ગ્લૉબલ કવિતા : ૩૬ : હું – ચૈરિલ અનવર (અનુ. વિવેક મનહર ટેલર)

I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

હવે મારો અંત હાથવેંતમાં છે એવો પૂર્વાભાસ થાય એ વખતે માણસના મનમાં કેવા ભાવ જાગતા હશે? બધા કંઈ સહદેવ નથી હોતા પણ જીવનમાં ક્યારેક સહદેવની જેમ માણસને પોતાનું ભવિષ્ય નજરે ચડતું હોય છે. જે રસ્તે પોતે ચાલે છે એનો અંત ક્યાં છે એનો ખ્યાલ ઘણીવાર અંત આવતા પહેલાં જ આવી જાય છે અને નિશ્ચિત મૃત્યુનો અંદેશો થઈ આવે ત્યારે? પ્રસ્તુત કવિતામાં ઇન્ડોનેશિયાના કવિ ચૈરિલ અનવર અંત આગણે આવી ઊભો હોવાની પ્રતીતિ થાય એ વખતના સંવેદન લઈને આવ્યા છે.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. એને એ પણ અંદાજ આવી ગયો હતો કે એનો દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાના ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો જન્મ અને બે જ વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ કે ટી.બી.? અલ્લાહ જાણે! મૃત્યુ બાદ અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. રસીકરણના પૈસા માટે એણે ઊઠાંતરી કરી હોવાનું મનાય છે. પણ ઊઠાંતરીમાં પણ અનવરનો હાથ જાદુઈ ફેરફાર અને પરિણામ સાથે છવાઈ જતો. એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત છે. ટી.એસ. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

જીવતો હતો ત્યારે એની કવિતાઓ મોટાભાગના સામયિકોમાંથી સાભાર પરત થતી. વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં એની કવિતામાં ઊતરી આવે છે. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નવી પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા અને ઉદ્દામવાદી વિચારસરણી, બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યનો પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ જ હોવાની. પણ આ બધી જ મર્યાદાઓથી આગળ મૂળ ભાષા જાણતા જ ન હોય એ ભાવકોને જે-તે ભાષાના સાહિત્યકાર અને સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેનું અનુસર્જન સદા આવકારણીય રહ્યું છે.

જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી અને પછી એ ‘સેમાન્ગત’ (આત્મા) શીર્ષકથી પ્રગટ થઈ હતી. બદલાયેલું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે પ્રથમ શીર્ષક એની પ્રાણશક્તિ નિર્દેશે છે એમ ઇન્ડોનેશિયન સાહિત્યના વિવેચક નેતિ કહે છે. ૧૯૪૩નો સમય એટલે ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય. બીજું, આખી રચના ‘હું’ની છે અને ત્રીજું, ટોળામાંથી ખદેડી મૂકવામાં આવેલા માણસની છે. ત્રણેયમાં લય કે સુનિશ્ચિતતા શક્ય નથી એટલે જ કવિ કદાચ અનિયમિત પંક્તિલંબાઈ, અનિયમિત પંક્તિઓના અંતરાઓ અને અછાંદસ પદ્ધતિ પસંદ કરે છે.

બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતનો યક્ષપ્રશ્ન પણ એ જ હતો કે માણસ એ રીતે જીવે છે જાણે કદી મરવાનો જ ન હોય. પણ અહીં પોતાનો સમય નજીક આવી ગયો છે એ કવિ સમજી ચૂક્યો છે. રચનામાંથી પસાર થતી વખતે સમજી શકાય છે કે કવિ કયા સમયના આવવાની વાત કરે છે. આઝાદીની લડતના સમયે કવિતા લખાઈ છે અને કવિ પોતે ગરીલા સૈનિક તરીકે પણ લડી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સ્પષ્ટ થાય છે. આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે જ હોય એવું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ જ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કવિનો આ મિજાજ કવિતા ઉઘડતાવેંત જ સંભળાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. નાયક જેને સંબોધીને વાત કરી રહ્યો છે એનું રૂદન પણ એ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ એ જ કહે છે કે રડવું બિલકુલ જરૂરી નથી.

કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકપક્ષ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ ચૈરિલનો સ્વભાવ જ બંડખોર હતો. એ ટોળાંમાંનો એક કદી હતો જ નહીં. ઇન્ડોનેશિયાના સમાજ અને જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી જે છૂટો પડે એ કચડાઈ જ જાય, બહુ ઓછાં આગળ વધી શકે, અને ભાગ્યે જ કોઈ આ એકાકી અવસ્થામાં બચી જઈ શકે. અનવર બિલકુલ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાવું પોતાના માટે કેટલી ગૌણ બાબત છે એની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ આ શીર્ષકને બાદ કરતાં કવિતાની તેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. જીંથરીની ટીબી હોસ્પિટલમાં દાખલ રાવજીને નાની વયે ખાતરી થઈ ચૂકી હતી કે હવે મરણ ઢૂંકડુ છે. એ શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહે છે. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે. નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે.

બાણથી છેદાઈ ગયા પછી ભીષ્મ મૃત્યુની ઇચ્છા કરે છે પણ નાયક ગોળીથી છલની-છલની થઈ જવા છતાં અટકતો નથી. માત્ર ઘા જ નહીં, દર્દોને પણ ઊંચકીને એ આગળ જ વધતા રહેવાની નેમ ધરાવે છે. ઘા તનના હોય છે, દર્દ મનના. અને તન કરતાં મનને ઉપાડવું બહુધા વધુ દોહ્યલું હોય છે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી આવી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ ચીસમાં એટલી બધી વાસ્તવિકતા છે કે હજાર વર્ષ જીવી શકાય કે કેમ એ વાતની અતાર્કિકતા ગજવે ઘાલીને ભાવક પણ પૂરેપૂરો કવિના પક્ષે બેસી જઈને જાણે કે ‘તથાસ્તુ’ ન કહેતો હોય એમ કાવ્યાંતે હળવું સ્મિત હોઠે વસાવીને પોરસાય છે.

એક જગ્યાએ ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વ્યક્તિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *