ગ્લોબલ કવિતા : ૧૨૫ : આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

આપણા વૉર્ડનો

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી જન્મ લેનાર દરેક સજીવે મૃત્યુનો અનુભવ કરવો ફરજિયાત હોવા છતાં મૃત્યુ પામ્યા પછી કોઈ પોતાનો અનુભવ પાછળ રહી જનારને કહેવા આવી શકતું નથી. જન્મતાવેંત માથે લખાઈ જનાર અફર મૃત્યુ સૌને ડરાવે તો છે જ પણ આકર્ષે પણ એટલું જ છે. મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં ૨૯ વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે. પણ મૃત્યુની નિશ્ચિતતા કોઈ ત્રાહિત વ્યક્તિએ માથે ઠોકી બેસાડી હોય ત્યારે? નખમાં પણ રોગ ન હોય પણ તમારી જિંદગી અને શ્વાસની માલિકી કોઈ અત્યાચારી પોતાના હાથમાં લઈ લે અને શ્વાસની દોરી ક્યારે કાપશે એની જાણ પણ ન કરે એવી નિશ્ચિત અનિશ્ચિતતામાં મોતની રાહ જોતો માણસ શું વિચારતો હશે એની વાત આજે કરવી છે.

આલ્બ્રેશ્ટ હૌસહૉફર. જર્મન ભૂગોળવિદ્. ૦૭-૦૧-૧૯૦૩ના રોજ મ્યુનિચ, જર્મની ખાતે વગદાર ભૂ-રાજનીતિજ્ઞ કાર્લ તથા માર્થાના ઘરે જન્મ. ભૂગોળમાં પી.એચ.ડી. તેઓ ૧૯૨૮થી ૪૦ સુધી બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના સેક્રેટરી જનરલ તથા તેઓના મુખપત્રના સંપાદક રહ્યા. રુડૉલ્ફ હેસના સલાહકાર. ૧૯૩૩થી તેમણે રાજકીય ભૂગોળ અને ભૂ-રાજનીતિના પ્રૉફેસર તરીકે પણ સેવા બજાવી. હિટલરની સરકારમાં ઊંચી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. હિટલરની વધતી આપખુદી અને યહૂદીઓ પરના દમનનું સમર્થન કરવું એમના માટે દોહ્યલું બની ગયું. ૧૯૪૦માં એમણે નોકરી છોડી દીધી પણ બર્લિન યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું. આલ્બ્રેશ્ટ એમના હોદ્દા પર સર્વોત્તમ હતા. ત્રણ ભાગમાં લખવા ધારેલ પણ અકાળે મૃત્યુના કારણે એક ભાગ પૂરતું જ સીમિત રહી ગયેલ રાજનૈતિક ભૂગોળ પરનું એમનું પુસ્તક બહુખ્યાત થયું. મુઆબિત સૉનેટ્સ સિવાયની કવિતાઓ, નાટકો અને પદ્યનાટકમાં પણ એમણે પદાર્પણ કર્યું હતું. સારા સંગીતકાર પણ હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવાના હેસના પ્રયાસોમાં મધ્યસ્થી તરીકે એમણે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને થોડા અઠવાડિયાની જેલ થઈ પણ બ્રિટન સાથે શાંતિ સ્થાપવા માટે એમની અગત્યતા જોઈને હિટલરે એમને જેલમુક્ત તો કર્યા પણ ગેસ્ટાપો ખાતે નિગરાનીમાં રાખ્યા. પણ, સંપૂર્ણ લશ્કરી અને રાજકીય હોનારતથી બચવા હિટલરને પૂર્ણતયા હટાવવું અનિવાર્ય છે એમ આલ્બ્રેશ્ટને લાગ્યું. ૧૯૪૪માં એ કામ બૉમ્બથી કરવાનું નક્કી કરાયું. હિટલરનો જમણો હાથ ખરાબ રીતે ઘવાયો પણ મૃત્યુ ન થયું. આલ્બ્રેશ્ટનો આમાં કોઈ હાથ ન હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ તરત જ ભૂગર્ભમાં ઊતરી ગયા. પણ જર્મનીની ગુપ્ત રાજકીય પોલિસ (ગેસ્ટાપો -Geheime Staatspolizei)ના હાથે ૦૭-૧૨-૧૯૪૪ના રોજ પકડાઈ ગયા. બર્લિનની મુઆબિત જેલમાં બંદી રખાયા. કહેવાય છે કે હિટલરના મનમાં એમની રાજકીય અગત્યતા યથાવત હોવાના કારણે નિયમિતપણે મોતને ઘાટ ઉતારાતા અન્ય કેદીઓની જેમ તેઓની હત્યા કરવામાં આવી નહીં. જો કે એમના પિતાએ પુત્રએ દેશદ્રોહ કર્યો છે એમ કહીને પોતાની વગ વાપરીને એમને આઝાદ કરાવવાની શક્યતાને નકારી દીધી હતી. ‘મારા પિતા’ (સૉનેટ ૩૮)માં પિતાની રાજકીય મહત્તા અને હિટલરને નાથવાની શક્તિ હોવા છતાં હિટલરનો સાથ આપવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને આલ્બ્રેશ્ટ લખે છે કે ‘મારા પિતાએ જ સીલ તોડી નાંખ્યું. એમણે દુષ્ટના ચઢતા શ્વાસ જોયા નહીં. એમણે દૈત્યને દુનિયામાં ખુલ્લો છૂટી જવા દીધો.’ ‘એકરન’ (Acheron) (સૉનેટ ૨૪)માં એ પોતાના પિતાને ‘સત્તાના સ્વપ્નથી હજીય આંધળા થઈ ગયેલ’ ગણાવે છે. (જો કે કવિના મા-બાપ બંનેએ કવિના મૃત્યુના અગિયારેક મહિના પછી કોઈક કારણોસર ઝેર ખાઈને ભેગી આત્મહત્યા કરી હતી.)

કોટડીમાં બિલકુલ એકલા અને સાંકળમાં બંધાયેલા હાથ-પગ સાથે જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટે કાગળ-પેન મેળવ્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા. સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો પણ તેઓ શહેરમાં આવી ચડે એ પહેલાં ૨૩ એપ્રિલ, ૧૯૪૫ના રોજ જેલના અધિકારીઓએ આલ્બ્રેશ્ટ અને બીજા ચૌદ કેદીઓને છોડી મૂક્યા. નસીબ વાંકું તે જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગરદનમાં ગોળી આડેધડ દફનાવી દેવાયા. એક કેદી કોઈક રીતે બચી ગયો. જેના કારણે ત્રણ અઠવાડિયા પછી ૧૨મી મેના રોજ કવિના નાના ભાઈ હેઇન્ઝને એમનું શબ જડ્યું. કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખા દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ સૉનેટોમાં પોતાની આ પરિસ્થિતિ માટે કોઈ દયાભાવ નથી, તો આતતાયીઓ સામે કોઈ પ્રત્યારોપ કે નિંદાવૃત્તિ પણ નથી. અહીં પોતાના અનિચ્છનીય દુર્ભાગ્યની સ્વીકૃતિ અને ઉદાસીન શરણાગતિ નજરે ચડે છે. અહીં એક તરફ ગમે ત્યારે આવી શકનાર મૃત્યુની સન્મુખ એક કવિના અંતઃકરણનું પરીક્ષણ તો બીજી તરફ માનવસભ્યતા પર થતા હીચકારા હુમલા સામેની ઠંડી પ્રતિબદ્ધતા છે. કદાચ, એટલે જ આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામેના વિરોધમાં લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે. આલ્બ્રેશ્ટનું રાજકારણ, ભૂગોળ, જ્યોતિષ-ખગોળવિદ્યા અને ગણિત વગેરેનું ઊંડું જ્ઞાન પણ અહીં નજરે ચડે છે. મધ્યયુગીન અલ્કેમી અને પુરાણકથાઓનો અર્ક આ સૉનેટ્સમાં રસ્યોબસ્યો છે.

‘બેડીમાં’ (In fetters) (સૉનેટ ૦૧)માં કવિએ પોતાની પીડા સાથે તમામ કેદીઓની પીડા વણી લીધી છે. કવિ કહે છે: ‘ખાલી લાગતી કોટડીની દીવાલો જિંદગીથી ભરપૂર છે. અપરાધબોધ અને નિયતિ એના ગુંબજની જગ્યાને ભૂખરા પડદાંઓથી ભરી દે છે. ઈંટો અને સળિયાઓમાં અન્ય આત્માઓનો ઊંડો તણાવ જીવંત શ્વાસ લઈ રહ્યો છે. આ કમરામાં હું પ્રથમ નથી જેના કાંડા સાંકળોથી કપાઈ રહ્યાં હોય અને જેના દુઃખ ઉપર અજાણ્યાઓની ઇચ્છાશક્તિ પોષાતી હોય. ઊંઘ ઉજાગરો બની જાય છે અને ઉજાગરો સ્વપ્ન. દીવાલોમાંથી ઘણા ભાઈઓના હાથનો કંપ સંભળાય છે.’ જો કે પોતાની ભીતરી તાકાતથી પણ તેઓ બરાબર માહિતગાર હતા. ‘પરાકાષ્ઠાએ’ (On the threshold) (સૉનેટ ૦૫)માં કવિ લખે છે કે ‘એક ઝાટકો – અને જેલની કોઈ દીવાલ નથી જે મારા આત્માને અડવા માટે શક્તિશાળી હોય.’ અને ‘જેને અન્યો માન્યતાઓ, આદર્શો, આશાઓ ગણીને વળગી રહે છે, એ મારા માટે મરી પરવાર્યા છે.’ આ એંસી સૉનેટ્સમાં તિબેટના રહસ્યો પણ છે અને ‘ઓમ મણી પદ્મે હમ’નું બોધિસૂત્ર પણ જોવા મળે છે. કવિના મા-બાપ, મિત્ર, પાડોશીઓ, તબીબ, વાયોલિન વાદકથી લઈને બીથોવન, ફિડેલો, એલેક્ઝાન્ડ્રિયા અને મેમ્ફિસ પણ અહીં સમાવિષ્ટ છે. વિશ્વપ્રવાસી આલ્બ્રેશ્ટે ઉમર ખૈયામ અને ભગવદગીતાને પણ પોતાના સૉનેટ્સના વિષય બનાવ્યા છે.

‘આપણા વૉર્ડનો’ ઇટાલિઅન અથવા પેટ્રાર્કશાયી ઢબમાં લખાયેલું પણ અંગ્રેજી પ્રાસવ્યવસ્થાનો સંસ્પર્શ પામેલ સૉનેટ છે. મૂળ પેટ્રાર્કશાયી સૉનેટમાં અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDCDCD અથવા CDEEDE પ્રકારે પ્રાસ જોવા મળે છે. અંગ્રેજી સંસ્કરણમાં ષટકમાં CDD CEE પ્રકારની પ્રાસવ્યવસ્થા કરાય છે. આલ્બ્રેશ્ટે એમના આ સૉનેટ્સમાં શેક્સપિઅરની જેમ અષ્ટકના બે ચતુષ્ક બનાવી ABBA ABBA મુજબ એકસમાન પ્રાસ રાખવાના બદલે બંને ચતુષ્કમાં ABBA વ્યવસ્થા તો જાળવી છે પણ બંનેના પ્રાસ ABBA CDDC મુજબ અલગ કરી નાંખ્યા છે. ષટકમાં જો કે CDD CEE પ્રમાણે પ્રાસવ્યવસ્થા બરકરાર રાખી છે. સૉનેટ કદાચ સૌથી વધુ ચુસ્ત કાવ્યપ્રકાર છે. એ કવિ પાસે મહત્તમ શિસ્ત અને સજ્જતા માંગી લે છે. મુક્તવિહાર માટેનો અવકાશ અહીં લઘુત્તમ છે અને છંદ પણ વધુ છૂટ આપતો નથી. એમાંય ઇટાલિયન કે પેટ્રાર્કન સૉનેટ પ્રાસની બાબતમાં એટલા કડક છે કે અંગ્રેજી ભાષાએ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપે પોતાની પ્રાસવ્યવસ્થા ઊભી કરવી પડી હતી. માથા પર તલવાર લટકતી હોય, કાળકોટડીનું એકાંત હોય અને હાથ-પગમાં સાંકળ પડી હોય એવી પરિસ્થિતિના તણાવને તંતોતંત અભિવ્યક્ત કરવા માટે પેટ્રાર્કન સૉનેટ જેવા સંયમિત અને અતિશિસ્તબદ્ધથી વધુ ઉચિત કાવ્યપ્રકાર બીજો કયો હોઈ શકે? કદાચ એટલે જ પોતાની તણાઈને તંગ થયેલી લાગણીઓ વ્યક્ત કરવા માટે કવિએ ઇટાલિઅન સૉનેટ પર કાવ્યસ્વરૂપ તરીકેનો કળશ ઢોળ્યો હોઈ શકે. એમ. ડી. હેર્ટર નોર્ટને જર્મન ભાષામાં લખયેલ આ સૉનેટ્સનો ગદ્યાનુવાદ કર્યો છે. પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે કવિએ પ્રયોજેલ આયમ્બિક પેન્ટામીટરને મળતો આવતો માત્રામેળ છંદ (હરિગીત) અને મૂળ પ્રમાણેની પ્રાસવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે.

રશિયન સૈનિકો વડે ધમરોળાઈ ગયેલ ટ્રાન્સિલ્વેનિયાનો વતની જેલના વૉર્ડન તરીકે નવોસવો આવ્યો હતો એની સાથે વાતચીત થયા બાદ કવિએ આ સૉનેટ લખ્યું હતું. આ સૉનેટ વાંચો ને રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે! એક કેદીની નજરે જેલના દરોગાને જોવાનો અને સમજવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા, જોર-જુલમ કરતા, મારતા-પીટતા વૉર્ડન પણ કેદીને ભલા લાગે છે. મોત નિશ્ચિત થઈને માથા પર આવી જાય ત્યારે મનુષ્યમાં કુદરતી રીતે જ સમ્યકભાવ આવી જાય છે. સગી આંખે પોતાના મોતને સામુ ઊભેલું જોવાનું થાય અને બચવાનો એકેય રસ્તો જ ન હોવાની ગળા સુધીની ખાતરી થઈ જાય ત્યારે માણસમાં બુદ્ધનો કરુણાભાવ જન્મે છે. અને એ લોકો સારા માણસ છે એ બાબતમાં કવિ વળી પુરાવો પણ રજૂ કરે છે. ભલા છે કેમકે તેઓ ખેડૂતનું જ લોહી છે. જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવીને દુનિયા માટે અનાજ ઊગાડી જાણે એ કદી નિર્દય હોઈ શકે ખરો? એ લોકો પોતાની માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈને અહીં જેલની આ સાવ અણજાણ અને સમજણના પ્રદેશ બહારની દુનિયામાં આવી પડ્યા છે.

પૂર્વના જે પ્રદેશોમાંથી આ વૉર્ડનો અહીં આવ્યા છે એ પૂર્વના પ્રદેશોમાં હવે કંઈ જ બચ્યું નથી. સઘળું ક્યારનું ખેદાનમેદાન થઈ ચૂક્યું છે. યુદ્ધના ખપ્પરમાં આ વૉર્ડનોના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર-વંશજો – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. ખરું પૂછો તો દુનિયામાં કયો માણસ હશે જે પોતાની અને પોતાનાઓની આવી તારાજીનું દુઃસ્વપ્ન જોતો હશે? ‘’ભગવદગીતા’ (સૉનેટ ૬૬)માં તો કૃષ્ણ હતા જેના કારણે અર્જુનનો ‘અપરાધભાવ વિજય અને શક્તિમાં રૂપાંતરિત થાય છે,’ પણ એ મહાભારત હતું, આ વિશ્વયુદ્ધ અને એના પરિણામ છે. જેલમાં બેસીને યુદ્ધના દુષ્પરિણામો જોઈ રહેલા કવિને ‘અપરાધ’ભાવ (Guilt) (સૉનેટ ૩૯) પણ થાય છે: ‘મારે મારી ફરજ વેળાસર સમજી જવાની હતી. મેં મારો નિર્ણય વધુ લાંબ સમય સુધી રોકી રાખ્યો. હું જાત અને અન્યો સાથે જૂઠું બોલ્યો.’ યુદ્ધની જે તારાજીની જાણ હોવા છતાં કવિ ‘પૂરતા મોટા અવાજે અને સ્પષ્ટ ચેતવણી’ આપી શક્યા નહોતા, આ વૉર્ડનો એ જ તારાજીનો શિકાર થઈ અહીં આવ્યા છે. અહીં જેલમાં સર્વેસર્વા હોવા છતાં તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. ભાગ્યે જ બોલે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. એ તો પોતાને કેદીઓના ભાગ્યવિધાતા ગણતા હોય. પણ આ લોકો તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો કદી-મદી વિનમ્રતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે માતૃભૂમિના દુર્ભાગ્યનો આવો વિકટ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ આ વૉર્ડનોને હજી પણ જિંદગીની એકાદી નિશાનીની પ્રતીક્ષા છે. આ ‘જીવનપ્રતીકની પ્રતીક્ષા’ ઘણું બધું કહી જાય છે. જેલની નિર્જીવ દીવાલો અને સળિયાની વચ્ચે સેંકડો કેદીઓ અને ઘણાબધા ચોકીદારો-વૉર્ડનો જીવી રહ્યા છે પણ કવિનો આ શબ્દપ્રયોગ એ વાતનો સાફ ઈશારો છે કે આ જીવન જીવન નથી. આ જિંદગી મૃત્યુથી વિશેષ કંઈ જ નથી. કેદી કવિની જેમ જ વૉર્ડનો પણ આ વાત કદાચ સમજે છે, માટે જ તેઓ ક્યાંક કોઈક જગ્યાએ જીવનની એકાદી નિશાની જડી આવે એની આશામાં જ કદાચ જીવી રહ્યા છે. તેઓ ચુપચાપ પોતપોતાનું કામ કર્યે રાખે છે. કેદીઓની જેમ જ તેઓ પણ મૂંગામૂંગા કદાચ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? પાછળથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

આપણા બધાની અંદર એક આલ્બ્રેશ્ટ હૌસહૉફર વસે છે, જે આપણને આપણી વ્યર્થ લડાઈઓ અને જાતે ઊભી કરેલી કેદમાં કેદી બની ચૂક્યા હોવા અંગે સમજાવવા માંગે છે, પણ શું આ વાત આપણને સમજાશે ખરી? આવતીકાલે? પછી? ક્યારેય પણ?

2 replies on “ગ્લોબલ કવિતા : ૧૨૫ : આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *