ખવડાવી હવે ઓરલ સેક્સ પામ્યા પછી એ ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. સૃષ્ટિમાં સૌનું આગમન યોનિમાર્ગેથી જ થતું હોવા છતાં, મંદિરોમાં જઈને આપણે યોનિની પૂજા કરતાં હોવા છતાં સ્ત્રીને અને સ્ત્રીના જનનાંગોને બજારકક્ષાનું જે નિમ્નસ્થાન આપણા કહેવાતા અતિમુક્ત સમાજે આપ્યું છે એ કલ્પનાતીત છે.

નાયક પણ મુખમૈથુનનો પ્રતિસાદ એનાથી આપે છે. દ્વૈત અદ્વૈતાય છે. બંનેના આ દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. દેડકો, કાગડો, અબાબિલ – બધા જ ખુશ છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યની સર્વાનુભૂતિ અને અસ્તિત્વનો એકમાત્ર અર્ક છે. પ્રણયમાં કે જીવનમાં સુખ અને દુઃખની પરાકાષ્ઠાએ અનુભૂતિની તીવ્રતા એકસમાન જ હોવાની. પ્રણયમાં દુઃખની ચરમસીમાએ ‘મરીઝ’ પણ ‘મને મારી પ્રેમાળ મા યાદ આવી’ જ કહે છે અને એ જ રીતે માત્ર પ્રેમની ક્ષણોએ જ મનુષ્ય ઈશ્વરની લગોલગ હોય છે એમ ‘બધું જ સમજાવી દેતી’માતૃતુલ્ય આંતર્દૃષ્ટિ પણ પ્રેમની ચરમસ્થિતિએ જ ખૂલે-ખીલે છે.

Last Gods

She sits naked on a rock
a few yards out in the water.
He stands on the shore,
also naked, picking blueberries.
She calls. He turns. She opens
her legs showing him her great beauty,
and smiles, a bow of lips
seeming to tie together
the ends of the earth.
Splashing her image
to pieces, he wades out
and stands before her, sunk
to the anklebones in leaf-mush
and bottom-slime—the intimacy
of the visible world. He puts
a berry in its shirt
of mist into her mouth
She swallows it. He puts in another.
She swallows it. Over the lake
two swallows whim, juke, jink,
and when one snatches
an insect they both whirl up
and exult. He is swollen
not with ichor but with blood.
She takes him and sucks him
more swollen. He kneels, opens
the dark, vertical smile
linking heaven with the underearth
and licks her smoothest flesh more smooth.
On top of the rock they join.
Somewhere a frog moans, a crow screams.
The hair of their bodies
startles up. They cry
in the tongue of the last gods,
who refused to go,
chose death, and shuddered
in joy and shattered in pieces,
bequeathing their cries
into the human mouth. Now in the lake
two faces float, looking up
at a great maternal pine whose branches
open out in all directions
explaining everything.

– Galway Kinnel

ગ્લૉબલ કવિતા: ૩૭ : પિતાજી ઘરે પાછા ફરતા (દિલીપ ચિત્રે) (અનુ. વિવેક મનહર ટેલર)

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળાઈ રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અણબનાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો હાસ્યો કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.
Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. ઓરડા. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. – ઘરની બનાવટમાં પહેલાં ઈંટોની સાથે આ બધા ભાગ ભજવતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર પણ એટલા જ બહોળા અને દિલ પણ એવી જ મોકળાશવાળા. જેમ-જેમ ઘર BHKથી બનવા માંડ્યા, તેમ-તેમ પરિવાર પણ નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ પણ એવા જ સાંકડા થવા માંડ્યા. સાંકડા દિલવાળા પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. આવા એક પરિવારમાં વિધુર, વૃદ્ધ છતાંય કદાચ કમાવા જનાર બાપનું સ્થાન આ કવિતામાં શબ્દોથી નહીં, આંસુઓથી ચિતરે છે દિલીપ ચિત્રે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં પરિવાર મુંબઈ આવી વસ્યો. એમના પિતા એક જમાનામાં આપણે ત્યાં જે સ્થાન કુમારનું હતું, એ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા હતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કાર જ હતું. ૧૬ વર્ષની ઉંમરે તો એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય બની રહેશે. ૨૨ વર્ષની ઉંમરે પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન કર્યા. એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો. કવિ. લેખક. અનુવાદક. વિવેચક. સંપાદક. અચ્છા ચિત્રકાર, ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા પણ. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને જ દેહવિલય.

સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર સર્જકોમાંના એક દ્વિભાષી સર્જક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાં પણ એમણે નોંધનીય પદાર્પણ કર્યું. તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા.

પચાસ અને સાઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે શરૂ કર્યો અને એમાં દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધિનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં આનો મુખ્ય ફાળો હતો. પોતાની દ્વિભાષીયતા માટે તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્’ ભારતના અમર સાહિત્યિક વારસાના તેઓ પ્રખંડ ચાહક-પ્રચારક હતા. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય એ સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’

સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદ-પ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું. આ રચના પણ એમાંની જ એક છે એટલે કાવ્યવિધા અછાંદસ છે. નાટકીય આત્મસંભાષણયુક્ત (dramatic monologue) આત્મકથનાત્મક શૈલી વાપરવામાં આવી છે. પિતાજીના ઘર તરફના પ્રયાણ અને ઘરની અંદરની પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકવા માટે કવિ કવિતાને ૧૨-૧૨ પંક્તિના બે ખંડમાં વહેંચે છે, એટલું જ. ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. કાવ્યમાંના પિતા કવિના પિતા હોઈ શકે, પણ હોય જ એવું બિલકુલ જરૂરી નથી. હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતા res ipsa loquitar જેવી, એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ ન બોલીએ તો ચાલે. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે. કંઈક એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર અહીં આપણને બતાવે છે. મુંબઈ જેવા મહાનગરની આ વાત હશે એ સંદર્ભ ટ્રેન, પરાંઓના ઉલ્લેખ અને કવિના મુંબઈગરા હોવા પરથી સમજી શકાય છે. અપ-ડાઉન કરનારાઓની સાથે પિતાજી પણ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યા છે. મોડી સાંજનો સંધિકાળનો સમય છે.

સંધિકાળ અહીં બેવડા સ્તરે પ્રયોજાયો છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ જ આવી ઊભા છે અને આંખોની જેમ જ નિસ્તેજ થતા જતા સંબંધોથી દુનિયાને દેખી-અણદેખી કરવા મથી રહ્યા છે. આ ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવવા કવિ કવિતામાં રસ્તામાં થોડાથોડા અંતરે માઇલસ્ટૉન્સ આવતા જાય એમ ઠેકઠેકાણે સંદર્ભો મૂકતા જાય છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, નિસ્તેજ આંખો, ભૂખરું પ્લેટફૉર્મ, ફિક્કી ચા, વાસી રોટલી, સ્ટેશન પકડાયા વિનાનો રેડિયો. આ દરેક માઇલસ્ટૉન પર પિતાની જિંદગીની ગમગીની આપણી વધુને વધુ નજીક આવતી જાય છે.

ટ્રેનની આ મુસાફરી રોજિંદી અને યંત્રવત્ છે કેમકે પિતાની આંખો સામેથી એક પછી એક પરાં પસાર થાય છે પણ આંખો ખુલ્લી હોવા છતાં કોઠે પડી ગયેલાં એ દૃશ્યો દેખાતાં નથી. શું હજી આ ઉંમરે પણ એ નોકરી કરતાં હશે? કવિએ આ પ્રશ્ન નથી ઊભો કર્યો, નથી જવાબ આપ્યો. પણ વરસાદના દિવસોમાં, ભીનાં કપડાં, કાદવથી ખરડાયેલો રેઇનકોટ પહેરીને ટ્રેનની મુસાફરી અને કાદવમાં ચાલીને ઘર તરફ સાંજે પરત ફરવાની કવાયત શું ઈંગિત કરે છે, કહો તો! આંખોનું તેજ ઉંમરના કારણે તો ઘટ્યું જ છે પણ ઘરમાં પોતાની હાલતથી વાકેફ હોવાથી નજર વધુ ધૂંધળી પડે છે.

‘મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!’

થેલો પડુ-પડુ થતી ચોપડીઓથી ઠાંસેલો છે. જિંદગીના થેલામાં પણ વરસોના અનુભવના પુસ્તકો ઠાંસી-ઠાંસીને ભરેલા છે અને પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસના કારણે એ પણ જાણે પડુ-પડુ થઈ રહ્યા છે.

ખરી કવિતા તો પિતાનું ટ્રેનમાંથી ઉતરવું એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દ જેવું દેખાય છે એમાં છે. ટ્રેન તો તરત આગળ વધી જવાની, બીજા મુસાફરોને મંઝિલ પહોંચાડવા. પિતા પસાર થઈ જતી ટ્રેન સાથેનો સંદર્ભ ગુમાવી દીધો હોય એમ ભાસે છે. જિંદગીના વાક્યમાંથી પણ એ સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દની જેમ જ ખડી પડ્યા છે ને? ચપ્પલ પહેરીને કાદવમાં ચાલવું કપરું છે પણ એ ઘરે પહોંચવા ઝડપ કરે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘એ ઝડપ કરે છે’ કહીને કવિ પિતાની તત્પરતા નીચે અંડરલાઇન કરે છે.

પણ તત્પરતા શેની છે? ઘરે તો એ જ ફિક્કી ચા, વાસી રોટલી, અને અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ બાપને ઘરવટો આપી દેનારા સંતાનો જ વસે છે. જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતો શ્રવણ, રાજગાદીનો ત્યાગ કરી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.

ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. ગમે એટલી બાહ્ય કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું કપરું છે. પોતાના પૂર્વજોએ પણ આજરીતે પોતાની જાત છેવટ સુધી રેડી દઈને વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. સદીઓ પહેલા સાંકડા ખૈબર ઘાટમાં થઈને ભારતવર્ષ પર ચડી આવેલા આર્યોનો આ સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા ચિત્રમાં પ્રાણ ફૂંકી દે છે અને એક સીધુંસાદું શબ્દચિત્ર ઉત્તમ કાવ્ય બની રહે છે.

ગ્લૉબલ કવિતા : ૩૬ : હું – ચૈરિલ અનવર (અનુ. વિવેક મનહર ટેલર)

I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

હવે મારો અંત હાથવેંતમાં છે એવો પૂર્વાભાસ થાય એ વખતે માણસના મનમાં કેવા ભાવ જાગતા હશે? બધા કંઈ સહદેવ નથી હોતા પણ જીવનમાં ક્યારેક સહદેવની જેમ માણસને પોતાનું ભવિષ્ય નજરે ચડતું હોય છે. જે રસ્તે પોતે ચાલે છે એનો અંત ક્યાં છે એનો ખ્યાલ ઘણીવાર અંત આવતા પહેલાં જ આવી જાય છે અને નિશ્ચિત મૃત્યુનો અંદેશો થઈ આવે ત્યારે? પ્રસ્તુત કવિતામાં ઇન્ડોનેશિયાના કવિ ચૈરિલ અનવર અંત આગણે આવી ઊભો હોવાની પ્રતીતિ થાય એ વખતના સંવેદન લઈને આવ્યા છે.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. એને એ પણ અંદાજ આવી ગયો હતો કે એનો દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાના ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો જન્મ અને બે જ વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ કે ટી.બી.? અલ્લાહ જાણે! મૃત્યુ બાદ અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. રસીકરણના પૈસા માટે એણે ઊઠાંતરી કરી હોવાનું મનાય છે. પણ ઊઠાંતરીમાં પણ અનવરનો હાથ જાદુઈ ફેરફાર અને પરિણામ સાથે છવાઈ જતો. એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત છે. ટી.એસ. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

જીવતો હતો ત્યારે એની કવિતાઓ મોટાભાગના સામયિકોમાંથી સાભાર પરત થતી. વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં એની કવિતામાં ઊતરી આવે છે. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નવી પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા અને ઉદ્દામવાદી વિચારસરણી, બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યનો પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ જ હોવાની. પણ આ બધી જ મર્યાદાઓથી આગળ મૂળ ભાષા જાણતા જ ન હોય એ ભાવકોને જે-તે ભાષાના સાહિત્યકાર અને સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેનું અનુસર્જન સદા આવકારણીય રહ્યું છે.

જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી અને પછી એ ‘સેમાન્ગત’ (આત્મા) શીર્ષકથી પ્રગટ થઈ હતી. બદલાયેલું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે પ્રથમ શીર્ષક એની પ્રાણશક્તિ નિર્દેશે છે એમ ઇન્ડોનેશિયન સાહિત્યના વિવેચક નેતિ કહે છે. ૧૯૪૩નો સમય એટલે ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય. બીજું, આખી રચના ‘હું’ની છે અને ત્રીજું, ટોળામાંથી ખદેડી મૂકવામાં આવેલા માણસની છે. ત્રણેયમાં લય કે સુનિશ્ચિતતા શક્ય નથી એટલે જ કવિ કદાચ અનિયમિત પંક્તિલંબાઈ, અનિયમિત પંક્તિઓના અંતરાઓ અને અછાંદસ પદ્ધતિ પસંદ કરે છે.

બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતનો યક્ષપ્રશ્ન પણ એ જ હતો કે માણસ એ રીતે જીવે છે જાણે કદી મરવાનો જ ન હોય. પણ અહીં પોતાનો સમય નજીક આવી ગયો છે એ કવિ સમજી ચૂક્યો છે. રચનામાંથી પસાર થતી વખતે સમજી શકાય છે કે કવિ કયા સમયના આવવાની વાત કરે છે. આઝાદીની લડતના સમયે કવિતા લખાઈ છે અને કવિ પોતે ગરીલા સૈનિક તરીકે પણ લડી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સ્પષ્ટ થાય છે. આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે જ હોય એવું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ જ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કવિનો આ મિજાજ કવિતા ઉઘડતાવેંત જ સંભળાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. નાયક જેને સંબોધીને વાત કરી રહ્યો છે એનું રૂદન પણ એ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ એ જ કહે છે કે રડવું બિલકુલ જરૂરી નથી.

કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકપક્ષ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ ચૈરિલનો સ્વભાવ જ બંડખોર હતો. એ ટોળાંમાંનો એક કદી હતો જ નહીં. ઇન્ડોનેશિયાના સમાજ અને જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી જે છૂટો પડે એ કચડાઈ જ જાય, બહુ ઓછાં આગળ વધી શકે, અને ભાગ્યે જ કોઈ આ એકાકી અવસ્થામાં બચી જઈ શકે. અનવર બિલકુલ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાવું પોતાના માટે કેટલી ગૌણ બાબત છે એની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ આ શીર્ષકને બાદ કરતાં કવિતાની તેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. જીંથરીની ટીબી હોસ્પિટલમાં દાખલ રાવજીને નાની વયે ખાતરી થઈ ચૂકી હતી કે હવે મરણ ઢૂંકડુ છે. એ શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહે છે. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે. નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે.

બાણથી છેદાઈ ગયા પછી ભીષ્મ મૃત્યુની ઇચ્છા કરે છે પણ નાયક ગોળીથી છલની-છલની થઈ જવા છતાં અટકતો નથી. માત્ર ઘા જ નહીં, દર્દોને પણ ઊંચકીને એ આગળ જ વધતા રહેવાની નેમ ધરાવે છે. ઘા તનના હોય છે, દર્દ મનના. અને તન કરતાં મનને ઉપાડવું બહુધા વધુ દોહ્યલું હોય છે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી આવી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ ચીસમાં એટલી બધી વાસ્તવિકતા છે કે હજાર વર્ષ જીવી શકાય કે કેમ એ વાતની અતાર્કિકતા ગજવે ઘાલીને ભાવક પણ પૂરેપૂરો કવિના પક્ષે બેસી જઈને જાણે કે ‘તથાસ્તુ’ ન કહેતો હોય એમ કાવ્યાંતે હળવું સ્મિત હોઠે વસાવીને પોરસાય છે.

એક જગ્યાએ ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વ્યક્તિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ગ્લૉબલ કવિતા : ૩૫ : એક ગીત – ટી.એસ.એલિયટ (અનુ.: વિવેક મનહર ટેલર) A Song

If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

– T. S. Eliot 
એક ગીત
(અ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
માખી જેનું જીવન એક જ દિવસનું છે,
આપણા જેટલું જીવન એણે જીવી લીધું સહી.
પણ જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી તો જીવીએ,
પ્રીત ને જિંદગી જ્યાં સુધી આઝાદ રહી.
સંત કદી સહેમત એમાં નહિ થાય ભલે ને
કાળ તો કાળ જ છે અને એ નક્કી જશે વહી.

(અ-૨, બ-૨)
ફૂલ જે મેં આપ્યાં’તાં તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કંપી રહ્યું’તું વેલી ઉપર,
ગયાં વિલાઈ મધમાખ ઊડી આવે આગળ
કરવા માટે એમાંથી રસપાન મધુર,
સૂકાઈ ગયાં એનો શું કરવો શોક પળેપળ?
નવાં-નવાં નિત ચૂટવાં માટે બનો અધિર,
છો ને ખૂટી ગ્યાં હો કેમ ન પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

(બ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
આ સૂર્ય જેનો થાતો નથી ક્ષય કદીયે,
આપણા લોકોથી જરાયે મહાન નથી.
તો, શા માટે આપણે કદીય એવું પ્રાર્થીએ
કે પ્રેમ આપણો રહે જીવતો સદી-સદી?
પતંગિયુ જે આમ તો એક જ દિવસ જીવે છે,
એ આમ જુઓ તો જીવન જીવી રહ્યું શાશ્વતી.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણા મોટાભાગના સંબંધ આખી જિંદગી વિતાવી લેતા હોય છે. અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયના પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. આ કવિતા સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે. There is a time for all things કહેતો શેક્સપિઅર પણ ટી.એસ.એલિયટની આ કવિતામાં યાદ આવે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. (૨૬-૦૯-૧૮૮૮થી ૦૪-૦૧-૧૯૬૫) વીસમી સદીના દિગ્ગજ કવિઓમાંના સૌથી મોખરેના એક. જન્મ અમેરિકામાં પણ ૨૫ની ઉંમરથી ઇંગ્લેન્ડમાં અને ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો પણ સ્વીકાર. બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર પણ. શાળાશિક્ષક. બેંક ક્લર્ક અને પછી ફેબર એન્ડ ફેબરના સંપાદક અને ડિરેક્ટર. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. વીસમી સદીના સૌથી નોંધપાત્ર સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના ઉલ્લેખ વિના એલિયટનો પરિચય અધૂરો રહી જાય. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવું પડ્યું ને આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે ચૌદ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૭૭ વર્ષની ઉંમરે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા પણ લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે, પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર અને સુધારની. એલિયટના મતે કવિએ આસપાસ બોલાતી ભાષાને જ કવિતાની સામગ્રી તરીકે વાપરવી જોઈએ. એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું અને પહેલું પાસું છે કઠિનતા. કવિતામાં પ્રાસ અને પંક્તિની લંબાઈની અનિયમિતતા, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીની તાકાતને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ તો ગણાયા પણ અઘરા પણ એટલાજ બન્યા. ભલે એમના મતે અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ પણ એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગી લે છે. એલિયટની વિચારધારા, કલ્પનો, ભાષાની લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ એલિયટને હાથમાં લેતાં પહેલાં હોવો જરૂરી છે. પ્રખર બુદ્ધિમતા અને નખશિખ કારીગીરીના સમન્વયના કારણે એમની કવિતાઓ કોઈપણ પ્રકારના સુધારાના અવકાશ વિનાની સંપૂર્ણ લાગે છે. સત્તરમી સદીના જોન ડન જેવા મેટાફિઝિકલ કવિઓ અને ઓગણીસમી સદીના બોદલેર જેવા પ્રતીકવાદીઓ પરત્વેની આસ્થા, એઝરા પાઉન્ડની આધુનિકતા – આ બધું કાયાપલટ પામીને, રસાઈને એલિયટની કવિતામાં આવ્યું ત્યારે જે ફ્લેવર ઊભી થઈ એણે કવિતાની દુનિયામાં ક્રાંતિ સર્જી. ૧૯૩૦ સુધીમાં તો એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની રહી અને પછીના ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનાના બે સંસ્કરણ ઉપલબ્ધ છે: કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે આ કવિતા ૧૯૦૫માં ‘અ લિરિક’ શીર્ષકથી લખી હતી. (બ-૧, બ-૨) ૧૯૦૭માં આ જ કવિતા કોલેજના સામયિક માટે એમણે સુધારીને લખી ત્યારે એક ફકરો બદલી નાંખ્યો હતો (અ-૧, અ-૨), જે જોતાં સમજી શકાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી અ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો પરંતુ એલિયટની માતા, જે પોતે પણ કવયિત્રી હતાં, એમણે કહ્યું કે એમણે લખેલા કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી છે. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર સાફ નજરે ચડે છે. એલિયટે જાતે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

શરૂઆતની કવિતાઓમાંથી જ એલિયટની સમય અંગેની ફિલસૂફી છતી થાય છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી – આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. સોળ વર્ષની ઉંમરે લખાયેલી આ કવિતામાં પણ સમય અને શાશ્વતીના કોયડામાંનો રસ છતો થાય છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માને છે. એ કહે છે કે ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં એક શ્લોક છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (2;12)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આપણું અસ્તિત્વ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહે છે, વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય. જો કે આ કવિતામાં એલિયટ સમય અને અવકાશના અનસ્તિત્વ વિશે સાધુસંતોના પ્રવર્તમાન વિચારોથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું જ યશોગાન કરે છે.

ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે પણ ઘડિયાળ કાંડે બાંધીને આપણે એમ જ માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

‘મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ!’ (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર જોશી પણ કહી ગયા,

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !’

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્ય કહી ગયા તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ એની ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થતું જાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે જો સંતોની વાત માની લઈએ કે સમય અને અવકાશ એ જ વસ્તુ હોય જે કદી હોય જ શકે નહીં, જો સમય અને અવકાશ માત્ર આભાસ હોય, ભ્રમણા હોય, તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ પણ આપણા જેટલું જ જીવે છે એમ કહી શકાય. બીજા પક્ષે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. એમ જ સમય વિનાના સ્થળે લાંબુ-ટૂંકુ, નાનું-મોટું – બધું સરખું જ છે. સમય આપણી જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો જ એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે?

સંતો ભલે સહમત નહીં થાય, કાળ તો બંધ પણ ન બાંધી શકાય એવી નદી છે, એ તો સતત વહેશે જ. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે? કબીર પણ એટલે જ કહે છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ આજ વાત ગંગાસતી કહી ગયા, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ વીજળીનો લિસોટો પ્રકાશ આપતો હોય એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

ખરી કવિતા બીજા અંતરામાં છે. આપણને જ્યારે જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાતા, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ કંઈ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

નિતનવી તક ઝડપવા તૈયાર રહીએ અને નિતનવી તક ન પણ મળે તો જે પણ આપણી પાસે છે એને જ ચાહી-ચાહીને દિવ્યસુંદર કેમ ન બનાવી દઈએ? જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા કવિ આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન નંદનવન છે.