Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા :૭૯ : રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

રાત અને મૃત્યુ
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુ – અજવાળામાં છૂપાઈ ગયેલું અજવાળું?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જે વસ્તુ વિશે આપણે જાણી લઈએ છીએ એ આપણને ડરાવી શકતી નથી પણ જે વસ્તુ વિશે આપણે પૂરતું જાણી શકતા નથી એ ડર બનીને આપણા મનોમસ્તિષ્કનો કબજો લઈ લે છે. ઈશ્વર વિશે આપણે કંઈ જાણતા નથી એટલે આપણે ડરીએ છીએ. માનવીના મનમાં જો ઊંડે ઊંડેથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય જ નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. જે ક્ષણે માણસ ગુનો આચરે છે એ એક ક્ષણ પૂરતો એ ઈશ્વર-પાપ-નરકના ડરથી સંપૂર્ણ મુક્ત હોય છે. જે ક્ષણે એનો ડર પરત ફરે છે, એ પ્રાયશ્ચિત કરવા બેસે છે. અંધારાનું પણ આવું જ છે. તમારી પાસે પ્રકાશનો કોઈપણ પ્રકારનો સ્રોત ન હોય તો અંધારામાં છાતીના પાટિયા બેસ્યા વિના નહીં જ રહે. ગાઢ જંગલમાં જ્યાં ચાંદતારાનો ટીપું પ્રકાશ પણ પહોંચી ન શકે અને પોતાનો હાથ પણ દેખી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી તમે પસાર થઈ શકો ખરા? મૃત્યુ પણ આવો જ એક ડર છે. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલું જ અકળ પણ છે. મૃત્યુ પામ્યા પછી કોઈ આપણી સાથે પોતાનો અનુભવ વહેંચવા પરત ફરી શકતું નથી. મૃત્યુ વિશે આપણે જે કંઈ લખ્યું-વાંચ્યું છે એ બધું જ કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ જોસેફ વાઇટ આજ અંધારા અને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પેનિશ પણ કર્મે અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પેનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પેન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પેનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગવા માંડ્યા. કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. છેવટે ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં એમની અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે પડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા અને એ એમની રચનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી એમણે ‘લેટર્સ ફ્રોમ સ્પેન’ પુસ્તક લખ્યું જેમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય હતો. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવ્યે રાખતા. સરલ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બને છે.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

રચનાની દૃષ્ટિએ ચૌદ પંક્તિની આ કવિતા સૉનેટના બે મુખ્ય પ્રકાર પેટ્રાર્કશાઈ અને શેઇક્સપિરિઅન સૉનેટની ભેળસેળ છે. ત્રણ ચતુષ્ક અને યુગ્મકની ગોઠવણ તથા યુગ્મકની પ્રાસ રચના (ગ-ગ) શેઇક્સપિરિઅન સૉનેટ પ્રકારની છે; જ્યારે પહેલી બાર પંક્તિની પ્રાસરચના અ-બ-બ-અ/અ-બ-બ-અ/ક-ખ-ક-ખ પેટ્રાર્કશાઈ સૉનેટ મુજબની છે. પેટ્રાર્કશાઈ સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે પંક્તિવ્યવસ્થા હોય છે. છંદ અંગ્રેજી ભાષામાં મહદ અંશે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર જ છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. કવિતાનું શીર્ષક ‘રાત્રિ અને મૃત્યુ’ અગોચર તરફની કવિતાની ગતિ તરફ આપણને તૈયાર કરે છે. રાતનું અને મૃત્યુનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક માત્ર એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. રાત અને મૃત્યુ બંનેમાં એકમાત્ર નિશ્ચિત બાબત અનિશ્ચિતતા છે. એ અર્થમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

અઢારમી સદીનો પૂર્વાર્ધ એ યુરોપમાં કળામાં ‘રોમેન્ટિસિઝમ’ની ચરમસીમાનો હતો. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ કળામાં ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા અને ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ એમની આ રચનામાં એની અસર સ્પષ્ટ નજરે ચડે છે. આ પ્રણાલિકાના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ અને પછી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા દરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જે પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હાયમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. આ એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી તથા મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ આપણી નજર સમક્ષ આવી ચડે છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા એ કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. કવિ આદમની જિંદગીમાં પહેલવહેલીવાર આવેલી રાતની વાત કરે છે. માનવજાતે જે ક્ષણે જિંદગીની પ્રથમ રાત અનુભવી હશે એ ક્ષણની આ વાત છે. આજની રાત પૂર્વે આદમે કદી રાત જોઈ જ નથી. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે, રાતને જોઈ છે. રાત સાથે એનો કોઈ જ પૂર્વપરિચય નથી. એને અંતઃસ્ફુરણા થાય છે કે આ અંધારું આખી દુનિયાનો અને એનો પોતાનો પણ અંત આણશે. ઉજાસ અને આસમાની રંગથી ભરેલી આ ભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે. આ પહેલાં એનો પરિચય માત્ર અજવાળા સાથે જ હતો. પ્રથમ પરિચય, પ્રથમ મુલાકાત, પ્રથમ અનુભૂતિની તો વાત જ અલગ.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી જાણે કે શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યના આથમવાની સાથે જ અંધારી રાત ઊતરી આવી અને રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અને અગણ્ય તારામંડળો લઈને આવે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું બધું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને મનુષ્યને પ્રકૃતિનું સર્જન કેવડું વિશાળ છે એનો પ્રથમ અહેસાસ થાય છે. ટૂંકમાં કહીએ તો દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં મનુષ્યની દૃષ્ટિ ઊઘડે પણ છે અને વિકસે પણ છે. આ જ તો કુદરતની કરામત છે અને કુદરતની આવી કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘ઓ સૂર્ય!’ એમ સીધું જ પૂછે છે કે તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે. જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાની-નાની વસ્તુઓને પણ તેં તારા અજવાળામાં છતી કરી દીધી છે અને એક એવો ભ્રમ ઊભો કર્યો છે કે અજવાળામાં બધું જ દેખી શકાય છે પણ હકીકત એ છે કે તારું અજવાળું આકાશની ભૂરી તેજસ્વી છતને અને એ છતમાંથી ઝળુંબતા અગણિત ગ્રહો-રત્નોની હાજરીની બાબતમાં મનુષ્યને ધોળેદહાડે અંધાપો આપે છે. ચાંદ-તારા કંઈ સૂર્ય ઊગતા ગાયબ નથી થઈ જતાં, એ તો છે જ. એ તો જ્યાં હતાં ત્યાં જ રહીને પોતપોતાના પરિભ્રમણોમાં રત છે પણ અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ જાય છે. આમ, જેને આપણે અજવાળું સમજીએ છીએ એની અંધારી બાજુ અને એ અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ખરા અંધાપાને કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. કેવી અદભુત વાત! કવિતા અહીં પૂર્ણ કરી દીધી હોય તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકે એવી આ વાત છે. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને પણ બીજું નિશાન તાકવા ઇચ્છે છે.

કાવ્યાંતે કવિ પોતાને જે વાત કરવી છે ત્યાં લઈ આવે છે. ‘રાત્રિ અને મૃત્યુ’ની વાત કરતી વખતે ચૌદમાંથી બાર પંક્તિ કવિ રાત્રિના નામે કરે છે અને મૃત્યુના નામે માત્ર આખરી દોઢ જ પંક્તિ કરે છે પણ કવિતા પૂરી થતાં જ સમજાય છે કે આખી કવિતા મૃત્યુને સંદર્ભે જ છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, નફરત કરીએ છીએ કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો કોઈનેય ખબર નથી જ પણ એ આપણને જ્યાં પણ લઈ જાય છે ત્યાંથી કોઈ પરત આવી શકતું નથી, આવી શક્યું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. પ્રકાશ ખુદ ઊઠીને જો છેતરી શકતો હોય, આપણને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે આપણને ન છેતરે? જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી. કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો ઊઠતો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

જે દેખાય છે એ જોવામાં મશગુલ થઈ જતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની જે બાજુ આપણને દેખાય છે એને જ એકમાત્ર બાજુ ગણીને ચાલવું એ જ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે જે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એ નરી આંખે ન દેખાય ત્યાં સુધી એને નકારતા રહેવું એ જ આપણી સાચી પ્રકૃતિ છે. મૃત્યુને પણ આપણે એ જ રીતે જાણે આવવાનું જ નથી એમ અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ જ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજ સુધી પહોંચે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ગ્લૉબલ કવિતા : ૭૮ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora

નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ જ વર્ષનો એક ટાબરિયો સાવ એકલો મેક્સિકોની સરહદ પર, જેને એ લોકો ‘લાઇન’ કહે છે, આવી ઊભો હતો અને સામેની બાજુએ ફેલાયેલા અમેરિકાને એકતક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. છોકરાનો બાપ એ માત્ર એક જ વર્ષનો હતો ત્યારે અને મા એ પાંચ વર્ષનો હતો ત્યારે સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યા હતા. લેટિન અમેરિકાના એલ સાલ્વાડોર શહેરમાંથી મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ ગ્વાટેમાલાથી જ પરત વળી ગયા હતા. ત્યાંથી મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. બસ, અહીંથી જાવિએર ઝામોરાની આ કવિતા શરૂ થાય છે.

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતા સાલ્વાડોરના ગૃહયુદ્ધના પ્રતાપે મા-બાપ નાનપણમાં જ હિજરત કરી ગયાં. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગી જવું પડ્યું. નોકરી મેળવવા માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થવું નહોતું અને એ વિના નોકરી મળવી જ શક્ય નહોતી એ ખાતરી થતાં માતાએ પણ દેશ છોડવો પડ્યો. નવ વર્ષની ઉમરે જાવિએર કોઈ સાથી વિના સાવ એકલા જ ક્યારેક બસમાં, ક્યારેક બોટમાં, ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી નાની-નાની કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક આપ્યા બાદ ગયા વર્ષે ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘’પ્રતિકારની કવિતાઓ’ કહીને બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો. પાબ્લો નેરૂદાની કવિતાઓએ એમના અતૃપ્ત આત્માનો કવિતા સાથે મેળ કરાવી આપ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરે છે, તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. માણસે ઘરની હદ નક્કી કરી, ગામની હદ નક્કી કરી, રાજ્યની હદ નક્કી કરી, દેશની હદ નક્કી કરી અને આ ભૌતિકતામાં તો પૂળો મૂકો, માણસે લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કઈ હદ નક્કી નથી કરી એ કહો. આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. આ કવિતા વિશે કવિ પોતે લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક પરથી સમજી શકાય કે દેશની વાત હશે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે.

દુનિયા આખીના પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સરકાર ને સરકારના વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એક સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સાફ સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈને ક્યારે વાગોળાઈ પણ ગયા એ સમજી શકીએ એ પહેલાં કવિતા પાણીના રેલાની જેમ આગળ વધતી જાય છે. દર વખતે પાછળ છૂટી ગયેલ વાક્ય કે શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી જ છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા અને આ દુઃખ તો છીંડા પાડીને સતત વાડાઓમાં પ્રવેશતું રહ્યું પણ સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા જ કર્યું. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી કહે છે કે આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી? ઝામોરીની આ કવિતા નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા : ૭૭ : ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મહામાનવ ટાગોર: જીવન અને કવન

પવનમાં મંદમંદ ફરફરતી શ્વેત દાઢી, ઘટાદાર ધવલ કેશજટા, સીધી હૃદયમાં જ ઊતરી જાય એવી પાણીદાર છતાં કરુણાસભર આંખ અને ઘેરો મીઠો અવાજ… વીસમી સદીનો આ સંતકવિ ખુલતો ઝભ્ભો પહેરી ચાલવા નીકળતો ત્યારે સૃષ્ટિ પણ એમના સૌંદર્યનું આચમન કરવા બે ઘડી થંભી જતી. રવીન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં રબીન્દ્રનાથ ઠાકુર. ઓગણીસમી સદીમાં બંગાળમાં જેના પગરણ મંડાયા એવા ઉપનિષદ આધારિત હિંદુત્વને પ્રમાણતા બ્રહ્મસમાજના અગ્રણી નેતા દેવેન્દ્રનાથ ટાગોરના ઘરે ૦૭-૦૫-૧૮૬૧ના રોજ કલકત્તા ખાતે જન્મ. શરૂનું શિક્ષણ ઘરે જ. માત્ર ૮ વર્ષની વયે એમણે કવિતા લખવી શરૂ કરી હતી. ૧૬ વર્ષની વયે તો ભાનુસિંહાના છદ્મનામથી એમની કવિતાઓ પ્રગટ થવા માંડી. સત્તર વર્ષની કૂમળી વયે વિદ્યાભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા પણ અભ્યાસ પૂર્ણ કર્યો નહીં. ઘરની વિશાળ જાગીરોની દેખરેખ માટે ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. આ કામમાં જોતરાવાના પરિણામે સામાન્ય વર્ગના માણસોના નજદીકી પરિચયમાં આવ્યા જેનો પછીની આખી જિંદગી અને તમામ સાહિત્યસર્જન પર પર ખૂબ વ્યાપક પ્રભાવ રહ્યો. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પણ અવારનવાર જોડાયા. ગાંધીજી એમના નજીકના મિત્ર હતા. પોતાના અરુઢ વિચારો અને નવા સમાજની કલ્પનાઓને સાકાર કરવા માટે એમણે ૧૯૦૧માં શાંતિનિકેતન નામની પ્રાયોગિક સંસ્થા શરૂ કરી, જે આજે બીજમાંથી વટવૃક્ષ બની ચૂકી છે. ૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના કરી. ૧૯૧૫માં બ્રિટીશ સરકારે એમને નાઇટનો ખિતાબ આપ્યો જે ૧૯૧૯માં જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં એમણે પરત કર્યો. ૧૮૮૩માં માત્ર દસ વર્ષની મૃણાલિનીદેવી સાથે એમના લગ્ન થયા. ટાગોર સાચા અર્થમાં બહુશ્રુત પ્રતિભા હતા. કવિ. નાટ્યકાર. વાર્તાકાર. નવલકથાકાર. નિબંધકાર. પ્રવાસકથાકાર. આત્મકથાકાર. વિવેચક. ફિલસૂફ. સમાજસેવક. ચિત્રકાર. સંગીતકાર. રવીન્દ્રસંગીતના પ્રણેતા. પોતાની બંગાળી કૃતિઓના જાતે જ કરેલા અંગ્રેજી અનુવાદોના પરિણામે વિદેશમાં એમની ખ્યાતિ આભને આંબવા માંડી. પાશ્ચાત્ય વિશ્વ માટે એ ભારતના સાહિત્યિક વારસાનો પ્રતિનિધિ અવાજ હતા અને ભારતમાં એ જીવતીજાગતી યુનિવર્સિટી બની રહ્યા. ૦૭-૦૮-૧૯૪૧ના રોજ લાંબી બિમારીના અંતે એમનું દેહાવસાન થયું.

૧૯૧૨માં ઇંગ્લેન્ડ જતી વેળાએ જહાજ પર એમણે પોતાની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર આદર્યું. જહાજમાં સમય પસાર કરવાના એકમાત્ર આશયથી કરાયેલી આ પ્રવૃત્તિ જ્યોતમાંથી સૂર્યનું સ્વરૂપ લેશે એની એમણે કલ્પના પણ નહોતી. લંડનના સબવેમાં એમનો દીકરો ટાગોરની બ્રિફકેસ ભૂલી ગયો પણ કોઈક પ્રામાણિક માણસે એ પરત કરી. ટાગોરના મિત્ર રોથેન્સ્ટાઇનને આ કવિતાઓની જાણ થતાં એમણે જોવા માંગી. ખંચકાતા-ખંચકાતા ટાગોરે એમની નોટબુક એમને આપી. રોથેન્સ્ટાઇનને તો જાણે ધોળે દિવસે તારા દેખાયા. એણે તત્કાલીન મહાકવિ ડબ્લ્યુ. બી. યિટ્સને આ રચનાઓ વાંચવા અનુગ્રહ કર્યો. યિટ્સ તો આભા બની ગયા. એમણે આ રચનાઓની પ્રસ્તાવના લખી અને લંડનની ઇન્ડિયન સૉસાયટીએ આ કવિતાઓ ગીતાંજલિ નામથી પ્રગટ કરી. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી ૧૦૩ કવિતાઓનું ચયન કરીને એમણે આ પુસ્તક સર્જ્યું. પાશ્ચાત્ય દેશોમાં પુસ્તકે રાતોરાત ધમાલ મચાવી દીધી. આ અગાઉ પાશ્ચાત્ય વિશ્વે આવું કશું વાંચ્યું જ નહોતું. ૧૯૧૩માં ગીતાંજલિ માટે સાહિત્યનું નૉબેલ પારિતોષિક એમને એનાયત કરવામાં આવ્યું. શાંતિનિકેતનમાં કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. આવું વિરાટ બહુમાન ખાટનાર એ ન માત્ર પ્રથમ ભારતીય હતા, પ્રથમ બિનયુરોપીય નાગરિક પણ હતા. ટાગોર પહેલાં અને ટાગોર પછી પણ કોઈ ભારતીય સાહિત્યકારને આ બહુમાન આજદિનપર્યંત પ્રાપ્ત થયું નથી.

નોબેલ પારિતોષિકની વેબસાઇટ પર ટાગોરની કવિતાઓ માટે લખાયું છે: ‘એમની ગહન સંવેદનશીલતા, તાજગી અને સૌંદર્યસભર કવિતાઓ, જેના વડે, કુશળ કૌશલ્યસહિત, એમણે પોતાના કાવ્યાત્મક વિચારોને, જે એમના પોતાના અંગ્રેજી શબ્દોમાં અભિવ્યક્ત થયા છે, પાશ્ચાત્ય સાહિત્યનો એક હિસ્સો બનાવ્યો છે.’ નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યારે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

કવિવર અને અનેકાનેક સ્ત્રીઓનો સંબંધ પણ હંમેશા ચર્ચાના ચકડોળે રહ્યો. ટાગોર અને ભાભી કાદમ્બરી વચ્ચેનો સ્નેહસંબંધ કુટુંબમાં ચર્ચાવા લાગ્યો ત્યારે એમના પિતાએ કવિવરના લગ્ન માત્ર દસ વર્ષની કન્યા મૃણાલિણીદેવી સાથે કરાવી દીધા. કાદમ્બરીએ ટાગોરના લગ્નના ચાર મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. ટાગોરની ત્રણેય પુત્રીઓના લગ્ન પંદર વર્ષથી ઓછી આયુમાં થયા અને ટાગોરે ત્રણેયના લગ્નમાં દહેજ પણ ખાસ્સું આપ્યું હતું. ટાગોરે પોતાની પત્ની કે પુત્રીઓને શાંતિનિકેતન કે વિદેશમાં અભ્યાસ કરવા કેમ ન પ્રેર્યા એ પણ એક પ્રશ્ન છે. પાંચ બાળકોને જન્મ આપીને મૃણાલિનીદેવી ૨૯ વર્ષની કાચી વયે જ ગુજરી ગયા. મોટી દીકરી માધુરી ૩૨ની વયે તો નાની દીકરી રેણુકા તો લગ્ન પછી માત્ર ૧૪ જ વર્ષની વયે નિધન પામી. કદાચ ટાગોરે સમાજસુધારાના મહાયજ્ઞની સામે પારિવારીક ભોગને નગણ્ય જ ગણ્યો હતો. ટાગોરના જીવનમાં સ્ત્રીઓ પણ ઘણી આવી. ઇંગ્લેન્ડ જતાં પહેલાં મુંબઈ જેમના ઘરે એ રહ્યા હતા એ પરિવારની અન્નપૂર્ણા તુરખુડ ટાગોરનો કદાચ પ્રથમ પ્રેમ હતો અને વાત લગ્ન સુધી જતાં-જતાં અટકી ગઈ હતી. એ કહેતી કે, ‘કવિ, હું માનું છું કે હું મૃત્યુશૈયા પર પણ હોઈશ તો તારાં ગીત મને ફરી જિંદગી બક્ષશે.’ લંડનમાં જેમના ઘરે એ પેઇંગગેસ્ટ તરીકે રહ્યા હતા એ મિ. સ્કૉટની બંને સુપુત્રીઓ એમના પ્રેમમાં હતી પણ ટાગોર શારીરિક પ્રોત્સાહન આપવાથી દૂર રહ્યા. ટાગોરની પહેલી પુત્રીના અવસાન પછી નિકટ આવેલી રાનુ અધિકારી સાથેના ટાગોરના સ્નેહસંબંધોમાં શરૂઆતનો પિતૃભાવ કાયમ ન રહેતાં બંને વચ્ચે કાયમી કહી શકાય એવો લાંબા ગાળાનો બહુઆયામી સંબંધ સ્થપાયો હોવાનું પણ કહેવાય છે. ટાગોરે એને ૨૦૦ પત્રો અને એક નાટક રક્ત કરાબી પણ લખ્યું હતું.

બંગાળી કવિતાને એમણે પારંપારિક ભારઝલ્લી સંસ્કૃત ભાષાના પ્રભુત્વથી આઝાદી અપાવી. ગદ્ય અને પદ્યને એમણે માત્ર બોલચાલની ભાષાના જ નહીં, પોતીકી આગવી શૈલીના નવાં કલેવર પણ પહેરાવ્યાં. ટાગોરના સર્જનની સંખ્યા, ગુણવત્તા અને વિવિધતા વિશે કશું જ બોલવું સંભવ નથી. ૬૦ વર્ષની વયે એમણે ચિત્રકળા અપનાવી પણ એમાંય એ ભારતભરના અગ્રણી કળાકારોમાંના એક બની રહ્યા. ૨૫૦૦થી વધુ ચિત્રો અને ૨૦૦૦થી વધુ કવિતાઓ રચી. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત પણ એમની જ કલમે અવતર્યાં. આઇન્સ્ટાઇન સાથે વિજ્ઞાનની ઊંડા વાદવિવાદમાં પણ ઊતરી શકે એવી એમની કાબેલિયત હતી. વિશ્વભરમાં પ્રવાસો કરીને એમણે પ્રવચનો આપ્યાં અને એ રીતે સાચા અર્થમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મજબૂત સાંસ્કૃતિક સેતુ બની રહ્યા. જીવનના સેંકડો ક્ષેત્રોમાં આપેલા ઊંડા અને ઉમદા પ્રદાનોને લઈને એમને મહામાનવ ગણવામાં આવે છે એમાં લગરિક અતિશયોક્તિ નથી.
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે. ઈશ્વર પ્રતિ અગાધ પ્રેમ અને અનન્ય વિશ્વાસના કવિ એટલે રવીન્દ્રનાથ અને ગીતાંજલિ એટલે જાણે વેદઋચાઓ… ગીતાંજલિના કેટલાક ફૂલોનો બૂકે આજે આપ સહુ માટે:

૧.

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય… “એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

૨.

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

ઈશ્વર સર્વજ્ઞ છે. એ આપણી ઇચ્છાઓથી સુપેરે પરિચિત છે. આપણે એની સાથે જોડાવા તૈયાર નથી હોતા બાકી એ તો પોતાના બંને બાહુ ફેલાવીને આપણને આશ્લેષમાં લેવા સદાકાળ તત્પર જ ઊભો છે. એ આપણને એની નજીક પહોંચવાનો માર્ગ પણ બતાવે છે. એ આદેશ પણ કરે છે આપણને. કહે છે કે તારી અંદર જે કંઈ ગોપવીને બેસી રહ્યો છે એ બધું જ ખુલ્લું કરી દે કેમકે મારા સુધી આવવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણ સમર્પણ જ છે. ભવાટવિમાં ભેરવાઈ ગયેલ આપણને એનો સાદ જ કાને પડતો નથી. જે દિવસે આપણે એની આજ્ઞા સાંભળી લઈશું, અપાર આનંદથી ફાટ-ફાટ હૈયું આંસુઓથી છલકાઈ ઊઠશે. એની આજ્ઞા સાંભળતાવેંત આપણી અંદરની તમામ વિસંવાદિતતા ઓગળી જાય છે. આપણા શબ્દો કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આપણી તમામ નિઃસ્વાર્થ વૃત્તિ અને પ્રવૃત્તિમાં એને આનંદ જ આવે છે.

અહીં ગાયન એક પ્રતીક છે. કવિ કવિ હોવાના નાતે પોતાને ગાયક કલ્પે છે. આપણી પાસે જે કંઈપણ પ્રતિભા છે એને આપણે ઓળખી લઈએ અને આપણી શુદ્ધ પ્રતિભાનું પુષ્પ એના ચરણે ચડાવીએ ત્યારે એ નિરંજન નિરાકાર પ્રસન્ન જ થશે. આપણી અંદર એણે જે આપ્યું છે એ લીધા વિના એની સન્મુખ પહોંચવું શક્ય જ નથી. આ પાંખ વડે જ ઊડીને એનો ચરણસ્પર્શ કરી શકાશે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને, જે આમ તો આપણો માલિક છે એને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન – આ નવધા ભક્તિમાં મિત્ર પણ એક ભક્તિભાવ છે. અને મિત્ર તો શું, સમર્પણની ચરમસીમાએ તો આપણા મલિકનેય આપણે વેચવા નીકળી શકીએ છીએ. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

૩.
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એની બધી વાત, એની બધી જ છટા અનાદિકાળથી અકળ જ રહ્યાં છે. એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે. એના સૂરથી જગ આખું પ્રકાશિત છે. ઈશ્વરનું સંગીત એ સૃષ્ટિનો ધબકાર છે. એ બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈને રેલાય છે, જ્યાં-જ્યાં આકાશ જેવી મોકળાશ છે, ત્યાં-ત્યાં બધે એ વ્યાપ્ત છે. આકાશ જેવા ખુલ્લા હૈયાને ઈશ્વરનું સંગીત પ્રાણવાયુ બનીને ઠેઠ ભીતર સુધી સ્પર્શે છે. ભગવાનના પ્રેમનું ઝરણું ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે અને એકધારું વહેતું જ રહે છે. એની કૃપાઓનો કોઈ અંત નથી, એની આશિષને કોઈ અવરોધ નથી. એ સર્વથા સર્વદા છે. આપણે એના સૂરમાં સૂર પૂરાવવાની માત્ર કોશિશ જ કરી શકીએ છીએ. કેમકે એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે… એના સંગીત, એના ઝરણાંની સાથે તાલમેલ પૂરાવી શકે એવું એકમાત્ર ઝરણું જે આપણી પાસે છે એ પ્રાયશ્ચિતનો અશ્રુપ્રવાહ જ છે…

૪.

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

ટાગોરની આ રચના વાંચતા જ ચાર વેદના ચાર મહાવાક્યો યાદ આવે.

प्रज्ञानम् ब्रह्म (જ્ઞાન એ જ પરમાત્મા. ઐતરેય ઉપનિષદ:ઋગ્વેદ)
अयम् आत्मा ब्रह्म (આ જાત બ્રહ્મ છે. માણ્ડુક્ય ઉપનિષદ:અથર્વવેદ)
तत् त्वम् असि (તે તું છે. છાંદોગ્ય ઉપનિષદ:સામવેદ)
अहम् ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ:યજુર્વેદ)

ટૂંકમાં, ઈશ્વર આપણી ભીતર જ વસેલો છે. આપણી ભીતર જે ચેતન છે એ જ ઈશ્વર છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

શ્રીકૃષ્ણે પણ ભગ્વદ્ગીતામાં કહ્યું છે કે सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च| (હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન (બંનેનો નાશ) થાય છે.) આપણી ભીતર અંગાંગમાં એનો જીવંત સ્પર્શ છે, એ જ આપણા માનસમાં કારણનો પ્રકાશ રેલાવે છે, એ આપણા હૃદયમાં સૌથી અંદરના સ્થાને વિરાજમાન છે, અને એની શક્તિ જ આપણને ચાલકબળ આપે છે એની પ્રતીતિ જો સદા રહે તો मनसा कर्मणा वाचा न च काड्क्षेत पातकम् –મન, કર્મ અને વાણીથી પણ પાપ કરવાની ઇચ્છા ન થાય.

ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્ત્રાવની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. કેલેન્ડરના મહિનાના પાનાં સાથે જિગરજાન યારી હોય એ રીતે પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીના જીવનના લગભગ ત્રણ-ત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર ચારથી પાંચ દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી રીતે થતા રક્તસ્ત્રાવને સહન કરે છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર હતા, મા ધોબણ હતી અને કવિતા પણ લખતી. ઓછું ભણ્યા હોવા છતાં મા-બાપે બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતા રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા તો ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. પછી બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરે રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણું બધું બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને એ સરળ ભાષામાં લાઘવ સાથે પોતાની ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એ એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’
કવિતાનું શીર્ષક ‘ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યરીતે કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્ત્રાવ વિશે છે અને ત્રીજું એ ઋતુસ્ત્રાવનું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી ખરી? પણ વિચારતાં જ સમજાય કે કવયિત્રીએ જે વિષય અહીં હાથમાં લીધો છે એ હજારો વર્ષોથી આખી દુનિયાને સાફ દેખાતો હોવા છતાં હજારો વર્ષોથી છુપાવવામાં આવી રહેલો વિષય છે ને એટલે જ લૂસીલ આ અસ્પૃશ્ય વિષયમાં પ્રવેશતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (લેટિન mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિક સામાન્યતઃ પાંચ દિવસ ચાલે એમ આ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. કવયિત્રીએ છંદ પકડી રાખવાની મમત સેવી નથી પણ રચના આયંબિક ટેટ્રામીટરની નજીક-નજીક પહોંચે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી પ્રાસની કેદ પણ એમણે સ્વીકારી નથી. આ ઉપરાંત લગભગ દરેક અંતરો ‘જો ત્યાં એક નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્ત્રાવ (Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે જો સ્ત્રીની યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક નસીબદાર શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થઈ જાય તો ફલીકરણ થાય છે અને ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્ત્રાવસ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પેડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત જ એ વાતની સાબિતી છે કે હજી આ દેશના લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. અને આજે આ હાલત હોય તો જૂના જમાનામાં તો કેવી હાલત હશે? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવીને જોવામાં આવી. મોટાભાગના દેશોમાં ઇતિહાસકારો પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી ઓછી જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં આ ઋતુસ્ત્રાવના લોહીને કેટલીક દવાઓમાં પણ વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે આ લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સના ગ્રંથમાં ઓછું કે વધુ માસિક આવવાને બિમારી તરીકે નિર્દેશાયું છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ-થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્ત્રાવ ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો હજી પણ સમાજ એટલો પછાત અને ધર્મ એટલો બિમાર છે કે આજની તારીખે પણ મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

જો કે એ માહિતી ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પેડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો તો ગ્રીકસ્ત્રીઓ ઊનનો પેડ તરીકે પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્ત્રાવ કપડાંમાં થવા દેતી હતી. માસિકસ્ત્રાવ કપડાંમાં જ થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. દુઃખદાયક તંગ માસિક માટેના પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટેમ્પૂન બજારમાં મૂક્યા. ખરી ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટેમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ ફરી વળીએ. લૂસીલ કવિતાની શરૂઆત ‘જો’થી કરે છે. આ ‘જો’નો સીધો મતલબ એ જ થાય કે જે વાત માસિક વિશે અહીં કરવામાં આવી છે, એ અનન્ય છે; સંસારમાં એની કોઈ જોડ જડે એમ નથી. માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવને એ નદી સાથે, માફ કરજો, સુંદર નદી સાથે સરખાવે છે. અને આવી સુંદર નદી બીજે ક્યાંય જોવાય નહીં મળે એની પ્રતીતિ ‘જો’ મૂકીને કરાવે છે. નદી વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે. માસિકનો પ્રવાહ પણ ગર્ભધારણ માટેની પૂર્વતૈયારી જ તો છે. નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ પણ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં જૉર્ડન નદીને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. આ નદી લોહીની બની છે અને આ નદી સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. ચંદ્રના ઉલ્લેખ પરથી યાદ આવે કે માસિકને પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સાંકળવામાં આવ્યું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે.

નદી એક સ્થળ છોડીને આગળ નીકળી જાય પછી ત્યાં ફરી આવતી નથી. માસિકની નદીથી વધુ વફાદાર નદી બીજી કઈ હશે જે દર મહિને એના એ જ મુખત્રિકોણ પર પરત ફરતી રહે છે? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી અસહ્ય દુઃખાવામાંથી પસાર થતી હોય છે, પણ સ્ત્રીઓ આ દર્દને ચુપચાપ સહેતી રહે છે. માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતા કેમકે તેઓ માનતા કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્ત્રાવનો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

ગ્લૉબલ કવિતા : ૭૫ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert


પ્રિય મલિસા:
હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને એના બચ્ચાની વાર્તા જાણીતી છે. હંમેશ મુજબની ચડસાચડસીમાં બિરબલે અકબરને કહ્યું કે પ્રાણીમાત્ર માટે પોતાની જાતથી વધીને બીજું કશું હોઈ શકે જ નહીં અને મા પણ આમાં અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા માટે એક હોજમાં બિરબલે એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને પાણી ભરાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પાણી વધતું ગયું એમ એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી એના નાક સુધી પહોંચી ગયું ત્યારે જીવ બચાવવા વાંદરી બચ્ચાને ફેંકી દઈને બહાર કૂદી જાય છે. આવી જ એક ઘટનામાંથી પસાર થયા બાદ વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. પારાવાર તકલીફોમાંથી પસાર થનાર મા-બાપ ક્યારેક પોતાના સંતાનોને કોસતા પણ હોય છે. આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ ‘પ્રિય મલિસા’ કવિતામાં આવી જ વાત લઈને આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. એને તમે સ્ત્રી ગણશો કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? એ પોતાની વેબસાઇટ ઉપર પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના એ એક અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. એમણે કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. હાલમાં એ ટક્સન, અરિઝોનાના રાજકવિનું બહુમાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT)નું રાષ્ટ્રકક્ષાનું સર્ટિફીકેટ ધરાવે છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર તમને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ એ કરે છે. સામાજિક ચેતનાના નાનાવિધ અભિયાનો સાથે એ સંકળાયેલા છે. એ એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે કે એ બધાના નામ જ લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાઈ જાય. આમાનું મોટાભાગનું આપણા માટે તો પરગ્રહની વાત જેવું જ લાગે એમ છે, પણ આ માણસ આ જિંદગી જીવે છે અને એ પોતાની જાતને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતો નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં એ સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગીપ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ બનાવવાનું કામ કરે છે, જે વાત એમના આ સંગ્રહમાં નજરે ચડે છે. એમની રચનાઓ ખૂબ જ વ્યક્તિગત લાગે છે, વ્યક્તિની લાગે છે અને એ છતાં એ કબૂલાતનામું બનતી નથી. એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એમની કવિતા સતત ટુકડાઓમાં વિયોજિત થતી અને સમાંતરે જ પુનર્ગઠિત થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગી શરીરમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી સાવ અલગ ઊઠતો સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષ્યવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે. સમાજનો કચડાયેલો વર્ગ પણ પોતાની રીતે કળાસાધના કરે જ છે. જેમ આપણી ભાષામાં દલિત વર્ગ ખાસ પ્રકારની દલિત કવિતાઓ રચે છે, એમ વિશ્વના દરેક દેશોમાં દરેક વર્ગના મનુષ્યો પોતાના સમાજ-વર્ગને રજૂ કરતી કવિતાઓ લખતા હોય છે. જે લોકો અ-જાતીય કે દ્વિ-જાતીય છે, એ લોકો પણ પોતાના સમાજને રજૂ કરતી રચનાઓ કરતા હોય છે. આ ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવા લોકો જે પોતાની જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે. લિંગપરિવર્તન કરાવનાર લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

– આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી અડખેપડખે બેસવા દીધા નથી. પાશ્ચાત્ય દેશોમાં તો આવા લોકોની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં આવા લોકોને હજીપણ સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં મળે એવું દેખાતું પણ નથી. સર્જનહારની ભૂલ આ લોકો માટે જનમકેદની પીડા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલો બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. આ કવિતા માટે કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે જેથી સામેલ તમામ કોઈક નવું બની શકે.’ આજ શીર્ષકથી એમણે એક બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે, એ આખી કવિતાને શીર્ષકને બાદ કરતાં ચૌદ પંક્તિઓ અને ચાર અંતરામાં વહેંચી દે છે. રચનાસ્વરૂપ પર ધ્યાન આપીએ તો આ રચના ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ – એમ સૉનેટને મળતી આવે છે. આખી કવિતા એક ન બનેલી વાત ઇચ્છવાની અનિશ્ચિતતાની છે એટલે કવિએ પોતાની જાતને છંદ અને ઘણુખરું વ્યાકરણમાં બાંધવાનું સ્વીકાર્યું નથી. કવિતા સ્વચ્છંદમાં વહે છે કેમકે એની ગતિ પણ એ તરફની જ છે.

જીવનના કોઈ એક તબક્કે મા એની દીકરી મલિસાને કહે છે કે કાશ! તું જન્મી જ ન હોત! (તો આ ઉપાધિઓ સહન કરવાનો વારો જ ન આવ્યો હોત.) જો અને તો પર કોઈની જિંદગી જીવાતી નથી એ બધા જાણે છે ને એ છતાંય બધા જો અને તો પર જ જીવ્યે જતાં હોય છે. માના આ પ્રલાપની વચ્ચે મલિસા પોતાની જાતને ટુકડા-ટુકડામાં અભિવ્યક્ત કરે છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ સમયે એવું કોઈ હશે જે સુસંગતતાથી વિચારી શકે? ટૉલ્બર્ટ જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -જેમાં મનુષ્યની છિન્નભિન્ન ચાલ્યે રાખતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની નેમ હોય છે- પ્રકારની કથનશૈલી પ્રયોજે છે. મા સામેના એના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માના બળાપા સામે ડઘાઈ ગયેલા સંતાનના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કોશિશ કર્યા વિના જ, એમાંથી કોઈ અર્થ તારવવાની સ્પષ્ટ ચેષ્ટા કર્યા વિના જ આપણી સામે રજૂ કરે છે.

માના એકવાક્યી નિસાસાની વચ્ચે બાળક આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ) કરે છે, જેની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે. મારી માએ એકવાર કહ્યું હતું… પછી એ કહે છે કે મા એના બાળપણની. આખી કવિતામાં કવિ એકમાત્ર બાળપણ શબ્દને ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે, જેના પરથી સમજી શકાય છે કે જે રીતે શબ્દ, એમ જ એમનું બાળપણ પણ અડધેથી ચીરાઈ ગયું છે. બાળક જે જે બોલે છે એ તમામના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની મા નથી, એક માણસની મા પણ નથી, ત્રીજા અંતરામાં એ ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે મા કોઈની પણ મા રહેતી નથી. એક તરફ માનું વાક્ય આગળ વધે છે કે તું જન્મી જ ન હોત તો સારું થાત તો બીજી તરફ બાળકનો એકાલાપ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે. એક તરફ મા જે એક વાક્ય બોલે છે એ મૂકીએ તો કાવ્યાંતે બાળકની એકોક્તિનું અર્ધવાક્ય અને માનું અર્ધવાક્ય ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી તો બીજું શું છે? માના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

બાળકની એકોક્તિના નામે કવિ જે નાના-મોટા ટુકડાઓ આપણને આપે છે એ દરેકના પોતપોતાની રીતે અલગ-અલગ અર્થ કરી શકાય એમ છે. પાણી પાણી થાક્યું છે, અર્થાત્ મા સંતાનથી થાકી ગઈ છે કેમકે સંતાન એ આખરે તો માનો જ અંશ છે. મા જો પાણી છે, તો સંતાન પણ એ જ પાણીનું ટીપું છે. માના બળાપાની સામે પણ બાળક શાંત છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ એ હાથની ભાષા તમારા આખા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, તમે શું સાંભળશો જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે કેમકે જે તમારી મા છે એ તો કોઈ દીકરીની કે અર્થવિસ્તાર કરીએ તો કોઈપણ મનુષ્યની જ મા નથી કેમકે કઈ મા ઇચ્છે કે સંતાન જન્મ્યું જ હોત તો સારું થાત? આપણું શરીર જ્યારે આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે શું ડર ન લાગે? સ્ત્રી તરીકે જન્મ્યા પછી ખબર પડે કે અંદર માહ્યલો તો પુરુષનો આવી ગયો છે અથવા એનાથી વિપરીત હોય તો શું ડર ન અનુભવાય? જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં ઉપર-ઉપરથી તો વહેતો જ રહે છે પણ જેને તમે તમારા મૂળ કહી શકો એને હચમચાવવાનું ચૂકતો નથી. એ વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હશે કેમકે મા કોણ છે? તું તો નહીં જ. કારણ તેં તારી જાતને બીજા કોઈમાં વિકસીને મારી નથી નાંખી. મા તો પોતાના બાળકના જન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ અહીં એવું નથી એટલે જ સંતાન દિલગીર છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે.

મા શા કારણે વ્યથિત છે એ કવિ કહેતા નથી. કવિતા કદી બધું કહે નહીં પણ એક સામાન્ય લાગતા બળાપાની સામે બાળકના ચિત્તતંત્રમાં થતા ખળભળાટને આપણી સામે મૂકીને કવિ આપણને કહેવા માંગે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલતાં પહેલાં વિચારવું ઘટે. બાળક ખરેખર બાળક નથી હોતો, એ નાનો વયસ્ક જ હોય છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

માની લો કે તમારે કોઈને ગાળ આપવી છે પણ ગાળ બોલ્યાનું આળ પણ માથે લેવું નથી તો આ આખી દુનિયામાંથી કયું એકમાત્ર પ્રાણી તમારી વહારે ધાશે? ગધેડો જ ને! તમારે કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહી દો. નકામો કહેવો છે? ગધેડો કહી દો. મજૂર કહેવો છે? ગધેડો કહી દો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો સૌથી હાથવગી એવી લાખ ગાળોની એક ગાળ છે. પણ એની સામે એ પણ હકીકત છે કે આ એક જ પ્રાણી એવું છે, જેને તમે લાખ ડીફણાં મારો તોય અળવીતરું ચાલતું નથી ને જે તમે કહો એ જ કરે છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. એવો પ્રશ્ન પણ થાય કે શા માટે ઈશ્વરે એવું પ્રાણી બનાવ્યું હશે જે માત્ર બધાની મજાક બનવા જ સર્જાયું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર જી. કે. ચેસ્ટરટન જેવા પંડિત કવિએ એક આખી કવિતા એના માનમાં શા માટે લખી હશે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. એ પાંચ જ વર્ષના હતા અને પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ એ અગોચરથી પ્રભાવિત હતા. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો હતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એમાંથી એમને એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવવામાં નિમિત્ત બની. એ પોતાને ઓર્થોડોક્સ ખ્રિસ્તી તરીકે ઓળખાવતા અને એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી આ સંકુચિતતા વધુ ગાઢી બની. પત્નીએ પતિની જેમ ધર્મપંથ પરિવર્તન ન કર્યું અને જીવનભર બંનેના ધર્મ વિશેના વિચારો અલગ હોવાનો એનો વસવસો આંસુઓમાં વહેતો રહ્યો. ચેસ્ટરટનનું પંથપરિવર્તન એ જમાનામાં ચોરેચૌટે ચર્ચાતા સમાચાર બની રહ્યા હતા. ચેસ્ટરટને કહ્યું: ‘હું શા માટે કેથોલિક થયો છું એ સમજાવવું કપરું છે કેમકે એ માટેના દસ હજાર કારણ છે જે દરેક એક જ કારણ બરાબર છે ને તે એ છે કે કેથોલિઝમ સત્ય છે.’ કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. શરૂમાં ચેસ્ટરટનને ચિત્રકાર બનવામાં ખૂબ રસ હતો જે એમના લખાણમાંના જીવંત શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે. ૬ ફૂટ, ૪ ઇંચની ઊંચાઈ અને ૧૩૦ કિલોગ્રામ વજનવાળા કદાવર શરીરનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. એમની કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને ચેસ્ટરટને જ્યારે કહ્યું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. જવાબમાં બર્નાર્ડ શૉએ કહ્યું કે તમને જોઈને લાગે છે કે આ દુકાળનું કારણ તમે જ છો. મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે જ ભૂલી જાય અને પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવે કે ક્યાં જવાનું હતું. જીવનના આખરી પાંચ વર્ષોમાં બીબીસી રેડિયો પરની એમની વાતચીત ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ જેટલા પુસ્તકો, ૨૦૦ જેટલી વાર્તાઓ, ૪૦૦૦ નિઓબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું બધું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ચેસ્ટરટનને લોકો ‘વિરોધાભાસના રાજકુમાર’ તરીકે ઓળખે છે. ટાઇમ મેગેઝીન કહે છે: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે-પહેલાં કાળજીપૂર્વક એમને ઊલટાવી નાંખ્યા બાદ.’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન કાકુ. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન શિરમોર છે.

કવિતાનું શીર્ષક એ કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે. ઉંબરા પર પગ મૂકતાં જ ખ્યાલ આવી જાય કે ઘર કેવું હશે! ૧૯૨૦માં લખાયેલી ચેસ્ટરટનની આ કવિતાનું શીર્ષક ‘ધ ડૉન્કી’ વાંચતા જ સમજી શકાય છે કે આ ગધેડા વિશેની કવિતા છે. પણ કવિએ ‘અ ડૉન્કી’ નથી લખ્યું એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ એક ગધેડાની નહીં, સમગ્ર ગદર્ભજાતિ વિશેની કવિતા હોવી જોઈએ. કવિએ અહીં બૅલડ-મીટર પ્રયોજ્યું છે; જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિમાં આયંબિક ટેટ્રામીટર (ચાર ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) અને બીજી અને ચોથીમાં આયંબિક ટ્રાઇમીટર (ત્રણ ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) વાપરવામાં આવે છે અને બીજી તથા ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવે છે. બૅલડ એટલે એક પ્રકારનું કથાકાવ્ય કે ગાથાગીત. મધ્યકાલીન ઇંગ્લેન્ડમાં આ પ્રકારની કવિતાઓ ખૂબ પ્રચલિત હતી. ચેસ્ટરટન બૅલડના માસ્ટર ગણાતા.

આ કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. આ નાનીઅમસ્તી કવિતામાં આખેઆખા ચેસ્ટરટન નજરે ચડે છે: વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ. એમની પ્રખ્યાત ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ આપણે જેને શરૂઆતમાં અવગણવાનું વિચારીએ છીએ, એ જ સત્યની અડોઅડ ઊભેલું જડી આવતાં આપણને અંતે દિગ્મૂઢ કરી દે છે. કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

આ કવિતા ગધેડાની સ્વગતોક્તિ છે એ સમજી શકાય છે. પહેલા અંતરામાં એ પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલવા માંડ્યા હશે, અંજીર ઝાડ પર ઊગવાના બદલે કાંટાળા છોડ પર ઊગતા હશે અને ચંદ્ર જ્યારે લોહી જેવો રાતો થયો હશે ત્યારે મારો જન્મ થયો હશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક ચંદ્રનો રંગ લોહી જેવો રાતો થઈ જતો હોય છે. છેલ્લો બ્લડ મૂન ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જોવા મળ્યો હતો. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામત તરફ ઈશારો કરે છે એમ કહેવાયું છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ તાજેતરમાં માર્ક બ્લિટ્ઝના ‘બ્લડ મૂન્સ’ અને જોન હેગીના ‘ફોર બ્લડ મૂન્સ’ પુસ્તકોએ ધર્મિષ્ઠ માણસોમાં આવનારી કયામતનો સજ્જડ ડર બેસાડી દીધો છે. ચેસ્ટરટન પણ રક્તિમ ચંદ્ર અને એ દ્વારા નિર્દેશિત ભયાવહ એંધાણીઓથી જાણતલ હશે એટલે જ એમણે ગધેડાના જન્મ સાથે આ વાત સાંકળી લીધી છે. દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. વાંચતાની સાથે વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો આપણા સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં ગધેડાની જે છબી છે એને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

ગધેડા માટે અંગ્રેજીમાં Ass શબ્દ પણ વપરાય છે, જે લેટિન શબ્દ asinus પરથી ઊતરી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ પણ થાય છે. અંગ્રેજીમાં કૂલા માટે વપરાતા arse માંથી ‘આર’ ખડી પડતાં assનો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એના ચાર દાયકા પહેલાં ૧૫૫૦માં asshead શબ્દ વપરાયો હતો. ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી પ્રયોજે છે કેમકે એ આ અવગણાયેલા પ્રાણીને એના સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માંગે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે તેમ, નમ્ર લોકો સૌમ્યોક્તિરૂપે ક્રૂર લાગતા ‘ઍસ’ શબ્દને અવગણવા માટે ‘ડૉન્કી’ શબ્દ પ્રયોજે છે. સર્વાન્ટીસની પ્રખ્યાત કૃતિ ડૉન કિહોટેમાં નાયક સાંચો પાંઝા એના વાહન તરીકે ડેપલ નામના ગધેડાને પસંદ કરે છે. એન્ડી મેરીફિલ્ડે તો ‘ધ વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ કંઈક અનુભૂતિ જ છે. એ એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન જ ગણી લો. તમે તમારી જાતને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત એવું કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે. ‘ધ રિલક્ટન્ટ સેંટ’ ફિલ્મમાં સેંટ જોસેફ પોતાને ‘ગોડ’સ જેક-એસ’ કહીને સંબોધે છે એ પણ યાદ આવે.

ગધેડો પોતાની જાતને જ ઉતારી પાડવાનું કામ ચાલુ રાખે છે. એ પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. એનું માથું રાક્ષસ જેવું છે, એનું ભૂંકવુંય ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન જાણે એના એકલાની જ ફિરકી ઉતારતો હોય એમ એને લાગે છે. એ કહે છે કે હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું તો ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો શું સાચે જ પોતાની જાતને ઊતારી પાડી રહ્યો છે કે એ સદીઓથી ઉપેક્ષિત રહીને હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરીને આપણને જ ચાબખા મારી રહ્યો છે? દુનિયા આખીમાં એક બહુ મોટો વર્ગ છે, જેમના હક પર કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનનો ગધેડો દુનિયાના ખૂણે-ખૂણે, દેશ-દેશાવરમાં પથરાયેલા આ શોષિત દલિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ છે એ સમજી શકાય છે કેમકે કવિતામાં એનો સૂર અહીંથી બદલાય છે.

એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) ચેસ્ટરટનનો ગધેડો તડ ને ફડ વાત કરે છે. એ પોતાના વિશે બોલે છે ત્યારે પણ એકપણ શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારે પણ નિર્મમતાથી જે કહેવું છે ડંકે કી ચોટ પર કહે છે. એ સીધું જ મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ કહે છે કે એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાંય ખૂબ જ ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો ‘હર કુત્તે કા એક દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો. એ કયા સમયની વાત કરે છે એ સમજવા માટે ફરી એકવાર બાઇબલના પાનાં ઊલટાવવાં પડશે.

ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે અને એ પછીના આખા અઠવાડિયાને પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. નગરમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત એના બે સાથીઓને એવો ગધેડો શોધી લાવવા સૂચના આપે છે કે જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત અને સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો વળી પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. એમાંય માદા ગદર્ભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે માદા સફેદ ગધેડા ઉપર બેસીને રાજા નગરમાં પ્રવેશસે. એટલે ઈસુ સફેદ માદા ગધેડો મંગાવે છે. આખું નગર અને નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે. આ સિવાય પણ બાઇબલમાં ગધેડાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઈસુના હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન પણ ઈઝરાઈલનો નવો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર જ સવાર થયો હતો. જેકબ એના પુત્ર જુદાહને આશીર્વાદ આપે છે એમાં પણ ગધેડાનો સંદર્ભ વાંચવા મળે છે. બલામ નામના મસીહા પણ ગધેડા પર સવારી કરતા બતાવાયા છે અને આ ગધેડો વાતો પણ કરે છે અને દેવદૂતની તલવારથી બલામને બચાવે પણ છે. વર્જિન મેરી પણ સગર્ભાવસ્થામાં પેટમાં ઈસુને લઈને બેથ્લેહેમ સુધી ગધેડા પર બેસીને જ આવે છે. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ખૂબ ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઘણું ઊંચું અંકાયું છે. જૂના અને નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર તથા હોંશિયાર પ્રાણી તરીકે, ડહાપણના ભંડાર તરીકે, પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે, ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ આ જ ગધેડા પર ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો એના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે પ્રભુપુત્ર ઈસુ એના પર સવાર થઈને ઈઝરાઈલમાં પ્રવેશ્યા હતા અને લોકો એમના સ્વાગત માટે તાડપત્રો જમીન પર પાથરતા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુ જ્યારે જેરુસલેમમાં પ્રવેશે છે ત્યારે ચારે તરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એક જણ જે માણસ ન હોવાના નાતે જ નહીં પણ એ રીતે પણ બધાથી અલગ પડે છે કે એક જ જણ સાચા અર્થમાં પોતાના હોવાના તમામ અર્થો ભૂલી જઈને માત્ર ને માત્ર ઈસુની સાથે હોવાની ક્ષણોને આકંઠ માણી રહ્યું છે અને એ છે આ ગદર્ભ! ગદર્ભ બે સંદર્ભ નિર્દેશિત કરે છે: એક ઈસુ જેરુસલેમમાં અને એ રીતે આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશે છે અને આપણી ભીતરના કોલાહલને શમાવે છે. બીજું, ગદર્ભ એ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર ઈસુ સવાર થાય છે અને આપણામાંથી આ કામવાસના દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. આ ઉપરાંત એ કહે છે, કે નાનામાં નાની લાગતી વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડી એ તમને ગધેડો કહેનારા મૂર્ખાઓ સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ પ્રાણીઓ સમાન છે; સૌ મનુષ્યો સમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. આ વાત જે ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry


નવા મિત્રો અને જૂના મિત્રો

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)


મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે….

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોવાની સંભાવના વધુ છે. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે તમને ગાળ આપીને પણ સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે. સંગીતકાર-કવિ જોસેફ પેરી પ્રસ્તુત રચનામાં દોસ્તોની વાત માંડે છે.

જોસેફ પેરી. ૨૧-૦૫-૧૮૪૧ના રોજ વેલ્સ, યુ.કે. ખાતે સંગીતપ્રેમી અને બહોળા પરિવારમાં જન્મ. નવ વર્ષની કૂમળી વયે અભ્યાસ છોડીને કોલસાની ખાણમાં કામે લાગ્યા. સાડા બાર પેની માટે એ અઠવાડિયાના છપ્પન કલાક કામ કરતા. અગિયારની ઉમરે લોખંડની ભઠ્ઠીમાં. ૧૩ વર્ષની વયે પરિવાર પેન્સિલ્વેનિયા, અમેરિકા સ્થળાંતરિત થયો ને ત્યાં એ ફરી ધાતુકામની ફેક્ટરીમાં જોતરાયા. પણ પંચમહાભૂતના એ શરીરમાં છઠ્ઠું મહાભૂત નામે સંગીત પણ શ્વસતું હતું. સહકર્મી સંગીતકારો પાસેથી નાની-મોટી ટિપ્સ મળતી રહી. ફેક્ટરી બંધ થઈ ત્યારે વિધિવત્ સંગીતશિક્ષણના પાગરણ થયાં. હાર્મનીમાં એમને સવિશેષ રસ હતો. એમના સ્વરાંકનોથી પ્રભાવિત થયેલા એમના વતને એ પરત ફર્યા ત્યારે બબ્બે સ્કૉલરશીપ આપવાની દરખાસ્ત મૂકી જે પારિવારીક સાંકળોથી બંધાયા હોવાના કારણે એમણે નકારી. પરિવારના નિર્વાહ માટે વેલ્સ અને અમેરિકા- બંને દેશ તરફથી ફાળાની વ્યવસ્થા થઈ એ પછી જ એ સંગીત શીખવાનું વિચારી શક્યા. પછી તો સંગીતમાં ડૉક્ટરેટ કર્યું. સંગીતમાં સ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ વેલ્શ નાગરિક હતા અને વેલ્સમાં સંગીતના પ્રથમ પ્રોફેસર પણ બન્યા. વેલ્શ ભાષામાં પ્રથમ ઑપેરા પણ એમણે જ આપ્યું. ૧૮૬૧માં જેન થોમસ સાથે લગ્ન. ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. બે પુત્ર નાની વયે જ મૃત્યુ પામ્યા. અમેરિકાની સંગીતયાત્રાઓ થતી રહી. બંને દેશમાં એના સંગીતનો ડંકો વાગતો હોવા છતાં ધંધાકીય દૃષ્ટિના અભાવે આર્થિક સ્થિતિ કાયમ નબળી જ રહી. અદભુત ક્મ્પોઝીશન Myfanwy, સર્વોત્કૃષ્ટ ઋચા (hymn) Aberystwyth અને અભૂતપૂર્વ ઑપેરા Blodwenના કારણે એ અમેરિકન-વેલ્શ સંગીતના આકાશમાં ધ્રુવતારક જેવું અવિચળ સ્થાન પામ્યા છે. ઢગલાબંધ ગીતો, ભજનો, સમૂહગાન, ઑપેરા, અને વાદ્યસંગીતને એણે સંગીતબદ્ધ કર્યા છે. ઉત્તમ સંગીતકાર હોવાથી એમણે લખેલા ગીતોનો લય પણ એવો થયો છે કે સાંભળતાવેંત દિલમાં ઘર કરી જાય. ઉપરાછાપરી બે શસ્ત્રક્રિયા અને એના ગુંચવાડાના પરિણામે ૧૭-૦૨-૧૯૦૩ના રોજ દેહાવસાન. મૃત્યુશય્યા પર સૂતાં સૂતાં એમણે એમનું આખરી સંગીતનિયોજન ‘ડિઅર વાઇફ’ પોતાની પત્ની જેન માટે લખ્યું હતું. શબવાહિની ચર્ચના દરવાજે પહોંચી ત્યારે એમની અંતિમયાત્રામાં જોડાયેલ આખરી માણસ એમના ઘરેથી નીકળતો હતો. આમ, આ અંતિમયાત્રા ઘરથી ચર્ચ સુધી એક માઈલ લાંબી હતી. સાચા અર્થમાં એ ચીંથરે વીંટ્યું રતન હતા. જેક જોન્સે ‘ઑફ ટુ ફિલાડેલ્ફિયા ઇન ધ મૉર્નિંગ’ નવલકથામાં એમની આ જીવનયાત્રાને અમર બનાવી છે, જેના પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

રચનાની દૃષ્ટિએ ‘નવા મિત્રો અને જૂના મિત્રો’ ગીત આયમ્બિક ટેટ્રામીટરમાં લખાયું છે અને અ-અ-બ-બ પ્રકારની પ્રાસરચના પ્રયોજાઈ છે. ક્યાંક આ ગીતની સોળેસોળ પંક્તિઓ એકીસાથે લખાયેલી જોવા મળે છે તો ક્યાંક ચાર-ચાર પંક્તિના ચાર બંધ સ્વરૂપે આ ગીત છાપવામાં આવેલું જોવા મળે છે. સળંગસૂત્રીતા કે અંતરાવ્યવસ્થા જો કે આ ગીતને કોઈ ખાસ પ્રકારે ઉપકારક થતા ન હોવાથી એ બાબતનો ખાસ અર્થ રહેતો નથી. મૂળ ગીતનો લય ખૂબ જ મજબૂત છે એટલે કવિતાની સાથે લયનો પણ અનુવાદ કરવો અનિવાર્ય બને છે.

વાત મિત્રોની છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે મિત્ર આપણે કોને કહીશું? મિત્ર એટલે શેરીમાં કે શાળામાં કે હવેના જમાનામાં વૉટ્સ-એપ કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાઝના ચોતરે મળી ગયેલી વ્યક્તિ માત્ર? મિત્રની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી નથી? સામાન્ય પરિભાષાને જરા વિસ્તારીએ તો પતિ-પત્ની મિત્ર તરીકે જીવવાનું નથી ઇચ્છતા? મા-બાપને સંતાનોના મિત્રો થવાના અભરખા નથી હોતા? ભાઈ-બહેન મૈત્રી નથી ઝંખતા? માત્ર શેક્સપિઅરના નાટકોમાં જ મૈત્રીના કેલિડોસ્કોપિક આયામ કેવા પ્રદર્શિત થયા છે એ જોઈએ:

‘એઝ યુ લાઇક ઇટ’ (અંક ૧, દૃશ્ય ૩)માં રોઝાલિન્ડ ડ્યુક ફ્રેડરિકને કહે છે કે: ‘રાજદ્રોહ વંશપરંપરાગત નથી, નામદાર, અને જો એ અમને અમારા મિત્રોમાંથી મળ્યો છે તો એનાથી મારે શું? મારા પિતા તો ગદ્દાર નહોતા.’ અહીં શેક્સપિઅર ‘પરિવાર’ને ‘મિત્ર’ ગણાવે છે. તો ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (અંક ૫, દૃશ્ય ૧)માં એન્ટોનિયો સેબેસ્ટિઅનને બચાવીને હેમખેમ શત્રુ રાજ્યમાં પહોંચાડવાનું જોખમ લઈ ધરપકડ થયા બાદ બિનશરતી પ્રેમને મૈત્રી વડે વ્યાખ્યાયિત કરે છે. તો ‘જુલિયસ સિઝર’(અંક ૩, દૃશ્ય ૨)માં માર્ક એન્ટની સિઝરની હત્યા કર્યા બાદ ભીડને સંબોધીને કહે છે, ‘મિત્રો, રોમનલોકો, દેશવાસીઓ, મારી વાત ધ્યાનથી સાંભળો.’ એ પોતાની પ્રજાને બીજા કોઈપણ સંબોધન કરતાં પહેલાં મિત્રો કહીને સંબોધે છે. મિત્ર સંબોધન પ્રેમી, ખાસ તો અવૈધ સંબંધ માટે પણ એ વાપરે છે. ‘ઓથેલો’ (અંક ૩, દૃશ્ય ૪)માં કેસિયો એની પ્રેમિકા બિઆન્કાને એક રૂમાલ એના ભરતકામની નકલ કરવા માટે આપે છે ત્યારે બિઆન્કા કહે છે, ‘આ કોઈ નવી મિત્રની ભેટ લાગે છે.’ ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માં બે પુરુષો (બસાનિઓ અને એન્ટોનિઓ) તો ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ (હેલેના અને હર્મિઆ) તથા ‘એઝ યુ લાઇક ઇટ’માં (રોઝાલિન્ડ અને સિલિઆ) બે સ્ત્રીઓ વચ્ચેની સજાતીય મૈત્રીની વિભાવના પણ એ આપે છે. ‘રોમિયો જુલિએટ’ જેવી વિજાતીય મૈત્રી તો એના નાટકોમાં ચારેતરફ વેરાયેલી છે. ટૂંકમાં, મિત્રતા એ કોઈ એક સંબંધ પૂરતું સીમિત નામ નથી, પણ બે વ્યક્તિ લાગણીના તંતુથી જોડાય એ જ મિત્રતા.

પણ મિત્રતાની વિભાવના જોવા માટે આપણે છે…ક શેક્સપિઅર સુધી નજર શા માટે લંબાવવી? આપણા પુરાણો-કથાઓ ભર્યાં પડ્યાં છે દોસ્તીના સ્વર્ણિમ પ્રકરણોથી. એકતરફ કૃષ્ણ-સુદામાની દોસ્તી છે તો બીજી તરફ કૃષ્ણ-દ્રૌપદીનું સખ્યત્વ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ સગપણ ઓછું અને દોસ્તી વધુ નજરે ચડે છે. બલરામ અને કૃષ્ણ પણ ભાઈ ઓછા અને ભાઈબંધ વધુ અનુભવાય છે. ખેર, કૃષ્ણ તો માણસ જ સંબંધોનો છે. એના મોરપિચ્છના જેટલા રંગ એથી વધુ તો એની મૈત્રીના. રામ અને હનુમાનની મૈત્રી રાવણ માટે તો કર્ણ અને દુર્યોધનની મૈત્રી આખી કૌરવસેના માટે નિર્ણાયક બની. પુરાણની વાતો છોડીએ તો આપણા હિંદી સિનેમાનો ઇતિહાસ પણ દોસ્તી, આનંદ, શોલે, યારાના, દોસ્તાના, દિલ ચાહતા હૈ જેવી સીમાચિહ્ન ફિલ્મોથી ઉજ્જવળ છે. ટૂંકમાં, જ્યાં જ્યાં સાચી દોસ્તી નજરે ચડી છે, ત્યાં લોકોએ એને વધાવી જ છે.

આ કવિતામાં જોસેફ દોસ્તીની આવી જ વાત લઈને આવ્યા છે. કવિતાની શરૂઆત જ નિતનવા દોસ્તો બનાવવાની છૂટ લેવાની વાતથી કરે છે પણ તરત જ યાદ અપાવે છે કે નવા દોસ્તો ભલે બનાવીએ પણ જૂનાને ભૂલવાના નથી કેમકે જો નવા દોસ્તો ચાંદી જેવા કિંમતી છે તો પુરાણા યાર સોના જેવા, બહુમૂલ્યવાન છે. એક બહુ સુંદર વાક્ય શેક્સપિઅરના નામે ચડી ગયું છે: ‘નવા મિત્રો કવિતા જેવા છે પણ જૂના તો મૂળાક્ષરો (આલ્ફાબેટ્સ) જેવા છે.મૂળાક્ષરોને ભૂલશો નહીં કેમકે કવિતા વાંચવા માટે તમને એની જ જરૂર પડશે.’ (હકીકત એ છે કે શેક્સપિઅરે એમના સમગ્ર સર્જનમાં ‘આલ્ફાબેટ’ શબ્દ માત્ર એક જ વાર ‘ટાઇટસ એન્ડ્રોનિકસ’માં જ વાપર્યો છે.) એમિલિ ડિકિન્સન પણ ‘મારા મિત્રો એ જ મારી ગરાસ છે’ એમ કહે છે. જોસેફ પણ બંને પ્રકારની મૈત્રીનું મૂલ્ય કરે છે. નવી દોસ્તીને એ નવી શરાબ સાથે સરખાવે છે, જે સમય જતાં વધુ અસરદાર અને મૂલ્યવાન બનશે જ. જે દોસ્તી સમય અને પરિવર્તનની કસોટી પર ખરી ઊતરી શકે છે એ જ બધામાં સર્વોપરી છે. ‘હેમ્લેટ’માં શેક્સપિઅર લખે છે: ‘તમારી પાસે જે મિત્રો છે, અને જેમની વફાદારી ચકાસી લેવાઈ છે, એમને લોઢાની હાથકડીથી તમારા આત્મા સાથે બાંધી રાખો, પણ દરેક નવા અપરિપક્વ માણસ સાથે તમારે હથેળી ગંદી ન કરો’ શેકસપિઅરના નામે ચડી ગયેલ ‘ધ પેશનેટ પિલ્ગ્રિમ’ની આખરી કવિતામાં હકીકતમાં રિચર્ડ બાર્નફિલ્ડ ‘વફાદાર મિત્રો મળવા મુશ્કેલ છે’ એમ કહે છે. (૧૫૯૯માં પ્રગટ થયેલ આ પુસ્તકમાંની વીસ કવિતામાંથી હકીકતમાં પાંચ જ કવિતા શેક્સપિઅરની હોવાનું પુરવાર થયું છે.)

સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્ત જ આપણો હાથ ઝાલીને આપણી વીતેલી ગઈકાલમાં લઈ જઈ શકે છે અને ते हि नो दिवसा गताःથી બિલકુલ વિપરીત એ આપણને ઘડપણમાં પણ નવયુવાનીનો અહેસાસ કરાવી શકે છે. પણ દરેક વસ્તુ એક એક્સપાયરી ડેટ સાથે જ આવે છે. દોસ્તી ભલે કદી મરતી નથી, પણ દોસ્તો તો મરણ પામે જ છે ને! એક પછી એક બધા જ દોસ્ત મરણને શરણ થાય ત્યારે? જોસેફ એટલે જ નવા મિત્રો પણ બનાવતા જવાની સલાહ આપે છે. એ કહે છે, જૂની દોસ્તીનું જીવની જેમ જતન કરો, કેમકે બધામાં એ જ સર્વોત્તમ છે. અને કવિતાની શરૂની બે પંક્તિઓનું પુનરાવર્તન કરીને પોતાના મુદ્દા નીચે ડબલ અંડરલાઇન કરે છે. કોઈકે કહ્યું છે ને, ‘કપડાંની વાત હોય તો નવાં શ્રેષ્ઠ છે, પણ દોસ્તોની વાત હોય તો જૂના.’ લૂઈ વૉલેસ ‘બેન-હુર’ નવલકથામાં લખે છે કે ‘આ પાગલ દુનિયામાં એક જ શાણપણ છે, અને તે છે જૂના દોસ્તોની વફાદારી.’ એક અજ્ઞાત કવિનો દોહો યાદ આવે છે:

दोस्ती ऐसी कीजिये जैसे सिर के बाल
कटे कटावे फ़िर कटे, जड से न जाए ख्याल।

પહેલી નજરે કવિતામાં માત્ર જૂના મિત્રોનું જ માહાત્મ્ય કર્યું હોય એમ લાગે પણ ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે કવિએ નવા અને જૂનાનું નહીં, પણ દોસ્તીનું જ માહાત્મ્ય કર્યું છે. જૂનાની વાત કરતી વખતે પણ એ યાદ કરાવે છે કે નવા મિત્રોની પણ જરૂર પડવાની જ છે, કેમકે આજે જે નવા છે, એ જ તો કાલે જૂના થશે. અને જૂનું એટલું સોનું તો આપણે જાણીએ જ છીએ. જે મિત્રો આપણા જીવનની અંતરંગ ક્ષણોના સાક્ષી છે, જેમણે આપણી લાગણીઓના ઉતારચઢાવ સતત જોયા છે, જે આપણી સફળતા-નિષ્ફળતામાં આપણા કદમ સાથે હરદમ કદમ મિલાવતા આવ્યા છે, જે કદાચ આપણા સ્વ-ભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે એ દોસ્તથી બહુમૂલ્ય ઘરેણું જીવનમાં કયું હોઈ શકે? ઈસુથી સો વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ ટુલિયસ સિસેરોએ કહ્યું હતું કે મિત્ર એ તમારી બીજી જાત (another self) છે; મિત્રો ‘બે શરીરમાં એક આત્મા’ છે. આજે આપણા સૌની સહનશક્તિ ઐતિહાસિક તળિયાને આંબી રહી છે, ત્યારે નાનીમોટી વાતોમાં આપણને ખોટું લાગી આવે છે, નજીવી બાબતમાં વર્ષોની દોસ્તી તૂટી જાય છે અને ક્યારેક જેના વિના જીવન શક્ય પણ નહોતું લાગતું એ સામા મળી જાય તો હસવાનુંય દુષ્કર થઈ પડે છે. સોશ્યલ મિડીયાની દોસ્તી આજે વાસ્તવિક દોસ્તી કરતાં આપણને વધુ મીઠી લાગવા માંડી છે. વર્ચ્યુઅલ સંબંધોનું રૉલર ધરતીમાં ઊંડે મૂળ ઊતારીને ઊગેલા વાસ્તવિક સંબંધો પર ઝડપભેર ફરી વળવા માંડ્યું છે. પણ જીવનમાં રડવા માટે આ વર્ચ્યુઅલ ખભા કામ નથી આવતા. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય! ખોળિયામાં જેમ શ્વાસ એમ જીવનમાં દોસ્તનો ખભો અનિવાર્ય છે:

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે!

દોસ્તના ખભા ઉપર મૂકાયેલા માથાંઓએ તો ઇતિહાસ સર્જ્યા છે. જે ખભા પર આપણી જિંદગીની રામાયણ-મહાભારતના એક-એક શ્લોક લખાયા છે એ ખભાને નાની-મોટી વાતોમાં તરછોડવાનું, અવગણવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય? જીવનના બબ્બે-પાંચપાંચ દાયકાઓ આપણી સાથે કોઈ મિત્ર બનાવીને વીતાવે એ વાત જ કેટલી મોટી છે! આપણી સહનશક્તિનો ગ્રાફ થોડો ઊંચો રાખીને આવા મિત્રો છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ બની રહે એ જોતાં શીખી જઈશું તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં રહે કેમકે ‘ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.’

ગ્લૉબલ કવિતા : ૭૨ : શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર

आँख जब आईने से हटाई
श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

શ્યામ! હું તારી ગાયો ચરાવું

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)
પાકિસ્તાનની મીરાંબાઈ – પરવીન શાકિર અને શ્રીકૃષ્ણપ્રેમ

ગિરધરગોપાળ શ્રીકૃષ્ણ ધર્મ-જાતિ-સ્થળ-કાળથી પર છે. એના પર કોઈ ધર્મ કે દેશનો સિક્કો મારી ન શકાય. કૃષ્ણની લીલાઓ સેંકડો સદીઓથી માનવજાતને આકર્ષતી આવી છે. શ્રીકૃષ્ણને તમે ગ્લૉબલ મેગ્નેટ કહી શકો. કૃષ્ણ જેટલો લાડકો ભગવાન કોઈ થયો નથી, થશે નહીં. બીજા ભગવાનોથી વિપરીત એને તમારે ‘તું’ કહીને જ બોલાવવો પડે. પ્રસ્તુત નઝ્મમાં પરવીન શાકિર સૌના માનીતા કાનજી અને રાધાની વાત લઈને આવે છે.

પરવીન શાકિર સઈદ. કૃષ્ણની જેમ જ પરવીન પણ એના ચાહકોને એવી તો પ્યારી અને પોતીકી લાગે છે કે એને તુંકાર સિવાય બોલાવીએ તો વચ્ચે દીવાલ અનુભવાય. પરાણેય તમારે એને એકવચનમાં જ સંબોધવી પડે. જન્મ ૧૪-૧૧-૧૯૫૨ના રોજ કરાચી, પાકિસ્તાન ખાતે. પિતાના નામ શાકિરઅલીમાંથી શાકિરને એણે આજીવન પોતાની અટક તરીકે અપનાવ્યું. ઘરમાં વાતાવરણ સાહિત્યનું પણ લેખન પહેલવહેલું આદરનાર પરવીન. ખૂબ નાની વયે ગદ્ય-પદ્ય બંને પર હાથ અજમાવ્યો. શરૂમાં ‘બીના’ના છદ્મનામે લખતી. અંગ્રેજી સાહિત્ય, ભાષાશાસ્ત્ર, બેન્ક વહીવટ અને મૃત્યુના 3 વર્ષ પહેલાં જ અમેરિકાથી સાર્વજનિક પ્રશાસન -આમ ચાર-ચાર તો માસ્ટર્સ ડિગ્રી. પીએચડી પણ કર્યું. નાની-મોટી પદવીઓ અલગ. આટલો બધો ઉચ્ચઅભ્યાસ અંગ્રેજીમાં કર્યો હોવા છતાં અભિવ્યક્તિની ભાષા તરીકે એણે ઉર્દૂ પર જ મહોર મારી. ૧૯૮૨માં જ્યારે પરવીન સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષા આપવા બેઠી હતી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એક સવાલ એની કવિતા વિશે જ પૂછાયેલો હતો. નવ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ સિવિલ સર્વિસમાં કસ્ટમ ખાતામાં જોડાઈ. ઇસ્લામાબાદ ખાતે ફેડરલ બ્યુરૉ ઓફ રેવન્યૂમાં નાયબ સચિવ બની. ગજબનાક સૌંદર્યવતી. એનું અપાર ભણતર, મેધાવી બુદ્ધિપ્રતિભા, બેસુમાર રૂપ, ક્રાંતિકારી વિચાર અને પાકિસ્તાન જેવા રુઢિચુસ્ત દેશમાં એક મુસલમાન મહિલા હોવા છતાં બેબાક હિંમતભેર લખેલી અને મંચ પરથી એના મદહોશ અવાજમાં રજૂ થતી એની બળવાખોર કવિતા ભલભલાને આંજી નાખતા. પાકિસ્તાની તબીબ સઈદ નાસિર અલી સાથે નિકાહ અને થોડા સમયમાં છૂટાછેડા. ભારતની એની મુલાકાત દરમિયાન એક ભારતીય જ્યોતિષીએ એનો હાથ જોઈને ભાખ્યું હતું કે એ એનું પાંચમું પુસ્તક પૂરું કરી શકે એ પહેલાં જ મૃત્યુ પામશે. થયું પણ એવું જ. ૨૬-૧૨-૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ કામે જતી વખતે એની કારના બસ સાથેના અકસ્માતમાં માત્ર બેતાળીસ વર્ષની નાની વયે એ જન્નતનશીન થઈ. એવું પણ માનવામાં આવે છે કે આ અકસ્માત પાછળ એના વિરોધીઓ અને/અથવા સરકારનો હાથ હતો. પણ મેરેલિન મનરો, મધુબાલા, દિવ્યા ભારતી, જિયા ખાન અને શ્રીદેવી જેવી સુંદરીઓના અકાળ અવસાનની જેમ જ એનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.

પરવીનની કવિતા નખશિખ એક સ્ત્રીની કવિતા છે. એના પ્રથમ સંગ્રહ ‘ખુશબૂ’ની પ્રસ્તાવનામાં એ લખે છે: ‘પરવીને પરવરદિગારને પ્રાર્થના કરી કે તું મારી અંદર રહેલી કન્યાનો મને સાક્ષાત્કાર કરાવ. ખુદા પણ હસ્યો હશે એ છોકરીની નાદાની પર. પૃથ્વી પર વસતા માનવીને આત્મજ્ઞાન થાય તેની જેવી બીજી કોઈ દુઃખદ ઘટના નથી એ વાત આ છોકરી જાણતી ન હતી. આમ છતાં પ્રાર્થના મંજૂર રાખવામાં આવી.’ અહીં બે વસ્તુ નજર સામે આવે છે. એક, પરવીનની કવિતા એ એના આત્મજ્ઞાનના પરિણામે જન્મેલા તીવ્રતમ દુઃખની ઉપજ છે અને બીજું, એ પોતાની જાતને એક સ્ત્રી તરીકે નહીં, છોકરી તરીકે જુએ છે પરિણામે એની કલમમાં શરૂથી અંત સુધી યુવાનીના ઉંબરે ઊભેલી યુવતીની મુગ્ધતા નજરે ચડે છે. ઉર્દૂ ગઝલ અને આઝાદ નઝ્મ એ પરવીનની કવિતાના બે પહલૂ છે. એની કવિતાઓ આત્મકથનાત્મક શૃંગારપ્રચૂર કામુકતાના કારણે બેહદ ચર્ચાનો વિષય બની હતી. એના વિરોધીઓનો વર્ગ જેટલો વિશાળ હતો, એટલો જ વિશાળ વર્ગ એના બેફામ સમર્થકોનો પણ હતો. શું કવિતા, શું દામ્પત્યજીવન કે શું સરકારી નોકરી- પરવીને કદી પાકિસ્તાનના સંકુચિત પછાત માનસધારી પુરુષપ્રધાન સમાજની પરવા કરી નહોતી. પોતાની સ્ત્રીસહજ ઊર્મિઓ એણે કશાય ઢાંકપિછોડા વિના હિંમતપૂર્વક રજૂ કરી છે. તમારી ગઝલ તો મર્દાના છે એવા આરોપની સામે મુશાયરામાં જરા પણ ઝંખવાયા વિના એણે ‘તો પછી સ્ત્રીની ગઝલ સાંભળો’ એમ કહીને ‘હુસ્ન કો સમઝને કો ઉમ્ર ચાહિયે જાનાં, દો ઘડી કી ચાહત મેં લડકિયાઁ નહીં ખુલતી’ જેવી ગઝલ ફટકારીને ટીકાકારોનો મોઢા સીવી લીધા હતા. ડૉ. બશીર બદ્ર પરવીનને ‘પૂરી ઔરતકી પહલી ગઝલ’ કહીને ઓળખાવે છે.

પ્રસ્તુત નઝ્મનું શીર્ષક ‘શ્યામ! હું તારી ગાયો ચરાવું’ વાંચતા જ નવાઈ અનુભવાય. પાકિસ્તાની મુસલમાન શાયરા અને શ્યામ? કંઈ ભૂલ તો નથીને? પણ પરવીનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે શ્રીકૃષ્ણપ્રેમની એની આરત આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પરવીનને ‘પાકિસ્તાનની મીરાબાઈ’ કહીએ તોય કંઈ ખોટું નથી. પણ પરવીન જ શા માટે, ઘણા બધા મુસલમાન કવિઓ સદીઓથી કૃષ્ણપ્રેમની કવિતાઓ લખતા આવ્યા છે. પઠાણ ભક્ત કવિ રસખાન (સૈયદ ઈબ્રાહીમ) (?૧૫૪૮-?૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) ઉપરાંત ઢગલાબંધ મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણના ભક્તિગાન કર્યા છે. રસખાન એક રચનામાં કહે છે:

मानुष हौं तो वही रसखानि बसौं ब्रज गोकुल गांव के ग्वारन।
जो पशु हौं तो कहा बस मेरो चरौं नित नन्द की धैनु मंझारन।।
पाहन हौं तो वही गिरि को जो धरयो कर छत्र पुरन्दर धारन।
जो खग हौं तो बसेरो करौं मिलि कालिन्दी कूल कदम्ब की डारन।।

((કવિ) રસખાન કહે છે કે જો માણસ (અવતાર) હો તો ગોકુળ ગામના ગોવાળ તરીકે મળે, જો પશુ (અવતાર) હો તો નંદની ગાયો વચ્ચે ચર્યા કરું, જો પથ્થર થાઉં તો એ જ પહાડનો જેને પુરંદર (ઇન્દ્ર)ના કારણે છત્ર બનાવીને ધારણ કર્યો હતો, અને જો પંખી હોઉં તો કાલિન્દી કાંઠે કદમ્બની ડાળે રહું.)

ગઝલની સરખામણીમાં એની નઝ્મ અનેકવિધ વિષયોને સાંકળી લેતી, અને ક્યારેક વધુ બળકટ પુરવાર થતી નજરે ચડે છે. અંગ્રેજી શબ્દો અને શીર્ષકોનો પણ એને છોછ નથી એ એક કવિ તરીકેના મોકળાપણની નિશાની છે. પરવીનની નઝ્મોના નાનાવિધ વિષયવસ્તુઓમાંનો એક પ્રધાન વિષય તે કૃષ્ણ. પરવીનની રચનાઓમાં અવારનવાર મીરાંની દીવાનગી અને રાધાનો તલસાટ વંચાતો રહે છે. એ પોતાનો આત્મા સુદ્ધાં મુરલીમનોહર પર વારી દેતા કહે છે:

बस इक आत्मा रहती है/जो दान करुँ तुझ पर!
मनोहर/क्या वारुँ तुझ पर?

પ્રસ્તુત નઝમનો પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે. પ્રથમ બંધ વાંચતી વખતે શ્રી કૃષ્ન બિહારી ‘નૂર’ની ગઝલનો એક શેર પણ યાદ આવ્યા વિના નહીં રહે:

દેના હૈ તો નિગાહ કો ઐસી રસાઈ દે
મૈં દેખૂં આઇના,તો મુઝે તૂ દિખાઈ દે

સપનામાં ગોકુળના રાજા સખીઓને વધાઈ આપવા આવ્યા છે એટલે એમ જ લાગે છે કે ખુદ વાદળે આજે મહેર કરી છે. વાદળ ગોરંભાયેલું હોય ત્યારે શ્યામરંગનું હોય છે. શ્યામ વાદળ જ વરસી શકે. શ્યામસુંદર આજે માયા લૂંટાવી રહ્યો છે તો શા માટે આપણે આપણી માટીની ગાગરમાં આપણી પાત્રતા અનુસાર ભરી શકાય એટલું પ્રેમજળ ન ભરી લઈએ? રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ યાદ આવે: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને તોય હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ પણ પનઘટ પર જવાની વાત આવી ક્યાંથી? આ જિદ્દ કરવા માટે ગાગરે કોની પાસે વિનંતી કરાવી? શ્યામને પનઘટ ગણીએ અને આપણી જાતને માટીની ખાલી ગાગર ગણીએ તો? પરવીન કહે છે, આપણો ખોબો તો કાણો છે. એમાં પાણી ઝાલવાની ગમે એટલી કોશિશ કરીએ, પાણી વહી જ જાય છે ને એ છતાં કૃષ્ણની તરસ છિપાઈ જાય છે એ કેવો કોયડો છે! કૃષ્ણનું ધ્યાન જો કે ખોબામાંથી સરી જતા પાણી તરફ છે જ નહીં, એ તો આકંઠ રાધાના સૌંદર્યનું પાન કરી રહ્યો છે એટલે તરસ તો છિપાઈ જ જાય ને! હકીકતે પણ કૃષ્ણમુરારિ તો ભાવના ભૂખ્યા છે. દ્રૌપદીના પાત્રમાંના કોથમીરના નાના અમથા પાંદડા માત્રથી એની ક્ષુધા શમી જાય છે. પનઘટ પર પાણી ભરવા આવીએ તો યમુનામાં નહાવું પણ પડે, ને નહાવા પડીએ તો ચુંદડી કદમ્બ પર નાખવી પડે ને એમ કરીએ તો કાનજી બધા કપડાં પોતાના કબ્જે કરી જ લેવાનો છે. નદીમાંથી નિર્વસ્ત્ર બહાર કેમ આવવું? પણ બધા જ આવરણ ઘનશ્યામે કબ્જે કરી લીધા હોય એથી વિશેષ પરમસુખ કયું? એ ખુદ દુન્યવી આવરણોથી મુક્તિ આપતો હોય તો હવે જેમ છીએ એમ રહેવામાં જ સાચું સુખ નથી? એટલે રાધા અને ગોપીઓ નદીના જળને જ આંચલ બનાવી લે છે. જેણે માથાની બિંદી ચોરી છે, એ ચિત્તચોરની મરજી વિના ઊંઘ પણ આવનાર નથી. આ મનોહરના મનમાં શું છે એ તો એ જ જાણે પણ એણે માત્ર કાયા જ નહીં, રાધાનો આત્મા સિક્કે રંગી નાંખ્યો છે. એક નઝ્મમાં પરવીન કહે છે:

तू है राधा अपने कृष्ण की, तेरा कोई भी होता नाम
तेरा रंग भी कौन-सा अपना, मोहन का भी एक ही काम

હવે વાત સ્વથી સર્વ સુધી આવે છે. રાધાએ તો પોતાના પનઘટગમન વિશે સખીઓને કંઈ જ કહ્યું નથી. કૃષ્ણને મળવાની આશામાં એ તો એકલી આવવા નિસરી હતી પણ દુશ્મન ઝાંઝરની ઝણકાર એના અભિસારને છતો કરી દે છે. એક અન્ય નઝ્મમાં પરવીન એના સાજશૃંગારમાં પાયલની વાત કરે છે:

हाथों की इक-इक चूडी में मोहन की झनकार
सहज चले फिर भी पायल में बोले पी का प्यार

કાનજી મૂઓ પણ કાંઈ કમ નથી. એ એકલી રાધા સાથે મીઠો કલહ નથી માંડતો, બધી ગોપીઓ સાથે પણ રાસલીલા રચાવે છે. શ્યામને રીઝવવા માટેના રાધાના પ્રપંચ પણ નજરે ચડે છે. કયા ફૂલની ખુશબૂ એને પસંદ પડી જાય એની સૂઝ ન પડતાં હરખઘેલી આંચલમાં જાત-જાતના ફૂલો ભરી લાવી છે. લક્ષ્મણ માટે કઈ જડીબુટ્ટી લાવવી એ બાબતમાં ગૂંચવાયેલા હનુમાન યાદ આવી જાય. દુનિયાદારીમાં કામના બદલામાં વેતન મેળવવાનો રિવાજ છે પણ શ્યામદારીમાં રાધા શ્યામની ગાય ચરાવવાનું કામ મળે તો બદલામાં પોતાની કમાઈ પણ આપવા તૈયાર છે. હકીકતમાં તો આપણી પાસે જે કંઈ છે એ બધું શ્યામનું જ છે એટલે આ તો तेरा तुझ को अर्पण અથવા त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये જેવી વાત થઈ. કબીરે પણ આ જ કહ્યું હતું, ‘मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोह, तेरा तुझको सौपता, क्या लागे है मोह’ આ પ્રેમ છે, આ પ્રેમનો ખરો મહિમા છે. પરવીન કેવી સરસ વાત કરે છે! કહે છે, કૃષ્ણ તો માત્ર માર્ગ ભૂલ્યા હતા. ગોકુળ છોડીને ગયા એ ગયા, ફરી આવ્યા જ નહીં પણ રાધા તો બિચારી પૂરી સુધબુધ ખોઈ બેઠી છે. અહીં ‘રસ્તો ભૂલવા’નો બીજો અર્થ આડા રસ્તે ચડી જવું પણ થાય છે એ ભૂલવા જેવું નથી. પણ તોય શ્યામ માટે કોઈ ફરિયાદ નથી. વિમાસણ છે તો એ જ કે દુનિયાના બધા જ સૂર એક માત્ર વાંસળીની ધૂનમાં કેવી રીતે સમાયા છે? અન્ય એક મુસલમાન ભક્તકવિ ચાંદ કાજી બહુ સ-રસ વાત કરે છે:

बाँशी बाजानो जान ना
असमये बाजाओ बाँशी पराण माने ना।
यखन आमि बैसा थाकि गुरुजनार माझे
नाम धैरा बाजाओ बाँशी आमि मरि लाजे॥

(વાંસળી વગાડવાનું તું જાણતો નથી. કસમયે વાંસળી વગાડે છે ને (મારા) પ્રાણ માનતા નથી. જ્યારે હું વડીલજનોની વચ્ચે બેઠી હોઉં છું, તું નામ લઈને વાંસળી વગાડે છે ને હું લાજી મરું છું.)

આગળ પરવીન જે વાત કરે છે એ એક સ્ત્રી જ કરી શકે. શ્યામ સાથે આ જે બંધન બંધાયું છે એ વાત માત્ર સ્ત્રી જ સમજી શકે, દુનિયાનો કોઈ પુરુષ, પછી ભલેને એ પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ કેમ ન હોય, એની સમજની બહારની છે. સ્ત્રીનો પ્રેમ, બિનશરતી સમર્પણ અને નિરપેક્ષતા પુરુષના કૉર્સ બહારનો દાખલો છે. અને અંતમાં સમર્પણની પરાકાષ્ઠાએ રાધા જે વિમાસણ અનુભવે છે એ જોઈને કૃષ્ણની રાસલીલા જોતાં નરસિંહ મહેતા જરૂર યાદ આવે. રાસલીલામાં તલ્લીન નરસિંહને એય ભાન નથી રહેતું કે હાથમાંની મશાલ સળગીને ક્યારે ખતમ થઈ ગઈ ને મશાલના સ્થાને હાથ ક્યારે સળગવા માંડ્યો! પરવીન કહે છે કે રાધાના હાથ શ્યામના અભિવાદન માટે ફૂલો-ગજરાથી એવા ભર્યા પડ્યા છે, બંને એવા એકાકાર થઈ ગયા છે કે હાથની રચના હાથમાંના ફૂલો કરતાં પહેલાં થઈ ચૂકી હતી કે ગજરામાંથી જ કાંડું ફૂટ્યું છે એ જ સમજાતું નથી. આ પ્રેમની ચરમસીમા છે. આ પ્રેમની આગળ સાક્ષાત ગોવર્ધનધારીની પણ કંઈ વિસાત નથી.

જરા ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે એક જ નાની અમથી નઝ્મમાં પરવીન કેવી બખૂબી આખાય ભાગવતને સમાવી લે છે! કૃષ્ણની બાળલીલાના મોટાભાગના અગત્યના પહલુઓ પરવીને અહીં એક જ નઝ્મમાં કેદ કરી દીધા છે. આ કરામત સર્વાંગ સંપૂર્ણ સમર્પણ વિના શક્ય નથી ને એટલે જ પરવીનને ફરી-ફરીને ‘પાકિસ્તાનની મીરા’ કહેવાનું મન થાય છે.

ગ્લૉબલ કવિતા : ૭૧ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. આ કળાની તાકાત છે કેમકે સર્જક માત્ર સર્જન કરતી વખતે જ પોતાના સર્જનનો માલિક હોઈ શકે, એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા કે એ પરાયા થઈ ગયા. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું! આવી જ એક કવિતા બ્રિટિશ કવયિત્રી શીનાઘ પ્યુ લઈને આવ્યા છે.

શીનાઘ પ્યુ. કવિ, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે ૨૦-૧૨-૧૯૫૦ના રોજ જન્મ. હાલ શેટલેન્ડ ખાતે પતિ સાથે રહે છે. નિવૃત્ત થયા ત્યાં સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં હતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે, હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું. શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેની ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે. સરળતાનું પડ જરા ઊંચકતા જ અંદરથી કંઈક અણધાર્યું જ આપણા હાથમાં આવી પડે છે. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને તરત સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ એમને એંગ્લો-વેલ્શ કવિ ગણી શકાય પણ જે રીતે એમની કવિતાઓના વિષયવસ્તુ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લે છે એ જોતાં એમને વિશ્વનાગરિક ગણવું વધુ ઉચિત થઈ પડે છે.

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. લંડન, હેલસિંકી, પિટ્સબર્ગ જેવા શહેરની ટ્રામ, મેટ્રો અને સ્ટેશનમાં આ કવિતા રોજ સેંકડો મુસાફરો વાંચે છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. એ એના બ્લૉગ પર લખે છે કે આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં. આજે જ્યારે કવિતા નીચે કવિનું નામ લખવાનું રહી ગયું હોય તો કવિ હોબાળો મચાવી દે એવા સંજોગોમાં શીનાઘ પોતાનું નામ કવિતા નીચે ન લખવા આગ્રહ કરે છે. શીનાઘ કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. એ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘ ભલે આ કવિતાથી ધરાઈ ગયાં છે પણ સેંકડો લોકો માટે આ કવિતા આશાનું કિરણ બનીને આવી છે. દુનિયાભરના લોકોએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની મદદ કરવા માટે આ કવિતાનો સહારો લીધો છે. કવિની કવિતા માટેની નફરતનો લોકોએ જાયજો પણ લીધો છે ને કવિને એમ કહીને ઝાટ્ક્યા પણ છે કે તમારે જાતે જ તમારી કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી બધી તમારી પાસે. લોકોથી મોટો વિવેચક કોઈ નથી. લખો એવી કવિતા જે આ કવિતાને ટપી જાય. – કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે?

આર્થર કોનન ડોયલને એમની ઐતિહાસિક નવલકથાઓ વધુ વહાલી હતી, પણ લોકોને શેરલોક હોમ્સ જ એટલો ગમ્યો કે જેનાથી છૂટકારો મેળવવા લેખકે મારી નાખ્યો હતો, એ જ શેરલોક હોમ્સને એણે ફરી જીવતો કરવો પડ્યો હતો. અગાથા ક્રિસ્ટી પણ એના અમર પાત્ર ‘હરક્યુલ પોઇરો’થી પરેશાન હતાં કેમકે પ્રકાશકો એ સિવાય બીજું કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત હતા. ફ્રાન્ઝ કાફ્કાએ તો પોતાનું ઘણુંખરું લખાણ સળગાવી દીધું હતું અને જે અધૂરા લખાણ મૃત્યુપર્યંત સળગાવી દેવા કહ્યું હતું એ જ ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ એને અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને પણ વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. શીનાઘને પણ આ રચના સાથે આવો જ લવ-હેટનો સંબંધ છે.

રચનાની દૃષ્ટિએ ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ કવયિત્રી પોતે આ રચના લખતી વખતે ગંભીર નહોતા એટલે એમણે ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી એટલે આખરી અંતરાને બાદ કરતાં રચનામાં પ્રાસ શિથિલ જોવા મળે છે. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલો રશિયન અનુવાદ શીનાઘને પોતાની રચના કરતાંય વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચના અ-બ-અ-બ પ્રકારની પ્રમાણમાં નિયમિત કરી છે અને અંગ્રેજીમાં જે અપૂર્ણાન્વય (enjambment) છે એને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે અહીં જે વાત છે એ રોજમરોજની નથી, કાયમની નથી પણ કદીમદીની છે. કવિતામાં જે વિધેયાત્મક્તા અને આશા છે એ હંમેશા પરિપૂર્ણતામાં પરિણમતા નથી. એટલે પહેલી નજરે ભલે કવિતા હકારાત્મક્તાની કેમ ન લાગે, હકીકતમાં એ નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ વધુ ઈશારો કરે છે. જો કે લોકોને ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત વધુ સ્પર્શી ગઈ છે. શીનાઘ કહે છે ક્યારેક ચીજો ખરાબમાંથી વધુ ખરાબ તરફ ગતિ નથી કરતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને બરફના કારણે થતું નુકશાન આગળ આવે છે. કવિ મસ્કાડેલ શબ્દ પ્રયોજે છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. એક અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ થાય છે જોકે વિકીપીડિયા એનો વિરોધ કરે છે. હિમવર્ષા દ્રાક્ષનો પાક વેડફી નાંખતી હોય છે પણ કવિ કહે છે ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને પણ હંફાવીને વિજયી નીવડે છે. ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે છે, પાક નિષ્ફળ જતો નથી. માણસ ઊંચુ નિશાન તાકે છે અને સફળ થાય છે. કવિનો આશાવાદ વધુ આગળ વધે છે. માણસજાત યુદ્ધથી પાછી ફરે છે, ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે છે, અજાણ્યા ગરીબોની દરકાર કરે છે. કેટલાક માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને છે.

ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે છે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ છીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા બરફાચ્છાદિત દુઃખના મેદાનને ક્યારેક સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ દૃષ્ટિગોચર થાય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ ટાઇપ કરતી વખતે ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. કવિને મૂળ વિચાર કરતાં ભૂલ વધુ ગમી ગઈ અને એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર કી-બૉર્ડને સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની જ શક્યા નથી, બધી કોશિશ વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો જ નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ પંક્તિ કવિતાની સફળતાની ચાવી બની ગઈ છે. કવિ કહે છે, જીવનમાં જે બધું જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને પણ ફળે! સામી વ્યક્તિ માટેની મહત્તમ સુકામના વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે કંડારાઈ જવામાં સફળ નિવડી છે.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહી શકશે. માણસના જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળે બેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય જ છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠા પડી જતા અને આપણે દોડીને આ કવિતાને આશ્લેષમાં લેવા જતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…