Category Archives: કવિઓ

સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું… – અશોક ચાવડા ‘બેદિલ’

અમથી અમથી ઊભી રહી ને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

ઘડીક થાતું ચાલી જાઉં ઉમ્બરની બહાર હું
ઘરનું પેલું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઇ મને રોકીને રાખે
અંદરથી કૈં બોલી

આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછા વાળું?
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

એક અરજ આ મારી ખાલી પોતે આવી
મારી અંદરનું અંધારું પીવો
સ્મરણોના અજવાળે મારું આખું યે ઘર
ઝગમગ ઝગમગ શાને કરને દીવો?

દીવો કરતા અંધારાને નામ લઇને તારું
હમણાં હમણાંથી હું ટાળું
સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું…

પતવારને સલામ – શૂન્ય પાલનપુરી

સંગીત ઃ ??
સ્વર ઃ મન્ના ડે (?)

.

પતવારને સલામ, સિતારાને રામ-રામ
મઝધાર જઇ રહ્યો છું કિનારાને રામ-રામ

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નહીં
નિર્માલ્ય એવા પ્રેમ તિખારાને રામ-રામ

દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ

– શૂન્ય પાલનપુરી

ઘાવ કોના? પૂછ ના – ઉર્વીશ વસાવડા

(ગોદમાં ગિરનારની…. )

પ્રેમ છે મારો પ્રથમ
શાહી કાગળ ને કલમ

સૌ સમજવાને મથે
ભેદ ભીતરનો ભરમ

ઘાવ કોના? પૂછ ના
પૂછ કોનો છે મલમ

ગોદમાં ગિરનારની
ગેબની ફૂંકું ચલમ

ભોમમાં નરસિંહની
ભાગ્યથી પામ્યો જનમ

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

આ પહેલા ફક્ત શબ્દો સાથે આવેલું આ રમેશ પારેખનું ગીત આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

બંધ સૌ થયા છે બજારો પણ – આદિલ મન્સૂરી

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે –

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર –

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.



માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

તમે ગયા ને…. – ભીખુ કપોડિયા

તમે ગયાં ને આંગણિયે લીંપણમાં પાડી
હથેળીઓની ભાત નથી કલબલતી.

આંગણ ઢૂક્યો મોર પાધરો
થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો
એક નિસાસો નાંખે;

સવારમાં મુઠ્ઠી દાણા લઇ
તમે વેરતાં કલરવ ક્યાં? ને કેટકેટલી કીકીઓ એની
આંખોમાંથી શૂન્ય વેરતી તાકે?

– અને છીબમાં ન્હાઇ નિરાંતે ઊછળી પડતી
દીવાલ પર તે સૂરજ કેરી ક્યાં છે પેલી માછલીઓ ઝલમલતી?

બપોરના ઢળતી નેવેથી ઉંબર પર
તડકાની લો આ કરવત પાછી ઓકળીયાળી પાંખ
વ્હેરાતી ચાલી;

સાંજ પડ્યે તુલસીને પાનેપાન ઊગતા
સૂરજ આડે ક્યાંથી આંજુ કણકણતી બે
હથેળીઓની લાલી ?

અંધારાનું પતંગિયું પણ કેમ હોલવે
વણ પ્રગટેલા દીવા કેરી શગને મારી આંખોમાં હલબલતી?

તમે ગયા ને….

ડોસા ડોસીના જીવતરની વાત – ચંદ્રકાન્ત સાધુ

જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે

બસમાં બે બેસતાં અડોઅડ એવું કે અળગાં લાગ્યાનો ના વહેમ,
ડોસાડોસીને જોઇ લોકો બોલે છે : જાણે તાજાં પરણેલાંની જેમ,

તાળી દઇને પછી એવું મલક્યાં કે જાણે એવું મલક્યાં કે જાણે
છલક્યાં ને છલક્યાં રે આપણે.

ઉનાળે – શિયાળે – ચોમાસે આપણે તો બારમાસી વરસ્યાં’તાં હેત,
આખ્ખુંય આયખું એવું કોળ્યું કે જાણે લીલુંકુંજાર હોય ખેત,

પીંછાની જેમ પછી એવું ફરક્યાં કે જાણે એવું ફરક્યાં કે જાણે
વેળામાં સરક્યાં એ આપણે

જીવતર આખ્ખુંય જાણે એવું વરસ્યાં કે જાણે એવું વરસ્યાં કે જાણે
તરસ્યાં ને તરસ્યાં રે આપણે.

એકબીજા પાસે જઇને બેસવું – ભરત વિંઝુડા

સ્વર : પ્રીતિ ગજ્જર

સંગીત : ડો. ભરત પટેલ

.

એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું

હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું

પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું

એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

ત્યારે હું ગઝલ જેવું લખું – ભરત વિંઝુડા

(the world famous Golden Gate Bridge in fog..)

હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

હોય તારા નામનાં ઘેરાયેલાં કૈં વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

કયાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

તું અને તે આ અને પેલું બધું અંદર ધૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું