Category Archives: કાવ્યપ્રકાર

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન (ગીત) ~ કવિ: ચંદ્રકાંત દત્તાણી ~ સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી ~ સ્વર: રેખા ત્રિવેદી

કવિ: ચંદ્રકાંત દત્તાણી
સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી
સ્વર: રેખા ત્રિવેદી

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન;
અમે તમારે શમણે મ્હોર્યા રૂપ રૂપના વન.

આંખ તમારી જુએ સપાટી, અમે છુપાયા કરીએ,
ભીતરને તળ તરો સજન તો રતન સમા સાંપડીએ,

ફૂલ ફૂલ માં ફોરમ ફોરમ, અમે વસંતી યૌવન,
તમે જુઓ તે છીપ સજનવા, અમે માંહ્યલા મોતન,

તમે સુનો તે શબ્દ અમે ના અમે નીરવ નીતરીયે
અમે ના રેશમ સ્પર્શે અમે એકાંત ભરી ઉભરીયે

અમે લહેર આંસુ ની સાજન અમે છલકાતા લોચન
અમે તામાંરી મરૂ ભોમ ના ઝરમર ઝરમર સાવન

અમે તમારે શમણે મ્હોર્યા રૂપ રૂપના વન.

***

તારું શહેર તો સૂર્યનો ભીનો ઉજાગરો (ગઝલ) ~ કૈલાસ પંડિત ~ સ્વર-સ્વરાંકન: આશિત દેસાઈ

રચના: કૈલાસ પંડિત
સ્વર-સ્વરાંકન: આશિત દેસાઈ

તારું શહેર તો સૂર્યનો ભીનો ઉજાગરો
મારું શહેર તો પાણીમાં ડૂબેલ કાંકરો

તારું શહેર તો સાંજના પૂરો થતો દિવસ
મારા શહેરમાં રાત દી ખુલ્લા મળે ઘરો

તારા શેહેરના લોક તો ભૂખ્યા નહિ રહે
મારા શેહેરના લોક તો વાવે છે બાજરો

તારા શહેરમાં સિગ્નલો જોવા મળે બધે
મારા શહેરમાં જ્યાં ગમે ત્યાં આવ-જા કરો

તારા શહેરમાં જિંદગી મૃત્યુ પછી હશે
મારા શેહેરમાં જિંદગી જીવ્યા પછી મરો

 

આપણે હોતા નથી (ગઝલ) ~ બાબુલાલ ચાવડા ‘આતુર’

હોઈએ જ્યાં ત્યાંય હાજર આપણે હોતા નથી
આપણામાં પણ નિરંતર આપણે હોતા નથી

ઘાટ મનગમતો ઘડે ક્યારેક કોઈ આપણો
એટલા નાજુક પથ્થર આપણે હોતા નથી

જેટલાં સૌને સતત દેખાઈએ – દેખાડીએ
એટલાં વાસ્તવમાં સુંદર આપણે હોતાં નથી

એક ચહેરો પણ ન સરખો આપણાથી ઊકલે
સાવ એવાં તો નિરક્ષર આપણે હોતાં નથી

આપણામાં કોઈ પણ પૂરેપૂરું ડૂબી શકે
એ સરોવર કે સમંદર આપણે હોતાં નથી

~ બાબુલાલ ચાવડા ‘આતુર’
~ ગઝલસંગ્રહઃ શબ્દ પણ બોલ્યા વિના

પ્રસ્તુત ગઝલમાં શાયરે આપણી ભીતર રહેલો વિરોધાભાસ આક્રોશ કે ઉહાપોહ વિના, શાંત ચિત્તે વ્યક્ત કર્યો છે.

આયોજન કરીએ ત્યારે સૌથી મોટી મોકાણ ચાલુ કાર્યક્રમે પ્રેક્ષકોનું વ્હૉટસેપ ચેકિંગ અને ચેટિંગ બંધ કરાવવાની હોય છે. કેટલાક તો વળી પહેલી હરોળમાં બેસી ગેમ રમતા હોય છે. એક બહેનને તો મેં સલવાર કમીઝ ખરીદવાની પ્રક્રિયા કરતાં જોઈ ટોક્યા અને વળતરમાં એમની પહાડી નારાજગી વહોરી લીધી હતી. આ પ્રકારનું નિર્લજ્જપણું કલાજગત માટે અપમાનજનક અને હાનિકારક છે. આપણી સામે જ આપણી અવગણના થતી જોવી દુઃખદ છે. શાયરે આપણી કેટલીક ખામીઓ આ ગઝલમાં ઉજાગર કરી છે. આ યાદી લંબાઈ પણ શકે છે.
***

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે ~ કવિ: જવાહર બક્ષી ~ સ્વરાંકન: નિનુ મઝુમદાર ~ સ્વર:  કૌમુદી મુનશી  

કવિ: જવાહર બક્ષી
સ્વરાંકન: નિનુ મઝુમદાર
સ્વર:  કૌમુદી મુનશી

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે

તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સૂરજનાં આવેલા સ્વપનોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકીને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે
***

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો (ગીત) ~ હર્ષદ ત્રિવેદી

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

~ હર્ષદ ત્રિવેદી

જીવે ને અંતે સ્વાહા (ગઝલ) ~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

એ કેવળ અજવાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા
પડછાયા વચગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

આખો જન્મારો કઇ જન્માવ્યું ના ભીતર એ મનવાને,
અંતે, શ્રદ્ધા  માળામાં  જન્મે,  જીવે  ને  અંતે સ્વાહા.

થોડા જણ પંખી માફક સરહદ કાપી અનહદ પામે પણ,
થોડા  જણ  કુંડાળામાં  જન્મે, જીવે  ને અંતે સ્વાહા.

કંઈ અઢળક જીવોને  કેદ કર્યા  છે પોતાની માયામાં,
એ પોતે પણ  જાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

લાંબા ગાળાની સમતા માટે આખો સક્ષમ બનાવ તું,
પરચા  ટૂંકા ગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

મ્હેલ સજાવી રાખો ત્યાં લગ એ વસસે બાકી છું-મંતર,
શ્વાસો છે, રજવાળામાં જન્મે જીવે ને અંતે સ્વાહા.

~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

कोई उम्मीद बर नहीं आती (ग़ज़ल) ~ मिर्ज़ा ग़ालिब ~ स्वर: सुधीर नारायण

ग़ज़ल: मिर्ज़ा ग़ालिब
स्वर: सुधीर नारायण
(1) Live Recording: Komal Nishad Prog, Vadodra (2018)
प्रेषक: प्रणय वसावड़ा

(2) स्वर: जगजीत सिंह

कोई उम्मीद बर नहीं आती
कोई सूरत नज़र नहीं आती

मौत का एक दिन मुअ’य्यन है
नींद क्यूँ रात भर नहीं आती

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

जानता हूँ सवाब-ए-ताअत-ओ-ज़ोहद
पर तबीअत इधर नहीं आती

है कुछ ऐसी ही बात जो चुप हूँ
वर्ना क्या बात कर नहीं आती

क्यूँ न चीख़ूँ कि याद करते हैं
मेरी आवाज़ गर नहीं आती

दाग़-ए-दिल गर नज़र नहीं आता
बू भी ऐ चारा-गर नहीं आती

हम वहाँ हैं जहाँ से हम को भी
कुछ हमारी ख़बर नहीं आती

मरते हैं आरज़ू में मरने की
मौत आती है पर नहीं आती

का’बा किस मुँह से जाओगे ‘ग़ालिब’
शर्म तुम को मगर नहीं आती

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી ~ ગીત: નીલેશ રાણા ~ સ્વર-સ્વરાંકન: નયનેશ જાની 

ગીત : નીલેશ રાણા
સ્વર-સ્વરાંકન :
નયનેશ જાની

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

***

શ્યામ મારો આ કોરો કાગળ (ગીત) ~ સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

કવિ સુરેશ દલાલે અનેક સુંદર કૃષ્ણગીતો આપ્યા છે. અહી એક એવું ગીત છે જેનું સ્વરાંકન કરવું અઘરું પડે. પ્રલંબ લય છે. સુરેશભાઈના કંઠે પઠનરૂપે અનેક વાર સાંભળ્યું છે, પણ સ્વરાંકન સાંભળીને આ ગીત, ફરિયાદ સ્વવરૂપે હોવા છતાં, વધારે વ્હાલું લાગશે.

ગીત: સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે?

રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?
– તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?
– મને કૈં કહેશો ક્યારે?

 

પક્ષીઓ ઊડી આવશે ~ મહેન્દ્રસિંહ જાડેજા 

(રાષ્ટ્રીય પક્ષી દિવસ
૫ જાન્યુઆરી)

તમે થોભો
હું મારાં પગલાંઓને કહું
કે એ ચાલ્યાં આવે
નહિ તો રાતે રસ્તો જડશે નહિ
અને
સમયને મારાં પગલાં ખોવાઈ જવાની
ચિંતા થયા કરશે.

અને જુઓ
ફૂલો કરમાય નહિ
સૂરજને કોઈ ડુંગરાની પાછળ
રહેવાનું કહેજો.

અને કોઈ પંખી આવે તો એને
મારું પેલું ખેતરના ઊભા મોલ જેવું
હરિયાળું ગીત સંભળાવજો.

પતંગિયાં ફૂલો સાથે
વાતો કરવા આવશે
એ સાંભળજો.

અને
મને આવતાં જો વાર લાગે તો
મારું પેલું
ખેતરના ઊભા મોલ જેવું
હરિયાળું ગીત
તમે ફરીથી ગાજો.
પક્ષીઓ ઊડી આવશે….

~ મહેન્દ્રસિંહ જાડેજા