આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…
આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)
પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)
એમણે એક શેરમાં કહ્યું છે –
જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.
અને આ શેર –
ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.
બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.
આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
—
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
—
માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો
—
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
—
શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.
આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.